Opinion Magazine
Number of visits: 9572314
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—94

દીપક મહેતા|Opinion - Opinion|8 May 2021

ગુજરાતી મેગેઝીનને કારણે મુંબઈમાં થયું કોમી રમખાણ

ડાંડી પીટીને પોલીસે જાહેર કર્યું કે કોઈએ દંગો-ફસાદ કરવો નહિ

રમખાણોમાંથી પ્રગટ્યું નવું મેગેઝીન રાસ્ત ગોફતાર

માણસો કેવાં કેવાં કારણોસર ઝગડી પડતા હોય છે! મુંબઈનું પહેલવહેલું રમખાણ કૂતરાઓને લીધે થયેલું તો બીજું રમખાણ થયું એક ગુજરાતી મેગેઝીનને કારણે! ૧૮૫૦ના ઓક્ટોબરની આઠમી તારીખથી કાવસજી સોરાબજી પટેલે મુંબઈથી ‘ચીતર ગનેઆંન દરપણ’ (ચિત્ર જ્ઞાન દર્પણ) નામનું અઠવાડિક શરૂ કર્યું. બહેરામજી ખરસેદજી ગાંધી તેના તંત્રી. નવું જ્ઞાન, નવી માહિતી, વાચકો સમક્ષ મૂકવાનો ઈરાદો. નામમાંનો પહેલો શબ્દ ‘ચિત્ર.’ એટલે માત્ર લખાણો નહિ, તેની સાથે, તેને અનુરૂપ ચિત્રો પણ મૂકવાનાં. એ વખતે ચિત્રો કે ફોટા છાપવાની આપણા દેશમાં ન જેવી સગવડ હતી. એટલે ચિત્રો ગ્રેટ બ્રિટનમાં છપાવીને અહીં લાવવાં પડતાં હતાં. ફોટા છાપવાની તો ત્યાં પણ સગવડ નહોતી. ફોટા પરથી ‘એન્ગ્રેવિંગ’ તૈયાર કરીને તે છાપતા. અને બે દેશો વચ્ચે દરિયાઈ માર્ગ સિવાય બીજો કોઈ વાહન વ્યવહારનો માર્ગ નહિ. એટલે અહીંથી મોકલેલી સામગ્રી છપાઈને પાછી આવતાં સહેજે ચાર-પાંચ મહિના થઈ જતા. એટલે ઘણી વાર ત્યાંથી તૈયાર છાપેલાં ચિત્રો કે ફોટા મગાવીને વાપરતા. સમય ઓછો જાય, અને સસ્તું પણ પડે. આ મેગેઝીનમાં એક કોલમ દુનિયાના મહાપુરુષોના પરિચયની આવતી. સાથે તેનું ચિત્ર પ્રગટ થતું. ૨૩ સપ્ટેમ્બર, ૧૮૫૧ના અંકમાં હઝરત મહંમદ પયગંબર સાહેબનો પરિચય આપતો લેખ પ્રગટ થયો. એ હતો એક અંગ્રેજી લેખનો અનુવાદ. એમાં ખાસ કશું વાંધાજનક નહોતું. પણ તંત્રીની ભૂલ એ થઈ કે લેખની સાથે પયગંબરસાહેબનું ચિત્ર પણ છાપ્યું. લિથોગ્રાફ પદ્ધતિથી છાપેલું આ ચિત્ર પણ ગ્રેટ બ્રિટનથી તૈયાર મગાવ્યું હતું. ઇસ્લામ ધર્મ બૂતપરસ્તીમાં માનતો નથી. એટલે આ લેખ સાથે ચિત્ર ન છપાય એ વાત તંત્રીને સમજાવી જોઈતી હતી. પણ ન સમજાઈ. છતાં અંક પ્રગટ થયો ત્યારે ખાસ કોઈનું આ વાત તરફ ધ્યાન ન ગયું.

પોતાની ઘોડા ગાડીમાં સર જમશેદજી જીજીભાઈ અને કેટલાંક કુટુંબીજનો

પણ શુક્રવાર ૧૭ ઓક્ટોબરની સવારે કોઈ અદકપાંસળીવાળાએ એ લેખ અને સાથેનું ચિત્ર મુંબઈની જુમ્મા મસ્જિદની બહારની દિવાલ પર ચોડી દીધાં. નમાઝ પઢીને બહાર આવતી વખતે લોકોનું એ તરફ ધ્યાન ગયું. પોતાના ધર્મનું અપમાન થયું છે એમ લાગ્યું. પારસીઓની મુખ્ય વસ્તી કોટ કે ફોર્ટની બહાર. એ વિસ્તાર ત્યારે ‘બહારકોટ’ તરીકે ઓળખાતો. લગભગ બે-અઢી હજાર લોકોનું ટોળું પારસી રહેણાકના વિસ્તારો તરફ ધસી ગયું. બીજું ટોળું સર જમશેદજી જીજીભાઈના ‘ઇલાહીબાગ’ નામના રહેઠાણ તરફ ધસ્યું. તેમના બંગલા પર અને આસપાસનાં ઘરો પર પથ્થરમારો શરૂ કર્યો. રમખાણો પાયધુની, ભીંડી બજાર, વગેરે વિસ્તારોમાં પ્રસર્યાં. દુકાનો લૂંટાઈ, તોડફોડ થઈ, મારફાડ થઈ. પોલીસ એકલે હાથે પહોંચી શકે તેમ નહોતું એટલે ૫૦-૬૦ પારસીઓની મદદ લઈને સો જેટલા હુલ્લડખોરોને પકડ્યા. રાત પડે તે પહેલાં સરકારે લશ્કરની ટુકડીઓ આ બધા વિસ્તારોમાં ગોઠવી દીધી. આથી રાત તો ખાસ કશી તકલીફ વગર વીતી.

એ જમાનામાં કોઈ મહત્ત્વની જાહેરાત કરવાની હોય તો ઠેર ઠેર ડાંડી પીટીને જાહેરાત કરવી પડતી. રવિવાર, ૧૯મી તારીખે સવારે અને સાંજે શહેરમાં ઠેર ઠેર ડાંડી પીટીને પોલીસે જાહેરાત કરી કે કોઈએ દંગો-ફિસાદ કરવો નહિ, અને જો કોઈ કરતું માલુમ પડશે તો તેને પોલીસ પકડીને જેલમાં નાખશે. ૨૨મી તારીખે પારસી પંચાયતના હોદ્દેદારો તરફથી હેન્ડ બીલો વહેંચી જાહેર નિવેદન કરવામાં આવ્યું કે આપણી જમાતના કોઈ સભ્યે ટંટોફિસાદ કરવાં નહિ. ૨૧મી ઓક્ટોબરે શહેરના બધા જસ્ટિસ ઓફ પીસ અને જુદી જુદી કોમના અગ્રણીઓની એક સભા ટાઉન હોલમાં મળી. હવે પછી જો કોઈ મુશ્કેલી ઊભી થશે તો મુંબઈ પોલીસ તેને યોગ્ય રીતે પહોંચી વળશે, અને શહેરની બધી કોમના શાંતિપ્રિય નાગરિકો પોલિસને સાથ-સહકાર આપશે તેમ જણાવતો ઠરાવ આ સભામાં પસાર થયો. ૨૨ ઓક્ટોબરે સરકારે જાહેરાત કરી કે હવેના દિવસોમાં આવતા તહેવારોને ધ્યાનમાં રાખીને ૧૦૦ પોલીસની ટુકડી શહેરમાં ચોકી પહેરો કરશે. તેમની સાથે ત્રણ યુરોપિયન અને બે દેશી અમલદારો પણ રહેશે. આ ઉપરાંત ૨૦૦ અંગ્રેજ સિપાઈઓની લશ્કરની ટુકડી કોટ વિસ્તારમાં આવેલી બેરેકમાં ખડે પગે તહેનાત રહેશે, અને જરૂર જણાય તો પોલીસની મદદે પહોંચી જશે. 

૨૪મી ઓક્ટોબરના શુક્રવારે ફરી હુલ્લડ થવાની ધાસ્તી હતી. એ દિવસે નાનાં-મોટાં છમકલાં થયાં પણ બીક હતી તેવું હુલ્લડ થયું નહિ. છતાં જુદા જુદા વિસ્તારોનાં છમકલાંમાં ૧૪ પારસીઓ ઘવાયા જેમને સર જે.જે. હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. આથી કેટલાક અગ્રણી પારસીઓનું એક પ્રતિનિધિ મંડળ સર જમશેદજી જીજીભાઈને બંગલે ગયું. ૨૯મી ઓક્ટોબરે એવણના બંગલામાં જુદા જુદા ધર્મના પ્રતિનિધિઓની બેઠક તેમણે યોજી. તેમાં બધા પક્ષોને શાંતિ જાળવવાની અપીલ કરી અને દંગો-ફિસાદ કરનારને આકરી સજા કરવા સરકારને વિનંતી કરી.

વીસ વરસની વયે દાદાભાઈ નવરોજી

અને છતાં ૩૧ ઓક્ટોબરના શુક્રવારે ભીંડીબજારમાં તોફાન થયું. એટલે તે પછીના દસ દિવસ માટે કોઈ પણ પ્રકારનું હથિયાર, સોડાવોટરની બાટલીઓ, સળગતા કાકડા કે મશાલ વગેરે લઈને જાહેર રસ્તા પર ચાલવા અંગે પ્રતિબંધ મૂકવામાં આવ્યો. યુરોપિયન લશ્કરના ૨૦૦ સૈનિકોની ટુકડીએ અને સશસ્ત્ર દળની અને અશ્વદળની એક-એક ટુકડીએ મુંબઈના કેટલાક રસ્તાઓ પર ફ્લેગ માર્ચ કરી. બધા પોલીસ મેજિસ્ટ્રેટને રાત-દિવસ ફરજ પર મૂકાયા. આઠમી નવેમ્બરે ૪૦૦ પારસીઓની સહી સાથે મુંબઈ પોલીસના સિનિયર મેજિસ્ટ્રેટ મિસ્ટર સ્પેન્સરને મળીને પારસીઓના જાનમાલનું રક્ષણ કરવા વિનંતી કરી. આમ છતાં ૨૧મી નવેમ્બરના શુક્રવારે સર જમશેદજી જીજીભાઈના બંગલાની બહાર અને બીજા કેટલાક લત્તાઓમાં ભારે તોડફોડ થઈ. દહેશતને કારણે ત્રણ દિવસ સુધી કેટલાક વિસ્તારોમાંના લોકો ઘરની બહાર નીકળી શક્યા નહિ. એટલે એ વિસ્તારોમાં ભોનું-પાની કોટ વિસ્તારમાંથી ગાડાંઓમાં ભરીને મોકલવાં પડ્યાં હતાં. લોકો પાસેથી ઉઘરાણું કરીને રૂપિયા ૧૭૪૬નું ‘બહારકોટના જરથોસ્તીઓને સારુ બચાવ ફંડ’ ઊભું કરીને તેમાંથી ખાનગી ચોકીદારો અને ‘ભૈયાઓ’ને રક્ષણ માટે રોકવામાં આવ્યા.

રમખાણોને પરિણામે શરૂ થયેલું રાસ્ત ગોફતાર

દાદાભાઈ નવરોજીએ લખી આપેલી અરજી ૨૨મી નવેમ્બરે ૪૫૦ સહી સાથે બહારકોટના પારસીઓ તરફથી ગવર્નર લોર્ડ ફોકલેન્ડને આપી, પણ તે જ દિવસે એક હુમલામાં પેસ્તનજી રતનજી કૂપર ગંભીર રીતે ઘવાયા અને જે.જે. હોસ્પિટલમાં દાખલ થયા પછી પહેલી ડિસેમ્બરે તેમનું અવસાન થયું. આથી બહારકોટના ઘણા પારસીઓ પોતાનાં ઘરબાર છોડી કોટ વિસ્તારમાં પોતાનાં કોઈ સગાંવહાલાંને ત્યાં રહેવા જવા લાગ્યા. કોટની માણેકજી શેઠની વાડીમાં પારસી નિરાશ્રિતો માટે રહેવા-ખાવાની સગવડ કરાઈ. છેવટે ૨૮મી નવેમ્બરે સરકારે બંને પક્ષોની સંયુક્ત બેઠક બોલાવી. તેમાં ચિત્ર જ્ઞાન દર્પણના તંત્રીએ લખેલ બિનશરતી માફી માગતો પત્ર વાંચી સંભળાવવામાં આવ્યો. એ પછી બંને કોમના પ્રતિનિધિઓ ૧૮ ખુલ્લી ઘોડા ગાડીમાં સાથે બેસીને શહેરમાં ફર્યા અને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી. અને એ રીતે લગભગ દોઢ મહિના પછી મુંબઈના આ પહેલા કોમી હુલ્લડનો અંત આવ્યો.

રાસ્ત ગોફતાર ચલાવતી ‘સિન્ડિકેટ’ના સભ્યો

આ હુલ્લડની શરૂઆત એક ગુજરાતી મેગેઝીનને કારણે થઈ તો બીજી બાજુ હુલ્લડને પરિણામે એક નવું મેગેઝીન શરૂ થયું. એ જમાનામાં મુંબઈમાં પાંચ ગુજરાતી અખબારો પ્રગટ થતાં હતાં અને તે બધાં જ પારસી માલિકીનાં હતાં. છતાં ગમે તે કારણસર, પણ તેમણે પોતાના જાતભાઈઓને જોઈએ તેટલો ટેકો આપ્યો નહિ એમ દાદાભાઈ નવરોજીને લાગ્યું. એટલે તેમણે એક નવું પખવાડિક શરૂ કરવાનું નક્કી કર્યું. આ વાત તેમણે પોતાના ખાસ દોસ્ત ખરશેદજી નસરવાનજી કામાને કરી. એવણે કહ્યું કે દાદાભાઈ, તમે જો તંત્રી થવાનું કબૂલ કરતા હો તો જરૂરી બધી રકમ રોકવા હું તૈયાર છું. દાદાભાઈ આ સાંભળીને રાજી તો થયા પણ પછી કહ્યું: મારી પણ એક શરત છે: તંત્રી તરીકે કામ કરવા માટે હું એક ફદિયું પણ નહિ લઉં. પખવાડિકનું નામ ઠરાવ્યું ‘રાસ્ત ગોફતાર,’ એટલે કે સાચેસાચું કહેનાર. તેમાં ગુજરાતી અને અંગ્રેજી એમ બે ભાષામાં લખાણ છપાતાં. ૧૮૫૧ના નવેમ્બરની ૧૫મી તારીખે તેનો પહેલો અંક બહાર પડ્યો. આ બે વચ્ચે થયેલી સમજૂતીની ફક્ત ગણતરીની વ્યક્તિઓને જ ખબર હતી. દાદાભાઈ પછી કેખુશરો કાબરાજી રાસ્ત ગોફતારના તંત્રી બનેલા, પણ તેમને ય આ હકીકતની જાણ નહોતી. છેક ઈ.સ. ૧૯૦૦માં લંડનની એક સભામાં દાદાભાઈનો પરિચય આપતાં તેમને રાસ્ત ગોફતારના માલિક-તંત્રી તરીકે ઓળખાવ્યા. ત્યારે પોતાના ભાષણમાં કાબરાજીની ભૂલ સુધારતાં દાદાભાઈએ સાચી હકીકત રજૂ કરી. રાસ્ત ગોફતાર શરૂ થયા પછી થોડા જ દિવસમાં રમખાણનો તો અંત આવી ગયો, પણ પારસીઓના અવાજને બુલંદપણે લોકો અને સરકાર સુધી પહોંચાડવાનું તેનું કામ તો ચાલુ જ રહ્યું. ઉપરાંત એ વખતની સમાજ સુધારાની ચળવળને પણ તેણે મજબૂત ટેકો આપ્યો. ૧૮૫૫માં દાદાભાઈ ગ્રેટ બ્રિટન જઈને વસ્યા ત્યારે આ પત્ર ચલાવવા માટે આઠ સભ્યોની એક ‘સિન્ડિકેટ’ ઠરાવવામાં આવી. દાદાભાઈ ઉપરાંત તેના સભ્યો હતા ખરશેદજી નસરવાનજી કામા, ખરશેદજી રુસ્તમજી કામા, ડોસાભાઈ ફરામજી કરાકા, નવરોજી ફરદુનજી, સોરાબજી શાપુરજી બંગાલી, અને પેસ્તનજી રતનજી કોલા. ત્રણ વરસ પછી તેમાં કરસનદાસ મૂલજીનું નામ ઉમેરાયું. ૧૮૫૨માં સમાજ સુધારાને વરેલું પત્ર ‘સત્ય પ્રકાશ’ તેમણે શરૂ કર્યું હતું તે ૧૮૬૦માં રાસ્ત ગોફતાર સાથે ભળી ગયું.

પોલીસ અને હુલ્લડખોરો, બંનેનો સંબંધ છે ન્યાયની અદાલત સાથે. મુંબઈની અદાલતો વિશેની કેટલીક વાતો હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 08 મે 2021

Loading

શિક્ષણ ખાડે તો ગયેલું જ હતું, હવે અખાડે ગયું છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|7 May 2021

કોરોના વૈશ્વિક મહામારી છે તે કરતાં તે રાષ્ટ્રીય કમનસીબી વધુ છે. કમનસીબી એ અર્થમાં કે પ્રજા સાચું જાણી શકતી નથી. એક તરફ કેસ ઘટી રહ્યાનું કહેવાય છે, તો બીજી તરફ 4 લાખથી વધુ કેસો નવા નોંધાય છે ને મૃત્યુ આંક પણ ચારેક હજાર નજીકનો બતાવાય છે. સવા ત્રણ લાખ દરદીઓ સાજા થયા છે તો તે વાત પણ નોંધવી ઘટે, પણ સચ્ચાઈ પ્રજા સુધી પહોંચતી નથી એટલે તે ડરેલી અને મરેલી વધુ જણાય છે. સુપ્રીમ કોર્ટ એક તરફ ઓક્સિજન મુદ્દે કેન્દ્ર સરકારને ઠપકો આપે છે તો બીજી તરફ મંત્રીઓ ઓક્સિજન પહોંચાડવા બદલ વડા પ્રધાનની આરતી ઉતારે છે. વડા પ્રધાન એ મામલે કેટલા જવાબદાર છે તે તેઓ જાણે, પણ દેશમાં નકલખોર અને આપવડાઈ કરતાં ફોટોમંત્રીઓની જમાત ઊભી થઈ છે, જે રોબોટને શરમાવે એટલા આજ્ઞાંકિત અને ખર્ચાળ છે. એનો તાજો દાખલો ગુજરાતના મુખ્ય મંત્રી પૂરો પાડી રહ્યા છે. મુખ્ય મંત્રી સાથે વડા પ્રધાન છે કે વડા પ્રધાન સાથે મુખ્ય મંત્રી છે એ નક્કી ન થાય એટલી હદે ફોટો-ફોટો રમાય છે. કોઈ પણ અભિનેતા કરતાં નેતાઓના વધુ ફોટોસેશન ચાલતાં હોય તો નવાઈ નહીં. કેન્દ્રએ લોકડાઉન કરવાની જવાબદારી રાજ્ય પર નાખી છે ને જે તે રાજ્યોએ લોકડાઉન લાદ્યાં, લંબાવ્યાં પણ છે, પણ આપણા મુખ્ય મંત્રી કહે છે કે કેન્દ્ર સરકાર કહેશે તો જ લોકડાઉન લાવીશું. રસીને મામલે પણ લોકો અટવાય છે. કમાલ એ છે કે રસી સરકાર પાસે છે, પણ લોકોને તે મળતી નથી. જાતભાતની મીટિંગો છાશવારે થાય છે, પણ વાત પાણી વલોવવાથી આગળ જતી નથી.

વાતાવરણ એટલું ડહોળાયેલું છે કે બોર્ડની પરીક્ષાઓ લેવાય એમ નથી. જો કે શિક્ષણ વિભાગ મગનું નામ મરી પાડતો નથી. સી.બી.એસ.ઈ.એ દસમાં ધોરણની પરીક્ષાઓ રદ્દ કરી છે અને પરિણામો અગાઉની પરીક્ષાઓ અને પ્રોજેકટ વર્ક સહિતનાં પેરામીટર્સને આધારે આપવાની વાત છે. ગુજરાતનો શિક્ષણ વિભાગ આ મામલે શું કરવા માંગે છે તે અંગે ચૂપ છે. આ ચૂપકીદી તોડવા વાલીઓએ હાઇકોર્ટમાં ધોરણ દસની પરીક્ષાઓ રદ્દ કરવા પિટિશન કરી છે. વાલીઓની રજૂઆત એવી છે કે આવનારા મહિનાઓમાં પરીક્ષા લેવાશે તો હજારો વિદ્યાર્થીઓ સંક્રમિત થવાનું જોખમ છે. સી.બી.એસ.ઈ.એ પરીક્ષા રદ્દ કરી છે, જ્યારે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે 10ની પરીક્ષા મોકૂફ રાખી છે. વાલીઓની રજૂઆત એવી પણ છે કે 10ની પરીક્ષા મોડી લેવાશે તો ધોરણ 11 પણ મોડું શરૂ થશે, એ સ્થિતિમાં ગુજરાત બોર્ડે પણ 10ની પરીક્ષા રદ્દ કરવી જોઈએ. વળી મંડળે પિટિશનની અર્જન્ટ સુનાવણીની માંગણી પણ કરી છે, કોર્ટ તે કરશે પણ ખરી, પણ તેને માટે પણ નિર્ણય કરવાનું સહેલું નહીં જ હોય, કારણ સી.બી.એસ.ઈ.ને 10ની પરીક્ષા રદ્દ કરવાની અનુકૂળતા હતી તે ગુજરાત બોર્ડને નથી.

ગુજરાતનો શિક્ષણ વિભાગ તુક્કાઓ પર ચાલ્યો છે ને ચાલે છે. 24 માર્ચ, 2020થી દેશમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ થયું ત્યારે દેશ આખામાં કોરોનાના છસો કેસ પણ ન હતા. એવામાં આખા દેશમાં તે લાગુ કરવાનું અર્થતંત્રનાં હિતમાં ન હતું, પણ વડા પ્રધાનને ત્યારે લોકડાઉન પહેલો વિકલ્પ લાગ્યો ને આજે જ્યારે લાખોની સંખ્યામાં કેસ વધે છે, ત્યારે લોકડાઉનને સાહેબ છેલ્લો વિકલ્પ ગણે છે. 2020નું આ લોકડાઉન મહિનાઓ સુધી ચાલ્યું અને અર્થતંત્રની પથારી તો એમાં ફરી જ, શિક્ષણનો ય દાટ વળી ગયો. સ્કૂલ, કોલેજો, યુનિવર્સિટીઓ મહિનાઓ સુધી બંધ રહી. એમાં વળી ઓનલાઇન શિક્ષણનો પવન ફૂંકાયો. સરકારે જેમ સૂઝ્યું તેમ શિક્ષણને નામે આડેધડ હાંક્યે રાખ્યું. ઓનલાઈન શિક્ષણ મનસ્વી રહ્યું. હેતુ તો ભણાવવાનો જ હતો, પણ ભણનાર અને ભણાવનાર માટે એ ટાઈમપાસથી વિશેષ ન હતું. એમાં એકમ કસોટી અને એવી બીજી કસોટીઓને નામે અનેક પ્રયોગો થયા. સામાન્ય સંજોગોમાં વર્ગખંડોમાં લેવાતી પરીક્ષાઓમાં ચોરી રોકી શકાતી ન હતી, જ્યારે ઓનલાઈન પરીક્ષાઓમાં તો કોઈ જોનાર જ ન હતું એટલે જોઈને લખતાં કોઈ રોકે એમ ન હતું. એનું મૂલ્યાંકન પણ કેવું હોય તે સમજી શકાય એવું છે. શિક્ષણ મંત્રીએ જેમની પાસે ઓનલાઈન શિક્ષણ પામવાની સુવિધાઓ ન હતી તેમને પુસ્તકો અને અન્ય તકો પૂરી પાડવાનું એક મુલાકાતમાં કહેલું, પણ એ દિશામાં નક્કર કશું થયું હોવાનું જણાયું નથી.

ધારો કે થોડું થયું હોય, તો પણ સરકાર, બસ સેવાઓ ય ન હોય એવા વિસ્તારોમાં આજની તારીખમાં પણ ઓનલાઈન કે અન્ય રીતે ખાસ પહોંચી નથી, એ સ્થિતિમાં ગામડાંઓ અને વનવિસ્તારોના વિદ્યાર્થીઓની દસમાંની પરીક્ષાનું શું એ પ્રશ્ન શરૂઆતથી રહ્યો છે ને હકીકત એ છે કે એ દિશામાં ખાસ કૈં થયું નથી. ધારો કે 10ની પરીક્ષા રદ્દ થાય છે અને સી.બી.એસ.ઈ.ની રીતે પરિણામ આપવું છે, તો તેવી અનુકૂળતા ગુજરાત બોર્ડને નથી, કારણ અહીં ઓનલાઈન શિક્ષણ બધે થયું નથી, થયું છે ત્યાં શિક્ષણની કે પરીક્ષાની ગંભીરતા જળવાઈ નથી, ક્યાંક તો શિક્ષણકાર્ય જ થયું નથી, ત્યાં દસમાંની પરીક્ષા રદ્દ થાય તો કયા આધારે પરિણામો નક્કી કરવાં એ મોટો પ્રશ્ન છે.

માત્ર ધોરણ 10નો વિચાર કરીએ તો 2020ની પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીઓ 2021માં પરીક્ષા આપે એમ બને. ગયે વર્ષે 9માંથી માસ પ્રમોશન લઈને 10માંમાં આવેલા વિદ્યાર્થીઓની પરીક્ષા બાકી છે. એ સાથે જ 2021માં માસ પ્રમોશન લઈને પણ 10માં ધોરણમાં વિદ્યાર્થીઓ નવા ઉમેરાયા છે. એ રીતે 10માં ધોરણમાં સૌથી વધુ વિદ્યાર્થીઓનો ભરાવો થયો છે. હવે ગયા વર્ષના 10મામાં આવેલાનો અને રિપિટર્સનો સરવાળો કરીએ તો લગભગ સાડા બાર લાખ વિદ્યાર્થીઓ થાય જે આજ સુધીનો સૌથી મોટો આંકડો છે. આ સંખ્યા વધવાનું એક કારણ કોર્સમાં 30 ટકાનો ઘટાડો થયો તે છે. એનો લાભ રિપિટર્સને પણ મળે એવું લાગતાં આ વખતે વધુ ફોર્મ ભરાયાં છે.

એક વાત નક્કી છે કે પરીક્ષા રદ્દ થાય તો પણ 10માં ધોરણનું પરિણામ કોઈક આધારે તૈયાર કરવું પડે, પણ એ આધાર નથી, કારણ ક્યાંક શિક્ષણ ને પરીક્ષાઓ જેમ તેમ થયાં હોય તો પણ, તે, રાજ્યમાં બધે થયાં નથી, એટલે જેમની પરીક્ષા થઈ છે તે આધાર લેવાય તો જ્યાં પરીક્ષાઓ થઈ જ નથી ત્યાં કયો આધાર લેવો તે પ્રશ્ન છે. ધારો કે કોઈ આધાર વિના બધાંને જ 11માં ધોરણમાં મૂકવામાં આવે તો લગભગ સાડા બાર લાખ વિદ્યાર્થીઓને ધોરણ 11માં જોગવવાનું સહેલું નહીં હોય. એટલે ક્યાં તો પરીક્ષાઓ યોજવી પડે અથવા 11ના વર્ગો વધારવા પડે ને એ બંને પ્રવર્તમાન સંજોગોમાં અત્યંત મુશ્કેલ છે. એક રસ્તો છે. જે ધોરણનું છેલ્લી પરીક્ષાનું પરિણામપત્રક રેકોર્ડ પર હોય તેને આધાર ગણીને 10નું ને 12નું પરિણામ નક્કી કરવું ને તેને આધારે આગલા ધોરણમાં પ્રવેશ આપવો. આ ઉપરાંત બીજા કોઈ માર્ગો હોય તો તે પણ અપનાવી શકાય. જો માત્ર 12ની પરીક્ષાનું આયોજન શક્ય બને તો તે પણ કરી શકાય. 12નું બોર્ડનું પરિણામ મહત્વનું છે એટલે તેની પરીક્ષા તો થવી જ જોઈએ, પણ 10 અને 12ની, એમ બંને પરીક્ષાઓનું આયોજન કરવાનો લોભ જતો કરવા જેવો છે. આમ પણ નવી શિક્ષણનીતિમાં 10માંની બોર્ડની પરીક્ષાનું મહત્ત્વ રહ્યું નથી, ત્યારે 12ની જ પરીક્ષા લેવાનું વધુ યોગ્ય ગણાય.

કોઈને એમ લાગે કે વેકેશન પછી સ્કૂલો ખૂલે તે પછી 10ની પરીક્ષાનું આયોજન કરીને પરિણામ નક્કી કરવું, એવું થાય તો સારું જ છે, પણ એક મહિના પછી સ્કૂલો ખૂલવાની હોય તેમ માનીએ તો અત્યારની જે ગંભીર સ્થિતિ કોરોનાની છે તે જોતાં ચમત્કાર સિવાય સ્થિતિ સામાન્ય થાય તેવું લાગતું નથી. નથી રસીનાં ઠેકાણાં કે નથી અન્ય ઇલાજનાં, એવામાં મહિનામાં વાતાવરણ સુધરે તો પણ એવું નથી જ બનવાનું કે સ્કૂલો નિયમિત શરૂ થાય. 2020નાં લોકડાઉન પછી બધું ખૂલ્યું ત્યારે પણ સ્કૂલો તો બંધ જ રહેલી અને છેલ્લે જ ખૂલેલી. હાલનું વાતાવરણ વધારે ગંભીર છે, એ જોતાં સ્કૂલો જૂનમાં શરૂ થાય એ અશકયવત છે, એટલે પરીક્ષાનો તો પ્રશ્ન જ નથી ઊઠતો.

એક તરફ એકલદોકલ માટે નિયમો બતાવાતા હોય ને બીજી બાજુએ બધાં નીતિનિયમો કોરાણે મૂકીને લોકો સડક ભરી દેતાં હોય તો કોરોનાથી મુક્તિ ન જ મળે તે નક્કી છે. સાણંદમાં ધાર્મિક ઉજવણીમાં સેંકડો મહિલાઓ માથે બેડું મૂકીને સડક પર નીકળી પડે ને લોકો મંદિરનાં શિખર સુધી ઉત્સવના મૂડમાં હોય ત્યારે સંક્રમણ ન જ રોકાય એમાં શંકા નથી. લોકોને એવું છે કે કોરોના કૈં બગાડવાનો નથી, પણ ઉત્તર પ્રદેશની પંચાયતી ચૂંટણીમાં 2000 મોત થયાંની વાત આવી છે, જેમાં 700થી વધુ તો પ્રાથમિક શિક્ષકો હતા. એટલે બગડે તો છે જ ! આવામાં એક વિચિત્ર નિર્ણય પંજાબે પણ કર્યો છે. કરફ્યુના સમયે બીજું બધું બંધ રહેશે, પણ દારૂની દુકાનો ખુલ્લી રહેશે. આવા અક્કલ વગરના નિર્ણયો લેવાય ત્યાં શિક્ષણ તરફ કોણ ધ્યાન આપે? શિક્ષણમાં આ વર્ષ તો લખી જ વાળ્યું છે, આવતું વર્ષ પણ બચશે કે કેમ તેની ચિંતા થાય છે. સરકાર પ્રચારી અને પ્રજા અવિચારી હોય ત્યારે નિર્દોષોનું આવી જ બને એવું નથી લાગતું?

0 0 0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 07 મે 2021

Loading

લૂઝ કનેક્શન (10) : સમ્બોધનો

સુમન શાહ|Opinion - Opinion|7 May 2021

= = = = કશા પણ નામીચા સમ્બોધન વિનાનો સમ્બન્ધ હોય એ વસ્તુ ઉત્તમ છે. અને, સમ્બોધનો ભાષામાં કે ભાષાથી જ શું કામ? આંખોથી વરતાઈને સમ્બન્ધાઈ જઈએ, હાવભાવથી જ સમજાઈ જઈએ, વર્તનથી જ કાયમના થઈ જઈએ, એવું કેમ નહીં? = = = =

આજકાલ ‘બેબી’ સમ્બોધન બહુ સાંભળવા મળે છે – ‘હાય બેબી ! – યુ લૂક બ્યુટિફુલ – યુ લૂક પ્રેટી – હલો બેબી, આઈ લવ યુ’. પોતાની ગર્લફ્રૅન્ડને કે પ્રિયાને તેમ જ સગી પત્નીને ‘બેબી’ કહેવાનું ચાલુ થયું છે. પુરુષો કાલા થવા લાગ્યા છે. એક રીતે સારી વાત છે.

આમ તો ‘બેબી’-નો મૂળ અર્થ છે, ‘બાળક’. ‘બેબીબૉય’, ‘બેબીગર્લ’ કહીને છોકરો છે કે છોકરી તેની ચોખવટ કરાતી હોય છે. તો શું તેઓ ગર્લફ્રૅન્ડને કે પ્રિયાને બાળક સમજતા હશે? પટાવતા હશે? કોઈ નારીવાદીએ એઓને તતડાવ્યા નહીં હોય કે સ્ત્રીને તમે બેબી ગણો છો, સમજો છો શું …

પણ સાવ એવું નથી. કહી શકાય કે ‘બેબી’ સમ્બોધન પ્રેમ બતાવવા માટે જ છે. એમ બોલનારને સારું લાગે તેમ સાંભળનારને પણ સારું જ લાગતું હશે. પંચાવન વરસના મીઠાલાલને અંદર લડ્ડુ ફૂટતા હશે ને બાવનની સોમીને લજવાતાં-લજવાતાં ય થતું હશે કે હું ય મૂઈ હજી કેટલી જુવાન છું …

‘બેબી’ શબ્દનો આ બદલાતો રંગ, એટલે કે અર્થ, સમાજે સમજવો જોઈશે.

અંગ્રેજોના અને અંગ્રેજીના પ્રભાવને કારણે કેટલીક ગુજરાતી નવલકથાઓમાં ‘ડાર્લિન્ગ’, ‘સ્વીટહાર્ટ’ અને ‘સ્વીટી’-ને સ્થાને ‘મીઠડી’ કે ‘માધુરી’ વાંચવા મળેલું. મને યાદ છે, ‘અર્લિ ફિફ્ટીઝ લગી ઘણા લોકો ‘લવ’ શબ્દ બોલતાં શરમાતા’તા. એને સ્થાને ધીમે ધીમે ‘પ્રેમ’ કે ‘પ્રીતિ’ બોલતા થયા. આમ તો, ‘વ્હાલાનો સંદેશો આવ્યો છે’ બોલાતું’તું પણ ‘લવલેટર આવ્યો છે’ બોલાવા લાગ્યું.

Picture Courtesy : Amazon.com

પણ આપણી નજર ક્યાંક ચૉંટી ગઈ હોય તો આપણને બાકીનું દેખાતું નથી હોતું. એવી એકાંગી દૃષ્ટિમતિને લીધે પ્રેમની કોઈ પણ વાતમાં આપણને ‘સૅક્સ’ દેખાય છે. રસ્તે વયસ્ક ભાઈ-બેન હાથમાં હાથ નાખી જતાં હોય, કે બાપ અને વયસ્ક દીકરી સિનેમા જોવા જતાં હોય કે રેસ્ટોરાંમાં કૉફી પીતાં હોય, લોકોને એક જ સૂઝે છે – લફરું છે – બન્ને વચ્ચે ઍફેર ચાલે છે …

હા, જમાનો ખરાબ છે, કંઈ પણ હોઈ શકે, એવી આશંકા જરૂર થઈ શકે છે, કેમ કે દુષ્કર્મો થયે જાય છે. તેમ છતાં, વિચારવાનું એટલું જ છે કે આપણે ડરી ડરીને સંકોચાયેલું કે ઠિંગરાયેલું તો નથી જીવતાં ને … જીવનનો સહજ ઉલ્લાસ આછોપાછો તો નથી થઈ ગયો ને …

બાકી ‘પ્રેમ’ અને ‘લવ’ બન્નેના અર્થસંકેતોનું ગુચ્છ રમણીય છે. એમાં, ઘણા સંકેતો છે :

એક છે, ‘સ્નેહ’. મૂળે તો, એ છે, ચીકણો પદાર્થ. ‘સ્નેહાર્દ્ર’ કહીએ છીએ ત્યારે એમ કહેવા માગીએ છીએ કે સ્નેહથી ‘આર્દ્ર’ એટલે કે ‘ભીનાં’ છીએ. હૃદયની ભીનાશ. સ્નેહ-નો એક અર્થ છે, ‘ગ્રન્થી’ – ગાંઠ. ગૉરમા’રાજ છેડા ગંઠાવે છે ત્યારે એમને અને છેડા ગાંઠનારને આશા હોય છે કે બન્ને જણાં સ્નેહથી ગંઠાયેલાં રહેશે. પ્રેમીઓ એ ગાંઠથી જોડાયાં હોય છે.

‘સરસ્વતીચન્દ્ર’કારે અને કવિશ્રી ન્હાનાલાલે એ જમાનામાં એમની શબ્દસૃષ્ટિઓમાં સ્નેહલગ્નની ઘણી તરફેણ કરેલી, કેમ કે દેહલગ્નથી થતી બરબાદીઓ એમણે જોઈ હતી.

બીજો સંકેત છે, ‘વાત્સલ્ય’ અથવા ‘વ્હાલ’ : દાખલા તરીકે, મા-નો દીકરા પ્રત્યેનો અને બાપનો દીકરી પ્રત્યેનો પ્રેમ, વ્હાલ છે. અને એમાં, એવું જરૂરી નથી કે બાપ કે મા બાયોલૉજિકલ ફાધર કે મધર જ હોવાં જોઈએ. બાયોલૉજિકલ ભલે પણ તદ્દન આગવી અને પ્યૉર હ્યુમન રીલેશનશિપ લગી આપણે ક્યારે પ્હૉંચીશું? ‘વાત્સલ્ય’-માં મૂળ શબ્દ છે, ‘વત્સ’. ‘વત્સ’-નો અર્થ ‘બાળક’ તો છે જ પણ ‘વત્સ’-નો અર્થ ‘વાછરડું’ પણ છે. સમજુકાકીને એમની ભૂરી અને ભૂરીનું વાછડું બહુ ‘વ્હાલું’ હતું. વાછડાની ડોક પંપાળતાં થાકતાં ન્હૉતાં. નાનપણમાં મેં મારા મિત્ર સિકંદરને એની બકરીને બચ્ચીઓ કરતાં વારંવાર જોયેલો. સમ્ભુ ગોવાળિયો બુચકારા બોલાવીને ઢોરાં હાંકતો, પરોણો ઘૉંચતાં એનું મૉં કચવાતું, એના જીવને દુ:ખ થતું …

પરન્તુ હવે તો એવો સમય ચાલ્યો છે કે બાપ વયસ્ક દીકરીને બચ્ચી કરતાં ખંચકાય છે, એ દીકરી પણ બાપને કદી ચૂમી નથી શકતી. મા વયસ્ક દીકરાને ભેટતાં વિચારે છે. નતમસ્તક વિદ્યાર્થિનીને આશિષ આપવા માગતા અધ્યાપકનો હાથ માથે અડતાં પહેલાં, અધ્ધર રહી જાય છે. નિકટનાં સમ્બન્ધીઓ જ હવે સહજતા ગુમાવી રહ્યાં છે.

અને આજકાલના ચૅટિન્ગમાં તો નથી જરૂર ‘સ્વીટી’-ની કે ‘ડાર્લિન્ગ’-ની. ઇમેઇલમાં લેટર જરૂર લખાય છે, પણ અન્તે ‘લવ’ કે ‘અફૅક્શન’ કે ‘રીગાર્ડ્સ’ લખવાની જરૂર નથી પડતી. તમે લખો તો ઓલ્ડ-ફૅશન્ડ્ ગણાવ. કહેવાય કે તમે સોશ્યલ મીડિયાને સમજતા નથી; એ તો ફાસ્ટ કૉમ્યુનિકેશન માટે છે. બરાબર, પણ જો ફાસ્ટ છે તો બે શબ્દ ઉમેરવામાં કયું મૉડું થઇ જાય છે? ફાસ્ટ પણ સોશ્યલ હોઈ શકે છે, એ ઝીણી વાત સ્વીકારવા તેઓ તૈયાર નથી.

સવાલ એ છે કે તો પછી એ સમ્બોધનોની જરૂર ક્યાં છે. મોટો સવાલ એ છે કે એની જરૂર છે ખરી.

બીજો શબ્દ ચલણી બન્યો છે એ છે ‘ફક’. એ પરથી બનેલો ‘ફકિન્ગ’ પણ બહુ વપરાય છે. એનો અર્થ કોણ ન જાણતું હોય? અંગ્રેજી ન્હૉતાં જાણતાં એ પણ હવે જાણતાં થઈ ગયાં છે. ગાળ આપવાનો જ હેતુ હોય તો જુદી વાત; બાકી, વપરાશને બરાબર સમજો તો સમજાય કે એમાં આવા આવા અર્થસંકેતો છે – બાપ રે – સાલો – હરામી – નક્કામો – માથું ખાય છે. વગેરે.

અમુક લોકો ‘ફક’ ‘ફકિન્ગ’ બોલે કે આપણા લોકો ગાળવાચક શબ્દો વાક્યના પ્રારમ્ભે બોલે ને છેવાડે પણ બોલે ત્યારે એ લોકોના મનમાં એ સંજ્ઞાઓના કશા વાચ્યાર્થ નથી હોતા, એ એમની એક લઢણ કે ટેવ હોય છે. એમાં એમને બરાબર વ્યક્ત થયાની મજા આવતી હોય છે. અનેક દાખલાઓમાં એમ સાચું હશે. પણ એ સંજ્ઞાઓ ઝીલનારાં ને સાંભળનારાં બીજાંઓ શું અનુભવતાં હશે? નથી ખબર.

હમણાંનો હું લગભગ રોજ એક દેશી કે વિદેશી મૂવી જોઉં છું. એમાં ‘ફક’-નો, ‘ફકિન્ગ’-નો, તેમ જ ગુજરાતી ભારતીય શબ્દોનો ભરપૂર ઉપયોગ જોવા મળે છે. જો કે આપણા એ શબ્દો તરત સમજાય એવી ખુલ્લા અને ચોખ્ખા અર્થની ગાળો જ છે. સ્ત્રીને જ લાગુ પડતા એ પ્રયોગો મૂવીની ભારતીય સ્ત્રી-કલાકારો પણ સહજપણે કરવા લાગી છે.

સાહિત્યકલામાં આ સ્તરનું જીવન-વાસ્તવ અનિવાર્યપણે જેટલું આવી શકે એટલું સારું છે, પણ સામાજિકોના વ્યાપક વર્ગને સારું લાગતું હશે? ‘સામાજિક’ એટલે ‘પ્રેક્ષક’ અને ‘સામાજિક’ એટલે, સમાજમાં વસનારાં અને માનનારાં, સૌ કોઈ.

ભાષાવિજ્ઞાનમાં પહેલું હું એ શીખેલો કે ભાષા પરિવર્તનશીલ છે. ભણાવતી વખતે પણ એ વીગત ધ્યાનથી ભણાવતો’તો. બીજું એ શીખેલો ને શીખવતો’તો કે શબ્દો યાદૃચ્છિક છે – આર્બિટ્રરી. એ પ્રાણીને ‘ગાય’ શું કરવા કહીએ છીએ એનું કોઈ વૈજ્ઞાનિક કારણ નથી, પણ જેવી બોલનારની ઇચ્છા -યદૃચ્છા, એટલે કે મનુષ્યઇચ્છા, એનું કારણ છે. પહેલી વાર બોલનારને ઇચ્છા થઈ હશે, મરજી થઈ હશે, કે આને ‘ગૌ’ કહું કે ‘ગાય’ કહું કે ‘કાઉ’ કહું. પછી એ શબ્દો, આમ તો ધ્વનિઓ, વપરાશને કારણે રૂઢ થઈ ગયા હોય છે ને જેવા બોલાય કે તરત ગાયને તાદૃશ કરી આપે છે. શબ્દો છે, વસ્તુઓની ચિત્તછબિઓ – ઇમેજીસ. શબ્દો છે, વસ્તુઓનાં વિભાવન – કન્સેપ્ટ્સ.

તો આમાં પણ ‘બેબી’ કહેનારાની ઇચ્છાને જ કારણ ગણાય. ‘ફક’ અને ‘ફકિન્ગ’-માં નવા અર્થસંકેતો સંભરી શકાય છે એનું કારણ પણ એમ બોલનારાંની ઇચ્છા છે એમ જ માનવું રહ્યું.

બીજું એમ બનતું હશે કે એ સંજ્ઞાઓના અર્થ સંદર્ભ પ્રમાણે થતા હશે અને સંદર્ભ બદલાતાં બદલાતા હશે. સસરાની હાજરીમાં જમાઈ પોતાની વાઇફને ‘બેબી’ ક્હૅતો હશે? સિવાય કે સાસુસસરા ઠીકઠીક યન્ગ હોય ને તેઓશ્રી પણ એમની વાઇફને – પેલાની સાસુને – ‘બેબી’ ક્હૅતા હોય. કોઇ પોતાની સગી દીકરીને ‘ફક યુ’ ન સંભળાવે, સિવાય કે દીકરી પણ ફાર ઍડવાન્સડ્ હોય.

સંદર્ભથી અર્થોને આપોઆપ વિશેષતા મળે છે તેમ એ બાપડા આપોઆપ મર્યાદામાં પણ આવી જતા હોય છે. ભાષાવિજ્ઞાનમાં શબ્દાર્થનું શાસ્ત્ર છે તેમ સંદર્ભનું પણ શાસ્ત્ર છે.

જો કે હું તો ઇચ્છું કે કશા પણ નામીચા સમ્બોધન વિનાનો સમ્બન્ધ હોય એ વસ્તુ ઉત્તમ છે. અને, સમ્બોધનો ભાષામાં કે ભાષાથી જ શું કામ? આંખોથી વરતાઈને સમ્બન્ધાઈ જઈએ, હાવભાવથી જ સમજાઈ જઈએ, વર્તનથી જ કાયમના થઈ જઈએ, એવું કેમ નહીં? આપણી પાસે એ બધી બિનભાષિક સગવડો ક્યાં નથી …

પણ ભારતીય પરમ્પરામાં દરેક પારિવારિક સમ્બન્ધને સમ્બોધવા માટેનાં નામ છે. એ દરેકની વ્યાખ્યા થયેલી છે – વ્યાખ્યા વિશેષતા સૂચવે છે તેમ મર્યાદા પણ સૂચવે છે. અદ્ભુત છે એ સંજ્ઞાઓ : વડદાદા-વડદાદી. દાદા-દાદી. પુત્ર-પ્રૌત્ર. પુત્રી-પ્રૌત્રી. કાકા-કાકી. મામા-મામી. માસા-માસી. ભાઈ-ભાભી. બહેન-બનેવી. ભત્રીજા-ભત્રીજી. ભાણા-ભાણી. આગળ વધતાં, સાસુ-સસરા. નણંદ-ભોજાઇ. જેઠ-જેઠાણી. એથી આગળ વધતાં, સાળા-સાળાવેલી અને સૌથી અઘરી સંજ્ઞા, સાઢુ ! આવી સુગ્રથિત કુટુમ્બજાળ મારી માન્યતા છે કે વિશ્વના એક પણ સમાજમાં નહીં હોય ને તેથી વિશ્વની એક પણ ભાષામાં નહીં હોય.

સવાલ એ જ છે કે આટલાં બધાં સુ-વ્યાખ્યાયિત સમ્બોધનો છે તેમ છતાં સમ્બન્ધો તૂટીફૂટીને  વેરવિખેર થઈ જાય છે કેમ. છૂટાં પડી જવાનું કે વિખૂટાં થઈ જવાનું ઇચ્છી શકાય છે કેમ.

મને રસ છે, માનવીય સમ્બન્ધોમાં; એ સમ્બન્ધોને દૃઢ કરી આપતાં સમ્બોધનોમાં. હું પહેલેથી એક જ વાત કરી રહ્યો છું કે સમ્બન્ધોમાં કશું પણ લૂઝ ન જોઈએ; ન જોઈએ એટલે, ન જ જોઈએ …

= = =

(May 7, 2021: USA)

Loading

...102030...1,9061,9071,9081,909...1,9201,9301,940...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved