Opinion Magazine
Number of visits: 9679088
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સિસ્ટમ બદલવી એ પણ શાસનનો વિષય છે

રમેશ ઓઝા|Opinion - Opinion|20 May 2021

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું છે કે દેશમાં અત્યારે કોરોનાની જે પરિસ્થિતિ પેદા થઈ છે એ સરકારની નિષ્ફળતાનું, વ્યવસ્થાની ખામીનું અને પ્રજાની બેદરકારીનું પરિણામ છે. મોહન ભાગવતે બોલવું પડ્યું છે કારણ કે લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે કે અત્યારે સંકટની ઘડીએ સંઘ ક્યાં છે? જ્યારે પૂરી તાકાત સાથે હિન્દુત્વવાદીઓને દેશમાં રાજ કરવાનો મોકો મળ્યો ત્યારે આવા ફૂહડ કેમ સાબિત થયા? માત્ર કોરોના નહીં, દરેક મોરચે હિન્દુત્વવાદી શાસકો ફૂહડ સાબિત થયા છે અને કોરોનાએ તો કાળો કેર કર્યો છે ત્યારે સંઘના નેતાઓ કેમ મોઢું ખોલતા નથી?

ખેર, મોહન ભાગવતે અત્યારના કોરોનાસંકટ માટે જે ત્રણ કારણો બતાવ્યાં છે તેમાંથી પહેલા બે કારણો સાચા છે અને ત્રીજું કારણ ખોટું છે. એમ તો બીજું કારણ પણ સંપૂર્ણપણે સાચું નથી. સંપૂર્ણપણે માત્ર અને માત્ર પહેલું કારણ સાચું છે. એ કઈ રીતે એ જોઈએ.

જગતનો અનુભવ એમ કહે છે કે ફાસીવાદી શાસકો ધોરણસરના શાસનમાં બહુ રસ લેતા નથી. પ્રજાકલ્યાણલક્ષી શાસન તેમની પ્રાથમિકતા હોતી નથી એટલે આવડત કેળવવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. તેમની પ્રાથમિકતા તેમને મળેલા સમયમાં બને એટલી ઝડપથી નાગરિકોના ચિત્તનો અને રાજકીય પ્રતિપક્ષીઓની રાજકીય જગ્યાનો કબજો લેવાનો હોય છે. અંગ્રેજીમાં આને અનુક્રમે માઈન્ડ-સ્પેસ અને પોલિટીકલ સ્પેસ કહેવામાં આવે છે અને આ લેખમાં હવે પછી સુગમતા ખાતર અંગ્રેજી શબ્દપ્રયોગ પણ કરવામાં આવશે.

હિંદુ ધર્મના નામે રડાવીને અને ડરાવીને અને મુસલમાનો માટે નફરત પેદા કરીને અંદાજે પ્રત્યેક ચોથા હિંદુના ચિત્તનો કબજો તેમણે લઈ લીધો છે. એ કબજો છૂટવો ન જોઈએ. જો આગલી સરકારો કરતી હતી એવું ધોરણસરનું રાજ કરે તો વિવાદ પેદા થાય, કોઈ નિર્ણય કે પગલું લોકોના હિતમાં છે કે નહીં તેની ચર્ચા થાય, વિદેશી અખબારો અને વિદ્વાનો તેની ચર્ચા કરે, જે તે થીંક ટેંક તેમાં રસ લે, સંસદમાં ચર્ચા થાય અને સરકારે ખુલાસા કરવા પડે, કોઈ અદાલતમાં જાય અને અદાલત જવાબ માગે વગેરે વગેરે કેટલું થાય. આમાં સૌથી મોટું નુકસાન એ કે જેના ચિત્તનો કબજો લીધો હોય એ પણ યોગ્ય-અયોગ્યનો વિચાર કરતો થાય અને હાથમાંથી છટકી જાય. ગુલામો આઝાદ ન થવા જોઈએ. ગુલામોને ગુલામીના ગૌરવનો અનુભવ થવો જોઈએ. આને માટે ભર કોરોના કાળમાં રામમંદિર માટે ફાળાના જુલૂસ કાઢવામાં આવ્યા હતા અને ભર કોરોના કાળમાં કોઈ પણ પ્રકારના નિયમનો – પ્રતિબંધો વિના કુંભમેળો યોજવામાં આવ્યો હતો. તો પહેલી વાત એ કે ફાસીવાદી શાસકો ધોરણસરનું શાસન કરવાની ભાંજગડમાં પડતા નથી. જગત આખાનો આવો અનુભવ છે.

બીજી પ્રાથમિકતા તેમની રાજકીય પ્રતિસ્પર્ધીઓની રાજકીય જગ્યા આંચકી લેવાની હોય છે. કોઈ પાસે પોલિટીકલ સ્પેસ બચવી ન જોઈએ એટલે જેમના માઈન્ડ-સ્પેસ ઉપર કબજો કરવો મુશ્કેલ બને છે અને જેઓ ગુલામ થવા માગતા નથી, એવા જાગૃત નાગરિકો પાસે કોઈ રાજકીય વિકલ્પ જ ન બચે. અત્યારની સરકારનો વિરોધ કરનારાઓને તમે કહેતા સાંભળ્યા હશે કે ‘હા, વાત તો સાચી, પણ વિકલ્પ ક્યાં છે?’ પ્રત્યેક રાજકીય પ્રતિસ્પર્ધીની પોલિટીકલ સ્પેસ આંચકી લેવાની એટલે વિકલ્પ શોધનારાઓ જાય ક્યાં? માટે ભર કોરોના કાળમાં મધ્ય પ્રદેશની સરકાર તોડવામાં આવી હતી. ભર કોરોના કાળમાં રાજસ્થાનની સરકારને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભર કોરોના કાળમાં પોંડીચેરીની સરકારને તોડવામાં આવી હતી. ભર કોરોના કાળમાં રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ યોજવામાં આવી હતી. સરકારની મુદ્દત પૂરી થયે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરીને ચૂંટણીઓ ટાળી શકાતી હતી, પરંતુ તેમાં વિરોધ પક્ષોને રાજકીય જગ્યા મળી જવાનો ડર હતો. ચૂંટણીપંચને દબાવીને ચૂંટણી યોજવામાં આવી હતી અને વિશાળ રેલીઓ યોજીને પ્રચાર કરવામાં આવ્યો હતો. રાજકીય પ્રતિસ્પર્ધીને ગમે તે ભોગે ખતમ કરી નાખવાનો એટલે વિકલ્પ શોધનારાઓને વિકલ્પ જ ન જડે.

ટૂંકમાં વર્તમાન શાસકોએ ધોરણસરનું શાસન કરવાની જગ્યાએ ચાર કામ કર્યા હતા. એક, કોરોનાની મહામારીની ઉપેક્ષા કરી હતી. બે, તાળી-થાળીના ખેલ કરીને સંકટને હોય એના કરતાં હળવું અને નાનું બતાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્રણ, ગુલામોના માઈન્ડ-સ્પેસ પરનો કબજો જાળવી રાખવાના બેત રચ્યા હતા અને ચાર, વિચારી શકે એવા નાગરિકો પાસે કોઈ રાજકીય વિકલ્પ જ ન બચે એ માટે વિરોધ પક્ષોની પોલિટીકલ સ્પેસ આંચકી લેવાની. આમાં ભારતની પ્રજા છેતરાઈ હતી અને તેને છેતરવામાં આવી હતી. આમ આજની સ્થિતિ માટે દેશની પ્રજાની બેદરકારી જવાબદાર છે એવી મોહન ભાગવતની દલીલ ખોટી છે. 

રહી વાત સિસ્ટમની તો ભારતમાં ગવર્નીંગ સિસ્ટમ ખામીયુક્ત અને લગભગ જીર્ણ અવસ્થામાં છે એ કોણ નથી જાણતું? આખી દુનિયા આ જાણે છે. ૨૦૧૦ અને ૨૦૧૧માં સિસ્ટમને બદલવા માટે દેશભક્તોએ આંદોલન કર્યાં હતાં. ૨૦૧૪માં નરેન્દ્ર મોદી સિસ્ટમ બદલવા માટે આકાશમાં સૂર્યની માફક પ્રગટ થયા હતા. ત્યારે કહેવામાં આવ્યું હતું કે આ નવોદિત સૂર્ય ભારતને અમેરિકા અને પશ્ચિમ યુરોપના વિકસિત દેશોની કક્ષામાં મૂકી આપશે. આ સૂર્ય ચીનને ભૂ પિવડાવવાનો છે. આ સૂર્ય ભારતને વિશ્વગુરુ બનાવવાનો છે. આ સૂર્ય ભારતની પ્રત્યેક ઇંચ ભૂમિને પ્રકાશમય બનાવવાનો છે. હવે સવાલ એ છે કે આ બધું સિસ્ટમ બદલ્યા વિના થવાનું હતું? અને સિસ્ટમ બદલવી એ પણ ગવર્નન્સનો એટલે કે શાસનનો વિષય છે અને એમાં ઉપર કહ્યું એમ ફાસીવાદી શાસકોને રસ હોતો જ નથી. અહીં માઈન્ડ-સ્પેસ પરનો કબજો કેવો હોય છે એનો જવાબ અહીં મળી જશે. નરેન્દ્ર મોદી જ્યારે ભારતને વિકસિત દેશોની બરાબરીમાં લઈ જવાની વાતો કરતા હતા ત્યારે ગુલામો કિકિયારીઓ પાડતા હતા અને અત્યારે ભારતની હાલત અફઘાનિસ્તાન જેવી થઈ છે અને વિશ્વદેશો ઓક્સીજન જેવી મામૂલી ચીજની મદદ કરી રહ્યા છે ત્યારે પણ તેઓ કિકિયારીઓ પાડી રહ્યા છે.

સારા શાસકો સમસ્યાનો સ્વીકાર કરે. સારા શાસકો પડકારનું આકલન કરે. સારા શાસકો પડકારને સામી છાતીએ ઝીલે. સારા શાસકો પ્રજાને ગેરમાર્ગે ન દોરે, પણ વિશ્વાસમાં લે. સારા શાસકો અંગત સ્વાર્થના રાજકારણને બાજુએ રાખીને શાસનધર્મ બજાવે. સારા શાસકો પડકારને પહોંચી વળી શકે એવા લોકોની મદદ લે. સારા શાસકો જોખી-તોળીને બોલે અને જે બોલે એને પાળે. આ સારા શાસકોના ગુણ છે. કેમે કરીને જવાહરલાલ નેહરુના સગડ ભૂંસી નથી શકાતા એનો જવાબ હવે મળી ગયો હશે. મોદીના ભારતને આજે નેહરુના ભારતનો સહારો લેવો પડે છે. આને કવિન્યાય ન કહેવાય?

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 20 મે 2021

Loading

ખાદી – માત્ર વસ્ત્ર નહીં, એક જીવન પદ્ધતિ

આશા બૂચ|Opinion - Opinion|20 May 2021

ખાદી-ગ્રમોદ્યોગ બોર્ડ અને બીજી રચનાત્મક સંસ્થાઓ અત્યારે બેઘર બેરોજગાર બનેલા લોકો માટે શું કરતી હશે? અત્યારે જ તક છે એ લોકોને કાંતતા-વણતા કરવાની. ખેડૂત સુથાર લુહાર વગેરે અસંખ્ય ઉદ્યોગોમાં સ્થળાંતરિત થયેલાંને કામ મળી રહે તેની જોગવાઈ કરે તો તેમનું અસ્તિત્વ સાબિત થાય કે નહીં?

− આશા બૂચ 

છેલ્લાં દોઢ-બે વર્ષથી બેરોજગારી, સ્થળાંતરિત અર્થવ્યવસ્થાના લાભાલાભ, ભાંગી પડેલી ગ્રામ્ય જીવન પદ્ધતિ, શહેરોની વૃદ્ધિથી થયેલ લાભ-હાનિ, ગામથી માંડીને દેશ આખાની સ્વનિર્ભરતા સવાલો, આર્થિક-સામાજિક અસમાનતા, સ્વાસ્થ્ય સેવાની અપૂરતી જોગવાઈ જેવી એક સો ને એક સમસ્યાઓ આગલી હરોળમાં અડ્ડો જમાવી બેઠી છે. 

આમ જનતા અસહાય બનીને મોં વકાસીને બેઠી છે, તો બીજી બાજુ નાના મોટા સહુ હોદ્દેદારો લાખોની સળગતી ચિતા પર પોતાનો રોટલો શેકવા માંડ્યા છે. તેવે ટાણે ગાંધી નિર્દેશિત રચનાત્મક કાર્યોની સૂચિનું સ્મરણ થાય. તેમાં પણ ખાદી અને ગ્રામોદ્યોગ પ્રત્યે વિશેષ ધ્યાન દોરાય. કહેવાતા આધુનિક વિકાસમાં શ્રદ્ધા ધરાવનાર પડકાર ફેંકી શકે, એક નાનકડો ચરખો આટલા બધા પ્રશ્નોનું નિરાકરણ કરી શકે? હા, એ બે પૈડાના નાના અમથા યંત્ર પાસે અનેક સમસ્યાઓને અટકાવવાની અને નિવારવાની શક્તિ છે. કેમ કે ખાદી એ માત્ર કાપડ નહીં, એક જીવન પદ્ધતિ છે. 

રામચંદ્ર ગુહાના પુસ્તક The years that changed the world 1914-1948માં તેમણે આપેલી વિગતો રસપ્રદ છે. ગાંધીજીએ 1926માં ક્ષેત્ર સન્યાસ લીધો અને એક વર્ષ સાબરમતી આશ્રમમાં રહ્યા. એ દરમ્યાન કાંતણ એ તેમની મુખ્ય પ્રવૃત્તિ હતી. ગુજરાતી સામયિક ‘નવજીવન’માં તેમણે કાંતણ સાથે સંલગ્ન તમામ પ્રક્રિયાઓનું સચોટ વર્ણન કરેલું, જે એમના જ શબ્દોમાં જોઈએ :  

“કાંતવું એટલે આપણે રેંટિયા સાથે રમત રમતા હોઈએ તે રીતે  કોઈ પણ જાતના તાર કાઢવા એટલું જ પૂરતું નથી. કાંતણ કરતાં પહેલાં તે માટેની બધી પ્રાથમિક પ્રક્રિયાઓ શીખવી જોઈએ; જેમ કે જમીન પર યોગ્ય રીતે બેસવું, ચિત્તને તદ્દન શાંત રાખવું, રોજ નિયત સમયે ચોક્કસ સમય માટે સારી જાતના, એક સરખા અને મજબૂત વળ વાળા તાર કાઢવા. તેના પર પાણીનો છંટકાવ કરવો, તેની લંબાઈ માપવી, વજન કરવું, સુઘડ આંટી વાળવી, અને જો બીજી કોઈ જગ્યાએ મોકલવાની હોય તો સાવચેતીથી તેને પેક કરવી, તેના પર લેબલ લગાવવું, જેમાં કપાસનો કેવો પ્રકાર વપરાયો છે, તેના તારની લંબાઈ, આંટીનું વજન અને કાંતનારનું નામ, સરનામું એ તમામ હાથથી લખેલ હોવું જોઈએ. જ્યારે આ સઘળી પ્રક્રિયા પૂરી થાય ત્યારે તે દિવસનો કાંતણ યજ્ઞ પૂરો થયો ગણાય.”

આજની પેઢી તો કહેશે જ, આવી ચિકાશ એક અમથા કાપડ બનાવવા પાછળ શી કામની? પણ એટલે જ તો કહું છું, એ માત્ર કાપડ નથી, એક જીવન પદ્ધતિ છે, જેમાં ઉપર વર્ણવ્યા એ તમામ ગુણો અને કાર્યશક્તિનો વિકાસ કરવાનો હેતુ છે.

સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે આપણે ખાદીને અને કાંતણને લડતનું પ્રતીક માત્ર ગણી લીધું. પરંતુ તેનું આર્થિક, સામાજિક કે પર્યાવરણીય મૂલ્ય ન સમજ્યા. ક્યાંથી સમજીએ, આપણા વિચારોના તાણા-વાણાથી બનેલ પોતનો પનો ટૂંકો પડ્યો. ગાંધીજી માટે સૂતર કાંતવા પાછળ ઘણા ગર્ભિત અર્થો રહેલા. આપણા સમાજમાં રૂઢ થઇ ગયેલા બુદ્ધિશાળી અને મજૂર વર્ગ વચ્ચેના અંતરને તોડવાનું એક સાધન તે ચરખો. વ્યક્તિગત સ્તરે જોઈએ તો સ્વનિર્ભર થવાનો ઉત્તમ ઉપાય. બ્રિટિશ રાજ દરમ્યાન મૃતઃપ્રાય થઇ ગયેલ પ્રજાના કલા કૌશલ્ય ઉજાગર કરવાનો સહેલો માર્ગ તે ખાદી ઉત્પાદન. આમ સામાજિક સુધારણા, વ્યક્તિગત વિકાસ, આર્થિક સ્વનિર્ભરતા અને રાષ્ટ્રપ્રેમ જેવા બહુ આયામી ઉદ્દેશો સિદ્ધ કરવા ખાદી એક અસરકારક પ્રતીક માત્ર નહીં પણ એ સર્વ દિશાઓમાં સફળ બનવા ફાળો આપનાર પણ બની ગયેલ.  

પોરબંદર કીર્તિ મંદિરના પ્રાંગણમાં ગાંધી વિચારો સુંદર રીતે પ્રદર્શિત કરાયેલા છે, જેમાંનો આ એક ઊડીને આંખે વળગે તેવો છે. ચરખાને અહિંસા સાથે જોડી શકે એ ગાંધી. એ સમજવા વર્તમાન પરિસ્થિતિને ખાદી ઉદ્યોગના પરિપેક્ષ્યમાં જોવાનો પ્રયત્ન કરીએ.

બેરોજગારીનું નિવારણ ખાદીમાં મળે? વિચારીએ. તેની સાથે જોડાયેલા ઉત્પાદન અને વ્યાપારી વ્યવસાયોની સૂચિ કરીએ. ખેડૂત, પીંજારો, પૂણી બનાવનારો, કાંતનારો, વણનારો, રંગારો, છાપકામ કરનારો, દરજી, અને છેવટ કાપડ કે તૈયાર કપડાં વેંચનાર વેપારીઓ એ સઘળાં કાપડ ઉત્પાદનમાં સાંકળયેલાં ખરાં ને? એ  તમામ પ્રક્રિયાઓ હાથથી થતી હોવાને કારણે મશીનથી પેદા થતા માલ કરતાં અસંખ્ય લોકોને રોજી રોટી મળે તેમાં શક નથી જ. આથી જ તો શહેરોમાંથી પરત થયેલા રોજમદારી પર નભતા કામદારો માટે તાત્કાલિક ઉપાય તરીકે નહીં, પણ વ્યક્તિથી માંડીને દેશ આખાને સ્વનિર્ભર બનાવવા આ ઉદ્યોગને વિકસાવીને મજબૂત કરવો રહ્યો, એ અહેસાસ જેટલો જલદી થાય તેટલું આપણા સહુનું ભલું થશે.

આજે સ્થળાંતરિત કામદારોનો સવાલ બહુ મૂંઝવનારો બની ગયો છે. ઔદ્યોગિક ક્રાંતિની એ ભેટ. ગામડાંમાં હાથથી પેદા થતો માલ મશીનોમાં જથ્થાબંધ બનવા લાગ્યો, જેને માટે શહેરો નિર્માયાં. કારીગરો ગામ છોડી રોટલાની શોધમાં શહેરો ભણી દોડ્યા. ત્યાં બેકારી, ભૂખમરો, બેઘરની હાલત બધું સહન કર્યું કેમ કે એ એક તરફી રસ્તો હતો. જો ખાદી અને અન્ય ઉદ્યોગોને કાચા માલ અને માનવ શક્તિ પાસે જ રહેવા દઈને વિકસાવ્યા હોત તો આજે લાખો બેરોજગારોની વણઝાર જોવી ન પડત. હજુ પણ બહુ મોડું નથી થયું. આ કસબ લોકોના હાથમાં પહોંચતો કરે તેવા લોકો છે.

કોવીડ-19 વાયરસે કરોડોના જાન લીધા અને એનાથી વધુ લોકોને બિમાર બનાવી બેહાલ કર્યા એટલે એ તો નેસ્તનાબૂદ થવો જ રહ્યો, પરંતુ એની એક આડ અસર માનવજાત માટે મદદરૂપ થઇ ગઈ. આ એક રોગ એવો છે, જેણે રંગ, જ્ઞાતિ, જાતિ કે વર્ગભેદ ન જાણ્યો. પરિણામે નિર્ધન, અભણ, નીચલા વર્ગ અને જ્ઞાતિના સ્ત્રી-પુરુષ તમામ લોકોને પણ રોજી-રોટીનો અને સ્વાસ્થ્ય સેવા મેળવવાનો સરખો અધિકાર છે એવું વગર બોલ્યે કહી તેણે દીધું; જે પહેલાં આપણે જાણતા હતા તે હવે સ્વીકારવું પડ્યું અને તેને વિષે નક્કર પગલાં ભરવા બાધ્ય થવું પડ્યું. આર્થિક અસમાનતા અન્ય અસમાનતાઓના મૂળમાં છે તેનું ભાન થતું જાય છે. કોર્પોરેટ બિઝનેસ તેની જડ છે એ સાબિત થયું. આથી જ તો હવે નાના એકમો અને સ્થાનિક પાયા પર નભતા ઉદ્યોગો અને વ્યવસાયો શરૂ કરવા હામ ભીડવી પડશે. 

કોવીડ-19 ની મહામારી જેટલો જ બહુ ચર્ચિત મુદ્દો પર્યાવરણની રક્ષાનો ઊભો થયો છે. એક પ્રયોગ કરવા જેવો ખરો. એક મધ્યમ કદના શહેરમાં બહારથી લાવેલ કાચા માલમાંથી મોટા કારખાનામાં પેદા થયેલ માલ સેંકડો-હજારો માઈલ દૂરની બજારોમાં વેચવા મોકલવો અને તેના ઉપરની કાર્બન ફૂટપ્રિન્ટની નોંધ કરવી. તેની નજીકના મોટા ગામમાં સ્થાનિક કાચા માલમાંથી તાલીમ પામેલા કારીગરો વિકેન્દ્રિત ઉદ્યોગ સંકુલમાં પાકો માલ પેદા કરે અને તેનો વપરાશ-વેપાર બને તેટલો સ્થાનિક કરે અને વધે તેટલો જ માલ બાજુના ગામ કે શહેરમાં પહોંચતો કરે અને તેની કાર્બન ફૂટપ્રિન્ટની નોંધ થાય, તો પર્યાવરણની સુરક્ષા માટેની શરતમાં કોણ જીતશે?

હા, ખાદીને વસ્ત્ર તરીકે અપનાવનારે સાદાં કપડાંથી સંતોષ માનવો રહેશે, તેને રોજ ધોઈને સ્વચ્છ રાખવા રહેશે. હાથથી બનેલ હોવાને કારણે અને તેની પેદશામાં સંકળાયેલ તમામ કારીગરો અને ઉત્પાદકોને ન્યાયી રોજી મળતી હોવાને લીધે ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ કે સુપર માર્કેટમાં મળતાં મોટી ગારમેન્ટ ફેકટરીઓમાં બનતાં કપડાં કરતાં થોડા મોંઘા હશે એટલે કબાટો ભરીને કપડાં ખરીદી નહીં શકાય. એટલે જ તો કહું છું, ખાદી એ માત્ર વસ્ત્ર નથી, એક જીવન શૈલી, વિચારધારા છે.

જમીનનું સત્વ જાળવીને અને માનવેતર જીવોની રક્ષા કરીને કાપડ તૈયાર કરવાની નેમ ધરાવતા સંગઠન Fiber Shedની સાઈટ પર મુકેલ ગોપાલ ડાયનેનીનું આ કથન વિચાર પ્રેરક છે, જેને આચારમાં મૂકીને જ જંપી શકાય.

સારી ય માનવજાતના સ્વાસ્થ્યની સુરક્ષા, ન્યાયી અર્થવ્યવસ્થા અને ટકાઉ વિકાસ તરફ કૂચ કરવા ખાદી અને હસ્ત તથા ગ્રામોદ્યોગ દ્વારા જીવન પદ્ધતિ બદલાવીએ એ જ એક વિકલ્પ રહ્યો લાગે છે. બેકાબૂ બનેલા વિકાસ, અમર્યાદ ઉત્પાદન, મારકણી બજાર અને ખાળી ન શકાય તેવી બેરોજગારીના રોગ સામે એ જ ખરી રસી છે.

e.mail : 71abuch@gmail.com

Loading

અત્યારે નહિ તો ક્યારે બોલશો?

વર્ષા પાઠક|Opinion - Opinion|20 May 2021

બીજાને મૂંગાં કરીને ખુશ થનારાંને લોકોને ભાન છે કે એમણે પોતાની જીભ ગિરવે મૂકી દીધી છે?

ઉચ્ચ કોટિના સાહિત્યકારો પણ ક્યારેક માત્ર આંચકો આપવા, ચર્ચા જગાવવા માટે અમુક વિધાન કરી નાખતાં હોય છે. જેમ કે ચંદ્રકાંત બક્ષીએ એકવાર કહેલું કે ગાળો તો પુરુષનું મેન્સિસ છે. બક્ષીએ એવું શું જોઈને કહ્યું હશે એ ખબર નથી, પરંતુ ધારો કે એ સાચું માની લઈએ તો આપણે ત્યાં લાખો પુરુષો મહિનાના ત્રીસેય દિવસ રજસ્વલારૂપમાં રહે છે. એમનાં માટે આરાધ્યદેવ, પૃથ્વી પર માનવ તરીકે અવતરેલા સાક્ષાત્‌ ઈશ્વર વડા પ્રધાન મોદીજી વિષે આડકતરી, ભલે સાચી ટીકા પણ થાય તો કલેક્ટિવ મેલ મેન્સ્ટ્રુએશન શરૂ થઇ જાય. ગંદામાં ગંદી ગાળોનો સ્રાવ ફૂટી નીકળે. કમનસીબે ત્યાં ક્યારે ય પૉઝ કે મેનોપોઝ આવતો નથી. વિરોધીઓની સાત પેઢીને અપશબ્દો સંભળાવાય. સોશિયલ મીડિયા પર ગંદકીની રેલમછેલ થઇ જાય. તાજેતરમાં અમરેલીની કવિયત્રી પારુલ ખખ્ખરે ગંગા નદીમાં તરતાં મૃતદેહોની વાતથી વ્યથિત થઈને એક ધારદાર કવિતા લખી, એમાં અનેક લોકોને પોતાના યુગપુરુષ એન્ડ હીઝ ડિવાઇન આસિસ્ટન્ટનું ઘોર અપમાન થતું લાગ્યું અને બક્ષીએ જેને પુરુષનું મેન્સીસ કહેલું એનો ધોધ સોશિયલ મીડિયા પર વહેવા લાગ્યો.

આટલાં વર્ષોમાં એક વાત તમે પણ માર્ક કરી હશે કે સોશિયલ મીડિયા પર સહુથી વધુ અપશબ્દો, ગંદી ભાષાનો ઉપયોગ એ લોકો કરે છે જે પોતાને દેશપ્રેમી, ધાર્મિક અને ભારતીય સંસ્કૃતિના રક્ષક કહે છે. એ લોકોએ દેશની જ નહિ, દેશના વડા પ્રધાનથી માંડીને ભગવાનના રક્ષણની જવાબદારી ઉપાડી લીધી છે. હથિયાર ઉપાડવાની તાકાત જેમના હાથમાં ન હોય એવા લોકો એક સમયે શસ્ત્ર તરીકે જીભનો ઉપયોગ કરતાં હતા, પણ પછી એમના હાથમાં સોશિયલ મીડિયા આવ્યું અને બારે મહિના દિવાળી થઇ ગઈ. જેવો કોઈના પર ગુસ્સો આવે કે ગાળોના ફટાકડાં ફોડવા માંડે. એમાંયે સામે સ્ત્રી હોય તો તો આવા લોકોને જલસો થઇ પડે. વાંધો ભલે ગમે તે મુદ્દે પડ્યો હોય પણ બસ સીધો સ્ત્રીનાં ચારિત્ર્ય પર કાદવ ઉછાળવાનો ધંધો શરૂ કરી દો. એ બહુ સહેલું છે. અત્યારે કવયિત્રીને અપાઈ રહેલી ગાળો સાંભળો તો એવું લાગે કે સમાજના એક વર્ગના શરીરમાં દુઃશાસન પ્રવેશી ગયો છે, અને સોશિયલ મીડિયા પર એમણે સામૂહિક ચીરહરણની એમની ફેવરિટ ગેમ આદરી છે.  એમાંયે  ઘણાંની સાહિત્યિક ટેલન્ટ ખીલી ઊઠી છે. પોતે લોઅર ક્લાસ ન લાગે એટલે જાણીતી હસ્તીઓએ બહુ અલંકારિક ભાષામાં વિરોધીઓને ગાળ અને સરકારની ચમચાગીરી કરી છે. અહીં સરકાર એટલે માત્ર એક, અને બહુબહુ તો દોઢ વ્યક્તિ કહી શકો. અને એમને કંઈ કહેવાય?

આપણે ત્યાં ટાઇમપાસની જે અનેક પ્રવૃત્તિઓ છે, એમાં એક છે લાગણી દુભાયાની ફરિયાદ કરવી. કોઈ ધર્મ વિષે બોલો તો ધાર્મિક લાગણી દુભાય, કોઈ કોમ વિષે બોલો તો કોમી લાગણી દુભાય, ભારત વિષે કંઈ બોલો તો રાષ્ટ્રીય લાગણી દુભાય. પણ  છેલ્લાં થોડાં વર્ષોમાં જે એક ખાસ લાગણી દુભાઈ રહી હોવાનું કહેવાય છે, એને શું નામ આપવું? વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિષે કંઈ પણ બોલો તો એને ગુજરાતની, ગુજરાતીઓની, ભારતની, અરે આખાયે હિન્દુ ધર્મની લાગણી દુભાવવાનો મહા અપરાધ ગણી લેવાય છે. પોલીસ સ્ટેશને ફરિયાદ થાય, અને એ ન થાય તોયે સોશિયલ મીડિયા પર ફટકાર તો પડે જ. કદાચ આનાથી જ ડરીને અમુક લોકો અત્યારના સમયમાં પણ મૌન સાધે છે. અહીં માત્ર પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાનો સંઘર્ષ કરી રહેલા સાવ ગરીબ લોકોની વાત નથી. પરંતુ જેમની પાસે અવાજ ઉઠાવવાનું માધ્યમ છે, એવા લોકો પણ અત્યારની સ્થિતિમાં ચૂપ રહે છે, અરે, જે બોલવાની હિમ્મત કરે છે એમની મજાક ઉડાવતા કહે છે કે કકળાટ કરીને શું મળવાનું? કેમ જાણે આસપાસ બનતી ઘટના સાથે એમને કંઈ લાગતુંવળગતું જ ન હોય. અને આ તબક્કે કદાચ ખરેખર એમને એવું લાગતું હશે કે બીજાં સાથે જે થવાનું હોય એ થાય પણ એમાં આપણાં કેટલા ટકા? પરંતુ આ લોકોને એવો વિચાર સુધ્ધાં નહિ આવતો હોય કે કાલે ઊઠીને એમના પગ તળે રેલો આવશે, ત્યારે શું થશે, એવા વખતે કોણ એમને સાથ આપશે?

જર્મનીમાં હિટલરે પોતાનો લોખંડી પ્રભાવ બતાવવાની શરૂઆત કરી ત્યારે ત્યાં ઘણા બૌદ્ધિક અને ધાર્મિક ગણાતા લોકોએ એને ટેકો આપેલો. હિટલરે પોતાના વિરોધીઓને કચડવાની શરૂઆત કરી ત્યારે આ વર્ગ મૂંગો રહ્યો, અને છેવટે એ પણ ઝપટમાં આવી ગયાં, ત્યારે બહુ મોડું થઇ ગયેલું. એમાંથી એક ધર્મગુરુ, માર્ટિન નિમોલરે કોન્સન્ટ્રેશન કેમ્પમાંથી બહાર આવ્યા બાદ કન્ફેશન કહેવાય એ પ્રકારની જે કબૂલાતો કરી, એને કાવ્યનું રૂપ અપાયું છે. અનેક સ્થળે ક્વોટ થયેલા આ કાવ્યના શબ્દોમાં થોડોથોડો ફરક પડતો રહ્યો છે, પણ ભાવના સરખી છે કે આજે બીજાંને થતાં અન્યાય સામે નહિ બોલો તો આવતીકાલે તમારા માટે બોલવાવાળું કોઈ નહિ રહે. કાવ્યની શરૂઆતમાં કહ્યું છે કે First they came for the communist, and I did not speak out because I was not a communist' પછી તો ટ્રેડ યુનિયનિસ્ટ, યહૂદી, સમાજના શોષિત વર્ગ, બધાની વાત થઇ કે એ લોકોને પકડી જવાયાં ત્યારે હું મૂંગો રહ્યો કારણ કે હું ક્યાં એમાંનો એક હતો, મારે શું લાગે વળગે? પણ છેલ્લે ….. 'Then they came for me and there was no one left to speak out for me.’ મારો વારો આવ્યો ત્યારે મારા માટે બોલનારું કોઈ નહોતું બચ્યું.

કંઈ સમજાય છે? બોલો બોલો. અત્યારે મૂંગાં રહેશો તો ક્યારે બોલશો, કે બોલી શકશો?

‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 19 મે 2021

Loading

...102030...1,9221,9231,9241,925...1,9301,9401,950...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved