Opinion Magazine
Number of visits: 9676912
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us


આઝાદી

ભરત વિઝુંડા|Poetry|29 June 2021

દેશની  ભૌમિતિક આઝાદી,
ભોગવે  છે  પથિક આઝાદી.
કોઈ  માટે  જરીક આઝાદી,
કોઈને  છે  અધિક આઝાદી.
હોય દેશી  પ્રજા અને રાજા,
આ થઈ વાસ્તવિક આઝાદી.
જેમને છે અહીં કલામાં રસ,
માણવાના   રસિક  આઝાદી.
દેશમાં  કેદ  થઈ  જતી લાગે,
એવી  છે  આંતરિક આઝાદી.
રાતના ઊંઘ આવી જાય અને
જેને  સમજે  શ્રમિક આઝાદી.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2021; પૃ. 13

Loading

લૂઝ કનેક્શન (18) : અનીતિ, સ્વકેન્દ્રીયતા, ગાંડિયાવેડા

સુમન શાહ|Opinion - Opinion|29 June 2021

= = = =   અરીસામાં પોતાનો ચ્હૅરો કોને સુન્દર નથી લાગતો? ન લાગે તો વાળ આમ તેમ ગોઠવીને જાત સામે નાનું સ્મિત કરી આપે છે. છોકરીઓ હોઠથી હોઠ દબાવીને લાલાશ તપાસી લે છે. કેમ કે વત્તે-ઓછે અંશે, શું પુરુષ કે સ્ત્રી, આત્મરત અને સ્વકેન્દ્રી હોય છે = = = =

હું નીતિથી ન જીવતો હોઉં, અનીતિ આચરતો હોઉં ને વળી ક્રૂરતા દાખવું, દયા ન દાખવું, રાજકારણ ખેલું, તો દેખીતું છે કે કોઈ જોડે કનેક્શન થાય જ નહીં, હોય તે પણ લૂઝ પડીને તૂટી જાય.

હું સ્વકેન્દ્રી હોઉં ને મારામાં જ રાચતો હોઉં તો દેખીતું છે કે કોઈ જોડે કનેક્શન થાય જ નહીં, હોય તે પણ લૂઝ પડીને તૂટી જાય.

હું જ્યારે જે સૂઝે એ કરું, આવેગમાં આવી જઉં, બેપરવા થઈને ગાંડિયાવેડા કરતો હોઉં, તો દેખીતું છે કે કોઈ જોડે કનેક્શન થાય જ નહીં, હોય તે પણ લૂઝ પડીને તૂટી જાય.

આમ કહેવાનું મને આ રીતે ન સૂઝત. પણ મેં જાણ્યું કે અનીતિ, સ્વકેન્દ્રીયતા અને ગાંડિયાવેડા, એ ત્રણ લક્ષણો માણસનાં છે અને એમ કહે છે, મનોવિજ્ઞાનીઓ. હું મનોવિજ્ઞાનનો અભ્યાસી નથી પણ ઉપકારક કંઈક મળે તો અંકે કરી લેતો હોઉં છું.

માણસનાં એ ત્રણ લક્ષણોને મનોવિજ્ઞાનીઓએ નામ આપ્યાં છે : મૅક્યાવેલિયનિઝમ, નાર્સિઝમ, સાયકોપથી.

એટલું તો બરાબર, પણ મનોવિજ્ઞાનીઓ એમ કહે છે કે જીવનમાં સફળ થયેલી વ્યક્તિઓમાં આ ત્રણે ય લક્ષણો અથવા એક લક્ષણ તો જોવા મળે જ છે. સફળતાને સારુ એ લોકોએ અનીતિ આચરી હોય છે, ક્રૂરતાની હદે. સફળતાને સારુ એ લોકો સ્વના જ કેન્દ્રમાં જીવતા હોય છે. સફળતાને સારુ એ લોકો આવેગમાં આવીને બેપરવાઇ કરતા હોય છે.

મને વાત એ રીતે અચરજકારક લાગેલી કે આ ત્રણ તો મોટાં અપલક્ષણો છે છતાં જીવનમાં તેઓ સફળ થાય છે, બહુ ક્હૅવાય !

આપણા રાજનેતાઓમાં, કહેવાતા પણ્ડિતોમાં, નીતિવેત્તાઓમાં, સમાજસુધારકોમાં, ધરમીકરમીઓમાં, કલાકારોમાં, સાહિત્યકારોમાં આવા લક્ષણવન્તા ઘણા છે અને તેઓ સફળ પણ થયેલા છે.

મનોવિજ્ઞાને એ લક્ષણોની ઘણી આંટીઘૂંટીઓ દર્શાવી છે અને ખાસ્સો શાસ્ત્રવિસ્તાર કર્યો છે. પણ એ લક્ષણોને ટૂંકમાં આમ પણ વર્ણવ્યાં છે :

મૅક્યાવેલિયનિઝમ : એટલે એવી તાકાત કે જે વડે કોઈને પણ દબાવી દેવાય, અને તે માટે ક્રૂરતા પણ આચરી શકાય.

તમને કહું, ઇટલીમાં મૅક્યાવેલિ નામના રાજનીતિજ્ઞ-ફિલસૂફ થઈ ગયા. એમના રાજનીતિ-દર્શનમાં કેન્દ્રવર્તી વિચાર એ છે કે રાજકારણમાં નીતિ નથી હોતી. એક જ ‘નીતિ’ કે યેન કેન પ્રકારેણ સત્તા હાંસલ કરવી ! એ માટેનાં સાધનો ગમે એટલાં અનૈતિક હોય, વાંધો નહીં. ગંદું ગમે એટલું લાગે, ભલે લાગે. ક્રૂરતા આચરતાં ખચકાય નહીં. હિટલર તો બહુ મોટો દાખલો કહેવાય, પણ નાની સાઇઝના ય ક્રૂરતા બાબતે કમ નથી હોતા. વિરોધીની હત્યા માટે સોપારી આપી રાખે. બેહદના નિર્દયી થઈ શકે. અને, રાજકારણમાં બધું જ વાજબી ગણાય છે.

નાર્સિઝમ : એટલે સ્વાર્થીપણું, સ્વકેન્દ્રીયતા.

તમને કહું, નાર્સિસસ ગ્રીક પુરાણગાથાઓમાં વર્ણવાયેલો એક યુવાન છે. તે ખૂબ જ સુન્દર હતો, અનેકો એના પ્રેમમાં પડી ગયેલી, પણ એ તો એમને ગમાડતો ન્હૉતો, બલકે ધિક્કારતો’તો. કેમ કે એ પોતાની જાત સિવાય કોઈને પણ ચાહતો ન’તો, કહો કે આત્મરતિની મૂર્તિ હતો. સ્વાર્થી અને સાવ જ સ્વકેન્દ્રી.

એવા પાસે તમે સહાનુભૂતિની આશા રાખો તો છેતરાઈ જાવ. ઊલટું એ કે આપણી પાસે એ એનાં જ વખાણ પ્રશંસા ને સ્તુતિ માગ્યા કરતો હોય છે. ન આપો તો કિન્નો રાખે. ટીકાટિપ્પણી કરો, તો એમના પાળેલા કૂતરા તમારી પાછળ પડે ને તમને ફાડી ખાય. દુનિયામાં આછકલા કલાકારો અને તૂંડમિજાજી સાહિત્યજીવો બહુ મળી આવે છે, તેઓ આવા સ્વકેન્દ્રી હોય છે.

સાયકોપથી : સંમિશ્ર લક્ષણ. ભાવનાઓ ખરી પણ જડતા પણ એટલી જ. વળી, આવેગમાં જીવે, ભયાનક કામો ભયાનક રીતે કરી શકે.

સાયકોપાથ

Picture Courtesy : Big Think

તમને કહું, આવા સાયકોપાથ એટલે કે મનોરોગી, લાગે ગાંડિયા, પણ ઘાતક હોય છે. બહુ જ હાનિકારક. એઓ તમારું ભલું કરશે એમ માનવાની ભૂલ ન કરવી. ચસ્કેલ હોય છે. એમનો ભરોંસો નહીં, ગમે ત્યારે ગમે તે કરી બેસે. કેમ કે પોતાની વૃત્તિઓ પર કાબૂ નથી રાખી શકતા. ઇમ્પલ્સિવ હોય છે. મનોવિજ્ઞાનીઓ આ લક્ષણને ન્યૂરોસાયક્યાટ્રિક ડિસ્ઑર્ડર કહે છે.

મને થાય, નાનીમોટી અનીતિ તો કોણ નથી કરતું? અરીસામાં પોતાનો ચ્હૅરો કોને સુન્દર નથી લાગતો? ન લાગે તો વાળ આમ તેમ ગોઠવીને જાત સામે જરાક હસી આપે છે. છોકરીઓ હોઠથી હોઠ દબાવીને લાલાશ તપાસી લે છે. કેમ કે વત્તે-ઓછે અંશે, શું પુરુષ કે સ્ત્રી, આત્મરત અને સ્વકેન્દ્રી હોય છે. અને, માણસ જ આવેગમાં આવી જાય છે ને અને કરવાનું કરી બેસે છે, ખરું કે નહીં?

પણ માણસ માર બૂધું ને કર સીધું કરતોક ને જીવનમાં બસ સફળ થવા જ નીકળ્યો હોય, અને આમાંનું કંઈ પણ કરે એટલે અતિરેક થાય, અને એ અતિરેક માણસને માણસ ન રહેવા દે.

સફળતાની આવી આ આખી વાત જાણ્યા-સમજ્યા પછી હું બેચૅન થઈ ગયેલો. તરત મેં સફળતા સાથેનું મારું કનેક્શન તપાસ્યું. આમાંનું એકે ય લક્ષણ દેખાયું નહીં. એટલે મને પ્રશ્ન થયો કે શું હું નિષ્ફળ છું …એમ પણ થયું કે સફળતા એટલે શું …

ખરેખર તો, અહીં જેને સફળ કહ્યા છે તેવા નહીં, એવા નિષ્ફળે ય નહીં, પરન્તુ સામાન્ય રહીને માણસો સામાન્યપણે જીવી જાય એ જ મોટી વાત છે.

સામાન્યતા તમામ હ્યુમન કનેક્શન્સને ટાઇટ રાખે છે.

= = =

(June 26, 2021: USA)

Loading

“શબવાહિની ગંગા”

અંજલિ ધવલ મહેતા|Opinion - Opinion|28 June 2021

‘શબવાહિની ગંગા’ બેજવાબદાર સત્તાધારીઓના પ્રોટેસ્ટની કવિતા છે :

કોવિડની મહામારી દરમિયાન ભારતની સરકારે જે ગેરવ્યવસ્થા ઊભી કરી તેની પારુલે ‘શબવાહિની ગંગા’માં આકરી ટીકા કરી છે. આ કવિતાએ શાસકનો ચહેરો ખુલ્લો કર્યો છે. લાગણીવિહીન સરકાર સામેનો આ પ્રોટેસ્ટ છે. આ પ્રોટેસ્ટ કોઈ આંદોલનમાં પરિણમશે કે નહીં તેની આપણને ખબર નથી. આ કવિતાને કવિતા જ ના કહેવાય અને તેણે સમાજને છિન્નભિન્ન કરવાનું કામ કર્યું છે, તેવી આલોચના કરનારને જાગૃત લોકશાહી કેવી રીતે ચાલે છે, તેની ઝાઝી ખબર કે તમા હોય તેવું લાગતું નથી. ભારતમાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ કેવી રીતે હિન્દુ રાષ્ટ્રવાદ બની ગયો છે, તેની આપણને સૌને ખબર છે. આલોચક સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને કમિટેડ હોવાથી તેમને કદાચ એમ લાગતું હોઈ શકે કે પવિત્ર ગંગામાં અસંખ્ય મડદાં વહેતાં હોય તે દૃશ્ય બીભત્સરસ દર્શાવે છે. આ અંગેની કોઈ કવિતા હોઈ શકે નહીં. કવિતા મંગળકારી હોવી જોઈએ.

આત્માની અમરતા કે આલોચકની અકળામણ :

કવિતા આત્માની કળા છે, તે વિધાનને આધારે પારુલની કવિતા નિષ્ફળ નીવડી છે તેવો આ કવિતાના આલોચકનો મત છે. પરંતુ કવિતા એ આત્માની કળા છે, તે પોતે જ અર્થહીન વિધાન છે. આત્માની કળા એટલે શું? આત્મા કળા કરતો હશે? પારુલની કવિતામાં આત્માની કળા છે કે નહીં તેનો નિર્ણય કોઈ સત્તાધારી કરે? કવિતામાં આક્રોશ ના હોવો જોઈએ, તેવું પણ વિધાન તેઓ કરે છે. કવિતામાં શાંત રસ જ હોવો જોઈએ, તેવું તમે શેના આધારે કહો છો? આનંદશંકર બાપુભાઈ ધ્રુવની આ અંગેની માન્યતા તદ્દન આઉટડેટેડ છે. અત્યારની ઘણી કવિતાઓમાં સામાજિક અન્યાય માટેનો પ્રોટેસ્ટ રજૂ થાય છે. તેમાંથી દલિતોની જે બ્રિલિયન્ટ પ્રોટેસ્ટ મૂવમેન્ટ ઊભી થઈ તે આપણા સમાજની ઊજળી બાજુ છે. દલિત પ્રતિકાર કવિતાઓનું ધોરણ પણ ઘણું ઊચું છે. કવિતા કોને કહેવાય તે પ્રશ્નની ચર્ચા સદાય ચાલ્યા કરશે અને ચાલવી જોઈએ.

કોવિડની મહામારીએ સર્જેલા ઊંચા મૃત્યુદરના આઘાતથી પારુલની જેમ લાખો લોકો હલબલી ગયા છે. આ કવિતાનો ગૂઢાર્થ એ છે કે આ મૃત્યુ કુદરતી નહીં પણ માનવકૃત હતાં. ભારતની સરકારે કોવિડ અંગે વધુ સતર્કતા દાખવી હોત તો લાખો લોકો બચી જાત. આ કવિતા સરકારની હૃદયહીનતાને આક્રમક સ્વરૂપે રજૂ કરે છે. તેમાં સરકારનો ઇરાદો કે વિચારસરણીનું નિરૂપણ નથી, પરંતુ સરકારની નાગરિકો માટેની હૃદયહીનતાનું નિરૂપણ છે.

સમયનું ડાઇનેમિક્સઃ

કવિતામાં સમયનું પણ ડાઇનેમિક્સ છે. તેને ચાર ભાગમાં વહેંચી શકાયઃ ટાઇમ-૧માં કોવિડની મહામારીમાં હજારો અને લાખો લોકો સપડાયા છે. ટાઇમ-૨માં લાખો લોકો આ મહામારીમાં મૃત્યુ પામ્યા છે. ટાઇમ-૩માં અનેક મડદાંઓ ગંગા નદીમાં પ્રવાહિત થયાં છે. આ જ તેમના અંતિમસંસ્કારની વિધિ છે. ટાઇમ-૪માં ભલે મડદાં મૃતશરીરનાં હોય, પણ તેઓ એકી અવાજે ચિત્કાર કરે છે અને અપ્રત્યક્ષ રીતે સરકારને ખૂની ગણે છે. સમગ્ર કવિતા આ ટાઇપના ડાઇનેમિક્સથી પ્રભાવિત થઈ છે.

મિથિકલ કલ્પનો :

કવિએ પોતાના હૃદયની વેદના વ્યક્ત કરવા અનેક કલ્પનો – ‘મિથિકલ સિમ્બોલ્સ’ ઊભાં કર્યાં છે. તે વિના આ કવિતા છાપાના સામાચાર બની જાત. કવિએ જૂના આદર્શ રામરાજ્યનું કલ્પન ઊભું કરીને અત્યારની સરકારના રાજ્યને રામરાજ્ય કહી ટોણો માર્યો છે. તે ઉપરાંત કવિએ જમરાજાનાં ટોળાં લોકોના પ્રાણ લેતી વખતે કેવો મૃત્યુનો નાચ કરે છે, તેનું બિહામણું ચિત્રપણ ઊભું કર્યું છે. વળી, મડદાને જીવંત વ્યક્તિની જેમ ચંગાચંગાના પોકારો કરતાં દર્શાવ્યાં છે. મૃતદેહોને બાળવા માટેની ચીમની પણ થાકી ગઈ છે અને પોરો ખાય છે. મડદાં અને ચીમનીનું સજીવારોપણ આ કવિતાના સંદર્ભમાં યથાર્થ છે. આ તમામ સજીવારોપણો એન્થ્રોપોમોર્ફિક છે, જેના નેપથ્યમાં “કશું કામ નહીં કરતી સરકાર મડદાલ છે” તેવો ભાવ ઊભો કરવામાં કવિ સફળ થયા છે. સ્ત્રીઓ પતિના મૃત્યુ વખતે ચૂડલા તોડી નાખે છે અને ડાઘુઓ છાતીફાટ રુદન કરે છે, તે આ કવિતાના કરુણરસને વધુ ગાઢો બનાવે છે. રામરાજ્યના કલ્પન(ઇમેજ)ને સતત કેન્દ્રમાં રાખીને અત્યારના ‘નવા રામરાજ્ય’ની પારુલે મશ્કરી કરી છે અને કાવ્યના વાચકને તે સતત ભાન કરાવે છે કે અત્યારનું રામરાજ્ય કેવું ‘ડિસફંકશનલ’ છે. કવિએ આ સંદર્ભમાં રોવણહારા શબ્દ વાપર્યો છે, તે ઈનોવેટિવ છે. આ શબ્દ આપણને સર્વર્હારા (પ્રોલિટરીએટ)ની યાદ અપાવે છે. શુ સરકારને સર્વહારાની ચિંતા નથી?

આ કવિતા માત્ર હૃદયહીન સત્તાધારીના વિરોધને કારણે નહીં, પરંતુ કવિતાના ‘એથોસ’, ‘પેથોસ’ અને ‘લોગોસ’ને કારણે લોકભોગ્ય બની છે. પારુલે આ કવિતા દ્વારા સરકારની નિષ્ક્રિયતાને મસમોટો ફટકો માર્યો છે. સરકારની વસ્ત્રહીનતાની વાત પણ ચતુરાઈપૂર્વક આ કવિતામાં વણી લીધી છે અને સત્તાધારીનાં દિવ્યવસ્ત્રો અને દિવ્યજ્યોતિનાં વખાણ કર્યાં છે!! પરંતુ તેમ છતાં અત્યંત આક્રોશપૂર્વક સરકારને બિલ્લા-રંગા જેવી ખૂની ગણી છે. મિથ, સજીવારોપણ, એન્થ્રોપોમોર્ફિક ઇમેજરી વગેરેનું નેટવર્ક કવિતાને ઉપકારક નીવડ્યું છે. અને તેથી જ આ કવિતા લોકપ્રિય બની છે. દવાઓ અને ઑક્સિજનને અભાવે મરી જતાં દરદીઓને જોઈને આપણને સૌને અરેરાટી થાય તે સ્વાભાવિક છે. પારુલે આ અરેરાટીને કવિતામાં કલેક્ટિવ કૉન્શિયસનેસનો ભાગ બનાવી દીધી છે. કવિતાની શરૂઆત ડિપ્રેસ્ડ મૂડમાં થઈ છે, પરંતુ કવિતાને અંતે પારુલે એગ્રેસિવ મૂડ દર્શાવ્યો છે, જેને અંગ્રેજીમાં આપણે ‘righteous indignation’ કહી શકીએ.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2021; પૃ. 04

Loading

...102030...1,8701,8711,8721,873...1,8801,8901,900...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved