Opinion Magazine
Number of visits: 9572107
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગ્રાન્ટેડ કોલેજોના લાભો ઘટવાના ન હોય તો તેને ખાનગી યુનિવર્સિટીઓ સાથે જોડવાનું કોઈ કારણ ખરું?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|30 July 2021

સરકારમાં અત્યારે ખાનગીકરણનો વાવર ચાલે છે. બેંકો ખાનગી હતી તો તેનું 1969માં રાષ્ટ્રીયકરણ થયું ને હવે સરકારને લાગે છે કે રાષ્ટ્રીયકરણ નિષ્ફળ ગયું છે તો બેન્કોને ફરી ખાનગી કરીએ. આનો બેન્કોને વિરોધ છે. વિરોધ એટલે છે કે તેના કર્મચારીઓને નોકરી અને પગારની સલામતી જણાતી નથી.

સરકારી શાળાઓ રામ ભરોસે જ ચાલે છે, પણ સરકારને તે ઠીક ન લાગતાં તેણે ખાનગી શાળાઓને ઉત્તેજન આપવા માંડ્યું, પરિણામે ખાનગી શાળાઓનો રાફડો ફાટ્યો ને તેનું વર્ચસ્વ વધતાં સરકારી શાળાઓ ગરીબડી થતી ગઈ ને એમાં ગરીબો બચ્યા ને તેનું શિક્ષણ પણ ગરીબ જ થતું ગયું. ખાનગીના અર્થો પણ સ્પષ્ટ થયા. જેમ કે ખાનગીમાં ફી વધારે જ હોય, તેમાં છાશવારે વાલીઓ પાસેથી ઉઘરાણીઓ ચાલ્યા જ કરતી હોય ને તેના શિક્ષકોનું ભાવિ અને પગારનું ધોરણ અચોક્કસ જ હોય તથા તાલીમ પામેલા શિક્ષકો જ ભણાવે એ નક્કી ન હોય. હવે કોરોનાની સ્થિતિમાં સરકાર ખાનગી સ્કૂલોને ફી ઘટાડવાનું કહે છે તો તેનો સંચાલકોને વાંધો પડે છે અને તેઓ સરકારની ઐસી તૈસી કરીને વાલીઓને લૂંટવા તૈયાર છે. એક તરફ વાલીઓની આવકનાં ઠેકાણાં નથી ને બીજી તરફ ફીનું ઉઘરાણું ચાલુ જ છે એટલે ઘણા વાલીઓનાં સંતાનો સરકારી સ્કૂલોમાં પણ પહોંચ્યાં છે.

આટલા પરથી એટલું તો સમજાય છે કે ખાનગીકરણ સરવાળે મોંઘું પડે છે. આના પરથી બોધપાઠ લેવાને બદલે સરકારે ખાનગીકરણ કોલેજ કક્ષાએ વધુ સઘન કરવાની કોશિશો કરવા માંડી છે. તેણે ગુજરાતમાં કેટલીક ખાનગી યુનિવર્સિટીઓ શરૂ કરી છે. અન્ય શહેરની જેમ સુરતને પણ આ વર્ષે સાર્વજનિક અને વનિતા વિશ્રામ એમ બે યુનિવર્સિટીઓ મળી છે. આ યુનિવર્સિટીઓ કેવી રીતે કાર્યરત થશે કે તેની પ્રવેશની અને અધ્યાપકોની કેવી અને કેટલી સલામતી હશે તેની કશી જ વ્યવસ્થાઓ વગર યુનિવર્સિટીઓની જાહેરાત કરી દેવામાં આવી છે, તે એ હદ સુધી કે સાર્વજનિક યુનિવર્સિટીએ ખાનગી યુનિવર્સિટીનું કોઈ આવેદન આપ્યું નથી ને તેને યુનિવર્સિટીનું સ્ટેટસ પ્રાપ્ત થઈ ગયું છે.

જુદા જુદા શહેરોને આમ લહાણીમાં યુનિવર્સિટીઓ આપી દેવાનું શું કારણ છે તે સમજાય તે પહેલાં તો અરાજકતાઓ સામે આવવા માંડી છે. સરકારની જાણમાં, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સાથે જોડાયેલી કોલેજોનું જોડાણ એમ કહીને કાપી નાખ્યું છે કે તે હવે ખાનગી સાર્વજનિક સોસાયટીની કોલેજો છે. એમાં સુરત ઉપરાંત બારડોલી અને અન્ય વિસ્તારની કોલેજો પણ ખરી. ગમ્મત એ છે કે ખાનગી યુનિવર્સિટીઓ એવી નવજાત અવસ્થામાં છે કે એને પોતાના અસ્તિત્વની જ ખાસ ખબર નથી, ત્યાં એ બીજી કોલેજોને પોતાની સાથે જોડે તો પણ કઈ રીતે ને કયાં ધોરણે એ મૂંઝવણ છે. નર્મદ યુનિવર્સિટીએ તો એમ કહીને મર્દાઈ બતાવી દીધી કે સરકાર માઈબાપે છેડો છૂટકો કરવાનું કહી જ દીધું છે એટલે આજથી આપણે છુટ્ટા ! સાર્વજનિક યુનિવર્સિટી કહે છે કે હે ગ્રાન્ટેડ કોલેજો, અમારે તમને સમાવવાના છે એની અમને જ ખબર નથી. આ વેપલામાં થોડીક કોલેજો ન ઘરની કે ન ઘાટની થઈ ગઈ છે. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી હતી ત્યારે તેણે એમ.ટી.બી., કે.પી., વી.ટી. ચોક્સી, એસ.પી.બી. જેવી કોલેજોને પાંખમાં લીધી હતી, પણ જેવી તે સાર્વજનિક યુનિવર્સિટી થઈ કે આ કોલેજોને ન તો સાથે રાખી શકાય કે ન તો હાંકી કઢાય એવી – સાપે છછુંદર ગળ્યા – જેવી હાલત તેની થઈ છે. સાર્વજનિક સોસાયટીના સંચાલકો શિક્ષણ મંત્રીનું બારણું ઠોકી આવ્યા તો સાહેબે કહ્યું કે આ ખાલી તમારો જ પ્રશ્ન નથી, ઘણાનો પ્રશ્ન છે ને ચિંતા ન કરો, નિરાકરણ આવી જશે. સાહેબ તોડ પાડે કે લાવે ત્યારની વાત ત્યારે, પણ અત્યારે તો સાર્વજનિક, વનિતા વિશ્રામ ને બારડોલીના મળીને નવેક કોલેજના વિદ્યાર્થીઓ એડમિશનનું શું થશે એ વાતે અકળાયેલા છે. બારડોલીમાં તો કોલેજના વિદ્યાર્થીઓએ શિક્ષણનું ખાનગીકરણ બંધ કરો – કહીને સરઘસ કાઢયું ને મામલતદારને આવેદનપત્ર પણ આપી દીધું.

બીજે પણ વિરોધ ઊઠ્યો છે. સરકાર એનો શો ઉકેલ લાવે છે તેની રાહ જોવાની રહે, પણ કોરોના જેવી મહામારીનું ઠેકાણું ન પડતું હોય ત્યારે જંપી જવાનું હતું, તેને બદલે પેટ ચોળીને શૂળ ઊભું કર્યું. કોણ અત્યારે યુનિવર્સિટી વગર રહી જતું હતું તે નથી ખબર ને યુનિવર્સિટી ચાલુ કરી તો ભલે, ચાલુ કરતાં પહેલાં એ તો જુઓ કે દુકાનમાં માલબાલ છે કે કેમ? ખાલી પાટિયું જાહેર કર્યું ને સરકારને લાગ્યું કે યુનિવર્સિટી શરૂ થઈ ગઈ. સોસાયટી સાથે જે કોલેજો જોડાયેલી છે, તે ગ્રાન્ટેડ કોલેજો છે ને તેનું જોડાણ નર્મદ યુનિવર્સિટી સાથે હતું. નર્મદે ના પાડી, એટલે સોસાયટીએ કહ્યું પણ ખરું કે તે હજી પૂરી યુનિવર્સિટી થઈ નથી તો હમણાં છે તે જોડાણ ચાલુ રાખો, પણ તેને દાદ મળી નથી કે નથી તો સરકારે હજી સુધી ખુલાસો કર્યો. કમાલ છે ને કે સોસાયટી તરીકે ફોડી લેતી હતી તે યુનિવર્સિટી બનતાં કફોડી હાલતમાં મુકાઈ. અત્યારે તો હજારો વિદ્યાર્થીઓ ત્રિશંકુની દશામાં છે. આ કોલેજો સાધારણ કોલેજો નથી, સોસાયટી ને એમ.ટી.બી. તો શતાબ્દી પાર કરીને સિદ્ધિ પામી ચૂકેલી સંસ્થાઓ છે, તે સૌની હાલત યુનિવર્સિટી બનતાં કથળી છે.

ધારો કે સાર્વજનિક યુનિવર્સિટી સાથે જોડાણ થાય છે તો આ ગ્રાન્ટેડ કોલેજો ખાનગી યુનિવર્સિટી સાથે જોડાશે. એ કોલેજોનું સ્ટેટસ શું હશે? તે કોલેજો ગ્રાન્ટેડ ગણાશે કે ખાનગી? ગ્રાન્ટેડ ગણાય તો, તો બહુ વાંધો નહીં આવે, પણ ખાનગી ગણાય તો વિદ્યાર્થીઓની અને અધ્યાપકોની હાલત ખરાબ થશે. ખાનગીની તાજી વ્યાખ્યા વધારે ફી અને ઓછા પગારની છે. સુરત, બારડોલીની ગ્રાન્ટેડ કોલેજોમાં ભણનારા વિદ્યાર્થીઓ આદિવાસી વિસ્તારમાંથી આવનારા ને મધ્યમવર્ગના શહેરી વિદ્યાર્થીઓ છે. જો તેઓ ખાનગી યુનિવર્સિટીમાં જાય તો ફીનું ધોરણ તેમને પરવડી શકે નહીં. એ સ્થિતિમાં કેટલાકે ભણવાનું છોડવું પડે. સરકાર એવું ઈચ્છે છે કે ગરીબ વિદ્યાર્થીઓ ભણે નહીં? એ તો ઠીક, આ કોલેજોમાં પીએચ.ડી.ના ગાઇડ્સ છે, સિનિયર અધ્યાપકો છે, એ પણ ખાનગી યુનિવર્સિટીમાં ધકેલાય તો તેમનું પગાર ધોરણ અને બીજા લાભોનું શું તે પણ વિચારવાનું રહે. ખાનગી શાળાઓમાં શિક્ષકોનું જે શોષણ થાય છે તે અહીં નહીં જ થાય એની ખાતરી નથી. સરકાર તો કહે છે કે ખાનગી યુનિવર્સિટીઓમાં ગ્રાન્ટેડ કોલેજો જોડાશે તો વિદ્યાર્થીઓએ વધારે ફી નહીં ભરવી પડે કે ન તો અધ્યાપકોના હકો ડૂબશે. એવી વાત પણ છે કે નર્મદ યુનિવર્સિટીમાં રહીને સોસાયટીની કોલેજોના અધ્યાપકોની જે રાજનીતિ ચાલતી હતી તે અટકી પડે એવું લાગતાં અધ્યાપકો ખાનગીનો વિરોધ કરે છે. અધ્યાપકો રમત રમવા જ યુનિવર્સિટીમાં આવે છે એવું ધારી લેવું વધારે પડતું છે. એમને ખાનગીમાં હિતોનું રક્ષણ થશે કે કેમ એ ચિંતા હોય ને તેથી વિરોધ કરતાં હોય એ વાત સાવ કાઢી નાખવા જેવી નથી.

માની લઈએ કે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોનાં હિતોનું રક્ષણ થશે, પણ એ આજની કબૂલાત છે. એ સ્થિતિ આગળ ઉપર પણ સચવાશે જ તેની ખાતરી નથી, વળી ખાનગી યુનિવર્સિટી ગ્રાન્ટેડ હિતોનું રક્ષણ કરવાની હોય તો તે ખાનગી કઈ રીતે છે તે પ્રશ્ન જ છે ને જો વિદ્યાર્થીઓનું કે અધ્યાપકોનું રક્ષણ ખાનગીમાં થવાનું હોય ને હાલની સ્થિતિમાં ફેર ન પડવાનો હોય તો તેને ખાનગીમાં નાખવાની જરૂર શી છે? એ કેવું કે યુનિવર્સિટી ખાનગી, પણ તે ગ્રાન્ટેડનાં હિતો માટે હોય ને વિદ્યાર્થી ને અધ્યાપકો ખાનગીમાં, પણ તેના હિત ગ્રાન્ટેડ જેવાં જ જળવાય. જો બધું જૈસે થે – જ રહેવાનુ હોય તો આ આખો વેપલો કરવાની કોઈ જરૂર હતી?

નવી શિક્ષા નીતિમાં કોલેજો અને યુનિવર્સિટીઓને સ્વાયત્તતા આપવાની વાત છે. એ ધ્યાને લઈએ તો એમ લાગે છે કે સરકાર શિક્ષણમાંથી હાથ કાઢી લઈને આખો કારભાર ખાનગી કોલેજોને અને યુનિવર્સિટીઓને માથે નાખવા માંગે છે. એમ થાય તો ખાનગી સંસ્થાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ ચલાવશે. જેને એમાં રસ છે તે સોર્સિસ ઊભા કરશે ને આર્થિક તેમ જ શૈક્ષણિક માળખું તૈયાર કરી ને સ્વતંત્ર રીતે કારભાર કરશે. એમાં તંદુરસ્ત સ્પર્ધા થાય તો ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ વધે ને નવાં કીર્તિમાન સ્થપાય એમ બને. પણ, એ આદર્શ છે. ખાનગી શિક્ષણમાં અત્યાર સુધી કેવાક આદર્શો સ્થપાયા છે તે કોઈથી અજાણ્યું નથી. સ્વાયત્તતા તો સ્થપાય ત્યારે ખરી, પણ શોષણના નવા માર્ગો ખૂલે તો નવાઈ નહીં, છતાં આશાવાદી થવાનો ય વાંધો નથી. ચિંતા એક જ રહે કે સ્થિતિ સંપન્ન નથી એવા વિદ્યાર્થીઓ આર્થિક સુવિધાના અભાવમાં શિક્ષણથી દૂર ન થઈ જાય. એવું થશે તો એ ખોટ કોઈ પણ આદર્શ કરતાં મોટી હશે.

વેલ, નર્મદ યુનિવર્સિટીએ ગ્રાન્ટેડ કોલેજો સાથેનો છેડો તો ફાડી નાખ્યો, પણ તેને વિદ્યાર્થીઓ, અધ્યાપકોની કોઈ ગરજ છે કે કેમ? ફેંકી દેતાં હજારો વિદ્યાર્થીઓ ખાનગી યુનિવર્સિટીમાં ધકેલાતા વિદ્યાર્થીઓની જે તૂટ પડશે એ કેવી રીતે સરભર થશે તે વિચારાયું છે ખરું કે અધ્યાપકો ખાનગીમાં ધકેલાશે તો શિક્ષણકાર્યને વાંધો નહીં આવે એવી ખાતરી છે કે યુનિવર્સિટી વિદ્યાર્થીઓ વગર પણ ચાલી રહેશે એવી સરકારને શ્રદ્ધા છે?

ખરેખર તો સરકાર તરંગોમાંથી નીચે આવે ને નક્કર ધરાતલ પર રહીને ગંભીરતાથી આખી સમસ્યાનો ઉકેલ લાવે તે અપેક્ષિત છે. અસ્તુ !

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 30 જુલાઈ 2021

Loading

ટૂંકું અજંપ જીવન, રંગસમૃદ્ધ ભવ્ય ચિત્રો : અમૃતા શેરગિલ

સોનલ પરીખ|Opinion - Opinion|30 July 2021

‘અમૃતા શેરગિલ ભારતીય ઉપખંડમાં આધુનિક ચિત્રશૈલીનો પાયો નાખનારાઓમાંની એક હતી. પોતાની પીંછી દ્વારા તેણે 1930ના ભારતીય સ્ત્રીપુરુષોની રોજિંદી જિંદગીને, એની હતાશાઓ અને એકલતાઓ સમેત અભિવ્યક્તિ આપી.’ 1941માં અમૃતા શેરગિલ મૃત્યુ પામી ત્યારે ‘ન્યૂ યૉર્ક ટાઈમ્સ’ ઓબિચ્યુરીની શરૂઆત આ શબ્દોથી થઈ હતી. ‘ન્યૂ યૉર્ક ટાઈમ્સ’માં માત્ર શ્વેત લોકોને શ્રદ્ધાંજલિ અપાતી, અપવાદરૂપ વ્યક્તિઓની જ નોંધ લેવાતી. અમૃતા શેરગિલ આવો અપવાદ હતી. માત્ર ઓગણત્રીસ વર્ષના ટૂંકા અજંપ જીવન અને ભવ્ય કલાકૃતિઓ વડે તે હંમેશાં આંતરરાષ્ટ્રીય ચર્ચામાં રહી. તાજેતરમાં એનું એક પેઈન્ટિંગ ‘ઇન ધ લેડીઝ એન્ક્લોઝર’ સેફ્રોનેટ ઑક્શન હાઉસે 37.8 કરોડ રૂપિયામાં વેચ્યું. આથી એ બીજા નંબરનું સૌથી મોંઘું ભારતીય પેઈન્ટિંગ બન્યું છે (પહેલા નંબરનું વી.એસ. ગાયતોંડેનું પેઈન્ટિંગ 39.98 કરોડમાં આ વર્ષના માર્ચમાં વેચાયું હતું). અમૃતા શેરગિલની ચિત્રશૈલીએ કલાકારોની એકથી વધારે પેઢીઓને પ્રભાવિત કરી છે. તેના પર પુસ્તકો લખાયાં છે, ટપાલ ટિકિટ નીકળી છે, સલમાન રશદીની એક નવલકથા ‘ધ મૂર્સ લાસ્ટ સાય’નું પાત્ર તેનાથી પ્રેરિત છે, દિલ્હીમાં તેના નામનો એક માર્ગ છે.

એનો નાનકડો જીવનકાળ યુરોપ અને ભારત વચ્ચે વહેંચાયેલો રહ્યો. 1913ની 30મી જાન્યુઆરીએ ડાન્યુબ નદીને કાંઠે, બુડાપેસ્ટના એક સુંદર-શાંત ઘરમાં, પંજાબી રાજકૂળના સંસ્કૃત-ફારસીના વિદ્વાન ઉમરાવસિંહ શેરગિલ અને હંગેરિયન-યહૂદી ઓપેરા ગાયિક મેરી એન્ટોઈનેટને ત્યાં તેનો જન્મ. બાળપણનો મોટા ભાગનો સમય બુડાપેસ્ટમાં જ વીત્યો. વિશ્વયુદ્ધ પછીની હાડમારીથી બચવા 1921માં શેરગિલ પરિવાર ભારત આવી સિમલામાં વસ્યો. અમૃતાના પેઈન્ટિંગની શરૂઆત અહીં જ થઈ. નોકરોને મોડેલ બનાવી તે ચિત્રો દોરતી રહેતી. એટલી નાની ઉંમરે પણ તે પોતાને ‘એથેઈસ્ટ’ કહેતી. એ માટે એક વાર તેને કૉન્વેન્ટ સ્કૂલમાંથી કાઢી મૂકી, તો પણ. અમૃતા અને એની બહેન ઇન્દિરા બન્ને પિયાનો શીખતી અને સિમલાના ગેઈટી થિયેટરમાં યોજાતાં નાટકો અને કૉન્સર્ટ્સમાં ભાગ લેતી.

મામા અર્વિન બેકેટ સિમલા આવ્યા ત્યારે એમણે અમૃતાની કલાને પારખી, માએ પણ પ્રોત્સાહન આપ્યું. પેઈન્ટિંગ શીખવા અમૃતા ઈટલી, ફ્રાન્સ અને અન્ય યુરોપીય દેશોમાં ફરી અને ત્યાંની પ્રખ્યાત આર્ટ સ્કૂલોમાં ભણી. પેરિસમાં ‘યંગ ગર્લ્સ’ને ગોલ્ડ મેડલ મળ્યો ત્યારે તે માત્ર 19 વર્ષની હતી. એમાં જે તરુણીઓ બતાવી છે તેમાં એક તેની બહેન ઈન્દિરા હતી. ત્યાં કરેલું ‘ટ્રેડિશનલ વુમન’ આજે પણ સીમાચિહ્નરૂપ ગણાય છે. ત્યાં તેણે ઘણાં ન્યૂડ પેઈન્ટિંગ અને સેલ્ફ પોટ્રેટ્સ બનાવ્યાં. ઉપરાંત સ્ટીલ લાઈફ, પેરિસનું જીવન, મિત્રો-વિદ્યાર્થીઓનાં પેઈન્ટિંગ પણ કર્યાં. ‘કન્વર્ઝેશન્સ’ પણ અહીંનું. ભરપૂર પ્રશંસા અને પ્રસિદ્ધિ મળતાં ગયાં. પેરિસના ગ્રાન્ડ સલૂનમાં ચૂંટાનારી તે પ્રથમ અને સૌથી નાની ઉંમરની એશિયન હતી. આ બધું છતાં તે ભારત આવવા ઝંખતી – ધેર લે માય ડેસ્ટિની એઝ અ પેઈન્ટર. પોતાના અપાશ્ચાત્ય, અપરિચિત મૌલિક સ્વની શોધ તેને ભારત જવા પ્રેરતી હતી.

તેણે માને લખ્યું, ‘હું પેઈન્ટિંગ શીખું છું, છતાં કોઈ મને એ શીખવે છે એમ નથી. બિકૉઝ આઈ પઝેસ ઇન માય સાયકોલૉજિકલ મેકઅપ અ પિક્યુલિઆરિટી ધૅટ રિસેન્ટ્સ એની આઉટ્સાઈડ ઈન્ફ્લ્યુઅન્સ.’ વિવેચકો તેના પેઈન્ટિંગ પર હંગેરિયન પેઈન્ટર્સ અને પૉસ્ટ ઈમ્પ્રેશનિઝમનો પ્રભાવ જોતા. તેના એક પ્રોફેસર કહેતા કે ‘અમૃતાના પેઈન્ટિંગમાં જે રંગસમૃદ્ધિ છે તે પશ્ચિમની દેણ નથી. અમૃતાની કલાપ્રતિભા તેનો સાચો ઉન્મેષ પૂર્વમાં જ પ્રાપ્ત કરી શકશે.’

અને 1934માં પેરિસના ઠંડા, ભૂખરા સ્ટુડિયોઝને છોડી તે ભારત આવી – સૂર્યપ્રકાશિત ધરતી, ઘેરા રંગો અને ઘઉંવર્ણ નમ્ર લોકોના દેશમાં. અહીં તેને પત્રકાર માલ્કમ મગરિજ મળ્યો. બન્ને સાથે થોડું રહ્યાં. તેણે માલ્કમનું પેઈન્ટિંગ પણ બનાવ્યું જે અત્યારે દિલ્હીની નેશનલ ગૅલેરી ઑફ મોર્ડન આર્ટમાં છે. ભારત સરકારે અમૃતાનાં પેઈન્ટિંગ્સને ‘રાષ્ટ્રિય કલાનિધિ’ ઘોષિત કરી આ ગેલેરીમાં સાચવ્યાં છે. લાહોર અને પેરિસનાં મ્યુઝિયમોમાં પણ તેનાં ચિત્રો છે.

સિમલાના મકાનના ઉદ્યાનમાં એક તરફ અમૃતાએ સ્ટુડિયો બનાવ્યો હતો. આખો વખત તે ચિત્રો બનાવતી. 1935માં સિમલાની ફાઈન આર્ટ્સ સોસાયટી ચિત્રપ્રદર્શન ભરવાની હતી. અમૃતાએ 10 ચિત્રો મોકલ્યાં. તેમણે પાંચ પાછાં મોકલ્યાં જે ખરેખર તો વધારે સારાં હતાં. જે પાંચ સ્વીકાર્યાં હતાં એમાંના એકને ગોલ્ડ મેડલ મળ્યો, જે પાછું એ પાંચમાં છેલ્લા ક્રમે આવે. અમૃતાને આખી વાતનો એટલો કંટાળો આવ્યો કે તેણે મેડલ ‘વધુ યોગ્ય વ્યક્તિના લાભાર્થે’ પાછો મોકલ્યો. દિલ્હીમાં યોજાયેલા એક પ્રદર્શનમાં પણ આવો જ અનુભવ થયો. કલાપ્રદર્શનોની ‘મિડિયોક્રસી’થી ત્રાસીને તેણે પ્રદર્શનમાં ચિત્રો મોકલવા બંધ કર્યાં. 

1936માં એ પોતાનાં ભુલાયેલા ભારતીય મૂળને શોધવા ખૂબ ફરી. ભારતીય પરિધાન અપનાવ્યું. માએ ગૂંથી આપેલાં પુલઓવર પણ ન પહેરતી. લોકજીવન નજીકથી જોયું. મોગલ અને પહાડી શૈલી તેમ જ અજંતાનાં ગુફાચિત્રોથી પ્રભાવિત થઈ. કોચીન અને ત્રાવણકોર પણ ગઈ. પદ્મનાભપુરમના મહેલના મધ્યકાલીન ચિત્રો તેને ખૂબ ગમ્યાં. ‘હું વ્યક્તિવાદી છું. સંતો અને ગરીબોના આ દેશનું આકલન અને આલેખન મારી પોતાની શૈલીથી કરું છું, જે પરંપરાગત અર્થમાં ભારતીય ન કહેવાય, પણ તેનો આત્મા ભારતીય છે.’ ત્રિવેન્દ્રમમાં પહેલી વાર કથકલી જોયું, ‘અજબ છે. કલાત્મક પણ.’

1937માં તેણે દક્ષિણ ભારતમાં ત્રણ ચિત્રો બનાવ્યાં – ‘બ્રાઈડલ ટૉયલેટ્સ’, ‘બ્રહ્મચારીઝ’ અને ‘સાઉથ ઈન્ડિયન વિલેજર્સ ગોઈંગ ટુ માર્કેટ.’ એ જ વર્ષે તેને ‘થ્રી ગર્લ્સ’ માટે બોમ્બે આર્ટ સોસાયટીએ ગોલ્ડ મેડલ આપ્યો. શરણાગતિ અને નિયતિના સ્વીકારના ભાવવાળી, ઢળેલી આંખોવાળી ત્રણ છોકરીઓના ચહેરા અને બેસવાની રીત ઘણું કહી જાય છે. ‘મને મારું લક્ષ્ય મળી ગયું છે. ગરીબ, ગ્રામીણ ભારતીયોની મૌન, ધૈર્યપૂર્ણ, એકલવાઈ છબિને, તેમનાં શ્યામલ છાયાચિત્રો સમાં શરીરો દ્વારા ચિત્રિત કરવી.’

1938માં તે હંગેરી ગઈ. વિક્ટર એગન સાથે લગ્ન કર્યાં. જતા પહેલાં લખ્યું, ‘હંગેરી જઈને હું શિલ્પ શીખીશ. મને નથી લાગતું કે હું યુરોપમાં ચિત્રો કરીશ. હું ભારતમાં જ ચિત્રો કરી શકું. બીજે ક્યાં ય હું એટલી સહજ, સ્વાભાવિક કે આત્મવિશ્વાસપૂર્ણ નથી રહી શકતી. યુરોપ પિકાસો, મેટિસ અને બ્રાકનું છે પણ ભારત માત્ર મારું છે.’

‘અમૃતા શેરગિલ ભારતીય ઉપખંડમાં આધુનિક ચિત્રશૈલીનો પાયો નાખનારાઓમાં મુખ્ય હતી. પોતાની પીંછી દ્વારા તેણે 1930ના ભારતીય સ્ત્રીપુરુષોની રોજિંદી જિંદગીને, એની હતાશાઓ અને એકલતાઓ સમેત અભિવ્યક્તિ આપી.’

અમૃતા શેરગિલ મૃત્યુ પામી ત્યારે ‘ન્યૂ યૉર્ક ટાઈમ્સ’ ઓબિચ્યુરીની શરૂઆત આ શબ્દોથી થઈ હતી. ‘ન્યૂ યૉર્ક ટાઈમ્સ’માં માત્ર શ્વેત લોકોને શ્રદ્ધાંજલિ અપાતી, અમૃતા શેરગિલ એમાં અપવાદ હતી. માત્ર ઓગણત્રીસ વર્ષના ટૂંકા અજંપ જીવન અને ભવ્ય કલાકૃતિઓ વડે તે હંમેશાં આંતરરાષ્ટ્રીય ચર્ચામાં રહી. તાજેતરમાં એનું એક પેઈન્ટિંગ ‘ઇન ધ લેડીઝ એન્ક્લોઝર’ સેફ્રોનેટ ઑક્શન હાઉસે 37.8 કરોડ રૂપિયામાં વેચ્યું …

1039માં તે પતિ વિક્ટર સાથે ભારત આવી. યુરોપના આકાશમાં યુદ્ધના વાદળ ઘેરાવા માંડ્યાં હતાં. બન્ને સરાયા જઈને રહ્યાં. સરાયા તેની ચેતના પર અજબ અસર કરતું. અમૃતા ખૂબ કામ કરતી. ‘ધ સ્વિંગ’, ‘ધ એન્શિયન્ટ સ્ટોરી ટેલર’, ‘ધ બ્રાઈડ’, ‘ધ હૉર્સ એન્ડ ધ ગ્રુમ’, ‘વુમન રેસ્ટિંગ ઓન ચારપાઈ’, ‘ટાહિટિયન’, ‘રેડ બ્રિક્સ હાઉસ’, ‘હિલ સીન’, ‘વિમેન ઈન રેડ’, ‘એલિફન્ટ્સ બૅધિંગ ઈન ધ ગ્રીન પૂલ’, ‘ધ હલ્દી ગ્રાઈન્ડર’, ‘રેસ્ટિંગ’ ‘વિલેજ સીન’, ‘ઇન ધ લેડીઝ એન્ક્લૉઝર’, ‘સીએસ્ટા’ કર્યાં. ‘સમય નથી.’ એ વારંવાર કહેતી. તેને એક જાતનો અજંપો ઘેરતો ગયો.

1941ના સપ્ટેમ્બરમાં પતિપત્ની લાહોર ચાલ્યા ગયાં. લાહોર ત્યારે સંસ્કૃતિ અને કલાનું કેન્દ્ર ગણાતું. ‘કેમલ્સ’ અને અધૂરું છતાં મનમોહક છેલ્લું ચિત્ર તેણે લાહોરમાં કર્યાં. ડિસેમ્બરમાં તેને લાહોરમાં પોતાના ચિત્રોનું મોટું પ્રદર્શન ભરવું હતું. પણ ત્રીજી ડિસેમ્બરે તે માંદી પડી, કોમામાં ચાલી ગઈ અને પાંચમી ડિસેમ્બરે તેનું મૃત્યુ થયું. તેનું મૃત્યુ આજ સુધી અફવાઓમાં વીંટળાયેલું એક રહસ્ય જ રહ્યું છે.

અમૃતાનાં ચિત્રો ભારતીય સંસ્કૃતિ માટે એટલાં મહત્ત્વનાં ગણાયાં કે જ્યારે પણ લીલામ થાય, સરકાર આગ્રહ રાખે કે દેશની કલા દેશમાં જ રહેવી જોઈએ. દસેક ચિત્રો જ બહાર વેચાયાં છે. 2006માં તેનું ચિત્ર ‘વિલેજ સીન’ 6.9 કરોડના વિક્રમી ભાવે વેચાયું હતું. 2018માં ‘ધ લિટલ ગર્લ ઈન બ્લ્યૂ’ 18-69 કરોડમાં વેચાયું. એ અમૃતાની પિતરાઈ બહેન બબીતનું પોટ્રેટ હતું. 1934માં અમૃતાએ એ બનાવ્યું ત્યારે બબીત આઠ વર્ષની હતી. યુનેસ્કોએ વર્ષ 2013ને અમૃતા શેરગિલ ઈન્ટરનેશનલ યર ઘોષિત કર્યું હતું.

પોતાના સમયથી બહુ આગળ, નિર્ભય મુક્તતા સાથે એ જીવી. એ કાળના ભારતમાં તેના જેવી આધુનિક, પ્રતિભાશાળી અને કંઈક નિરંકુશ જીવન જીવતી સ્ત્રીનો સ્વીકાર થવો મુશ્કેલ હતો. તેનો પરિવાર બ્રિટિશ રાજ સાથે ઘરોબો ધરાવતો હતો, પણ અમૃતાને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, પંડિત નહેરુ અને મહાત્મા ગાંધી પ્રત્યે આકર્ષણ હતું.  

અમૃતા ભારતની ફ્રિડા કાહલો ગણાતી. ફ્રિડા મેક્સિકન પેઈન્ટર હતી. બન્ને ન્યૂડ ચિત્રો અને સેલ્ફ પોટ્રેટ માટે જાણીતાં હતાં. ફ્રેડા પણ નાની ઉંમરે મૃત્યુ પામી હતી અને અનેક સ્ત્રીપુરુષો સાથે અંતરંગ સંબંધ ધરાવતી હતી. કલા અને પોતાની જાત પ્રત્યેનું ઉગ્ર વળગણ બન્નેમાં સમાન હતું.

કલા વિવેચક રિચર્ડ બાર્થોલોમ્યુએ 1992માં લખ્યું હતું, ‘અમૃતાના જીવનનાં છેલ્લાં વર્ષો ભવ્ય અભિવ્યક્તિ અને વિકટ સંજોગોનાં હતાં. કલાકાર તરીકે તે અદ્દભુત હતી. ઓગણત્રીસ વર્ષની જિંદગીમાં આ કક્ષાએ ભાગ્યે જ પહોંચી શકાય. પણ તેણે જે શિખરો સર કરવા ધાર્યું હતું ત્યાં તે પહોંચી હતી? આપણને એની ખબર પડવાની નથી. તેનામાં કેટલાં શિસ્ત, આત્મવિશ્વાસ અને ધૈર્ય હતાં; કેટલી કલાભૂખ, વ્યાકુળતા, ઝંખના ને પીડા સળગતી હતી તેની આપણે તો કલ્પના જ કરવાની રહે છે.’ 

પ્રગટ : લેખિકાની ‘રિફલેક્શન’નામક સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 25 જુલાઈ 2021

e.mail : sonalparikh1000@gmail.com

Loading

મહાન કોને કહેવાય? ઉત્તમ હોય તે કે પરોપકારી હોય તે?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|30 July 2021

સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ માર્કેન્ડેય કાટ્ઝૂ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે, ક્યારેક ઉચિત કારણોથી, ક્યારેક અનુચિત ટીપ્પણીઓથી. ૨૦૧૨માં, દિલ્હીમાં પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના એક કાર્યક્રમમાં તેમણે કરેલું એક વિધાન લોકો આજે ય યાદ કરે છે; "નેવું ટકા ભારતીયો બેવકૂફ છે. તમને લોકોને માથામાં દિમાગ જ નથી. તમને ભરમાવા બહુ સરળ છે. તમે કોકના ઈશારે અંદરોઅંદર જ લડ્યા કરો છો, અને તમને તેની સમજ પણ પડતી નથી." એનો બહુ વિવાદ થયો, તો તેમણે કહ્યું હતું કે, "જાતિવાદ, કોમવાદ, પછાતપણા અને અંધશ્રદ્ધામાંથી લોકોને જગાડવા મેં એ કહ્યું હતું."

તેમનું બેબાકપણું લોકોને ખૂંચે છે, કારણ કે તેઓ કોથળીમાંથી પાંચશેરીને બહાર કાઢીને મારે છે. તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરફાર થયા તેને કાટ્ઝૂએ 'નૌટંકી' ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું, "આનાથી આમ જનતાના જીવનમાં શું ફર્ક પડશે? શું મંત્રીઓ બદલવાથી દેશમાં વ્યાપક અને ભયાનક ગરીબી, બેરોજગારી, મોંધવારી, કુપોષણ, સ્વાસ્થ્ય સેવા, સારા શિક્ષણનો અભાવ, ખેડૂતોનું સંકટ, ભ્રષ્ટાચાર, દલિતો અને લઘુમતીઓ પરના અત્યાચાર જેવી સમસ્યાઓ દૂર થઇ જશે? બિલકુલ નહીં. આ નૌટંકી છે."

કાટ્ઝૂ કાણાને કાણો કહેતાં અચકાતા નથી, એ ઘણા લોકોને પસંદ નથી આવતું, પરંતુ તેમની વાત અસ્થાને નથી હોતી. એ જે કહે છે તેમાં સત્યનો અંશ હોય છે, પણ તેમની 'ઉદ્ધત' ભાષામાં એ ખોવાઈ જાય છે. હમણાં ફિલ્મ અભિનેતા દિલીપ કુમારનું અવસાન થયું, ત્યારે તેમણે તેમને શ્રદ્ધાંજલિ આપવાના એક કાર્યક્રમમાં જવાની એટલા માટે ના પાડી દીધી કારણ કે તેમને તેમના 'મનની વાત' કહેવા મળવાની ન હતી.

મનની વાત શું હતી? કાટ્ઝૂએ કહ્યું કે દિલીપ કુમાર નિઃશંકપણે બહેતર અભિનેતા હતા, પણ 'મહાન' ન હતા. હું તેમની વાત કરતી વખતે તેમને 'મહાન' નહીં ગણાવું. આપણે શબ્દની ગંભીરતાને સમજ્યા વગર ગમે તેને માટે 'મહાન' શબ્દ વાપરીએ છીએ. કાટ્ઝૂએ આ આમંત્રણવાળી વાતને એક લેખમાં લખતાં કહ્યું હતું, "હું તેને મહાન ગણું છું જેણે ઇતિહાસમાં સમાજ પર સકારાત્મક પ્રભાવ પાડ્યો હોય, જેમ કે – બુદ્ધ, જીસસ ક્રાઈસ્ટ, પયગંબર, લિંકન, લેનિન વગેરે."

તેમણે કહ્યું કે હું લોકે, રૂસો, માર્ક્સ જેવા વિચારકો અને શેક્સપિયર, ડિકન્સ, તોલ્સતોય, વિકટર હ્યુગો, મિર્ઝા ગાલીબ, ફૈઝ, શરદ ચંદ્ર ચટ્ટોપાધ્યાય જેવા લેખકોને મહાન કહું, પણ દિલીપ કુમારે સમાજ માટે શું કર્યું છે કે તેમને 'મહાન' કહેવા પડે? તેમણે લોકોનું મનોરંજન કર્યું હતું પોતાના માટે પૈસા બનાવ્યા હતા એટલું જ.

દિલીપ કુમારની વાત બાજુએ મુકીએ તો પણ, કાટ્ઝૂએ 'મહાન' શબ્દના ઉપયોગને લઈને જે સવાલ ઉઠાવ્યો છે તે વ્યાજબી તો છે. કાટ્ઝૂની એ વાત તો સાચી જ છે કે આપણે ‘મહાન’ શબ્દને એટલો સસ્તો બનાવી દીધો છે કોઇ પણ સારી, સફળ, લોકપ્રિય વસ્તુ કે વ્યક્તિ માટે ‘મહાન’ શબ્દનો પ્રયોગ કરતાં અચકાતા નથી, આપણને તેની એવી ટેવ પડી ગઈ છે કે આપણે રોજ અનેક જગ્યાએ એ શબ્દને વાંચીએ /સાંભળીએ છીએ અને આપણને એવો પ્રશ્ન પણ થતો નથી કે ગીતા જો મહાન ગ્રંથ હોય, તો પછી એક ફિલ્મ કે એક ટેલીવિઝન સિરિયલ પણ મહાન હોય? બંને વચ્ચે કોઈ ભેદ નહીં?

હકીકતમાં, આપણે ‘ઉત્તમ’ અને ‘મહાન’ વચ્ચે ભેળસેળ કરીએ છીએ. આપણે એક માણસને ઉત્તમ કહીએ છીએ, પછી તેનાથી વધુ ઉત્તમ માણસને મહાન ગણીએ છીએ. દાખલા તરીકે, જર્મનીમાં ઘણા ઉત્તમ નેતાઓ થઇ ગયા, પણ એડોલ્ફ હિટલર એ બધાથી અલગ હતો એટલે આપણે તેને મહાન કહીએ છીએ. મહાનતાનો સંદર્ભ વિશાળતા સાથે છે. સાધારણ અથવા ઉત્તમ માણસો જે ઊંચાઈ, કદ કે માત્રામાં જે કામ કરવા સક્ષમ ન હોય, તેની સાથે આપણે મહાનતાને જોડીએ છીએ.

પરંતુ મહાનતા એટલાથી નક્કી નથી થતી. કોઈ વસ્તુ કે વ્યક્તિ વ્યાપક જનહિતમાં કેટલી કલ્યાણકારી છે તેના પરથી તેની મહાનતા નક્કી થાય છે. જેમ કે, નિકોલસ કોપરનિકસને આપણે મહાન ખગોળશાસ્ત્રી કહીએ છીએ, કારણ કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે તેવી શોધ કરીને તેણે આધુનિક ખગોળશાસ્ત્ર અને અવકાશ વિજ્ઞાનની શકલ બદલી નાખી હતી. આપણે ચાર્લ્સ ડાર્વિનને મહાન જીવવિજ્ઞાની કહીએ છીએ કારણ કે તેને ઉત્ક્રાંતિનો સિદ્ધાંત વિકસાવીને પૃથ્વી પર જીવ સૃષ્ટિના રહસ્યને ઉકેલી નાખ્યું હતું. એ રીતે હિટલર મહાન નથી ગણાતો, કારણ કે તેણે માનવજીવનનું અહિત કર્યું હતું. 

તમિલ મહાભારતમાં પરોપકારી કર્ણની એક વાર્તા છે. તેનું મૃત્યુ થવાનું હતું ત્યારે ભગવાન કૃષ્ણ ગરીબ બ્રાહ્મણ બનીને તેની પાસે જાય છે અને વિનંતી કરે છે તેણે આજીવન પરોપકાર કરીને જે ફળ મેળવ્યાં હતાં તે દાનમાં આપી દે. કૃષ્ણનો ઈરાદો એવો હતો કે કર્ણનો જીવ એમાં અટકેલો છે તે છૂટો થાય અને તે મરી જાય.

કર્ણ એ વિનંતીને માન્ય રાખે છે અને પરોપકારનાં ફળ બ્રાહ્મણને દાનમાં આપી દે છે. એ પછી કર્ણનો જીવ છૂટી જાય છે. અહીં ચાલાક કૃષ્ણ અને પરોપકારી કર્ણની મહાનતાનો પ્રશ્ન છે. બંનેમાંથી કોણ મહાન છે? આમાં કબીરની પેલી દુવિધા જેવું છે :

ગુરુ ગોવિંદ દોઉં ખડે, કિસ કો લાગુ પાય
બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયો બતાય

ઉપર મહાનતાની વિશાળતાની વાત કરી તે પ્રમાણે, મહાન એ છે, જે ઉત્તમ લોકોની સીમાથી આગળ જાય છે. મહાન માણસ તેના અંગત સ્વાર્થથી આગળ જઈને વ્યાપક હિતમાં બલિદાન આપે છે. કર્ણને માતાએ, પિતાએ, ભાઈઓએ, ગુરુએ બધાએ ત્યજી દીધો હતો. જેનું કામ તેનું રક્ષણ કરવાનું હતું તે કૃષ્ણએ પણ ચાલાકી કરીને તેને ત્યજી દીધો, પણ પરોપકાર કર્ણની નિયતિમાં હતો. તેણે તો ભગવાનને પણ દાન આપ્યું, અને મહાન દાતા સાબિત થયો.

સાર : સદાચાર તમને ઉત્તમ બનાવે છે, પણ પરોપકાર સદાચારથી એક કદમ આગળ છે, અને એ તમને મહાન બનાવે છે.

સૌજન્ય: રાજ ગોસ્વામીની ફેઇસબૂક દિવાલ પરેથી સાદર

Loading

...102030...1,8031,8041,8051,806...1,8101,8201,830...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved