Opinion Magazine
Number of visits: 9571833
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘આઈ સ્પાઈ’*

રૂપાલી બર્ક|Opinion - Opinion|30 July 2021

પ્રેમી જેમ પ્રેમિકા ઝંખે
એવો કૉરૉના વાઈરસ.
વાંછુ જેમ નોકરી શોધે
એવો કૉરૉના વાઈરસ.
શિશુ જેમ માને ઝંખે
એવો કૉરૉના વાઈરસ.
પ્રવાસી જેમ ગંતવ્ય શોધે
એવો કૉરૉના વાઈરસ.
ધરતી જેમ મેઘ ઝંખે
એવો કૉરૉના વાઈરસ.
મુમુક્ષુ જેમ ગુરુ શોધે
એવો કૉરૉના વાઈરસ.
થાકેલો જેમ પૉરૉ ઝંખે
એવો કૉરૉના વાઈરસ.
એકાકી જેમ સંગાથ શોધે
એવો કૉરૉના વાઈરસ.
ખેડૂત જેમ મોલ ઝંખે
એવો કૉરૉના વાઈરસ.
ભટકેલો જેમ માર્ગ શોધે
એવો કૉરૉના વાઈરસ.
ભૂખ્યો જેમ રોટલો ઝંખે
એવો કૉરૉના વાઈરસ.
તરસ્યો જેમ જળ શોધે
એવો કૉરૉના વાઈરસ.
વટેમાર્ગુ જેમ છાંયો ઝંખે
એવો કૉરૉના વાઈરસ.


વાઘ જેમ શિકાર શોધે
એવો કૉરૉના વાઈરસ.
ઉધઈ જેમ લાકડું શોધે
એવો કૉરૉના વાઈરસ.
ભૂત જેમ આંબલી શોધે
એવો કૉરૉના વાઈરસ.


બહુરૂપી પેઠે વેશ બદલે
આ કૉરૉના વાઈરસ.
ચોરની જેમ ચાર આંખ રાખે
આ કૉરૉના વાઈરસ.
જાસૂસની જેમ પગેરું શોધે
આ કૉરૉના વાઈરસ.
મુસાફરની જેમ આશરો ઝંખે
આ કૉરૉના વાઈરસ.

માનવોને હંફાવી કાઢે
આ કૉરૉના વાઈરસ,
અતિથિ જેમ આતિથ્ય માણે
એમ યજમાન દેહ માણે
આ કૉરૉના વાઈરસ!

* બાળકોની એક રમતનું નામ

e.mail: rupaleeburke@yahoo.co.in

Loading

પેગસસ જ્યોર્જ ઓરવેલના બીગ બ્રધરનું જ ડિજીટલ સ્વરૂપ છે.

રાજ ગોસ્વામી|Opinion - Opinion|30 July 2021

કોરોના મહામારીની પહેલી લહેર જ્યારે દુનિયાભરમાં કહેર મચાવી રહી હતી, ત્યારે દુનિયામાં ધૂમ મચાવનાર બેસ્ટ સેલર પુસ્તક ‘હોમો સેપિયંસ: માનવ જાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ’ (આ લખનારે તેનો ગુજરાતી અનુવાદ કર્યો છે)ના લેખક અને ઇઝરાયેલી ઇતિહાસકાર યુવલ નોઆ હરારીએ લંડનના પ્રતિષ્ઠિત સમાચારપત્ર ‘ધ ફાયનાન્સિયલ ટાઈમ્સ’માં ૨૦મી માર્ચ ૨૦૨૦ના રોજ એક લેખ લખ્યો હતો. ‘કોરોના વાઈરસ પછીની દુનિયા’ નામના આ લેખમાં તેમણે થોડીક ભવિષ્યવાણી કરી હતી. તેમણે કહ્યું હતું કે મહામારીના આ સંકટમાં દુનિયાભરની સરકારો એવાં વિકટ પગલાં ભરવાની છે, જેની અસર આવતીકાલની અર્થવ્યવસ્થા, રાજકીય અને સામાજિક સ્થિતિ પર પડવાની છે.

હરારીને વિશેષ ચિંતા ટેકનોલોજીના ઉપયોગની હતી. તેમણે લખ્યું હતું, “કટોકટીમાં લેવામાં આવેલાં ટૂંકા ગાળાનાં પગલાં કાયમ માટે રહી જાય તેનો એક ઇતિહાસ છે. કટોકટીની પરિસ્થિતિઓની લાક્ષણિકતા છે કે સામાન્ય સંજોગોમાં જે નિર્ણય લાગુ કરતાં વર્ષો લાગે, તે કટોકટીના નામે કલાકોમાં અમલી બની શકે છે. સામાન્ય સંજોગોમાં આઘી રાખવામાં આવેલી ખતરનાક ટેકનોલોજીઓ કટોકટીના સમયમાં બહુ સરળતાથી સક્રિય કરી શકાય છે, કારણ કે તેની સામે કોઈ વિરોધ થતો નથી અને લોકો પણ સહજ રીતે તેનું સમર્થન કરે છે. સામાન્ય સંજોગોમાં, સરકારો, ઉદ્યોગો અને શૈક્ષણિક સંસ્થાઓ આવા પ્રયોગ ના કરવા દે, પણ અત્યારે સંજોગો સામાન્ય નથી.”

હરારીએ ત્યારે કહ્યું હતું કે વિશ્વ સામે બે નોંધપાત્ર વિકલ્પો મ્હોં ફાડીને ઊભા છે; એક વિકલ્પ એકહથ્થુ જાપ્તો (ટોટેલિટેરીઅન સર્વેલન્સ) અને નાગરિક સશક્તિકરણ (સિટિઝન એમ્પાવરમેન્ટ) વચ્ચે છે, અને બીજો વિકલ્પ રાષ્ટ્રવાદી અળગાપણું (નેશનાલિસ્ટિક આઈસોલેશન) અને વૈશ્વિક એકતા વચ્ચે છે. કાં તો સરકારો તેમના નાગરિકોની કડક નિગરાની રાખવાનું શરૂ કરી દે અથવા નાગરિકોને જ પોતાનું રક્ષણ કરવા શિક્ષિત કરે. બીજા વિકલ્પમાં, દરેક સરકાર બીજા દેશોના નાગરિકોની પરવા કર્યા વગર પોતાનો જ સ્વાર્થ જુવે. “આપણે આમાંથી શું પસંદ કરીએ છીએ, તેના પર આપણા ભાવિનો આધાર છે,” એમ હરારીએ લખ્યું હતું.

હરારીએ તે લેખમાં ટેકનોલોજીના સહારે કેવી રીતે સરકારો જનતા પર નિગરાની રાખી શકે છે તેનું ચિત્ર આપ્યું હતું. આજે આપણી પાસે એવી ટેકનોલોજી છે કે સરકારો દરેક લોક પર હર સમય નિગરાની રાખી શકે. હરારીએ સોવિયત સંઘનું ઉદાહરણ આપ્યું હતું કે પચાસ વર્ષ પહેલાં સોવિયત ગુપ્તચર સંસ્થા કે.જી.બી. પાસે ના તો એવી તાકાત હતી કે ૨૪ કરોડ લોકોની પાછળ-પાછળ ફરી શકે કે ના તો એટલા બધા લોકોની માહિતીઓનું વિશ્લેષણ કરી શકે તેવી સિસ્ટમ હતી. ત્યારે કે.જી.બી. એજન્ટો અને વિશ્લેષકો પર આધાર રાખતું હતું. આજે સરકારો કોટ-પેન્ટ અને ચશ્માં પહેરેલા એજન્ટોને બદલે સાધારણ લાગતાં સેન્સર્સ અને શક્તિશાળી અલગોરિધમની મદદથી આ કામ કરી શકે છે.

એમાં નોંધપાત્ર ચીન છે. લોકોના સ્માર્ટફોન પર નિગરાની રાખીને, ચહેરાઓને ઓળખી શકે તેવા લાખો કેમેરાઓ ગોઠવીને તથા લોકોને તેમનાં બોડી ટેમ્પરેચર તેમ જ મેડિકલ પરિસ્થિતિની જાંચ કરાવવાની ફરજ પાડીને ચાઇનીઝ સત્તાવાળાઓ બહુ ઝડપથી વાઇરસ ધરાવતા શંકસ્પદ લોકોને ઓળખી કાઢે છે. આ પ્રકારની ટેકનોલોજી ઇઝરાયેલમાં આતંકવાદી સામે લડવા માટે પણ છે. અગાઉ તમે તમારા મોબાઇલના સ્ક્રીન પર કોઈ લીંક પર ક્લિક કરો, તો સરકારને એ જાણવામાં રસ હતો કે તમે શું ખોલીને વાંચ્યું છે. કોરોનાવાઈરસમાં સરકારને તમારી આંગળીમાં કેટલું ટેમ્પરેચર અને કેટલું બ્લડ-પ્રેસર છે તે જાણવામાં રસ છે. મતલબ કે અગાઉ શરીરની બહાર જાપ્તો રાખવામાં આવતો હતો, હવે શરીરની અંદર રાખવામાં આવે છે.

ટેકનોલોજીઓ અત્યંત તેજ ગતિએ વિકસી રહી છે. હું ક્યા સમાચાર વાંચું છું અને મારા રાજકીય વિચારો કેવા છે, હું કોઈ વીડિયો જોઉં તો મારા બોડી ટેમ્પરેચરમાં, બ્લડ પ્રેસરમાં અને હૃદયના ધબકારામાં શું ફેરફાર થાય છે, હું ક્યારે હસું છું, ક્યારે ગુસ્સો કરું છું અને ક્યારે દુઃખી થાઉં છું, તે જાણવામાં સરકારોને રસ છે. મને તાવ આવે કે ખાંસી આવે, તેવી જ રીતે મને સુખમાં હસવાનું અને દુઃખમાં રડવાનું પણ આવે. સરકારને માત્ર મારી ખાંસીમાં જ રસ હશે, એવું માનવું ભૂલ ભરેલું છે. મારાં વ્યક્તિત્વને જાણવામાં સરકારો અને કોર્પોરેશનોને રસ પડે છે. આખા દેશની પ્રજાનો આવો ડેટા સરકારો માટે બહુ કામનો છે. તે વિરોધીઓને ઓળખી શકે અને તેમને ‘સીધા’ કરવા માટે પગલાં ભરી શકે. બાયોમેટ્રિક પદ્ધતિથી એ પણ જાણી શકાય કે પ્રેસિડેન્ટ કે પ્રાઈમ મિનીસ્ટરનું ભાષણ સાંભળીને મને મજા પડી કે આક્રોશ આવ્યો. મને ગુસ્સો આવ્યો છે તેવી સરકારને ખબર પડે તો વાત ગઈ.

કોરોનાવાઈરસને પકડવા માટે ગોઠવવામાં આવેલા આવા બાયોમેટ્રિક જાપ્તાઓ કહેવા માટે કામચલાઉ હોય છે, પરંતુ એક વાર મહામારી દૂર થઇ જાય, પછી સરકારો ગોઠવાયેલી વ્યવસ્થાઓને હટાવતી નથી. હરારી કહે છે કે ઇઝરાયેલમાં ૧૯૪૮ના સ્વતંત્રતા યુદ્ધ વેળા જાહેર કરવામાં આવેલાં કટોકટીનાં ઘણાં પગલાં આજે પણ અમલમાં છે. માણસોની પ્રાઈવસીને લઈને એક મોટો ઝઘડો ચાલે છે અને કોરોનાવાઈરસના સમયમાં સરકારો ‘સ્વાસ્થ્ય-કટોકટી’ ઘોષિત કરીને માણસોની પ્રાઈવસીમાં ઘૂસ મારશે. લોકોને તમે પ્રાઈવસી કે સ્વાસ્થ્ય? એવી ચોઈસ આપો, તો સ્વાભાવિક રીતે જ લોકો સ્વાસ્થ્ય પસંદ કરશે અને પ્રાઈવસી જતી કરશે.

આપણે આ સંદર્ભમાં તાજેતરના પેગાસસ સ્પાયવેર કૌભાંડને જોવા-સમજવાની જરૂર છે. આ તો પત્રકારો-રાજકારણીઓનો મામલો છે, એમાં મારે શું એવું કહીને આપણે તેનાથી નજર ફેરવી લઇએ તો તે બરાબર નથી, કારણ કે (૧) જેની પણ પાસે સ્માર્ટફોન છે અને જેને પણ પોતાની પ્રાઈવસીની ચિંતા છે તેનો આ મામલો છે (૨) જેને પણ લોકશાહીને જીવતી રાખવાની ચિંતા છે તેનો આ મામલો છે કારણ કે ટેકનોલોજીઓ લોકશાહીની દિશા અને દશા બદલી રહી છે.

એક વસ્તુ સ્પષ્ટ સમજવા જેવી છે કે પેગાસસ એક એવું સોફ્ટવેર છે જેને ઈઝરાયેલી સૈન્યની ભાષામાં મિલીટરી ટેકનોલોજી કહેવામાં આવે છે. નિવ, શાલેવ અને ઓમરી નામના સંસ્થાપકોની ‘એન.એસ.ઓ. ગ્રુપ ટેકનોલોજી’ નામની કંપનીએ પેગાસસ નામનું સોફ્ટવેર બનાવ્યું છે જે આતંકવાદી કે અપરાધિક ગતિવિધિઓ પર નિગરાની રાખવા માટે વપરાય છે. આ કંપની માત્ર સરકારોને જ આ સોફ્ટવેર વેચે છે, ખાનગી કંપનીઓ કે સંગઠનોને નહીં. સોફ્ટવેર મોંઘુ હોય છે અને તેને ઓપરેટ કરવા માટેની ક્ષમતા હોવી જરૂરી છે. ટૂંકમાં, તેનો ઉપયોગ સીમિત અને અત્યંત ગુપ્ત ગતિવિધિઓ માટે છે.

આમ છતાં, ભારત સહિત ૨૪ દેશોના પત્રકારો, નેતાઓ, માનવધિકાર કર્મશીલો, વકીલો અને મંત્રીઓના સ્માર્ટફોનમાં આ પેગાસસે ઘૂસ મારી હતી અથવા પ્રયાસ કર્યો હતો. પેગાસસના નિશાના પર હોય તેવા ૫૦,૦૦૦ ટેલિફોન નંબર્સ એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ અને  ‘ફોરબિડન સ્ટોરીઝ’ નામના પેરિસ સ્થિત નહીં-નફોના ધોરણે ચાલતી પત્રકારત્વની સંસ્થાને લીક થયા હતા, જેમાંથી અમુક નંબર્સનું ઇન્વેસ્ટીગેશન કરીને દુનિયાનાં ૧૭ મીડિયા ગૃહોએ આ કૌભાંડ પ્રકાશિત કર્યું હતું.

દેખીતી રીતે જ, આ નંબરો આતંકવાદીઓ કે અપરાધીઓના નથી, પણ દેશોના પ્રતિષ્ઠિત, જવાબદાર નાગરિકોના છે, અને સૌથી મોટી ચિંતાનો વિષય એ જ છે કે જો સમાજમાં બેઠેલા મોટા લોકોના ફોનની જાસૂસી કરવામાં આવતી હોય, તો મારા-તમારા જેવા સામાન્ય લોકોના સ્માર્ટફોનના ડેટા કેવા-કેવા લોકોના હાથમાં હશે અને હજુ ભવિષ્યમાં મારા ફોનમાં બીજું શું-શું થશે?

પેગાસસ સ્પાયવેરે ભારતમાં પહેલીવાર પત્રકારો અને માનવાધિકાર કર્મશીલોને નિશાન નથી બનાવ્યા. ૨૦૧૯માં, વોટ્સએપે એકરાર કર્યો હતો કે તેના અમુક યુઝર્સને સ્પાયવેર મારફતે ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. તે વખતે ભારતના ૧૨૧ યુઝર્સના ફોનની જાસૂસી કરવામાં આવી હતી, જેમાં એક્ટિવીસ્ટ, લેખકો અને પત્રકારો હતા. સંસદમાં આ મુદ્દે હોબાળો થયો ત્યારે તત્કાલીન માહિતી-પ્રસારણ-ટેકનોલોજી મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે અમે વોટ્સએપને કાગળ લખીને એ માહિતી માગી છે કે તેના પ્લેટફોર્મનો આવી રીતે ઉપયોગ એવી રીતે થયો.

ત્યારે પણ એવા આરોપ લાગ્યા હતા કે ભારત સરકારે આ જાસૂસી કરાવી છે અને અત્યારે પણ એવા સવાલો પુછાવા લાગ્યા છે કે સરકારે જો આ સોફ્ટવેર ખરીદ્યું હોય તો જાહેર કરે અને ના ખરીદ્યું હોય તો પછી કોણ જાસૂસી કરાવે છે તેની તપાસ કરાવે. આ બંને બાબતોનો સરકારે સંતોષકારક જવાબ નથી આપ્યો. ઊલટાનું સરકારે એવો આરોપ લગાવ્યો છે કે ભારતને બદનામ કરવા માટે આ એક આંતરરાષ્ટ્રીય ષડ્યંત્ર છે.

પેગાસસ મામલે કેટલું સત્ય બહાર આવે છે તેની સામે પ્રશ્નાર્થ છે, પરંતુ જાસૂસીનો વિવાદ વિસ્તૃત પ્રશ્નો ઊભા કરે છે. આપણે એક જમાનામાં ચીનને એકહથ્થુ રાજ્ય કહેતા હતા, પરંતુ દુનિયાભરની સરકારોમાં એવી વૃત્તિ વધતી જાય છે (જેનો ઈશારો હરારીએ મહામારીના સંદર્ભમાં કર્યો છે) કે તેઓ નાગરિકોની પ્રાઈવસી અને સ્વતંત્રતા પર નજર રાખે. સરકારો ફેસિયલ રિકગ્નિશન, ડિજિટલ કોન્ટેક્ટ ટ્રેસિંગ અને ઇમ્યુનિટી પાસપોર્ટ લાગુ કરી રહી છે.

આ બધું સ્વસ્થ્યના નામે થાય છે એટલે લોકોને તેની સામે વાંધો પણ નથી, પરંતુ જાસૂસી કરીને ડેટા ભેગો કરવો એ એક તોતિંગ બિઝનેસ પણ બની ગયો છે જેનો સામાન્ય માણસને અંદાજ નથી. આજે ડેટાને ‘ન્યૂ ઓઈલ’ કહેવામાં આવે છે. એક જમાનામાં જ્યારે જમીનમાં તેલના ભંડારો છે તેવી ખબર પડી તે પછી તેની આસપાસ એવા ઉદ્યોગનો વિકાસ થયો જેણે પૂરા વિશ્વની અર્થવ્યવસ્થા અને રાજનીતિની શકલ બદલી નાખી હતી. તેવી જ રીતે, ૨૧મી સદીમાં હું મારા ડિવાઈસમાં અને ડિજીટલ દુનિયામાં શું કરું છું તેની માહિતી કોર્પોરેશનનો, બિઝનેસમેનો અને સરકારી એજન્સીઓ માટે અત્યંત મૂલ્યવાન જણસ બની ગઈ છે.

ટેકનોલોજીના જમાનામાં, જાસૂસીનો અર્થ વાંધાજનક કે ગેરકાનૂની ગતિવિધિઓની વિગતો મેળવવાનો જ થતો નથી. જાસૂસીનો અર્થ ડેટા એકઠો કરવાનો થાય છે. અમેરિકાની એક કંપનીએ ‘ટીનસેફ’ નામની એક એપ બજારમાં મૂકી છે જે સંતાનોની જાસૂસી કરવામાં વાલીઓને મદદ કરે છે. ભારતમાં દિલ્હી પોલીસે રિલાયન્સ, એસ્સાર, કેયર્ન્સ જેવી કંપનીઓના 13 લોકો સામે કોર્પોરેટ જાસૂસીના પ્રકરણમાં ચાર્જશીટ દાખલ કરી છે.

ફ્રેન્ચ સંસદમાં આતંકવાદ વિરોધી ખરડો પેશ થયો છે જેમાં સરકારે લોકોના ઇ-મેઇલ અને ફોન કોલ્સ પર નિગરાની રાખવાની સત્તા માગી છે. બાંગ્લાદેશમાં બહારની જે એજન્સીઓ સક્રિય છે તેમાં ન્યુઝીલેન્ડ સરકારના કોમ્યુનિકેશન સિક્યુરિટી બ્યૂરોએ સૌથી વધુ જાસૂસી કરીને માહિતીઓ એકઠી કરી છે. યુરોપિયન દેશ આઇસલેન્ડના પ્રધાન મંત્રીએ કહ્યું કે તેમની પાસે એક એવો રિપોર્ટ છે જેમાં આઇસલેન્ડની ફડચામાં ગયેલી બેન્કોના લેણદારો, પત્રકારો અને રાજકારણીઓની અંગત વિગતોથી લઇને તેમનાં વ્યવહાર-વર્તનનું વર્ણન છે. વિકિલિક્સવાળા એડવર્ડ સ્નોવડેને માહિતી લીક કરી છે કે રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ઉમેદવાર હિલેરી ક્લિન્ટને વિશ્વના નેતાઓ અને રાજનેતાઓની જાસૂસી કરાવી હતી.

આપણે ઇન્ફોર્મેશન અને ડાટાના યુગમાં જીવીએ છીએ. આપણા બધાની જાત-ભાતની ઇલેક્ટ્રોનિક ઓળખાણો છે અને સિરિયલ નંબરો છે. આપણને ખબર છે કે આપણી જિંદગીમાં કોર્પોરેટ સેક્ટરની હાજરી કેટલી છે. આજે જે રીતે ટેક્નોલોજીનો વિકાસ થયો છે તે જોતાં કોઇ પણ કોર્પોરેશન કે કંપની પાસે તમારી અઢળક માહિતી પડેલી હોઇ શકે. આ માહિતીઓનો ગમે ત્યારે, ગમે તે ઉપયોગ થઇ શકે છે. આવું થાય તો તમે ક્યાં જશો? એટલા માટે જ ભારતની સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું છે કે નાગરિકની પ્રાઈવસી એ તેનો સંવિધાનિક (એટલે કે જન્મજાત) અધિકાર છે.

જ્યોર્જ ઓરવેલે 1949માં લખેલી નવલકથા ‘1984’માં સર્વવ્યાપી અને બધા ઉપર નિગરાની રાખતી સત્તાની કલ્પના કરી હતી. તેણે તેને ‘બીગ બ્રધર’ નામ આપ્યું હતું (જેના પરથી લોકપ્રિય ‘બીગ બોસ’ રિયાલીટી શોનું નામ પડ્યું છે). ટેકનોલોજીના સહારે આ કલ્પના હવે હકીકત બની ગઈ છે. પેગાસસ બીગ બ્રધરનું જ ડિજીટલ સ્વરૂપ છે.

ટેક્નોલોજીએ આપણી ચિકિત્સા અને કોમ્પ્યુટર વિજ્ઞાનમાં સુવિધા અનેકગણી વધારી દીધી ત્યારે નકારાત્મક વિચારોવાળી રાજકીય કે કોર્પોરેટ વ્યવસ્થા એનો વિનાશકારી ઉપયોગ કરે તેવી સંભાવના પણ વધી ગઇ છે. એટલે જ શકીલ બદાયુનીની આ શાયરી નવા સંદર્ભમાં પ્રાસંગિક છે. તેમણે લખ્યું હતું :

મુજે છોડ દે મેરે હાલ પર તિરા ક્યા
ભરોસા ચારાગર,
યે તિરી નવાજિસ-એ-મુખ્તસર મેરા
દર્દ ઔર બઢા ન દે

(ચારાગર: વૈદ્ય, નવાજિસ-એ-મુખ્તસર: કૃપાદૃષ્ટિ)

અર્થાત, હે વૈદ્ય, તું મને મારા હાલ પર છોડી દે, તારો શું વિશ્વાસ,
ઈલાજની કૃપાદ્રષ્ટિ કરીને તું મારું દુઃખ વધારી મુકીશ.

——————————–

પેગાસસ પ્રોજેક્ટ શું છે

– પેરિસની મીડિયા સંસ્થા ફોરબિડન સ્ટોરીઝ અને એમ્નેસ્ટી ઈન્ટરનેશલને દુનિયાભરમાં પેગાસસ સ્પાયવેરના લીસ્ટમાંથી ૫૦,૦૦૦ ફોન નંબરનો ડેટા મળ્યો હતો.

– તેમાંથી તેમણે પત્રકારો, એક્ટિવીસ્ટો, રાજનેતાઓ અને અન્યોના ૬૭ ફોનની ફોરેન્સિક તપાસ કરાવી હતી.

– તેનો રિપોર્ટ તેમણે  વિશ્વનાં ૧૭ મીડિયાને આપ્યો હતો. ભારતમાં ધ વાયર નામના પોર્ટલે તે રિપોર્ટ છાપ્યા હતા.

– પેગાસસ સ્પાયવેર મિસ્ડ કોલ કે લિંક મારફતે સ્માર્ટફોનમાં ઈંસ્ટોલ થઈને ફોનની તમામ ગતિવિધિઓને રિમોટ લોકેશનથી જોઈ શકે છે. એ બંધ ફોનને ચાલુ કરી શકે છે અને માઈક્રોફોન-કેમેરા પણ ઓન કરી શકે છે. પેગાસસ એપલની ઓપરેટીંગ સિસ્ટમને પણ હેક કરી શકે છે.

– આને બનાવનારી ઇઝરાયેલ કંપની તેને માત્ર સરકારોને જ વેચે છે. ૨૦૧૮માં ટોરંટોની સિટીઝન લેબના રિપોર્ટ અનુસાર ૪૫ દેશોને આ સ્પાયવેર વેચવામાં આવ્યું હતું.

– ૨૦૧૬માં યુનાઇટેડ આરબ અમિરાતને એક માનવધિકાર કાર્યકર અહમદ મન્સૂરે તેને ઉપરાછાપરી મળેલા શંકસ્પદ મેસેજના કારણે સિટીઝન લેબ પાસે તપાસ કરાવી તો ખબર પડી કે મેસેજની લિંકમાં પેગાસસ સ્પાયવેરનું કનેક્શન હતું. એ પછી પેગાસસ ચર્ચામાં આવ્યું હતું.

———————————-

ફોનને કેવી રીતે સલામત રખાય

– તમામ એપ્લીકેશન માટે ટૂ ફેક્ટર ઓથેન્ટીકેશન સિસ્ટમ વાપરવી જોઈએ

– ફોનની ઓપરેટીંગ સિસ્ટમ અને એપ્સને નિયમિત અપડેટ કરતા રહેવું જોઈએ

– થર્ડ પાર્ટી એપ્સ ઈંસ્ટોલ ન કરવા જોઈએ. ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોરનો જ ઉપયોગ કરવો જોઈએ.

– સાર્વજનિક વાઈફાઈનો બને તો ઉપયોગ ટાળવો જોઈએ

– અજાણી લિંક ખોલવાની લાલચથી બચવું જોઈએ

– એચ.ટી.ટી.પી.એસ. પ્લગ ઇનવાળી વેબસાઈટ જ ખોલવી જોઈએ

– એન્ડ ટૂ એન્ડ એન્ક્રીપ્શન મેસેન્જર જ વાપરવું જોઈએ.

——————————–

પેગાસસ નામનો અર્થ

પેગાસસ ગ્રીક પુરાણોમાં એક સફેદ રંગના ઘોડાનું નામ છે. તેની ઉત્પતિ પોસાડન અને મેડુસા દેવી-દેવતાથી થઇ હતી. હીરો પેર્સ્યુંસે મેડુસાનો શિરચ્છેદ કર્યો ત્યારે તેના લોહીમાંથી તેનો જન્મ થયો હતો. પેગાસસ તેની બુદ્ધિમત્તા અને પ્રસિદ્ધિ માટે જાણીતો છે. ગ્રીસમાં માઉન્ટ હેલીકોનની ઉત્પતિ પેગાસસે પગની ખરી જમીનમાં પછાડી તેમાંથી થઇ હતી. ઘોડાને વિશાળ પાંખો હતી, જેથી તે ટ્રોજન હોર્સ તરીકે પણ ઓળખાય છે. કોમ્પ્યુટરની ભાષામાં માલવેર એટલે કે વાઇરસને ટ્રોજન હોર્સ કહેવાય છે. માલવેર ઇન્ટરનેટની મદદથી ડિવાઈસમાં સંક્રમિત થતો હોય છે એટલે ઇઝરાયેલની કંપનીના સોફ્ટવેરને પેગાસસનું નામ આપવામાં આવ્યું છે.

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 25 જુલાઈ 2021

Loading

કવીશ્વર દલપતરામની નાટ્યાત્મક કૃતિઓ

દીપક મહેતા|Opinion - Literature|30 July 2021

‘કચ્છ માંડવીનાં ઠકર ગોવિંદજી વી. ધરમશીના તરફનું રૂ. ૧૦૦નુ ઇનામ

મિથ્યાભિમાન વિશે હાસ્યરસમાં નાટક રૂપે નિબંધ કે જે વાંચવાથી રમુજની સાથે શિખામણ મળે. એવો ગુજરાતી ભાષામાં બુદ્ધિપ્રકાશ જેવડાં પૃષ્ટ ૫૦નો, આજથી પાંચ મહીનાની મુદતમાં રચીને અમારી તરફ મોકલશે તેમાં સૌથી સરસ નિબંધ હશે તેને ઉપલું એક સો રૂપૈયાનું ઇનામ આપવામાં આવશે. તા. ૧ જુલાઈ સન ૧૮૬૯ M.H. Scott ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનાં સેક્રેટરી, અમદાવાદ’

બુદ્ધિપ્રકાશના જુલાઈ ૧૮૬૯નાં અંકમાં છપાયેલી જાહેરાત

આ પ્રમાણેની જાહેર ખબર બુદ્ધિપ્રકાશના જુલાઈ ૧૮૬૯ના અંકમાં અને બીજાં સામયિકોમાં પણ છપાઈ હતી. (ઉપર, તથા હવે પછી બધે, અવતરણ ચિહ્નોમાં જોડણી મૂળ પ્રમાણે.)

એટલે કે, નાટકનો વિષય અગાઉથી નક્કી હતો, નાટક હાસ્યરસનું હોવું જોઈએ એ નક્કી હતું, તેની લંબાઈ નક્કી હતી, અને લખવા માટેની સમયમર્યાદા પણ નક્કી હતી. આ ચોકઠામાં રહીને જ નાટક લખવાનું હતું. સોસાયટી જ્યારે પણ આવી હરીફાઈઓ યોજતી ત્યારે લખનારાઓએ કૃતિ પર પોતાનું નામ નહિ, પણ કોઈ કહેવત કે દોહરો લખવાનો રહેતો અને અલગ બંધ કવરમાં એ કહેવત કે દોહરાવાળી કૃતિના લેખકનું નામ લખવાનું રહેતું. આની પાછળનો હેતુ નિષ્પક્ષ રીતે નિર્ણય થઈ શકે એ જોવાનો હશે. ડિસેમ્બર ૧૮૬૯ના અંકમાંથી જાણવા મળે છે કે એ વરસના નવેમ્બરની ૨૦મી સુધીમાં આ હરીફાઈ માટે માત્ર એક જ કૃતિ આવી હતી, જેની સાથેની કહેવત હતી ‘ભુંગળાવિનાની ભવાઈ.’ જાન્યુઆરી ૧૮૭૦ના અંકમાંથી જાણવા મળે છે કે ત્યાં સુધીમાં આ એક જ કૃતિ આવી હતી અને તેથી હરીફાઈની મુદત ત્રણ મહિના વધારી દેવાઈ હતી. ફેબ્રુઆરી ૧૮૭૦ના અંકમાં બીજી બે કૃતિઓ મળી હોવાનું જણાવાયું છે અને મે ૧૮૭૦ના અંકમાં બીજાં બે નાટકો મળ્યાં હોવાનું જણાવાયું છે. ઉપરાંત લખ્યું છે કે ‘પાંચે નાટકો કમીટીને તપાસવા આપ્યાં છે.’

હરીફાઈનું પરિણામ છેક ડિસેમ્બર ૧૮૭૦ના અંકમાં જાહેર થયું છે : ‘મિથ્યાભિમાન નાટક પાંચ લખાઈ આવ્યાં હતાં તેમાંથી સોસાયટીની કમીટીના સર્વે મેમ્બરોએ તથા ઇનામ આપનાર કછ માંડવીના ઠકર ગોવિંદજી ધર્મશીએ તપાસ કરીને ‘ભુંગળાવિનાની ભવાઈ’ એ કહેવતની નિશાની વાળું નાટક પસંદ કર્યું. માટે તેના રચનાર ક. દલપતરામ ડાહ્યાભાઈને તે ઇનામના રૂ૧૦૦) અંકે એક સો આપવામાં આવ્યા છે.’

પણ હરીફાઈ વિશેની વાત અહીં પૂરી નથી થતી. ઇનામ માટે ૧૦૦ રૂપિયા આપનાર ઠકર ગોવિંદજી ધરમશીનો મિથ્યાભિમાન નાટક વિષેનો પત્ર જાન્યુઆરી ૧૮૭૧ના અંકમાં છપાયો છે. તેમાં ‘ભૂંગળાવિનાની ભવાઈ’ નાટક વિષે લખ્યું છે : ‘તેનાં જુજ પાનાં વાંચતાં જ મને એમ જણાયું કે આ કોઈ વિદ્વાનનું લખાણ છે. અને જેમ જેમ આગળ વાંચતો ગયો તેમ તેમ મારાં વિચારોને મજબૂતી મળતી ગઈ. તેમાં જ્યારે પાને ૪૪મે જરાવસ્થા વિષે દ્વયર્થી છપય વાંચ્યો ત્યારે નિશ્ચય થયો કે આ રચના કોઈ તેજસ્વી કવિના મગજમાંથી ચમકી નીકળી છે.’ પરિણામ જાહેર થયા પછી તેમને નાટકના કર્તાનું નામ જાણવા મળેલું, ત્યાં સુધી નહિ. આગળ લખે છે : ‘એ નાટકનો પ્રથમ છપાવ્યાનો હક મેં આગળ લખ્યો છે તેમ તેના રચનારને જ આપશો. અને રૂ૧૦૦) તેને હકદારીથી ઇનામ આપી બીજા રૂ૫૦)ની હુંડી મેં આ સાથે બીડી છે તેમાં લખ્યા રૂપીઆ કવીશ્વર દલપતરામને શાલના કરીને આપશો.’

આ પત્રમાં લખ્યા પ્રમાણે મિથ્યાભિમાન નાટકની પહેલી આવૃત્તિ કવીશ્વરે પોતાને ખર્ચે છપાવી હતી. ૧૮૭૧ના મે અંકમાં આ નાટકની એક નકલ સોસાયટીને મળી હોવાનું જણાવ્યું છે એટલે ૧૮૭૧ના માર્ચ કે એપ્રિલમાં આ નાટક છપાયું હોય. જૂન ૧૮૭૧ના અંકમાં જણાવ્યું છે કે આ પુસ્તક બહાર પડ્યું તે પછીના એક મહિનામાં આશરે ૨૦૦ નકલ વેચાઈ ગઈ હતી ને ૫૦૦ નકલ સરકાર વતી જે.બી. પીલ સાહેબે ખરીદી હતી. ૧૮૭૧ના વરસનો સોસાયટીનો વાર્ષિક અહેવાલ જૂન ૧૮૭૨ના અંકમાં પ્રગટ થયેલો. તેમાં લખ્યું છે : ‘મિથ્યાભિમાન નાટકની પહેલી આવૃત્તિ છપાવાનો હક દલપતરામને મળ્યાથી તેમણે ૧૦૦૦ નકલો છપાવી, તે થોડા મહીનામાં ખપી ગઈ તેથી તે પણ લોકોને પ્રિય લાગ્યું હોય એમ જણાય છે. તેની બીજી આવૃત્તિ સોસાઈટીની તરફથી અનુકૂળતા પડતાં છપાશે, અને તે ઉપર હમેશાં સોસાઈટીનો હક છે.’ આ મિટિંગ ૧૮૭૨ના મે મહિનાની છઠ્ઠી તારીખે મળેલી, એટલે લગભગ એક વરસમાં નાટકની ૧૦૦૦ નકલ ખપી ગઈ હોવી જોઈએ. અને છતાં કોણ જાણે કેમ મિથ્યાભિમાનની બીજી આવૃત્તિ સોસાયટીએ છેક ૧૮૭૭માં પ્રગટ કરી હતી. હાલના સંજોગોમાં થઈ શકે એટલી મહેનત કરવા છતાં આ નાટકની પહેલી આવૃત્તિની નકલ આ લખનારને જોવા મળી નથી, પણ બીજી આવૃત્તિ(૧૮૭૭)ની, આઠમી આવૃત્તિ(૧૯૧૪)ની, અને ૧૦મી(૧૯૩૫)ની નકલ મળી છે. આ ત્રણે આવૃત્તિમાં દલપતરામની પ્રસ્તાવના છે તે પહેલી આવૃત્તિમાં પણ હશે એમ માની શકાય.

બુદ્ધિપ્રકાશના ફેબ્રુઆરી ૧૮૬૩ના અંકમાં પ્રગટ થયેલી વાર્તા અભિમાની રતુંધો

આમ, મિથ્યાભિમાન નાટક ૧૮૬૯ના જુલાઈની પહેલી તારીખ અને એ જ વરસના નવેમ્બરની ૨૦મી તારીખની વચમાં લખાયું છે. પણ હકીકતમાં આ નાટકનાં મૂળ ઘણાં વધારે ઊંડાં છે. બુદ્ધિપ્રકાશના ફેબ્રુઆરી ૧૮૬૩ના અંકનાં પાનાં ૩૬-૪૦ પર ‘અભિમાની રતુંધો’ નામની વાર્તા છપાઈ છે. એ જમાનાના રિવાજ પ્રમાણે સાથે લેખકનું નામ છાપ્યું નથી. વળી તંત્રી તરીકે બુધ્ધિપ્રકાશના દરેક અંકમાં ઘણાં લખાણ દલપતરામ જ લખતા, એટલે પણ ઘણીખરી ગદ્યકૃતિઓમાં તેમનું નામ છપાતું નહિ. (મધ્યકાલીન પરંપરાને અનુસરીને પદ્ય કૃતિઓના અંતે કવીશ્વર પોતાના નામની છાપ મૂકતા, એટલે તેમની પદ્ય કૃતિઓ તારવવાનું સહેલું છે, જ્યારે ગદ્ય કૃતિઓ તારવવાનું એટલું સહેલું નથી.) પણ આ કથા વાંચતાં ખાતરી થાય છે કે એ દલપતરામે જ લખી છે. દલપતરામે કથા માટે ગદ્ય કથન (નેરેશન), સંવાદો, અને પદ્યનું મિશ્રણ કરીને એક ઢાંચો ઊભો કર્યો હતો જેના તરફ આપણું પૂરતું ધ્યાન ગયું નથી. આ કથામાં પણ એ જ ઢાંચો જોવા મળે છે. આનો અર્થ એ થયો કે મિથ્યાભિમાન લખાયું ભલે ૧૮૭૦માં, તેનું કથાવસ્તુ કંઈ નહિ તો ૧૮૬૩થી તો કવીશ્વર પાસે હતું જ.

શિલાછાપ પદ્ધતિથી છપાયેલાં લગભગ પાંચ પાનાં તો અહીં મૂકવાનું શક્ય નથી, પણ એ વાર્તાના આરંભનાં થોડાં વાક્યો જોઈએ : ‘એક પુરુષ એવો હતો કે, દિવસે દેખી શકતો હતો; પણ સૂરજ આથમ્યા પછી ચંદ્રને કે દિવાને અજવાળે પણ લગારે દેખી શકતો ન હતો. તો પણ પોતાની એટલી ખામી લોકોમાં જાહેર થવા દેતો નહીં. અને રાતે દેખવાની શક્તિ પોતામાં ન છતાં, હું રાતે દેખું છુ એવું જુઠું અભિમાન રાખતો હતો.’  લોકકથાઓમાં ઘણી વાર પાત્રોને નામ નથી આપ્યાં હોતાં, અહીં પણ નથી આપ્યાં. શરૂઆતનું લગભગ એક પાનું ગદ્યકથનનું છે, પછી રતુંધો અને તેની સાસુ વચ્ચેના સંવાદો જ છેવટ સુધી છે. તેમાંના કેટલાક મિથ્યાભિમાનમાં થોડા ફેરફાર સાથે જોવા મળે છે. વચમાં એક દોહરો મૂક્યો છે અને અંતે કથાનો ઉપદેશાત્મક સાર તારવ્યો છે : ‘આપણામાં જે ગુણ ન હોય, ને ઠાલી પતરાજી રાખીએ તો રતુંધા અભિમાનીની પઠે ફજેતિ થાય.’

પણ આ ‘અભિમાની રતુંધો’ની કથાનાં મૂળ ઘણાં વધારે ઊંડાં છે. સમીપે સામયિકના ઓક્ટોબર-ડિસેમ્બર ૨૦૧૩ના અંકમાં શિરીષ પંચાલે ‘રતાંધળા જમાઈની કથા’ નામે કન્નડ લોક્વાર્તાનો અનુવાદ રજૂ કર્યો છે. એ.કે. રામાનુજમ સંપાદિત/અનુવાદિત Folk Tales from India: a Selection of Oral Tales From Twenty-two Languagesમાંની એક કથાનો તે અનુવાદ છે. આ કથાનું માળખું અને મિથ્યાભિમાનનું કથામાળખું ઘણે અંશે મળતું આવે છે. પણ વાત અહીં અટકતી નથી. કન્નડ ઉપરાંત સિંહલ અને અસમિયા ભાષામાં પણ આ લોકકથા જોવા મળે છે. Village Folk Tales of Ceylon(Shri Lanka)માં ૨૩૦મી વાર્તા તરીકે આવી જ વાર્તા Henry Parker દ્વારા રજૂ થઈ છે. તો પૂર્વ ભારતની અસમિયા ભાષામાં પણ આવી વાર્તા પ્રચલિત છે જે Lakshminatha Bejabaruwa દ્વારા Tales from A Grandfather from Assamમાં જોવા મળે છે. એટલું જ નહિ વણજારા જાતિમાં પણ આ કથા પ્રચલિત છે, જે ડી.બી. નાયકે તેમના પુસ્તક ‘બંજારા-લંબાણી સંસ્કૃતિ ઔર લોક કલાએં’ પુસ્તકમાં સંઘરી છે. આમ, શ્રીલંકા, દક્ષિણ અને ઉત્તર ભારતમાં તેમ જ વિચરતી જાતિમાં આ કથા જોવા મળે છે એટલે એટલું તો ચોક્કસ કે તેનાં મૂળ ઘણાં ઊંડાં છે.

પણ દલપતરામ સિંહલ, કન્નડ કે અસમિયા ભાષા કે વણજારાના સાહિત્ય વિષે જાણતા નહોતા તો પછી આ કથા તેમના સુધી પહોંચી કઈ રીતે? એક શક્યતા એ છે કે વ્રજ/હિન્દીમાં પણ તે પ્રચલિત હોય (જો કે આ લખનારને જોવા મળી નથી) અને દલપતરામે તે વાંચી/સાંભળી હોય. બીજી શક્યતા એ પણ છે કે ૧૮૬૨-૧૮૬૩ના અરસામાં એલેક્ઝાન્ડર ફાર્બસ પાસેથી આ કથા દલપતરામને મળી હોય. ભારતના હસ્તલિખિત અને મૌખિક સાહિત્યની પરંપરાથી ફાર્બસ પૂરેપૂરા વાકેફ હતા એટલે આ વાર્તા તેમના ધ્યાનમાં આવી હોય અને તેમણે દલપતરામને કહી સંભળાવી હોય અને તે ૧૮૬૩માં દલપતરામે કથા રૂપે પ્રગટ કર્યા પછી ૧૮૭૦માં પોતાની કલ્પનાના ઘણા રંગો પૂરીને તેને આધારે મિથ્યાભિમાન નાટક લખ્યું હોય. અલબત્ત, આ કેવળ અનુમાન છે.  અને હા, મિથ્યાભિમાન સર્વથા મૌલિક નાટક ન હોય તો ય તેથી તેની ગુણવત્તામાં જરા ય ફેરફાર થતો નથી. કાલિદાસ કે શેકસપિયર જેવાનાં ઘણાં નાટકો સર્વથા મૌલિક નથી, અને છતાં તે સર્વકાલીન ઉત્તમ નાટક બની શક્યાં છે. આપણા નાટ્યશાસ્ત્રમાં પણ ‘ખ્યાત’ વસ્તુ ધરાવતાં નાટકોનો સમાદર થયો જ છે.

અંગ્રેજીનું જ્ઞાન ન હોવાને કારણે દલપતરામ પશ્ચિમનાં નાટકોથી પરિચિત નહોતા. ૧૮૫૩થી મુંબઈમાં જે ગુજરાતી રંગભૂમિ શરૂ થઈ તેનો પણ સીધો પરિચય નહોતો. ફાર્બસના આમંત્રણથી ૧૮૬૩ના એપ્રિલમાં દલપતરામ મુંબઈ ગયા ત્યારે પારસીઓની નાટક મંડળીએ ભજવેલું શેકસપિયરનું ઓથેલો નાટક જોવા ગયા હતા. તેમાં ગીતો, પશ્ચિમી વાદ્યો વગેરે પણ હતાં. દલપતરામ આ નાટક અંગે લખે છે : 'એ નાટકમાં પારશીઓએ હદ વાળી હતી. એવા નાટક ગુજરાતી લોકો ક્યારે કરવા શીખશે?’ (‘મુંબઈ વિષે’, બુદ્ધિપ્રકાશ, ઓગસ્ટ ૧૮૬૩. આ  લેખ ગ્રંથસ્થ થયો નથી.) મિથ્યાભિમાન લખતી વખતે પણ દલપતરામ મુંબઈની રંગભૂમિને યાદ કરે છે : ‘રંગભૂમિ વ્યવસ્થા’ મથાળાથી ભજવણી અંગે સૂચનાઓ આપી છે તેનું પહેલું જ વાક્ય છે : ‘મુંબાઈ જેવા શેહેરમાં નાટકનો ખેલ કરવાની નાટકશાળા હોય, તેમાં તો સર્વે પ્રકારની સગવડ હોય છે, પણ જ્યાં નાટકશાળા ન હોય ત્યાં આ નીચે લખ્યા પ્રમાણે રંગભૂમિની ગોઠવણ કરવી.’

અંગ્રેજી નાટકો કે મુંબઈની રંગભૂમિનો પરિચય ભલે ન હોય, દલપતરામ ભવાઈની પરંપરાથી પૂરેપૂરા વાકેફ છે. અગાઉ ફાર્બસ પાસેથી સાંભળેલી કથાનું રૂપાંતર કરીને ‘લક્ષ્મી નાટક’ રચ્યું ત્યારે પણ પાત્રો-પ્રસંગો વગેરેનું સ્વદેશીકરણ તો તેમણે કર્યું જ, પણ એ નાટક માટે માળખું પણ ભવાઈનું અપનાવ્યું. અમદાવાદથી બદલી થતાં ૧૮૫૦ના એપ્રિલની ૧૫મી તારીખે ફાર્બસ સુરત પહોંચ્યા ત્યારે દલપતરામ તેમની અંગત નોકરીમાં હતા એટલે તેઓ પણ સુરત ગયા. ત્યાં તેમણે ફાર્બસ પાસેથી ગ્રીક નાટ્યકાર એરિસ્ટોફેનિસના ‘પ્લુટસ’ નાટકનું કથાવસ્તુ સાંભળીને લક્ષ્મી નાટક લખ્યું જે ૧૮૫૧માં પ્રગટ થયું. એ વખતે પણ કવિ તરીકેની દલપતરામની પ્રતિષ્ઠા જામવા લાગી હતી. છતાં એક છેવટના ગીતને બાદ કરતાં આખા નાટકમાં ક્યાં ય તેમણે પદ્યનો ઉપયોગ કર્યો જ નથી. જ્યારે મિથ્યાભિમાનમાં અક્ષરમેળ અને માત્રામેળ છંદો સાથે સમૂહ ગાનનો પણ ઉપયોગ કર્યો છે. ભવાઈની પરંપરાને અનુસરીને લક્ષ્મી નાટકનું વિભાજન સાત ‘સ્વાંગ’માં કર્યું છે. જ્યારે મિથ્યાભિમાનનું પણ કાઠું ભવાઈનું હોવા છતાં તેનું વિભાજન તેમણે સંસ્કૃત નાટકની પરંપરાને અનુસરીને આઠ અંક અને પ્રવેશોમાં કર્યું છે. જો કે કેટલેક સ્થળે અંક સંખ્યા ન આપતાં જે-તે પ્રવેશને નામ આપ્યાં છે. જેમ કે, ‘રઘનાથ અને સોમનાથ જીવરામભટ્ટને ખોળે છે’, ‘ભોજન પ્રસંગ’ વગેરે.

લક્ષ્મી નાટકની સરખામણીમાં મિથ્યાભિમાનમાં દલપતરામ નાટકની ભજવણી અંગે સારી જાણકારી બતાવે છે. ‘રંગભૂમિ વ્યવસ્થા’ શીર્ષક હેઠળ સ્ટેજ, પડદા, એકટરો, એમની લાયકાત, તેમના પોશાક, સ્ટેજ પરની પ્રોપર્ટી, વગેરે અંગે વિગતવાર સૂચના આપે છે. તેમાં લખે છે : ‘કાળો કાંબળો, પુંછડું, કાગળનું બનાવેલું પાડીનું મોં, શીગડાં સુધાં.’ સૂત્રધારની કામગીરી અંગે પણ વિગતે લખ્યું છે.

મિથ્યાભિમાન પ્રગટ થયું તે પછી લગભગ ૨૭ વરસ સુધી દલપતરામ હયાત હતા અને વધતેઓછે અંશે સાહિત્ય ક્ષેત્રે સક્રીય હતા. ગુજરાતમાં જ નહિ, મુંબઈમાં પણ પાંચમાં પૂછાતા હતા. થોડી કાપકૂપ સાથે આ નાટક ભજવી શકાય તેવું છે જ. દલપતરામની હયાતીમાં મુંબઈ ઉપરાંત ગુજરાત ને કાઠિયાવાડમાં નાટક મંડળીઓ કામ કરતી થઈ ગઈ હતી. અને છતાં દલપતરામની હયાતીમાં તો નહિ જ, પણ તે પછી ય ઘણા દાયકા સુધી મિથ્યાભિમાન ભજવાયું હોય એવું જાણવા મળતું નથી. એમ કેમ? એક કારણ એ હોવાનો સંભવ છે કે ધંધાદારી રંગભૂમિની બધી જરૂરિયાતો અને અપેક્ષા સચવાય એવું આ નાટક નથી એમ નાટક મંડળીઓને લાગ્યું હોય. બીજું, આ નાટક મંડળીઓ જે નાટકો ભજવતી તેનો એક ઢાંચો રૂઢ થયો હતો. ભવાઈ શૈલીનું આ નાટક નાનાંમોટાં શહેરોમાંના પ્રેક્ષકોનાં રસરુચિ સાથે બંધબેસતું થાય એવું નથી એમ પણ લાગ્યું હોય. નહિતર, કવિ નર્મદનાં નાટકો ભજવાય અને લોકપ્રિય થાય, ત્યારે દલપતરામ જેવા જનમનરંજનમાં કુશળ કવિ ઠેર ઠેર કાવ્ય પઠન કરે અને લોકો (પારસીઓ સુધ્ધાં) તેને વધાવી લે, છતાં તેમનું આ નાટક ન ભજવાય એવું બને નહિ.

બુદ્ધિપ્રકાશના માર્ચ ૧૮૬૨ના અંકમાં છપાયેલ નાટ્યાત્મક કૃતિ યશપાલ અને યમરાજનું છેલ્લું પાનું જેમાં પદ્યને અંતે દલપતરામનાં નામની છાપ છે.

બુદ્ધિપ્રકાશના માર્ચ ૧૮૬૨ના અંકનાં પાનાં ૪૯-૬૧ ઉપર છપાયેલ નાટ્યાત્મક કૃતિ ‘યશપાલ અને યમરાજ’ આજ સુધી ભાગ્યે જ કોઈના ધ્યાનમાં આવી છે. શિલાછાપ પદ્ધતિથી છપાયેલાં ૧૩ પાનાંની આ કૃતિમાં નથી અંક કે પ્રવેશ વિભાજન. એ અર્થમાં એને ‘એકાંકી’ કહી શકાય. કથાવસ્તુ પહેલી નજરે પૌરાણિક લાગે તેવું છે. શરૂઆતમાં લગભગ એક પાનામાં ગદ્યકથન (નેરેશન) દ્વારા ભૂમિકા બાંધી છે. વંશપાળ નામના વાણિયા અને તેની પત્ની ભોળીનો સાતેક વરસનો દીકરો લાંબી માંદગી પછી મરી જાય છે. એ દંપતી પારાવાર શોકમાં ડૂબી જાય છે અને રોજ રાતે સ્મશાનમાં જઈ હૈયાફાટ રુદન કરે છે. ત્યારે પહેલાં વરુણદેવ તેમને મૃત્યુની અનિવાર્યતા સમજાવવાનો પ્રયત્ન કરે છે. અને અહીંથી કૃતિ સંવાદાત્મક બને છે. વરુણ પછી ખુદ યમરાજને દંપતી મળે છે. પરમેશ્વર જેમ કહે તેમ હું તો કરું છું એમ કહી યમરાજ પણ વંશપાળ અને ભોળીને સમજાવવાનો પ્રયત્ન કરે છે. ત્યારે ભોળી તો દીકરા ઉપરાંત સાસુ-સસરા અને બીજાં ચાલીસ જેટલાં કુટુંબીજનોના મૃત્યુ અંગે પણ ફરિયાદ કરે છે અને યમરાજને શાપ આપવાની ધમકી આપે છે. એટલે યમરાજ પરમેશ્વર પાસે જઈને કહે છે : ‘ગરીબ માણસોના નીસાસા લેવાની ઈનકમટાકસ અને લાઈસનસબીલ ઉઘરાવા જેવી નોકરી મારે કરવી નથી.’ (યાદ રાખવું ઘટે કે હિન્દુસ્તાનમાં બ્રિટિશ સરકારે ૨૪ જુલાઈ ૧૮૬૦ના દિવસથી પહેલી વાર ઇન્કમ ટેક્સ લાગૂ કર્યો હતો, જેનો લોકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. એટલે વાચક/પ્રેક્ષક માટે એ સમસામયિક ઘટના હતી.) પરમેશ્વરનો જવાબ પણ નમૂનેદાર છે : ‘તમારે નોકરી છોડવી હશે તો આજથી એક મહિના પછી એ ખાતું કાઢી નાખીને તમને પેનસન આપશું. પણ હાલ મહિના સુધી એ કામ તમારે બરાબર કાયદા પ્રમાણે ચલાવવું.’ અને પછી ઉમેરે છે : ‘જાઓ, એ વાણિયાના તમામ માણસો જેવાં લાવ્યા હો, તેવાં તેને ઘેર પહોચાડો.’ અગાઉ મૃત્યુ પામેલાં ચાલીસ કુટુંબીઓ બીજે દિવસે સવારે સજીવન થઈને દંપતીના ઘરે આવી પહોંચે છે. પણ જુદી જુદી વય, વૃત્તિ, જરૂરિયાતો, માંદગી, ધરાવતા એ ચાલીસ જણાને સંભાળતાં દંપતીને નાકે દમ આવી જાય છે, એટલું જ નહિ બંને વચ્ચે છૂટા પડવાની નોબત આવે છે. બંને વરુણદેવ, યમરાજ અને પછી પરમેશ્વરને વિનંતી કરે છે કે આ ચાલીસ કુટુંબીઓને પાછાં લઈ લો. થોડી આનાકાની પછી પરમેશ્વર તેમની અરજ સ્વીકારે છે, યમરાજ નોકરીનું રાજીનામું પાછું ખેંચી લે છે. અંતે દોહરામાં કૃતિનો સાર તારવતાં કવીશ્વર કહે છે:

‘જે જે કીધું જગદિશે, જન સુખ સારૂ જાણ;
અણસમજ્યો અકળાઈને, ઉરમાં રોષ ન આણ.
સવળ વિચારી સમજિયે, તે પ્રભુકૃત્ય તમામ;
રાજી રહિયે રાત દિન, દિલમાં દલપતરામ.

આ નાનકડી નાટ્યાત્મક કૃતિ વાંચ્યા પછી કેટલીક બાબતો ધ્યાન ખેંચે છે. એક : અંક-પ્રવેશ વગરનું એકાંકી જેવું સ્વરૂપ તેને આપણા એકાંકીનું પ્રોટોટાઈપ ઠરાવી શકે કે નહિ? બે : વ્યવહારુ સત્ય સમજાવવા માટે આભાસી પૌરાણિક વાતાવરણ ઊભું કરવાનું દલપતરામને એ જમાનામાં સૂઝે એ નોંધપાત્ર નથી? મૃત્યુની અનિવાર્યતા સમજાવવા માટે મિથિકલ વાતાવરણ ઊભું કરવાનું કેમ સૂઝ્યું હશે? એ વાતાવરણમાં નોકરી, રાજીનામું, ઇન્કમ ટેક્સ, લાઈસન્સ બિલ વગેરે સમસામયિક બાબતોને ગોઠવીને પ્રેક્ષક/વાચકના વર્તમાન સાથે સેતુ બાંધવાનું પણ તેમનો જમાનો જોતાં ધ્યાનપાત્ર ન ગણાય? (જો કે ભવાઈમાં આ પ્રકારનું ઈમ્ર્પોવાઈઝેશન થતું ખરું.) આ નાનકડી કૃતિ દલપતરામની સર્જક તરીકેની કોઠાસૂઝભરી સજ્જતાનો પરિચય આપી રહે તેવી છે.

આ ‘યશપાલ અને યમરાજ’ તથા અગાઉ જેનો ઉલ્લેખ કર્યો છે તે કથા ‘અભિમાની રતુંધો’ બંને કૃતિઓ આજ સુધી ગ્રંથસ્થ થઈ નથી. સારે નસીબે બુદ્ધિપ્રકાશની લગભગ સળંગ ફાઈલો હજી સુધી સચવાઈ છે. એટલે તેના ૧૯મી સદીના અંકો ઝીણી ચાળણીથી ચાળીને આજ સુધી દલપતરામની જે ગદ્ય કૃતિઓ ગ્રંથસ્થ થઈ નથી તેને ગ્રંથસ્થ કરી લેવામાં હવે આપણે વાર ન લગાડવી જોઈએ.

ખાસ નોંધ: અહીં મૂકેલાં ત્રણ ચિત્રો લેખ સાથે છપાયાં નથી. અહીં ઉમેર્યાં છે.

xxx xxx xxx

Flat No. 2 Fulrani, Sahitya Sahavas, Madhusudan Kalelkar Marg, Kala Nagar, Bandra (East), Mumbai 400 051

Email: deepakbmehta@gmail.com

પ્રગટ : “બુદ્ધિપ્રકાશ”, જુલાઈ 2021

Loading

...102030...1,8041,8051,8061,807...1,8101,8201,830...

Search by

Opinion

  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved