Opinion Magazine
Number of visits: 9571505
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—100

દીપક મહેતા|Opinion - Opinion|19 June 2021

મુંબઈનું મેઘદૂત, ઓગણીસમી સદીના અંગ્રેજોની કલમે 

વરસાદને માણવાના આ દિવસો છે. પારકાંને પોતીકાં બનાવવાના દિવસો છે. પોતીકાંની વધુ નિકટ જવાના આ દિવસો છે. નિકટનાં નજીક ન હોય તો મેઘદૂતનો પ્રેમ-સંદેશ મોકલવાના દિવસો છે. પણ દુનિયામાં બધે પડતો વરસાદ એક સરખો નથી. બ્રિટન, યુરપના ઘણા દેશોમાં ચોમાસા જેવી ઋતુ જ નથી. ત્યાં બારે માસ ગમે ત્યારે વરસાદ પડે છે. ‘આવે આવે ને જાય રે મેહુલિયો’ એવો. આથી જ બારે માસ પડતા વરસાદથી અકળાયેલું બાળક ગાય છે : Rain, rain go away. જ્યારે આપણા દેશમાં આઠ આઠ મહિના રાહ જોયા પછી વરસાદ આવે તો આવે. એટલે અહીંનું બાળક ગાય છે : ‘આવ રે વરસાદ.’ કેટલાક અંગ્રેજ લેખકોએ મુંબઈના વરસાદ વિષે ૧૯મી સદીમાં જે લખ્યું તેમાંથી આજે અહીં થોડાં અમી છાંટણાં.

એમ.ડી.ની ડિગ્રી ધરાવતા હેન્રી મોઝીસ વ્યવસાયે ડોક્ટર હતા અને હિન્દુસ્તાનની મુસાફરી પછી તેમણે આ પુસ્તકમાંના લેખો લખ્યા હતા જે પહેલાં મિસિસ મિલ્નરે ‘ધ ઇંગ્લિશ વુમન્સ મેગેઝીન’માં પ્રગટ કર્યા હતા. આથી લેખકે પુસ્તક તેમને અર્પણ કર્યું છે. આ લેખક વિષે વધુ માહિતી મેળવી શકાઈ નથી.

*

મુંબઈના દરિયા પર ઘેરાયેલાં  વાદળાં – ‘સ્કેચિસ ઓફ ઇન્ડિયા’ પુસ્તકમાંથી

ઘણી રાહ જોયા પછી છેવટે એ દિવસ આવ્યો જ્યારે આભના આગળા ખૂલી ગયા, અને માણસો, જનાવર, અને વનસ્પતિની આતુરતાનો અંત આવ્યો. બપોર પડતાં સુધીમાં નૈરુત્ય દિશામાં કાળાં વાદળાંએ દેખા દીધી, અને જોતજોતામાં તો આખા આકાશમાં છવાઈ ગયાં. અજવાળું ભૂખરું થઈ ગયું, ગરમી ઘટી ગઈ. કોણ જાણે ક્યાંથી શીતલ પવન વાવા લાગ્યો. સમુદ્ર એકાએક આકુળ-વ્યાકુળ થઈ ગયો. એક બાજુથી પવનની થપાટો, અને બીજી બાજુ કિનારા પરના પથરા પર મોજાંની થપાટો. દૂરના ડુંગરાઓ પર થતી ગડગડાટી અહીં સુધી સંભળાતી હતી. વીજળીના ઝબકારા ક્ષણાર્ધ માટે બધું અજવાળતા હતા. નાળિયેરી પરનાં સૂકાં પાન એક્બીજાં સાથે અથડાઈને જાણે કે ખંજરી બજાવી રહ્યાં હતાં. કુદરતનાં તત્ત્વો એકબીજા સામે યુદ્ધે ચડ્યાં હતાં.

વરસાદનાં મોટાં મોટાં ટીપાં વરસવા લાગ્યાં. એ જમીન પર પડે ત્યારે ધૂળનાં નાનાં નાનાં ટીપાં ઊછળકૂદ કરવા લાગ્યાં. જોતજોતામાં તો વરસાદનું જોર વધ્યું, અને અહીં, તહીં બધે, બધું જ જળબંબાકાર થઈ ગયું. ખેતરમાં કામ કરતો ખેડૂત તેની માટીની મઢુલીમાં ભરાઈ ગયો અને ધીમા સાદે રામરક્ષાકવચ ગણગણવા લાગ્યો. તો મુંબઈ શહેરના કોટ વિસ્તારમાંની ઊંચી ઈમારતો દરેક ગડગડાટ સાથે ધ્રૂજવા લાગી. દરેક મકાનના છાપરા પરથી પાણીનો ધોધ પડવા લાગ્યો. અને ઘણાં મકાનોનાં છાપરાં પરથી પડતાં પાણીએ રસ્તાઓને નદીમાં પલટી નાખ્યા. આપણે અંગ્રેજોએ આપણા દેશમાં આવો વરસાદ ક્યારે ય જોયો નથી. આપણે તો લગભગ બારે માસની ઝરમરથી ટેવાયેલા છીએ. એટલે અહીંનું ચોમાસું પહેલી વાર જોતી વખતે ઘણા અંગ્રેજો તો એમ જ માને છે કે હવે આ પૃથ્વી રસાતાળ જવાની છે.

હેન્રી મોઝિસ, સ્કેચિસ ઓફ ઇન્ડિયા, (૧૮૫૦)માંથી 

મુંબઈનો વરસાદ – વોટર કલર

એમનું આખું નામ જ્યોર્જ ક્રિસ્ટોફર મોલ્સવર્થ બર્ડવૂડ. ૧૮૩૨માં જન્મ, ૧૯૧૭માં અવસાન. કારકિર્દી દરમ્યાન અનેક બંદરનાં પાણી પીધેલાં. ડોક્ટર થઈને ૧૮૫૪માં બોમ્બે મેડિકલ સર્વિસમાં જોડાયા. ગ્રાન્ટ મેડિકલ કોલેજમાં પ્રોફેસર બન્યા. પછી યુનિવર્સિટી ઓફ બોમ્બેના રજિસ્ટ્રાર. ૧૮૫૮માં મુંબઈના પહેલવહેલા મ્યુઝિયમના પહેલા ક્યુરેટર બન્યા. (આજે આ મ્યુઝિયમ ભાઉ દાજી લાડ મ્યુઝિયમ તરીકે ઓળખાય છે.) મુંબઈના શેરીફ બન્યા. પણ પછી નબળી તબિયતને કારણે ૧૮૬૮માં ઇંગ્લંડ જઈ સ્થાયી થયા.

*

મુંબઈથી ખંડાળા સુધીના આખા વિસ્તાર પર સ્વચ્છ, શાંત અજવાળું પથરાઈ ગયું હતું. એકેએક ગામડું, તેની એકેએક ઝૂંપડી, દરેક રસ્તો અને દરેક કેડી, અરે, ચોક આગળ આવેલી નદી પરનો પુલ સુધ્ધાં એકદમ સાફસૂથરાં, સ્પષ્ટ દેખાતાં હતાં. વૃક્ષો પર કોઈએ લીલા રંગની જાદુઈ પીંછી ફેરવી દીધી હોય તેમ લાગતું હતું. આછા, પણ સ્પષ્ટ પ્રકાશમાં દરેકે દરેક ઝરણું જાણે પાણીનું નહિ પણ પ્રવાહી રજતનું હોય એમ લાગતું હતું. પનવેલ અને નાગોઠાણા નદીઓ તો અરીસાની જેમ ચમકતી હતી, અને દરિયા પર જે વધતા-ઓછા પ્રકાશના શેરડા પડતા હતા તેને કારણે જાણે કુદરત કોઈ મહાકાય પિયાનો વગાડી રહી હોય એવું લાગતું હતું.

લગભગ પાંચેક વાગ્યે વાવાઝોડાની સવારી વાજતેગાજતે આવી પહોંચી. કડાકાભડાકા, વીજળીના ચમકારા. લગભગ એક કલાક સુધી આ ચાલુ રહ્યું. ક્યારેક તો લાગતું હતું કે આ તોફાન ડુંગરોને ઉખેડીને અધ્ધર હવામાં ફંગોળી તો નહિ દે ને! મુંબઈના દરિયા પર પશ્ચિમ આકાશમાં આછું, સોનેરી અજવાળું પથરાઈ ગયું. પછી ધીમે ધીમે ચંદ્રોદય થયો. અને ધરતીથી આકાશ સુધીનો એક રૂપેરી પુલ બંધાઈ ગયો. પણ પછી બીજે દિવસે સાવ શાંતિ, જાણે કશું બન્યું જ નહોતું! પણ ત્રીજે દિવસે ફરી વાદળાં ઊભરાવા લાગ્યાં. બપોરે બે વાગતા સુધીમાં તો આખું આકાશ કાળુંધબ્બ! બિહામણું! અને ચાર વાગ્યે મોસમનો પહેલો વરસાદ.

સર જ્યોર્જ બર્ડવૂડ, ‘લંડન ટાઈમ્સ’, જાન્યુઆરી ૧૮૮૦માંથી

સર થોમસ અર્સકીન પેરીનો જન્મ ૧૮૦૬માં, અવસાન ૧૮૮૨. વ્યવસાયે વકીલ. મુંબઈ ઈલાકાની ‘સુપ્રીમ કોર્ટ’ના ન્યાયાધીશ. પછીથી એ જ કોર્ટના ચીફ જસ્ટિસ (૧૮૪૭-૧૮૫૨). ઇન્ડિયન બોર્ડ ઓફ એજ્યુકેશનના દસ વરસ સુધી પ્રમુખ. ૧૮૫૪થી ૧૮૫૯ સુધી બ્રિટિશ પાર્લમેન્ટના સભ્ય. ૧૮૫૯થી ૧૮૮૨ સુધી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્ય. પ્રિવી કાઉન્સિલના સભ્ય નિમાયા, પણ માંદગીને લીધે શપથ ન લઈ શક્યા.

*

ચોમાસાનું આગમન એ હવામાન શાસ્ત્રની દૃષ્ટિએ પશ્ચિમ હિન્દુસ્તાનમાં એક મોટી ઘટના બની રહે છે. મે મહિનાને અંતે મુંબઈમાં સૂરજ બરાબર માથે તપતો હોય છે. અત્યાર સુધી વહેતો રહ્યો હતો એ દરિયાઈ પવન થંભી જાય છે. વાતાવરણમાં ગૂંગળામણ. છેલ્લા આઠ મહિનાથી વરસાદની એકાદ ઝડી પણ વરસી નથી, એટલે ધરતી છે સાવ ઉજ્જડ, વેરાન, ભેંકાર. દરિયા કિનારા પરની નાળિયેરીનાં પાંદડાં પણ જાણે બેભાન હોય તેમ ઝૂકી ગયાં છે. રોજ સાંજ પડ્યે દક્ષિણ દિશામાંથી આવીને વાદળાંના ઢગલેઢગલા આકાશને ભરી દે છે. સૂર્યાસ્ત વખતે એ બધાં જાતજાતના રંગોમાં જાણે કે ધોવાઈ જાય છે. થોડા દિવસ પછી આવી પહોંચે છે કાળાં ડિબ્બાણ વાદળાંનાં ઝુંડનાં ઝુંડ. આકાશની દિવાલ પર વીજળીના ઝબકારા કોઈ અજાણી લિપિમાં કોઈક સંદેશ લખી રહ્યા છે. દિવાલો પર જાહેર ખબર ચિતરનારા છોકરાઓની જેમ વાદળાં ડુંગરોના એક શિખર પરથી બીજા શિખર પર દોડાદોડી કરી રહ્યાં છે. પણ રાત સુધીમાં તો બધું શાંત. આકાશમાં ચંદ્ર બરાબર માથા પર આવી ગયો છે. છતાં, આપણા દેશમાં ક્યારે ય જોવા ન મળે એટલા તારા આકાશમાં જોઈ શકાય છે.

અહીં વરસાદની શરૂઆત અનેક રીતે થાય છે. કોઈક વાર વીજળી અને કડાકાભડાકા સાથે રાજાશાહી ઠાઠથી એ પધારે છે. ક્યારેક નવોઢાની જેમ દબાતે પગલે આવે છે. તો ક્યારેક તોફાની બાળકની જેમ સંતાકૂકડી રમતો આવે છે. પણ ભલે એ ગમે તે રીતે આવે, થોડા જ વખતમાં ધરતી પરથી ભૂખરો રંગ ગાયબ થઈ જાય છે અને અહીં, તહીં, સર્વત્ર લીલા રંગનું સામ્રાજ્ય સ્થપાઈ જાય છે.

સર અર્સ્કીન પેરી, બર્ડઝ આઈ વ્યૂ ઓફ ઇન્ડિયા, (૧૮૫૫)માંથી 

બે લેખકો: બર્ડવૂડ અને અર્સકીન

સ્કોટલેન્ડ, ઇંગ્લંડ, હિન્દુસ્તાન, આયર્લેન્ડ, અને ફ્રાન્સમાં વસવાટ કરનાર એલિઝાબેથ ગ્રાન્ટનો જન્મ ૧૭૯૭માં, અવસાન ૧૮૮૫. પિતા પાર્લમેન્ટના સભ્ય. ૧૮૨૭માં એલિઝાબેથ અને તેમનું કુટુંબ મુંબઈ રહેવા આવ્યું. જીવનનાં ઘણાં બધાં વરસ તેમણે એકધારી રીતે ડાયરી અને નોંધ લખ્યાં. તેમના નામ વગર તેમાંનાં કેટલાંક લખાણો સામયિકોમાં પ્રગટ થયાં હતાં ‘મેમ્વાર્સ ઓફ અ હાઈલેન્ડ લેડી’ લખાયું હતું તો માત્ર કુટુંબના સભ્યોના વાચન માટે. તેમની દીકરીની પરવાનગી મેળવીને તેનું પહેલું પ્રકાશન ૧૮૯૮માં થયું હતું. જો કે તેનું સંપાદન કરનાર જેન મારિયા સ્ટ્રેચીએ તેમાં ઘણી કાપકૂપ કરી હતી. એક જ વરસમાં તેનાં ચાર પુનર્મુદ્રણ થયાં. કશી કાપકૂપ વગર સંપૂર્ણ પુસ્તક ૧૯૮૮માં પહેલી વાર પ્રગટ થયું.

*

એલિઝાબેથ ગ્રાન્ટ

મને બરાબર યાદ છે. તે દિવસે બપોરે મારી મા અને હું જમવા બેઠાં હતાં. એકાએક અમે ગુંગળામણ અનુભવવા લાગ્યાં. ભર બપોરે એકાએક અંધારું ઊતરી આવ્યું. દૂરથી ગડગડાટી સંભળાતી હતી. કશુંક અસાધારણ બનવાનું છે એમ લાગ્યું. નોકરો બારી તરફ દોડ્યા અને મકાનની એક બાજુની બધી બારી બંધ કરી દીધી. હા, આ એ બાજુ હતી જે બાજુથી વાવાઝોડું ત્રાટકવાનો સંભવ હતો. અને બે પાંચ ક્ષણોમાં જ પવન એવો તો સૂસવાટાભેર વાવા લાગ્યો કે અમે બીજું કશું જ સાંભળી શકતાં નહોતાં. નોકરો કૈંક બોલી રહ્યા હતા એ અમને દેખાતું હતું, પણ કશું સંભળાતું નહોતું. અને ત્યાં તો ધૂળની ડમરી ઘોડાપૂરની ઝડપે આવી. ફર્શ, બેઠકો, ટેબલ, બધું ધૂળથી ઢંકાઈ ગયું. પછી થોડી વાર નિઃસ્તબ્ધતા. જાણે કશું બન્યું જ નહોતું. પછી આકાશમાં ગડગડાટી. નજીક ને નજીક આવતી રહી એ, અને છેવટે જાણે અમારા ઘર પર જ ત્રાટકી. અને પછી શરૂ થયો મૂશળધાર વરસાદ. મારી મા અને હું તો એવાં ડઘાઈ ગયેલાં કે કાપો તો લોહી ન નીકળે! તે દિવસે મને જેટલી બીક લાગી હતી એટલી ન તો પહેલાં ક્યારે ય લાગેલી, ન તો પછી ક્યારે ય લાગી છે. તે દિવસે જે ધોધમાર વરસાદ શરૂ થયો તે બીજા દિવસે બ્રેકફાસ્ટના ટાઈમ સુધી સતત ચાલુ રહ્યો. આવા વરસાદનો અમારો આ પહેલો અનુભવ.

એલિઝાબેથ ગ્રાન્ટ, મેમ્વાર્સ ઓફ અ હાઈલેન્ડ લેડી, (૧૮૯૮)માંથી

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિ-ડે”, 19 જૂન 2021

Loading

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આવા શિક્ષકોને કારણે ઊજળી છે …

રવીન્દ્ર પારેખ|Samantar Gujarat - Samantar|18 June 2021

15 જૂન, 2021ના “ધબકાર”માં બીજે પાને એક ફોટો છપાયો છે. એની નીચે શેરીમાં ત્રણ શિક્ષકો બાળકોને શાળાપ્રવેશ માટે વાલીઓને સમજાવી રહ્યા છે – એવું લખાણ છે. એ વાંચીને સવાલ એ થયો કે શિક્ષકોએ આ કામ કઈ ખુશીમાં કર્યું? તપાસ કરતાં ખબર પડી કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત શ્રી દામોદર હરિ ચાફેકર શાળા નંબર 222ના મુખ્ય શિક્ષક ચંદ્રશેખર નિકમનું એ સાહસ હતું. ચંદ્રશેખર નિકમ ચીકુવાડી વિસ્તારમાં રહે છે અને એમની શાળા પાંડેસરા વિસ્તારમાં છે. સ્કૂલનું નવું સત્ર શરૂ થયું એ ગાળામાં 11 જૂનથી ચંદ્રશેખર નિકમ સવારે 8 વાગે ચંદ્રકાંત જાધવ અને સંજય સાવંતને લઈને ક્રિષ્ના નગર, અંબિકા નગર, આવિર્ભાવ સોસાયટી જેવા વિસ્તારોમાં નીકળી પડે છે. 8 વાગે એટલા માટે કે મોડું થાય તો વાલીઓ કામ પર નીકળી જાય ને સંપર્ક મુશ્કેલ બને. વાલીઓને તેમનાં સંતાનો મરાઠી માધ્યમની શાળામાં પ્રવેશ મેળવે તે માટે સમજાવાય છે. એને માટે શિક્ષકોની ટીમ ઘરે ઘરે પેમ્ફલેટ વહેંચે છે ને માઈકમાં પ્રાથમિક શાળામાં પ્રવેશ લેવાથી કયા લાભ છે તે કહે છે, એ સાથે જ નાગસેન નગર અને તેની આસપાસના વિસ્તારમાં 222 અને 255 નંબરની શાળા આવેલી છે તેનો ખ્યાલ પણ અપાય છે ને સૂચવાય છે કે આ શાળામાં તો વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે જ, પણ બીજા વિસ્તારોમાં રહેતા હોય તેઓ પણ તેમની નજીકની સ્કૂલોમાં પ્રવેશ મેળવે, પણ શિક્ષણથી વંચિત ન રહે.

વિદ્યાર્થી પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવે તો તેણે ફી તો ભરવાની નથી જ, ઉપરથી વર્ષે તેને 1,100 રૂપિયા સ્કોલરશિપ મળે તે નફામાં. સ્કૂલોમાં અત્યારે મધ્યાહ્ન ભોજનને વિકલ્પે ઘઉં ને ચોખા ચોક્કસ સમય ગાળામાં આપવામાં આવે છે તે બીજો લાભ … આવી ઘણી માહિતી આચાર્ય નિકમ અને તેમનાં સાથી શિક્ષકો આપતા રહે છે. નિકમ સાહેબનો ઉદ્દેશ વધારે વિદ્યાર્થીઓ એમની શાળામાં પ્રવેશ મેળવે અને શિક્ષણથી વંચિત ન રહે એ છે. વિદ્યાર્થીઓના પ્રવેશ માટે વાલીઓને સમજાવવાના પ્રયત્નો સાહેબે અગાઉ પણ કર્યા જ છે, એટલું જ નહીં, કોરોના નિમિત્તે લોકોને રસી લેવા સમજાવવાનું ને ફંડ ઊભું કરીને અનાજ, તેલ જેવી સામગ્રી ઘરે ઘરે પહોંચાડવાનું કામ પણ કર્યું છે. આ ઉપરાંત વર્ગ શિક્ષણ કે ઓનલાઈન શિક્ષણને વધુ સજીવ બનાવવાના પ્રયત્નો પણ નિકમ તેમની સ્કૂલમાં કરતાં રહે છે. એક તરફ શિક્ષકો, વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળામાં પ્રવેશ લે તે માટે પ્રયત્નો કરે છે તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઉત્રાણની મહારાજા કૃષ્ણકુમાર સિંહજી પ્રાથમિક શાળા નં. 334 અને પ્રમુખસ્વામી મહારાજ પ્રાથમિક શાળા નં. 346માં 1,600 જગ્યાઓ માટે 3,500 અરજીઓ આવી છે. ત્રણ વર્ષથી અહીં પ્રવેશ માટે ધસારો થાય છે. આમ થવાનું કારણ અહીં અપાતું શિક્ષણ છે. સવારની પાળીના આચાર્યા રમા પદ્માણીએ કહ્યું કે પહેલું વર્ષ હતું ત્યારે વિદ્યાર્થીઓને શોધવા જવું પડતું હતું, પણ હવે પ્રવેશ માટે એટલો ધસારો છે કે ડ્રો કરીને પ્રવેશ આપવો પડે છે. આમ થવાનું કારણ આપતા ચેતન હીરપરા કહે છે કે અહીનું શિક્ષણ સારું હોવા ઉપરાંત મોટું ગ્રાઉન્ડ, લાઈબ્રેરી, રમત-ગમતનાં સાધનો જેવી ઉત્તમ સુવિધાઓ પણ છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 15 સભ્યોની સમિતિની ચૂંટણી આવી રહી છે એમાં શાસક પક્ષ વધારે સીટો કેવી રીતે કબજે કરાય એના દાખલા ગણવામાં પડ્યો છે, વિપક્ષ પણ ફાળે આવેલી બે સીટો પર નજર માંડીને બેઠો છે. એ બધાં ચૂંટણી જીતશે ને સમિતિ ચમત્કારો કરશે એવું લોકો તો ખાસ માનતા નથી. એ બધાં જાણે છે કે સરકારમાં કે સંસ્થાઓમાં સમિતિઓ કામ ન કરવા જ બનતી હોય છે અને કદાચ કોઈ કામ થાય પણ, તો તે ન થયા બરાબર જ હોય છે. આમ પણ સમિતિ ને પ્રાથમિક શિક્ષણ વગોવાઈ ચૂક્યાં છે ત્યારે સમિતિની સ્કૂલોમાં શિક્ષણ સુધરે અને ખાનગી સ્કૂલોમાં પ્રવેશ મેળવવાનો મોહ છોડીને સમિતિની શાળાઓમાં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે એ માટે નિકમ જેવા આચાર્ય ને તેમનાં શિક્ષકો ગલીએ ગલીએ ફરે એ સુખદ આશ્ચર્ય જ છે. આ મામલામાં સમિતિ પોતે તો નિષ્ક્રિય છે ને તેણે આ બધું કરવાનો શિક્ષકોને આદેશ આપ્યો છે એવું પણ નથી, તો કેમ આ શિક્ષકો ઘરે બેસીને પગાર ગણવાને બદલે સ્વેચ્છાએ સમિતિની શાળાઓમાં વિદ્યાર્થીઓ પ્રવેશ લે એને માટે મથે છે?

જે સ્કૂલમાં ગરીબ વાલી પણ પોતાનાં બાળકને મૂકવા રાજી નથી, એ સ્કૂલમાં ખાનગી શાળામાંથી ઉઠાડીને વાલીઓ બાળકને પ્રવેશ અપાવવા લાઇન લગાવે તો તેવી શાળાઓ માટે માન થવું સહજ છે.

એક તબક્કે સરકારે ખાનગી સ્કૂલોને ઉત્તેજન આપીને અને પ્રાથમિક સ્કૂલોને બંધ કરતાં જઈને એવું ચિત્ર ઊભું કર્યું કે વાલીઓને થઈ ગયું છે કે સારું શિક્ષણ તો ખાનગી સ્કૂલોમાં જ અપાય છે. આવામાં પ્રાથમિક સ્કૂલો બંધ ન થાય તો શું થાય? સરકારની દાનત પણ અંદરથી એવી રહી છે કે પ્રાથમિક સ્કૂલો બંધ થાય તો એના શિક્ષકોનો ને વિદ્યાર્થીઓનો બોજો ઉપાડવો મટે. રૂપિયો ફી લેવાની નહીં ને ઉપરથી શિક્ષકોનો પગાર ને સ્કૂલોના ખર્ચા કાઢવાના. એમાં સરકારને બહુ રસ ન હોય એ સમજી શકાય એવું છે. આમ તો આ બધું સરકાર લોકોના પૈસામાંથી જ કરતી હોય છે, પણ આવી ઊઠવેઠ કરવાનું જીવ પર આવે તે પણ ખરું, પણ મફત શિક્ષણની ભૂંગળો વાગી ચૂકેલી એટલે થાય શું? ના છૂટકે બધું ચલાવવું જ પડે એમ હતું. પણ, બધાં કામગરા નથી હોતા, એમ જ બધાં કામચોર પણ નથી હોતા, એ હિસાબે કેટલીક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ ખાનગી શિક્ષણની સ્કૂલો સામે ટક્કર લઈને એવી મોડેલ સ્કૂલો ઊભી કરી જે આધુનિક સગવડોથી સુસજ્જ હોય. જો કે છાપ એટલી બગડી ચૂકી હતી કે પ્રાથમિક સ્કૂલોમાં ભણાવવા વાલીઓ રાજી ન હતા. ઘણા વાલીઓ તો ઉધાર-ઉછીનું કરીને ખાનગી સ્કૂલોની મોંઘીદાટ ફી ચૂકવતા હતા, તે એવી છાપને કારણે કે શિક્ષણ તો ખાનગી સ્કૂલોમાં જ થાય છે, પણ વાસ્તવિકતા જુદી હતી. ખાનગી સ્કૂલોએ સુવિધાઓ તો ઊભી કરી ને એની બાહ્ય ટાપટીપથી વાલીઓ અંજાયા પણ ખરા, પણ એમને ખબર ન હતી કે આ દેખાડો એમના જ પૈસાથી થઈ રહ્યો છે.

જેમ કેટલીક પ્રાઇમરી સ્કૂલો સારી છે એમ જ કેટલીક ખાનગી સ્કૂલો પણ ઉત્તમ છે, પણ મોટે ભાગના સંચાલકો માટે શાળા એ કમાણીનું સાધન બની ગઈ છે. ફી વધુ ને પગાર ઓછો – એ ખાનગી સ્કૂલની ઓળખ છે. તાલીમી શિક્ષકોને પૂરો પગાર આપવો પડે ને એ આપે તો નફો ઘટે એટલે ખાનગીના સંચાલકોએ સાધારણ ગ્રેજ્યુએટોને ઓછો પગાર આપીને નોકરીએ રાખ્યા. આવા ગ્રેજ્યુએટોને આવક જ ન હતી એટલે એમની પાસે ઓછા પગારની નોકરી સિવાય બીજો વિકલ્પ ન હતો. એનું પરિણામ એ આવ્યું કે શિક્ષણ કથળ્યું. જે સારાં પરિણામો દેખાયાં તે બીજે વધારે ફી ચૂકવીને ખાનગી ટ્યૂશન લીધું તેથી.

આમાં સાધારણ વાલીઓની હાલત કફોડી હતી. સ્કૂલો ફી વધારતી જતી હતી ને ઉપરથી મોંઘી ટ્યૂશન ફી પણ કાઢવાની હતી. એમાં પણ એકાદ બાળક હોય તો સમજ્યા, પણ એક જ ઘરમાં એકથી વધુ બાળકોનું શિક્ષણ વાલીઓને ભારે પડવા માંડ્યું. એમાં કોરોના આવ્યો ને તેણે જગતભરનાં સમીકરણો બદલી કાઢ્યાં. શિક્ષણ ઓનલાઈન થયું. તેણે મોબાઈલ, નેટ, લેપટોપના ખર્ચા વધાર્યા. ઘરમાં બે જણનું ઓનલાઈન ભણવાનું હોય તો એક નેટથી ચાલે, પણ એક મોબાઇલથી ચાલે એમ ન હતું. ટૂંકમાં, ખર્ચા વધ્યા હતા ને લોકડાઉનને કારણે નોકરી-ધંધા અટકી પડ્યાં હતાં. ઉપરથી ખાનગી સ્કૂલો ફી કે અન્ય ખર્ચા ઘટાડવા બહુ તૈયાર ન હતી. આવામાં બે જ વિકલ્પો વાલીઓ પાસે હતા, બાળકને ઉઠાડી લે અથવા પ્રાથમિક શાળામાં મૂકે.

આ સ્થિતિનો ખ્યાલ ચંદ્રશેખર નિકમ જેવા આચાર્યને આવી ગયો હતો એટલે એમણે સાથી શિક્ષકોને લઈને વાલીઓને એ સમજાવવાની કોશિશો કરી કે ખાનગી સ્કૂલ મોંઘી પડતી હોય તો તેમની શાળા 222 કે 255માં બાળકને મૂકે. અહીં ફી કે ચોપડાની કિંમત ચૂકવવાની ન હતી ને ઓનલાઈન શિક્ષણ અહીં પણ શક્ય હતું. ખરેખર તો આ વાલીઓ પ્રાથમિક શિક્ષણ વિશેના ખોટા ખ્યાલોથી ખાનગી સ્કૂલો તરફ ખેંચાયા હતા, બાકી તેમની સ્થિતિ એવી હતી જ નહીં કે ખાનગી સ્કૂલોને આર્થિક રીતે પહોંચી વળે. એમને નિકમ સાહેબની વાતો પહોંચી ને તેની અસર એ પડી કે પ્રાઇમરીમાં પ્રવેશની સંખ્યા વધી. ઉત્રાણ જેવામાં ખાનગી સ્કૂલોથી એટલા વાલીઓ ત્રાસ્યા છે કે ત્યાં પ્રવેશ માટે ધસારો થયો. આ સારું લક્ષણ છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજનીતિ ભલે કરે, પણ થોડું અસરકારક શિક્ષણ આપવા અંગે ગંભીરતાથી વિચારે તો ઘણા વાલીઓ ખાનગી સ્કૂલો તરફ, સ્થિતિ ન હોવા છતાં ખેંચાય છે, એમને રાહત થશે ને શિક્ષણનું ધોરણ સુધરશે તો એ સમજ વધશે કે મફત પણ કિંમતી હોય છે. આશા છે સરકાર અને શિક્ષણ સમિતિ પ્રાથમિક શિક્ષણને પોતાનું સમજીને તેનો જીર્ણોદ્ધાર કરશે …

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 18 જૂન 2021

Loading

‘શબ્દસૃષ્ટિ’ સામયિક દ્વારા સર્જકો અને ભાવકોને અપાતી ધમકી અંગે નિવેદન :

——, રાજેન્દ્ર શુક્લ|Opinion - Opinion|18 June 2021

ગુજરાત સરકાર દ્વારા સ્વાયત્તતા ઝૂંટવી લઈ સરકારી બનાવી દેવાયેલી ગુજરાત સાહિત્ય અકાદમી 'શબ્દસૃષ્ટિ' નામનું સામાયિક ચલાવે છે.

આ સામયિકના જૂન-૨૦૨૧ના અંકમાં પૃષ્ઠ ૮૯ પર “ના, આ કવિતા નથી, 'કવિતા'નો અરાજકતા માટેનો દુરુપયોગ છે …" એવા મથાળા હેઠળ એક લખાણ છપાયું છે, જે લખનારનું નામ લખવાની અનિવાર્ય જવાબદારી બાજુ પર મૂકીને લખાયું છે જેને કોઈપણ સરકારી કામકાજની દૃષ્ટિએ અનૈતિક, ગુનાહિત અને જોખમી પ્રવૃત્તિ ગણવી રહી.

વળી કોઈ ચોક્કસ કવિતા વિશે કોઈ લેખક પોતાનાં નામ સાથે પોતાના વિચારો મૂકે, ટીકા કરે, વખોડે એ તો સહજ સ્વીકાર્ય વાત છે જ. તંદુરસ્ત લોકશાહીમાં ટીકા ટીપ્પણ, ચર્ચા, ખંડન-મંડન તો એનાં પ્રાણરૂપ છે.

પરંતુ અહીં કોઈ પણ ચોક્કસ કવિતાનો ફોડ પાડ્યા વિના, કવિનું નામ પણ લખ્યા વિના, તેના વિશે મોઘમમાં ટીકા ટીપ્પણ કરી છે અને જે તે કવયિત્રી ભૂતકાળમાં અકાદમી દ્વારા લાભાન્વિત (ઉપકારદર્શક) કરાયાં છે તેવો વિશેષ ઉલ્લેખ કરાયો છે.

આ કવિતા ખરાબ છે પણ કવિ સારાં છે, એવું હાસ્યાસ્પદ વિધાન કરી, કવિઓએ શું ન લખવું અને શું લખવું એવા ઇશારા દ્વારા સત્તાવાહી કલમે ૧૯૭૫ના કટોકટીકાળ – ઈમરજન્સીને યાદ અપાવે એવી પરોક્ષ ધમકી ગુજરાતના કવિઓ, સાહિત્યકારોને આપવાનો અહીં પ્રયત્ન થયો છે (૧૯૭૫ના કટોકટીકાળમાં, છાપાં- સામયિકોનાં લખાણ માર્ગદર્શિકા પ્રમાણે સરકારી બાબુઓ પાસે મંજૂર કરાવવાનાં રહેતાં.) જે સર્વથા વખોડવા લાયક અને ગુજરાતી સર્જકોનાં સ્વાતંત્ર્ય અધિકારનો મૃત્યુઘંટ વગાડવા સમાન અને કલમ પર હથોડા ઠોકવા સમાન છે.

ખાસ તો, આ કવિતાએ દેશ વિરોધી, વિઘાતક, 'લિટરરી નક્સલ', દેશમાં અરાજકતા ફેલાવવા મથતાં તત્ત્વો, જેવાંઓને પ્રોત્સાહિત કર્યાં છે અને તેઓ બધાં આ કવિના ખભે બંદૂક મૂકી, ફોડીને દેશ વિરોધી કૃત્ય કરી રહ્યાં છે, એવો આક્ષેપ કરીને લોકશાહી ઢબે સર્જનકાર્ય કરી સાંપ્રત સમાજનો અવાજ બનનારા લેખકો અને કવિતાના લાખો ભાવકો તરફ ઉશ્કેરણીભર્યું વાતાવરણ ઊભું કરવાનો પ્રયત્ન જે તે નનામા લેખકે કર્યો છે તે અત્યંત આઘાતજનક છે. અને ગરવી ગુજરાતી સાહિત્યની પરંપરાનું ગળું દબાવતાં, લોકશાહી માળખામાં કામ કરતી આ સરકારી સંસ્થાએ લોકહિત વિરુદ્ધ જે પ્રથા ઊભી કરવાના દરવાજા ખોલ્યા છે તે જોખમી અને ફાસીસ્ટ વલણ ધરાવે છે, જેને અમે સૌ વખોડી કાઢીએ છીએ.

લોકશાહી પરંપરામાં કવિતા લખવી અને કવિતા દ્વારા સમાજના પ્રહરી બનવું, સાંપ્રત ઘટનાઓનું ખંડન-મંડન કરવું, સત્તા ઉપર બેઠેલાઓનાં પગલાં કે નિષ્ક્રિયતાને કલમ દ્વારા વખોડવી એ પણ તંદુરસ્ત લોકશાહીનો હિસ્સો છે એવું અમે માનીએ છીએ. હમણાં જ ગયા અઠવાડિયે દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા જે મહત્ત્વની વાત કહેવાઈ છે કે 'સરકારની ટીકા કરવી એ રાષ્ટ્રદ્રોહ નથી’, તેને અહીં યાદ કરી ગુજરાતી ભાષા અને  ગુજરાતને લાંછનરૂપ આ લખાણ પાછું ખેંચાય તેવી અપીલ અમે 'શબ્દસૃષ્ટિ'ના તંત્રી, અકાદમી અધ્યક્ષ અને ગુજરાત સરકારને કરીએ છીએ.

અનિલ જોશી, અભિજિત જોશી, અભિજિત વ્યાસ, અદિતિ દેસાઈ, અમિત દવે, અમિતા શાહ, અમિતાભ મડિયા, અમૃત ગાંગર, આનંદ પંડ્યા, અશ્વિન કારીયા, આતિશ ઇંદ્રેકર છારા, આનંદવર્ધન યાજ્ઞિક, આનંદ મઝગાંવકર, ઇલા જોશી, ઇન્દિરા હિરવે, ઇશ્વરસિંહ ચૌહાણ, ઇલિયાસ શેખ, ઉર્વીશ કોઠારી, ઉત્તમ પરમાર, ઉત્પલા દેસાઈ, કબીર ઠાકોર, કલ્પના સુતરિયા, કરતારસિંહ, કલ્પેશ દલાલ, કમલ વોરા, કમલેશ ઓઝા, કાનજી પટેલ, કિરણ ત્રિવેદી, કિશોર ગૌડ, કિરણ ચૌહાણ, કેતન રૂપેરા, કૌશિક અમીન, કૌશિક મહેતા, કુસુમ ડાભી, કુસુમ પોપટ, ગાલા જોશી, ગાર્ગેય ત્રિવેદી, ગૌરાંગ જાની, ગુલામ મોહમ્મદ શેખ, ઘનશ્યામ શાહ, ચંદુ મેહરીયા, ચિનાર શાહ, જાગૃત ગાડિત, જગદીશ પટેલ, જતીન શેઠ, જયંતિ પટેલ, જયશ્રી સોની, જયેશ દુધરેજીયા, જીગ્નેશ મેવાણી, જોસેફ મેકવાન, જ્યોતિ ભટ્ટ, ઝરણા પાઠક, ઝાકિયા સોમન, ડંકેશ ઓઝા, તખુભાઇ સાંડસુર, તન્મય તિમિર, તિમિર અમીન, દક્ષિણ છારા, દેવ દેસાઈ, દિપક દોશી, દીવાન ઠાકોર, દિલીપ ધોળકિયા, દિપ્તી જોશી, દિવ્યશા દોશી, દુર્ગેશ મોદી, દ્વારિકાનાથ રથ, નફીસા બારોટ, નટુભાઇ નિમ્બાર્ક, નટુભાઇ પરમાર, નટવર ગાંધી, નેહા રાવલ, નેહા શાહ, નિખિલ ગાંધી, નિર્ઝરી સિંહા, પ્રકાશ ન. શાહ, પલ્લવી ગાંધી, પંચમ શુક્લ, પંકિત દેસાઈ, પન્ના ઇરેસ્મસ, પન્ના નાયક, પાર્થ ત્રિવેદી, પરસીસ જિનવાલા, પ્રબોધ પરીખ, પ્રફુલ્લ રાવલ, પ્રતિષ્ઠા પંડ્યા, પ્રવીણ પંડ્યા, પ્રીતિ સેનગુપ્તા, પ્રસાદ ચાકો, ફ્રાન્સિસ પરમાર, બાબુ સુથાર, બારીન મહેતા,  બિનીત મોદી, બીના જાદવ, બિંદુ પ્રસાદ, બિપિન પટેલ, બિપિન શ્રોફ, ભાનુભાઇ પુરોહિત, ભરત મહેતા, ભાર્ગવ ઓઝા, ભાવિક રાજા, ભાવના રામરખિયાણી, માધવી દેસાઇ, મધુભાઇ ભાવસાર, મધુસૂદન વ્યાસ, મહાશ્વેતા જાની, મહેશ યાજ્ઞિક, મલ્લિકા સારાભાઇ, મનહર ઓઝા, મણિલાલ ગાલા, મનીષી જાની, મંજરી મેઘાણી, મીનાક્ષી જોશી, મહેબૂબ દેસાઇ, મેહુલ દેવકલા, મેહુલ મંગુબેન, મિકી દેસાઇ, મીનલ દવે, મોહન ત્રિવેદી, યજ્ઞેશ દવે, યશવંત મહેતા, યોસેફ મેકવાન, રજની દવે, રાજા પાઠક, રમણ સોની, રમેશ બાપોદરા, રમેશ ઓઝા, રમેશ સવાણી, રામસાગર પરિહાર, રાજેશ ઠાકર, રાજુ પટેલ, ઋતા શાહ, રીતિ શાહ, રોહિત પ્રજાપતિ, રુચિર જોશી, રૂપા મહેતા, રૂપાલી બર્ક, લાલુભા ચૌહાણ, ડો. વિજય મહેતા, વજેસિંહ પારગી, વર્ષા ગાંગુલી, વીણા પંડ્યા, વૈભવ કોઠારી, વિપુલ કલ્યાણી, શરીફા વિજળીવાલા, શીબા જ્યોર્જ, શેફાલી બલસારી શાહ, સલિલ ત્રિપાઠી, સમીર ભટ્ટ, સમિક્ષા ત્રિવેદી, સંધ્યા ભટ્ટ, સંજય ભાવે, સંજય છેલ, સંજીવ શાહ, સાહિલ પરમાર, સિદ્ધાર્થ ગુજરાતી, સૌમ્યા બલસારી,  સુભાષ જોશી, સુધીરચંદ્ર, સુખદેવ પટેલ, સુમન શાહ, સ્વાતિ દેસાઇ, સ્વાતિ ગોસ્વામી, સ્વાતિ જોશી, સરૂપ ધ્રુવ, હાજીભાઇ બાદી, હનીફ લાકડાવાલા, હરીશ મંગલમ, હર્ષ બ્રહ્મભટ્ટ, હેમંતકુમાર શાહ, હેમંત શાહ, હિરેન ગાંધી, હિમાંશી શેલત.

Loading

...102030...1,8431,8441,8451,846...1,8501,8601,870...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved