Opinion Magazine
Number of visits: 9676912
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શમ્સુદ્દીન ઇસ્માઈલ આગા

વિપુલ કલ્યાણી|Ami Ek Jajabar - Ami Ek Jajabar|27 July 2021

ઇંગ્લિસ્તાનના એક એશિયાઈ આગેવાનના નિવાસસ્થાને, ગઈ સદીના આઠમા દાયકામાં, એક મુશાયરાનું આયોજન થયું. નાટ્યલેખક શમ્સુદ્દીન આગા ઉર્દૂ શાયરીના એક સર્વોચ્ચ કવિ મિર્ઝા ગાલિબને [જન્મ : 27 ડિસેમ્બર 1797, આગ્રા − અવસાન : 15 ફેબ્રુઆરી 1869, દિલ્હી] આ મુશાયરામાં લઈ આવે છે. મર્ત્યલોકના માનવીની જેમ આ અમર શાયર પણ મૂંઝાયેલા, ખોવાયેલા હોય તેવો અનુભવ થાય છે. આપણ સૌની જેમ, અહીં પાત્રો પણ, એશિયાઈ સમાજની અધકચરી, ઢંગધડા વિનાની વાતો પેશ કરે છે.

માનવીની સુપ્ત વૃત્તિઓની, વિનોદ તથા કટાક્ષ વાટે, અહીં રજૂઆત થઈ છે. શાયરી, સંગીત, ગપસપ, બોલચાલ અને નાચગાનમાં પણ વ્યસ્ત રહેતી બ્રિટિશ એશિયાઈ જમાતને મન ભાંગડા નૃત્યસંગીત સૌથી અદ્દભુત વસ્તુ છે. તેની મજાક પણ અહીં છે. જાણીતા વિચારક, લેખક યાવ્વર અબ્બાસ લખે છે તેમ, ગાલિબની રચનાઓ ભણી વાચકને, શ્રોતાને દોરી જવાનો જ આશય લેખકનો અહીં નથી; પણ ખુદની મજાક કરવાનો અને જાતતપાસનો મકસદ પણ હોય તેમ લાગે છે.

ગઈ સદીના પાંચમા દાયકામાં કન્હૈયાલાલ કપૂરે ઉપહાસાત્મક રચના કરેલી, નામે, ‘મિર્ઝા ગાલિબ જદીદ શોર કી મહેફિલમેં’. એ ઘૂમ ઉપડેલું. તે મૂળ નાટકનું માળખું કબૂલ કરી, શમ્સુદ્દીન આગાએ, 1982ના અરસામાં, ઉર્દૂમાં એકાંકી લખ્યું. તેના અનેક ખેલ લંડનમાં અને ભારતમાં થયા. ઉર્દૂમાં આ ચોપડી 1984માં પ્રગટ થઈ, અંગ્રેજીમાં 1995માં થઈ. એ નાટકનું ગુજરાતી સંસ્કરણ કરાવવાનું અમારું સૂચન લેખકે સ્વીકાર્યું. હવે, અહીં, તેનું ગુજરાતી રૂપાન્તર આપીએ છીએ. અનુવાદનાં આ કામમાં, રૂપાંતરકાર મનીષ પટેલને, ગુજરાતી સાહિત્યકાર પ્રૉ. જયન્ત પંડ્યાએ પાયાગત માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું.

રમણભાઈ નીલકંઠની અમરકૃતિ ‘ભદ્રંભદ્ર’ના મુખ્ય પાત્રને, ક્યારેક, લાવણ્યનગરી લંડનની સહેલ કરાવવાની જરૂર ખરી ! પ્રાચીનપક્ષવાદી રૂઢિચુસ્ત ભદ્રંભદ્ર ધોતિયું, અંગરખું, ચકરી પાઘડી પહેરી, સખા અંબારામ જોડે, વિમાનમાં બેસી, લંડન આવે અને સ્વભૂમિ પરત થાય ત્યારે, મહામયી નગરીના વિમાનમથકે, સૂટેડબૂટેડ, હેટધારી દેખા દે, એવું પણ બની શકે ! … આ પણ એક ઓરતો છે !! … ખેર !

— વિ.ક. [‘ઓપિનિયન”, 26 જુલાઈ 2006; પૃ. પ્રથમ]

•••••

આ 26 જુલાઈ 2006ના “ઓપિનિયન”ના અંકના અગિયાર અગિયાર પાનાં પર પથરાયું આ નાટક જમાવટ કરી જાય છે. સમાપ્તિ ભણી ધસમસતા આ નાટકનો છેલ્લો અંશ જોવા સમ છે :

મિર્ઝા ગાલિબ :  હૈરાઁ હૂઁ દિલ કો રોઉં કે પીટૂં જિગરકો મૈં
                       મકદૂર હો તો સાથ રખૂઁ નોહાગરકો મૈં

(મિર્ઝા સાહેબ ઊભા થાય છે અને આસપાસ જુએ છે.)

                  મારે હવે સ્વર્ગમાં પાછા જવું પડશે − મારો વખત પૂરો થયો છે. મારી મુલાકાત આનંદ કરતાં દુ:ખ વધારે લાવી. મને પ્રશ્ન થાય છે કે મારું જીવવું નિષ્ફળ તો નથી ગયું ને ?

(જેવા તે સ્વર્ગમાં જવા હાથ ઊંચા કરે છે, કે ગાંધી ટોપી પહેરેલું અને હાથમાં ભારતીય ઝંડો લઈ એક પાત્ર પ્રવેશે છે.)

ભારતીય ઉર્દૂ : મિર્ઝા સાહેબ, ઊભા રહો. મારું નામ ઉર્દૂ છે. મારું ઘર હિન્દુસ્તાન છે.

(બીજું એક પાત્ર, જિન્નાહ ટોપી પહેરેલું પાકિસ્તાની ઝંડો લઈ પ્રવેશે છે.)

પાકિસ્તાની ઉર્દૂ : હજુ જવાનું નથી, ગાલિબ સાહેબ. મારું નામ ઉર્દૂ છે. મારું ઘર પાકિસ્તાન છે.

(ત્રીજું એક પાત્ર, બોલર હેટ પહેરેલું અને યુનિયન જેક લઈ પ્રવેશે છે.)

બ્રિટિશ ઉર્દૂ : ગાલિબ સાહેબ, મહેરબાની કરી સાંભળો. મારું નામ ઉર્દૂ છે. મારું ઘર ગ્રેટ બ્રિટનમાં છે. અમે જ્યાં પણ રહીએ, તમારું સ્થાન અમારા હૃદયમાં છે. તમારી શાયરી અમારી પ્રેરણા છે. જ્યારે અંધકાર હોય ત્યારે તમે પ્રકાશ પાથરો છો. જ્યારે અમે દુ:ખી હોઈએ ત્યારે તમે ઉત્સાહ બનીને આવો છો. જ્યારે અમે નિરાશ થઈએ ત્યારે આશાનું કિરણ બનીને આવો છો. અમારી ભાષા અને સંસ્કૃતિ વિષે તમે ચિંતા ન કરશો. જ્યાં સુધી તમારા જેવા શાયર છે, ત્યાં સુધી તે નાશ નહીં પામે − તેનો નાશ થઈ શકે જ નહીં.

(મિર્ઝા સાહેબ ટટ્ટાર થાય છે અને પોતાનો વિષાદ ભૂલી જાય છે. તે પોતાનાં પુસ્તકની નકલ પાત્રોને આપે છે. ગાલિબની ગઝલ ગવાતી સંભળાય છે : … ‘હૈ બસ કિ હર એક … … ‘ લાઈટ મંદ થતી જાય છે અને સાથે સાથે પડદો પડે છે.)

•••

આ શમ્સુદ્દીન ઇસ્માઈલ આગાનો 21 જુલાઈ 2021ના રોજ અહીં લંડનમાં દેહ પડ્યો. વળતે દિવસે વૉલ્ધમ ફોરેસ્ટના કબ્રસ્તાનમાં એમની દફનવિધિ સમ્પન્ન થઈ હતી. જાહેર જીવનને, નાગરિકી સમાજને, ઉદારમતી કોમને તેમ જ અહીં વસવાટી ભારતીય આલમને ન પૂરાય તેવી ખોટ પડી છે. લાંબા અરસા પહેલાં પત્નીનાં નિધન કેડે હવે શેષ પરિવારમાં પુત્રી, પુત્ર તેમ જ દોહિત્રી છે. 

શમ્સુદ્દીન આગા મૂળ મુંબઈનિવાસી. એમનો જન્મ ભાયખલા ખાતે, સન 1936 વેળા, 19 જૂને થયેલો. મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ઉપાધિ મેળવ્યા બાદ એમણે નાટક અંગેની તાલિમ પણ લીધી હતી. શિષ્ટ ફારસી તેમ જ અંગ્રેજી વિષયના એ વ્યાખ્યાતા ય હતા.

બીજા અનેક યુવાનોની પેઠે, એ કાળે, રોજગારીની ઉજ્જવળ શોધમાં, સન 1964 દરમિયાન, શમ્સુભાઈએ વિદેશની વાટ પકડી. અને તે દિવસોમાં સઘળાની નજર જેમ વિલાયત પર મંડિત રહેતી તેમ આ બિરાદર પણ વિલાયત આવ્યા. આરંભે જાતભાતની રોજગારી કરતા રહ્યા. લેંકેશરના બોલ્ટન નગરમાં શિક્ષણકામ પણ કર્યું અને ત્યાં ગોઠવાઈ જવાનું વિચાર્યું; પરંતુ છેવટે પાટનગર લંડનમાં જ એમનો મેળ પડ્યો અને પૂર્વ લંડનના વૉલ્ધમ ફોરેસ્ટ વિસ્તારમાં ઠરીઠામ થયા. અંગ્રેજી ઉપરાંત બીજી બેપાંચ ભાષાઓ ય જાણે તેથી લેયટન લાઇબ્રેરીમાં ગ્રથપાલ / વસ્તુપાલ [curator] તરીકે નિયુક્ત થયા. ત્યાર પછી, ન્યુહમ બરૉ કાઉન્સિલના ભાષાન્તર વિભાગમાં વડા અધિકારી તરીકે ય એમણે વરસો લગી સેવાઓ આપેલી અને ત્યાંથી જ પા સદી પહેલાં એ સેવાનિવૃત્ત થયેલા.

શમ્સુભાઈ જોડેનો કુંજને તેમ જ મને લગભગ આ અરસામાં જ પરિચય થયો અને તે અંત લગી મધમીઠો રહ્યો. કુંજને અવારનવાર ચાનક ચડાવી એમની સંગાથે નાટકમાં ઊતરવા ને કામ કરવા ય સૂચવતા.      

પંચ્યાશી વરસની વયને આંબી જનાર આ લેખકે અંગ્રેજીમાં અને ઉર્દૂમાં લખાઈ કેટલીક ચોપડીઓ આપી છે. ‘વહશત હી સહી’, ‘ટીપુ સુલતાન’, ‘મિર્ઝા ગાલિબ ઇન લંડન’ તેમ જ ‘ફ્લાઇટ ડિલેય્ડ’નો તેમાં સમાવેશ છે.

અહીંના વસવાટ દરમિયાન, એમણે 1969 વેળા ‘ઇન્ડિયન મુસ્લિમ ફેડરેશન’ની સ્થાપના કરી હતી અને તે સંસ્થાની એમણે ભરપૂર કાળજી કરી. વરસોથી એ આ સંસ્થામાં અંતિમ ક્ષણ લગી પ્રમુખપદે રહ્યા હતા. સંયુક્ત રાષ્ટૃ સંઘે આ સંસ્થાને સન 1999 વેળા NGOનો અધિકૃત મોભો પણ આપેલો. શમ્સુદ્દીન આગાના વડપણ હેઠળ આ સંસ્થાએ હરણફાળ ભરી અને પોતાનું કાયમી સરનામું પણ ઘડી કાઢ્યું. પોતાના કાર્યકાળ વેળા ફેડરેશન હેઠળ અનેક પરિસંવાદો તેમ જ પરિષદોનાં આયોજન પણ થયાં છે. ભારતીય મુસ્લિમોની દશા વિશે એમને ચિંતા રહ્યા કરતી અને જીનેવા, ન્યુ યોર્ક ખાતે તેમ જ દક્ષિણ આફ્રિકા જઈને પરિસંવાદોમાં અને બેઠકોમાં સક્રિય રજૂઆતો કરી હતી. વળી વિષયને લગતાં અનેક લખાણો ય એમણે કર્યા છે.

આમાંના એક ત્રિદિવસીય પરિસંવાદમાં ભાગ લેવાનો મોકો મને ય મળ્યો હતો. દેશવિદેશના અનેક કર્મઠ કાર્યકરો, વિચારકો તેમ જ આગેવાનો આ પરિસંવાદમાં સામેલ હતા. આમાં પ્રાદ્યાપક રામ પુન્યાની, તીસ્તા સેતલવડનો ય સમાવેશ હતો. ફેડરેશનના મકાનમાં જ સભાખંડની સગવડ. ગુજરાતી સાહિત્ય અકાદમીને કારણે ત્યાં બે’ક વાર સભાબેઠકને સારુ પણ જવાનું બન્યું છે. આ મકાન, આ સભાખંડનું પુનરુદ્ધાર થતું હતું તે દિવસોમાં, જ્યારે જ્યારે હળવામળવાનું થતું, ત્યારે ત્યારે શમ્સુભાઈ મારી કને વચન ઇચ્છતા, અકાદમીની એક સભા દર મહિને આ નવા સભખંડમાં શરૂ થાય !

ખેર ! … રાષ્ટૃીય સ્તરના આગેવાનો જોડે આગા સાહેબને નાતો રહેતો. સ્થાનિક નેતાગીરી અને અધિકારીગણ જોડે ય બેઠકઊઠક રહેતી. મોટે ભાગે વ્યાસપીઠથી દૂર, શ્રોતા વચ્ચે બેઠક કરતા આ આગેવાન સરીખા આજકાલ કેટલા હોય ? પરંતુ આ જણે, જાહેર જીવનનો ક્યારે ય તેવા સંપર્કનો અંગત ફાયદો લીધો જાણ્યો નથી. હંમેશાં કોમની જ સિફારસ; કોમવાદ અને જાતિભેદની સામેની જેહાદ; રૂઢિચુસ્ત વલણ તથા સામંતશાહી રીતિનીતિ સામેની લડત માંડી જ હોય અને વળી મનેખ તરીકે સમાનતા, ધર્મનિરપેક્ષતા અને ઋજુતાનો પરચમ લહેરાવ્યા કર્યો હોય. કોમના આગેવાન તરીકે નિષ્ઠા, પ્રામાણિક્તા, ન્યોછાવરીમાં, ભલા, એમનો જોટો મળવો મુશ્કેલ.

e.mail : vipoolkalyani.opinion@btinternet.com

હેરો, 27 જુલાઈ 2021

સૌજન્ય : "નિરીક્ષક", 01 ઑગસ્ટ 2021; પૃ. 10-11

Loading

વિદ્યાની અરથી ઊંચકે તેને વિદ્યાર્થી કહેવાય …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|26 July 2021

વિદ્યાર્થીનો કોશગત અર્થ ભણનાર, અભ્યાસી છે. આજના વિદ્યાર્થીને જોઈએ તો તે ભણવા સિવાયની જ પ્રવૃત્તિઓ વધારે કરતો દેખાય છે. સ્કૂલનો વિદ્યાર્થી કદાચ ભણવા પર વધુ ધ્યાન આપતો હોય એમ બને. એટલે જ 99 કે 98 ટકા માર્ક્સ એ લાવે છે ને વધુ હોશિયાર હોય તો 100માંથી 200 ટકા પણ લાવી શકે, પણ 100થી વધુ ટકા આપવાનું ચલણ નથી એટલે 100 ટકાએ જ સંતોષ માનવાનો રહે. કોરોનાને કારણે વગર પરીક્ષાએ કે આગલી પરીક્ષાને આધારે વિદ્યાર્થીઓએ ઘણા ટકા બનાવ્યા છે, છતાં આ વખતનાં પરિણામોથી કોઈને સંતોષ નથી, કારણ, સૌ જાણે છે કે આ પરિણામો કેવી રીતે આવ્યાં છે ! આ ટકાવારી કોલેજોમાં કદાચ બહુ મહત્ત્વની નથી, ત્યાં ક્લાસનું મહત્ત્વ છે. કોઈ સ્કૉલર હોય તો તેને યુનિવર્સિટી ચંદ્રકથી સંતોષ થાય છે. છેલ્લાં વર્ષનાં યુનિવર્સિટી રિઝલ્ટ્સ, પછી તો નોકરીનું કારણ બને છે ને વિદ્યાર્થી, વિદ્યાર્થી ન રહેતા ધંધાર્થી કે નોકરિયાતની ભૂમિકામાં આવે છે.

આજે કોલેજના વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીની ભૂમિકાઓ અંગે થોડી વાતો અગાઉના વિદ્યાર્થીઓના સંદર્ભમાં કરવી છે. એમાં કોઈ પૂર્વગ્રહ કે પક્ષપાતનો ઇરાદો નથી, કેવળ સંવેદનાઓ, ભાવનાઓ વહેંચવી અને સમજવી છે. એમાં હું ક્યાંક ખોટો હોઈ શકું છું ને મારી કોઈ ગેરસમજ હોય તો તે સુધારવાનો પણ વાંધો નથી. એટલું છે કે જે સમજ કેળવાઈ છે તે ચકાસવાનો હેતુ છે.

હું પી.ટી. સાયન્સ કોલેજનો વિદ્યાર્થી. 1967માં એસ.વાય.માં હતો ને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં વિદ્યાર્થી પ્રવૃત્તિમાં જોડાયેલો. 1965થી હું લેખક તરીકે છપાતો થઈ ગયેલો. લખવાને કારણે થોડો જાણીતો થયેલો ને થોડુંઘણું બોલતો પણ ખરો એટલે 1969માં સુરત શાખાનો મંત્રી પણ થયેલો. કોઈ મિત્રના કહેવાથી જનસંઘનો ખજાનચી પણ થયેલો અને વિઠ્ઠલવાડીમાં કોઈ સભામાં લાલકૃષ્ણ અડવાણી આવેલા ત્યારે કૈં બોલેલો પણ ખરો. નાનપરામાં એકાદવાર અધ્યાપક ચંપકલાલ સુખડિયા અમને થોડા વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની બેઠકમાં એક વાર લઈ ગયેલા. હું કુતૂહલવશ, કશી સભાનતા કે અપેક્ષા વગર જતો. પછી બી.એસસી. થયો કે વિદ્યાર્થી પરિષદ ને સંઘ ને જનસંઘ બધું ભુલાઈ ગયું. ત્યારે કૈં ઘટી ગયું કે કૈં ખૂટે છે એવી લાગણી પણ ન થઈ. એ પછી વિજ્ઞાન શિક્ષકની અને બેન્કની નોકરીમાં લાગ્યો.

અહીં આત્મકથા લખવા બેઠો નથી, પણ વિદ્યાર્થી કાળમાં વિદ્યાલક્ષી પ્રવૃત્તિઓમાં રસ પડેલો અને વિદ્યાર્થી પરિષદની પ્રવૃત્તિને મેં વિદ્યાની પ્રવૃત્તિ તરીકે જ લીધેલી. મને લખવા, વાંચવાનું ગમતું એ નિમિત્તે વિદ્યાર્થી પરિષદના એકાદ અંકનું સંપાદન કરેલું ને એમાં વાર્તા, કવિતા જેવું લખેલું પણ ખરું. ત્યારે તો એવું સ્વપ્નું ય નહીં કે આ સંસ્થાની પ્રવૃત્તિઓ રાજકારણને ક્યાંક અડે છે. કહેવાતું એવું જ કે વિદ્યાર્થી પરિષદ રાજકીય સંસ્થા નથી. વિદ્યાર્થીઓએ રાજકારણમાં જોડાવું જોઈએ એવું ભાન પણ ત્યારે નહીં. વિદ્યાર્થીએ તો ભણવાનું, એણે બીજી માથાકૂટમાં નહીં પડવાનું, એવું ત્યારે મનાતું અને કહેવાતું.

એ કાળે જે નિર્દોષતા ને બાઘાઈ કોલેજના વિદ્યાર્થીઓમાં હતી એવી જ મારામાં પણ હતી, ગતાગમ ઓછી જ ! સ્વમાન ગમતું ને તે જાળવતો. મારી ત્યારે કશી રાજકીય સમજ નહીં. કોઈની મને રાજકારણમાં ખેંચવાની વૃત્તિ હોય તો તે પારખવાની અક્કલ પણ નહીં. ભણવાનું પૂરું થયું કે એ પ્રવૃત્તિ મારા કશા પ્રયત્ન વિના આપોઆપ જ પૂરી થઈ ગઈ. કહેવાનું તાત્પર્ય એ છે કે ત્યારે વિદ્યાર્થીઓ રાજકારણથી મોટે ભાગે દૂર રહેતા. જો કે એવા વિદ્યાર્થીઓ પણ હતા જ જે રાજકારણમાં રસ લેતા ને આગળ જતા એમણે રાજકીય કારકિર્દી પણ બનાવી. એવા બહુ ઓછા હતા, પણ હતા. એવું જ અધ્યાપકોનું પણ હતું. એમનો પણ રાજકારણમાં ખાસ રસ નહીં. ત્યારે તો આજની વીર નર્મદ યુનિવર્સિટી, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તરીકે ઓળખાતી. એના અને અન્ય યુનિવર્સિટીના કુલપતિ શૈક્ષણિક યોગ્યતા અને અનુભવને લીધે આવે છે એવી ત્યારે સમજ. કોઈ કદાચ રાજકારણી હોવાને લીધે કુલપતિ થતા તો પણ તેમની શૈક્ષણિક પાત્રતા એ પદને શોભાવવા જેટલી તો છે જ એવી ખાતરી  રહેતી.

મુદ્દો એ છે કે ત્યારે રાજકારણ અને શિક્ષણ અલગ હતાં. શિક્ષણમાં કમાણી ઓછી હતી એમ જ રાજકારણમાં પણ ત્યારે ખાસ મળતર ન હતું. વડા પ્રધાન હોય ને અચાનક ગુજરી જાય તો માથે દેવું બોલતું હોય એવા સમયનો હું વિદ્યાર્થી. એ પરથી ખ્યાલ આવશે કે મળતર કેટલું હશે. શિક્ષણમાં જેમ યોગ્ય માણસો ઉચ્ચ હોદ્દા પર આવતા એમ જ રાજકારણમાં પણ ઉચ્ચ હોદ્દે યોગ્ય વ્યક્તિ મુકાય એની કાળજી લેવાતી. થોડું ઘણું ત્યારે પણ ગરબડિયું હશે જ, પણ આજે થોડું ઘણું જ નથી એનો અફસોસ છે.

પહેલાં નિર્દોષતા કે બાઘાઈ જે પ્રમાણમાં વિદ્યાર્થીઓમાં જોવા મળતી, એ આજે ઓછી જ બચી છે. વિદ્યાર્થીને પ્રવૃત્તિના વિસ્તારની સગવડો ને તકો પણ આજે વધારે મળી છે. એમાંની એક રાજકારણ છે. જો કે, આજે વિદ્યાર્થી પરિષદ કે અન્ય કેટલીક સંસ્થાઓ રાજકારણનો ભાગ છે એવું હવે સ્પષ્ટ થઈ ગયું છે. એમાં ઘણાનો હેતુ આગળ જતાં રાજકારણમાં સક્રિય થવાનો હોય ને એટલે એમાં જોડાયા હોય એમ બને. બધાંનો જ હેતુ એવો હોય એમ કહેવાનું નથી, પણ એવો હેતુ નથી જ, એવું પણ નથી. રાજકારણમાં આગળ ન વધે તો પણ કેટલીક રમત તો વિદ્યાર્થીઓ હવે શીખી જ લે છે. એને એટલું તો સમજાય છે કે સાચું હોય કે ખોટું, રાજકીય વગ અને પૈસા વગર કામ ભાગ્યે જ થાય છે. કૈં પણ ખોટું કરવા માટે અને અસત્યની સ્થાપના માટે એ અનિવાર્ય છે. કૈં પણ હક વગરનું જોઈએ છે તો રાજકીય વગ કે પૈસા હોય તો એ સહેલું થઈ જાય છે. વિદ્યાર્થીના પ્રવેશની વાત હોય કે કોઈ અધ્યાપકની નિમણૂકની વાત હોય કે ઈવન કોઈ કુલપતિ કે કમિશનરની જ પસંદગી કેમ ન કરવાની હોય, રાજકીય વગ કે પૈસા ન હોય તો ઘણાં કામ અટકી પડે છે.

આજે તો એવી સ્થિતિ છે કે સત્ય અને રાજકારણ એક બીજાના પર્યાય નથી. હું માનું છું કે જગતમાં બધું જ ખરાબ નથી. રાજકારણમાં પણ બધું ખરાબ નથી, ઓછી તો ઓછી, હજી ગરીબોને મદદ થાય છે, યોજનાઓ ચાલે છે, વિકાસ થાય છે. સત્ય ક્યાંક પ્રકાશે છે. લાયક અને હોશિયાર વિદ્યાર્થીઓ છે જ ને હજી યોગ્ય ઉમેદવાર પસંદ થાય છે, પણ એનું પ્રમાણ નહિવત છે. આજના વિદ્યાર્થીએ જાણી લીધું છે કે તેના પિતાએ કોઈ હોદ્દે રહીને કે કોઈ ધંધામાં કરીને કેવી રીતે કરોડોની સંપત્તિ ભેગી કરી છે ! તે એ પણ જાણી ગયો છે કે ટકવું હોય તો ભ્રષ્ટ થવા સિવાય ચાલે એમ નથી. વિદ્યાર્થી આનાથી દૂર રહે એવી અનુકૂળતા જ નથી. એમ કરવું પડે એ આજની માંગ છે. એનો એટલો વાંધો નથી, જેટલો એમાં સંડોવાવું પડે એવી નિવાર્યતા ઊભી કરનારનો છે. આ ભ્રષ્ટતા શીખવા વિદ્યાર્થી કોઈ રાજકીય સંસ્થા કે રાજકારણ પ્રેરી સંસ્થામાં પ્રવેશે છે. તેણે હકનું નથી તે જ મેળવવું છે ને રાજનીતિના પાઠ કોલેજ કાળથી જ શીખવા છે. કમાલ એ છે કે અનીતિને આપણે રાજનીતિનું નામ આપ્યું છે. વિદ્યાર્થી એ (અ)નીતિ શીખે છે. એ જ એનો આદર્શ છે. કોઈ રાજકીય ગુરુ શોધીને એ એમાં ઊંડો ઊતરે છે ને જેની મદદથી લાભ મેળવી શકાય એમ છે એ બધી દિશાએ તે નજર દોડાવે છે. એ જુએ છે તેની કોલેજમાં ને યુનિવર્સિટીમાં ચાલતી રાજરમતો. કોને ફોડી, તોડી, જોડીને લક્ષ્ય સાધી શકાય એમ છે તે એ જુએ છે ને થાય એટલું ખોટું કરીને બધું અંકે કરતો જાય છે. એને માટે કોઈ પણ વ્યક્તિ એ આગળ વધવાનું પગથિયું માત્ર છે. એવાં પગથિયાં વટાવતાં જઈને એ કોઈ પાર્ટીનો નેતા કે મંત્રી બને છે. કામ દ્વારા નામ અને દામ મેળવે છે ને એ ખસે તો પછી એનાં સંતાનો આગળ આવે છે. આમ તો આ વારસાગત નથી, પણ વારસાઈ હોય એમ વહીવટ ચાલે છે. રાજાનો દીકરો રાજા જ બને એમ મંત્રીનો દીકરો મંત્રી જ બને, એવું નથી જ થતું એવું ક્યાં છે?

વાત એટલી જ નથી. વિદ્યાર્થી પાસેથી કેવળ શિક્ષણ અંગેની જે વફાદારી રહેતી હતી, એ હવે નથી. જે ક્ષેત્ર રાજકારણથી દૂર રહેવું જોઈતું હતું એનાથી જ શિક્ષણ શરૂ થાય છે. રાજકારણ એટલે ભ્રષ્ટતા, રાજકારણ એટલે અનીતિ, રાજકારણ એટલે અસત્ય – એવી જે વ્યાખ્યાઓ અત્યારે ચરમસીમાએ છે એમાંથી શિક્ષણ બાકાત નથી એનું દુ:ખ છે. આવું રાજકારણ ઇચ્છવા જેવું છે? એ ઇચ્છવા જેવું છે કે વિદ્યાર્થી અનીતિ, અન્યાય અને અસત્યનો પાયો શિક્ષણ દ્વારા મજબૂત કરે? આ બધું મજબૂત થાય છે કારણ રાજકીય વગવાળી વ્યક્તિ કુલપતિ થાય છે. આ બધું મજબૂત થાય છે કારણ યોગ્ય ઉમેદવારનો હક મારીને રાજકીય વગવાળી વ્યક્તિ અધ્યાપક કે શિક્ષક થાય છે. આ બધું મજબૂત થાય છે કારણ રાજકીય વગનો લાભ લઈને કોઈ વિદ્યાર્થી પાસ થાય છે. કોઈ આદર્શ, કોઈ સિદ્ધાન્ત કે કોઈ નિષ્ઠા જ જ્યાં ખપના ન રહ્યાં હોય ત્યાં વિદ્યાર્થી ભણનાર ન રહેતા, વિદ્યાની અરથી ઊંચકનાર જ થાય એમાં નવાઈ નથી. શિક્ષણનો આખા દેશે મળીને સર્વનાશ કર્યો છે ને એની અસરો પેઢીઓ સુધી પહોંચે તો આઘાત ન લાગવો જોઈએ …

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 26 જુલાઈ 2021

Loading

જોગમાયા અગાસી

પંચમ શુક્લ|Poetry|26 July 2021

ગમે તો જુએ તેજરાયા અગાસી,
નહીંતર સૂએ જોગમાયા અગાસી.

અતિવૃષ્ટિમાં છત્રરૂપે છવાઈ,
થથરતી લઈ ભીની કાયા અગાસી.

ઉનાળે કડપથી દઝાડે ને પાછી,
શિયાળે હુંફાળી છે આયા અગાસી

વિરહી પ્રિયાના વ્યથિત કૃષ્ણપક્ષે,
કળાઓ ગણે ખેલખાયા અગાસી.

કદી વિસ્તરી જઈને અંતાક્ષરીમાં,
રચે કો નવી અર્થછાયા અગાસી.

અથાણાં, વડી, પાપડોને સૂકવતી,
ગૃહિણીની છે ભ્રાતૃજાયા અગાસી.

ધરી સ્વપ્ન હેન્ગિન્ગ-ગાર્ડનનું મનમાં,
ઉછેરે છે પીપળો ભૂજાયા અગાસી.

પતંગોની રંગીન ગતિના ચલનથી,
કળે ઉત્તરાયણની છાયા અગાસી.

નથી બીચનું સખ્ય જેનાં નસીબમાં,
છે એવા જનોને ‘પટ્ટાયા’ અગાસી.

 

તેજરાયા – અકાશના તેજસ્વી પદાર્થો (સંઃ ભોગીલાગ ગાંધી – “તું તારા દિલનો દીવો થા ને”)
જોગમાયા – સૃષ્ટિ ઉત્પન્ન કરવામાં સહાયક બનતી ઈશ્વરની પોતાની બાર શક્તિઓમાંની એક શક્તિ, કારસ્તાની સ્ત્રી
કૃષ્ણપક્ષ – અંધારિયું પખવાડિયું; વદિ પક્ષ
ખેલખાયા – અનુભવી કે  જાણીતી સ્ત્રી  ( સામાન્ય રીતે વેશ્યાના અર્થમાં)
અર્થછાયા- શબ્દ પોતાનો સંપૂર્ણ અર્થ ન આપતાં ઓછો ખ્યાલ માત્ર આપે એવી પરિસ્થિતિ, ‘ન્યુઅન્સ’
ભ્રાતૃજાયા – ભાભી; ભોજાઈ, [ ભ્રાતૃ ( ભાઈ ) + જાયા ( સ્ત્રી )] હેન્ગિન્ગ-ગાર્ડન –  Trees being planted on a raised structure such as a terrace.
ભૂજાયા- [ભૂ ( પૃથ્વી ) + જાયા ( જન્મેલી ) ], પૃથ્વીમાંથી નીકળેલી, સીતા
પટ્ટાયા – Pattaya is a city on Thailand’s eastern Gulf coast known for its beaches.

Loading

...102030...1,8431,8441,8451,846...1,8501,8601,870...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved