Opinion Magazine
Number of visits: 9571621
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દેશનો વારસો સાચવતા ‘નેશનલ આર્કાઇવ્ઝ ઑફ ઇન્ડિયા’ પર તોળાતું જોખમ ..

કિરણ કાપુરે|Opinion - Opinion|11 June 2021

નેશનલ આર્કાઇવ્ઝ ઑફ ઇન્ડિયા [એન.એ.આઈ.] પર જોખમ ઊભું થયું છે. દેશના ઐતિહાસિક દસ્તાવેજને સુરક્ષિત રાખતું ‘એન.એ.આઈ.’ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના ભાગરૂપે જોખમમાં મૂકાયું છે. જો આમ થાય તો દેશના પ્રમાણિત દસ્તાવેજને નુકસાન પહોંચે અને ઇતિહાસની અનેક કડીઓ નામોનિશાન નહીં રહે. આ કારણે દેશ-વિશ્વની નામી 3,800 જેટલી હસ્તીઓએ તેનો વિરોધ દર્શાવતી ઓનલાઈન પિટીશન દાખલ કરી છે. આ પિટીશનમાં ‘એન.એ.આઈ.’ની ઇમારતને તોડી પાડવા અને તેની દેખરેખના હસ્તાંતરણ અર્થે ચિંતા જતાવવામાં આવી છે. 17 મેના રોજ થયેલી પિટીશનમાં ‘એન.એ.આઈ.’ સંદર્ભે સરકાર વતી આવેલાં જુદા જુદા નિવેદનોથી અસ્પષ્ટતા નિર્માઈ છે તેને દૂર કરવા અંગે માંગણી કરવામાં આવી છે.

નેશનલ આર્કાઇવ્ઝ ઑફ ઇન્ડિયાને બચાવવા કેમ દુનિયાભરથી લોકો આગળ આવી રહ્યાં છે? શું છે તેનું મૂલ્ય? ‘એન.એ.આઈ.’ને જો નુકસાન થશે તો તેની ભરપાઈ કેમ નહીં થઈ શકે? આ સંસ્થાના સુરક્ષા પર કેમ એકાએક જોખમ આવી ગયું? ‘એન.એ.આઈ.’ના નવનિર્માણથી શું દેશનો ઇતિહાસ અલગ દૃષ્ટિથી બતાવી શકાય? … આવી અનેક શક્યતાઓ દર્શાવીને ‘એન.એ.આઈ.’નું મહત્ત્વ લોકોને સમજાય તે અર્થે પ્રયાસ થઈ રહ્યા છે. આ પ્રયાસની પૃષ્ઠભૂમિકામાં જે તથ્ય છે તે હવે સમજીએ. એક અંદાજ મુજબ દેશની અનેક સદીઓનો ઇતિહાસ અહીં સચવાયેલો છે. આમાં 45 લાખ જેટલી ફાઈલો સંગ્રહિત છે; 25,000 અલભ્ય હસ્તલિખિત દસ્તાવેજ છે; એક લાખ નકશાઓ છે; કરારો છે; ત્રણેક લાખ અનુઆધુનિક દસ્તાવેજ છે અને હજારોની સંખ્યામાં ખાનગી દસ્તાવેજો અહીં છે. અહીં સુરક્ષિત દસ્તાવેજો વર્ષોથી, દાયકાઓથી અને સદીઓ જૂનાં છે. આવાં દસ્તાવેજોને લાંબા સમય સુધી સાચવવા અર્થે નિષ્ણાંતોની દેખરેખ જરૂરી છે. આ બધામાં એક કાગળની પણ હેરફેર થાય તો તે નુકસાન ભરપાઈ થઈ શકે એમ નથી.

નેશનલ આર્કાઇવ્ઝ ઑફ ઇન્ડિયામાં દસ્તાવેજોની સંખ્યાથી સંભવત્ તેના મહત્ત્વને સ્થાપિત ન કરી શકાય; પણ આ સંસ્થાનો ઇતિહાસ જાણીએ-સમજીએ તો ખ્યાલ આવી શકે કે આ સંસ્થા દ્વારા દેશ માટે કેટલી અગત્યતા ધરાવે છે. જેમ કે, અહીં ઇ.સ. 1748થી વર્ષવાર રેકોર્ડ સચવાયેલા છે. અંગ્રેજી, અરેબિક, હિન્દી, પર્સીયન, સંસ્કૃત અને ઉર્દૂ જેવી વિવિધ ભાષાના અહીં દસ્તાવેજો છે. આ રેકોર્ડના ચાર વિભાગ પાડવામાં આવ્યા છે. આ વિભાગમાં પબ્લિક રેકોર્ડ્સ, ઓરિએન્ટ રેકોર્ડ્સ, મેનુસ્ક્રિપ્ટ્સ અને પ્રાઇવેટ પેપર્સ છે. 1998માં રાષ્ટ્રપતિ કે.આર. નારાયણ દ્વારા ‘એન.એ.આઈ.’ના મ્યુઝિયમ વિભાગને લોકો માટે ખુલ્લુ મૂક્યું અને તે પછી જ લોકો તેની મુલાકાત લઈ શક્યા. આ સંસ્થા નિર્માણ પામી તેમાં અંગ્રેજોનું જ યોગદાન રહ્યું છે. અંગ્રેજો કોઈ પણ બાબતનું દસ્તાવેજીકરણ કરવામાં પાવરધા રહ્યા છે. બધું જ પદ્ધતિસર લખવું, સાચવવું તેમના લોહીમાં છે અને એટલે જ આજે પણ અંગ્રેજો દ્વારા તૈયાર થયેલાં અલભ્ય દસ્તાવેજ ઉપલબ્ધ છે, પરંતુ તે પછીના અનેક મહત્ત્વના દસ્તાવેજ આપણે સાચવી શક્યા નથી. અંગ્રેજો માનતા કે દરેક બાબત લખવી જોઈએ. તેમના માટે દરેક હૂકમ, યોજના, નીતિગત નિર્ણયો, સહમતિ, તપાસને સ્પષ્ટ શબ્દોમાં લખવાનું ખૂબ જરૂરી ગણાતું. આમ કરવાથી જ કોઈ પણ મુદ્દાનો અભ્યાસ થઈ શકે અને તે પછી તેના વિશે તર્ક-વિતર્ક પણ થઈ શકે. આ જ કારણે સમજદારીપૂર્વક માહિતી એકઠી કરવાની, તે સંદર્ભે ટિકા-ટિપ્પણી કરવાની એક સંસ્કૃતિ જન્મી. તેઓના શાસનમાં આર્કાઇવ્ઝ ઑફ ઇન્ડિયાનો જન્મ થયો. પહેલાં આ સંસ્થાનું ઠેકાણું કલકત્તા હતું અને 1891માં તેની સ્થાપના થઈ. પછીથી વીસ વર્ષે નેશનલ આર્કાઇવ્ઝને દિલ્હી લાવવામાં આવી અને 1926માં તેને નવી ઇમારત મળી. અંગ્રેજોના પ્રતાપે ભારતનો પણ અગાઉનો ગુમનામીભર્યો ઇતિહાસ તેમાં સચવાતો ચાલ્યો ગયો અને જ્યારે અંગ્રેજો અહીંથી વિદાય થયા ત્યારે તો નેશનલ આર્કાઇવ્ઝ ઑફ ઇન્ડિયા વિશ્વની સૌથી સમૃદ્ધ દસ્તાવેજીત સાચવતી સંસ્થા તરીકે ખ્યાતિ પામી ચૂકી હતી.

દેશના દસ્તાવેજોને સાચવતી આ પ્રકારની આર્કાઇવ્ઝ એ રાજ્ય અને નાગરિકોનો સંબંધ પણ દર્શાવે છે. નાગરિકોની માહિતી નોંધવી, તેને સાચવવી અને સમય આવે તેનો ઉપયોગ કરવો તે વહિવટીકાર્ય માટે અત્યંત ઉપયોગી પ્રેક્ટિસ છે. અને જ્યારે નેશનલ આર્કાઇવ્ઝમાં કશુંક બદલાવ લાવવાની વાત આવે ત્યારે તે ચર્ચાનો વિષય બને છે. અમેરિકામાં જ હાલમાં જ્યારે ત્યાંની નેશનલ આર્કાઇવ્ઝ અન્ય શહેરમાં ખસેડવાની વાત આવી ત્યારે તે અંગે પૂરતો સંવાદ થાય તે માટે લોકોએ સરકાર પાસેથી ખાતરી માંગી હતી. સરકારે લોકોની આ માંગણીનો સ્વીકાર પણ કર્યો હતો.

નેશનલ આર્કાઇવ્ઝ ઓફ ઇન્ડિયા કેવી રીતે ઇતિહાસને આપણી સમક્ષ મૂકી આપે છે તે હાલમાં આવેલા એક ન્યૂઝ પરથી સમજી શકાય. કોરોનાની મહામારીમાં ગંગા અને અન્ય ઉત્તર ભારતની નદીમાં મૃતદેહ વહાવી દેવાની ઘટના બની હતી. હવે આ ઘટનાનો એક સંદર્ભ 1918ના ઇન્ફ્લુએન્ઝાની મહામારી દરમિયાન પણ મળે છે. તે વખતે અંગ્રેજ અધિકારીઓ વચ્ચે થયેલાં એક પત્રવ્યવહારમાં નર્મદા નદીમાં આ જ રીતે લોકો પોતાના સ્વજનોને વહાવી દેતાં તેવો ઉલ્લેખ છે. જો નેશનલ આર્કાઇવ્ઝ જેવી કોઈ વ્યવસ્થા ન હોય તો ભૂતકાળમાં આપણાં જ દેશમાં આવી ઘટના બની હતી તે આપણે જાણી ન શકીએ. નર્મદામાં મૃતદેહ વહાવાની વાત તત્કાલિન અંગ્રેજ અધિકારીઓએ ખૂબ જ વિસ્તૃત રીતે લખી છે અને તેમાં ક્યાં ક્યાં મુશ્કેલી આવી રહી છે તે પણ તેમણે રિપોર્ટમાં દર્શાવી છે.

નેશનલ આર્કાઇવ્ઝ ઓફ ઇન્ડિયાના સુરક્ષિતતાને લઈને હાલમાં જ પ્રશ્ન ખડા થયા છે તેવું પણ નથી. અગાઉ પણ ‘એન.એ.આઈ.’ને દેખરેખને લઈને નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે. જેમ કે ‘વ્હાઇટ મુઘલ’ પુસ્તક લખનારા વિલિયમ ડાર્લીમ્પલ જ્યારે ‘એન.એ.આઈ.’ની મુલાકાત લીધી ત્યારે તેમણે જોયું કે હૈદરાબાદ રેસિડન્સી રેકોર્ડના છસ્સો જેટલાં ગ્રંથો અસ્તવ્યસ્ત પડ્યા હતા. વરસાદની સિઝનમાં પુસ્તકોની આ સ્થિતિ જોઈ વિલિયમે તેની સાચવણી થાય તે માટે અરજ કરી. યોગ્ય રીતે સાચવણી થાય તે માટે આ ગ્રંથો મોકલી આપવામાં આવ્યાં. જો કે વિલિયમનું કહેવું છે કે પછી તેમણે આ ગ્રંથોને ક્યારે ય જોયા નથી. આ ઉપરાંત પણ ‘એન.એ.આઈ.’માં ઉપલબ્ધ દસ્તાવેજના ટ્રેકિંગના પ્રશ્ન છે. ‘એન.એ.આઈ.’ની અરાજક વ્યવસ્થા વિશે ‘ધિ વાયર’ ન્યૂઝ પોર્ટલમાં વિસ્તૃત અહેવાલ આપ્યો છે.

નેશનલ આર્કાઇવ્ઝ ઓફ ઇન્ડિયાનાં દસ્તાવેજોને હવે ઓનલાઈન કરવાનો એક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. ‘અભિલેખ પાતાલ’ નામની વેબસાઇટ પર ‘એન.એ.આઈ.’ના ઓનલાઈન ડોક્યુમેન્ટશનની વિગત મેળવી શકાય છે. આ પહેલ થઈ છતાં તેનું કામ ખૂબ ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. આ ઉપરાંત રાજ્યવાર પણ આ રીતે ડોક્યુમેન્ટેશન સુરક્ષિત રહે તે માટે પ્રયાસ થઈ રહ્યા છે. અત્યાર સુધી જે માત્ર દિલ્હીના નેશનલ આર્કાઇવ્ઝ ઓફ ઇન્ડિયામાં જ સચવાય છે તે અન્ય રાજ્યોમાં પણ સુરક્ષિત રહી શકે તેવી વિકેન્દ્રીત વ્યવસ્થા ઊભી થાય તે માટે પ્રયાસ થઈ રહ્યા છે. જો કે ડોક્યુમેન્ટશનની બાબતમાં આપણા દેશની માનસિકતા નબળી રહી છે. વિશેષ પ્રયાસ કરીને આ પ્રકારના દસ્તાવેજોને સુરક્ષિત રાખવાની આપણી પ્રેક્ટિસ દેખાતી નથી. અંગ્રેજોના કારણે ડોક્યુમેન્ટેશન સાચવવાની પ્રથા આપણે ત્યાં આરંભાઈ.

ઇતિહાસ વિતેલા સમયને જોઈ શકવાનું દર્પણ છે જે આગળનો માર્ગ દર્શાવે છે. ભારતની સંસ્કૃતિનાં મૂળિયાં ઊંડાં છે અને વિશ્વની આરંભિક સંસ્કૃતિઓમાં ભારતનો સમાવેશ થાય છે. ભારતીય ઐતિહાસિક વારસો એટલો સમૃદ્ધ છે કે નેશનલ આર્કાઇવ્ઝ ઓફ ઇન્ડિયા જેવી અનેક સંસ્થાઓની આપણે ત્યાં આવશ્યકતા નિર્માય. અને આમ થવું એટલાં માટે જોઈએ કારણ કે ઇતિહાસનું મહત્ત્વ જે સમજ્યા છે તેઓ જ કાળક્રમ પૂર્વે થયેલી ભૂલોનું પ્રમાણ ઘટાડતા થયા છે. નેશનલ આર્કાઇવ્ઝ ઓફ ઇન્ડિયા ભારતીય વારસાનું પૂરું ચિત્ર ભલે ન આપી શકે પણ પાછલી ચાર સદીનું અલભ્ય કહી શકાય તેવી અનેક બાબતો તેમાં સંઘરાયેલી પડી છે. આ સંગ્રહ સચવાય તેની જવાબદારી માત્ર સ્કોલરોની નથી, બલકે સામાન્ય જને પણ તેના અસ્તિત્વ ટકાવવા અવાજ બુલંદ કરવો જોઈએ. તેમ ન થાય તો આપણી આસપાસના જ કેટલાંક સત્યો ક્યારે ય આપણી સમક્ષ આવી નહીં શકે.

e.mail : kirankapure@gmail.com

Loading

રે’શું અમેય ગુમાનમાં, હરિ સંગ નહીં બોલીએ

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|10 June 2021

હૈયાને દરબાર

મીરાં કાવ્યો કે મીરાં ગીતો એ સાહિત્યનો એક આખો વિષય થઈ શકે એટલી સમૃદ્ધિ મીરાંના વ્યક્તિત્વમાં અને એમનાં પદો, ભક્તિગીતો તથા એમના વિશે લખાયેલાં ગીતોમાં છે. ભગવાન કૃષ્ણ જેમ ઘણી વાર આપણા વિચારોમાં આપોઆપ પ્રગટે એમ રાધા-કૃષ્ણ ને મીરાંનાં ગીતો ય અનાયાસે યાદ આવી જાય. રમેશ પારેખની આવી જ એક રચના યાદ આવી અને સાથે સ્મરણ થયું એ ગીતની ગાયિકા જાહ્નવી શ્રીમાંકરનું. ‘રે’શું અમે ય ગુમાનમાં …’ ગીત મીરાંની ખુમારીનું ગીત છે. રમેશ પારેખના આ ગીતને સ્વરબદ્ધ કર્યું છે સંગીતકાર સુરેશ જોશીએ.

આ ગીતના સર્જન વિશે સુરેશ જોશી કહે છે, ‘તમે નહીં માનો, પણ આ ગીત મારી ટીનેજમાં મેં કમ્પોઝ કર્યું હતું. એ વખતે કદાચ ગીતના શબ્દો પૂરા સમજાયા નહીં હોય અને રાગદારીની સમજ પણ કેળવાઈ નહીં હોય છતાં ગીત બની ગયું. એ માલકૌંસ અને ચંદ્રકૌંસ રાગના સંયોજનમાં બન્યું એ તો પછી ખબર પડી. પાંચ-છ વર્ષ પહેલાં જાહ્નવી શ્રીમાંકરે મ્યુઝિક આલબમ માટે આ ગીત ગાયું હતું. થોડા વખત પહેલાં મેં આ જ ગીત ફરીથી રાગ દરબારીમાં પણ સ્વરબદ્ધ કર્યું છે. ગીતનો ભાવાર્થ ખૂબ સરસ છે. શરૂઆતમાં તો મીરાંનાં ગુમાન અને રિસામણાની વાત લાગે પણ છેલ્લી પંક્તિઓમાં વાત બદલાઈ જાય છે. મીરાં અંતમાં કહે છે કે ‘આ ભર વસંતમાં, જીવતર દઈ દેશું દાનમાં; હરિ સંગ નહીં બોલીએ …!’ આમાં જીવનની વસંતની વાત અભિપ્રેત છે કે મીરાં પોતાનું યૌવન સુધ્ધાં દાનમાં આપી દેવા તૈયાર છે, પણ હરિ સંગ બોલશે તો નહીં જ! ત્યાગ, બલિદાન અને સમર્પિતતાનાં મીરાં કાવ્યો કરતાં આવું ખુમારીનું મીરાં ગીત અલગ છાપ ઊભી કરે છે. રમેશ પારેખના કાવ્યસંગ્રહ ‘મીરાં સામે પાર’ પરથી એક નાટક ‘મીરાં’ પણ તૈયાર થયું હતું, જેમાં ર.પા.નાં મીરાં ગીતો સ્વરબદ્ધ કરીને મેં અન્ય ગાયકો સાથે રજૂ કર્યાં હતાં. આ ગીતમાં મીરાંનો ગર્વ છે એ ગીતને નવું પરિમાણ આપે છે.’

મીરાંબાઈ મધ્યકાલીન સંત કવયિત્રી. સ્ત્રીસંતોમાં ઝળહળતું નામ એટલે મીરાં. નરસિંહ અને મીરાં ઉપર જેમણે ખૂબ સંશોધન કર્યું છે એવા જવાહર બક્ષી પાસે મીરાં વિશે અઢળક માહિતીઓ છે. મીરાંબાઈ વિશેના એક વક્તવ્યમાં જવાહર બક્ષીએ જણાવ્યું હતું કે, ‘મીરાં બહુ સૌંદર્યવાન રાજકુંવરી હતી. ભક્તિમાં તરબોળ અને રાજપૂતાના પરંપરા પ્રમાણે નૃત્ય અને સંગીત શીખેલી. નરસિંહ મહેતાનાં સો વર્ષે રાજસ્થાનની ધરા પર મળે છે મીરાં. મીરાંનાં સાચા પદો તો ૧૩૮ જ છે જેમાં ૧૭ આત્મચરિત્રનાં, ૨૮ કૃષ્ણભક્તિનાં અને ૪૭ વિરહનાં પદ છે. મીરાંની ભક્તિ સગુણ ભક્તિ હતી. એમણે ‘સાકાર’ સાધના કરી હતી. કબીર નિરાકાર કે નિર્ગુણ ભક્તિ પરંપરાના વાહક, નરસિંહ મહેતા સાકાર અને નિરાકાર બંને ભક્તિના પ્રેરક હતા, જ્યારે મીરાંએ તો પોતે જ કહ્યું હતું કે ‘મીરાં બાત કરે પરગટ કી …’ એટલે કે મીરાંની ભક્તિ, કૃષ્ણપ્રીતિ પ્રગટ હતાં. અલબત્ત, મીરાંનાં પદો નિર્વિકાર ચેતનાનાં પદો છે. ગુજરાતી ભાષામાં મીરાંની અનેક રચનાઓ જોવા મળે છે. મીરાંનો કૃષ્ણ એમની સાથે રમી શકે, દોડી શકે, રાસ રમી શકે એવો કૃષ્ણ છે.’

મીરાંનું પ્રાગટ્ય રાજસ્થાનના મેવાડમાં. નાની વયે પિતાનું મૃત્યુ થતાં એમના દાદાએ મીરાંને ઉછેરેલાં. દાદાજીનો સાધુસંતો સાથે સત્સંગ હોવાથી મીરાં રાજપાટને બદલે ભક્તિ – સાદગીના સંસ્કાર પામ્યાં અને એટલે જ એમણે લખ્યું ‘મ્હારો પ્રણામ બાંકે બિહારી …’ જેના મુખડાની માયા મીરાંને લાગી હતી. દાદા પાસે આવતા સાધુસંતોમાંથી એક સાધુ પાસે કૃષ્ણની બહુ જ સુંદર મૂર્તિ હતી. નાનકડી મીરાંએ જીદ કરી કે મારે આ જોઈએ જ છે. ત્યારે સાધુએ કહ્યું કે આ હું નહીં આપી શકું, કારણ કે આ મારા ગુરુએ દીક્ષિત કરેલી મૂર્તિ છે. મીરાં હતાશ થઈ ગયાં. પણ એ જ રાત્રે સપનામાં એ સાધુને ગુરુજીએ આવીને કહ્યું કે આ મૂર્તિ બાળકીને આપવા માટે જ મેં તમને મોકલ્યાં છે, તો એ બાળકીને મૂર્તિ આપી દો. સાધુએ મૂર્તિ આપી અને હર્ષોલ્લાસ સાથે મીરાં પગમાં ઘૂંઘરુ બાંધી નૃત્ય કરવા લાગી. ‘મીરાં પ્રેમ દીવાની’ની શરૂઆત અહીંથી થઈ હતી. મીરાંનો પ્રેમ નિર્વ્યાજ હતો. એમણે આખી જિંદગી કોઈ જ કર્મકાંડ, સાધના કર્યાં નહોતાં, માત્ર શ્રીકૃષ્ણને પ્રેમ કર્યો હતો. રાજકુંવરી હોવાથી ઘોડેસવારી, તલવારબાજી શીખ્યાં પણ એમનું ચિત્ત તો કૃષ્ણની મૂર્તિમાં જ ચોંટેલું હતું અને છેવટે લગ્ન પણ એમણે મનોમન એ મૂર્તિ સાથે જ કર્યાં હતાં.

આવી પ્રેમ દીવાની મીરાંને અનેક ભારતીય કવિઓએ ગાઈ છે. શબ્દો ઘણી વાર એટલા સરસ હોય કે સ્વર સીધો હૃદયના ખૂણે ખૂણે પ્રસરી જાય.

આ પા મેવાડ અને ઓલી પા દ્વારિકા,
વચ્ચે સૂનકાર નામ મીરાં
રણકી રણકીને કરે ખાલીપો વેગળો,
હરિના તે નામનાં મંજીરાં
બાજે રણકાર નામ મીરાં!

કેવા સરસ શબ્દો છે! ભગવતી કુમાર શર્માની આ અદ્ભુત કવિતાને સંગીતકાર ઉદયન મારુએ એટલી જ લાજવાબ સ્વરબદ્ધ કરી છે અને આલાપ દેસાઈએ ગાઈ છે. સુરેશ દલાલ, મૂકેશ જોશી સહિત ગુજરાતી કવિઓએ મીરાં કાવ્યો ક્યારેક તો લખ્યાં જ છે. લયના કામાતુર રાજવી એવા કવિ રમેશ પારેખે ‘મીરાં સામે પાર’ નામે આખો કાવ્યસંગ્રહ મીરાં કાવ્યોનો આપ્યો છે. એમાંનું એક ગીત એટલે;

રે’શું અમેય ગુમાનમાં
હરિ સંગ નહીં બોલીએ

રમેશ પારેખના સર્જન વિશે લખતાં કાગળ, શાહી અને આપણી લેખનશક્તિ ઓછી પડે એવું વિરાટ એમનું કાવ્ય કવન છે. ‘રે’શું અમેય ગુમાનમાં …’ ગીતમાં મીરાંના પ્રેમની અભિવ્યક્તિ સાવ જુદી જ છે. તમે ભલે ભગવાન છો પણ સામે પક્ષે હું ય કંઈ ઓછી નથી એ ખુમારી આ ગીતમાં અભિવ્યક્ત થઈ છે. પ્રિયતમ કાનુડા પ્રત્યે રીસ છે પણ કૃષ્ણપ્રેમથી અળગાં તો રહી શકાય એમ નથી એટલે મીરાં કૃષ્ણ માટે બધું જ કરવા તૈયાર છે, પણ હરિ સંગ એને બોલવું નથી. ગુમાનમાં રહેવું છે કે જાઓ તમારે માટે આ બધું કરીશ, પણ વાત તો નહીં જ કરું. આગળ કહે છે;

આસનિયા ઢાળશું ને ચરણોમાં પખાળશું,
આંખ્યું ઉલાળશું તોફાનમાં …

મીરાંને પ્રેમના બધા ઈશારા માન્ય છે, પણ હરિ આવે તો ગુમાનમાં, અભિમાનમાં રહેવું છે.

આવો પરોક્ષ પ્રેમ અને પરોક્ષ અબોલા અનુભવ્યા છે તમે ક્યારે ય? વોટ્સએપ મેસેજમાં ‘આઈ લવ યુ’ કે ‘આઈ હેટ યુ’ કહી દેનારી જનરેશનને કદાચ એ નહીં સમજાય. બાકી, આ પરોક્ષ પ્રેમ અને પરોક્ષ અબોલાની થ્રિલ જુદી જ છે. કશું બોલ્યા વિના ઈશારાથી મનની વાત કહી દેવી, પ્રેમનો એકરાર જાતે કરવાને બદલે ગમતા શાયરની શાયરીઓ પ્રિય પાત્રને મોકલવી, ચાંચમાં ચાંચ પરોવીને બેઠેલાં પક્ષીઓનાં ચિત્રો મોકલવાં એ બધાં પરોક્ષ પ્રેમના સંકેત છે, પરંતુ નારાજગી થઈ હોય ત્યારે રિસાવાની પણ એક રીત હોય છે. પ્રેમ છે, છતાં નથી એવું બતાવવાની લાગણી કવિએ આ ગીતમાં વ્યક્ત કરી છે.

ગીતનાં ગાયિકા જાહ્નવી શ્રીમાંકર કહે છે, ‘નાનપણથી હું મીરાંના વ્યક્તિત્વથી પ્રભાવિત છું. જ્યારે પણ મીરાંબાઈનું ગીત ગાવાનું હોય ત્યારે કોણ જાણે કેમ પણ હું મીરાંના પાત્રમાં ખોવાઈ જાઉં છું અને હું પોતે જ મીરાં હોઉં એવું મને પ્રતીત થાય છે. મીરાં ગીત ગાવામાં મને વિશેષ આનંદ આવે છે. હું મીરાંમય બની જાઉં છું. કૃષ્ણ માટેનો મીરાંનો અગાધ પ્રેમ, એમની ભક્તિ, કૃષ્ણપ્રેમની કોમળ ભાવના તથા કૃષ્ણ પ્રત્યેની તન્મયતા તેમનાં અલૌકિક પદો અને સંગીત રચનામાં દેખાય છે. સદ્ભાગ્યે મને ત્રણ-ચાર ઉત્તમ મીરાં ગીત ગાવાની તક મળી જેમાં સંગીતકાર સુરેશ જોશીએ સ્વરબદ્ધ કરેલું ‘રે’શુ અમેય ગુમાનમાં …’ રાગ ચંદ્રકૌંસનો સ્પર્શ ધરાવતું આ ગીત મેં સુરેશ જોશીના એક આલબમમાં તો ગાયું જ છે, પરંતુ એ સિવાય અનેક પ્રોગ્રામમાં ગાયું છે. અભિનેત્રી-ગાયિકા માનસી પારેખની એક યુટ્યુબ ચેનલ પર એ અનપ્લગ્ડ પણ રજૂ કર્યું છે.’

જાહ્નવી શ્રીમાંકરે ગાયેલાં અન્ય બે મીરાં ગીતો પણ ખૂબ સરસ છે. આજના જમાનાને અનુરૂપ આધુનિક સંગીત અને દૃશ્ય પરિકલ્પના બંનેના સંયોજનથી એ બંને ગીતો વધારે નીખરી ઊઠ્યાં છે. વૈભવ ત્રિવેદીએ સ્વરબદ્ધ કરેલું ‘ચૂંદલડી’ તથા પાર્થ ભારત ઠક્કરના સ્વર નિયોજનમાં રજૂ થયેલો માધવ અને મીરાંનો રાસ લાજવાબ છે. પાર્થ ભરત ઠક્કર એ મુંબઈ સ્થિત યુવા નિર્માતા અને સ્વરકાર છે. ગુજરાતી સંગીત ક્ષેત્રે એવું કામ કરવા ઈચ્છે છે કે ગુજરાતી યુવા પેઢી એમની કોલર ટ્યુનમાં ગુજરાતી ગીતો રાખતી થઈ જાય અને કવર સોંગ બનાવવું હોય ત્યારે પણ ગુજરાતી ગીત જ એમને યાદ આવે. ૨૦૨૦ની વર્ચ્યુઅલ નવરાત્રિ વખતે રજૂ થયેલા આ વીડિયોને અદ્ભુત પ્રતિસાદ મળ્યો હતો. રાધા અને માધવનો રાસ આપણે જોયો છે, પરંતુ નીરેન ભટ્ટે લખેલા મીરાં અને માધવના રાસના શબ્દો હતા;

હે રાણી રાધાને થાય અદેખાઈ રે,
જોઈ આજ મીરાં ને માધવનો રાસ,
હે ઓલી મોરલી એ સૂર ભૂલી જાય
જોઈ મીરાં ને માધવનો રાસ,
આ તો સરયૂ ને સાગરનો રાસ,
આ તો ચાતક ને ચાંદાનો રાસ ..!

આ રાસ ગાયો હતો જાહ્નવી શ્રીમાંકર અને આદિત્ય ગઢવીએ. વીડિયોમાં ગુજરાતી અભિનેત્રી વ્યોમા નંદીએ મીરાંની ભૂમિકા ભજવી અને જાહ્નવી પણ એમાં ખૂબસૂરત ગાયિકા તરીકે દૃશ્યમાન છે. દાદીમાનું હવેલી સંગીત સાંભળીને નાનકડી જાહ્નવીના મનમાં સંગીતનાં બીજ રોપાયાં હતાં. માતા-પિતા અને સ્વજનોના પ્રોત્સાહનથી સંગીત શીખવાનું શરૂ કર્યું. શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધા પછી જાહ્નવી શ્રીમાંકર સંગીત ક્ષેત્રે લગભગ ૨૦ વર્ષથી કાર્યરત છે. ગુજરાતી સુગમ સંગીત, ગરબા, ઠૂમરી, ગઝલ અને ફિલ્મ સંગીતના શો એમણે દેશ-વિદેશમાં કર્યા છે. ગીતકાર જાવેદ અખ્તર તથા સંગીતકાર અમિત ત્રિવેદી સાથે મ્યુઝિકલ ટૂર્સ કરી છે, મ્યુઝિક આલબમ્સ તથા અર્બન ગુજરાતી ફિલ્મોમાં એમણે ગાયું છે. કોઈના અવાજની કોપી કર્યા વિના પોતાના મધુર કંઠ દ્વારા આગવી ઓળખ ઊભી કરનાર જાહ્નવી શ્રીમાંકરે ગાયેલાં મીરાંનાં આ દરેક ગીત એકબીજાંથી સાવ જુદાં છે. તક મળે તો સાંભળજો.

———–

રે’શું અમેય ગુમાનમાં
હરિ સંગ નહીં બોલીએ …

ખોલીશું બારણાં ને લેશું ઓવારણાં,
આવકારા દેશું સાનમાં;
હરિ સંગ નહીં બોલીએ …

આસનિયા ઢાળશું ને ચરણો પખાળશું,
આંખ્યું ઉલાળશું તોફાનમાં;
હરિ સંગ નહીં બોલીએ …

લાપસિયું ચોળશું ને વીંઝણલા ઢોળશું,
મુખવાસા દેશું પાનમાં;
હરિ સંગ નહીં બોલીએ ….

મીરાં કે અંતમાં, આ ભર વસંતમાં,
જીવતર દઈ દેશું દાનમાં;
હરિ સંગ નહીં બોલીએ …

•   કવિ : રમેશ પારેખ    •   સંગીતકાર : સુરેશ જોશી    •   ગાયિકા : જાહ્નવી શ્રીમાંકર

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=692437

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 10 જૂન 2021

Loading

ગંતવ્ય

રૂપાલી બર્ક|Poetry|10 June 2021

ઊબડખાબડ વાંકાંચૂકાં
લાંબાટૂંકા રસ્તે
નાઝરૅથથી
બૅથલૅહૅમ ભણી
અપાર આકાશ
અફાટ ભૂમિ
પિતાની મજબૂરી
માતાની લાચારી
ને માના પેટમાં રહી
ગધેડાની તમારી સવારી.
ફરમાન વસ્તી ગણતરીનું
ને ટાણું તમારું જનમનું
હજારો હાંફળાફાંફળા
રોકાવવા ઠેકાણું શોધે.
આજે અહીં  કોવિડ ટાણે
સારવાર માટે
એક દવાખાનાથી
બીજા દવાખાને
દિલમાં લઈ આશા
દર્દીનાં સગાં
ખટખટાવે દરવાજા :
“જગા નથી, બીજે જાવ …”
ત્યારે ત્યાં એવો જ ઘાટ હતો ને?
નહીં તો શું કામ લેવો પડ્યો હોત
ગમાણમાં જન્મ તમારે?

e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

...102030...1,8571,8581,8591,860...1,8701,8801,890...

Search by

Opinion

  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved