Opinion Magazine
Number of visits: 9572152
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રાણ જાય પર પ્રવચન ન જાય …

0 રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|30 April 2021

પ્રાણ જાય પર વચન ન જાય – એ કહેતી બદલાઈને હવે પ્રાણ જાય પર પ્રવચન ન જાય – પર આવીને અટકી છે. એમાં પણ પ્રાણ બીજાનાં એ અર્થ મરણના આંકડા જેવો છુપાયેલો છે. આપણને ચૂંટણી વગર ન ચાલ્યું, મંત્રીઓનાં પ્રવચન વગર ન ચાલ્યું, મેળા-મેળાવડા વગર ન ચાલ્યું, રેલી-રેલા વગર ન ચાલ્યું ને હવે પ્રાણ જાય તો ચાલે એવી સ્થિતિ છે. લાખો લોકો રિકવર થયા છે એ સ્વીકારીએ તો પણ બે લાખથી વધુ લોકોએ કોરોનાને કારણે પ્રાણ ગુમાવ્યા છે તે ભૂલી ન શકાય. આવા મરણના આંકડાઓએ ભારતને વિશ્વમાં ચોથા નંબરે મૂકી આપ્યું છે. આ થયું એમાં નિયતિએ ભાગ ભજવ્યો હોય તો પણ, સરકારની અને તંત્રોની જવાબદારી અંગે આંખ આડા કાન કરી શકાય નહીં.

કેન્દ્રની જવાબદારી છે કે આરોગ્યની કટોકટી ઊભી થાય તો તેણે રાજયોનું માર્ગદર્શન કરવું અને જરૂરી તબીબી સુવિધાઓ પૂરી પાડવી. એવે વખતે આભ ફાટયું હોય ત્યાં થીંગડું કેમ દેવું – જેવું કહીને છટકી ન શકાય. એવો બચાવ એટલે ન ચાલે કારણ કોરોનાની બીજી લહેરનો સામનો કરવાનો સરકારોને પૂરતો સમય મળ્યો હતો ને એ ગાળામાં જરૂરી વ્યવસ્થા થઈ શકી હોત, પણ સરકારો આપવડાઈમાં જ રાચી.

આજે સ્થિતિ એ છે કે લોકો હોસ્પિટલોમાં બેડ, વેન્ટિલેટર, ઇન્જેક્શન્સ, ઓક્સિજન વગર તરફડે છે ને સરકારો ગલ્લાંતલ્લાં કરવામાંથી ઊંચી નથી આવતી. સરકાર માઈબાપ કરોડો રૂપિયા પોતાનું મુખદર્શન કરાવવા જાહેરાત પાછળ ખર્ચે છે ને કહેતી રહે છે કે તે ઓક્સિજનની વ્યવસ્થા કરી રહી છે કે હવે જનમમરણના દાખલા માટે લાઇનમાં ઊભા નહીં રહેવું પડે, પણ હકીકત એ છે કે ઓક્સિજન વગર લોકો મરી રહ્યાં છે ને મર્યાં પછી પણ લાઇનમાં તો રહેવું જ પડે છે, સિવાય કે કોઈ મંત્રી હોય તો વાત જુદી છે. હવે તો એમ જ સમજવાનું રહે છે કે સરકાર જાહેરાત આપે છે તેનાથી હકીકત વિપરીત છે. જાહેરાત એટલે ઢાંકપિછોડો એવું નવું સૂત્ર અમલમાં છે.

અત્યંત નિંદનીય કૃત્ય તો એ છે કે સુરતની સ્મીમેર અને નવી સિવિલ હોસ્પિટલ દરદીઓ માટે બંધ કરી દેવાઈ. કારણ એવું અપાય છે કે આ હોસ્પિટલો પાસે પૂરતી માત્રામાં ઓક્સિજન નથી. સરકાર કહે છે તેમ જો ઓક્સિજનની વ્યવસ્થા છે, તો ઓક્સિજનના અભાવમાં હોસ્પિટલો બંધ કેમ છે? સરકાર ખોટી છે કે હોસ્પિટલો? એ સાચું છે કે હોસ્પિટલો ઓક્સિજનને અભાવે દરદીઓનાં મોતનું આળ માથે ન લેવા ઈચ્છે, પણ એમ કરવાથી દરદીઓ પરનું જોખમ તો ઘટી જતું નથી ! સુરતમાં સાંસદો, ધારાસભ્યો, પ્રદેશ પ્રમુખ અને આરોગ્ય મંત્રી છે, પણ છે એવી ખબર પડતી નથી. કદાચ ચૂંટણી કે વિજય સરઘસો નથી, બર્થડે નથી એટલે હશે, પણ એમને નાનમ નથી લાગતી કે બબ્બે હોસ્પિટલો ઓક્સિજનને વાંકે મરવા પડી છે? અહીં ઓક્સિજન માટે લોકો વલખે છે અને હજીરાથી ટનબંધી ઓક્સિજન મધ્ય પ્રદેશ મોકલાયો. એ ઓક્સિજનનો લાભ અહીંના દરદીઓને આપી ન શકાયો કે ન તો હોસ્પિટલ ચાલુ કરી શકાય એવી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરાઈ. આમાં ઉદ્ઘાટન ન હતું એટલે કદાચ નેતાઓ ફરક્યાં નહીં હોય અથવા તો કોઈ સ્મશાનનું ઉદ્ઘાટન કરવાની ફિરાકમાં હોય, પણ આ ઠીક ન થયું.

કમાલ તો એ છે કે 108 સિવાયના દરદીઓને હોસ્પિટલમાં દાખલ કરાશે એવું ઠરવાયું ત્યારે જ દરદીને દાખલ કરવાનું બંધ કરાયું. બીજા કોઈ શહેરે હોસ્પિટલો બંધ કરી નથી, તો એ લાભ સુરતને જ કેમ? અહીંનું ખાઈને અહીં જ ખોદનારા નેતાઓ એ જાણે છે કે આ શહેર સૌથી વધુ રેવન્યુ રળી આપે છે ને એને આમ મરવા છોડી ન દેવાય? જો જીવ હોય તો આ શહેરનો જીવ બચાવો.

મદ્રાસ હાઈકોર્ટે ચૂંટણી પંચને ખખડાવતાં આરોપ મૂક્યો કે તેના પર સભા, સરઘસોને મામલે બેધ્યાન રહેવા બદલ હત્યાનો ગુનો લાગુ કરવો જોઈએ. કોર્ટે એમ પણ પૂછ્યું કે જ્યારે પ્રવચનો ને સભાઓ ચાલતાં હતાં ત્યારે પંચ શું બીજા ગ્રહ પર હતું? જો કે એ વખતે કોર્ટ પણ ભારતમાં જ હતી, નહિતર આ સવાલ ચૂંટણીના શરૂઆતના તબક્કે જ પૂછાયો હોત. પંચને એ નિમિત્તે જાગવાનું થયું છે ને એણે વિજય સરઘસો પર બંધી મૂકી છે. ઇચ્છીએ કે પરિણામો વખતે પંચ અને કોર્ટ સજાગ રહે. ગુજરાત સરકારે હાઈકોર્ટમાં એફિડેવિટ કરી છે, પણ કોર્ટને એમાં પણ સચ્ચાઈ જણાતી નથી. તેનું સીધું કારણ એ છે કે સરકાર લોકોને ફરજની ચેતવણી આપે છે, પણ પોતાની ફરજ પરત્વે બેધ્યાન છે. આંકડાઓ છુપાવવાથી ફરજ બજાવાઈ જાય છે કે પોતાનામાં દૈવી શક્તિ છે ને અઠવાડિયામાં કોરોના ચેઇન તોડી શકાશે એવા ભ્રમમાં સરકાર રાચે છે. અઠવાડિયામાં ચેઇન તૂટી શકે, પણ તેને માટે પ્રમાણિક પ્રયત્નો કરવા પડે જેની ખોટ વર્તાય છે. એ દુ:ખદ છે કે બેડ, ઓક્સિજન, વેન્ટિલેટર વગેરે બાબતે સરકારના ચાવવાના ને બતાવવાના જુદા છે.

એમ લાગે છે કે બધા જ ધંધો કરે છે ને ખૂબીની વાત એ છે કે ધંધાધાપા બંધ છે. મુખ્ય મંત્રી સક્રિય બહુ છે. ઉપરવાળા સાહેબો મીટિંગ કરે છે તો આપણા સાહેબ પણ મીટિંગ કરે છે ને ગુજરાતીઓ નસીબદાર હોય તેમ મીટિંગ થતાંની સાથે જ કામ પતી જાય છે. સાહેબે મીટિંગ કરીને કુલ 29 શહેરોમાં મિનિ લોકડાઉન લાગુ કર્યું. એમાં એટલું બધું બંધ છે કે શું ચાલુ છે એ કહેવાય તો ટૂંકામાં પતે. સાહેબને પણ એ ખબર હશે જ કે સુરતમાં બે હોસ્પિટલોએ અને કેટલીક ખાનગી હોસ્પિટલોએ દરદીઓ લેવાનું બંધ કર્યું છે. સુરત કરતાં અમદાવાદની સ્થિતિ વધારે ખરાબ છે, પણ ત્યાં ઓક્સિજનને અભાવે કોઈ હોસ્પિટલો બંધ નથી થઈ તો સુરતની હોસ્પિટલો બંધ છે એ તરફ જોવાની ફરજ મુખ્ય મંત્રીશ્રીની ખરી કે કેમ? અત્યારે દાંડી યાત્રાનું સમાપન નથી, નહિતર જતાં જતાં સિવિલ પર સાહેબે નજર નાખી હોત.

જોવાની ખૂબી એ છે કે ધંધા બંધ છે, પણ ધંધો બધા જ કરે છે. અનેક સ્તરે મેડિકલ લાઇનમાં કાળાબજાર અને ભ્રષ્ટાચાર ચાલે છે ને એમાંને એમાં રાતદિવસ જોયા વગર લોકોને બચાવવા મથતા ડોક્ટરો, નર્સો ને અન્ય સ્ટાફની મહેનત પર પાણી ફરી વળે છે. સિરમ ઇન્સ્ટિટ્યૂટે એક જ રસીના ત્રણ ભાવ નક્કી કર્યા. કેન્દ્ર સરકાર ખરીદે તો દોઢસો, રાજ્ય ખરીદે તો ચારસો ને ખાનગી હોસ્પિટલ ખરીદે તો છસો. એનો ઊહાપોહ થયો તો ઉપકાર કરતી હોય તેમ સિરમ ઈન્સ્ટિટ્યૂટે રાજ્ય માટે સો રૂપિયા ઘટાડી આપ્યા. રાજ્યને એ રસી હવે ત્રણસોમાં પડશે. આનો પણ વિરોધ થવો જોઈએ. કંપની ભારતમાં હોય ને રાજ્ય પણ ભારતમાં જ હોય તો તેની પાસેથી દોઢસોના ત્રણસો લેવાય જ કેમ? ને ખાનગી હોસ્પિટલો પણ એ જ રસી આપવાની છે તો તેને ચાર ગણા ભાવે લૂંટવાનું શું કારણ છે? એમાં વળી કોવેક્સિન બનાવતી કંપની તો સિરમ કરતાં ય વધુ ભાવે રાજ્યને અને ખાનગી હોસ્પિટલોને લૂંટવાની છે. કેટલાં ય રાજ્યો રસી મફત આપવાના છે તેમને રસી કંપનીઓ વધુ ભાવ લઈને લૂંટે ને કેન્દ્ર સરકાર આ તમાશો જોઈ રહે એ શરમજનક છે. કેન્દ્ર સરકારે સીધો હસ્તક્ષેપ કરીને કંપનીઓને દોઢસોને ભાવે રસી આપવાની ફરજ પાડવી જોઈએ, કારણ દોઢસોમાં વેચવા છતાં કંપની ખોટમાં જવાની નથી તે દુનિયા જાણે છે.

રસીનો પણ ફૂગ્ગો ફૂટી ગયો છે. ટીકા ઉત્સવ અને અન્ય રીતે ચારે કોર રસી રસી થઈ રહ્યું હતું. આપણી તમામ સરકારો પોતાની ભાટાઈ કરવામાંથી જ ઊંચી નથી આવતી એટલે છબરડાઓ ન થાય તો જ આશ્ચર્ય ! ભેંશ ભાગોળે ને છાશ છગોળે … ન્યાયે બધી બાબતે સરકારો એટલું બધું ચીતરી મારે છે કે ઘોડું દશેરાને દિવસે જ નથી દોડતું. એટલી બધી જાહેરાતો રસીની થતી રહી કે ભારત રસીપ્રધાન દેશ હોવાનો વહેમ પડે. આમ પણ 60ની ઉપરના સૌએ રસી લીધી નથી, ત્યાં 45+ને રસી આપવાનું ડિમડિમ ચાલ્યું ને એ પતે તે પહેલાં 18ની ઉપરનાને પહેલી મેથી રસી આપવાનું અને તેનું 28 એપ્રિલથી રજિસ્ટ્રેશન કરાવવાનું ચાલ્યું. એટલા ઢોલ વાગ્યા કે 18 ઉપરના રજિસ્ટ્રેશન માટે એવા કામે લાગ્યા કે સર્વરની સારવાર કરાવવી પડી. આમ છતાં લગભગ એંશી લાખ લોકોએ 18+ કેટેગરી માટે પહેલાં જ દિવસે રજિસ્ટ્રેશન કરાવ્યું ને એ ક્રમ ચાલુ જ રહેશે તો રસી મળવાના ફાંફા પડી જશે. એ ખરું કે તમામ વર્ગનાને વહેલી તકે રસી મૂકાય તો દેશ જોખમોથી બચે, પણ આટલા મોટા દેશમાં ખાટલે મોટી ખોડ ટાંચા સાધનોની છે. તેમાં વ્યવસ્થા જોઈને જ વહેંચણી કરવાની રહે, પણ કમનસીબે એવું થતું નથી.

ગુજરાતની જ વાત કરીએ તો 18થી 44ના વર્ગની સંખ્યા સવા ત્રણ કરોડ થાય. એમાં દોઢ કરોડ રસીનો ઓર્ડર અપાયો છે. કાચા માલની તંગીમાં બધાં રાજયોના ઓર્ડર પૂરા કરવાની ક્ષમતા રસી કંપનીઓની નથી જ. એવામાં બધા રસી મુકાવવા પડાપડી કરે તો ધમાલ થાય જ ! કેટલાંક રાજ્યોએ આ જાણીને પહેલી મે થી રસીનો કાર્યક્રમ મુલતવી રાખ્યો છે. રસીકરણને મામલે ફરી એક વખત આપણે આરંભે શૂરા પુરવાર થયા છીએ. રસીનો અંદાજ ન હતો, એવામાં વિદેશમાં રસી મોકલવાની જરૂર હતી? આજે એ હાલત છે કે આપણે રસીની ભીખ માંગવી પડે એમ છે. એ તો સારું છે કે ભારતે કોઈને મત આપ્યો નથી છતાં રશિયાએ અને અમેરિકાએ ઓક્સિજન અને અન્ય આરોગ્ય વિષયક સામગ્રીઓ મોકલીને મદદ કરી છે, બાકી આપણા નેતાઓ તો નપાણિયા જ પુરવાર થયા છે !

જાહેરાતોએ આપણો જીવ લીધો છે. એટલી બધી પોકળ અને છેતરામણી વાતો બધી જ સરકારોએ કરી છે કે તે ભૂલમાં પણ સાચું બોલે તો ખોટું લાગે. લાગે છે – ઇસ ઘર કો આગ લગ ગઈ ઘર કે ચિરાગ સે …

0 0 0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 30 ઍપ્રિલ 2021

Loading

~ “ઓ ભૂમિ” ~

દુર્ગેશ મોદી|Opinion - Opinion|30 April 2021

વીરોની આ ધરતીમાં નમાલા શેં ભટકાય?
ઓ ભૂમિ! દૈવત બચ્યું હોય તો હવે તો દેખાડ

રે હશે આ હાથરસની દ્રૌપદીની હાય?
મધરાતે બાળી, હવે ચોતરફ ચિતાઓ ખડકાય

સભા ગજવે દુર્યોધનો, વિદુર બેઠા મૂક
અન્યાય સામે પડનાર વિકર્ણ એકાદ દેખાડ

આપ્તજનોને રૂંધાતા ભાળી અર્જુન કરે વિષાદ
લડી લૈશું હજી પણ, રાહ ચીંધનાર કૃષ્ણ દેખાડ

ધન્વંતરિ બધા નિઃસહાય, હનુમંત મૂંઝાય
વા વલોવી પ્રાણવાયુ દે અને સંજીવની દેખાડ

ના અમ પાસ મીરા શી ભક્તિ, ના શિવશક્તિ
ઓ ભૂમિ! વિષ કાપવા, કૌવત વિજ્ઞાનનું દેખાડ

•••••

(પ્રેરણા : ૨૬ એપ્રિલ, ૨૦૨૧ના રોજ ગુજરી ગયેલા પદ્મશ્રી ગુજરાતી કવિ "દાદ બાપુ"ની રચના "આ ભૂમિમાં દૈવત"

આ ભૂમિમાં જ દૈવત જેવું છે કશુંક
વાવો મહાભારત અને ગીતા નીકળે

છે આ કાલિદાસ ને ભોજના ખંડેરો
જરાક ખોતરો ત્યાં કવિતા નીકળે

હજુ ક્યાંક ધબકે છે લક્ષ્મણ રેખા
રાવણો જ્યાંથી બીતા બીતા નીકળે

કૃષ્ણનાં ટેરવાં જો આવીને ફંફોસે
તો વાંસળીના ટૂકડાં સંજીતા નીકળે

ગુરુ દત્ત જેવાની જો ફૂંક જાય લાગી
તો ઘૂણા ગિરના હજુ ધખીતા નીકળે

શુ તાસીર છે આ ભૂમિની હજી રાજા
જનક જેવા હળ હાકે તો સીતા નીકળે

Loading

એક નમ્ર પત્ર …

ઈલિયાસ મનસૂરી|Opinion - Opinion|30 April 2021

આદરણીય સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ,

સિવિલ હોસ્પિટલ, કોરોના વિભાગ, અમદાવાદ.

જય જગત …

કોરોના સંક્રમણને કારણે હું અને મારો નાનો ભાઈ દસેક દિવસની સઘન સારવાર બાદ સાજા થઈ ઘરે આવી ગયા છીએ. રિકવરી મેડિસિન પર અને ડોક્ટર્સે સૂચવેલ સમય સુધી આઈસોલેશનમાં છીએ. સમગ્ર સિવિલ સ્ટાફની પ્રસંશા માટે શબ્દો ઓછા પડે તેમ છે. સલામ છે.

આમ છતાં, દસ દિવસની મારી સારવાર દરમિયાન ઝ્ર૧ વૉર્ડમાં બે દિવસ તથા છ૧ વૉર્ડમાં આઠ દિવસ સારવાર લેવાનું થયું અને ત્યાં જોયું, વિચાર્યું તેના આધારે કેટલાંક નમ્ર સૂચના ‘good faith’થી કરી રહ્યો છું. તમારા ભારણનો વધારો કરવાનો કોઈ ઈરાદો નથી, પણ એક અધ્યાપક તરીકે તથા ભૂકંપ, સુનામી, પૂર, તોફાનોનાં પ્રત્યક્ષ કામ અને ટ્રોમા કાઉન્સેલિંગના ખાસ્સા અનુભવને આધારે આ વાત અહીં આપને લખું છું જે આપને યોગ્ય લાગે તો રિવ્યુ મીટિંગમાં ચર્ચામાં લઈ શકાય …

૧. રિકવરી રેટ નીચે આવી રહ્યો છે, લગભગ ૮૦-૮૨%. જેના મૂળમાં ઘરડાં અશક્ત દરદીની સંભાળમાં પડતી માણસોની અછત છે, જે પૂરી કરી શકાય? ઘરડાં, અશક્ત દરદીઓ પોતાના ઓક્સિજન માસ્ક અવારનવાર કાઢી નાખે છે, જેના કારણે તેમના શ્વાસ ભારે થાય પછી એ કોઈ પણ મૂવમેન્ટ કરે તો પડી જાય છે, અને વધારે મુશ્કેલીમાં મુકાઈ જાય છે. તો શું ફૅમિલીના એક માણસને પૂરતા precautions સાથે દરદી સાથે રાખી શકાય? તો દરદી સચવાય, આખો દિવસ નહીં તો રાત્રે તો જરૂર પડે જ છે. સ્ટાફ સમગ્ર દિવસની મહેનત બાદ થાકેલો હોય છે એટલે નાનકડા નૅપ લે તો હોય છે તે દરમિયાન ઘટના વધારે બને છે.

૨. C1 જેવા એ.સી. વૉર્ડમાં દરદીઓ અને સ્ટાફની વ્યવસ્થા વચ્ચે ખામી હોય એવું જણાય છે. ઑટોમેટિક ડોરથી બંને અલગ છે, તેથી એ.સી. વૉર્ડમાંથી કોઈ દરદી મદદ માટે અવાજ આપે છે તે બહાર સ્ટાફને સંભળાતો નથી. તેમની વિઝિટ દરમિયાન જ કોઈ બાબત હોય તો પકડાય છે પણ ત્યાં સુધી દરદી પેનીકમાં આવી જાય છે અને જાતે કંઈ કરવા જાય છે તો વધુ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. ઓક્સિજન લેવલ ઘટી જાય અને રિકવરી ટાઈમ પર અસર પડે છે. શું કરી શકાય?

૩. ઍન્ટિબાયોટીકના લીધે વધારે પાણી, પેશાબ, ટોઈલેટ ઈશ્યુ છે, એમાં કેટલાક દરદીઓ પોતાની રીતે આયા ભાઈ-બહેનની મદદ વગર ટોઈલેટ ઉપડી જાય છે તેથી ઓક્સિજન લેવલ ઘટી જતાં પડી પણ જાય છે. એકવાર ઘરડું, ભારે શરીરવાળું પેશન્ટ પડી જાય પછી એનું પેનીક અત્યંત વધી જાય છે અને રિકવરીનો ચાન્સ લગભગ ખતમ થઈ જાય છે. પેશન્ટની ભૂલ જ હોય છે, પણ એ એટલો બેબાકળો હોય છે કે શું કરીએ? જો સ્ટાફને આવા પેશન્ટની વ્યક્તિગત જવાબદારી આપી દેવામાં આવે તો? ૬૦ દરદીઓના વૉર્ડમાં આવા ૧૦-૧૨ પેશન્ટ હોય જ છે. તો ૪-૪ પેશન્ટની જવાબદારી સરવન્ટ ભાઈ-બહેનોને વહેંચી શકાય અથવા એકદમ સારા થયેલા જવાન દરદીને એકની જવાબદારી સોંપી શકાય. મને ચાર દિવસ પછી એવી જવાબદારી નિભાવવાની રજા સિનિયર નર્સે આપી હતી. તો થોડાકને મદદરૂપ થઈ શક્યો. એ રીતે અન્ય સારા રિકવર પેશન્ટને જો હેલ્પ કરવા માટે પ્રોત્સાહિત કરાય તો ભારણ ઘટે.

૪. કેટલાક દરદીઓ પોતાનો ડ્રીપ પૂરો થાય અને લોહી પાઈપમાં ઉપર ચડતું જોઈ પેનીકમાં આવી જાય છે, જોર જોરથી બૂમો પાડવા લાગે છે, અને નર્સ કોઈ સીરિયસ દરદી પાસે હોય તો વાર લાગે તો એ દરદી વધુ પેનીક કરી એનું ઓક્સિજન માસ્ક કાઢી નાખે અને ધમાલ મચાવી દે છે. જો ડ્રીપ ચડાવતી વખતે જ દરદીને સૂચના આપવામાં આવે અને બતાવવામાં આવે કે ’બાટલો પૂરો થાય એટલે આ સ્વીચ નીચે કરી દે’જો એટલે કોઈ તકલીફ નહી પડે’ .. તો ઘણા પેશન્ટ કરી શકશે અને પછી જ્યારે સમય મળે એટલે નર્સ ડ્રીપ દૂર કરે. કરી શકાય?

૫. સીરિયસ પેશન્ટ આવે એટલે ડૉક્ટર્સ કે નર્સ માત્ર પહેલું વાક્ય એટલું બોલે કે ’ચિંતા ના કરો, તમે દવાખાને સમયસર પહોંચી ગયા છો, અહીં સારું જ થઈ જશે, અમે છીએ તમારી સાથે’. આ ઓક્સિજન માસ્ક કાઢવાનું નહીં એ દવા છે, તમારું લેવલ થોડીવારમાં આવશે એટલે તમારી દવા શરૂ કરીએ છે, અત્યારે ઓક્સિજન એ જ દવા ‘એટલું જ કહો તો ધરપત આવી જાય અને ડોક્ટર્સને સમય મળે. ગંભીર દરદીને પણ Remdesiver બધાંના સમય સાથે અપાય છે, એમાં ફેરફાર કરી શકાય? કેટલીક વાર તો લિસ્ટ ગયા પછી દરદી દાખલ થયો હોય તો બીજો દિવસ લાગી જાય છે. શું કરી શકાય? ડૉક્ટર્સને ગંભીર દરદી માટે તત્કાલ સ્ટોક મળે તથા પ્રોસેસ ઝડપી બને તે જરૂરી લાગે છે. શું વિચારી શકાય?

૬. કેટલાક મૃત્યુના કેસમાં ડેડ બૉડી ૬૦ના વૉર્ડમાં બધા દરદીઓની નજર સામે જોતા પૅક થાય તે કોઈ પણ રીતે યોગ્ય નથી. પલંગ મુવેબલ છે, એને એક ચોક્કસ જગ્યાએ લઈ જઈ કોઈ દરદી ન જોઈ શકે તે રીતે પૅક થાય તો ઘણા નબળા મનોબળવાળા દરદીઓને આપણે બચાવી શકીશું.

મારું ચોક્કસપણે માનવું છે કે ઉપરોક્ત કામ થઈ શકે એમ છે, એનાથી મોટો ફરક પડશે. આપણે ૮૦-૮૨ના રિકવરી રેટ પરથી આસાનીથી ૯૦% સુધી પહોંચી શકીશું …

ફરીવાર, સમગ્ર સિવિલ સ્ટાફને સલામ, મારા આ નાનકડાં સૂચનો આપ જોશો અને યોગ્ય જણાય તો કાર્યવાહી કરશો. હું ઓઈસોલેશન પીરિયડ પૂરો કરી મારી જાતને સ્વયંસેવક તરીકે રોજ છ કલાક ઓફર કરવા તૈયાર છું. મને ડ્રીપ બંધ કરી પાઈપ રિમૂવ કરતાં, ઓક્સિજન બોટલમાં પાણી ભરતાં, ઓક્સિજન માસ્ક પહેરાવતાં, વ્હીલચેર પર પેશન્ટને ટોઈલેટ લઈ જતાં તથા ટ્રોમા કાઉન્સેલિંગ કામ કરવાં, પાણી ડાયેટ વિતરણ વગેરે કામ ગમશે.

આપ સૌની તાકાત વધે અને આ પેન્ડેમિકમાંથી માનવજાત ઓછામાં ઓછા નુકશાન સાથે બહાર આવી જાય તેવી દુઆ .. આમીન …

આભાર,

ઈલિયાસ મનસૂરી, મહેસાણા 

(લેખકની ફેસબૂક વૉલ પરથી સાભાર)

સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2021; પૃ. 16

Loading

...102030...1,9131,9141,9151,916...1,9201,9301,940...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved