Opinion Magazine
Number of visits: 9572555
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સુધરાઈ પ્રમુખ તરીકે દેશના પ્રથમ વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ!

કિરણ કાપુરે|Opinion - Opinion|22 February 2021

ગત્ રવિવારે મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે સરદાર પટેલની વાત કરી અને તેમણે તે પદ પર રહીને અદ્વિતીય કાર્યની ઝલક પણ મેળવી. અંગ્રેજ શાસન દરમિયાન 1924ના અરસામાં જ્યારે સરદાર પટેલ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ પદે ચૂંટાઈ આવ્યા હતા, તે ગાળા દરમિયાન અન્ય શહેરોમાં પણ પછીથી સરદારની જેમ રાષ્ટ્રીય આગેવાન બનેલાં આગેવાનો ચૂંટાઈ આવ્યા હતા. જેમાં અલ્હાબાદમાં જવાહરલાલ નેહરુ, પટણામાં રાજેન્દ્રપ્રસાદ અને કલકત્તામાં સુભાષચંદ્ર બોઝ હતા. તેમાં જવાહરલાલ નેહરુ તો દેશના પ્રથમ વડા પ્રધાન પદે બિરાજ્યા હતા. તેમનો પણ પહેલોવહેલો જાહેર કાર્યક્ષેત્રમાં પદભાર સંભાળવાનો પહેલોવહેલો અનુભવ અલ્હાબાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકેનો હતો. એ જ પ્રમાણે દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બનનાર રાજેન્દ્ર પ્રસાદે પણ પટણામાં જવાબદારી સ્વીકારી હતી.

જવાહરલાલ નેહરુએ પોતાના મ્યુનિસિપલ કાર્યકાળને વિસ્તૃત રીતે પોતાની આત્મકથા ‘મારી જીવનકથા : જવાહરલાલ નેહરુ’માં જગ્યા આપી છે. આ અનુભવ હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે ત્યારે જાણવા છે. સરદારે જેમ અમદાવાદ શહેરની કાયાપાલટ કરવાનું કાર્ય કર્યું હતું અને તેઓ મ્યુનિસિપિલ કાર્યમાં ઓતપ્રોત રહ્યા હતા, તેવું નેહરુના કિસ્સામાં અલ્હાબાદ સંદર્ભે અનુભવાતું નથી. તેઓ ‘મ્યુનિસિપલ કામ’ના પહેલાં જ પેરેગ્રાફમાં લખે છે : “બે વર્ષ સુધી મે અલ્લાહાબાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખનું કામ ચલાવ્યા કર્યું. પણ એને વિશેની મારી અનિચ્છા વધતી જતી હતી. હું પ્રમુખનું ત્રણ વર્ષને માટે હતો, પણ બીજું વર્ષ શરૂ થયું ન હતું ત્યાં તો હું મારી જવાબદારીમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરવા લાગ્યો. કામ મને ગમ્યું હતું, અને તેની પાછળ પુષ્કળ સમય અને વિચાર આપ્યો હતો. મને ઠીક ઠીક સફળતા પણ મળી હતી, અને મારા સાથીઓનો સદ્દભાવ પણ પ્રાપ્ત કર્યો હતો. પ્રાંતિક સરકાર(એટલે કે અંગ્રેજ સરકાર)ને મારા રાજકીય વિચારો વિશે અણગમો હતો, તે ભૂલી મારા કેટલાંક મ્યુનિસિપલ કામોની તેણે પ્રશંસા સુધ્ધાં કરી હતી, પણ કોણ જાણે મને એમ લાગ્યું કે હું કોઈ વાડામાં બંધાઈ ગયો છું, અને કંઈક સંગીન કાર્ય કરવા જતા રસ્તામાં અંતરાયો અને બંધીઓ ઊભી જ છે.”

સરદાર પટેલ અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં કામ બતાવીને પછીથી રાજીનામું આપ્યું હતું, પરંતુ નેહરુના કિસ્સામાં નોંધપાત્ર કાર્ય અલ્લાહાબાદમાં થયું હોય તેવું તેમના લખાણમાં અભિપ્રેરીત થતું નથી. ઉપરાંત નેહરુ આ મ્યુનિસિપાલિટીમાં તે વખતે કેવી રીતે કાર્ય થતું તે મૂકી આપે છે. તેઓ લખે છે : “મ્યુનિસિપાલિટીનાં પ્રમુખ તરીકે મારે એક તરફથી સત્તાવાદી સરકારની(અંગ્રેજોના) નોકરશાહીના ગાડા સાથે કામ લેવાનું હતું – આ રગશિયું ગાડું જૂને ચીલે જ ચાલનારું હતું અને તેની ગતિ અને દિશા બદલાવવી અશક્ય હતું. બીજી તરફથી મારા સાથી મ્યુનિસિપાલિટીના સભ્યો જોડે કામ લેવાનું હતું, અને એમાંના ઘણાંખરા  પણ કામ ઉત્સાહથી ઉપાડી લેતા, પણ એકદંર રીત જોતા તેમનામાં દૂરદૃષ્ટિ ન હતી, બદલવાને માટે કે સુધરવા માટે ધગશ ન હતી. જે રસ્તે ચલતા આવ્યા છીએ તે રસ્તો કાંઈ ખોટો નથી, સફળ ન થાય એવા નવા પ્રયોગોમાં શા સારું પડવું ? આદર્શવાદી અને ઉત્સાહી સભ્યો પણ ધીમે ધીમે જડ ચીલે ચાલવાથી ઉપન્ન થતા પ્રમાદને કેફને વશ થતા. માત્ર એક વિષય એવો હતો કે જેની ચર્ચા ઊભી થતાં સભ્યોમાં નવું ચેતન આવવાની ખાતરી રહેતી – સગાંવહાંલાઓને ઠેકાણે પડાવાનો અને નિમણૂકોનો વિષય. આ વિષયમાં તેઓ રસ લેતા તેથી હંમેશાં મ્યુનિસિપાલિટીનનું કામ સુધરે એમ તો ન જ બનતું.”

મ્યુનિસિપાલિટીના પ્રમુખ પદેથી તેઓ કેવી રીતે અલગ થયા અને તે વિશે પણ તેઓ લખે છે. તેમના શબ્દોમાં ‘છૂટકારો’ મેળવ્યો હોય તેવો અનુભવ દેખા દે છે. તેઓ લખે છે : “મ્યુનિસિપાલિટીનું કામ એક બે વર્ષ કર્યા પછી મને લાગ્યું કે હું મારી શક્તિઓનો સારામાં સારો ઉપયોગ ત્યા કરતો નથી. બહુ બહુ તો હું ત્યાં કામને કંઈક વેગ આપી શકતો અથવા તો એમાં વધારે કુશળતા લાવી શકતો. પણ હું કોઈ કરવા જેવો સુધારો તો દાખલ કરાવી શકું એમ હતું જ નહીં. મારે પ્રમુખપદનું રાજીનામું આપવું હતું, પણ બોર્ડના બધા સભ્યોએ મને ચાલું રહેવાનું દબાણ કર્યું. તેમની પાસેથી એકસરખી માયા અને સદ્દભાવનો મેં અનુભવ કર્યો હતો, એટલે તેમને ના પાડવી કઠણ હતી. પણ બીજા વર્ષની આખરે મેં રાજીનામું આપ્યું.” આ રાજીનામું આપવા પાછળ નેહરુએ દર્શાવેલાં ઉપરના કારણો તો હતા જ, પણ સાથે તેમના પત્નીની સતત બગડતી જતી તબિયત પણ હતી. પત્નીના સારવાર અર્થે યુરોપ લઈ જવાનું બન્યું અને તેઓએ રાજીનામું આપ્યું. પછીથી તો તેઓ જ્યારે ભારત પાછા ફર્યા ત્યાર બાદ તેઓ રાષ્ટ્રીય કક્ષાના રાજકારણમાં જ વધુ સક્રીય થયા. જો કે તેમનો મ્યુનિસિપાલિટીના પ્રમુખપદનો કાર્યકાળ સરદાર જેટલો યશસ્વી અને કાર્યશીલ ન રહ્યો.

e.mail : kirankapure@gmail.com

પ્રગટ : 21 ફેબ્રુઆરી 2021

Loading

સરકારના કાન હવે મૂડીવાદીઓને જ સાંભળે છે

રમેશ ઓઝા|Opinion - Opinion|21 February 2021

ગયા વખતના લેખમાં આપણે જોયું કે ભારતની રાજકીય વ્યવસ્થા (ઇન્ડિયન પોલિટીકલ સિસ્ટમ) સત્તાકેન્દ્રી થવા લાગી. એ સત્તાકેન્દ્રી થવા લાગી એટલે ચૂંટણીલક્ષી થવા લાગી. પ્રજાના હિતોની ચિંતા કરનારા સ્વચ્છ અને ભલા માણસો લોકપ્રતિનિધિગૃહોમાં પ્રવેશી ન શકે એ માટે ચૂંટણી મોંઘી કરવામાં આવી. મોંઘી એટલે એટલી મોંઘી કરવામાં આવી કે માત્ર દમડી અને દાદાગીરીવાળા લોકો જ ચૂંટણી લડી શકે અને એ રીતે એવા લોકો આપોઆપ લાયક ઉમેદવાર બની ગયા. એનાથી આગળ વધીને ઉદ્યોગપતિઓ સીધા પોતાના દલાલોને સંસદમાં મોકલવા લાગ્યા.

બીજી બાજુ ખેતીવાડી અને ખેડૂતો હાંસિયામાં ધકેલાઈ રહ્યા હતા અને પેલો વિકાસનો ચતુષ્કોણ ત્રિકોણમાં ફેરવાઈ ગયો હતો. ખેડૂતોને પ્રેમ કરવાનું અને પ્રોત્સાહન આપવાનું તો ક્યારનું ય બંધ થઈ ગયું હતું. શાસકોએ હવે ગામડે જવાનું છોડી દીધું હતું. જરૂર નહોતી. એક તો ખેડૂતો સત્તાકેન્દ્રી અને ચૂંટણીલક્ષી ભારતીય રાજકીય વ્યવસ્થાને પોષી શકે એમ હતા નહીં, તે એટલે સુધી કે લાભ લઈને પણ પોષી શકે એમ નહોતા, જે રીતે ઉદ્યોગપતિઓ પોષતા હતા. બીજું, ખેડૂતોની કોઈ વોટબેંક નથી. એ હિંદુ છે, મુસ્લિમ છે, પટેલ છે, કણબી છે, બીજું બધું જ છે; પણ ખેડૂત હોવા છતાં ય ખેડૂત નથી. ત્રીજું ખેડૂતનો પણ જમીન અને ખેતી માટેનો પ્રેમ ઓછો થવા લાગ્યો. છેલ્લાં સિત્તેર વરસમાં ભાયે ભાગ પડતા ગયા, નવા સેઢા પડતા ગયા જેને પરિણામે ખેતરો ખોબા જેવડા બનતા ગયાં. જેણે ભારતની ભૂખ ભાંગી, જેણે ભારતને અન્ન સ્વાવલંબી કર્યું અને જેણે ભારતના ઔદ્યોગિકરણને પોષ્યું એ દેવાદાર થવા લાગ્યો.

આગલા લેખોનો આટલો લાંબો ઉપસંહાર એટલા માટે કરવો પડ્યો કે કેટલાક લોકોને પાથીએ પાથીએ તેલ નાખવું પડે એમ છે. ખોળે બેઠા પછી વિચારવાનું નહીં અને બીજી દિશામાં જોવાનું નહીં.

***

અર્થશાસ્ત્રમાં એક જમાનામાં પરકોલેશન થિયરી ફેશનમાં હતી. જમણેરી અર્થશાસ્ત્રીઓ કહેતા હતા કે સંપત્તિની વહેંચણીની ચિંતા કરવાની જરૂર નથી. સંપત્તિનું સ્વરૂપ જ એવું હોય છે કે તેને મૂઠીમાં પકડી રાખી શકાતી નથી. તે રેતીની જેમ નીચે ખરશે અથવા પાણીની જેમ નીચેની તરફ ગળશે. જો કાયદાઓ કરીને ફરજિયાત સંપત્તિની વહેંચણી કરશો અને જે લોકો કમાયા છે એની પાસેથી આંચકી લેશો તો તેને વધુ કમાવામાં રસ નહીં રહે. ઉદાસીન ઉત્પાદકતા રાષ્ટ્રીય ઉત્પાદકતાને પ્રભાવિત કરશે અને સરવાળે દેશ પાછળ રહી જશે. એ સમયે અનેક લોકોને જમણેરી અર્થશાસ્ત્રીઓની આ વાત ગળે ઉતરતી હતી. લક્ષ્મી ચંચળ હોય છે એવો આજ સુધીનો માનવજાતનો અનુભવ પણ છે.

બીજી થિયરી શાસકોની હતી જેને કલ્યાણ રાજ્યની અથવા વેલ્ફેર સ્ટેટ થિયરી કહેવામાં આવે છે. એમાં એમ કહેવામાં આવતું હતું કે લોકતાંત્રિક દેશોમાં શાસકોએ સમયાંતરે લોકો પાસે મત માગવા જવું પડતું હોય છે, એટલે તેમને અંતિમ છેડાની આક્રમક નીતિ અપનાવવી પોસાય જ નહીં. શાસકો ઝડપી વિકાસ માટે ઉદ્યોગપતિઓને મદદ કરતા હોય તો પણ તેમણે જનસાધારણના કલ્યાણની ચિંતા કરવી જ પડવાની. ટૂંકમાં દુભાયેલા વંચિતોના રોષને પરિણામે શાસકીય વ્યવસ્થા પડી ન ભાંગે એ સારુ શાસકોએ સંપત્તિની વહેંચણી ધરાર કરવી જ પડે. બીજો કોઈ મહાન ઉદ્દેશ ન હોય તો પણ સત્તા ટકાવી રાખવા માટે, વ્યવસ્થા ટકાવી રાખવા માટે અને શાંતિ જાળવી રાખવા માટે મજબૂરીના ભાગરૂપે પણ સંપત્તિની વહેંચણી કરવી પડે.

જો સંપત્તિની વહેંચણી કરવી જ પડે એમ હોય તો ધનપતિઓ પાસેથી સંપત્તિ ઝૂંટવીને રાષ્ટ્રીય ઉત્પાદકતાને નુકસાન પહોંચાડનારો સામ્યવાદી માર્ગ અપનાવવા કરતાં કોઈ બીજો માર્ગ અપનાવવામાં આવે તો કેવું? આ બીજો માર્ગ એટલે કલ્યાણ રાજ્યનો માર્ગ. એમાં સરકાર કસ્ટમ ડ્યુટી, આબકારી જકાત, કરવેરા અને બીજા સેસ લાગુ કરીને કમાનારાઓ પાસેથી ધન મેળવે અને પ્રજાકલ્યાણ માટે ખર્ચે. આમાં ઉત્પાદકતા જળવાઈ રહે, શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે અને વિકાસથી કોઈ વંચિત ન રહે.

જમણેરી અર્થશાસ્ત્રીઓએ જે ત્રીજી થિયરી આપી હતી એ અંગ્રેજીમાં લિસ્સે ફૅઅર [Laissez-faire] થિયરી તરીકે ઓળખાય છે. એમાં એમ કહેવાય છે કે મૂડીવાદ વડલાના ઝાડ જેવો હોય છે. એને ફેલાતા આવડે છે તો સાથે ટકી રહેતા પણ આવડે છે. વડલો જો એક જ થડ ઉપર બસો મીટરના ઘેરાવામાં ફેલાય તો એ ટકી ન શકે અને વાવાઝોડામાં પોતાના ભારથી ધરાશયી થઈ જાય. વડલો વડવાઈઓ જમીનમાં ઊતારીને નવાં નવાં થડ પેદા કરે છે અને એના ઉપર ટકી રહે છે. ઈમારતના પાયા અને પીલરો અને વડલાની વડવાઈઓ એક જ કામ કરે છે, ટકાવી રાખવાનું. વડલો દેખાવમાં એક જ ઝાડ લાગે છે પણ એ ઝાડોનું ઝાડ હોય છે અથવા વડલાઓનો વડલો હોય છે.

મૂડીવાદમાં આ જે ફેલાઈને ટકી રહેવાનું કૌશલ છે એ વડલાની વડવાઈઓની જેમ મૂડીનું રાષ્ટ્રકૂળ રચે છે. મૂડીવાદને મૂડીની જરૂર છે. મૂડીવાદી અર્થતંત્રને વિજ્ઞાન, ટેકનોલોજી અને અન્ય સ્કીલની જરૂર છે. મૂડીવાદને શ્રમિક, સેલ્સમેન એમ અનેક પ્રકારની માનવશક્તિની જરૂર છે. મૂડીવાદને માર્કેટની જરૂર છે. મૂડીવાદને સમાજમાં શાંતિ અને વ્યવસ્થાની જરૂર છે. મૂડીવાદને કામ કરનારા લોકોની શ્રદ્ધા જળવાઈ રહે એની જરૂર છે. મૂડીવાદને સંશોધન કરનારી સંસ્થાઓની જરૂર છે. મૂડીવાદને માણસ હજુ વધારે સારો માણસ બને એની પણ જરૂર છે. સમાજમાં જે કોઈ પરિબળો સર્જકતા અને ઉત્પાદકતાને પ્રોત્સાહન આપે એ બધાં પરિબળોની મૂડીવાદને જરૂર છે. માટે મૂડીવાદરૂપી વડલો જરૂરિયાત મુજબ વડવાઈઓ જમીનમાં રોપતો રહેશે.

તમે કદાચ કહેશો કે મૂડીવાદનું સ્વરૂપ સ્વાર્થી છે તો જમણેરી અર્થશાસ્ત્રીઓ જવાબમાં કહેતા કે જો સ્વાર્થ વડલાની જેમ કોમનવેલ્થ રચી આપતો હોય અને ઉપરથી છાંયો પણ આપતો હોય તો એ સ્વાર્થ પરમાર્થ જેવો છે.

આને માટે જરૂરિયાત એટલી કે સરકારે ઓછામાં ઓછો હસ્તક્ષેપ કરવો જોઈએ અને વડલાને એની રીતે ઊગવા અને વિકસવા દેવો જોઈએ. આ જે ચોથી થિયરી ફેશનમાં હતી અને આજે પણ છે એ છે, ‘અ-સરકારી એ અસરકારી’ અંગ્રેજીમાં minimal governance અથવા a government that govern least. સરકાર સંપત્તિ અને તેના સર્જનની પ્રક્રિયાથી દૂર રહે. સરકારે વ્યવસાયિક પ્રવૃત્તિ નહીં કરવી જોઈએ. સરકારે માર્કેટનું નિયમન નહીં કરવું જોઈએ. સરકારે સંપત્તિના ન્યાયી વિતરણ માટેની તજવીજ નહીં કરવી જોઈએ. બધું જ એની મેળે થતું રહેશે અને ઘીના ઠામમાં ઘી પડશે.

પહેલી ત્રણ થિયરીઓ ૧૯મી સદીના ઉત્તરાર્ધથી લઈને વીસમી સદીના અંત સુધી ફેશનમાં હતી. ચોથી થિયરી મૂડીવાદનું કદ વિકસ્યું એ પછી ફેશનમાં આવી. પહેલી ત્રણ થિયરી સામ્યવાદને ખાળવા માટે અને લાભ મેળવવા લાઈનમાં ઊભેલો માણસ અધીરો ન થઈ જાય એના માટેની હતી.

પણ આજે હવે અનુભવ શું કહે છે? 

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 21 ફેબ્રુઆરી 2021

Loading

જમ્મૂ કાશ્મીરઃ વાસ્તવિકતા અને માન્યતાઓની રાજકીય ચોપાટમાં ફંગોળાતો પ્રદેશ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|21 February 2021

જમ્મૂ-કાશ્મીર અંગે ન્યુ દિલ્હીની હાલની નીતિ ભેખડો વચ્ચે ભરાયેલા પગ જેવી છે જે શેય નિકળવાનો નથી. ૩૭૦ની કલમ હટાવી લેવાથી શાંતિ અને વિકાસ જ જમ્મૂ-કાશ્મીરની વાસ્તવિકતા બની જશે એવી ખાતરી આપતી એકેય એંધાણી અત્યારે તો વર્તાતી નથી.

આજકાલ કાશ્મીર ફરી ચર્ચામાં છે, જો કે એમ કહેવું ઘટે કે કાશ્મીર ચર્ચામાં ન હોય તેવું ભાગ્યે જ બન્યું છે. રાષ્ટ્રીય સ્તરે અને રાજકીય ખેલમાં ઉત્કંઠા, ઉશ્કેરણી અને ખેંચ-તાણ કરવા જેવી અને પરિસ્થિતિમાં કાશ્મીરનું નામ મોખરે હોય છે અને તે રાજકારણીઓની પહેલી પસંદ રહ્યું છે. લોકસભામાં અઠવાડિયા પહેલાં જમ્મૂ-કાશ્મીર પુનર્ગઠન બિલ ૨૦૨૧ પાસ થઇ ગયું અને હવે આ કેન્દ્ર શાસિત પ્રદેશમાં દેશના દરેક કાયદાનો અમલ થશે. ભા.જ.પા.ના શાસનમાં ૭૦ વર્ષ સુધી કાશ્મીરમાં લાગુ થયેલી ૩૭૦ની કલમ ઉઠાવી લેવામાં આવી. જમ્મૂ-કાશ્મીર હવે કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યો અને ભા.જ.પા. સરકારનો દાવો છે કે આ તમામ પરિવર્તનોને સહિત અહીં વિકાસનાં અઢળક કામો કરાયાં છે. નવો કાયદો અમલમાં આવતા જ જે પણ જમ્મૂ-કાશ્મીર કેડરનાં અધિકારીઓ છે તે કેન્દ્ર શાસિત પ્રદેશોની કેડરનો ભાગ હશે, વળી અહીં હવે અધિકારીઓની ફાળવણી અન્ય કેન્દ્ર શાસિત પ્રદેશોની કેડરમાંથી કરાશે. આ બધી જાહેરાતોની વચ્ચે ૧૭ ફેબ્રુઆરીએ કાશ્મીરની વર્તમાન સ્થિતિની માહિતી મેળવવા માટે ૨૪ દેશોના નેતાઓનું એક પ્રતિનિધિ મંડળ પણ ભારતની મુલાકાતે આવ્યું. આ પ્રતિનિધિ મંડળમાં યુરોપિયન યુનિયન, ફ્રાન્સ જેવા કુલ ૨૪ દેશોના રાજદૂત સામેલ છે. ભા.જ.પા. સરકારે ૩૭૦ની કલમ નાબૂદ કરી પછી ચોથી વાર વિદેશી એલચીઓનું પ્રતિનિધિમંડળ જમ્મૂ-કાશ્મીરની મુલાકાતે આવ્યું. કાશ્મીરમાં રાજકીય પરિવર્તનો બાદની આવી આ ત્રીજી મુલાકાત છે.

આ બધાંની વચ્ચે જમ્મૂ-કાશ્મીર માટે ડેવલપમેન્ટ પેકેજિઝની જાહેરાતો કરાઇ છે, નવી રોજગારી નીતિ જાહેર કરાઇ છે, તદ્દન મૂળિયાંમાં રહી કામ કરનારાઓને ધ્યાનમાં રાખી યોજનાઓ કરાઇ છે. કાશ્મીરમાં ખૂબ બધી પ્રગતિશીલ યોજનાઓ લાગુ કરાઇ હોવાની જાહેરાત સરકાર દ્વારા કરાઇ રહી છે. બીજી તરફ ક્યાંક કોઇની પર ગોળી છોડાઇ જેવા સમાચાર પણ કાશ્મીરમાંથી મળતા રહે છે.

ડિસેમ્બરમાં જ્યારે જમ્મૂ-કાશ્મીરમાં પહેલીવાર સીધી ચૂંટણીના પરિણામ આવ્યા ત્યારે જે ધાર્યું હતું તે થયું એમ કહી શકાય. ગુપકાર સંગઠન માટે પીપલ્સ અલાયન્સને ટેકો મોટે પાયે મળ્યો. આ એ જૂના પ્રાદેશિક પક્ષ છે જે ઓ જમ્મૂ-કાશ્મીરના સ્ટેટહુડની તરફેણમાં છે અને ૩૭૦ની કલમ હેઠળના સ્પેશ્યલ સ્ટેટસને ફરી લાગુ કરાય તેમ ઇચ્છે છે. બીજી તરફ જમ્મૂ પ્રદેશમાંથી મોટે ભાગે ભા.જ.પા.ને મત મળ્યા. વિરોધાભાસ એ છે કે કાશ્મીરની જૂની પાર્ટીઝને બહુમત તો મળ્યો પણ નવા માળખામાં તેમના હાથમાંથી ડિસ્ટ્રીક્ટ કાઉન્સિલનું નિયંત્રણ ચાલી ગયું. મૂળ ૩૭૦ની કલમ હટાવી લેવાઇ પછી જમ્મૂ-કાશ્મીરમાં ગુપકાર સંગઠનને ૧૧૦ બેઠકો મળી અને ભા.જ.પા.ને ૭૪ બેઠકો મળી પણ જિલ્લા વિકાસ પરિષદની ખુરશી પર બેસવાને મામલે ભા.જ.પા.ને સફળતા મળી. ભા.જ.પા. હકારાત્મક પરિવર્તનની વાત કરે છે અને એમ જ કરશે. વાસ્તવિક્તા એ છે કે હવે પછી જમ્મૂ-કાશ્મીરમાં જે સારું કે નરસું થશે તેમાં ભા.જ.પા.નો હાથ હશે, કમનસીબે સારું તો ગાઇ-વગાડીને લોકો સુધી પહોંચાડાશે પણ નરસું બહાર આવશે કે કેમ તે પ્રશ્ન છે.

કાશ્મીરમાંથી આતંકવાદના સમાચાર આવતા રહે છે. હજી પણ ત્યાં શટ ડાઉન છે અને છતાં ય વિદેશી એલચીઓનું પ્રતિનિધિમંડળ ત્યાં પહોંચ્યું, તેમણે વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો અને તેઓ ત્યાં જે સ્થિતિ છે તેનાથી પ્રભાવિત થયા છે તેવું ય જાહેર કર્યું. એક તરફ ત્યાં બધું જ સમું સૂતરું છેની વાત કરાય છે તો પિપલ્સ ડેમોક્રેટિક પાર્ટીનાં પ્રેસિડન્ટ મહેબૂબા મુફ્તી અને પૂર્વ મુખ્ય મંત્રીનું કહેવું છે જમ્મૂ કાશ્મીરમાં અત્યારે ‘જંગલ રાજ’ છે. તેઓ જમ્મૂ કાશ્મીર માટે એ જ રાજકીય સ્ટેટસ ઇચ્છે છે જે ૫ ઑગસ્ટ ૨૦૧૯ પહેલાં હતું અને કાશ્મીરના મુદ્દાનો ઉકેલ પણ તેમની માંગ છે. ૩૭૦ની કલમ ખસેડી લેવાથી જે ફેરફારોની અપેક્ષા હતી તે થયા છે ખરાં કે પછી આપણે એ જ જોવાનું રહેશે જે આપણને બતાડવામાં આવશે?

જે આતંકવાદનું કારણ આગળ ધરીને કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ હટાવી લેવાઇ છે તે ખરેખર તો આતંકવાદનું કારણ હતી જ નહીં. એક્સપર્ટ્સનું માનવું છે કે ૩૭૦ની કલમ ખીણ પ્રદેશના આતંકવાદને રોકવા માટેનું એક માત્ર માધ્યમ છે. ભા.જ.પા. સરકારને મતે કાશ્મીરનો વિકાસ પણ આ કલમને લીધે જ રૂંધાતો હતો જે સમીકરણો પણ હવે બદલાશે, જો કે કાશ્મીરમાં શટડાઉનમાં લાંબો સમય ખેંચી નાખનારા લોકો આ વાત સાથે તસુભાર સંમત નથી. દિલ્હી સરકાર સતત એમ દર્શાવવા પ્રયત્નશીલ છે કે દિલ્હીથી કાશ્મીર માટે તગડું ભંડોળ મોકલાય છે પણ જમ્મૂ કાશ્મીરના પૂર્વ નાણાં મંત્રી અને અર્થશાસ્ત્રી હસીબ દ્રાબુનું કહેવું છે કે જમ્મૂ-કાશ્મીરની સરકાર માટે જતા ભંડોળ અને રાજ્યના આર્થિક વિકાસ માટે વપરાતા ભંડોળમાં તફાવત છે. ઐતિહાસિક કારણોને પગલે જમ્મૂ-કાશ્મીરની સરકાર ચલાવવા કેન્દ્ર તરફથી ભંડોળ મોકલાતું રહ્યું છે પણ તેનાથી રાજ્યના અર્થતંત્રને કોઇ મોટો ટેકો નથી મળતો. દિલ્હીથી મળતાં આર્થિક પેકેજીઝનું કાશ્મીરના બહેતર અર્થતંત્રમાં યોગદાન નથી કારણ કે તે સરકારી ખર્ચા માટે આવતાં નાણાં છે. આવી અનેક માન્યતાઓ અને વાસ્તવિકતાઓ વચ્ચેની ખીણ આ ખીણ પ્રદેશનું સત્ય છે.

ડબલ લૉકડાઉન છતાં ય કાશ્મીરમાં આતંકવાદના કિસ્સા બન્યા છે, કાશ્મીરના મુખ્ય પ્રવાહના રાજકારણીઓ અલગાવવાદી રાજકારણીઓ અને દક્ષિણ કાશ્મીરના જુવાનો જેટલાં જ આકળા છે. પાકિસ્તાને કાશ્મીરમાં અરાજકતા અને હિંસા ફેલાવવામાં કંઇ બાકી નથી રાખ્યું. આ તમામ વિષમ પરિસ્થિતિ વચ્ચે ભારતને જમ્મૂ-કાશ્મીરમાં જે રાજકીય-રાષ્ટ્રીય રુચિ છે તેને લગિરેક ફાયદો નથી થઇ રહ્યો.

જમ્મૂ-કાશ્મીર અંગે ન્યુ દિલ્હીની હાલની નીતિ ભેખડો વચ્ચે ભરાયેલા પગ જેવી છે જે શેય નિકળવાનો નથી. ૩૭૦ની કલમ હટાવી લેવાથી શાંતિ અને વિકાસ જ જમ્મૂ-કાશ્મીરની વાસ્તવિકતા બની જશે એવી ખાતરી આપતી એકેય એંધાણી અત્યારે તો વર્તાતી નથી. ઑગસ્ટ ૨૦૧૯ પહેલાં કાશ્મીરમાં જે રાજકીય સમીકરણો હતા તે ત્રિરાશી ફરી મંડાય એવી ય કોઇ શક્યતા નથી કારણ કે એ તો ભા.જ.પા. માટે આત્મઘાતી પગલું કહેવાશે.

બાય ધ વેઃ

કાશ્મીર અંગે જાતભાતની માન્યતાઓ પ્રવર્તતતી રહી છે. કાશ્મીરની આસપાસ સતત વણાતી રહેતી વાતો, સમાચારો અને માન્યતાઓને પગલે આપણે કાશ્મીર તથા કાશ્મીરના લોકોને અલગ રીતે જોઇએ છીએ, નાણીએ છીએ. ૩૭૦ની કલમને લઇને ભા.જ.પા. સરકારને જે ટેકો મળ્યો તેની પાછળ પણ એક માહોલ ખડો કરવાનું મિકેનિઝમ કામ કરી ગયું છે. કાશ્મીરના બાકીના ભારત સાથે એક કરવું જ રહ્યુંનો સંદેશ લોકોને ગળે ઠુંસાતો રહ્યો છે. તરફી અને વિરોધીઓની ચર્ચાઓનાં નિષ્કર્શ તો આવતાં આવશે પણ કાશ્મીરની એક આખી પેઢીને દિશા હિનતાનો અનુભવ પણ થઇ જ શકે છે. સ્વર્ગ સમું કાશ્મીર રાજકારણની ચોપાટમાં ગુંચવાયેલા રાજ્ય તરીકે ફંગોળાતું રહ્યું છે, જોઇએ જે દાવા કરાઇ રહ્યા છે તેમાં સચ્ચાઇ હોય તો તેનાં પરિણામ ક્યારે નજરે ચઢશે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  21 ફેબ્રુઆરી 2021 

Loading

...102030...1,9871,9881,9891,990...2,0002,0102,020...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved