ગુજરાત પ્રદેશના સંસ્કૃત સાહિત્યમાં ખાસ કરીને મહાભારતના મર્મોને ખુલ્લા કરી આપનાર શ્રેષ્ઠ વક્તા તરીકે જેમની ગણના થાય તેવા સંસ્કૃતના પ્રકાંડ પંડિત, એક ઉમદા વિવેચક ડૉ. શાન્તિકુમાર પંડ્યાનું તા. ૧૭/૫/૨૦૨૧ના રોજ નિધન થયું છે, જેનાથી સંસ્કૃત જગતમાં ન પુરાય તેવી ખોટ પડી છે. ગુજરાતમાં રચાયેલાં મહાભારત આધારિત રૂપકોના અભ્યાસીઓનો જાણે અસ્ત થઈ ગયો છે.
મહેસાણા જિલ્લાના નાનકડા નદાસા ગામમાં તા. ૫-૯-૧૯૪૧ના રોજ શિક્ષક દિવસે મોઢ ચતુર્વેદી કુળમાં જન્મેલા ડૉ. શાન્તિકુમાર પંડ્યાને વારસામાં મળેલ સંસ્કારનું સિંચન થતા સ્વાભાવિક રીતે જ સંસ્કૃત વિષયમાં વિશેષ રુચિ દાખવતાં એમ.એ., પીએચ.ડી.ની પદવી સંસ્કૃત વિષય સાથે હાંસલ કરી.
અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં સ્નાતક કક્ષાએ લગભગ ૪૦ વર્ષ સુધી સુદીર્ઘ સેવા તેમ જ અનુસ્નાતકમાં ૩૫ વર્ષ સુધી એમના શિષ્યોને જ્ઞાન પીરસતા રહ્યા હતા. ક્લાસમાં પંડ્યાસાહેબ ‘કાવ્યપ્રકાશ’ ભણાવતાં હોય, ત્યારે સાક્ષાત્ મમ્મટાચાર્યનો જ જાણે આવિર્ભાવ ન થતો હોય તેવું લાગતું. એમની સમજાવવાની સાહજિક શૈલી એવી નિરાળી હતી કે ભલભલા વિદ્યાર્થીઓ આસાનીથી સમજી શકતા. આવી શીખવવાની અદ્ભુત કળાનો સંચાર એમની વિદ્યાર્થીઆલમમાં દૃષ્ટિગોચર થતો હતો. આથી જ સદ્ગત પંડ્યાસાહેબ પ્રિય શિષ્યોના આદર્શ બની જતા. એમના શિષ્યો સંસ્કૃત વિષયને જાણતાં, માણતાં, પિછાણતાં, અનુભવતાં જ્ઞાનરૂપી કસોટીની એરણ ઉપર ઘડાતા થાય તે માટે તેઓ અથાગ પ્રયત્નો કરતા. તેઓ મહાભારતના વિષયવસ્તુનું ઉત્તમ વિશ્લેષણ કરી એમાં આવતાં કૃતિનિષ્ઠ રહસ્યોને ખોલી આપવામાં નિપુણ હતા. આથી આપણે ચોક્કસપણે કહી શકીએ કે સંસ્કૃતની કૃતિનું ઉત્તમોત્તમ રસદર્શન કેવી રીતે કરી શકાય એ દિવંગત પંડ્યાસાહેબ પાસેથી શીખવા મળતું હતું.
સ્વ.પંડ્યાસાહેબ વિદ્યાર્થીવત્સલ વર્ગને સ્વર્ગમાં ફેરવી દેવામાં બેતાજ બાદશાહ હતા. વર્ગમાં સાહજિકતાથી અભિનય રજૂ કરતાં નાટ્યો અને કાવ્યો લગભગ કંઠસ્થ હતાં. ઑલ ઇન્ડિયા રેડિયો પર પણ સંસ્કૃત પાઠશાળાના વર્ગોનું સુચારુ સંચાલન કરી તેને વધુ ને વધુ લોકભોગ્ય બનાવવાની દિશામાં ખૂબ જ મોટું યોગદાન આપ્યું હતું. સંસ્કૃતમાં પણ રૂપકો ભજવતા. આકાશવાણી તથા દૂરદર્શન પર રથયાત્રા હોય કે જન્માષ્ટમી પર શ્રીકૃષ્ણના જન્મોત્સવ કે અન્ય સાહિત્યને લગતાં કાર્યક્રમોમાં સંસ્કૃત તજજ્ઞ તરીકે એમણે અનહદ સેવાઓ આપેલી છે. અરે ! દૂરદર્શન ઉપર મહાભારત શ્રેણી દર રવિવારે રજૂ થતી, ત્યારે ‘ગુજરાત સમાચાર’માં આ મુરબ્બી પ્રત્યેક એપિસોડનો ચિતાર આપી મહાભારતનાં પાત્રોને મૂલવવાની સમજ કેળવતા હતા.
મહાભારતની સમીક્ષિત વાચના ગુજરાતીમાં તૈયાર કરવા માટે પ્રવીણ પ્રકાશન, રાજકોટે જે બીડુ ઝડપ્યું અને લેખકોને પસંદ કર્યા તેમાં દિવંગત પ્રો. ડૉ. નાન્દીસાહેબ સાથે સદ્ગત ડૉ. શાન્તિકુમાર પંડ્યાને પણ પસંદ કરવામાં આવ્યા હતા. ઓરિએન્ટલ કૉન્ફરન્સ ગુજરાતમાં યોજાઈ ત્યારે સંપૂર્ણ ઉત્તરદાયિત્વ સંસ્કૃત અધ્યાપકમંડળના નેજા હેઠળ તેમણે હેમખેમ પાર પાડ્યું હતું.
આવા સ્વ.પંડ્યાસાહેબને માનવસંસાધન વિભાગ, ન્યુ દિલ્હી ઈ.સ. ૧૯૮૬ તથા ૧૯૮૭માં બે ગુજરાતી કૃતિઓ ‘ગામનાં તીરથ’ અને ‘સુખનો સૂરજ’ને ગુજરાતી ભાષામાં પ્રૌઢશિક્ષણ અનુસરણ માટેનો રાષ્ટ્રીય ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. આ ઉપરાંત સંસ્કૃતસાહિત્ય અકાદમી તરફથી ૧૯૯૪માં સંશોધનને લગતું પારિતોષિક પ્રાપ્ત થયું હતું.
સદ્ગત પંડ્યાસાહેબના માર્ગદર્શન હેઠળ ત્રણ વિદ્યાર્થીઓએ પીએચ.ડી.ની ઉપાધિ મેળવી છે. તેમના રસના વિષયોની વાત કરીએ તો તેમાં મહાભારત અને તત્ત્વદર્શન, ગુજરાતમાં લખાયેલું સંસ્કૃત સાહિત્ય, સંસ્કૃત કાવ્યમીમાંસા અને પાશ્ચાત્ય સાહિત્યશાસ્ત્રનું તુલનાત્મક અધ્યયન, ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મ, શ્રીમદ્ ભગવદ્ ગીતા, તત્ત્વજ્ઞાન અને ગુજરાતમાં રચાયેલા મહાભારત પર આધારિત સંસ્કૃત રૂપકો અને મહાકાવ્યો ઉપર વિશિષ્ટ કાર્ય કરેલ છે. આ સિવાય લગભગ ૬૦ જેટલાં પુસ્તકો સરસ્વતી પ્રકાશન અને પાર્શ્વ પ્રકાશનમાંથી ગુજરાતી, સંસ્કૃત, અંગ્રેજી અનુવાદ વિવેચનટિપ્પણી સાથે પ્રગટ થયા છે.
સંસ્કૃત વિષયની અને વિષયના અધ્યાપકોની ચિંતા, સતત એમના પ્રશ્નોની મથામણ મજબૂત રીતે અને નિર્ભયતાથી એમના કાર્યકાળમાં સારી રીતે રજૂઆત કરતા હતા. એમનાં વ્યાખ્યાનો પણ સતત વિદ્વત્તાપૂર્ણ અને અભ્યાસ માગી લે તેવા અનેકાનેક સંદર્ભો સાથેનાં રહેતાં. તેઓ સ્પષ્ટ વક્તા સરળ, સહજ, નિખાલસ હોવા છતાં તેજોદ્વેષથી પર વિદ્યાપુરુષ હતા.
મારો એમની સાથેનો ઘરેલુ સંબંધ રહ્યો છે. ગુજરાત યુનિવર્સિટીમાં પેપર મૂલ્યાંકનમાં ચૅરમેનપદે રહી અમને તટસ્થ મૂલ્યાંકન શીખવતા. મારી કૉલેજમાં બેથી ત્રણ વખત વ્યાખ્યાન આપવા આવ્યા ત્યારે મહાભારત પર આધારિત રૂપકોનું સાંગોપાંગ વક્તવ્ય આપી વિદ્યાર્થીઓને રસતરબોળ કરી દેતા. આખા વર્ગને ગૂંજવી દેતા હતા. આવા પ્રેમાળ સ્વભાવના દિવંગત પંડ્યા સાહેબને મારી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ નતમસ્તકે અર્પણ કરું છું.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2021; પૃ. 14