Opinion Magazine
Number of visits: 9746629
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્વતંત્રતા 75માં પ્રવેશી છે ત્યારે હોઠ હસે છે અને આંખ રડે છે…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|15 August 2021

સ્વતંત્રતાનું અમૃતપર્વ શરૂ થઈ રહ્યું છે ત્યારે હૈયામાં મિશ્ર લાગણીઓ જન્મે છે. હોઠને હસવાનું મન છે, પણ આંસુ નીકળી આવે છે. ભારત 1947ની 15મી ઓગસ્ટે સ્વતંત્ર થયું ત્યારથી જ ભારતીયોના ઉમંગ અને ઉત્સાહ પર પીડાની પરત જામેલી છે. પાકિસ્તાન અને ભારતની સ્વતંત્રતા હિન્દુ-મુસ્લિમના સંહાર પર પ્રગટી એની કસક આજે પણ ઘણાંને હશે. સ્વતંત્રતા માટે જે મહાત્માએ જીવ રેડ્યો, એનો જીવ લેવાની પેરવી કદાચ ત્યારથી જ શરૂ થઈ ચૂકી હતી. મહાત્મા નહોતો ઇચ્છતો કે ભારત વિભાજનથી જન્મે, પણ એની ઇચ્છાની કોઈને પડી ન હતી. અહિંસાથી પ્રાપ્ત થયેલી સ્વતંત્રતા, પ્રાપ્તિની સાથે જ લોહિયાળ થઈ ઊઠી હતી. આવું હોય ત્યારે આનંદ ઓછો જ હોય તે સમજી શકાય એવું છે.

એ પછી પણ એવું ઓછું જ બન્યું છે જે સ્વાતંત્ર્ય પર્વના આનંદનો ઉછાળ લાવે, પણ અનેક વિટંબણાઓ વચ્ચે આપણે ટકી ગયાં છીએ, એ નાની સૂની વાત નથી. આપણાં પર રાજ કરવાની ઘણા દેશોની મનસા હજી જીવિત છે, છતાં આપણે નક્કર ભૂમિ પર ઊભાં છીએ ને ઊભાં રહી શકીએ એવું થોડું તો થયું જ છે. એ જ કારણ છે કે 1962માં ચીને યુદ્ધ કર્યું ત્યારે કે પાકિસ્તાન સાથે 1971માં બાખડવાનું થયું ત્યારે કે કારગિલ વિજય કે સર્જિકલ સ્ટ્રાઈક કે સરહદી અટકચાળાં છતાં આપણે અનેક પડકારો ઝીલતાં ઊભાં છીએ, એ જ બતાવે છે કે આ વિશ્વ આપણો કાંકરો કાઢી શકે એમ નથી. ચીન એટલું જાણી ચૂક્યું છે કે આ 1962નું ભારત નથી. પાકિસ્તાન પણ જાણે છે કે ભારત સાથે છમકલાં જ થઈ શકે કે આતંકી પ્રવૃત્તિઓ દ્વારા છેડછાડ જ કરી શકાય, બાકી સામી છાતીએ લડવામાં તો 56ની છાતીને ન જ પહોંચાય એ નક્કી છે. બાંગ્લાદેશને પણ એ ભાન છે કે એનો જન્મ જ ભારતની મદદથી થયો છે. એ સામે ચાલીને સાહસ ન કરી શકે. નેપાળ આડું થવા જાય છે, પણ આપોઆપ જ સીધું થઈ જાય છે. ચીન – શ્રીલંકા, નેપાળ કે પાકિસ્તાનને પાંખમાં લેવાનો ખેલ કરે તો છે, પણ ડ્રેગનને બધું હોય તો પણ પાંખો હોતી નથી, એ ચીને તો ઠીક, પાડોશી દેશોએ પણ સમજી જવાની જરૂર છે. આ બધું છતાં ભારત આત્મનિર્ભર થવાની દિશામાં નીકળી ચૂક્યું છે. ભારતે અણુ પરીક્ષણોથી, ઉદારીકરણ, વૈશ્વિકરણથી, આંતરરાષ્ટ્રીય સંબંધોથી વિશ્વ આખાનું ધ્યાન ખેંચ્યું છે. મેક ઇન ઈન્ડિયા અને આંતરરાષ્ટ્રીય રોકાણને નિમંત્રણ વગેરે નીતિઓથી ભારતે એટલું તો પુરવાર કરી દીધું છે કે તે બાવાઓ અને મદારીઓનો દેશ નથી.

એ હકીકત છે કે છેલ્લાં 74 વર્ષમાં 2014 સુધી મોટે ભાગે કૉન્ગ્રેસનું શાસન રહ્યું. એમાં કૈં જ નથી થયું એવું નથી. એ સાચું હોય કે ખોટું, પણ ભા.જ.પ.ની સરકાર કૉન્ગ્રેસ પર જ ઊભી છે. એ પણ સાચું કે લોકતંત્ર વડા પ્રધાન તરીકે સરદારને ઇચ્છતું હતું, છતાં નહેરુ વડા પ્રધાન થયા ને એ પછી આખો નહેરુ વંશ જ માથે પડ્યો. એ નહોતું થવું જોઈતું, પણ થયું ને આજનો કોઈ શાસક તે વખતે એ સ્થિતિમાં ન હતો જે એ ક્રમને રોકી શકે. એને કારણે ઘણું અનિષ્ટ થયું, પણ જેમ આજે મજબૂત વિપક્ષ નથી, એમ જ ત્યારે પણ મજબૂત વિપક્ષ નહોતો જ, એટલે દાયકાઓ સુધી કૉન્ગ્રેસ સત્તા પર રહી. આજના શાસકો ભલે એમ કહે કે કૉન્ગ્રેસના સમયથી બગાડ ચાલ્યો આવે છે, એ સાચું હોય તો પણ, આ જ પ્રજાએ એને સત્તા આપી એ ભૂલવા જેવું નથી. એ પણ ભૂલવા જેવું નથી કે ભા.જ.પ.ને સત્તા આપનારી પણ આ જ પ્રજા છે. કૉન્ગ્રેસથી વાજ આવેલી પ્રજા ભા.જ.પ.ને લાવી શકે તો ભા.જ.પ.ની સત્તા પણ ત્યાં સુધી જ ચાલશે, જ્યાં સુધી પ્રજા તેને ઇચ્છતી હશે. અનેક ઉતારચડાવ વચ્ચે આપણું લોકતંત્ર મોટી અર્થવ્યવસ્થા બન્યું, એની વિશ્વને નોંધ લેવાની ફરજ પડી એ સાચું, પણ સ્વતંત્ર થવા છતાં સ્વરાજ કહીએ તેનાથી આપણે હજી દૂર જ છીએ અને સુરાજની તો રાહ જોવાની જ રહે છે. સ્વરાજ સંવિધાનની બહાર રહી ગયું હોય એવું લાગે છે, તે એટલે કે આપણે પશ્ચિમી સંસ્કૃતિના પુરસ્કારની નીતિ રાખી છે. આપણે સૌના સાથ, સૌના વિકાસનું સૂત્ર તો આપ્યું છે ને વિકાસ થયો પણ છે, પણ જરા ધ્યાનથી જોઈશું તો સમજાશે કે થોડા લોકોનાં આધુનિકરણ માટે આપણે ઘણાંની બાદબાકી કરી નાખી છે. એટલે વિકાસ ખરો, પણ સૌનો નહીં, તે સમજી લેવાનું રહે.

અન્ય દેશોનું જોઈને આપણે પણ રોબોટ્સથી કામ લેતાં થયાં છીએ. આપણે પણ ઓટોમેશન તરફ વળ્યાં છીએ. એ સારી બાબત છે કે માનવીય દખલ ન હોય તો વધુ ઉત્પાદન થઈ શકે, ઉત્પાદનની જરૂર પણ છે, પણ એ જો માણસ વગર થવાનું હોય તો તે આ દેશ માટે અભિશાપ છે. મશીનોથી કામ લેવાય તો બેકારી વધે. એ ખરું કે મશીનોથી ઉત્પાદન વધે, પણ તેને ખરીદનાર ન હોય તો તે ઉત્પાદનનો શો અર્થ રહે? આવક હશે તો ખરીદી થશે. આવક જ ન હોય, માણસ બેકાર હોય તો, વસ્તુ હોય તો પણ તેનો ઉપાડ ઓછો જ રહેવાનો. આવામાં ઉત્પાદન વધુ હોય તો તેનાથી નિકાસ વધે કદાચ, પણ બેકારીનો પ્રશ્ન હલ ન થાય એમ બને.

એ પણ છે કે સરકાર ભ્રષ્ટાચારી લાગી એટલે આપણે તેને હરાવી ને નવી સરકાર આવી, પણ એમાંથી પણ ભ્રષ્ટાચાર ગયો નહીં, કારણ આપણને સરકાર જુદી જોઈતી હતી, પણ ભ્રષ્ટાચારમુક્ત સરકાર કદાચ જરૂરિયાત જ નહોતી. હાલની સરકારને પણ પ્રજા ભ્રષ્ટાચારમુક્ત હોય તે પરવડે તેમ નથી, કારણ તેને પણ નાણું તો જોઈએ જ છે. એના વડે તો વિપક્ષને ખરીદીને પક્ષને મજબૂત કરી શકાય છે. આ મજબૂતી ભ્રષ્ટાચાર વગર શક્ય નથી. આ નાણાં ઉદ્યોગપતિઓ પૂરા પાડે છે. એ ઉદ્યોગપતિઓ લોકોને લૂંટીને નાણાં ઉપર પહોંચાડે છે.

લોકશાહીનો આદર્શ એ છે કે એમાં સરકારની દખલ ઓછી હોય. મિનિમમ ગવર્નન્સની વાત આપણે કરીએ તો છીએ, પણ વાસ્તવિકતા જુદી છે. સૌથી વધુ દખલ સરકાર કરે છે. ગરીબને અનાજ સો રૂપિયાનું અપાતું હોય ને એ જે થેલીમાં અપાય તે સો રૂપિયાથી મોંઘી હોય, કારણ એના પર સરકારનો ફોટો છે, તો ઘર સુધી અનાજની સાથે જ સરકાર પણ પહોંચે છે. જે પ્રજાને સરકારની આદત પડી જાય તે સરકાર, પ્રજાનો દુરુપયોગ ન કરે તો જ નવાઈ ! જ્યાં સુધી લોકશાહીની આપણને ગરજ હશે, સ્વાતંત્ર્યપર્વ ઉજવાતું રહેશે ને જ્યાં પ્રજાની ઇચ્છાશક્તિ પરવારી જશે, ત્યાં પછી ગુલામીની તો નવાઈ જ ક્યાં છે?

ભા.જ.પ.ની સત્તાને અત્યારે તો પૂરેપૂરી સ્વીકારી છે, પણ પ્રજાને કેટલુંક કઠે પણ છે. એને હવે નહેરુ વંશને વખોડવામાં રસ ઘટતો જાય છે. નહેરુને મોટા કરાયા તે આજે નથી ગમતું, તો સરદારને, ગાંધી કરતાં મોટા કરાયા એ યોગ્ય છે? ને કોઈને પણ નાના કે મોટા કરનારા આપણે કોણ? જે તે વિભૂતિને આપણે મોટી કે નાની કરીએ છીએ એ ભ્રમ છે. વ્યક્તિ એટલી જ રહે છે, જેટલી એ હોય છે. આપણી ભક્તિ કે ટીકા પર એનું કદ નિર્ભર નથી. જે આજે તારણહાર લાગે છે, તે કાલે મારણહાર પણ લાગી શકે છે. આપણો સ્વાર્થ, ખુશામત કે નિંદા કરવા પ્રેરે તે હિસાબે કોઇની મહાનતા નાની કે મોટી ન થાય તે સમજી લેવાનું રહે.

એ સાચું કે 75મું સ્વતંત્રતાને બેઠું એ દરમિયાન ઘણું થયું છે, કૉન્ગ્રેસે ઘણું બગાડયું હોય ને ભા.જ.પે. બધું સુધાર્યું હોય એ સ્વીકારીએ તો પણ, ઘણું નથી થયું ને ઘણું ન થવા જેવું પણ થયું છે. 135 કરોડની વસતિમાંથી ઓલિમ્પિકમાં 10 મેડલ પણ ન આવતા હોય, તો તેનો અફસોસ થાય, પણ વર્ષો પછી 7 સુધી પહોંચ્યા છીએ તેનો ઉત્સવ જરૂર મનાવી શકાય. ભા.જ.પ.ની સરકારને જ એ આભારી છે કે નોટબંધીમાં કાચું કપાયું, પણ સર્જિકલ સ્ટ્રાઈક, 370ની નાબૂદી, રામમંદિરનુ નિર્માણ, ભારે બહુમતિથી ભા.જ.પ.નું સત્તામાં પુનરાગમન જેવી મહત્ત્વપૂર્ણ ઘટનાઓ ભા.જ.પ.ની યશકલગીમાં ઉમેરો કરે જ છે, કોરોના કાળમાં રસીકરણમાં દાખવાયેલી સક્રિયતાની પણ નોંધ લઈ શકાય, પણ ઓક્સિજ્નના અભાવમાં કોઈનું મૃત્યુ થયું નથી, એમ કહેવું પ્રજાને ગળે ઊતર્યું નથી. દૂર ન જઈએ તો આંધ્રની સરકારે એ અંગેની કબૂલાત કરીને કેન્દ્ર સરકારને ખોટી સાબિત કરી દીધી છે.

અભિવ્યક્તિની સ્વતંત્રતામાં આપણો નંબર વિશ્વમાં 180માંથી 140મો છે. સાત લાખ ગામોમાં સ્વાસ્થ્યની પૂરતી સુવિધાઓ નથી. વર્ણ, વર્ગ, જાતિનાં ભેદ વધુ તીવ્ર કરવાની દિશામાં આપણે સક્રિય છીએ. આપણી બધી યોજનાઓ અને સહાય ચૂંટણીલક્ષી જ છે. છેલ્લે છેલ્લે વડા પ્રધાન ઓ.બી.સી.નું પત્તું રમ્યા છે. 27 ટકા અનામતમાં કઈ જ્ઞાતિનો સમાવેશ કરવો એની સત્તા રાજ્યોને સોંપવામાં આવી છે, જે આ અગાઉ કેન્દ્ર પાસે હતી. હવે રાજ્યો બધી જ્ઞાતિને તો સમાવી શકવાનું નથી. જે નહીં સમાવાય તે જ્ઞાતિઓ સંઘર્ષની દિશા પકડશે. પોતાની જ્ઞાતિના સમાવેશને મુદ્દે જ્ઞાતિઓ એકબીજા જોડે ટકરાય તેવા પૂરતા સંજોગો છે. જેમ જેમ જ્ઞાતિઓ ઉમેરાશે, ટકાવારી ઘટતી જશે ને એ પણ અસંતોષનું કારણ જ પૂરું પાડશે.

સાચું તો એ છે કે મધ્યમવર્ગ હવે નિમ્ન મધ્યમવર્ગ બનવા માંગે છે. એ જ રીતે નિમ્ન મધ્યમવર્ગ ગરીબ અને ગરીબ, વધુ ગરીબ બનવા માંગે છે, તે એટલે કે સરકારી લાભો ગરીબોને મળે છે. મહેનત કરીને વિકાસ કરવો એના કરતાં વગર મહેનતે સરકાર મદદ કરતી હોય તો ઘણાં મહેનત કરવા રાજી નથી. અનામતની લહાણી કરીને આપણે પ્રજાને માંગણની દશામાં મૂકી છે. માંગવું એ હક નથી. સ્વતંત્રતાનો સીમિત અર્થ સ્વીકાર્યો છે આપણે. અધિકારની છે એટલી ચિંતા આપણને ફરજની નથી. જરૂર પડે તો અધિકાર છોડાય, ફરજ નહીં, પણ આપણે ફરજ છોડીને અધિકાર માટે ઝઝૂમીએ છીએ ને દેશના ચરિત્રમાં એ ખૂટતી કડી છે. ઉદાહરણ તરીકે શિક્ષક પગારનો અધિકાર છોડી શકે, પણ શિક્ષણ આપવાની ફરજ ચૂકી ન શકે, પણ જે જોવા મળે છે તે ઊલટું છે.

પણ જેવું છે તેવું, આપણું સ્વાતંત્ર્ય પર્વ છે ને તે પણ 75મું. એનો હરખ સ્વાભાવિક જ હોય. એટલે પણ હોય કે આપણે એના સાક્ષી બનવાનું ભાગ્ય પ્રાપ્ત કરી શક્યા. સૌને સ્વતંત્રતાનું અમૃતપર્વ શુભ અને ફળદાયી નીવડો એવી હૃદયપૂર્વક પ્રાર્થના …

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 15 ઑગસ્ટ 2021

Loading

ટૂંકીવાર્તાની કલા વિશેનાં મારાં મન્તવ્યો (1)

સુમન શાહ|Opinion - Literature|15 August 2021

સમસામયિક ગુજરાતી સાહિત્યલેખનની એક સર્વસામાન્ય ક્ષતિ કે ખામી એ છે કે કેટલાં ય લેખન ભાષાશુદ્ધ નથી. શબ્દપસંદગી, જોડણી, વાક્યરચના અને વિરામચિહ્નો – એ ચાર બાબતે દોષયુક્ત લખાણોનાં અનેક દૃષ્ટાન્તો મળે છે. સુખદ અપવાદો નથી એમ નથી, પણ એ અપવાદોની સંખ્યા પણ હવે નાની થવા માંડી છે.

ક્ષતિ કે ખામીનો આ મુદ્દો નીવડેલા કે નવોદિત સર્જક વિવેચક અધ્યાપક વિદ્યાર્થી – સૌને લાગુ પડે છે. એમાંથી ટૂંકીવાર્તાના લખનારાઓને બાદ કરી શકાય એમ નથી.

આ મુદ્દો વ્યાકરણસંગત પરિશુદ્ધ લેખનની શિસ્ત સાથે સંકળાયેલો છે, એટલે હાલ જતો કરું છું.

++

મારે રજૂ કરવાં છે, ટૂંકીવાર્તાને વિશેનાં મારાં પોતાનાં મન્તવ્યો. એ મન્તવ્યો, પહેલી વાત એ કે ટૂંકીવાર્તાઓ મેં સરજી, તેનાં ફળ છે. બીજી વાત એ કે છેલ્લાં લગભગ ૨૫ વર્ષથી અન્યોની વાર્તાઓ જોતો-તપાસતો રહ્યો છું તેનાં પરિણામે છે. ત્રીજી વાત એ કે ટૂંકીવાર્તાના કલાસ્વરૂપ વિશે વર્ગમાં વ્યાખ્યાનો આપ્યાં કે અન્યત્ર હજી આપું છું, લેખો લખ્યા, હજી લખું છું, તે વિદ્યાવ્યાસંગનો એમાં ફાળો છે. ચૉથી વાત એ કે આ મન્તવ્યો કોઈ સિદ્ધાન્તગ્રન્થમાંથી તો નથી જ નથી, અને કોઇ કોઇ મન્તવ્યોના સગડ કોઇ કોઇ સિદ્ધાન્તગ્રન્થમાં જડી આવે, તો એ પાંચમી વાત ખુશ થવા જેવી વાત છે.

આ મન્તવ્યો મુખ્યત્વે ટૂંકીવાર્તાના સર્જન અંગે છે. વાર્તાપઠન વાર્તાશ્રવણ વાર્તાવાચન અને વાર્તાવિવેચન અંગેની મારી માન્યતાઓ ને ટીકાટિપ્પણીઓ એમાં જરૂરત પ્રમાણે ઉમેરાતી રહેશે. તમામ મન્તવ્યો ફેરવિચાર અને સુધારને પાત્ર ગણીને ચાલીશ, છતાં, સંલગ્ન દરેક વિચારને પૂરતો ન્યાય આપીશ, કાચોપાકો છોડી નહીં દઉં.

મને સૂઝશે તેમ લખતો જઈશ એટલે લેખોનો ક્રમ ટૂંકીવાર્તાની ઍનેટોમીને – દેહના સંરચનાશાસ્ત્રને – અનુસરતો નહીં લાગે. જેમ કે, ઘડીમાં ટૂંકીવાર્તાના શિરની વાત કરતો હોઈશ, ઘડીમાં ધડની, તો ઘડીમાં એના હાથપગની. પણ એ ન નભે એવું નથી. હવે પછીના આવા દરેક લેખમાં પાંચ મન્તવ્યો રજૂ કરીશ. આવા અનેક લેખોની શ્રેણી કલ્પી છે.

++

૧ :

ટૂંકીવાર્તામાં એકાદ ઘટનાનું નિરૂપણ હોય છે એ જાણીતી વાતમાં હું એક ઉમેરણ કરવા માગું છું.

જીવનમાં ઘટના ઘટે પછી એક સંવેદન બચી જતું હોય છે. દાખલા તરીકે, કોરોનાને કારણે સંભવેલી મૃત્યુની ઘટના આજકાલ એક દુખદ સંવેદન છોડી જતી હોય છે.

એ કે એવું કોઇપણ સંવેદન વાર્તાકારનું પોતાનું હોય, એના કોઇ સ્વજનનું હોય, પરાયા જનનું પણ હોય. ટૂંકમાં, અંગત હોય તેમ બિનંગત પણ હોય.

મારું મન્તવ્ય છે કે વાર્તાકારે જીવનમાંથી મળેલી ઘટના લઈને સીધા જ મંડી પડવાને બદલે સૌ પહેલાં ઘટનામાંથી જન્મેલા સંવેદનનું સંવનન કરવું જોઈશે – જેમ કામભોગ પૂર્વે સંવનન જરૂરી મનાય છે તેમ.

તો સમજાશે કે અમથાલાલને કોરોના કેમ વળગ્યો – માસ્ક ન્હૉતા પ્હૅરતા – ડિસ્ટન્સ ન્હૉતા જાળવતા, વગેરે. એમના એ બેહૂદા વર્તનનાં અનેક કારણો હતાં. એમની વિકૃત માનસિકતા, માનિસકતામાં જવાબદાર એમનો ઉછેર, ઉછેરમાં કારણભૂત સામાજિક સાંસ્કૃતિક વગેરે પરિબળો. એ બધાં જ તત્ત્વોએ ભાગ ભજવેલો. લેખક સંવેદનનું સંવનન કરશે એથી એ પરિબળોનાં એને બહુરૂપ દર્શન થશે. સમજાઈ જશે કે ઘટનાનાં મૂળિયાં ક્યાં ક્યાં ફેલાયેલાં છે, ઘટના કેવી કેવી રીતેભાતે ઘડાઈ છે. જીવનમાંથી મળેલી એ ઘટનાનું એને સરળ વિશ્લેષણ મળી જશે, એનો એને સહજ સાક્ષાત્કાર થઈ જશે.

એ સાક્ષાત્કારની ભૂમિકાએથી લેખક પોતે લખવા ધારેલી વાર્તાનો પ્રારમ્ભ કરી શકશે. એને થશે કે મળી આવેલી એ ઘટનામાં પોતે કશુંક ઉમેરી શકે એમ છે. ઘટનાનું પોતાની દૃષ્ટિમતિ અનુસારનું અર્થઘટન કરશે. જીવનની ઘટનાનું પોતાની વાર્તાને માટેનું એને એક કામચલાઉ રૂપ દેખાઈ જશે. એ રૂપનું એ એવું લેખન શરૂ કરી શકશે જે એની સર્જકતાને પ્રતાપે એક લીલા રૂપે આગળ વધશે. વાતનો સાર એ કે જીવન અને સર્જન વચ્ચે એક ચૉક્કસ અનુબન્ધ ઊભો થશે. પરિણામે, વાર્તા ઠોસ લાગશે, તકલાદી કે વાતૂલ નહીં લાગે.

૨ :

ટૂંકીવાર્તામાં પાત્ર પાત્ર વચ્ચેના સમ્બન્ધો લેખકે સ્પષ્ટ કરી દેવા અથવા સૂચવી દેવા એ ખૂબ જ જરૂરી મુદ્દો છે. દાખલા તરીકે, આ ભાઇ તો નાયિકાના ભાઈ નથી પણ વર છે, એવી જાણ વાચકને કે શ્રોતાને બહુ જ મૉડેથી થાય તે ન ચાલે. આ સસરા છે, બાપ નથી; આ દીકરી નથી, પુત્રવધૂ છે; બગીચામાં બેઠેલું યુવક-યુવતીનું જોડું પ્રેમલા-પ્રેમલી લાગે, પણ એમ ન યે હોય, બન્ને ભાઇ-બેન હોય ને મા-ની બીમારીની ચિન્તા કરતાં હોય ! યથાસમયે સમ્બન્ધની સ્પષ્ટતાઓ કરી દેવી અનિવાર્ય છે. યાદ રહે કે જીવન પણ સમ્બન્ધોને લીધે એક વાર્તા જેવું ભાસે છે ! એ જ રાહે, સાહિત્યમાં પણ વાર્તા, પાત્ર પાત્ર વચ્ચેનાં વિચાર વાણી વર્તનથી રચાતી હોય છે. ત્યારે એ સમગ્ર માનવીય વ્યવહારને સમજવા માટે કોણ કોનું શું થાય છે તે ઝટ જણાવી દેવું જરૂરી બની જતું હોય છે.

૩ :

લેખકે સમજીવિચારીને નક્કી કરી લેવું જોઈએ કે વાર્તા કહેશે કોણ.

પાત્ર પોતે કહી શકે – જેને આપણે ‘પ્રથમ પુરુષ કથનકેન્દ્ર’ કહેતા આવ્યા છીએ. (પણ એને સુધારી લેવાની જરૂર છે. ‘પ્રથમ વ્યક્તિ કથનકેન્દ્ર’ કહેવું જોઈએ. મૂળે એ, ફર્સ્ટ ‘પર્સન’ નૅરેટિવ કે નૅરેશન છે. સમાજમાં બધે તેમ અહીં પણ ‘પુરુષ’ ઘુસાડી દીધું છે, એ અનાચાર છે.) આ કેન્દ્રથી રચાતી વાર્તા વધારે પ્રામાણિક લાગશે કેમ કે પાત્ર પોતે જ પોતાનાં વીતક કહેતું હોય છે.

બીજું, લેખક પણ વાર્તા કહી શકે. એમ મનાય છે કે બધાં પાત્રોનો તેમ જ સ્થળકાળ અને બધી પરિસ્થતિઓનો એ જાણકાર છે. એને આપણે ‘સર્વજ્ઞ કથનકેન્દ્ર’ કહીએ છીએ.

ત્રીજું, બન્ને કથનકેન્દ્રના જરૂરી સંમિશ્રણથી પણ વાર્તા કહી શકાય.

તેમ છતાં, વાર્તાકારોએ એ સમજી રાખવાનું છે કે કોઈ પણ ક્ષણે સર્વજ્ઞની જરૂર પડવાની છે. વાર્તા ફર્સ્ટ પર્સનમાં ચાલતી હોય ત્યારે સર્વજ્ઞનો પ્રવેશ કોઇક વખતે અનિવાર્ય બની જાય છે. એવા પ્રસંગે સર્વજ્ઞ મને ડાયરેક્ટર તેમ જ સિનેમેટોગ્રાફર રૂપે ઉપકારક લાગ્યો છે. ત્યારે ઘટનાના સઘળા પરિવેશનું કામ સર્વજ્ઞ કરી દે. સ્થળો વગેરેની ગોઠવણી કહી બતાવે, દૃશ્યોનાં સૅટિન્ગ્સ સૂચવી દે. કેમ કે પ્રથમ વ્યક્તિ કથનકેન્દ્રથી સરજાયેલું પાત્ર તો બાપડું જીવે કે આપણને સ્થળો બતાવે?

૪ :

પોતે વાર્તા લખનારો છે એટલે વાર્તાકારે શું વાર્તા જ કહ્યા કરવાની છે? ના. એણે એવી રચના કરવાની છે જે ટૂંકી હોવા છતાં પોતાની ચોપાસ અર્થભાવનાં વલય સરજી રહી હોય અને એમ કશી વ્યંજનાની રીતે વિકસી હોય. નહિતર, વાર્તાકાર જો વાર્તા જ કહ્યા કરશે તો એ કૃતિ ઇતિહાસનું, નવલકથાનું કે પાત્રની જીવનકથાનું કે આત્મકથાનું પ્રકરણ બનીને ઊભી રહેશે !

વાર્તા તો નાનકડા જોકમાં, લઘુકથામાં, લઘુનવલમાં, નવલકથામાં કે મહાનવલમાં પણ હોય છે. પરન્તુ એનો અર્થ એ નહીં કે દોર આપ્યા જ કરીએ ને વાર્તારૂપી પતંગને ચગતો જાય એ દિશામાં ચગવા જ દઈએ. વાચક જ કાપી નાખશે ! એવી સહેલગાહ ટૂંકીવાર્તાના સર્જકને નથી છાજતી.

ઘણા એમ માને છે કે ટૂંકીવાર્તા લખું છું એટલે ટૂંકી પણ કહું તો વાર્તા જ ! પણ ટૂંકી એટલે કેટલી? માપ કોણ નક્કી કરે? સામયિકના તન્ત્રીએ તો શરત મૂકી છે કે તમારી વાર્તા ૨૦૦૦ શબ્દની મર્યાદામાં હોવી જોઈશે. વાર્તા ટૂંકી થશે, લાઘવના ગુણ થકી. થોડામાં ઘણું સૂચવાઈ જાય, ઇશારામાં કે લસરકામાં કહેવાઈ જાય. બાકી કહ્યા જ કરીએ તો એનો તો અન્ત જ નથી. જીવનની કઇ વાતને છેડો છે?

૫ :

સમગ્ર લેખન ટૂંકીવાર્તાની શરતે થવું જોઈએ. સંગીત તો બધે હોય છે, પણ રાગે રાગે આગવી રીતે પ્રગટે છે. યમનકલ્યાણનું ગાયન કરવા માગતા હોવ તો યમનકલ્યાણના બંધારણનું પૂરી અદબ જાળવીને પાલન કરવું પડે. એમાં બાગેશ્રી કે ભૈરવીના સૂર ન ભેળવાય. સમજાય એવું છે.

બધી જ રમતો આનન્દ આપે છે, પણ આનન્દ આપવાની દરેકની રીત જુદી હોય છે. એટલે, તમે ક્રિકેટ રમો ત્યારે તમને યાદ રહેવું જોઈએ કે એ થપ્પો કે પકડદાવ નથી. હુતુતુ, લંગડી નથી કે લંગડી, કોથળાદોડ નથી. ટૂંકીવાર્તા ટૂંકીવાર્તા જ રહેવી જોઈએ. યાદ રહે કે એ વહીવંચો નથી, રીપોર્તાજ નથી, નિબન્ધ નથી, પત્રલેખન નથી.

હા, કાવ્યથી માંડીને કોઈ પણ સાહિત્યપ્રકારનું કિંચિત્ ક્યારેક એ જરૂર લઈ શકે છે – પણ ત્યારે એ એની સર્જકતાની મોટી કસોટી હશે.

બીજા પાંચ મુદ્દા હવે પછી, અવકાશે …

નૉંધ : આ પાંચ મુદ્દા બહારની કોઈ પણ ચર્ચાને અહીં સ્થાન નથી. અભદ્ર ભાષામાં પુછાયેલા વિવેકહીન પ્રશ્નોને અહીં જરા પણ સ્થાન નથી. કોઈપણ ભોગે વિષયસંલગ્ન રહેવું એ વિદ્યાપ્રેમીઓ માટે કશી મુશ્કેલ ચીજ નથી. લિટરરી ઍટિટ્યુડ અને ઍટિકેટ દાખવવાનું પણ સાહિત્યપ્રેમીઓ માટે કદી કઠિન નથી હોતું.

= = =

(August 15, 2021: USA)

સૌજન્ય : લેખક, સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલ પરેથી સાભાર

Loading

દેશપ્રેમ ભૌગોલિકતામાં નથી, માનવતામાં છે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|15 August 2021

અંગ્રેજી ભાષાનો શબ્દકોશ તૈયાર કરનાર બ્રિટિશ વિદ્વાન સેમ્યુઅલ જોહ્ન્સને ૧૭૭૫માં કહ્યું હતું કે, પેટ્રીઓટિઝમ ઈઝ ધ લાસ્ટ રેફ્યુઝ ઓફ ધ સ્કૈઉન્ડ્રલ – દેશપ્રેમ બદમાશ લોકોનું છેલ્લું આશ્રયસ્થાન છે. એનો અર્થ એ થાય કે દેશપ્રેમના નામે કોઈ પણ અપરાધ કે ગેરવર્તન ચલાવી લેવામાં આવે છે. એક વર્ષ પહેલાં, ૧૭૭૪માં, જોહ્ન્સને બ્રિટિશ મતદારો સામે આપેલા એક ભાષણમાં સરકારમાં બેઠેલા લોકોના ખોટા દેશપ્રેમની ટીકા કરી હતી. એ ભાષણ પછી ‘ધ પેટ્રીઓટ’ તરીકે પ્રગટ થયું હતું. તેમાં તેણે કહ્યું હતું : “દેશપ્રેમી એ છે જેનો સાર્વજનિક વ્યવહાર તેના દેશ માટેના પ્રેમથી નિયંત્રિત હોય. સંસદના પ્રતિનિધિ તરીકે તેનામાં પોતાના માટે ન કોઈ આશા કે ડર હોય, ન દયા કે ઘૃણા હોય, પણ તેની દરેક બાબતમાં આમ જનતાનું હિત હોય.”

જોહ્ન્સને આ કહ્યું તેના ૨૦૦ વર્ષ પછી, ૨૦૦૩માં અટલ બિહારી વાજપેયીની સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ પરની ચર્ચામાં વાજપેયીએ કહ્યું હતું, “આ લોકશાહી છે અને લોકશાહીમાં જવાબદારી હોય છે. આપસી હોડમાં આપણે એકબીજાના દેશપ્રેમ પર દબાવ નાખવો ન જોઇએ, એકબીજાના દેશપ્રેમને પડકાર ફેંકવો ન જોઇએ અને એકબીજાના દેશપ્રેમ પર સંદેહ કરવો ન જોઇએ. મૂળભૂત સર્વસંમતી જેવું હોવું જોઈએ તે પણ નથી.”

જોહ્ન્સનની વાતને થોડા જુદા શબ્દોમાં કવિ રવીન્દ્રનાથ ટાગોરે પણ કહી હતી. ૧૯૦૮માં, વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝની પત્ની અબલા બોઝની ટીકાનો જવાબ આપતાં ટાગોરે એક જગ્યાએ લખ્યું હતું કે, “દેશભક્તિ આપણો અંતિમ આધ્યાત્મિક સહારો ન બનવી જોઈએ. મારો આશ્રય માનવતા છે. હું હીરાની કિંમતે કાચ નહીં ખરીદું. હું જ્યાં સુધી જીવતો છું ત્યાં સુધી માનવતા ઉપર દેશભક્તિની જીત નહીં થવા દઉં.”

આજે આપણે ૭૫મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવી રહ્યા છીએ ત્યારે દેશપ્રેમ કોને કહેવાય તે પ્રશ્ન એટલો જ પ્રાસંગિક છે, જેટલો તે જોહ્ન્સના સમયમાં હતો. દેશને પ્રેમ કરવો એટલે શું? મોટા ભાગના લોકો દેશને પ્રેમ કરવાનો મતલબ ભારતની જમીનને પ્રેમ કરવાનો કરે છે, અને દેશની બહાર છે તેને નફરત કરે છે. આ પ્રતીકાત્મક પ્રેમ છે. આવા પ્રતીક તરીકે રાષ્ટ્રધ્વજ પણ છે. બહુ બધા લોકો માટે રાષ્ટ્રધ્વજ સામે ઊભા રહી છાતી ફુલાવવી એ દેશનો પ્રેમ ગણાય છે. કેટલાક લોકો માટે બંદૂકો અને તોપો એ દેશપ્રેમ છે. ટાગોરે એટલે માનવતાનો પ્રેમ એ દેશપ્રેમ છે એમ કહ્યું હતું.

દેશને પ્રેમ કરવો એટલે એની ભૌગોલિકતા અને એના ઇતિહાસને પ્રેમ કરવો એ ખાસ્સો સંકુચિત અભિગમ છે. આ સૌથી સરળ રસ્તો પણ છે. આમાં કોઇ કર્તવ્યપાલન નથી આવતું. વાજપેયીના શબ્દોમાં, ‘જવાબદારી નથી આવતી.’ તમે વગર ટિકિટે ટ્રેનમાં બેસીને કે રસ્તામાં પાનની પિચકારી મારીને કે લાંચ-રુશ્વત લઇને કે કોઈનું શોષણ કરીને પણ 15મી ઑગસ્ટે દેશપ્રેમનાં ગીત ગાઈને દેશપ્રેમ બતાવી શકો છો.

ભારતીય તરીકે મારી કોઈ વિશેષ યોગ્યતા હોવી જોઈએ? મારી કોઈ ચોક્કસ સંસ્કૃતિ હોવી જોઈએ જે મને ભારતીય તરીકે વ્યાખ્યાઇત કરે? ભારતીય હોવાની કેટલીક ઓળખો છે – જેમ કે પારિવારિક મૂલ્યો, સામાજિક પરંપરા અને દાયિત્વ, સાંસ્કૃતિક પસંદ-નાપસંદ, ભાષા અને ધાર્મિક અભિવ્યક્તિ, પરંતુ આ બધું મને દેશપ્રેમી બનાવે છે?

દેશનો અર્થ નકશા અને પ્રતીકોને પ્રેમ કરવાનો નથી. દેશ સરહદોથી બનતો નથી. દેશની રચના અને ઓળખ લોકોના સમૂહથી બને છે. થોડાં વર્ષો પહેલાં આવેલી ‘એરલિફ્ટ’ ફિલ્મમાં રણજિત (અક્ષયકુમાર) કુવેતના યુદ્ધમાં ફસાયેલા લોકોની જે મદદ કરે છે એ દેશપ્રેમ છે. તેમાં જ્યોર્જ કુટ્ટી (પ્રકાશ વેલાવાડી), જે રીતે રણજિતને પરેશાન કરતો રહે છે અને ‘અમે અને તમે’નો ભેદભાવ કરતો રહે છે, તે રાષ્ટ્રવાદથી પ્રભાવિત છે. દેશપ્રેમ એ છે જેમાં તમને એક સુંદર દેશના નાગરિક હોવાનો આનંદ છે. રાષ્ટ્રવાદ એ છે જ્યાં તમારી સંસ્કૃતિ, ભાષા કે ધર્મમાં માનતા ન હોય તેવા તમામ લોકો તમારા માટે ઘટિયા છે.

ભૌગોલિક રૂપમાં દેશની રચના ખાસ્સી નવી છે. રામના સમયમાં અયોધ્યા જન્મભૂમિ હતી, ભારત નહીં. ગામડામાં આજે પણ લોકો પોતાના ઇલાકાને ‘દેશ’ કહે છે. મુંબઈના કચ્છીઓ વતન જાય તો ‘દેશ ગયા છે’ એવું કહે છે. હજુ થોડાં વર્ષો પહેલાં બાંગ્લાદેશનાં અમુક ગામો ભારતમાં આવ્યાં હતાં અને ભારતનાં અમુક ગામો બાંગ્લાદેશમાં ગયાં હતાં. યુરોપમાં વીસમી સદીના ઉત્તરાર્ધમાં પણ લોકો દેશ બદલતા રહેતા હતા. બાંગ્લાદેશમાં એવા વયોવૃદ્ધ લોકો પણ છે, જે જન્મ્યા હતા ભારતમાં, પાકિસ્તાનમાં સ્થાયી થયા હતા અને બાંગ્લાદેશના નાગરિક બન્યા હતા. એક સમયે કાશ્મીરના મહારાજાથી લઇને જૂનાગઢના નવાબ સુધીના સામંતી રાજાઓ ભારતથી અલગ રહેવા માગતા હતા.

ટૂંકમાં, સીમાઓના રૂપમાં દેશની ભૂગોળ બદલાતી રહે છે. એટલે જરૂરી એ છે કે દેશ પ્રત્યેનો પ્રેમ સીમાઓમાં બંધાયેલો રહેવાને બદલે માણસો પર કેન્દ્રિત થાય. દેશમાં રહેતા લોકોને પ્રેમ કર્યા વગર દેશને પ્રેમ કરી શકાય? તમે એક સમુદાય અથવા વર્ગને પ્રેમ કરો પણ બીજા સમૂહને નફરત કરો તો એ દેશપ્રેમ ગણાય? એટલા માટે જ, કાશ્મીરની જમીન માટે આપણો દેશપ્રેમ ઉભરાય છે, પણ એમાં રહેતા કાશ્મીરીઓ માટે તે પ્રેમ ગાયબ છે.

વધતા ઓછા અંશે ભારતના બાકીના પ્રદેશોમાં પણ આપણી ભાવના જમીન સાથે તો જોડાયેલી છે, પરંતુ એની પર રહેતા (અને આપણાથી જુદા) લોકો એ ભાવના માટે કાબેલ નથી. ભારતમાં જાત-ભાતના તિરસ્કાર છે. દલિતો અને હરિજનોને હજુ ય પશુ સ્તરે ગણવામાં આવે છે. સ્ત્રી હજુ ય પાપનું મૂળ ગણાય છે. ઇશાન ભારતના નાગરિકો હજુ ય મુખ્ય ભારતથી વંચિત મહેસૂસ કરે છે.

ટોકિયો ઓલેમ્પિકમાં આર્જેન્ટીના સામે સેમીફાઈનલ મેચ હારી ગયેલી ભારતીય મહિલા હોકી ટીમની સભ્ય વંદના કટારિયાના ઉત્તરાખંડ સ્થિત ઘર સામે ફટાકડા ફોડવામાં આવ્યા હતા. કેમ? વંદના દલિત છે અને ગામ લોકોને એવું લાગ્યું હતું કે ટીમમાં ‘વધારે પડતા’ દલિતો હતા એટલે ભારત હારી ગયું. તેનું મહેણું મારવા માટે તેમણે ફટાકડા ફોડ્યા હતા. પાકિસ્તાન સામે ફટાકડા ફોડો કે દેશના લોકો સામે, આમાં ક્યાં દેશપ્રેમ આવ્યો?

પ્રગટ : ‘બ્રેકીંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 15 ઑગસ્ટ 2021

Loading

...102030...1,8521,8531,8541,855...1,8601,8701,880...

Search by

Opinion

  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved