Opinion Magazine
Number of visits: 9571867
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘મ’ ધ્વનિ નૈર્સગિક રીતે બાળકના મોંમાંથી સૌથી પહેલાં નીકળે છે.

રાજ ગોસ્વામી|Opinion - Opinion|11 May 2021

દુનિયાની તમામ ભાષાઓમાં માતા માટેનો શબ્દ 'મ'થી શરૂ થાય છે. જેમ કે, અંગ્રેજીમાં મધર, મમ્મી અને મોમ, હિન્દીમાં મા અને માતા, સંસ્કૃતમાં માતૃ, ઉર્દૂમાં અમ્મી અને અમ્મા (મ્મ પર વજન વધુ હોય છે), પર્શિયનમાં મદ્ર, લેટિનમાં માતર, ગ્રીકમાં માના, ઇટાલિયનમાં માદ્રે અને મમ્મા, ફ્રેંચમાં મેરે, જર્મનીમાં મટર, આફ્રિકાનામાં મોઇયેડર અને મા, કંબોડિયાઈમાં માએ, મદાઈ અને માક, ડેનિશમાં મોર, ડચમાં મોઈડર અને મોએર, આઈરીશમાં માથેર, ચાઇનીઝમાં મામા, વગેરે.

'મ' કેમ? સાઈકોલિંગગ્વિસ્ટિક સંશોધન પ્રમાણે, બાળક જન્મથી શરૂ કરીને ૬૦ મહિના (પાંચ વર્ષ) સુધીમાં અલગ-અલગ પ્રકારના અવાજો કાઢવાની પ્રક્રિયામાંથી પસાર થાય છે, જેને લેંગ્વેજ એક્વિજિશન એટલે કે ભાષાનું અર્જન કહે છે. ૧૯૬૨માં, રશિયન-અમેરિકન ભાષાશાસ્ત્રી આર. જેકોબ્સને લેંગ્વેજ એક્વિજિશનની આ થિયરી વિકસાવી હતી. એમાં કોગળા કરતા હોઈએ તેવો ખળખળ અવાજ, બડબડાટ, એકાક્ષર અને એક શબ્દના ઉચ્ચારનો સમાવેશ થાય છે.

આમાં બડબડાટ અથવા બકબક(બેબલિંગ)નો જે બીજો તબક્કો છે, તે ૧૦થી ૧૮ અથવા ૨૦ મહિના વચ્ચે આવે છે. આ એ સમય છે, જ્યાં બાળકે તેના પોષણ માટે માતા પર આધાર રાખવાનું છોડી દીધું હોય છે. તે થોડો સોલિડ આહાર લેતું થયું હોય છે, તેના મોઢામાં સલિવા એટલે કે લાળ પેદા થવાનું ઘટે છે, દાંત ફૂટવા પર હોય છે, તે બેસતું, ઊભું થતું, ચાલતું થાય છે.

આ જ સમયગાળામાં, બાળક તેના ગળામાંથી નીકળતી હવાને આળીઅવળી રીતે નિયંત્રિત કરતું થાય છે, અને વયસ્ક જેવા અમુક અવાજ કાઢે છે. એમાં જે પહેલો અવાજ નીકળે છે તે 'મ' હોય છે (એ પહેલાં 'ર' અવાજ પણ તે કાઢતું હોય છે, પણ પછી તે ગાયબ જાય છે), જે કાયમ માટે રહી જાય છે. તે સમયે બાળકની સૌથી નજીક તેની માતા હોય છે, એટલે તે આ અવાજને પોતાના નામ સાથે જોડે છે ('મને બોલાવે છે'). બાળકને પણ ધીમે-ધીમે એ સમજાતું જાય છે કે એક ચોક્કસ અવાજથી તેની માતા તેના તરફ આકર્ષિત થાય છે, એટલે તે એ અવાજનો પ્રયોગ વધારતું જાય છે.

લેંગ્વેજ એક્વિજિશનની આ પ્રક્રિયા દુનિયામાં લગભગ એક સરખી હોય છે, એટલે દુનિયાની તમામ (આશરે ૬,૦૦૦) ભાષાઓમાં માતા માટેનો શબ્દ 'મ'થી શરૂ થાય છે. બાળક ‘મંમં’ ઉદ્દગાર કરે છે, ત્યારે ઘણી ગુજરાતી મમ્મીઓ બોલે છે, ‘તારે મંમં ખાવું છે?’ ‘મંમં’ નામનો કોઈ ખોરાક નથી, પરંતુ એવું બોલીને મમ્મીનું ધ્યાન ખેંચવાનો મતલબ એ થાય છે કે બાળક ભૂખ્યું થયું છે. આ ભૂખ્યા બાળકને મા સ્તને વળગાળે. એના પરથી સ્તન માટે મૈમલ શબ્દ આવ્યો છે. જેને સ્તન હોય તેવાં પ્રાણીઓ માટે ‘મમ્મલ’ (સ્તનધારી) શબ્દ છે. મમ્મલ શબ્દ આધુનિક છે, જે વૈજ્ઞાનિક શબ્દ ‘મમ્માલિયા’ પરથી આવ્યો છે અને ‘મમ્માલિયા’ શબ્દ લેટિન ‘મમ્મા’ પરથી આવ્યો છે, જેનો અર્થ ‘સ્તન’ થાય છે. મા અથવા માતા અથવા મધર શબ્દનું મૂળ અહીં પણ છે.

અરેબિક, ચાઇનીઝ અને જાપાનીઝ જેવી અમુક ભાષાઓને બાદ કરતાં, દુનિયાની મોટા ભાગની ભાષાઓ ઇન્ડો-યુરોપિયન પરિવારમાંથી આવે છે અને તેમાં માતા માટે ‘મેટર’ શબ્દ છે. તમે અંગ્રેજીમાં અલ્મા-મેટર શબ્દ સાંભળ્યો હશે, જે સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટી માટે વપરાય છે. એ મૂળ લેટિન શબ્દ છે, અને અર્થ થાય છે ‘પોષણ આપી રહેલી માતા.’ કેટલાક ભાષાશાસ્ત્રીઓ ‘મેટર’ના મૂળમાં સંસ્કૃત ‘માતૃ’ને જુવે છે. આ ‘મેટર’ શબ્દ અલગ-અલગ રીતે બીજી ભાષાઓમાં ગયો છે. જેમ કે અંગ્રેજીમાં એ મધર બન્યો અને ફારસીમાં માધર બન્યો. તેના પરથી મેટ્રિયાર્ચી (માતૃસત્તાક), મેટરનિટી અને મેટરનલ શબ્દો આવ્યા છે. આપણે કોઈકને કશું પૂછવું હોય, તો કહીએ છીએ, ‘મેટર શું છે?’ એના મૂળમાં પણ ‘મૂળ’(માતા)ની વાત છે. ફારસીમાં ગાળ તરીકે માધર-બ-ખત શબ્દ વપરાય છે; જેની માતા કલંક (ખતા) વાળી છે.

તેવી જ રીતે, સંસ્કૃત પિતર પરથી લેટિન-ગ્રીકમાં પતેર અને ફારસીમાં પીદર છે. જૂની અંગ્રેજીમાં ફેઇદર, જૂની નોર્સ(ઉત્તર જર્મનિક ભાષા)માં ફધીર અને આધુનિક અંગ્રેજીમાં ફાધર શબ્દ આવ્યો હોવાનું ઘણા માને છે. આ યોગાનુયોગ પણ હોઇ શકે. સંસ્કૃતનો ‘પ’ ધ્વનિ યુરોપિયનમાં ‘ફ’ હોઇ શકે. જર્મન ભાષાશાસ્ત્રી જેકોબ ગ્રીમે કહેલું કે ઇન્ડો યુરોપિયન ભાષાઓના જનક મનાતા પ્રોટો-ઇન્ડો-યુરોપિયન બંધારણમાં ‘પ’ ‘ફ’માં તબદીલ થયો હોવો જોઇએ.

‘મ’ ધ્વનિ નૈર્સગિક રીતે બાળકના મોંમાંથી નીકળતો હોવો જોઇએ. એ ધ્વનિને વધુ એક ક્ષણ સુધી અવલંબિત કરવાના અને પછી ફૂંક સાથે છોડવાના પ્રયાસમાં ‘પ’ ધ્વનિ નીકળે છે. તર્ક એવો છે કે બાળક એના પ્રથમ ઉચ્ચારણોમાં ઘણા પ્રયોગો કરે છે અને એ પ્રયાસોમાં ‘મ’ અને ‘પ’ ધ્વનિ સહજ રીતે પ્રથમ આવે છે. પશુ-પક્ષીઓના પ્રથમ ધ્વનિમાં પણ આવું જ છે. મા અને પા, આવી રીતે આવ્યા હોવા જોઈએ.

બાય ધ વે, આપણે  કોરોનાની મહામારી વચ્ચે મધર્સ-ડે ઉજવી રહ્યા છીએ. તમને એ જાણવું દિલચસ્પ લાગશે કે મધર્સ-ડેની ઉજવણીનું મૂળ પણ મહામારીમાં જ છે. અમેરિકામાં મધર્સ-ડેની સ્થાપના કરવાનું શ્રેય અન્ના મારિયા જાર્વિસ નામની સમાજસેવિકાને જાય છે. અન્નાને આ પ્રેરણા તેની માતા અન્ના જાર્વિસ તરફથી મળી હતી. વર્જીનિયા રાજ્યની આ સિનિયર જાર્વિસ, અમેરિકન ગૃહયુદ્ધમાં સમાજ સેવિકા હતી. તેને ૧૩ બાળકો થયાં હતાં, પણ તેમાંથી ચાર જ જીવતાં રહ્યાં હતાં. તે વખતે તેના પ્રદેશમાં ટાઈફોડની મહામારી ફેલાયેલી હતી અને ૧૯મી તેમ જ ૨૦મી સદીના પ્રારંભ સુધી ૧૫થી ૨૦ ટકા નવજાત બાળકો જન્મના એક વર્ષની અંદર મરી જતાં હતાં.

૧૮૫૮માં, અન્ના છઠ્ઠીવાર પ્રેગ્નન્ટ હતી, ત્યારે સગર્ભા માતાઓની સ્થિતિ સુધારવા માટે, મહામારીમાં દરદીઓની સારવાર કરતા તેના ભાઈ ડો. જેમ્સ જાર્વિસની તેણે મદદ માગી હતી. તેમણે ડોકટરોના કેમ્પ શરૂ કર્યા હતા, જેમાં નવજાત શિશુઓની માતાઓને સ્વસ્થ્ય બાબતે માર્ગદર્શન આપવામાં આવતું હતું. આ કેમ્પને તેમણે ‘મધર્સ ડે વર્ક કલબ’ નામ આપ્યું હતું. સિનિયર જાર્વિસની નવમી દીકરી અન્ના જાર્વિસ મોટી થઇ, ત્યારે તેણે તેની માતા પાસેથી આ કલબની વાત સાંભળી હતી, અને તેણે ૧૮૬૮માં ગૃહયુદ્ધમાં વિભાજીત પરિવારોને ભેગા કરવા માટે ‘મધર્સ ફ્રેન્ડશીપ ડે’ની ઉજવણી ચાલુ કરી હતી.

૧૦ મે, ૧૯૧૩ના રોજ પ્રેસીડેન્ટ વૂડ્રો વિલ્સને ‘મધર્સ ડે’નું સત્તાવાર ઘોષણાપત્ર જારી કર્યું હતું. ત્યારથી મે મહીનાના બીજા રવિવારે મધર્સ ડે ઉજવાય છે.

પ્રગટ : ‘બ્રેકીંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 09 મે 2021

Loading

ફર્સ્ટ ક્લાસ દેશની થર્ડ ક્લાસ સ્વાસ્થ્ય વ્યવસ્થા

રાજ ગોસ્વામી|Opinion - Opinion|10 May 2021

કોલમ લેખનની દુનિયામાં જનહિતના ઘણા વિષયો અને મુદ્દાઓ એવા હોય છે, જે દાયકો સુધી પ્રસંગોપાત ચર્ચાતા રહેતા હોય છે, કારણ કે એ મુદ્દાઓ સામાજિક હોય છે, અને સામાજિક બાબતો બદલાતાં વર્ષો લાગે છે, પરંતુ એવું જવ્વલેજ બને કે એક જ વિષયને એક જ વર્ષમાં ફરીથી ચર્ચવો પડે, જેથી લોકોમાં તેનો દ્રષ્ટિકોણ તાજો થાય. એક વર્ષ પહેલાં, ફેબ્રુઆરી ૨૦૨૦માં, જ્યારે ભારતમાં કોરોના વાઈરસના ગણ્યાંગાંઠ્યા કેસો હતા (અને તેનું નામ હજુ કોવિડ-૧૯ પડ્યું ન હતું), ત્યારે અમેરિકન ગુપ્તચર સંસ્થાઓએ ખતરાની ઘંટી વગાડી હતી કે વિશ્વમાં ફેલાઈ રહેલી મહામારીમાં સૌથી મોટી ચિંતા ભારતની છે. તે વખતે પ્રગટ થયેલા સમાચારો પ્રમાણે, સંસ્થાઓને એ ફિકર હતી કે મહામારીના સંકટને પહોંચી વળવાના ટાંચા સંશાધનોને જોતાં ભારત જેવા ગીચ દેશમાં મહામારી ફેલાઈ જશે તો દેશની અને કોરોના સામે દુનિયાની લડાઈની શી હાલત થશે?

લગભગ તે જ અરસામાં આપણે આ સ્થાનેથી લંડન, ન્યૂયોર્ક અને બેજિંગથી પ્રગટ થતા પ્રતિષ્ઠિત મેડિકલ જર્નલ ‘ધ લાન્સેટ’નો હવાલો આપીને લખ્યું હતું કે ભારતની સાર્વજનિક સ્વાસ્થ્ય વ્યવસ્થા કાયમ ચિંતાનો વિષય રહી છે. ભારતને વસ્તી જે સ્ફોટક રીતે વધી છે, તેની સરખામણીમાં તેના સ્વાસ્થ્ય માળખામાં સુધારો નથી આવ્યો. સામાન્ય સંજોગોમાં પણ આ વિશાળ દેશના કરોડો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ગુણવત્તાભરી સ્વાસ્થ્ય સારવાર મળતી નથી, તો કોરોના જેવો મહાકાય રોગચાળો અહી ત્રાટકે, તો દરદીઓ, ડોકટરો અને દવાઓની શી વલે થાય?

એક વર્ષ પછી, એ ચિંતા સાચી પડી. ભારતે રોજ નોંધાતા કોરોનાના કેસોના વિશ્વના તમામ રેકોર્ડ તોડી નાખ્યા. અસંખ્ય લોકો સારવાર વગર મરી ગયા. હજારો દરદીઓ હોસ્પિટલોમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતાં થઇ ગયાં. દુનિયામાં ક્યાં ય ન હોય તેવું દવાઓનું, હોસ્પિટલ બેડ્સનું, વેન્ટીલેટર્સનું, ઓક્સિજનનું અભૂતપૂર્વ સંકટ સરજાયું. કોઈએ કોઈ વાર્તા કે ફિલ્મમાં પણ જોયું નહીં હોય કે સ્મશાનમાં ચિતાઓ સળગાવવા માટે જગ્યા અને લાકડાં ખૂટી પડ્યાં હોય. ‘નિવાર્ય ટ્રેજેડી,’ ‘ભારતનો ખોટો આત્મવિશ્વાસ,’ ‘ગાફેલિયત અને ગલતીઓ,’ ‘માફ ન કરી શકાય તેવી ગફલતો’ જેવા શબ્દો ભારત માટે આંતરરાષ્ટ્રીય મીડિયામાં લખાયા હતા.

કોરોનાની મહામારી પૂરી દુનિયામાં યથાવત છે, એટલે એવું નથી કે ભારતમાં તેનો નવો પ્રકોપ આવ્યો છે. આખી દુનિયા તેનાં આંખ-કાન-નાક ખુલ્લાં રાખીને વાઈરસ સામે સાવધાની રાખી રહી હતી, ત્યારે ભારતે તેની ઢાલ હેઠે મૂકી દીધી હતી અને કોરોનાને હરાવી દીધાનો વિજયોત્સવ મનાવવાનો શરૂ કરી દીધો હતો. એ બેદરકારીમાં કોરોનાના વાઇરસે એવો ભરડો લીધો કે દેશની આખી સ્વાસ્થ્ય વ્યવસ્થા તૂટી પડી.

‘ધ લાન્સેટ’ જર્નલે એક વર્ષ પહેલાં લખ્યું હતું, “ભારતમાં તેની નબળી સાર્વજનિક સ્વાસ્થ્ય વ્યવસ્થાને મજબૂત કરવા માટે પૂરતા પૈસા ખર્ચાતા નથી. દેશનાં અલગ-અલગ રાજ્યો વચ્ચે એટલી ભિન્નતા છે કે રોગચાળાને કાબૂમાં લેવાની દેશની વ્યૂહરચના માટે એ એક પડકાર છે. એવા ઘણા કિસ્સાઓ બહાર આવ્યા છે, જેમાં દરદીઓ સરકારી હોસ્પિટલોના વિશેષ અઈસોલેશન વોર્ડમાંથી ભાગી છૂટ્યા હોય અથવા તેમની વિદેશ યાત્રાની માહિતી છુપાવી હોય.”

વોર્ડમાંથી ભાગી છૂટવું કે માહિતી છુપાવવી એ તો પાશેરામાં પહેલી પૂણી હતી. એક વર્ષ પછી તો રેમડેસિવિર ઈન્જેકશનોની ચોરી, સંગ્રહખોરી અને કાળાબજારી થતી હતી, ઓક્સિજન સિલીન્ડર માટે મારામારી થતી હતી, રાજ્યોએ ઓક્સિજન બનાવતી ફેકટરીઓ પર પોલીસ બેસાડી હતી, દિલ્હીની ૮ હોસ્પિટલો દરદીઓનાં જીવ બચાવવા માટે ઓક્સિજનની માંગણી લઈને હાઇકોર્ટ પહોંચી હતી.

લેટ્સ ફેસ ઈટ. ભારત કોવિડ-૧૯ જેવા સાર્વજનિક સ્વાસ્થ્ય સંકટનો સામનો કરવા તૈયાર ન હતું. એમાં તો બીજા કોઈ દેશની તૈયારી ન હતી, પણ બીજા લોકો આપણી જેમ કસમયે આત્મવિશ્વાસથી છલકાઈ ગયા ન હતા. આપણને ઘર ઠીક કરવા માટે એક વર્ષનો સમય મળ્યો હતો, પરંતુ આપણી પ્રાથમિકતાઓ બદલાઈ ગઈ, અને મહામારીની બીજી લહેર ઊઠી, ત્યારે આપણે હોસ્પિટલોમાં ઓકિસજન, વેન્ટીલેટર્સ, ઈન્જેકશન્સ અને પથારીઓ માટે આમતેમ દોડતા હતા.

આંતરરાષ્ટ્રીય આર્થિક મીડિયા બ્લૂમબર્ગનો અહેવાલ કહે છે કે ભારત તેના જી.ડી.પી.નો એક ટકો સાર્વજનિક સ્વાસ્થ્ય પાછળ ખર્ચે છે. સરકારી બજેટમાં સ્વાસ્થ્ય સેવાઓની જોગવાઈ કરતા ૧૮૯ દેશોમાં ભારતનો નંબર ૧૭૯ છે. વિદેશી ડોનેશન પર જીવતું સિયેરા લેઓને જેવું પછાત રાષ્ટ્રનું સ્વાસ્થ્ય બજેટ ભારત જેટલું છે. ભારતની સ્વાસ્થ્ય સેવા આંશિક રીતે જ સરકારના નિયંત્રણમાં છે. તેનો ૭૫ ટકા હિસ્સો ખાનગી કંપનીઓ અને પ્રેક્ટીસનર્સના હાથમાં છે, જે અતિ ખર્ચાળ છે, કારણ કે તે નફો કમાવા માટે કામ કરે છે, સ્વાસ્થ્ય કલ્યાણ માટે નહીં. મૂળભૂત રીતે, ભારતની સ્વાસ્થ્ય વ્યવસ્થા સાધારણ જનતા વિરોધી છે, અને એનું જ પરિણામ છે કે આખી દુનિયા કરતાં ભારતમાં જ કોરોના આટલાં જીવ લઇ રહ્યો છે.

ગયાં વર્ષે આ જ સ્થાનેથી લખ્યું હતું, “૨૦૧૯ના વૈશ્વિક સ્વાસ્થ્ય સુરક્ષા ઇન્ડેક્સ મુજબ, ભારત સહિતનાં મોટા ભાગના એશિયન દેશો મોટી મહામારીનો સામનો કરવા સક્ષમ નથી. બ્રિટિશ રાજની સમાપ્તિ પછી, સ્વતંત્ર ભારતની દરેક સરકારે સાર્વજનિક સ્વાસ્થ્યની ઉપેક્ષા કરી છે, અને ચેપી રોગો સામે સંરક્ષણને ક્યારે ય પ્રાથમિકતા આપી નથી. મેલેરિયા, ટી.બી., એઇડ્સ જેવા છૂટાછવાયા રોગો માટે આપણે પગલાં ભર્યાં છે, પણ એ તો આગ લાગે ત્યારે ખાડો ખોદવા જેવું છે. જ્યાં સુધી સર્વસમાવેશી, લાંબા ગાળાના સાર્વજનિક સ્વાસ્થ્ય માળખાનો સવાલ છે ત્યાં સુધી, આપણે હજુ ય ‘થર્ડ વર્લ્ડ’ (અથવા થર્ડ ક્લાસ) જ છીએ.”

ઉત્તમ સ્વાસ્થ્ય વ્યવસ્થા એને કહેવાય જે રોગનિરોધી હોય, રોગનિવારક નહીં. ચાઇનીઝ ઉપચાર પદ્ધતિમાં એક પ્રાચીન પરંપરા છે જેમાં ડોક્ટરને તમને તંદુરસ્ત રાખે તેના પૈસા મળે છે. તમે જો બીમાર પડો, તો ડોકટરને પૈસા ન મળે, કારણ કે તેણે તેનું કામ બરાબર નથી કર્યું. આધુનિક પદ્ધતિમાં તમે બીમાર પડો તેના પૈસા મળે છે, એટલે એ તો ડોક્ટરને ‘ભાવતું હતું ને વૈધે કહ્યું’ જેવો ઘાટ થયો! પાણી પહેલાં પાળ બાંધો તેને રોગનિરોધી વ્યવસ્થા કહેવાય, અને આગ લાગે ત્યારે ખાડો ખોદવો એ રોગનિવારક રીત છે. અત્યારે દેશ ખાડો જ ખોદી રહ્યો છે.

પ્રગટ : ‘બ્રેકીંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 02 મે 2021

Loading

મત ન હોત તો અનામત પણ ન હોત …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|10 May 2021

અનામતનું શૂળ ફરી એક વખત ઉપડ્યું છે. સુપ્રીમ કોર્ટે મરાઠા સમુદાયને આપવામાં આવેલ અનામત રદ્દ કરી છે. શિક્ષણ અને નોકરી ક્ષેત્રે મરાઠા અનામતને સુપ્રીમે ગેરબંધારણીય ઠેરવી છે. જો કે, જેમને એનો લાભ મળ્યો છે એમનાં પ્રવેશ કે નિમણૂક રદ્દ નહીં થાય, પણ મરાઠા અનામતના આધાર પર નવી વ્યક્તિને હવે કોલેજમાં પ્રવેશ કે નોકરીમાં નિમણૂક નહીં મળે. સુપ્રીમની પાંચ જજોની બેન્ચે ઠરાવ્યું છે કે મરાઠા સમુદાયને આરક્ષણ આપી ન શકાય. અનામત નકારવાનાં કારણો આપતાં સુપ્રીમે જણાવ્યું છે કે મરાઠા અનામત 2018ના મહારાષ્ટ્ર રાજ્ય કાયદા સમાનતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે. બીજા શબ્દોમાં, અનામત 50 ટકાથી વધવી ન જોઈએ એ કાયદાનું પાલન થતું નથી. એ જ કારણે સુપ્રીમે 1992ના નિર્ણયની સમીક્ષામાં જવાનું પણ સ્વીકાર્યું નથી. મહારાષ્ટ્ર સરકારે ઈમરજન્સી ક્લોઝ હેઠળ આરક્ષણ આપ્યું હતું, પણ સુપ્રીમને એવી કોઈ ઈમરજન્સી જણાઈ નથી. સુપ્રીમને એમ પણ લાગ્યું છે કે મરાઠા આરક્ષણને લીધે ટકાવારી લગભગ 75 ટકા જેટલી થઈ ગઈ છે. આમ તો 2001ના રાજ્ય આરક્ષણ અધિનિયમ પછી આરક્ષણની ટકાવારી 52 ટકા થઈ ગઈ હતી, તેમાં 16 ટકા મરાઠાઓ માટેનું આરક્ષણ ઉમેરાતાં અનામતનો આંકડો નક્કી કરેલા 50 ટકાને વળોટી ગયો હોય તો તે બંધારણ મુજબ નથી એ નક્કી છે.

આ ચુકાદો ઘણી રીતે મહત્ત્વનો છે. રાજ્ય સરકારો કેટલાક વર્ગને રાજી રાખવા અનામતને મનસ્વી રીતે દાખલ કરી દે છે તે વાતને આ ચુકાદો નકારે છે. રાજ્ય સરકારોને આવી રીતે અનામત દાખલ કરવાનો કે ટકાવારીમાં જ્ઞાતિ કે વર્ગને ઉમેરવાનો અધિકાર નથી. જો કોઈ રાજ્યે તેમ કરવું હોય તો તેણે કેન્દ્ર સરકારને સૂચન કરવું પડે ને રાષ્ટ્રપતિની ભલામણથી જ તેમ થઈ શકે. મહારાષ્ટ્રમાં 2018માં દેવેન્દ્ર ફડનવીસની સરકારે મરાઠાઓ માટે 16 ટકા અનામતની જોગવાઈ કરી તો તેને હાઇકોર્ટમાં પડકારવામાં આવી. હાઈકોર્ટે આ અનામતને યોગ્ય ઠેરવી અને સુપ્રીમે, હાઇકોર્ટના એ ચુકાદાને રદ્દબાતલ કરી દીધો. સાધારણ રીતે હાઇકોર્ટનો નિર્ણય સુપ્રીમમાં ઉલટાવાતો નથી, પણ મરાઠાઓની અનામતનો બોમ્બે હાઇકોર્ટનો ચુકાદો સુપ્રીમે આઉટ એન્ડ આઉટ નકાર્યો છે. બોમ્બે હાઇકોર્ટને, 16 ટકા અનામતનો નિર્ણય બંધારણીય લાગ્યો છે જ્યારે સુપ્રીમ કોર્ટને એ ગેરબંધારણીય લાગ્યો છે. એક જ કાયદો, એક કોર્ટને બંધારણીય લાગે ને બીજીને ગેરબંધારણીય લાગે એ પણ કમાલ જ છેને ! બંધારણમાં અનામત 50 ટકાથી વધવી ના જોઈએ એવું સ્પષ્ટ કરી દેવાયું હોય ને 16 ટકા મરાઠાઓની અનામત ઉમેરાવાથી આંકડો 50 ટકાને પાર કરી જતો હોય તો તે સાધારણ વ્યક્તિને પણ ગેરબંધારણીય લાગે ને હાઇકોર્ટને એ ન જ લાગે એ કેવું? સારું થયું કે સુપ્રીમે મરાઠાઓને અનામતનો કાયદો રદ્દ કર્યો. જો કે મહારાષ્ટ્ર સરકાર આ ચુકાદાથી દેખીતી રીતે જ ખુશ નથી ને તે કેન્દ્ર સરકારને રજૂઆત કરવાના મૂડમાં છે. જોઈએ કેન્દ્ર એનો કેવોક પડઘો પાડે છે તે ! કેન્દ્ર સરકાર પણ સુપ્રીમના આ ચુકાદાથી રાજી નહીં જ હોય, કારણ તેણે સવર્ણોમાં આર્થિક રીતે નબળા વર્ગ (ઇકોનોમિકલી વીકર સેક્શન – ઇ.ડબલ્યુ.એસ.) માટે 10 ટકા અનામતની જોગવાઈ કરેલી જ છે ને એ ટકાવારી પણ 50 ટકા ઉપરાંતની છે. આ ચુકાદો આવતા એ પણ રદ્દ થાય તો સરકારે આર્થિક રીતે નબળા સવર્ણોનો રોષ વહોરવાનો આવે એમ બને.

આમ જોવા જઈએ તો અનામત રાજકીય સ્વાર્થ સાધવાનો કીમિયો માત્ર છે. અનામતની શરૂઆત 1951માં બંધારણમાં સુધારો કરીને કરવામાં આવી. તે વખતે ઓ.બી.સી. માટે અનામતની વ્યવસ્થા કરાઈ. અનામત અંગે આંબેડકર માનતા હતા કે અલ્પસંખ્યકોનો નકાર જેમ યોગ્ય નથી, એમ જ અલ્પસંખ્યકો, અલ્પસંખ્યક જ બની રહે એ પણ યોગ્ય નથી. આંબેડકર દ્રઢપણે માનતા હતા કે શિક્ષણ સંસ્થાઓ અને નોકરીઓમાં માત્ર 30-40 વર્ષ સુધી જ અનામત અપાય ને એ અવધિ કોઈ પણ સંજોગોમાં વધારવામાં ન આવે. તેમનું એમ પણ કહેવું હતું કે પોતાનો વિકાસ કર્યા બાદ વિશેષ સમુદાયે બાકી સમાજમાં ભળી જવું ને વિશેષ દરજ્જો જતો કરવો. કમનસીબે એવું થયું નથી. અનામત અટકી નથી ને વિકાસ થયા પછી પણ લાભ લેવાનું ચાલુ જ છે.

અનામત સંદર્ભે કાલેલકર પંચ, મંડલ કમિશન, બક્ષી કમિશનની રચના થઈ અને વખતોવખત જુદી જુદી જ્ઞાતિનો સમાવેશ અનામતની યાદીમાં થતો ગયો, મંડલ કમિશને 3,743 જ્ઞાતિઓને ઓ.બી.સી.માં સમાવવાની ભલામણ કરી, પણ કાલેલકર પંચની જેમ જ મંડલ પંચની ભલામણોનો સંસદમાં સ્વીકાર ન થયો, છતાં 1990માં વી.પી. સિંહની સરકારે મંડલ પંચનો અમલ કર્યો. 2006 સુધીમાં 5,013 જ્ઞાતિઓનો ઓ.બી.સી.માં સમાવેશ થયો ને એ પછી પણ રાજ્ય સ્તરે જ્ઞાતિઓ ઉમેરાતી જ ગઈ છે. 1996માં દેવેગૌડા વડા પ્રધાન હતા ત્યારે સંસદમાં મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવ્યું. બિલમાં એમ કહેવાયું હતું કે અમલમાં આવ્યા પછી તેની અવધિ 15 વર્ષની જ હશે, પણ ગમ્મત એ થઈ કે 15થી વધુ વર્ષો વીતવાં છતાં એ બિલ પસાર જ ન થયું. 1998, 1999, 2002, 2003, 2008માં બિલ રજૂ થતું રહ્યું, પણ પસાર ન થયું. આમ અનામતની ટકાવારી વધતી રહે તો વાંધો નથી, પણ મહિલા અનામત બિલ પસાર કરવાનું હોય તો વાંધો પડે છે. છેને કમાલ !

મૂળ વાત દાનતની છે. અનામત લાગુ કરવામાં મૂળ હેતુ તો ગરીબ વર્ગને અનામતનો લાભ આપીને મુખ્ય પ્રવાહમાં લાવવાનો હતો, તે ન થયું, પણ જ્ઞાતિ, જાતિ, ધર્મના ભેદ સપાટી પર આવ્યા, પરિણામે સમાનતાનો મૂળ હેતુ જ બદલાઈ ગયો.

અનામત, મત મેળવવાનું સાધન બનતાં, રાજકીયપક્ષોએ લાભ અપાવવાની લાલચો આપી અમુક જ્ઞાતિઓને પાંખમાં લીધી ને એમ અનામતનો સરવાળો વધતો ગયો. એમાં સવર્ણો રહી જતા હતા એટલે મોદી સરકારે ઇકોનોમિકલી વીકર સેકશનને પાંખમાં લઈ વધુ 10 ટકાની લહાણી કરી. આ સગવડ 50 ટકા અનામત ઉપરાંત કરવામાં આવી. એમ લાગે કે હજી ક્યાંકથી મત મળે એમ છે તો કોઈ પણ પક્ષ કે સરકાર 100 ટકા અનામતની ઉપર જવામાં ય સંકોચ અનુભવે એમ નથી.

ખરેખર તો અનામત પૂરેપૂરી નાબૂદ કરવાની જરૂર છે. આમ પણ જે અવધિ માટે તે લાગુ કરવામાં આવી હતી તે પૂરી થઈ ગઈ છે ને જેમણે એનો લાભ લીધો તેમણે એને આજીવન અધિકાર માની લીધો છે એટલે એમને વિકાસ ઓછો જ લાગવાનો ને એ કદી કહેવાના નથી કે અનામત પાછી લઈ લો. ચોક્કસ જ્ઞાતિએ અનામતનો લાભ લઈને પોતાના જ બંધુઓને મદદ કરવાની આવી ત્યારે હાથ પાછળ ખેંચ્યો ને એમ એમાં ય એક જ જ્ઞાતિમાં વર્ગભેદ ઊભા કરવાનું પણ થયું.

અહીં એ પણ નોંધવા જેવું છે કે આંબેડકરે અનામતનો લાભ લીધો નથી. ઇન્દિરા ગાંધી, સુષમા સ્વરાજ, અબ્દુલ કલામ, રામનાથ કોવિંદ … જેવી વ્યક્તિઓએ અનામતનો લાભ લીધા વગર જ પોતાને સ્વબળે સિદ્ધ કરી છે. એની સામે અનામતનો લાભ ખાટીને કોણ રાષ્ટ્રપતિ કે વડા પ્રધાન થવા સુધી પહોંચ્યું છે તે જોઈશું તો સમજાશે કે અનામતે મદદ કરવાને બદલે વ્યક્તિને પાંગળી ને લોભી વધુ બનાવી છે.

એટલું છે કે મોટો રોગ ગરીબીનો છે ને તે કોઈ પણ જ્ઞાતિ, જાતિ કે ધર્મમાં હોઈ શકે છે. ગરીબ દલિત હોય તેમ બ્રાહ્મણ પણ હોય. એ ખરું કે દલિત વધુ શોષિત છે, બહિષ્કૃત છે, પણ એક કાળે એ હતું, હવે એમાં ફેર પડ્યો છે. વળી જે બહિષ્કૃત કે શોષિત છે તેમાં મૂળ કારણ તો ગરીબી જ છે ને એ જ ગરીબી સવર્ણને પણ છે. એટલે અનામતનું મુખ્ય કારણ આજે તો ગરીબી જ છે. એ ગરીબને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે આર્થિક મદદ જરૂરી થઈ પડે, તો ભલેને એ થાય, એનો વાંધો જ નથી. આર્થિક રીતે જે નબળા છે તે સૌને માટે અનામતની એક જ કેટેગરી હોવી જોઈએ ને બાકીની કેટેગરીઓ નાબૂદ કરવી જોઈએ. એટલું થશે તો જ્ઞાતિ, જાતિ, ધર્મ, વર્ગને નામે આખો દેશ વહેંચાયેલો ને ખેંચાયેલો છે તે સ્થિતિ દૂર થશે. રાજકીય પક્ષો અમુકતમુકને સાથે રાખીને જે ભેદભાવો વધારે છે તેમાં ફેર પડશે. એક વાત છે કે એકને આપો ને બીજાને ન આપો તો એક જ વર્ગમાં ભેદભાવ ને ઈર્ષા વધે, એને બદલે સમાન તક મળે તો સાથે રહીને બંને આગળ વધશે. આર્થિક રીતે નબળા વર્ગોની એક જ કેટેગરી નક્કી થશે તો રાજકીય પક્ષોએ મતોનું રાજકારણ ભૂલવું પડશે અને સરવાળે તેનો લાભ દેશને થશે. એટલું થશે તો જ્ઞાતિ, જાતિ, ધર્મ, વર્ગથી ઉપર ઊઠીને દેશ સાચા અર્થમાં એક થશે. આવી એકતા માટે પ્રાર્થના કરીએ …

0 0 0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 10 મે 2021

Loading

...102030...1,9031,9041,9051,906...1,9101,9201,930...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved