Opinion Magazine
Number of visits: 9572322
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આઝાદીમાં ભારતે જગતને આશ્ચર્ય થાય એવો વિવેક કર્યો

રમેશ ઓઝા|Opinion - Opinion|21 February 2021

બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું એ પછી, ખાસ કરીને ૧૯૪૦ પછી, ભારતીય નેતાઓને સમજાઈ ગયું હતું કે હવે ભારતની આઝાદી દૂર નથી. માત્ર એ લોકોને નહીં જેમણે આઝાદીની લડતમાં સક્રિય ભાગ લીધો હતો, પણ એ લોકોને પણ સમજાઈ ગયું હતું જેમણે ભારતને બને એટલો સમય અથવા તો ક્યારે ય આઝાદી ન મળે એમાં સક્રિય રસ લીધો હતો. એ લોકોને પણ સમજાઈ ગયું હતું જેઓ કાંઠે ઊભા રહીને ‘જો તમે કાંઈક મેળવવાના હો તો અમારો આટલો ભાગ હોવો જોઈએ’ એવી શરતો કરતા હતા. એ ભદ્ર વર્ગને પણ સમજાઈ ગયું હતું જે અંગ્રેજો નહીં તો અંગ્રેજી શાસન એના એ સ્વરૂપમાં જળવાઈ રહે એમ ઈચ્છતા હતા. અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ ધરાવનારા, સરકારી તંત્રમાં ઈજારાશાહી ધરાવનારા અને એ રીતે સમાજમાં વર્ચસ્‌ ધરાવનારા લોકોનું અંગ્રેજી ઢાંચો એના એ સ્વરૂપમાં જળવાઈ રહે એમાં સ્થાપિત હિત હતું. રાજા-મહારાજાઓને પણ સમજાઈ ગયું હતું કે ભારતને આઝાદી મળવાની છે અને તેમાં તેમના ભવિષ્યનો સવાલ ઉપસ્થિત થવાનો છે.

જે લોકો પ્રાચીન ભારતમાં રામરાજ્ય હતું તેમ જ દૂધની નદીઓ વહેતી હતી એવાં સુંવાળા સપનાં જોતા હતા અને ભારતનું (હિંદુઓનું) પતન મ્લેછોના કારણે થયું એવું માનતા હતા એ લોકોને પણ ખાતરી થઈ ગઈ હતી કે ભારતને આઝાદી મળવાની છે. તેમને એ વાતની પણ ખબર હતી કે આઝાદ ભારતમાં હિંદુઓની બહુમતી હોવાને કારણે શાસનમાં હિંદુઓનો હાથ ઉપર હશે, પણ તેમને એ વાતનો અંદેશો હતો કે હિંદુઓ સંખ્યાનો લાભ લઈને હિંદુ હોવાની સરસાઈ સ્થાપિત નહીં કરે. આઝાદીનો ઊઘાડ નજરે પડ્યો ત્યારે તેઓ રાજી હોવાની જગ્યાએ દુ:ખી હતા. દુનિયાભરના શ્રમિકો-શોષિતોની કોઈ જાત નથી હોતી, ઓળખ નથી હોતી; ઓળખ માત્ર શોષિત-સર્વહારાની જ હોય છે અને માટે દુનિયા ભરના શ્રમિકોએ રાજ્ય-રાષ્ટ્રના સીમાડાઓની ઉપેક્ષા કરીને વૈશ્વિક બિરાદરી(કૉમ્યુનિસ્ટ ઇન્ટરનેશનલ)નો ભાવ કેળવવો જોઈએ એમ માનનારા સામ્યવાદીઓને પણ સમજાઈ ગયું હતું કે ભારતને કમ સે કમ રાજકીય આઝાદી તો મળવાની જ છે. તેઓ પણ આઝાદીનો ઊઘાડ નજરે પડ્યો ત્યારે રાજી હોવાની જગ્યાએ દુ:ખી હતા. દુનિયાભરના મુસલમાનોની કોઈ જાત નથી હોતી, કોઈ બીજી ઓળખ નથી હોતી, કોઈ રાષ્ટ્રીયતા નથી હોતી; હોય છે માત્ર ઇસ્લામની અર્થાત્ મુસ્લિમ હોવાની ઓળખ અને માટે દુનિયાભરના મુસલમાનોએ રાજ્ય-રાષ્ટ્રના સીમાડાઓની ઉપેક્ષા કરીને મુસ્લિમ વૈશ્વિક બંધુત્વભાવ (પૅન – ઇસ્લામિઝમ) કેળવવો જોઈએ, એમ માનનારા મુસ્લિમ નેતાઓને પણ ખાતરી થઈ ગઈ હતી કે ભારતને આઝાદી મળવાની છે. તેઓ પણ આઝાદીનો ઊઘાડ નજરે પડ્યો ત્યારે રાજી હોવાની જગ્યાએ દુ:ખી હતા.

માત્ર ભારતીય નેતાઓને જ નહીં, આખા જગતને સમજાઈ ગયું હતું કે હવે ગુલામ દેશો આઝાદ થવાના છે. આનું કારણ એ હતું કે વિશ્વયુદ્ધ પછીનું જગત અલગ હોવાનું છે એ બધા જાણતા હતા. વિજેતા દેશો વિજેતા થઈને પણ હારવાના છે અને હવે ગુલામ દેશો ઉપર કબજો જમાવી રાખી શકવાના નથી એની તેમને જાણ હતી. વીસમી સદીના બરાબર મધ્યાહ્ને (૧૯૫૦ની આસપાસ) એશિયા અને આફ્રિકાના દેશો એક એક કરીને આઝાદ થવાના હતા જેનો અર્થ એ થયો કે અડધા કરતાં વધારે મોટું વિશ્વ આઝાદ થવાનું હતું જેનું અત્યાર સુધી શોષણ કરવામાં આવતું હતું. માત્ર શોષણ નહીં, તેમના ઉપર પશ્ચિમના માલિક દેશોએ તેમને માફક આવે એવો ખાસ પ્રકારનો શાસનનો અને અર્થતંત્રનો ઢાંચો લાગુ કર્યો હતો. તેમના મનમાં કુતૂહલ હતું અને ચિંતા પણ હતી કે આ દેશો આઝાદ થયા પછી કયો માર્ગ કંડારશે! તેઓ ગુલામ થયા એ પહેલાંનો તેમનો પોતીકો પરંપરાગત ઢાંચો પાછો સજીવન કરશે કે પછી માલિક દેશોએ લાગુ કરેલો ઢાંચો જાળવી રાખશે. તેમનું જીવનધોરણ એશિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના દેશોના શોષણ ઉપર આધારિત હતું.

તેમની ચિંતા માટે કારણો પણ હતાં. જે વાચકો ગંભીર વાંચન કરવાની ક્ષમતા ધરાવે છે (અને મારા વાચકો એવી ક્ષમતા ધરાવે છે એની મને ખાતરી છે) તેમને હું પંકજ મિશ્રાનું એક પુસ્તક વાંચવાની આગ્રહપૂર્વક ભલામણ કરું છું. ‘From The Ruins Of Empire: The Revolt Against The West And The Remaking of Asia’ નામના પુસ્તકમાં પંકજ મિશ્રા લખે છે કે ૧૯૦૫માં જ્યારે ત્સુશિમાની લડાઈમાં બચુકલા જપાન સામે વિરાટ કાય રશિયાનો પરાજય થયો ત્યારે એ પરાજયને એશિયન દેશોએ એશિયાના પશ્ચિમ પરના વિજય તરીકે ઉજવ્યો હતો. ચીની નેતા સુન યાત સેન ત્યારે લંડનમાં હતા અને યુદ્ધ પછી તેઓ જ્યારે સ્ટીમરમાં ચીનનો પ્રવાસ કરી રહ્યા હતા, ત્યારે સુએઝની નહેરમાં એક આરબ મજૂરે (ધ્યાન આપવામાં આવે, મજૂરે) તેમને જપાની સમજીને રશિયાને હરાવવા માટે અભિનંદન આપ્યા હતા. જે દિવસે રશિયાના પરાજયના અને જપાનના વિજયના સમાચાર રવીન્દ્રનાથ ટાગોરને મળ્યા, ત્યારે તેમણે વિદ્યાર્થીઓને એ દિવસે ભણાવવાનું છોડીને ગામમાં વિદ્યાર્થીઓની વિજયફેરી કાઢી હતી. પંકજ મિશ્રા લખે છે કે એ યુગમાં એશિયાના દેશોમાં માબાપો પોતાના પુત્રનું નામ ટોગો રાખતા હતા જેણે જપાનને યુદ્ધમાં વિજય અપાવ્યો હતો.

સંસ્થાનવાદનો ઇતિહાસ શોષણનો, લૂંટનો અને પાશ્ચાત્ય સાંસ્કૃતિક સરસાઈનો હતો અને એની સામે બાકીના જગતમાં, ખાસ કરીને એશિયામાં અસંતોષ છે એની પશ્ચિમને જાણ હતી. અંગ્રેજીમાં જેને ઓરિયેન્ટલિઝમ કહેવામાં આવે છે તે પૌર્વાત્યવાદ પાશ્ચાત્યવાદ (ઓક્સીડેંટલિઝમ)ની સામે બીજે  છેડે વિકસી ચુક્યો હતો. મુક્તિ પછી એશિયા કેટલું પશ્ચિમનું જાળવી રાખશે, કેટલું છોડશે, કેટલો વિવેક કરશે, કેટલી પ્રતિક્રિયા હશે, કેટલી આક્રમકતા (retaliation) હશે એનું ઉપર કહ્યું એમ કુતૂહલ હતું અને ચિંતા પણ હતી. વિકસિત પશ્ચિમનો વિકાસનો દર, તેની રફતાર અને તેની સ્થિરતા કે શાશ્વતી (sustainability) એશિયા શું માર્ગ અપનાવે છે એના ઉપર નિર્ભર હતાં.

એમાં જરા ય આશ્ચર્ય ન થવું જોઈએ કે ભારતને આઝાદી મળી એ પહેલાં, ૧૯૪૨માં ચીનના નેતા ચ્યાંગ કાઈ શેક ભારતની મુલાકાતે આવી ગયા હતા. એમાં જરા ય આશ્ચર્ય ન થવું જોઈએ કે ભારતને આઝાદી મળી એના ચાર મહિના પહેલાં ભારતમાં પૂરા કદની એશિયાઈ પરિષદ મળી ચૂકી હતી. એમાં જરા ય આશ્ચર્ય ન થવું જોઈએ કે અમેરિકાએ બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન ભારતમાં રસ લેવાનું શરૂ કરી દીધું હતું અને પ્રમુખ રુઝવેલ્ટે બ્રિટિશ વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલને સલાહ આપી હતી કે યુદ્ધ પછી ભારતને આઝાદી આપવાનું વચન બ્રિટિશ સરકારે ભારતીય નેતાઓને આપીને યુદ્ધમાં ભારતનો સહયોગ મેળવવો જોઈએ. આનું કારણ અમેરિકાનો સ્વાર્થ હતો. અમેરિકાને ખાતરી થઈ ગઈ હતી કે યુદ્ધ પછીના ગેર-સામ્યવાદી જગતનું નેતૃત્વ અમેરિકા કરવાનું છે અને અમેરિકાને એ વાતની પણ ખાતરી હતી કે નવા ઊઘાડ પછી આઝાદ થયેલા એશિયા અને આફ્રિકાના દેશોનું નેતૃત્વ ભારત કરવાનું છે. ભારત તેની ગરીબી અને બીજા પ્રશ્નોને કારણે નેતૃત્વ ન પણ કરી શકે તો પણ નવો માર્ગ કંડારવામાં ભારત મહાજન બનવાનું છે.

ટૂંકમાં આઝાદ ભારતનું સ્વરૂપ કેવું હશે કે હોવું જોઈએ એ વિષે ભારતમાં અને જગત આખામાં કુતૂહલ હતું. દરેકની પોતપોતાની ભૂમિકા હતી અને સ્વાર્થ હતા. દરેકના પોતાના આગ્રહો હતા અને પૂર્વગ્રહો હતા. સનાતની બ્રાહ્મણો, હિન્દુત્વવાદી હિંદુઓ, ઇસ્લામવાદી મુસલમાનો, સવર્ણો તરફ શંકાની નજરે જોનારા દલિતો, અગ્રેજિયતમાં પોતાનો સ્વાર્થ જોનારા ભદ્રજનો, રિયાસતો ટકાવી રાખવા ઈચ્છનારા રાજવીઓ, રિયાસતોની નોકરી કરનારા રાવ બહાદુરો, શ્રમિકોનું રાજ્ય સ્થાપવા માગતા સામ્યવાદીઓ, અન્ય લઘુમતી કોમના નેતાઓ, દક્ષિણ ભારતના દ્રવિડીઓ, ભાષાકીય અને પ્રાંતીય અસ્મિતાવાદીઓ એમ કંઈ કેટલા ય લોકો આઝાદ ભારતના સ્વરૂપ વિષે કુતૂહલ ધરાવતા હતા, અભિપ્રાય ધરાવતા હતા, આગ્રહો ધરાવતા હતા અને ભય પણ ધરાવતા હતા. આ સિવાય આખા જગતની પણ ભારત ઉપર નજર હતી. ભારત પૂર્વ અને પશ્ચિમ વચ્ચે અને આધુનિકતા અને પરંપરા વચ્ચે કેવો વિવેક કરે છે એનું કુતૂહલ અને ચિંતા બન્ને હતાં. 

ભારતે વિવેક કર્યો હતો અને દુનિયા વિસ્ફારિત નેત્રે જોઈ રહે એવો અદ્ભુત વિવેક કર્યો હતો.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 21 ફેબ્રુઆરી 2021

Loading

ચલ મન મુંબઈ નગરી—84

દીપક મહેતા|Opinion - Opinion|20 February 2021

‘વચલા રસ્તા’ને જેનું નામ અપાયું તે કોણ હતા ક્રુકશેન્ક?

હવે તો ઊડી ગયા છે રંગ ભવનના રંગો

૨૦૦૮ના નવેમ્બરની ૨૬મીની એ રાત

‘થંભો ના, હે ચરણ ચલો!’ આજે ફરી ફરીએ મુંબઈના બીજા એક રસ્તા પર. મુંબઈના કેટલાક રસ્તાનાં બ્રિટિશ જમાનાનાં નામ આજે પણ લોકજીભે વસે છે. કોઈ મુંબઈગરો મહર્ષિ કર્વે રોડ નહિ બોલે, ક્વીન્સ રોડ જ બોલશે. નેતાજી સુભાષ માર્ગ નહિ, મરીન ડ્રાઈવ જ બોલશે. તો કેટલાંક બ્રિટિશ નામ એવાં પણ હતાં કે જે એ વખતે પણ લોકજીભે ચડી શક્યાં નહોતાં. આવું એક નામ તે ક્રુકશેન્ક રોડ. તેનો અંગ્રેજી સ્પેલિંગ પણ યાદ રાખવો મુશ્કેલ પડે તેવો હતો : Cruickshank Road. એટલે ‘દેશી’ઓ તેને ‘વચલો રસ્તો’ કહેતા. આ રસ્તા સાથે આ લખનારની કેટલીક સાંભરણો જોડાયેલી છે, પણ એની વાત પછી. આ રસ્તો ધોબી તળાવ આગળથી શરૂ થતો અને વિક્ટોરિયા ટર્મિનસ પાસે પૂરો થતો. તેની એક બાજુ તો એસપ્લનેડનું મોટું મેદાન. રસ્તો ખાસ લાંબો નહિ, એટલે બીજી બાજુ પણ મકાનો ઓછાં. ધોબી તળાવ પાસેથી આગળ વધો એટલે સૌથી પહેલાં આવે એલ્ફિન્સ્ટન સ્કૂલનું ભવ્ય મકાન. એક જમાનામાં આખા મુંબઈની એ સૌથી સારી સ્કૂલ ગણાતી. મુંબઈના ગવર્નર માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન નિવૃત્ત થઈ સ્વદેશ ગયા તે પછી તેમના માનમાં બંધાયેલી. આજે એમાં સરકારી શિક્ષણ ખાતાની ઓફિસો છે. એ મકાન પછી એક સાંકડી ગલી. આજે એનું નામ છે બદરુદ્દીન તૈયબજી માર્ગ. એલ્ફિન્સ્ટન સ્કૂલના મકાન પાછળ મોટી ખુલ્લી જગ્યા. આઝાદી પછીનાં વરસોમાં તે વખતની મુંબઈ સરકારે ત્યાં એક ઓપન એર થિયેટર બાંધેલું, રંગ ભવન. એટલે કે આમ તો ખુલ્લી જગ્યાના એક ખૂણામાં સ્ટેજ. બાકીની જગ્યા તો હતી તેમ જ ખુલ્લી. મોટે ભાગે સાંજના સાત પછી અહીં શો થાય. ત્યારે એ ખુલ્લી જગ્યામાં પ્રેક્ષકો માટે ખુરસીઓ ગોઠવી દેવાય. એ વખતની મુંબઈ સરકારે બીજું પણ એક કરવા જેવું કામ કરેલું. સરકાર દર વરસે મરાઠી, ગુજરાતી, સંસ્કૃત, વગેરે ભાષાનાં નાટકોની હરીફાઈ યોજતી. તેમાં ગુજરાતી નાટકો રંગ ભવનમાં જ ભજવાતાં. કેટકેટલાં ઉત્તમ નાટકો એ રંગ ભવનમાં ભજવાયેલાં. મુંબઈની નાટક મંડળીઓ ઉપરાંત ગુજરાતની સંસ્થાઓ પણ તેમાં ભાગ લેવા આવતી. ૧૯૬૦માં મહારાષ્ટ્ર અને ગુજરાતનાં અલગ રાજ્ય થયા પછી પણ કેટલોક વખત એ ગુજરાતી નાટકોની હરીફાઈ ચાલુ રહેલી. પછી ધીમે ધીમે બંધ. ટિકિટના દર મધ્યમ વર્ગને પોસાય એવા : ૨, ૫, ૭, અને ૧૧ રૂપિયા. પહેલી બે સોફાની હારના ૧૧, પાછળ ૭ અને ૫ માટે ખુરસીઓ. અહીં ગમ્મત એ હતી કે બે રૂપિયાની ટિકિટ લેનારને સૌથી આગળ – ૧૧ રૂપિયાના સોફા કરતાં પણ આગળ – બેસવા મળે, પણ ભોંય પર પાથરેલી જાજમ પર! આ લખનારે એ જાજમ પર બેસીને કેટલાંયે ગુજરાતી નાટકો જોયાં છે. ક્યારેક ક્યારેક હરીફાઈ વગર પણ સંસ્થાઓ અહીં નાટકો ભજવતી. પછી ધીમે ધીમે નાટકો ભજવાતાં બંધ થયાં. પછી કેટલાંક વરસ જાઝ જેવા પશ્ચિમી સંગીતનાં કોન્સર્ટ માટે રંગ ભવન વપરાતું. પણ પછી ધ્વનિ પ્રદૂષણનો કાયદો આડો આવ્યો. રંગ ભવનની નજીકમાં જી.ટી. હોસ્પિટલ, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ અને કોલેજ. હોસ્પિટલો અને શિક્ષણ સંસ્થાઓ પાસેના અમુક હદ સુધીના વિસ્તારમાં ૨૪ કલાકનો સાઈલાન્સ ઝોન. અદાલતમાં કેસ. ફેંસલો આવ્યો કે બંધ કરો આ થિયેટર. અને રંગ ભવનના રંગો ઊડી ગયા.

ઓપન એર થિયેટર રંગ ભવન

અને આ રંગ ભવનની નજીક જ, એ જ નાનકડી ગલ્લીમાં ૨૦૦૮ના નવેમ્બરની ૨૬-૨૭ની રાતે કેટલીક જવાંમર્દ જિંદગીના રંગ પણ હંમેશને માટે ઊડી ગયા. આખા દેશમાં અગાઉ ક્યારે ય ન થયો હોય એવો આતંકવાદી હુમલો એ રાતે મુંબઈ પર થયો હતો. વી.ટી. સ્ટેશન પર કેર વર્તાવ્યા પછી આતંકવાદીઓએ કામા હોસ્પિટલને નિશાન બનાવી. મુંબઈ પોલિસના અધિકારીઓ હેમંત કરકરે, અશોક કામટે, વિજય સાલસકર અને બીજા થોડા પોલિસો અપૂરતાં સાધનો વડે આતંકવાદીઓનો સામનો કરી રહ્યા હતા. કેટલાક આતંકવાદી નજરે ચડી ગયા હતા. કામટે અને સાલસકરે ગોળીઓ ચલાવી. એક આતંકવાદી ઘવાયો, પણ નાસી છૂટ્યો. એ હતો અજમલ કસાબ, જે પછી મરીન ડ્રાઈવ પર જીવતો પકડાયો અને અંતે ફાંસીને માચડે ચડ્યો. પણ કસાબના જોડીદાર ઈસ્માઈલ ખાને કરકરે અને તેના સાથીઓ પર ગોળીઓનો વરસાદ વરસાવ્યો. કરકરે, કામટે અને સાલસકર આ ગલ્લીમાં જ વીરગતિને પામ્યા. 

આ વીર શહીદોની સ્મૃતિને વંદન કરી પાછા ક્રુકશેન્ક રોડ પર આગળ વધીએ. આ આવી સેન્ટ ઝેવિયર્સ કોલેજ. ૧૮૬૯ના જાન્યુઆરીની બીજી તારીખે તેની શરૂઆત થઈ ત્યારે તેમાં કેટલા છોકરા ભણતા હતા, ખબર છે? રોકડા બે! ૧૯૫૭ના જૂનમાં આ કોલેજમાં દાખલ થવા માટે તેના વિશાળ હોલની બહાર લાંબી લાઈન. એ વખતે ૧૧ વરસના સ્કૂલના અભ્યાસ પછી એસ.એસ.સી.ની પરીક્ષા. માર્ક શીટ મળ્યા પછી એક સવારે એવી લાઈનમાં એક છોકરો ઊભો રહી ગયો. એ પહેલાં એડમિશન ફોર્મ ચાર આનામાં ખરીદીને ભરી લીધેલું. ફર્સ્ટ યર આર્ટસમાં પ્રવેશ માટે ધોળું ફોર્મ, સાયન્સ માટે ગુલાબી ફોર્મ. પહેલેથી ગણિત સાથે બારમો ચંદ્રમા. એટલે ગુલાબી ફોર્મ ભરવાનો તો સવાલ જ નહોતો. લાઈન ધીમે ધીમે આગળ વધી. હોલના દરવાજા સુધી પહોચ્યા ત્યારે જોયું તો હોલમાં ખુરસીઓની હાર, બે ભાગમાં વહેંચાયેલી. વચમાં પ્રિન્સિપાલ રેવરન્ડ ફાધર બાલાગિરનું મોટું ટેબલ. આજુબાજુ બે નાનાં ટેબલ પર હેડ ક્લાર્ક અને કેશિયર. આગળની ખુરસીઓ ખાલી થાય ત્યારે થોડી થોડી વારે આગળ વધતા જવાનું. વારો આવ્યો. ફાધરે નામ પૂછ્યું, સ્કૂલનું નામ, ક્યાં રહેવાનું, વગેરે પૂછ્યું. પછી ફોર્મ તેમના હાથમાં મૂક્યું. તેમાં લખેલા માર્ક જોયા. કહ્યું: My son, I think you have made a mistake. For Science, you have to fill in a pink form. White is for Arts admissions. છોકરાએ નમ્રતાથી પણ મક્કમતાથી જણાવ્યું કે ના, હું આર્ટસમાં જ દાખલ થવા માગું છું. ફોર્મના મથાળે એક ચોકઠું હતું તેમાં ફાધરે સહી કરી, અને છોકરાના હાથમાં મૂકતાં બોલ્યા : May God bless you.

વીસમી જૂને કોલેજ શરૂ થઈ. એ વખતે કોલેજના અભ્યાસનાં ચાર વરસ : ફર્સ્ટ યર, ઇન્ટર, અને ગ્રેજયુએશનનાં બે વરસ. ફર્સ્ટ યરનાં વિદ્યાર્થીઓ માટે પહેલે દિવસે માત્ર પ્રિન્સિપાલનું ભાષણ, એ જ હોલમાં. વીસેક મિનિટ બોલ્યા. કોલેજની ઉજ્જવળ પરંપરાની વાત. વિદ્યાર્થીઓને મળતી સગવડોની સમજ, ને સાથોસાથ કડક શિસ્તના નિયમોની સમજણ. બીજા દિવસથી ભણવાનું શરૂ. અધ્યાપકો બે પ્રકારના. એક, સફેદ ગાઉન પહેરતા પાદરી-અધ્યાપકો અને બીજા મારા-તમારા જેવા સંસારી અધ્યાપકો. ફાધર એસ્ટેલર, ફાધર ધૂર, ફાધર લોબો વગેરેમાં પાંડિત્ય સાથે વિદ્યાર્થીઓ માટેનો સ્નેહ. તો જાણીતા કવિ વિવેચક મનસુખભાઈ ઝવેરી ગુજરાતી ભણાવે, ગૌરીપ્રસાદ ઝાલા જેવા પંડિત સંસ્કૃત ભણાવે. પછીથી ૧૯૬૯થી ૧૯૭૭ સુધી રિઝર્વ બેન્કના ડેપ્યુટી ગવર્નર થયેલા તે ડો. આર.કે. હજારી અર્થશાસ્ત્ર ભણાવે. જો કે આ લખનારને અર્થશાસ્ત્રનો અર્થ ક્યારે ય સમજાયો નહિ. એ વખતે અધ્યાપિકાની સંખ્યા આંગળીને ટેરવે ગણાય એટલી. કોલેજ ખ્રિસ્તી જેસ્યુઆઈટ સંસ્થાની, અને હોલની બાજુમાં જ મોટું, સુંદર ચેપલ પણ ખરું. ખ્રિસ્તી વિદ્યાર્થીઓ માટે બાઈબલનું શિક્ષણ ફરજિયાત. પણ કોલેજમાં તસુભાર જેટલો પણ ધર્મપ્રચાર નહિ જ નહિ.

સેન્ટ ઝેવિયર્સ કોલેજને ૧૨૫ વરસ પૂરાં થયાં ત્યારે બહાર પડેલી ટપાલ ટિકિટ

કોલેજમાં ગુજરાતી, મરાઠી, અંગ્રેજી, હિન્દી, ઊર્દૂ, વગેરે ભાષાનાં મંડળોમાં જે-તે ભાષાના અધ્યાપકોની દોરવણી નીચે વિદ્યાર્થીઓ જાતજાતની પ્રવૃત્તિઓ કરે. ગુજરાતી સાહિત્ય મંડળ તો દર વર્ષે છાપેલું વાર્ષિક ‘રશ્મિ’ પણ પ્રગટ કરે. તેમાં માત્ર કોલેજના વિદ્યાર્થીઓનાં જ લખાણો પ્રગટ થાય એવું નહિ. એ વખતના પ્રતિષ્ઠિત લેખકો, વિવેચકોનાં લખાણ પણ તેમાં છપાય. આપણા જાણીતા લેખક કૃષ્ણલાલ શ્રીધરાણીના કાવ્ય સંગ્રહ ‘કોડિયાં’ વિશેનો ‘રશ્મિ’માં છપાયેલો લેખ એ આ લખનારનો પહેલો વિવેચન લેખ. દર વરસે ગુજરાતી સાહિત્ય મંડળનો ‘રસોત્સવ’ થાય તેમાં ગીત-સંગીત, ગરબા-રાસ, વગેરે સાથે એકાંકી પણ ભજવાય. સંસ્કૃત વાઙમય મંડળ તો સરકારી નાટ્ય હરીફાઈમાં પણ ભાગ લે. અલબત્ત, સંસ્કૃત નાટકો રંગ ભવનમાં નહિ, સિડનહામ કોલેજના હોલમાં ભજવાય. તેમાં એક વાર કવિ શૂદ્રકનું પ્રખ્યાત નાટક ‘મૃચ્છકટિક’ ટૂંકાવીને ભજવેલું તેમાં આ લખનારે બુદ્ધ ભિખ્ખુની ભૂમિકા ભજવેલી. કદાચ એ જોઇને જ બીજા વરસથી સંસ્કૃત નાટકોની હરીફાઈ સરકારે બંધ કરેલી.

સેન્ટ ઝેવિયર્સ કોલેજના વિદ્યાર્થીઓએ ભજવેલા સંસ્કૃત નાટક મૃચ્છકટિકનું એક દૃષ્ય

યાદોનો દાબડો પણ બંધ કરીને આપણે પણ આગળ વધીએ. આ રહી કામા એન્ડ આલબ્લેસ હોસ્પિટલ જે પણ આતંકવાદી હુમલાનો ભોગ બની હતી. પેસ્તનજી હોરમસજી કામાના એક લાખ ૬૪ હજાર ૩૧૧ રૂપિયાના દાનથી ૧૮૮૬માં આ હોસ્પિટલ શરૂ થઈ હતી. સ્ત્રીઓના નર્સિંગના અભ્યાસને ઉત્તેજન આપવા માટે સ્કોલરશિપ શરૂ કરવા તેમણે મુંબઈ યુનિવર્સિટીને ૨૫ હજારનું દાન આપેલું. એવણનો જન્મ ૧૮૦૫માં, બેહસ્તનશીન થયા ૧૮૯૩ના જાન્યુઆરીની ૧૮મી તારીખે. ૧૮૩૮માં ‘હોરમસજી મંચેરજી કામાજીના છોકરાઓની કંપની’ નામે કંપની શરૂ કરી. ૧૮૪૨માં તેની એક શાખા ચીનમાં ખોલી. ૧૮૪૫માં ચીનની મુસાફરી કરી. પોતાના ભાઈઓ સાથે મળીને તેમણે ૧૮૫૫માં કામા એન્ડ કંપની લંડનમાં શરૂ કરી હતી. કોઈ ‘દેશી’ માણસે ગ્રેટ બ્રિટનમાં શરૂ કરેલી આ પહેલવહેલી વેપારી પેઢી.

પેસ્તનજી હોરમસજી કામા અને તેમણે બંધાવેલી કામા હોસ્પિટલ

હોસ્પિટલ પછી આવે ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટ, એસ્પ્લનેડ કોર્ટ, અને આઝાદ મેદાન પોલિસ સ્ટેશન. પછી એક સાંકડી ગલ્લી, અને પછી મુંબઈ મહાનગર પાલિકાની ભવ્ય ઈમારત. ગિરગામ ટ્રામ ટર્મિનસ પાસેના એક નાનકડા મકાનમાં ૧૮૬૫માં બોમ્બે મ્યુનિસિપાલિટીની શરૂઆત થઈ ત્યારે તેના પહેલા કમિશનર બન્યા આર્થર ક્રાફર્ડ. ૧૮૭૦માં મ્યુનિસિપાલિટી એસ્પ્લનેડ રોડ પરના એક મકાનમાં ખસેડાઈ. આજે જ્યાં આર્મી એન્ડ નેવી બિલ્ડિંગ આવેલું છે ત્યાં એ મકાન આવેલું હતું. ૧૮૮૪ના ડિસેમ્બરની નવમી તારીખે હાલના મકાનનો પાયો વાઈસરોય લોર્ડ રિપને નાખ્યો, અને ૧૮૯૩માં તેનું બાંધકામ પૂરું થયું. આ ભવ્ય મકાનને તાજેતરમાં જ રિસ્ટોર કરવામાં આવ્યું છે અને મુલાકાતીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.  અલબત્ત, એ માટે અગાઉથી ૩૦૦ રૂપિયાની ટિકિટ ખરીદવાનુ જરૂરી છે. બસ, પછી થોડેક આગળ જઈને ક્રુકશેન્ક રોડ બોરી બંદર સ્ટેશન પાસે પૂરો થઈને હોર્નબી રોમાં, આજના ડો. દાદાભાઈ નવરોજી રોડમાં ભળી જાય.

મુંબઈની મ્યુનિસિપાલિટીનું મકાન – બંધાયા પછી થોડે વર્ષે

તમે કહેશો કે ભલા માણસ, આ તો શાકમાં આખું સાકરકોળું ગયા જેવું થાય છે. આ રસ્તાનું નામ ક્રુકશેન્ક રોડ કેમ પડ્યું એની તો વાત જ નહિ! હા, કર્નલ જે.ડી. ક્રુકશેન્કના નામ પરથી આ રોડનું નામ પડ્યું હતું. બોમ્બે એન્જિનિયર્સમાં કામ કરીને ૧૮૯૫માં તેઓ નિવૃત્ત થયા હતા. મુંબઈ ઉપરાંત તેમણે ગુજરાત અને એડનમાં પણ કામ કર્યું હતું. એ વખતે લશ્કરની એક શાખા એન્જિનિયિંગરનાં કામ પણ કરતી. આ શાખા બોમ્બે એન્જિનિયર્સ તરીકે ઓળખાતી. હવે આવતે અઠવાડિયે જશું હોર્નબી રો પર ફરવા. અને હા, ‘રો’ એ છાપભૂલ નથી. એ રસ્તાનું મૂળ નામ ‘હોર્નબી રો’ જ હતું. આજે જતાં જતાં યામિની વ્યાસની બે કાવ્યપંક્તિ:

નથી કોઇ મંઝિલ, નથી કોઇ રસ્તો, ચરણને મળ્યું છે સતત ચાલવાનું;
કદી થાક લાગે તો થોભી જવાનું, ઉતારા વિશેના ઉધામા વળી શું?

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 20 ફેબ્રુઆરી 2021

Loading

અજમાવતો નથી

મૂકેશ પરીખ|Opinion - Opinion|20 February 2021

અમસ્તા કોઈને અજમાવતો નથી,
ખોટી ભ્રમણામાં ભરમાવતો નથી.

મદદ ન કરી શકું ત્યાં મૌન રહું છું,
દશા યાદ કરાવી શરમાવતો નથી.

સંપૂર્ણ ખીલવવાના પ્રયાસ કરું છું,
પાનખરના ડરથી કરમાવતો નથી.

સમય સામે ઝઝૂમવા હિંમત આપું,
નકારાત્મક વલણથી ડરાવતો નથી.

જોહુકમી પ્રત્યે છે મને ય અણગમો,
વિનંતીના નામે હુકમ ફરમાવતો નથી.

‘હિંમતે મર્દા’ સૂત્ર સદા લલકારતો રહું,
ભયસ્થાનો દર્શાવીને ગભરાવતો નથી.

સેવા-પૂજા કરે સંપૂર્ણ નિષ્ઠાથી ‘મૂકેશ’,
મેળવવાની આશે ભોગ ધરાવતો નથી.

e.mail : mparikh@usa.com

Loading

...102030...1,9881,9891,9901,991...2,0002,0102,020...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved