Opinion Magazine
Number of visits: 9571510
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગંતવ્ય

રૂપાલી બર્ક|Poetry|10 June 2021

ઊબડખાબડ વાંકાંચૂકાં
લાંબાટૂંકા રસ્તે
નાઝરૅથથી
બૅથલૅહૅમ ભણી
અપાર આકાશ
અફાટ ભૂમિ
પિતાની મજબૂરી
માતાની લાચારી
ને માના પેટમાં રહી
ગધેડાની તમારી સવારી.
ફરમાન વસ્તી ગણતરીનું
ને ટાણું તમારું જનમનું
હજારો હાંફળાફાંફળા
રોકાવવા ઠેકાણું શોધે.
આજે અહીં  કોવિડ ટાણે
સારવાર માટે
એક દવાખાનાથી
બીજા દવાખાને
દિલમાં લઈ આશા
દર્દીનાં સગાં
ખટખટાવે દરવાજા :
“જગા નથી, બીજે જાવ …”
ત્યારે ત્યાં એવો જ ઘાટ હતો ને?
નહીં તો શું કામ લેવો પડ્યો હોત
ગમાણમાં જન્મ તમારે?

e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

કવિતા અને અરાજકતા

સલિલ ત્રિપાઠી|Opinion - Opinion|10 June 2021

એવા તે કેવા લેખક કે જે એક લોકશાહીના નાગરિક હોય અને પોતાની સરકાર વાણીસ્વાતંત્ર્યતામાં માને છે એવા ભ્રમમાં હોય, અને સરસ મજાની સરકારના આશીર્વાદે મેળવેલો ઉચ્ચ હોદ્દો પણ ધરાવતા હોય અને તે છતાં ય જ્યારે એક સરકાર વિરોધી કવિતા લખાતી જુએ તો એને વખોડતી વખતે કવિનું નામ લેતાં અને પોતાનું નામ લખતા અચકાય? બેનામી કમ્પનીઓ તો કાળા બજારિયા ચલાવે, અને સહી કર્યા વગર ધમકી દેતા અને ટીકા કરતા જાસાચિઠ્ઠી જેવા પત્રો તો કાયર લોકો લખે. જો સંપાદકે પોતે કશું લખ્યું હોય તો એને ‘સંપાદકીય’ તો કહેવાય, ને?

પણ નનામા પત્રનું શું કરવું?

તે છતાં શબ્દસૃષ્ટિમાં “ના, આ કવિતા નથી; ‘કવિતા’નો અરાજકતા માટે દુરુપયોગ છે”  શીર્ષક હેઠળ એક નોંધ છપાઈ તો ખરી, જેમાં પારુલ ખખરની કવિતા, ‘શબ વાહિની ગંગા’ એક વિવેચકે ભભૂકતી આંખે વાંચી, થર થર કાંપતા હાથે એને વિષે એક નોંધ લખી છે. એ લેખમાં પારુલનું નામ નથી લીધું, પણ એમની કવિતાને કવિતા કહેતા સંકોચ બતાવ્યો છે, અને કવિતાની આસપાસ અવતરણ ચિહ્નો મુક્યા છે. એટલે આપણે પણ એમના વિવેચન ને ‘વિવેચન’ કહેવું રહ્યું.

એ ‘વિવેચન’ વાંચતા પહેલો વિચાર તો એ આવે કે ‘વિવેચક’ને પુષ્કળ ઈર્ષા થઇ હશે. સરકારની અહર્નિશ સેવા કરી હોય, પણ તે છતાં એમનું નામ સરકારના સમર્થકોના વર્તુળો સિવાય ક્યાં ય જાણીતું ન થયું હોય, તો દુઃખ થાય એ સ્વાભાવિક છે; વળી પાછી અદેખાઈ પણ આવે જ્યારે અમરેલી જેવા નાના શહેરનાં એક બહેન માત્ર ભારતભર નહિ, વિશ્વભર પ્રસિદ્ધિ પામી ચૂકે. કોઈ ગુજરાતી સાહિત્યકૃતિની બીજી ભાષામાં પ્રશંસા થાય ત્યારે ગુજરાતી સાહિત્ય અકાદમીને તો થવો જોઈએ આનંદ, પણ આમના પેટમાં તો જાણે તેલ રેડાયું હોય એમ લાગે છે!

આ ‘વિવેચન’મા કવિતાને ‘વિવેચક’ મહાશયે બંદૂક સાથે સરખાવી છે. એ તો ખરું કે બંદૂકની કિંમત તો બંદૂકનો ઉપયોગ કરનારા જાણે. આપણે યાદ કરવું રહ્યું કે 2019ના મે મહિનામાં અકાદમીના પ્રમુખ વિષ્ણુ પંડ્યાએ સાફસાફ કહ્યું હતું કે નથુરામ ગોડસે ગાંધી જેવા જ દેશપ્રેમી હતા. જે વ્યક્તિ ગાંધી અને ગોડસે વચ્ચેનો તફાવત સમજી ન શકે, એને વળી કલમ અને તલવાર, કે પેન અને હથોડી વચ્ચેનો ફરક કદાચ ન પણ જણાય.

વળી પાછું કહે છે કે પારુલની રચના કવિતા નથી પણ આક્રોશ છે. હવે એમાં કઈંક ગેરસમજ થઇ લાગે છે. હજારો નિર્દોષ લોકોનું મૃત્યુ જોઈ કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિ ઉત્તેજિત તો થાય જ, પણ એ આક્રોશ અભિવ્યક્ત કરવા કવિ પાસે હોય છે શબ્દ; બંદૂક તો નથુરામ જેવા લોકો વાપરે, કવિ નહિ. પણ જે પક્ષના નેતાઓ અને સમર્થકો દશેરાને દિવસે શસ્ત્રપૂજન કરતા હોય, એમને શબ્દ કે સરસ્વતી સાથે શું સંબંધ? એ તો એમના મંતવ્યનો વિરોધ કરનારને દુશ્મન જ સમજી બેસે!

જો કે આ ‘વિવેચક’ થોડા ખાનદાની છે. કવયિત્રીને દોષ નથી દેતા, એ એમની મહેરબાની. દોષ તો પ્રજાનો જ રહ્યો, કે લયબદ્ધ રૂંવાડા ઊભા કરી દે એવા શબ્દોથી ઉત્તેજિત થઇ લોકોએ આ કવિતા ઘેર ઘેર પ્રસરાવી. જેમ કાજલ ઓઝા વૈદ્યે એમની કટારમાં કહ્યું હતું ને, કે મહામારીમાં થયેલાં મૃત્યુનો વાંક સરકારનો થોડો કહેવાય? એ તો પ્રજાનો વાંક કારણ કે આપણે હાથ ન ધોયા, માસ્ક ન પહેર્યાં અને ગરદી કરવા મંડ્યા. એમાં બિચારી સરકાર શું કરી શકે? એ જ રીતે, પારુલે લખ્યું તે લખ્યું, આપણે જો એને ઈન્ટરનેટ પર ન ફેલાવત તો આ પ્રશ્ન જ ઊભો ન થાત. એટલે વાંક કોનો? તાળીઓના ગડગડાટ કરતી પ્રજાનો.

‘વિવેચક’શ્રીએ ઉદારતા પણ દાખવી છે, અને કહ્યું છે કે ભવિષ્યમાં જો પારુલ ‘વિવેચક’ની દ્રષ્ટિએ સુંદર કવિતા લખશે, તો ‘શબ્દસૃષ્ટિ’ જરૂર છાપશે. પણ એવી રચનાને  કવિતા કહેવી કે જોડકણું એ તો રામ જાણે! કાવ્ય માત્ર પ્રકૃતિ, પ્રેમ, અને પરમાત્મા જેવા ‘સુંદર’ વિષયો પર નથી લખાતું. કાવ્ય તો ભૂખ્યાજનોના જઠરાગ્નિ જગાડે છે, યાહોમ કરી ને આગળ પડવાની હાકલ દે છે, ઝેરનો છેલ્લો કટોરો પીવાની વિનંતી કરે છે, અને અન્યાય ન સાંખે એ દિવસને ગાંધી જયંતી ગણે છે. રાજાની પ્રશસ્તિ કરવી એ કવિનું કામ નથી; રાજાને અસ્વસ્થ કરવો – એ છે કવિનું કામ. પૂછી જુઓ ઓસિપ માંડેલશતામને, એના આખમાતોવાને, કિમ ચી હાને, મંગેશ પાડગાંવકરને, દારિન તાતુરને, લિઉ શીઆઓબોને, નઝીમ હિકમતને, કે સ્ટેલા ન્યાન્ઝીને. 

પારુલની કવિતામાં ધાર્મિક સંદર્ભનો ઉલ્લેખ છે, અને અન્યાય પ્રત્યે હતાશા છે, અને વ્યંગભર આક્રોશ પણ છે. એવી કવિતાને વામપંથી કહી ઉતારી પાડવી, કે લિબરલ જેવા ઉમદા શબ્દનો અપમાનરૂપે દુરુપયોગ કરવો, અને ‘લિટરરી નક્સલ’ જેવા હાસ્યાસ્પદ આક્ષેપ મુકવા, એ તો આ ‘વિવેચક’ની નબળાઈ, લઘુતાગ્રંથિ, અને બાલિશતા બતાવે છે. આવી ભાષા ‘શબ્દસૃષ્ટિ’ને શોભે નહિ.

જે દેશ મૃતદેહની ગણતરીનો હિસાબ ન રાખી શકે, જ્યાં અમીર પ્રજા માટે ડ્રાઇવ ઈન ટેસ્ટિંગ સેન્ટર રાતોરાત ઊભા થતા હોય, જ્યાં હોસ્પિટલને દરવાજે હાંફતા દરદીઓનું મૃત્યુ થાય, અને લોકો દવા, પ્રાણવાયુ, અને એમ્બ્યુલન્સ માટે રઘવાયા થઇ કાકલૂદી કરી ઇન્ટરનેટ પર વિનંતી કરતાં હોય, અને ત્યારે એ લોકોને સરકાર ધમકી દે, એવા  દેશ માટે શું કહેવું?

એ દેશની ખાજો દયા.

એવો તે કેવો તકલાદી સમાજ કે જે 14 પંક્તિના કાવ્યથી ધ્રુજી જાય અને ‘વિવેચક’શ્રીના શબ્દોમાં કહીએ તો “છિન્નભિન્ન” થઇ જાય?

જ્યારે અકાદમીની સ્વાયત્તતા વિષે ચર્ચા ચાલતી હતી, ત્યારે દૂર બેઠા મને થતું કે આ તો એક એકેડેમિક મુદ્દો છે. સિતાંશુ યશશ્ચન્દ્રે આપણને ચેતવ્યા હતા અને એમની દીર્ઘદ્રષ્ટિ સચોટ નીકળી. એમની ચેતવણી સાચી પડી. આ પૅન્ડેમિકને સમયે આપણે જોઈ લીધું કે સ્વાયત્તતા કોઈ એકેડેમિક મુદ્દો નથી.

કવિ તો આપણી સમક્ષ મૂકે છે એક અરીસો. અને એ અરીસામાં દેખાય છે આપણું સાચું પ્રતિબિંબ. કવિતા કઈં સેલફોન નથી, કે જેમાં તસ્વીર પાડ્યા પછી રંગની કે તડકા છાંયડાની ફેરબદલી કરી શકાય. જેવા હોઈએ તેવા દેખાઈએ.

“સેતાનિક વર્સીસ” નવલકથામાં સલમાન રુશ્દીએ લખ્યું હતું : “જેનું નામ લેતા બીક લાગે કે સંકોચ થાય એને દેવું નામ, જ્યાં થાય છેતરપિંડી ત્યાં દેવુ ધ્યાન, જ્યાં ઉપજે વિવાદ ત્યાં દેખાડવું વલણ, વિશાળ જગતને આપવો આકાર, અને દુનિયાને ઊંઘવા ન દેવી – એ છે કવિનું કામ.”

શબવાહિની ગંગા વાંચ્યા પછી જો વાચક વર્ગ ચોંકીને જાગે તો એને કહેવાય સવાર.

e.mail : salil.tripathi@gmail.com

Loading

ગ્લૅમરનો ઝળહળાટ + અસલામતીનો અંધકાર = મેરેલિન મનરો

સોનલ પરીખ|Opinion - Opinion|9 June 2021

કેલિફૉર્નિયાના ફોસ્ટર-હોમમાં છવ્વીસ વર્ષની ગ્લૅડિઝ બેકર ખોળામાં બે અઠવાડિયાની ફૂલગુલાબી દીકરીને લઈ બેઠી હતી. તેના સુંદર ચહેરા પર ગ્લાનિની છાયા હતી.

‘છોકરીનું નામ?’ ફોસ્ટર હોમની સંચાલિકાએ પ્રશ્ન કર્યો.

‘નોર્મા જિન મોર્ટેંસન,’ બેકર બોલી.

‘પિતાનું નામ?’ જવાબ આપ્યા વિના બેકર ઊભી થઈ. ઢીંગલી જેવી દીકરીને પારણામાં મૂકી ચાલતી થઈ.

એ પળથી નાનકડી નોર્માની અજબ વળાંકોવાળી પરીકથા જેવી જિંદગીની શરૂઆત થઈ. આ નોર્મા આગળ જતા મેરિલિન મનરોના નામથી પ્રસિદ્ધ થવાની હતી. 1 જૂને ગયેલા તેના જન્મદિન નિમિત્તે વાત કરીએ, ભવ્ય સફળતા અને વિરાટ અસલામતીના ઉદાહરણરૂપ એવી તેની જિંદગીની,  માત્ર 36 વર્ષની ઉંમરે તેણે કરેલી આત્મહત્યાની અને તેના સંકુલ વ્યક્તિત્વની.

તો, નાની નોર્મા ફોસ્ટર-હોમના શાંત, ધાર્મિક, શિસ્તબદ્ધ વાતાવરણમાં ઉછરવા લાગી. નોર્માની મા તેને મળવા આવતી ને ક્યારેક પોતાના હોલિવૂડ અપાર્ટમેન્ટમાં લઈ જતી પણ તેને સ્ક્રિઝોફેનિયાના હુમલા આવતા અને વારંવાર એસાઈલમમાં દાખલ થવું પડતું. નોર્માને ફોસ્ટર-હોમ્સ, અનાથાલયો અને પાલકો વચ્ચે ફંગોળાતાં રહેવું પડતું.

આ સ્થિતિમાંથી છૂટવા 1942માં, 16 વર્ષની ઉંમરે નોર્મા એક ફેક્ટરીમાં કામ કરવા લાગી અને તેની સાથે કામ કરતા જેમ્સ ડોબરીને પરણી ગઈ. દરમ્યાન એક ફોટોગ્રાફરે પાડેલી તેની તસવીરો જાણીતી થઈ અને તેની મોડેલિંગ કૅરિયર શરૂ થઈ. નોર્માની મા દસ વર્ષ મેન્ટલ હૉસ્પિટલમાં ગાળી બહાર આવી ત્યારે બીજું વિશ્વયુદ્ધ પૂરું થવાની તૈયારીમાં હતું. નોર્માએ છૂટાછેડા લઈ લીધા હતા, તે મોડેલિંગ કરતી હતી અને તેને ટ્વેંટીએથ સેંચુરી ફોક્સ સાથે કરાર કરી મેરેલિન મનરોના નામથી એક ફિલ્મ સાઈન કરી હતી. તેની માને આ પગલાંઓ ગમ્યાં નહીં. તે એક પરણેલા પુરુષને શોધી ક્યાંક ચાલી ગઈ.

મેરિલિન ખૂબ સુંદર હતી. કોમળ ચહેરો, મીઠો અવાજ અને સંઘેડાઉતાર શરીર – પોતાની આ સંપત્તિથી તે સભાન હતી અને તેનું નિ:સંકોચ પ્રદર્શન પણ કરતી. ટ્વેન્ટીએથ સેન્ચુરી ફોક્સ સાથેના કરાર પૂરા થયે તેણે ફરી મોડેલિંગ શરૂ કર્યું. કેલેન્ડર માટે આપેલા ન્યૂડ ફોટોગ્રાફે ફરી તેને ફિલ્મો અપાવી. જોતજોતામાં તે છવાઈ ગઈ.

1954માં તેણે નિવૃત્ત ફૂટબૉલ પ્લેયર ડીમીએગો સાથે લગ્ન કર્યાં. બન્ને વચ્ચે મેળ હતો જ નહીં – લગ્ન થયાં કે તરત બન્ને છૂટાછેડા લેવાનું વિચારવા લાગ્યાં, ને એક વર્ષમાં જ છૂટાં પડ્યાં. એ જ વર્ષે તેને જહોન કેનેડી સાથે પ્રેમ થયો. કેનેડી સેનેટર હતા, પ્રમુખની ચૂંટણી માટે તૈયારી કરતા હતા, સંબંધને જાહેરમાં સ્વીકારવા તૈયાર ન હતા. પ્રેમપ્રકરણ ‘ઓપન સિક્રેટ’ બની ચાલતું રહ્યું. સફળ ફિલ્મોની વણઝાર પણ ચાલુ જ હતી.

1956માં મેરિલિન પ્લે રાઈટર આર્થર મિલરના પ્રેમમાં પડી અને યહૂદી બની તેની સાથે લગ્ન કર્યાં. 1961માં બન્ને છૂટાં પડ્યાં. આ તેનાં સૌથી લાંબું ટકેલાં લગ્ન હતાં. આ જ વર્ષે ‘ધ મિસફિટ’ આવી. આ ફિલ્મ મિલરે ખાસ મેરિલિન માટે લખી હતી. ફિલ્મ રિલિઝ થઈ ત્યારે તે એક પરિણીત ફ્રેંચ અભિનેતાના પ્રેમમાં હતી અને પ્રેગ્નન્ટ થઈ હતી. તેની સગર્ભાવસ્થાની તસવીરો તેની ખાસ મિત્ર ફ્રિએન્ડા પાસે હતી. આ તસવીરો તેના મૃત્યુ પછી તેના સામાનમાંથી મળી અને ઊંચા ભાવે વેચાઈ. મેરિલિનને બાળકો ગમતાં, પણ થયાં નહીં. બેફામ જીવનશૈલી અને વારંવાર કરાતા ગર્ભપાતોએ તેનું શરીર ડખોળી નખ્યું હતું.

1962માં ‘સમથિંગ ગોટ ટુ ગિવ’નું શૂટિંગ શરૂ થયું. તે બીમાર રહેતી, તો પણ  આ જ વર્ષના મે મહિનામાં તે ન્યૂ યૉર્ક ગઈ અને એક ભવ્ય સમારંભમાં પ્રમુખ જહોન કેનેડી માટે ‘હૅપી બર્થ ડે પ્રેસિડેન્ટ’ ગીત ગાયું. જૂન મહિનામાં મેરિલિનને ફિલ્મમાંથી પડતી મુકાઈ. ફરી તેને ફિલ્મમાં લીધી પણ શૂટિંગ થયું નહીં. ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં 36 વર્ષની મેરિલિન મનરો પોતાના લૉસ એન્જલિસના ઘરમાં મોટા પ્રમાણમાં બાર્બિચ્યુરેટ્સ (ઊંઘવાની ગોળીઓ) લઈ મૃત્યુ પામી.

મૃત્યુના દિવસે તેણે એક કલાક ડૉક્ટર સાથે વાત કરી હતી. ‘મને ગૂંગળામણ થાય છે, ડૉક્ટર!’ આવું તે ઘણી વાર કહેતી. ‘ખુલ્લામાં ફરી આવ.’ ડૉક્ટરે પણ તેને એ જ જવાબ આપ્યો જે તેઓ ઘણી વાર આપતા. રાત્રે ત્રણ વાગ્યે તેના રૂમમાં લાઈટ સળગતી જોઈ તેની હાઉસકીપરે બારણું ઠોક્યું. ન ખૂલ્યું એટલે ડૉક્ટરને બોલવ્યા. બારી તોડી જોયું તો મેરિલિન લગભગ વસ્ત્રહીન અવસ્થામાં મૃત પડી હતી. હાથમાં ફોનનું રિસિવર પકડેલું હતું. મૃત્યુ ‘સંભવિત આત્મહત્યા’ ગણાયું. એક થિયરી પ્રમાણે તે પ્રમુખ જહોન કેનેડી સાથેના પોતાના સંબંધો જાહેર કરી ન દે તેથી અને બીજી થિયરી પ્રમાણે તે એટર્ની જનરલ રોબર્ટ કેનેડીના કોઈ કાવતરાનો ભાંડો ન ફોડી દે તેથી તેની હત્યા કરવામાં આવી હતી. જો કે તેના પુરાવા મળ્યા નહીં, પણ અફવા બહુ ચગી હતી.

મેરિલિન મનરોએ 23 ફિલ્મોમાં કામ કર્યું હતું. તેની લોકપ્રિયતા અને સંપત્તિ તેના જમાનાના બધા કલાકારો કરતાં ઘણાં વધારે હતાં. તેની ઈમેજ શરૂઆતમાં કમઅક્કલ, માદક અને લોભામણી સુંદરીની હતી. અમેરિકાના પ્રમુખ જહોન કેનેડી ઉપરાંત માર્લોન બ્રાંડો, ફ્રાંક સિનાત્રા, ઈલિયન કર્ઝન સહિત અનેક મોટાં માથા મેરિલિનના પ્રેમમાં હતાં. એક સ્રોત આ સૂચિમાં આલ્બર્ટ આઈન્સ્ટાઈનનું નામ પણ મૂકે છે. પછીનાં વર્ષોમાં તેનું વ્યક્તિત્વ ખીલ્યું, પણ આડેધડ જીવાઈ રહેલી જિંદગી અને બનતા-તૂટતા સંબંધોને લીધે હોલિવૂડના દબાણો વચ્ચે અસ્તિત્વ ટકાવવા મથતી એક પ્રસિદ્ધ ને ગ્લૅમરસ પણ દુ:ખી ને વેરવિખેર સ્ત્રી તરીકે આકાર લેતું ગયું. તે ભીતરથી વલોવાતી રહી, મનોચિકિત્સકો અને દવાઓના શરણે ગઈ. સેટ પર ખૂબ મોડી આવતી, ક્યારેક દિવસો સુધી બાર્બિચ્યુરેટ્સના ઘેનમાં ઊંઘ્યા કરતી. તેની અપરંપાર લોકપ્રિયતાને લીધે ફિલ્મસર્જકો આ બધું ચલાવતા પણ કારકિર્દી હાલકડોલક તો થતી રહેતી.

એક તરફ એકલતા, અસલામતી અને પ્રબળ ઊર્મિશીલતા; બીજી તરફ સફળતા, નાણાંની રેલમછેલ અને ગ્લેમરની ઝળહળ. એક બાજુ લાગણીઓની ભયાનક ઊથલપાથલ, બીજી બાજુ ઈમેજ ટકાવવાની જીવલેણ મહેનત – સંયોજન કંઈક એવું થયું કે જીવ લઈને ગયું. અકાળ અને રહસ્યમય મૃત્યુએ તેને અમેરિકન સંસ્કૃતિપ્રતિમા તરીકે ઉચ્ચ સ્થાને સ્થાપી અને અમર બનાવી. ‘ધ એમ્પ્ટી ગ્લાસ’ના લેખક તેના મૃત્યુને 20મી સદીની સૌથી મોટી રહસ્યમય ઘટના કહે છે. હોલિવૂડમાં સુંદર અભિનેત્રીઓનો તોટો નથી, પણ મેરિલિનની કક્ષાનું સૌંદર્ય અને તેના જેટલું જટિલ વ્યક્તિત્વ ભાગ્યે જ કોઈનું હશે. તેના મૃત્યુને અડધી સદીથી પણ વધારે સમય થઈ ગયો છે, પણ લોકો તેને ભૂલ્યા નથી. તેનાં વસ્ત્રો, પત્રો, તસવીરોનું લીલામ થાય ત્યારે ઊંચા ભાવે તેને ખરીદી લેવા પડાપડી થાય છે. આવી જ પડાપડી તેની ફિલ્મો જોવા માટે થતી.

મેરિલિન તેના અજબ જીવનમાંથી શું શીખી હશે, શું પામી હશે, કયા ખાલીપાથી આટલી નાની ઉંમરે જીવનનો અંત આણ્યો હશે? તેણે પ્રસંગોપાત જે કહ્યું છે તે ઘણું સૂચક છે : ‘બિઈંગ અ સેક્સ સિમ્બૉલ ઈઝ અ હૅવી લોડ ટુ કેરી એસ્પેશ્યલી વ્હેન વન ઈઝ ટાયર્ડ, હર્ટ એન્ડ બિવાઈલ્ડર્ડ.’ ‘હું આંખ બંધ કરું અને હોલિવૂડ વિશે વિચારું તો મને એક ખૂબ જાડી, ભૂરી, ઉપસેલી નસ દેખાય છે.’

મેરેલિન મનરો પર અનેક પુસ્તકો લખાયાં, ડઝનેક ફિલ્મો બની. મધુબાલા અને મેરેલિન મનરોને વારંવાર સરખાવાય છે. દુ:ખી બાળપણ, અસાર સંબંધો, ગ્લેમરના ઝળહળાટ પાછળની અસલામતી અને અકાળ મૃત્યુ – બંનેનું જીવન આ જ હતું. મેરિલિન કહેતી, ‘સમર્થ પુરુષને સ્ત્રીને તાબે કરવી પડતી નથી. પોતાના પ્રેમમાં અસહાય થયેલી સ્ત્રી પર શાસન ચલાવવાને બદલે એ એની શક્તિને દુનિયા સામે લડવામાં વાપરે છે.’ ‘સાચો પ્રેમી એ છે જે અછડતા સ્પર્શથી, આંખોમાં આંખ પરોવવાથી, કે પછી બાજુમાં હોવા માત્રથી રોમાંચિત કરી શકે.’ ‘પ્રેમ દુર્લભ છે. જિંદગી વિચિત્ર છે. કશું ટકતું નથી. માણસો બદલાઈ જાય છે.’ ‘હું ફેસલિફ્ટ કરાવ્યા વિના જ વૃદ્ધ થવા માગું છું. મારામાં મેં જ બગાડી મૂકેલા ચહેરાને જોવાની હિંમત હોવી જોઈએ.’ ‘હું સ્વાર્થી, અઘરી, અસલામત, ભૂલો કરતી, કાબૂ ગુમાવતી અને સંભાળવી મુશ્કેલ બને તેવી છું. પણ જો તમે મને મારા સૌથી ખરાબ તબક્કામાં સંભાળી ન શકો તો તમે મારું શ્રેષ્ઠ મેળવવાને લાયક નથી.’

e.mail : sonalparikh1000@gmail.com

Loading

...102030...1,8581,8591,8601,861...1,8701,8801,890...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved