Opinion Magazine
Number of visits: 9560274
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પંડ સાથે ગાંધીચીંધ્યા જીવનને જોડીએ! 

વિપુલ કલ્યાણી|Ami Ek Jajabar - Ami Ek Jajabar, Gandhiana|23 June 2025

ગાંધીજીને જાહેર નાણાં અંગે અને તેના ઉપયોગ બાબત બહુ ચિંતા રહેતી.

એક વાર, બાપુ આચાર્ય કૃપાલાણી તથા આચાર્ય ભણશાળી સાથે પૂણેની પાર્વતી ટેકરી પર આવેલાં વિખ્યાત મંદિરની મુલાકાતે ગયા હતા. મંદિરેથી પાછા ફરતી વખતે ગાંધીજીએ કૃપાલાણીજીને ઘોડાગાડી કરી લેવા અને તેનું ભાડું નક્કી કરવાનું જણાવ્યું. આ દરમિયાન એક કોલેજ યુવતી બાપુ પાસે આવી. અને હસ્તાક્ષર આપવા એ બાપુને વીનવતી હતી. હસ્તાક્ષર સામે પોતાનાં રચનાત્મક કામ સારુ કોઈક પ્રકારનો ફાળો આપવાનો ગાંધીજીને આગ્રહ રહેતો. ગાંધીજીએ અહીં પણ કોઈક ફાળાની માગ મૂકી. કોલેજ યુવતીએ દસ રૂપિયાનો ફાળો આપ્યો અને મહાત્માજીએ પોતાના હસ્તાક્ષર આપી એ યુવતીને રાજી કરી. ગાંધીજીએ એ દસ રૂપિયા આચાર્ય કૃપાલાણીના હાથમાં મૂક્યા અને તેમાંથી ઘોડાગાડીનું ભાડું ચૂકવવા એમને સૂચના કરી.

ઘોડાગાડી એમને લઈને યજમાનને ત્યાં પહોંચી. ત્રણે ય નીચે ઊતર્યા. નીચે ઊતરતાની સાથે જ ગાંધીજીએ આચાર્ય જીવતરામ કૃપાલાણીને આ ઘોડાગાડીનું કેટલું ભાડું ચૂકવ્યું, એમ પૂછ્યું. પાંચ રૂપિયા થયા એમ કૃપાલાણીજીએ જણાવ્યું. તરત જ ગાંધીજીએ પાંચ રૂપિયા પાછા આપવાનું કહ્યું. કેમ કે એમણે તો મૂળે દસ રૂપિયા આપ્યા હતા.

જીવતરામ ભ. કૃપાલાની

હવે કૃપાલાણી અસહાયપણે ભણશાળીજી સામે જોવા લાગ્યા, ભળશાળીજીએ બાપુને ફોડ પાડી, સમજાવતા કહ્યું કે એ ઘોડાગાડીવાળો પાંચ રૂપિયા પાછા આપ્યા વિના જ દસ રૂપિયાની નોટ લઈને જ નાઠો હતો.

એ સાંજે ત્રણે ય આ યજમાનને ત્યાં જમવાના હતા. યજમાનના ઘરમાં દાખલ થતાની સાથે ગાંધીજીએ યજમાનપત્નીને કહ્યું, ‘અમારા ત્રણમાંથી માત્ર બે જ જણ જમવાના છે.’ બાપુએ ઉમેર્યું: ‘એક યુવાન કન્યાએ જાહેર કામ માટે આપેલા દસ રૂપિયાના ફાળામાંથી કૃપલાણીએ પાંચ રૂપિયા ખોયા છે એથી કૃપાલાણીને આજે રાતે વાળુ કરવા દેવામાં આવશે નહીં.’

મધુ દંડવતે

નવી દિલ્હી ખાતે, 1996માં, જયપ્રકાશ નારાયણ સ્મૃતિ વ્યાખ્યાન આપતી વેળાએ પ્રાધ્યાપક મધુ દંડવતે આ પ્રસંગને ટાંકીને કહેતા હતા તેમ આજના જાહેર જીવનની સરખામણીએ આ તદ્દન વિરોધાભાસી વલણ છે. આજે તો કરોડોની ગંભીર ઉચાપત લાંચરૂશ્વત પેટે થયા કરે છે. જાહેર જીવનમાંની સ્વચ્છતાની તથા નાણાં અંગે પ્રામાણિકતાની અસર આઝાદીની લડત દરમિયાન મહાત્મા ગાંધીના વરિષ્ઠ સાથીઓ પર ઊંડી હતી. જ્યારે આજે આનાં વરવાં રૂપો અને સ્વરૂપો આપણે ભાળીએ છીએ … આપણે આપણી સીમા આંકી લઈએ અને આપણા જીવનને કેન્દ્રમાં મૂકીએ તો આપણે કેટલા રૂડા પુરવાર થઈએ ? ગાંધીને નામે ચાલતી સંસ્થાઓ, ગાંધીનાં કામ કરતી વ્યક્તિઓની જ વાત જોઈએ તો આ સ્તરે કોઠો ઠારે એવી હાલત જ નથી. તો પછી બીજી સંસ્થાઓની, આગેવાન વ્યક્તિઓની કેવી હાલત, ભલા, હશે? જરાક પોરો લઈને મટકું મરાય એટલો વખત પણ વિચારીએ.

પાંચા પટેલનો દાખલો જગમશહૂર છે. ગાંધીયુગનો સુવર્ણ સમય એટલે મીઠા સત્યાગ્રહ. દાંડી યાત્રાનો જુવાળ ચોમેર હતો. દક્ષિણ ગુજરાતના કંઠાર વિસ્તારના દાંડી નજીક કરાડી નામે ગામ. કરાડીમાં પાંચાકાકા કરીને એક ગાંધી ભક્ત. સાચા અર્થમાં ગાંધીભક્ત. પૂરી સમજણવાળા ગાંધીભક્ત. એમણે નાકરની લડતમાં પણ ભાગ લીધેલો. એમણે દાંડીના મીઠા સત્યાગ્રહમાં ય ભાગ લીધેલો, બ્રિટિશ સરકારે એથી તો એમનું ઘર હડપ કરી લીધું. એમની વાડી જપ્ત કરી અને બીજી મિલકત પણ સરકારને ચોપડે ફરજિયાત મેળવ્યાની નોંધ બોલે. પોલીસે પાંચાકાકાને હાથે બેડીઓ નાંખી. એમને થાણે લઈ જતા જતા એક પોલીસ અધિકારી બોલ્યા :

પાંચા પટેલ

‘તમારી પાસે એક પણ તસુ જેટલી જમીન ન રહી જાય એ અમે જોવાના છીએ. તમારું ઘર પણ અમે જપ્ત કરી લીધું છે.’

પાંચાકાકા જેનું નામ. એમણે પોલીસને કહ્યું: ‘તમે ખાતરી રાખજો, હિંદ આઝાદ ન થાય ત્યાં લગી મારી જમીન હું પાછી માગવાનો જ નથી.’

સને 1937માં મુંબઈ ઈલાકામાં કૉંગ્રેસ સરકાર આવી. બાળ ગંગાધર ખેર મુખ્ય પ્રધાન બન્યા. એમણે બાપુના આ આદર્શ સૈનિકને સંદેશો મોકલ્યો :

‘બ્રિટિશ રાજ વખતે તમારાં જપ્ત થયેલાં ઘર અને જમીન અમે તમને પાછાં સુપ્રત કરવા ઈચ્છીએ છીએ.’

પાંચાકાકા બોલ્યા : ‘ના. આ કંઈ ગાંધીજીનાં સપનાની આઝાદી નથી. હિંદ સંપૂર્ણ આઝાદી મેળવે ત્યાં લગી આ મિલકત પાછી ન લેવાનાં મેં પણ લીધાં છે. દેશને સંપૂર્ણ આઝાદી ન મળે ત્યાં સુધી હું મારી મિલકત પાછી લેવાનો નથી. એ તમારી પાસે રાખી મેલો.’

15 ઑગસ્ટ 1947ના દેશ આઝાદ થયો. ગાંધીભક્ત પાંચા પટેલને ફરી વાર સંદેશો ગયો : ‘હવે તો આપણો દેશ આઝાદ થયો છે અને તમે તમારી મિલકત હાવાં પાછી લઈ લો.’

પાંચાકાકાએ બાપુનો સંપર્ક કર્યો. પૂછ્યું : ‘બાપુ, તમારા સપનાની આઝાદી આવી છે કે?’

ગાંધીજીએ કહ્યું : ‘કમભાગ્યે, મારો જવાબ ના છે.”

અને પછી પાંચાકાકાએ સરકારે જણાવી દીધું : ‘હું મારી મિલકત પાછી લઈ શકું તેમ નથી.’

આ સાંભળીને કોઈક ચતુર જણ બોલ્યું : ‘ અરે ! પાંચાકાકા પોતાની મિલકત પાછી મેળવવાની ના પડે છે ? પરંતુ એમની જ્યારે આંખ મિંચાશે ત્યારે તેમની પત્ની અને તેમના સંતાનો તો આ મિલકત મેળવશે જ ને !’

આ પ્રકારની વાત થયા કરતી હતી. એ અંગે પાંચાકાકાએ જે જવાબ આપ્યો છે, એ સાંભળવા જેવો છે. આ જવાબ નિતાંત ગાંધી સમજણનો દ્યોતક છે :

‘મને એવો અંદેશો હતો. તેથી મારે ક્યારે ય શરમ અનુભવવી ન પડે તે સારુ હું પરણ્યો જ નથી અને આમ મારે કોઈ સંતાન પણ નથી.’

ગાંધીજીએ દરેક સ્તરે આવા માણસોની લંઘાર તૈયાર કરી હતી. ઘરઘરમાં આવા દીવાઓએ ઓજસ પાથર્યા હતા. એમનાં તપે આપણે સૌ ઊજળા રહ્યા છીએ. પણ આજે આપણી વચ્ચે જુદું ચિત્ર કેમ છે ? કારણ ચોખ્ખું છે : આપણે ગાંધીને ગોખલે પૂરીએ છીએ, એને દેવ બનાવીએ છીએ, ફરી ફરીને એ જ પુષ્પમાળાઓથી એની સમાધિ, એની છબિ અને એની મૂર્તિ લાદી દઈએ છીએ. લગીરે ય સમજ્યા વિણ એમનો જયઘોષ કરીએ છીએ. ‘સત્યેશ્વરની જય’ પોકારનારાઓ આપણે કયું સત્ય જોઈએ છીએ ? કયો ઈશ્વર ભાળીએ છીએ? કોનો જય ઈચ્છીએ છીએ?

ઘડીભર આપણી જાતને જ પૂછીએ : સામાજિક ન્યાય માટે આપણે શું કર્યું? સામાજિક ન્યાયની આપણી વ્યાખ્યા શી ? ગાંધીને નામે કામ કરતી સંસ્થાઓમાં ય સામાજિક ન્યાય જાળવીએ છીએ ? બહેનોને સરખાપણું આપીએ છીએ? સાંઠગાંઠ કરીને ખુદ સારુ જ સાટાદોઢા તો નથી કરતાં ને? પઈએ પઈનો અણિશુદ્ધ વહેવાર જાળવીએ છીએ ? આપણી સંસ્થાઓ જાહેર જનતાની અમાનત છે, એનો વહીવટ પ્રજાના સાચા ટ્રસ્ટીઓ બનીને ચલાવીએ છીએ કે ? વહીવટી માળખા સારુ વરસે દહાડે જાહેર લેખાંજોખાં કર્યા છે ? અણિશુદ્ધ ચારિત્ર્ય કેળવ્યું છે? કાર્યકરોને ચકાસ્યા છે? ગાંધીનામને સત્તા, શેખી અને ફદિયા સારુ ધૂળમાં રગદોડતા તો નથી ને ? પોતાની પ્રસિદ્ધિ, પોતાની વાહ વાહ સારુ જ સંસ્થાની પાંખ કાપી નથી મેલી ને ? સત્યની બાંગ પોકારીને સત્તાની શેખી તો નથી કરીને? છેવાડાના આદમીને ન્યાય મળે એવા કેટલાં કાર્યો કર્યા છે ? પોતાના સ્વાર્થ સાટુ ગાંધીનામ અને કામમાં સંસ્થાના મૂળ હિતની ય છડેચોક હરાજી કરવામાં ય શરમ અનુભવીએ છીએ કે? ગાંધીનામ અને કામમાં સમભાવ અને સમદૃષ્ટિ પાયામાં જ છે. આપણે સમભાવ અને સમદૃષ્ટિ કેળવી છે ? – આ બધા સવાલોના જવાબ મેળવવા, ક્યારેક, આકરા થઈ પડે છે. પરંતુ, ક્યારેક તો મહેનત કરવી જ પડશે. 

સને બેતાળીસનાં ભારત છોડો આંદોલન વેળાએ મૌલાના અબુલ કલામ આઝાદ અહમદનગર કિલ્લામાં બંદીવાન હતા. એ જેલમાં હતા એ ગાળા દરમિયાન બેગમ આઝાદનું અવસાન થયું. મૌલાનાસાહેબના મિત્રોએ પૂરતા સન્માન સાથે બેગમસાહેબાની સ્મૃતિ જાળવવા ભંડોળ એકત્ર કરવાનું વિચાર્યું.

મૌલાના અબ્દુલ કલામ આઝાદ

દરમિયાન, 1945માં મૌલાના આઝાદને કેદમાંથી છોડી મૂકવામાં આવ્યા. એમને આ ફાળાની જાણ થઈ. 17 સપ્ટેમ્બરે એમણે એક જાહેર નિવેદન કરીને મિત્રોને અને સાથીદારોને આ ફાળો તત્કાળ રોકવા અનુરોધ કર્યો. એમણે કહ્યું, સમાજના મુઠ્ઠી ઊંચેરા આગેવાનો માટે જ આવો ફાળો એકઠો કરવાનો હોય. એમના પત્ની સામાન્ય ધરખ્ખુ મહિલા જ હતાં અને એમણે જાહેર જીવનમાં કોઈ મોટો ફાળો આપ્યો નથી, એમ ઉમેરતા એમણે કહ્યું. પરિણામે જે કંઈ ફાળો એકઠો થયો હતો એ તત્કાળ એમણે ‘કમલા નેહરુ સ્મારક હોસ્પિટલ’ ભંડોળમાં જમે કરાવી દીધો.

સુધરાઈ, સરકાર અને અહીં તહીં નાની મોટી સંસ્થાઓ પાસે પણ માન અકરામ માટે ફાંફાં ફાંફાં મારતા, ગાંધીની જપમાળા ધસતા, હારતોરા ને ભાષણ સારુ વલખા મારતા અનેક આગેવાનોને આપણે આપણા સમાજમાં ભાળીએ છીએ. આ લાજી મરવા જેવું વરવું ચિત્ર નથી શું? ગાંધીનું ઓજસ સત્યમાંથી ટપકતું હતું. આજે સત્યેશ્વરની બાંગ પૂકારનાઓને ‘સત્’, ‘સત્ય’ કરતાં કદાચ ‘સત્તા’માં જ સવિશેષ શ્રદ્ધા હોય !

સને 1940ના એ દિવસો. વ્યક્તિગત સત્યાગ્રહનું આંદોલન હિંદભરમાં પથરાયેલું. મુંબઈના સિક્કાનગર વિસ્તારની વાત છે. એ વિસ્તારમાં રહેતાં એક સાદાં, સીધાં, સરળ બાનુની આ વાત છે. લેમિંગ્ટન રોડ પોલીસ સ્ટેશન સામે આઝાદીની તરફદારી કરતું ભાષણ ઠપકારીને આ બહેને વ્યક્તિગત સત્યાગ્રહ માંડ્યો. પોલીસે એમને તરત અટકમાં લીધાં. સામાન્યપણે સત્યાગ્રહીને અટકમાં લેવામાં આવે ત્યારે તેમને અદાલતમાંની હાજરી પછી કેદખાને લઈ જતા પહેલાં પોતાને ઘેર લઈ જવામાં આવે. જેથી એ પોતાને અત્યંત જરૂરી ચીજવસ્તુઓ સાથે લઈ શકે. આ દાખલામાં એમ કરવાનું પોલીસે ના પાડી. બાઈએ સમયસૂચકતા વાપરી. હાથમાંની બંગડી, કાનમાંના એરિંગ, ગળાનો અછોડો એણે સત્વરે ઊતારી લીધાં. એક રૂમાલમાં વીંટીને એણે ચોતરફ જોઈ લીધું. ટોળામાં એક ખાદીધારી ભાઈ હતા. એની સામે એ ગાંસડી આ બહેને ફેંકી અને કહ્યું,

‘આમાં મારું સરનામું છે, ત્યાં જઈને આપી આવજો અને પરિસ્થિતિ સમજાવજો.’

ભારે હેબતાઈ ગયેલા પેલા ખાદીધારી ભાઈએ લાગલા પૂછ્યું, ‘બહેન, તમે મને ઓળખતાં નથી. તમને ખાતરી છે કે હું આપી આવીશ ? આ દાગીનો લઈને હું ભાગી નહીં જઉં તેની તમને કોઈ શંકા નથી ?’

બહેનનો જવાબ જોવા જેવો છે : ‘ભાઈ, તમારા શરીરે ગાંધીની ખાદી છે; એથી વિશ્વાસ સાથે મેં તમને આ દાગીનો સુપ્રત કર્યો છે. તમે એ લઈને ભાગી જશો નહીં જ એનો મને પૂરો ભરોસો છે.’

ગાંધીએ અદના સૈનિકોમાં ય ખાદીની સમજણ ઊતારી હતી. રામને નામ પથ્થરો તર્યા કે નહીં એની કોઈ પાક્કી જાણ આપણને નથી. ફક્ત રામાયણમાં વાંચ્યું છે કે પછી પારાયણીએ એ ઘટના લડાવી લડાવીને કહી છે. અહીં તો આ માત્ર ગઈ કાલની જ વાત છે. સાચી ઘટના છે. બાપુનાં નામે આવા કેટલાં ય સોળ આનાના પાણીદાર સિક્કાઓ વિસ્તારે વિસ્તારે, મહોલ્લે મહોલ્લે, ઘરે ઘરે એ કાળે પેદા થતા હતા. આજે ? બાપુનાં તમામ રચનાત્મક કામોમાં ખૂંપેલા આપણે આમ વરતી શકીએ કે ? આપણી અહીંની જ વાત સમજીએ અને અંતરથી જાતને ઢંઢોળી તપાસીએ. કંઈ કેટલાં ય સાથીમિત્રોને જોઈએ છીએ; અંગત સ્વાર્થે વિશ્વાસઘાત કરનારા, ખંજર હલાવતા, ઠેર ઠેર જોઈએ છીએ. ક્યારે આપણી જાતને સંકોરીને ગાંધીનામની સાચી જપમાળા કરીશું ? ક્યારે એના સાચાં કામો આદરીશું?

“હરિજનબંધુ”ના 18-11-1936ના અંકમાં મહાત્મા ગાંધીએ લખ્યું હતું :

‘કોઈ લોકસેવક જ્યાં લગી કોઈ તંત્રના એક અંગ તરીકે કુશળતાથી કામ કરતો હોય ત્યાં લગી તેના ચારિત્ર્ય વિષે પૂરેપૂરું દુર્લક્ષ કરવાની વૃત્તિ આધુનિક જાહેર જીવનમાં છે. એમ કહેવામાં આવે છે કે દરેક માણસનું ચારિત્ર્ય કેવું છે એ એને પોતાને જોવા સંભાળવાનું છે. આવો વિચાર કરતા લોકોને મેં ઘણી વાર જોયા છે, પણ મને એ કદી ગમ્યો નથી. તો હું સ્વીકારી તો ક્યાંથી જ શકું? જે સંસ્થાઓએ માણસના ચારિત્ર્ય વિષે ઉપેક્ષા રાખી છે તેના પર મહાન આફતો આવી પડેલી મેં જાણી છે.’

આપણે દરેક આપણી જાતને આ એરણ પર મૂકી જોઈશું ? કેટલી કેરેટનું સોનું નીવડીશું? 

[“ઓપિનિયન” અંક જાન્યુઆરી 1999માંથી ટૂંકાવીને.]
22-23 જૂન 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર – ક્રમાંક – 341-342

Loading

લાકડાના વેપારીની બોઇંગ કંપનીનું સો વર્ષનું એકચક્રી શાસન ડામડોળ થઇ રહ્યું છે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|23 June 2025

રાજ ગોસ્વામી

વિમાનમાં પ્રવાસ કરનારા લોકોને ખ્યાલ હશે કે દરેક ફ્લાઈટ ઉડાન ભરે તે પહેલાં, કેબિન ક્રૂ પ્રવાસીઓઓને સુરક્ષા સંબંધી સૂચનાઓ આપે છે, જેથી તેમનો જીવ હેઠે બેસે કે વિમાનની સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત છે અને જોખમ નહીંવત છે. 

આજથી અઢી વર્ષ પહેલાં, નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી એક ડોકયુમેન્ટરી ‘ડાઉનફોલ : ધ કેસ અગેઇન્સ્ટ બોઇંગ’માં, આ એવિયેશન કંપનીના કર્મચારીઓએ બોઇંગના કારભારને લઈને ચિંતા તેમ જ ચેતવણીના સૂર પ્રગટ કર્યાં હતાં. કંપનીના વહીવટીતંત્રએ તેની ઉપેક્ષા કરી હતી, અને હવે અમદાવાદમાં તેનું એક ડ્રીમલાઈનર-787 તૂટી પડતાં, બોઇંગ ફરીથી શંકાઓ અને સવાલોના ઘેરામાં આવી ગઈ છે.

આ ડોકયુમેન્ટરી 2022માં રિલીઝ થઇ હતી અને તેનું નિર્દેશન જાણીતી ડોકયુમેન્ટરી નિર્દેશક રોરી કેનેડીએ કર્યું હતું. આ ડોકયુમેન્ટરી  એવિએશનની દુનિયાની બેતાજ બાદશાહ બોઇંગના ઇતિહાસની એ ઘટનાઓને રજૂ કરે છે, જેમાં તેનાં બે 737 મેક્સ વિમાનો દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયાં હતાં. 

બોઈંગે તેની 737 શ્રેણી હેઠળ, 2011થી 2016 વચ્ચે સાંકડા આકારનાં 737 મેક્સ વિમાન બનાવ્યાં હતાં. તેનું પહેલું વિમાન મલેશિયાની એર લાઈન કંપનીને વેચવામાં આવ્યું હતું. બે વર્ષ પછી, આ શ્રેણીનાં બે વિમાન તૂટી પડ્યાં. જેમાં કુલ 346 પ્રવાસીઓ માર્યા ગયા હતા. તે પછી, આખી દુનિયામાં 737 મેક્સ વિમાનના પૂરા કાફલાને રોકી દેવામાં આવ્યો હતો, જે 2020 પછી ફરી સક્રિય થયો હતો.

પહેલી દુર્ઘટના ઇન્ડોનેશિયામાં બની હતી. ત્યાં ડોમેસ્ટિક રૂટ પર ચાલતી લાયન એર ફ્લાઈટ 610, 29 ઓક્ટોબર 2018ના રોજ, 181 પ્રવાસીઓ અને 8 ક્રૂ સભ્યો સાથે ટેઈક ઓફ કર્યાની 13મી મિનિટે જાવા સમુદ્રમાં તૂટી પડી હતી. 

બીજી દુર્ઘટના બીજા જ વર્ષે ઇથોપિયામાં ઘટી. ત્યાં 10 માર્ચ 2019ના રોજ, ઇથોપિયન એરલાઈન્સની ફ્લાઈટ 302 ટેઈક ઓફ કર્યાંની છઠ્ઠી મિનિટે તૂટી પડી હતી. તેમાં 149 પ્રવાસીઓ અને 8 ક્રૂ સભ્યો માર્યા ગયા હતા.

આ બે દુર્ધટનાઓનાં પગલે, બોઇંગ કંપનીની પ્રતિષ્ઠાને અને કમાણીને ઘણું નુકશાન થયું હતું, અને નફો રળવાની લાહ્યમાં તે વિમાનની સુરક્ષા વ્યવસ્થા સાથે બાંધછોડ કરી રહી છે તેવા આરોપોનો સામનો કરવો પડ્યો હતો. તેનું કારણ એરબસ કંપની સાથે તેની સ્પર્ધા છે. એરબસ પાછલાં અમુક વર્ષોથી બોઇંગનાં સો વર્ષના એકચક્રી શાસનને પડકારી રહી છે.

ડોકયુમેન્ટરીમાં આ બધાં પાસાં સાંકળી લેવામાં આવ્યાં હતાં. તેનો મુખ્ય સૂર એવો હતો કે બોઇંગ તેના મુસાફરોની સલામતી કરતાં નાણાંકીય નફાની વધુ ચિંતા કરતું હતું. ડોકયુમેન્ટરીની નિર્દેશક રોરી કેનેડી કહે છે;

“એવા ઘણા દાયકાઓ હતા જ્યારે બોઇંગે ઉત્કૃષ્ટતા, સલામતી અને કુશળતા પર ધ્યાન કેન્દ્રિત કરીને અસાધારણ કામ કર્યું હતું. આ ત્રણ ગુણોને નફાની ચાવી તરીકે જોવામાં આવતા હતા. કંપનીની સફળતાઓ તેનાં કારણે જ હતી. પણ પછી તેમાં એવા લોકોનો કારભાર આવ્યો જે વોલ સ્ટ્રીટના નફા-નુકશાન પર ધ્યાન આપવા લાગ્યા હતા. બિઝનેસના ખેલમાં સંતુલન હોવું જરૂરી છે, તેથી તમારે એવા પ્રતિનિધિઓને ચૂંટવા પડે કે જેઓ તેમનાં ખિસ્સાં ભરવાને બદલે જાહેર હિતોનું ધ્યાન  રાખે.”

અમદાવાદની ઘટના નિશ્ચિતપણે આ સો વર્ષ જૂની કંપની માટે એક મરણતોલ ફટકા સમાન છે. તમે છેલ્લે જે વિમાનમાં પ્રવાસ કર્યો હશે, તે કાં તો અમેરિકા સ્થિત બોઇંગનું વિમાન હશે અથવા યુરોપની એરબસ કંપનીનું હશે. કોમર્સિયલ વિમાનો બનાવામાં આ જ બે તોતિંગ કંપનીઓનું વર્ચસ્વ છે. બોઇંગની સ્થાપના 1916માં થઇ હતી, જ્યારે એરબસની સ્થાપના 1970માં થઇ હતી. દુનિયાભરના આકાશમાં ઉડતાં નેવું ટકા વિમાનો આ બે કંપનીઓનાં હોય છે. 

એમાંથી બોઇંગ મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. જાણે કે તે હવે વૃદ્ધ થઇ ગઈ છે. જેમ એક વ્યક્તિની ઉંમર થાય અને તેની શારીરિક-માનસિક ગુણવત્તામાં ઘટાડો થાય, એવું જ બોઇંગ સાથે બની રહ્યું છે. નફો રળવાની તેની વધતી લાલચમાં તેની સાખ, પ્રતિષ્ઠા, પદ અને પૈસા બધું જ હાથમાંથી નીકળી રહ્યું છે. 

તેના સ્થાપક વિલિયમ બોઈંગે પૈસા માટે નહીં, પરંતુ આમ લોકો વિમાનમાં ઉડી શકે તેવી ક્રાંતિ કરવા માટે સપનું જોયું હતું. તેણે એક એવી એન્જિનીયરિગ કંપની બનાવી હતી જેણે એવિયેશનની દુનિયા બદલી નાખી હતી. હજારો વિમાનો, અનેક મોડેલો અને દુર્ઘટના રહિત ઉડાનમાં સૌથી સુરક્ષિત રેકોર્ડ બોઇંગનો હતો. 20મી સદીમાં તેનો આ રૂઆબ કોઈ છીનવી શક્યું નહોતું. જે કંઈ થયું તે એરબસના આવ્યા પછી અને બોઇંગમાં કારભારીઓ બદલાયા તે પછી થયું.

વિલિયમ બોઈંગ, મિશિગન રાજ્યના ડેટ્રોઈટ શહેરમાં એક મજદૂર પરિવારમાં પેદા થયા હતા. તેમના પિતા જંગલમાં લાકડાંનો વેપાર કરતા હતા. વિલિયમ બોઈંગ પોતે પણ એન્જિનિયરીંગ ભણવા માંગતા હતા પણ અધવચ્ચે તે છોડીને 1903માં લાકડાંના ઘંધામાં જોડાઈ ગયા હતા. તે વખતે, અમેરિકામાં ધમધોકાર બાંધકામ ચાલતું હતું અને એટલે વિલિયમનો ધંધો પૂરજોશમાં ચાલ્યો હતો અને તેમણે અન્ય ધંધાઓમાં પણ પૈસા રોક્યા હતા.

તેઓ ગ્રીનવૂડ ટિમ્બર કંપનીના અધ્યક્ષ હતા ત્યારે એક બોટ ડિઝાઈન માટે સીએટલ ગયા હતા. ત્યાં એક વેપારી મેળો ભરાયો હતો અને ત્યાં તેમણે પહેલીવાર ઉડતું મશીન જોયું હતું. તેમને તે જોઇને બહુ વિસ્મય થયું હતું. 1910માં, લોસ એન્જલસમાં એક ઉડતાં મશીનોનો મેળો થયો હતો અને ત્યાં વિલિયમે દરેક પાયલોટને પ્લેનમાં બેસવા દેવા અરજી કરી હતી. 

કોઈએ તેમને ન ગણકાર્યા. એ પછી વિલિયમે નક્કી કર્યું કે તે જાતે જ તેને ઉડાડતાં શીખશે એટલું ન નહીં, તે પ્લેનનું પણ નિર્માણ કરશે. તેમણે તેમના એક મિત્ર અને અમેરિકન નૌસેનાના કમાન્ડરને કહ્યું હતું, “આપણે આપણી જાતે જ બહેતર પ્લેન બનાવીશું અને ઝડપથી બનાવીશું.” અને એ રીતે તેમણે સીએટલ નજીક નદીમાં તેમની બોટ ફેક્ટરીમાં જ પ્લેનનું નિર્માણ શરૂ કર્યું હતું. એવિએશનની બેતાજ બાદશાહ બોઇંગની એ શરૂઆત હતી. 

1929માં એક ઇન્ટરવ્યૂમાં વિલિયમ બોઈંગે કહ્યું હતું, “આજે લોકો રોજ વધુને વધુ પ્લેનમાં ફરે છે- અને હું તો ત્યાં સુધી કહીશ કે એક દિવસે લોકો ટ્રેનની જેમ વિમાનમાં ફરતા હશે.” આજે બોઇંગ દર વર્ષે 300 વિમાનોનું નિર્માણ કરે છે અને દુનિયાભરમાં તેનાં 10,000થી વધુ વિમાનો આકાશમાં ઊડે છે. પરંતુ અમદાવાદની દુર્ઘટનાએ તેના તપતા સૂરજને ગ્રહણ લગાડ્યું છે. પાંચ વર્ષમાં ત્રણ મોટી દુર્ઘટનાઓમાંથી કંપની પાઠ ભણે છે કે નહીં તે તો ભવિષ્યમાં ખબર પડશે.

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 22 જૂન 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

….. તો શું થાત?

આશા બૂચ|Opinion - Opinion|23 June 2025

આજે સવારે આ સમાચાર સાંભળ્યા. શાંતિમય વાટાઘાટોની સંભાવના ઓસરી જતી લાગી. આપણા જેવા નાગરિકો કશું ન કરી શકે એ લાચારી ખટકે છે. બધા દેશોના નાગરિકોની યાતના જોઈને દિલ દૃવે એટલે પેન ઉપાડી.

− આશા બૂચ

‘અમેરિકન મિલિટરી પ્લેન ઇરાનના યુરેનિયમને અણુશક્તિમાં રૂપાંતર કરતા ત્રણ મથકો પર ત્રાટક્યા અને તેને ખતમ કરી નાખ્યા’

આ સમાચાર આજ સવારે મળ્યા.

શાબ્બાશ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકન વહીવટકર્તાઓ!

રશિયાની યુક્રેઇન પર ચડાઈ, ઇઝરાયેલનું ગાઝા અને વેસ્ટ બેંક પરનું આક્રમણ અને હવે ઈરાન સાથેની લડાઈ શરૂ થઇ ત્યારથી સતત કેટલાક સવાલો ઊભા થયા જ કરે છે.

જો રશિયાને પોતાના પુરાણા સામ્રાજ્યના દેશો પર ફરી કબજો જમાવવાના અભરખા થતા હોય તો એ સ્વતંત્ર દેશો સાથે પોતાની મનોકામનાની અભિવ્યક્તિ શિષ્ટ માનવીને શોભે એવી ભાષામાં વ્યક્ત કરી હોત તો શું થાત? બહુ બહુ તો એ દેશો રશિયાની આક્રમણ કરવાની ઈચ્છાને ઠુકરાવી દેત ને? એમ થવાથી ખુદ રશિયાના અને ક્રાઇમિયા અને યુક્રેઈનના અસંખ્ય સૈનિકોના જાન બચી જવા પામ્યા હોત અને તેમના પરિવારો સુખેથી જીવતા હોત. અને એમ થયું હોત તો શું થાત?

અને જો રશિયા આક્રમણ કરવા દૃઢનિશ્ચય રહ્યું હોત તો ક્રાઇમિયા અને યુક્રેઈને રશિયાના લશ્કર સામે માનવ દીવાલ રચીને એ  સૈનિકોની આંખમાં આંખ પરોવીને પોતાના મૃતદેહો પરથી ચાલીને પોતાના દેશમાં પ્રવેશવા પડકાર ફેંક્યો હોત તો શું થાત?

જો અમેરિકા અને યુરોપના દેશોને યુક્રેઇનની સર્વોપરિતા અત્યંન્ત મહત્ત્વની લાગતી હતી તો યુક્રેઇનને શસ્ત્રો પૂરા પાડવાને બદલે રશિયા સામે પોતાના દેશના શાંતિ સૈનિકોને એ સરહદો પર મોકલ્યા હોત તો શું થાત?

નીચેની તસવીર હમાસ દ્વારા ઇઝરાયેલના કિબુત્ઝ પર થયેલ હુમલાની છે. એ કરતાં પહેલાં હમાસના અધિકારીઓએ પેલેસ્ટાઇનની પ્રજાને તેમનું આ પગલું વ્યાજબી છે કે નહીં એ પૂછ્યું હોત તો શું થાત?

નીચેની તસવીર ગાઝામાં નીકળેલા એક જનાઝાની છે. પેલેસ્ટાઇન પર વળતો પ્રહાર કર્યા પહેલાં ઇઝરાયેલની પ્રજાને હમાસના કૃત્ય સામે આ રીતે વેર વાળવું યોગ્ય છે કે નહીં એ જાણ્યું હોત તો શું થાત?

નીચેની તસવીર ખાન યુનિસમાં ઇઝરાયેલે કરેલા વિનાશની છે. ઈઝરાયેલને પોતાના દેશનું રક્ષણ કરવાનો હક્ક છે એમ કહીને તેને શસ્ત્રો પૂરા પાડનારા અને નૈતિક ટેકો આપનારા તમામ દેશોના વડાઓ અને ઇઝરાયેલના પ્રેસિડન્ટ પેલેસ્ટાઇનના અનાથ થયેલાં બાળકો, સંતાનો ગુમાવી બેઠેલા પરિવારો અને ભૂખે મરતા લોકોને મળ્યા હોત તો શું થાત?

જો ઈરાન પોતાની અણુશક્તિનો ઉપયોગ નજીકના ભવિષ્યમાં અણુશસ્ત્રો બનાવીને ઈઝરાયેલને ખતમ કરવા તત્પર છે એની ખાતરી હોત તો એના પુરાવા સાથે યુ.એન. મારફત એ સંભાવના કદી બર ન આવે તેવા કરાર કર્યા હોત તો શું થાત?

ઇઝરાયેલે ઇરાનના વૈજ્ઞાનિકો અને સંશોધકો તથા લશ્કરી ઉચ્ચાધિકારીઓ પર આક્રમણ કર્યું એ નિંદનીય જરૂર છે. એનો બદલો સુલેહની વાટાઘાટો મારફત લીધો હોત તો શું થાત?

યુદ્ધમાં સપડાયેલા દરેક દેશના વડાના પરિવારજનો સૈન્યમાં ભર્તી થઈને લડવા જાય અને પોતાના જાન ગુમાવે તો શું થાત?

આ બધા સવાલોનો એક જ જવાબ છે. …..તો યુદ્ધ શરૂ થાત જ નહીં અને દરેક સમસ્યાનો શાંતિમય ઉકેલ લાવી જ શકાયો હોત. દુનિયાની તમામ શાંતિપ્રિય પ્રજા જાણે છે કે સંઘર્ષ અનિવાર્ય છે, પરંતુ તેના હલ માટે હિંસાત્મક માર્ગ લેવો અનિવાર્ય નથી. પ્રજાની ફરજ બની રહે છે કે એ પોતપોતાના દેશના રાજ્યકર્તાઓને એનું ભાન કરાવે અને એ માટે અસહકાર, સત્યાગ્રહ અને બીજા શાંતિમય પગલાં લે. તાત્કાલિક.

નહીં તો ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ જશે પછી આપણે આપણી જાતને પૂછીશું, આપણે વહેલા સંગઠિત થઈને કહેવાતા નેતાઓની સાન ઠેકાણે લાવી હોત તો શું થાત?

e.mail ; 71abuch@gmail.com

Loading

...102030...194195196197...200210220...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી —319
  • સેલ્સમેનનો શરાબ
  • નફાખોર ઈજારાશાહી અને સરકારની જવાબદારી  
  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved