Opinion Magazine
Number of visits: 9571500
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક દ્વિજ નામે દિલીપકુમાર

મેહુલ ત્રિવેદી|Opinion - Opinion|2 August 2021

અખંડ ભારતમાંના પંજાબના પેશાવરમાં આવેલો કિસ્સા ખાવાની બજારનો વિસ્તાર. આ તે જગ્યા છે કે જ્યાંની એક હવેલીમાં આયેશા બેગમની કૂખે મોહંમદ યૂસુફનો ૧૯રરમાં જન્મ થાય છે. તે સમયે બાજુની હવેલીમાં પૃથ્વીરાજ કપૂરનો પરિવાર વસતો હતો. જે બંને હવેલીઓ હવે પાકિસ્તાન સરકાર કદાચ મ્યૂઝિયમમાં તબદીલ કરશે. દાદા-દાદી, માતા-પિતા, કાકા-કાકી ઉપરાંત ૧ર ભાઈ-બહેનોથી ભર્યાભર્યા સંયુક્ત કુટુંબમાં બાળક યૂસુફનો ઉછેર થાય છે. તે સમયે શેરી-મહોલ્લામાં સાથે રમતો બાળમિત્ર રાજ કપૂર યૂસુફખાનને જ્યારે નાસિકની બાર્નેસ સ્કૂલમાં ભણવા મૂકવામાં આવે છે, ત્યારે એમનો સહાધ્યાયી મિત્ર પણ બને છે. જગજાહેર છે કે આગળ જતાં બાળપણના આ બંને મિત્રો ફિલ્મ-અભિનય ક્ષેત્રે વિકાસની દિશામાં પ્રગતિ માટેના પુરુષાર્થપંથની સફરના પણ વૃદ્ધાવસ્થા સુધી સાથીદાર રહ્યા. ફળોના જથ્થાબંધ વેપારી પિતા લાલા સરવરખાને ૧૯ર૬માં પેશાવર છોડીને કુટુંબ સાથે ધંધો જમાવવા મુંબઈ આવવું પડે છે. ત્યાર બાદ ક્રાફર્ડ માર્કેટમાં તે ફળોની દુકાન શરૂ કરે છે. યૂસુફને આ ધંધામાં રસ ન હોવા છતાં ય નાછૂટકે પિતાશ્રીને ધંધામાં મદદ કરતા રહે છે.

કોઈક બાબતે પિતા લાલા સરવરખાન સાથે બોલાચાલી થવાથી યૂસુફ નારાજ થઈને પૂણે જાય છે. પૂણેમાં એક પારસી કાફે ઑનર અને એક બ્રિટિશ આર્મીમેનની મદદથી યૂસુફખાનને અંગ્રેજી ઉપર સારું પ્રભુત્વ હોવાથી તેઓની કૅન્ટીનમાં આસિસ્ટન્ટ તરીકેની નોકરી મળે છે. સમય જતાં યૂસુફ કૅન્ટીનમાં પોતાનું સૅન્ડવિચ-કાઉન્ટર શરૂ કરે છે, જે બ્રિટિશ આર્મી મેનમાં અત્યંત પ્રશંસાપાત્ર બની રહે છે.

પરંતુ આ દિવસોમાં દેશભરમાં અંગ્રેજશાસન સામે વ્યાપ્ત વિદ્રોહના ઉછાળની સ્વાભાવિક  અસર યૂસુફના દિલોદિમાગમાં પડેલી હોવાથી એક દિવસ તે કૅન્ટીનમાં અંગ્રેજશાસનની કડક ટીકા કરતું જોરદાર ભાષણ આપે છે. પરિણામે એણે થોડો વખત જેલવાસ ભોગવવો પડે છે. કૅન્ટીનની નોકરી ગુમાવી બેસે છે, પરંતુ સૅન્ડવિચ-કાઉન્ટરની પ્રાપ્ય આવકમાંથી બચતરૂપે સચવાયેલી તે દિવસોમાં ખાસ્સી મોટી ગણાતી રૂ.પ,૦૦૦ જેટલી રકમ લઈને પૂણેથી મુંબઈ પિતા લાલા મોહંમદ સરવરખાન પાસે પાછા આવે છે.

કશાક કામે દાદર જવા ચર્ચગેટ સ્ટેશન પર ટ્રેનની રાહ જોતા યૂસુફખાનને પોતાના એક મિત્ર ડૉ. મસાનીનો ભેટો થાય છે. તે એમના એક ઓળખીતાને મળવા મુંબઈની એક સુવિખ્યાત સંસ્થામાં જઈ રહ્યા હોવાથી યૂસુફખાનને પણ ત્યાં પોતાની સાથે ખેંચી જાય છે. ડૉ. મસાનીના તે ઓળખીતાં એટલે દેવિકારાણી. એમની મુંબઈની જાણીતી સંસ્થા એટલે બૉમ્બે ટૉકીઝ.

ડૉ. મસાની મિત્ર યૂસુફનો દેવિકારાણીને પરિચય આપ્યા પછી બૉમ્બે ટૉકીઝમાં એને કામ આપવાની વિનંતી કરે છે, જેનો દેવિકારાણી સહર્ષ સ્વીકાર કરે છે. હિન્દી, ઉર્દૂ તથા અંગ્રેજી સાહિત્યનાં પુસ્તકોનું સારું વાંચન ધરાવતા હોવાથી યૂસુફ બૉમ્બે ટૉકીઝમાં વાર્તાલેખન-પટકથાનું કામ શરૂ કરે છે. દેવિકાજીની પ્રતિભા આ છોકરામાં ભવિષ્યની હિન્દી ફિલ્મોના આશાસ્પદ હીરોનું હીર પારખ્યા પછી ફિલ્મ ‘જ્વારભાટા’માં એને હીરો તરીકે ૧રપ૦ના પગારમાં કામ કરવાની ઑફર કરે છે. પોતાને અભિનયની કશી જ

આવડત-અનુભવ ન હોવાથી તે આ ઑફરનો અસ્વીકાર કરે છે, જેનો હકારાત્મક વિરોધ દર્શાવતી પ્રતિક્રિયા રૂપે દેવિકાજી યૂસુફને સિનેમેટ્રોગ્રાફી અને અભિનયકલાનાં પુસ્તકો આપીને તે વાંચી જવા કહે છે. રોજ સવારસાંજ જુદી-જુદી ફિલ્મોનાં શૂટિંગ દરમિયાન અશોકકુમાર, શશધર મુખર્જી જેવા સિનિયર અભિનેતાઓનો અભિનય બારીકાઈથી જોવાનું પણ કહે છે. યૂસુફ દેવિકાજીની આ સલાહને અનુસરે છે. પરંતુ એનું બીજારોપણ તો છેક બાળપણમાં પેશાવરમાં રોજ સાંજે આગાની આંગળી પકડી એમની હવેલી પાસેના ચોક સુધી જતા, ત્યાં મૌલાના જાતજાતના કિસ્સાઓ સંભળાવતા, તે કિસ્સાઓમાંની ઘટનાઓ, પાત્રો સ્મરણમાં સાચવીને પછી ઘરે મૌલાનાએ કહેલાં વાક્યો બોલીને ભજવતા – એમાં રહેલું છે. દેવિકાજી યૂસુફખાનને ફિલ્મ અદાકાર તરીકે બીજું કોઈ નામ રાખવાનું સૂચવે છે, જે ફિલ્મરસિકો માટે સરળ અને રોમાંચક હોય. એમના દ્વારા આ સૂચનનો સ્વીકાર થયા પછી સુપ્રસિદ્ધ હિન્દી સાહિત્યકાર ભગવતીચરણ વર્માની સલાહને માન આપીને દેવિકારાણી યૂસુફખાનનું ‘દિલીપકુમાર’ નામ રાખે છે. આ વખતે યૂસુફખાનની ઉંમર ૧૯ વર્ષની હોય છે. લાંબો સમય ફિલ્મનું શૂટિંગ ચાલ્યા પછી ‘જ્યારભાટા’ ૧૯૪૪માં રિલીઝ થતાંની સાથે જ યૂસુફખાન રર વર્ષની વયે ફિલ્મ-અભિનેતા તરીકે ઉદિત થાય છે. આ ફિલ્મ નિષ્ફળ નીવડે છે. તે પછીની ફિલ્મો ‘પ્રતિમા’ અને ‘મિલન’ પણ ચાલતી નથી.

ફિલ્મ-અદાકાર તરીકે જન્મ પામી ચૂકેલા દિલીપે આ પછડાટને પરીક્ષા ગણીને એમાંના અભિનય, ફિલ્મનાં વિવિધ પાસાંઓ અંગે વિચાર કરીને વધુ ને વધુ સારું કામ કરવાની ખુદમાં સંપ્રજ્ઞતા કેળવી, જેની ફલશ્રુતિ રૂપે નાયિકા નૂરજહાં સાથેની મુખ્ય ભૂમિકાવાળી એમની ફિલ્મ ‘જૂગનુ’ સુપરહિટ નીવડી. એણે દિલીપને હિન્દી સિનેમાના નવોદિત હીરો તરીકે દેશભરમાં ઓળખ આપી. તે પછી નરગીસ સાથેની અને પરમ મિત્ર રાજ કપૂર નરગીસ સાથેની ભૂમિકાવાળી ફિલ્મો અનુક્રમે ‘મેલા’, ‘અંદાજ’ પણ સુપરહિટ નીવડી.

જેમજેમ પ્રતિભાસંપન્ન ફિલ્મ અભિનેતા તરીકેની એમની પ્રસિદ્ધિનો પારો ઊંચે ચડતો ગયો તેમતેમ એમની સામે નેક પડકારો પણ આવતા ગયા. નિષ્ફળ પ્રેમી તરીકેની કરુણ ભૂમિકાઓ સારી રીતે અદા કરવાથી આવી ભૂમિકાવાળી ફિલ્મો સફળ તો થઈ, પરંતુ આના કારણે દિલીપકુમાર ‘ટ્રેજેડી કિંગ’ તરીકેની નામના ધરાવતા લેબલબ્રાન્ડેડ અભિનેતાનાં બીબાંમાં ઢળાઈ ગયા. તે પછી એમણે કેટલીક હળવી-કૉમેડી ફિલ્મો જેવી કે ‘ગંગાજમના’, ‘સગીના’, ‘રામ ઔર શ્યામ’માં વિવિધ લાક્ષણિક ભૂમિકાઓ અદા કરી તે પણ સફળ નીવડી. દિલીપ પ્રત્યેક ફિલ્મની પોતાની ભૂમિકા પરત્વે વાસ્તવિકતા સાથેની પૂર્ણ અસરકારકતાના આગ્રહી હતા. ફિલ્મની વાર્તા અને એમાંના પાત્રનો સૂક્ષ્મ અભ્યાસ કરીને પોતીકાપણાના પરિહાર પછીના તબક્કે પાત્રપ્રવેશ સાધી પાત્રને જે વિભિન્ન કાર્યો, વિભિન્ન પરિસ્થિતિઓમાંથી પસાર થવાનું છે, એને ન્યાય મળે તે માટે તે અંગેની તાલીમ સંશોધન-પ્રક્રિયામાંથી તે પસાર થતા. ‘કોહિનૂર’ ફિલ્મના ડાયરેક્ટરે ગીત ‘મધુબન મેં રાધિકા નાચે રે’-ના અંતિમ ભાગમાં સિતાર વગાડવાનો એમનો સીન સમજાવતા કહ્યું હતું કે શૂટિંગમાં તમારો ચહેરો હોય અને અન્ય કોઈ સિતાર વગાડતું હોય એવું શૂટિંગ બીજા પાસે કરાવીએ. દિલીપને એમની આ પ્રયુક્તિ નાપસંદ હતી, એ આ સીનમાં વાસ્તવિકતા સાથેની પૂર્ણ અસરકારકતા લાવવા તે વખતના મશહૂર સિતારવાદક ઉસ્તાદ હલીમ જાફરખાન પાસે છ મહિના સુધી સિતાર શીખ્યા. આ રીતે દિલીપ પ્રયોગશીલ એવી સર્જનાત્મક અભિનેયતાનું એક અદ્વિતીય ઓજસપૂર્ણ ઉદાહરણ બની રહ્યા.

‘૭૦ના દાયકામાં એમની અદાકારીવાળી ફિલ્મો નિષ્ફળ જવાથી થોડાંક વર્ષોના વિરામ બાદ ડિજિટલ, વીડિયોના બદલાતા યુગના મંડાણમાં અભિનયના નવા બદલાવયુક્ત નિખાર સાથે દિલીપનું ઉત્તરવયે ફિલ્મોમાં વૈવિધ્યસભર પ્રૌઢભૂમિકા રૂપે પુનરાગમન થયું. ‘વિધાતા’, ‘શક્તિ’, ‘કર્મા’, ‘સૌદાગર’ આ દરેક ફિલ્મ સફળ થવા પાછળનો મોટા ભાગનો યશ એમને જ મળ્યો. છેલ્લી ફિલ્મ ‘કિલા’નું એમણે વૃદ્ધાવસ્થાની જરા ય પરવા કર્યા વિના ૧૦૧ ડિગ્રી તાવ હોવા છતાં ય સવારે ૧૧-૦૦ થી મોડી રાત સુધી શૂટિંગ કર્યું. આ છે ફિલ્મને સમર્પિત એક સક્ષમ અને સંનિષ્ઠ અદાકારનું ‘ડેડિકેશન’ અને ‘ઇન્વૉલ્વમેન્ટ’. ઇયત્તા એમની ફિલ્મોની ગુણવત્તા કરતાં ઘણી જ ઊંચી થતી ચાલી. ફિલ્મફેરથી માંડીને ફાળકે સુધીના બધા જ ઍવૉડ્‌ર્ઝ એમની ઊંચાઈ આગળ વામણા પુરવાર થયા. ક્વૉલિટેટિવ હાઇટની લૅન્થની રેન્જ પણ એમના અનુગામી અભિનેતાઓની ત્રણ પેઢી સુધી વિસ્તરતી ચાલી.

એક ઍડ્‌વર્ટાઇઝિંગ એજન્સીએ દિલીપકુમારને મળીને એક ઍડ્‌વર્ટાઇઝમાં કામ કરવાની ઑફર કરી. આ માટે મોંમાગ્યા રૂપિયા આપવાની તૈયારી બતાવી. એમણે નમ્રભાવે તે એજન્સીના માલિકને કહ્યું કે પોતે જાહેરખબર માટે નહીં, પરંતુ ફિલ્મો માટે સર્જાયા છે. તત્કાલીન વડા પ્રધાન નેહરુજી સાથે એમને ઘનિષ્ઠ સંબંધ હોવા છતાં ય એલ.આઈ.સી.ની એક જાહરેખબર માટેના એમના પ્રસ્તાવનો પણ દિલગીરી સાથે અસ્વીકાર કર્યો હતો.

આનો અર્થ એ નથી કે ફિલ્મ-અભિનેતા તરીકે દિલીપકુમારને રસ માત્ર અભિનય પૂરતો જ સીમિત હતો. આ ઉપરાંત તે સાહિત્ય, સંગીત, રમત-ગમત જેવા વિષયોમાં પણ સારો રસ ધરાવતા હતા. અભિનેતા તરીકેની પોતાની અનેક વર્ષો સુધીની લાંબી કારકિર્દી દરમિયાન નવરાશના સમયે ઘરે યુજિન ઓ’નિલ, ફ્‌યોદોર દોસ્તોયેવ્સ્કી, ટેનિસી વિલિયમ્સ જેવા સમર્થ વિદેશી સાહિત્યકારોની ક્લાસિક કૃતિઓ વાંચતાં ઉર્દૂ ઉપર સારું પ્રભુત્વ હોવાથી કેટલાક ખ્યાતનામ ઉર્દૂ કવિઓની ગઝલોના શેરો એમને કંઠસ્થ હતા. તે બ્રિજ, ચેસ જેવી રમતો સરસ રીતે રમી જાણતા. ફિલ્મ ક્ષેત્રે પ્રવેશ પહેલાં તે ફૂટબૉલના પણ સારા ખેલાડી હતા. ઊંચા ગજાના બૉલર તરીકે એમણે એક જમાનાના ભારતીય ક્રિકેટટીમના કૅપ્ટન મનસૂરઅલીખાન પટૌડીની પ્રશંસા જીતી લીધી હતી. નૌશાદ, રફી વગેરે સાથે યથાવકાશ બેડમિન્ટન પણ રમી લેતા. ‘મુસાફિર’માં લતા મંગેશકર સાથે, ‘સગીના’માં કિશોરકુમાર સાથે અને ‘કર્મા’માં કવિતા ક્રિશ્નમૂર્તિ સાથે પણ એમણે ગીત ગાયું હતું.

બહુમુખી પ્રતિભાના માલિક દિલીપકુમારમાં પડેલી આ બધી શક્તિઓના કારણે એમની ભૂમિકાવાળી તમામ ફિલ્મોમાં તે માત્ર પોતાની ભૂમિકા પૂરતું જ ધ્યાન ન આપતા પરંતુ ક્લેપરબૉય, લાઇટમેનથી માંડીને પ્રોડ્યુસર, ડાયરેક્ટર સુધી, ફિલ્મની પટકથા, સંગીત, સિનેમેટોગ્રાફી દરેકે દરેક પર પણ ધ્યાન આપીને યોગ્ય સલાહસૂચનો કરતા. દરેક પ્રત્યે સ્નેહાદરભર્યો વર્તાવ દાખવીને સારા ફિલ્મનિર્માણ માટે એકબીજા પ્રત્યે સુમેળભર્યો સહકાર કેળવીને કામ કરવાની કોશિશ કરતા. બધા જ એમનાં સલાહસૂચનો સ્વીકારીને કામ કરતા. પરિણામે એમની ભૂમિકાવાળી મોટા ભાગની ફિલ્મો અન્ય ફિલ્મો કરતાં તદ્દન નોખી ભાત ઉપસાવતી. આમ, એમની ફિલ્મ-મૅનેજમેન્ટ માસ્ટરી પણ અસાધારણ હતી.

કારકિર્દીના પ્રારંભિકથી માંડીને અંતિમ વર્ષોના સમયગાળા દરમિયાન દિલીપના અંગત અને વ્યક્તિગત જીવનમાં અનેક દુઃખદ પ્રસંગોના આઘાતો વેઠવાના આવ્યા. અસ્થમાની બીમારીથી પીડાતાં માતા આયેશા બેગમ ૧૯૪૮માં, તો પિતા લાલા મોહંમદ સરવરખાન ૧૯પ૦માં અવસાન પામ્યા. ત્રણ ભાઈઓ નૂરમોહંમદખાન, અય્યુબખાન અને નાસીરખાન પણ અનુક્રમે ૧૯પ૪, ૧૯૯૧ અને ૧૯૭૬માં અવસાન પામ્યા. જન્મ અને સંસ્કારદાત્રી માતા આયેશાનું શિરચ્છ ગુમાવ્યું, પરંતુ ફિલ્મકલાની માતા દેવિકારાણીનું શિરચ્છત્ર એમના માટે આશ્વાસનરૂપ બની રહ્યું. આજીવન અપરિણીતા મોટી બહેન સકીનાએ આખાયે ઘરનો કારભાર ઉપાડી લીધો. બીજી તરફ વ્યક્તિગત જીવનમાં જુદા-જુદા સમયે સાથી ફિલ્મ-અભિનેત્રીઓ કામિની કૌશલ, મધુબાલા અને વહીદા રહેમાનના પ્રેમમાં પડ્યા, પરંતુ અનિવાર્ય સામાજિક સંજોગોના કારણે ત્રણમાંથી એકેયની સાથે એમનું લગ્ન શક્ય ન બન્યું. બાલ્યકાળથી દિલીપના ચાહક હોવાના કારણે એમની સાથે લગ્ન કરવાની ઇચ્છા ધરાવતાં સાયરાબાનો ફિલ્મ-અભિનેત્રી બન્યાં પછી ૧૯૬૬માં રર વર્ષની ઉંમરે દિલીપકુમાર સાથે પરણ્યાં. તેથી વહીદા સાથે દિલીપકુમારનું લગ્ન અશક્ય બન્યું. લગ્ન પછી લાંબા સમય સુધી સંતાન થઈ શક્યું નહીં. જોકે તે માટે બંનેએ પ્રયાસ કર્યો હતો, પરંતુ એમનું મિસકૅરેજ થવાથી ડૉક્ટરે દિલગીરી સાથે કહ્યું કે સાયરાજી હવે કદી ય માતા નહીં થઈ શકે. આ સાંભળી બંને ભાંગી પડ્યાં હતાં. પરંતુ દિલીપકુમારના મોટા કુટુંબનાં અનેક બાળકો સાથે જાણે પોતાનાં જ સંતાન હોય. એવું તાદાત્મ્ય અનુભવવા માંડ્યા. નવરાશનો સમય એમની સાથે પસાર થવાથી બંને એમનાં નિઃસંતાનપણાનું દુઃખ ભૂલી ગયાં.

આમ, કુટુંબીજનોનો વિયોગ, પ્રણય-વૈફલ્ય, લગ્ન પછી અણધારી આવી પડેલી નિઃસંતાનપણાની સ્થિતિ વગેરે તમામ દુઃખોના આઘાતોનાં સંવેદનો એમની અનેક ક્લાસિક વાસ્તવપ્રધાન ફિલ્મોમાંની વિવિધ ગંભીર ભૂમિકાઓને ઘડવા માટે દૃષ્ટિ પૂરી પાડે છે, તો એથી વિપરીત, સફળ થયેલી આવી ફિલ્મોમાંની એમની આ પ્રકારની વિવિધ ભૂમિકાઓના અનુભવો એમના વાસ્તવિક જીવનમાં મોટા સંસ્કારી કુટુંબ પ્રત્યેની સામાજિક જવાબદારી અંગે પણ દૃષ્ટિ પૂરી પાડે છે. ટૂંકમાં, દિલીપનું વાસ્તવિક જીવન અને ફિલ્મી જીવન બંને પરસ્પરને પૂરક અને પોષક નીવડ્યાં છે. પરંતુ આમ કરતી વખતે દિલીપે વાસ્તવિક જીવન ફિલ્મોમાં પોતાની ભૂમિકા ઉપર બિલકુલ સવાર ન થાય તેમ જ અભિનેતાપણાનો પ્રભાવ વાસ્તવિક જીવન પર તસુભાર પણ ન પથરાય, તે અંગે ખૂબ જ સભાનતા રાખી છે. રોમૅન્ટિક, કૉમેડી ફિલ્મોમાંની એમણે અદા કરેલી લાક્ષણિક ભૂમિકાઓને તથા એમના હળવાશભર્યા રંગદર્શી વાસ્તવિક જીવનને પણ આ હકીકત એટલી જ લાગુ પડે છે.

પઠાણોમાં પરંપરાગત લેખાતી જડતાને એમણે પોતાની પ્રકૃતિમાં લેશમાત્ર પ્રવેશવા દીધી નથી. એના બદલે માનવીય મૂલ્યોથી મહેકતી ઉદારતા એમણે જીવનમાં ડગલે ને પગલે આચરી છે. અંધજનોના કલ્યાણ માટે એમણે અનેક વર્ષો સુધી જાહેરમંચ પર આવીને ફાળો એકત્ર કરવાનું કાર્ય કર્યું હતું. પંજાબ તરફથી રણજી ટ્રૉફી મૅચમાં પસંદ થયેલા અને આ લખાય છે, એના થોડાક જ દિવસો પહેલાં અવસાન પામેલા યશપાલ શર્માની બૅટિંગથી પ્રભાવિત થઈને દિલીપકુમાર યશપાલને ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન આપવા તે વખતના ક્રિકેટ કંટ્રોલબોર્ડ(BCCI)ના પ્રમુખ રાજસિંહ ડુંગરપુરને વાત કરી હતી. એમની વિનંતીને ભાત ચાળીને યશપાલ શર્માની ભારતીય ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ હતી.

આ બધી હકીકતો ઊંચા ગજાના પ્રતિભાવાન સુવિખ્યાત અભિનેતા તરીકેના જરા ય અહમ્‌ ભાવ વિનાની એમની અંતઃકરણપૂર્વકની સામાજિક નિસબત સ્પષ્ટ કરે છે. આને લગતા એક પ્રસંગની આ લખનારની આંખો ખરેખર સાક્ષી છે.

’૭૮-૭૯માં મોરબીનો મચ્છુ ડેમ તૂટવાથી સર્જાયેલી જાનમાલની ભારે તબાહીના કારણે અસરગ્રસ્તોને સહાયરૂપ થવા ફંડ એકત્ર કરવા માટે અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમથી ફિલ્મસ્ટારોની એક વિશાળ રેલી નીકળી હતી, જેમાં જુદી-જુદી ટ્રકોમાં તે જમાનાના સુપ્રસિદ્ધ ગુજરાતી ફિલ્મસ્ટારો સાથે અમુક હિન્દી ફિલ્મસ્ટારો પણ ગોઠવાયા હતા. ફંડ એકત્ર કરતી-કરતી આ રેલી રિલીફ રોડ પરથી પણ બપોરે પસાર થવાની હતી. આ રેલીના મુખ્ય અગ્રણી ફિલ્મસ્ટાર તરીકે દિલીપકુમાર ઉપસ્થિત રહ્યા હતા. હું તે વખતે નવમા ધોરણમાં ભણતો છોકરો. ત્રણ ટ્રકો પસાર થયા પછી ચોથી ટ્રક કેલિકો ડોમ પાસે આવી. જ્યાં ઊભો હતો, તે ટ્રકમાં વચ્ચે બધા જઈને પાસે આવીને, ફાળો આપી શકે તે માટે દિલીપકુમાર સાથે જ્હોની વૉકર ઊભા હતા. કૉફી કલરનો ખાદીનો ઝભ્ભો, પ૬ વર્ષની તે વખતની ઉંમરે, પણ માથે કાળા વાળ, લાલાશ પડતો સફેદ ચહેરો. પાસે ટ્રકમાં મોટો નળો ગોઠવાયો હતો. લોકોનું મોટું ટોળું ભારે ધક્કામુક્કી કરીને ટ્રક પાસે પહોંચીને એમાં ફાળો મૂકતું હતું. જે લોકો ટ્રક પાસે ન પહોંચી શકે, તે નળામાં સિક્કા પડે તે રીતે ફેંકતા હતા. એક-બે સિક્કા દિલીપકુમારના કપાળે અથડાઈને નળામાં પડ્યા. પણ દિલીપકુમાર તો તદ્દન નિર્લેપભાવે નળામાંથી જુદી-જુદી નોટો-સિક્કાઓ ભેગા કરી અલગ તારવીને પાસે રહેલા સ્વયંસેવકને આપવામાં જ તલ્લીન. આ ભારે પ્રભાવક દૃશ્ય હતું. આ પ્રસંગ વીત્યાનાં ૪ર વર્ષ પછી આ પળે પણ મારા સ્મૃતિપટ પર તાજગીપૂર્ણ તરવરે છે. તે ક્ષણના એમના દેખાવ કરતાં પણ વધારે તો મને સ્પર્શી ગઈ ગીતાએ પ્રબોધેલા સ્થિતપ્રજ્ઞ કર્મનિષ્ઠ માનવીના મહિમાને જાણે અનુસરતી હોય એવી એમની તેજોમય સ્પિરિચ્યુઅલ કૉન્શિયસનેસ.

હું પ૬નો થયો. લગભગ ૧૦-૧ર વર્ષ પહેલાં દિલીપકુમાર એમનાં પ૬ વર્ષ પહેલાંના ફિલ્મી અને વાસ્તવિક જીવનના ભાતીગળ ભૂતકાળને સ્મૃતિપટ પર તાજો ન કરી શકે એવી મનોદશામાં મુકાયા. શારીરિક સ્થિતિ કથળવા માંડી. હિન્દુજા હૉસ્પિટલના ડૉ. જલિલ પારકર અને બીજા ડૉક્ટરોએ સારવાર પછી એમને પ્રોસ્ટેટનું કૅન્સર-કિડની-ફેલ્યોર શ્વાસની તકલીફ જેવી બીમારીઓ હોવાનું જણાવ્યું હતું. આવી હાલતમાં પણ દિલીપકુમારે મોત સામે અડગ આત્મબળથી લડવાની જીવનની આ અંતિમ ભૂમિકાને બખૂબી નિભાવી. જગતદિગ્દર્શકે એના અમૂર્ત કૅમેરાની લાઇટ્‌સ ઑન કરીને આ ભૂમિકા નિભાવવા દીધી. તેથી તો તે ત્રણચાર વાર આ જ હૉસ્પિટલમાં સારવાર પામી સાજા થઈને ઘરે પાછા ફર્યા. પરંતુ છેલ્લી વાર જ્યારે આ હૉસ્પિટલમાં દાખલ થયા, ત્યારે જગતદિગ્દર્શકે ૭મી જુલાઈએ સવારે ૦૭-૩૦ વાગે એના અમૂર્ત કૅમેરાની લાઇટ્‌સ ઑફ કરી આ અંતિમ ભૂમિકા અટકાવી. ડૉક્ટરોના બધા જ સંનિષ્ઠ પ્રયાસો નિષ્ફળ નીવડ્યા. શતાયુ થવા અંગેની એમના માટેની આશાનો દેશ-દુનિયાભરમાં વ્યાપેલો આશિકી અજવાશ ઓલવાઈ ગયો. ફિલ્મકાર તરીકેના એમના સાડા પાંચ દાયકા જેટલા લાંબા સતત વિકાસશીલ અને ભવ્ય કર્તૃત્વની ચિરંજીવ અસરોને સ્મૃતિલોપની તકલીફ કદાપિ નહીં થાય.

સૌજન્ય : “નિરીક્ષક” 01 ઑગસ્ટ 2021; પૃ. 12-14

Loading

જવાબદારી અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય જાળવવાની

ડંકેશ ઓઝા|Opinion - Opinion|2 August 2021

ગુજરાતના ઘણા મોટા એવા નાટ્યકર્મી ભરત દવે તાજેતરમાં અવસાન પામ્યા, તે નિમિત્તે જે અંજલિ-લેખો લખાયા તેમાં ભાગ્યે જ કોઈએ તેમના ‘અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય’ (2017) પુસ્તક વિશે ઉલ્લેખ કર્યો. આપણે વ્યક્તિને અમુક ક્ષેત્રમાં જાણેઅજાણે સીમિત કે કેદ કરી દેતા હોઈએ છીએ. ભરત દવે એમ માત્ર નાટ્યક્ષેત્રમાં બદ્ધ કરી શકાય તેવા ન હતા! ગુજરાતમાં દેશી રંગભૂમિની ઘણી બોલબાલા હતી. તે પછી દિલ્હી ખાતે નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામાની સ્થાપના થઈ અને તેમાં ગુજરાતના જે તેજસ્વી તારલાઓએ તાલીમ મેળવીને કામ કર્યું, તેમાંના એક તે ભરત દવે.

આજની સામાજિક–રાજકીય સ્થિતિ હરકોઈ વિચારશીલ અને સંવેદનશીલ નાગરિકને અકળાવનારી છે. પ્રત્યેકના મનમાં તેમ જ જાહેર ક્ષેત્રે કામ કરનારાં સંગઠનોમાં આ વિશે લગાતાર વિચારમંથન ચાલી રહ્યું છે. ભરત દવેએ આવા સામૂહિક ચિંતનને આગળ ધપાવવાના એક વિનમ્ર પ્રયાસરૂપે આ પુસ્તક લખ્યું. આજે જે કોઈ પોતાને વ્યક્ત કરવા ઇચ્છે છે, તેની સામે કેવા પ્રશ્નો પુછાય છે, તે ભરત દવેએ પુસ્તકની પ્રસ્તાવનામાં નોંધ્યા છેઃ “શું તમે વિકાસના વિરોધી છો ? તમે હિન્દુઓના વિરોધી છો? સ્વચ્છતાના વિરોધી છો ? રાષ્ટ્રગીત ગાવાના વિરોધી છો ? તમે ભ્રષ્ટાચારને ટેકો આપો છો ? આતંકવાદને ટેકો આપો છો ? દેશદ્રોહીઓને ટેકો આપો છો ? તમે માઓવાદીઓના સમર્થક છો ? ‘કાશ્મીર માંગે આઝાદી’ જેવા નારાને તમે મંજૂર કરો છો? તમે ગૌમાંસ ખાવા દેવાના સમર્થક છો? બોલો, મોઢેથી જવાબ આપો.” ભરત દવે નમ્રતાથી જણાવે છે કે આના જવાબો આપવા માટે તમારામાં રવીન્દ્રનાથ ટાગોર જેવી કક્ષા જોઈએ જેમણે એમ કહેવાની હિંમત દેખાડેલી કે “હું તમારા પ્રશ્નોને જ સરાસર નકારી કાઢું છું, કારણ કે મૂળભૂત રીતે આ પ્રશ્નો જ ખોટા છે અને હું તમારા વિરોધમાં ઊભો છું અથવા તમારો વિરોધ કરું છું, એનો અર્થ એ નહિ કે દેશને હાનિ પહોંચાડી રહેલાં તમામ અપરાધિક તત્ત્વોના સમર્થનમાં હું ઊભો છું!” (‘ઘરેબાહિરે’)

લોકશાહીનું હાર્દ એમાં છે કે દેશમાં પ્રવર્તતાં દૂષણો નાબૂદ કરવા બાબતે સૌ કોઈ સંમત હોય. પરંતુ તેને નેસ્તનાબૂદ કરવાની સરકારી નીતિ-રીતિઓ બાબતે પ્રામાણિક મતભેદ હોઈ શકે. આ ક્ષેત્રના મોટા વિચારક જ્હૉન સ્ટુઅર્ટ મિલે કહેલું કે વાણીની સ્વતંત્રતા માત્ર મનગમતી વાતો કહેવા કે સાંભળવા પૂરતી નથી હોતી. તમને ન ગમતી વાતોને, તમે ધિક્કારતા હો એવી વાતોને, પણ તમે એટલી જ સ્વસ્થતા અને ઉદારતાપૂર્વક સાંભળો એ જ તમારી ખરી કસોટી છે. હાલના અમેરિકી વિચારક ચૉમ્સ્કી પણ કહે છે કે ઇતિહાસમાં સ્તાલિન અને હિટલર જેવા સરમુખત્યારોએ પણ તેમની પ્રજાઓને વાણીની સ્વતંત્રતાનો અધિકાર આપેલો. પણ માત્ર એવી જ વાણીનો, જે તેમને મંજૂર હોય! ભરતભાઈએ ગંભીર ચર્ચાસ્પદ વિષય પર વૈશ્વિક સંદર્ભો સાથે સાંપ્રત સંદર્ભોને જોડીને ભારતમાં આ અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની શી દશા છે, તેના વિશે ચિંતનાત્મક પુસ્તક લખ્યું છે. જે 368 પાનાંમાં ફેલાયેલું દળદાર પુસ્તક છે.

પુસ્તકમાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો ઇતિહાસ પહેલાં બે પ્રકરણોમાં આલખાયેલો  છે. તે પછી પશ્ચિમી દેશોમાં કલાસ્વરૂપો ઉપરની સેન્સરશિપના કિસ્સાઓ અને તેની વિગતવાર ચર્ચા છે. તે પછી ભારતમાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની બુનિયાદ અને બંધારણીય જોગવાઈઓ સહિત કેટલીક સાંપ્રત ઘટનાઓની ચર્ચા છે. ભારતમાં સાહિત્ય, નાટક, કલા, ફિલ્મ, વ્યંગવિનોદ, ઇન્ટરનેટ અને મુદ્રિત તથા વિજાણુ માધ્યમોની સ્વતંત્રતા અને તેના પરની સેન્સરશિપ વિશે ચર્ચા છે. દેશદ્રોહનો કાનૂન અને ધાર્મિક અસહિષ્ણુતા આપણા દેશમાં કેવી છે, તે વિગતે વર્ણવાયું છે. આજની વૈશ્વિક કસોટીના પાયામાં વિશ્વભરમાં જમણેરી પરિબળોનો જે રીતે ઉદય થયો છે, તેની અભ્યાસપૂર્ણ ચર્ચા પછી ભારતીય રાજકારણ અને જમણેરી પરિબળો હેઠળ વાણીસ્વાતંત્ર્ય અને અસહિષ્ણુતા સંદર્ભે કેવી સ્વતંત્રતા અને અરાજકતા પ્રવર્તે છે, તેની ચર્ચા કરતાં લેખકે પ્રાચીન ભારતમાં વૈચારિક સ્વતંત્રતા કેવી હતી, તેની પણ વિગતો આપી છે.

અંતમાં તેમના સમાપનના શબ્દો છે : “આજના અસહિષ્ણુ જગતમાં આપણને માત્ર હા-જી-હા કરનારાઓનો ખપ નથી, અંતરાત્માના ધીમા પણ મક્કમ અવાજને વિશાળ માનવજાતના આંતરવિવેક સુધી પહોંચાડી શકનારા ‘બળવાખોરો’ જ માનવજાતને વર્તમાન સમસ્યામાંથી ઉગારનારો કોઈ નવો વિકલ્પ ચીંધી બતાવશે.”

પુસ્તકના અંતે જે સંદર્ભસૂચિ આપવામાં આવી છે, તેમાં આ વિષયના મહત્ત્વનાં પુસ્તકો અને કેટલાક લેખોનો સંદર્ભ જોઈ શકાય છે.

આજે સર્વોચ્ચ અદાલત વાજબી રીતે અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના અધિકાર પર વારંવાર ભાર મૂકે છે, ત્યારે વહીવટીતંત્ર, સરકાર અને તેમનાં ટેકેદાર વર્તુળો જે રીતે અભિવ્યક્ત થનાર વ્યક્તિ કે વિચારક પર કાયદાકીય અને અન્ય ધોંસ બોલાવે છે, ત્યારે માહોલ ચિંતાજનક સ્થિતિમાં પરિણમે છે. દેશભક્તિ એ કોઈ પ્રદર્શનની ચીજ નથી કે એનું કોઈ વળતર કે લાભ મેળવવાનો નથી. બંધારણ, તેની ભાવના, તે સંદર્ભે ઘડાયેલા કાયદાઓ અને વ્યાપક સમાજના સંદર્ભે કાયદાના શાસનની સ્થાપના અને તે પ્રત્યેની નિસબતમાં પણ રાષ્ટ્રભાવના અને રાષ્ટ્રપ્રેમ વ્યક્ત થઈ શકે છે.

આ તબક્કે એ બરાબર સમજવાનું છે કે દરેકને પોતાની આઝાદી ગમે છે અને બીજો તે જ પ્રકારની આઝાદી ભોગવે તે સામે અતિશય વાંધાવિરોધ હોય છે. લોકશાહી કે બંધારણ કોઈ એક વર્ગસમૂહની આઝાદી કે તેના જતન માટે નથી. તે તો વ્યક્તિ માત્રની આઝાદીનું જતન કરવા માટે છે. અભિવ્યક્તિની સાથે વિચારસ્વાતંત્ર્ય આવી જ જાય છે. પ્રામાણિક મતભેદ અને વિરોધી વિચાર પ્રત્યે સહિષ્ણુતા એ સાચી આઝાદીનો મર્મ છે. ભરતભાઈએ તેમના જીવનમાં છેલ્લાં વર્ષો આવા ચિંતનને સમર્પિત કર્યાં છે. જે દર્શાવે છે કે એક કલાકાર તરીકે અને એક નાગરિક તરીકે તેમને આ મુદ્દો કેટલો પીડતો હશે કે કેટલો નજીકનો લાગતો હશે.

રાજકીય સરકારોને એવું માનવું સદાય ગમતું રહ્યું છે કે જે કોઈ આપણી સાથે નથી તે બધાં આપણી સામે જ છે. આવી ખતરનાક વિચારસરણી ઉપર બંધારણ છે, ન્યાયતંત્ર છે અને કાયદાનું રાજ સ્થાપવાની મસમોટી જવાબદારી છે. સાચા નાગરિકો જ્યારે ટીકાટિપ્પણી કરે છે, ત્યારે તેમને આખા સમાજનું હિત અભિપ્રેત હોય છે તેમને માત્ર ને માત્ર રાજકીય વિરોધીઓમાં ખતવી દેવા એ પાગલપન છે. સત્તા કદી કાયમી હોતી નથી. સત્તા એ તો પ્રજાકલ્યાણનું સાધન માત્ર છે. જે નસીબદારોને જ પ્રાપ્ત થાય છે. તે સમયગાળામાં પોતાનો નાગરિક કોઇ પણ પ્રકારનું દુઃખ ન અનુભવે તે જવાબદારી ચૂંટાયેલી સરકારની હોય છે. તે સાથે એ પણ સમજવાનું છે કે અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પર વાજબી નિયંત્રણો સાવ સ્વાભાવિક છે. કારણ કે કોઈ પણ પ્રકારની કોઈની પણ આઝાદી અમર્યાદ ન હોઈ શકે!

(અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય, લેખક – ભરત દવે, ગૂર્જર સાહિત્ય પ્રકાશન, અમદાવાદ – 380 015, પ્રથમ આવૃત્તિ 2017, પાનાં 276, કિ. રૂા.400)

સૌજન્ય : “નિરીક્ષક” 01 ઑગસ્ટ 2021; પૃ. 09

Loading

‘ગ્રેપ્સ ઑફ રોથ’ નવલકથા અને સંઘર્ષ કરનારાઓની દાસ્તાં

પ્રક્ષાલી દેસાઇ|Opinion - Opinion|2 August 2021

લેખિકા મધ્ય પ્રદેશનાં આદિવાસીબહુલ જિલ્લા ઝાબુઆમાં નઈ તાલીમ પ્રેરિત આદિવાસી બાળકોની શાળાનું સંચાલન કરી રહ્યાં છે. કોરોના દરમિયાન પગપાળા નીકળેલા આપણા દેશના સ્થળાંતરિત શ્રમિકોની વેદના અને પીડાના સંદર્ભમાં એમણે સ્ટાઇનબેકની પ્રથિતયશ નવલકથાને સાંકળવા સાથે સરકાર અને કઠિત સુખી વર્ગનું વાસ્તવચિત્ર અહીં પ્રસ્તુત કર્યું છે.

− પ્ર.ન.શા.,

તંત્રી “નિરીક્ષક”

વિશ્વસાહિત્યમાં દમિત પીડિત માનવોનાં અનેક આલેખનો ઘણી વાર બહુ જ સારી રીતે થયાં છે. તે કેટલીક વાર કાલ્પનિક કે વાસ્તવિક પણ હોય, પરંતુ પીડા, વેદના, દમનનું ચિત્રણ અઘરું જ હોય છે, કારણ કે કલ્પના હોય તો પણ તે પીડાને લેખકે ભોગવવી પડતી હોય છે, તે વગર પીડાનું આલેખન શક્ય નથી. એક એવી નવલકથા જે છે કાલ્પનિક, પરંતુ જે સમયે તે લખાઈ હતી, ત્યારે આ નવલકથાએ તે વખતની અમેરિકાની રૂઝવેલ્ટની સરકારને હચમચાવી દીધી હતી. સન ૧૯૩૯ના વર્ષમાં એક અમેરિકન પત્રકાર જોન સ્ટાઇનબેકે આ નવલકથા લખી હતી.

અમેરિકન લેખિકા જુલિયા વર્ડ હોવે સન ૧૮૬૨માં એક આખ્યાન લખ્યું હતું Battle Hymn of the Republic. એમાં એક કવિતા હતી. તે કવિતામાં એક પંક્તિમાં આવતાં એક શબ્દ પરથી જોન સ્ટાઇનબેકે પોતાની નવલકથાનું નામ ‘ગ્રેપ્સ ઓફ રોથ’ રાખ્યું હતું. નવલકથાની ભાષા એકદમ સરળ જૂના અમેરિકન અંગ્રેજીવાળી, સમજવામાં અઘરી નહીં તેવી છે. જ્યારે આ નવલકથા છપાઈને આવી ત્યારે તરત જ એની ૧૪ મિલિયન પ્રતો વેચાઈ ગઈ હતી. આ નવલકથાને નૅશનલ બુક ઍવૉર્ડ અને પુલિત્ઝર પારિતોષિક મળ્યાં હતાં. ત્યાર પછી એના પરથી ટિ્‌વન્ટિયેથ સેન્ચ્યુરી ફોકસના જોન ફોર્ડે એ નામે ફિલ્મ પણ બનાવી.

જ્યારે આ લખવામાં આવી, ત્યારે અમેરિકામાં Great Dust Bowl એટલે ધૂળ ભરેલી આંધીઓ સતત આવી હતી, જેથી આખા અમેરિકાની ખેતીમાં બહુ જ નુકસાન થયું હતું અને હાથથી કામ કરનાર ખેતીના મજૂરોની હાલત કફોડી થઈ ગઈ હતી. કેટલા ય મજૂરો રોજગાર વગરના થઈ ગયા હતા અને આખા અમેરિકામાં મહામંદી આવી હતી. રોજગાર અને કામની શોધમાં હજારો મજૂરોએ તે સમયે અમેરિકાના એક પ્રાંતથી બીજા પ્રાંતમાં હિજરત કરી હતી, બેશક રોજીરોટીની શોધમાં, તે હિજરત દરમિયાન તે લોકોએ કેવાં દુઃખોનો સામનો કરવો પડ્યો હતો, તેનું આલેખન લેખકે આ નવલકથામાં કર્યું છે. દર્દને વાચા આપવા માટે જ આ નવલકથા રચવામાં આવી હતી. આ નવલકથાનાં પાત્રો એકદમ સામાન્ય પરિવારનાં અને આપણા પોતાનાંમાંથી એક હોય એવાં લાગે છે. પાત્રોનું એટલું સરળ ચરિત્રચિત્રણ કરવામાં આવ્યું છે. વાંચકોને તેથી તે પોતીકાં લાગે છે.

નવલકથાનો આરંભ ઓકલેહમા પ્રાંતની ખડકાળ અને ધુસર ભૂમિવાળા પ્રદેશથી થાય છે. સન ૧૯૩૦નો દુર્ભાગ્યશાળી દશક ચાલી રહ્યો છે, સાથે કુદરત પણ રિસાઈ ગઈ છે. વરસાદ બિલકુલ નથી પડ્યો, અત્યંત ધૂળવાળી આંધીઓના આવવાથી બધાં ખેતરોમાંની ખેતી નષ્ટ પામી છે. ભારી તાપથી ધરતી ફાટી ગઈ છે. દૂર-દૂર સુધી સુસવાટા મારતો પવન ધૂળની ડમરીઓથી આખા વિસ્તારમાં તોફાન મચાવી રહ્યો છે. ખેતીની બરબાદીથી ખેડૂતો કંગાળ થયા છે અને તેમાં પણ મોટા ખેડૂતોને ત્યાં કામ કરતાં મજૂરવર્ગના ખેડૂતોની સ્થિતિ બહુ જ ખરાબ થઈ રહી છે. નવલકથાનો આરંભ જ એટલો વિષાદપૂર્ણ છે કે વાંચક હવે આગળ શું થશે-ની ફિકર કરવા લાગે છે.

કોઈ એક મજૂર કુટુંબનો દીકરો કે તેનું નામ ‘ટોમ’ છે, તે કોઈ કારણથી જેલમાં હતો. તે છૂટીને જઈ રહ્યો છે પોતાને ગામ. તેમનો પરિવાર ગામમાં ‘જોડ’ પરિવારને નામે ઓળખાતો હોય છે. જ્યારે તે ધૂળવાળી ખેતરોની પગદંડીઓ પર થઈ ને ચાલી રહ્યો હોય છે ત્યારે એને ચર્ચનો પાદરી જેનું નામ ‘જિમ કેસી’, તે મળે છે. તેણે ર્નિણય લીધો હોય છે કે તે હવે ચર્ચનું પાદરીપણું છોડીને માનવસેવાના કાર્ય કરવાનું વિચારી રહ્યો છે. તે ‘ટોમ’ સાથે ચાલી પડે છે. બંને જ્યારે ગામમાં પહોંચી જાય છે, ત્યારે ત્યાં એ લોકોને ખબર પડે છે કે ‘ટોમ’નો પરિવાર કામની શોધમાં કોઈ સંબંધીને ત્યાં ગયો છે, આ સમાચાર એમના જ ગામનો ‘મ્યુલી ગ્રાવસ’ નામની એક વ્યક્તિ તેમને આપે છે, સાથે-સાથે પરિસ્થિતિ વિષે વાત કરતાં એમ પણ કહે છે કે મહામંદીને કારણે મોટાં જમીનદારો પાસે જે નાના ખેડૂતો એ જમીન ગીરવી રાખી હતી, તે માટે જમીનદારોના માણસો લોકોને રંજાડી રહ્યાં છે, ખેતી માટે નાના ખેડૂતોએ બૅન્કથી લોન લીધી હતી, તે ભરપાઇ નહીં થવાથી બેન્કના કર્મચારીઓ વારે-વારે લોકોને પરેશાન કરી રહ્યાં છે, આ બધું ઓછું હોય તેમ જમીનદારોએ નિર્ણય લીધો છે કે હવે તેઓ ખેતરોમાં કામ કરાવવા મજૂરોને રાખવાના નથી, ટ્રૅક્ટર જેવાં આધુનિક યંત્રોથી ખેતી કરશે, એટલે મજૂરોની રોજી તો ગઈ. આ વાંચતાં આપણને લાગે કે આપણા દેશના સંદર્ભમાં ક્યાં કશું બદલાયું છે? તે જ હાથના શ્રમની સામે યંત્રો અને આવારા પૂંજીની રમત! આજની તારીખમાં પણ ભારતના કેટલા ય ભાગોમાંથી રોજીરોટીની શોધમા મજૂરોનાં ટોળાં ને ટોળાં ગામડાંઓથી મહાનગરો તરફ ભાગતાં જ રહે છે. નવલકથામાં આગળ જોઈએ તો ‘ટોમ જોડ’ અને ‘જિમ કેસી’ જ્યાં એમનો પરિવાર ગયો છે, તે ગામ પહોંચે છે. ત્યાં બધાં મળીને એક નિર્ણય કરે છે કે કૅલિફોર્નિયા જવું જોઈએ, ત્યાં દ્રાક્ષ અને સંતરાંઓના બગીચાઓમાં ઘણું કામ મળી રહે તેમ છે.

હવે આખો પરિવાર ઘરવખરી બાંધે છે. બચેલા પૈસામાંથી કોઈ જૂની ટ્રક જેવી ગાડી ખરીદે છે, તેમાં સુધારો કરીને તેઓ નીકળે છે, પરિવારમાં ઘરડાં દાદાદાદી, માતાપિતા, ગર્ભવતી બહેન ‘રોઝ’ તેનો પતિ એક નાનો ભાઈ, ‘ટોમ’ પોતે અને ‘જિમ કેસી’ આટલાં જણ નીકળ્યાં છે. રસ્તો ઘણો લાંબો છે ઓકલહમાંથી કૅલિફોર્નિયા અંદાજે ૨,૩૩૪ કિલોમીટર છે. ખબર નહીં તે વખતે ત્યાંના રસ્તા કેવા હશે? એ તો આજના સમયમાં અમેરિકા પૂંજીવાદનો ડંકો આખા વિશ્વમાં વગાડી રહ્યું છે, પરંતુ એ ચમકની પાછળ કેટલા ય ખૂની સંઘર્ષોની દાસ્તાનની કાળી વાતો હશે! રસ્તામાં એરિઝોનાનો રણપ્રદેશ પણ પસાર કરવાનો હતો, પરિવારજનોની માંદગી, વાહનની  ગરબડી, પેટ્રોલના ઊંચા ભાવ, બીજા પ્રદેશવાળાઓની નફરત, પ્રાદેશિક મોસમનો માર વગેરે સહન કરતાં આગળ ને આગળ વધે છે. લેખક જોન સ્ટાઇનબેકૅ એ એવી રીતે લખ્યું છે કે આપણાં રૂંવાડાં ઊભાં થઈ જાય. આ વાંચતાં ગયા વર્ષે કોરોનાને લીધે પગપાળા નીકળેલ આપણા દેશના પ્રવાસી મજૂરોની કરુણ સ્થિતિ યાદ આવી ગઈ આપણા દેશના જુદા-જુદા પ્રાંતોથી મજૂરી કરવા ગયેલા લોકોની ૪૦થી ૪૫ ડિગ્રી તાપમાં પગપાળા ઘરે પાછાં જવાની ત્રાસપૂર્ણ ઘટના ભારતના ઇતિહાસમાં પણ કાળા અક્ષરોએ જ લખાશે.

કેટલા ય કિલોમીટર ચાલતાં લોકો, ઘરડાં બીમાર, નાના છોકરાઓને ઊંચકી ચાલતી માતાઓ, નાનાં બાળકોને ખભે નાખી ચાલતાં ૧૦થી ૧૨ વર્ષના, વગર ચપ્પલે ચાલતાં કિશોર-કિશોરી, ગર્ભવતી મહિલાઓ, કોઈની રસ્તામાં જ પ્રસૂતિ થઈ, તો કેટલા ય રસ્તામાં મોતને ભેટતાં લોકો, આવાં લાચાર છતાં એક આત્મસમ્માન લઈ ચાલતાં લોકો, કરોડો સલામ કરવાનું મન થાય, કોઈ કેવી રીતે મર્યા તો કોઈ કેમ, કોઈ રેલગાડીના પાટા પર સૂતેલા કપાઈ મર્યા, કોઈ બીમારી અને ભૂખતરસથી મર્યાં, પણ બચ્યાં એટલા ઘરે પહોંચીને રહ્યાં તેઓ પાસે કોઈ બીજો વિકલ્પ જ નહોતો. ઇતિહાસ સાક્ષી છે, જેમણે સંઘર્ષની સામે હથિયાર નાંખ્યાં નથી એમની જીત જ થઈ છે. આપણા દેશના ખાધેપીધે સુખી લોકોએ તે વખતે એમ કહ્યું કે “શું જરૂરત હતી ગામ તરફ ભાગવાની ?!” “રેલગાડીના પાટે શું કામ સૂઈ ગયાં ?!” આપણા દેશનું દુર્ભાગ્ય છે કે આપણી શિક્ષણપ્રણાલી દેશના નાગરિકોને સંઘર્ષ અને મહેનત કરતા લોકોની વ્યથા સમજવાની કેળવણી નથી આપી શકતી. આ નવલકથાનો ‘જોડ’ પરિવાર પણ રસ્તામાં ઘરડાં દાદા અને દાદીને બીમારીને કારણે ગુમાવી બેસે છે, પરંતુ તેમની નિયતિ છે કે તેઓએ આગળ વધવું જ રહ્યું, એટલે તેમને રસ્તામાં જ દફનાવી તેઓ આગળ વધે છે નવલકથા જ્યારે તેના અંત તરફ ગતિ કરતી હોય છે, પરિવાર એક નદીકિનારે વિશ્રામ માટે રોકાય છે. ‘ટોમ’નો નાનો ભાઈ ત્યાં જ રોકાઇને કામ શોધવાનો નિર્ણય લે છે. આ રીતે એક સદસ્ય ત્યાં છૂટો પડી જાય છે. હવે પૈસા પણ ખૂટ્યા છે. આગળ વધતો પરિવાર રસ્તે આવતાં ખેતરોમાં છૂટક મજૂરી કરતાં-કરતાં આગળ વધે છે. ત્યાંના જમીનદારોએ મજૂરો માટે વસાહતો બનાવી રાખી હોય છે. એક સારી વસાહતમાં રહેવાનું અને સારું કામ પણ મળી જાય છે. ઘરનો મોટો છોકરો ‘ટોમ’ ત્યાંનાં મજૂરો સાથે મળી એક સંગઠન ઊભું કરે છે અને મજૂરોના હક્કની લડાઈ લડે છે. ‘જિમ કેસી’ એને સક્રિય સહકાર આપે છે. ‘રોઝ’ જે ગર્ભવતી છે, તે પોષણયુક્ત આહાર માટે વલખાં મારે છે. પરિવાર તેના માટે સાદું દૂધ પણ લાવી શકતો નથી. મજૂરોના હક્કની વાત કરવાવાળા ‘ટોમ’ને ખૂનના ગુનામાં ખોટી રીતે ફસાવી દેવામાં આવે છે, ‘જિમ કેસી ‘માનવતા માટે’ તે ગુનો પોતાના માથે લે છે, તે જાણે છે; ટોમ નિર્દોષ છે અને પરિવારને ટોમની જરૂરત છે. ‘ટોમ’ને કારણે તે વસાહતમાંથી પૂરા પરિવારને કાઢી મૂકવામાં આવે છે. ત્રાસ સહન કરતો પરિવાર આખરે સપનાંના પ્રદેશ કૅલિફોર્નિયા પહોંચે છે. ત્યાં કામ મળે છે, પરંતુ બહુ જ ઓછી મજૂરી પર, ફળોના બગીચાના માલિકોએ અસ્થાયી વસાહતો બનાવી છે, પરંતુ સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. ‘રોઝ’નો પતિ પરિવારને છોડી અન્ય જગ્યાએ કામ શોધવા નીકળી જાય છે. ‘રોઝ’ એકલી પડી જાય છે, માતા અને પિતા ‘જોડ’ ખૂબ ધીરજ રાખીને સહુને સાચવે છે, આ વસાહતમાં પણ ટોમ મજૂરોના હક્ક માટેનું સંગઠન બનાવે છે, બધા મજૂરો એકઠાં થઈને માલિકો અને સરકારની સામે આંદોલન કરતાં રહે છે.

આ પ્રવૃત્તિને કારણે ‘ટોમ’ને ફરી એક વાર જેલ જવાનું થાય છે. ‘જિમ કેસી’ પહેલેથી જ જેલમાં છે, ‘રોઝ’ને મૃત બાળક અવતરે છે : એટલું ઓછું હોય તેમ કૅલિફોર્નિયા વિસ્તારમાં ભયંકર પૂર આવે છે. દ્રાક્ષ અને સંતરાંઓના બગીચા ઊજડી જાય છે, મજૂરોની રોજીરોટી પણ પૂર પોતાની સાથે વહાવી જાય છે અને હવે આ નવલકથાનો અન્ત અને પરાકાષ્ઠા તો ત્યારે આવે છે કે પરિવારની બચેલી પેલી ત્રણ વ્યક્તિ, માતા,પિતા અને ‘રોઝ’ પૂરથી બચવા એક ખંડેરમાં આશરો લે છે, તે ખંડેરના અંધારા ખૂણામાં એક ઘરડો ડોસો અંતિમ શ્વાસ ગણતો પડ્યો હોય છે. ‘રોઝ’ તેની પાસે જાય છે અને ખોળામાં પેલી વ્યક્તિનું માથું લે છે અને બાળકની જેમ એને પોતાનાં સ્તનનું દૂધ પીવડાવે છે. અને અહીયાં બધું જ મરી ગયું હોય, ખોવાઇ ગયું હોય, ત્યાં માનવતા જીવી જાય છે ! વાંચક અહીંયાં સ્તબ્ધ છે, હા, બિલકુલ આપણાં પન્નાલાલ પટેલની નવલકથામાં આવે છે તેમ દુકાળની સ્થિતિમાં નવલકથાની નાયિકા, ભૂખથી વ્યાકુળ નાયકને સ્તનપાન કરાવે છે તેમ જ ! જીવન આ જ છે ! આ જ છે માણસથી માણસનો સંબંધ! એવા  માનવો કે જે સંઘર્ષમાં પણ માનવતાને વરેલાં છે. તેને માટે ઘરમાં સુરક્ષિત બેઠેલા અનેક પ્રશ્ન ઉઠાવીને વાત કરે છે, આપણી ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત થાય ?! પણ ભાઈ ઇમ્યુન સિસ્ટમ તો એવાં જ લોકોની મજબૂત થશે જે લોકો વિપરીત સ્થિતિમાં પણ પોતાનો માર્ગ બનાવતા શીખતાં રહશે : તે કૌવત તેઓના ડી.એન.એ.માં આરોપિત થઈ જશે, એ લોકોની આવનારી પેઢી વધુ મજબૂત થઈને પોતાનો હક્ક માંગવા આવશે, તો આશ્ચર્ય નથી. એકબીજા માટે વિચારવું, સહુને સાથે લઈ ચાલવું, મદદ કરવી પર્યાવરણનું ધ્યાન રાખવું, ઓછાં સાધનોમાં જીવન ચલાવવું, આ બહુ જ સુવિધાયુક્ત જીવન જીવવાવાળાની આવનારી પેઢીઓ નહીં કરી શકે, કારણ કે વર્તમાન શિક્ષા પ્રણાલીના પાઠ્યક્રમમાં જીવનસંઘર્ષ, મહેનત, હાથના કામનું  સમ્માન જેવા અવસરો જ જોડવામાં આવ્યાં નથી. સુવિધાયુક્ત જીવન જીવતા હોવા છતાં કેટલા ય લોકોને જીવન સામે બહુ જ ફરિયાદો છે, કેટલાક તો એવાં પણ છે કે એવું વિચારે છે અમારાં સંતાનો જો અભાવો સહન કરશે, તો એ પણ બુદ્ધની જેમ સંસારથી વિરક્તિ થઈ જશે ! પણ માફ કરજો મને, આવનારી પેઢીની કોઈ તાકાત જ નથી બુદ્ધની જેમ વિચારવાની !!

જ્યારે જોન સ્ટાઇનબેકને લોકોએ પૂછ્યું, આવી નવલકથા લખવાનો વિચાર કેવી રીતે આવ્યો ? ત્યારે જવાબમાં જોન સ્ટાઇન બેકૅ કહ્યું, “આ મહામંદી અને તેના દુષ્પ્રભાવો માટે લાલચી અને હરામી લોકો જવાબદાર છે. હું તેમના ચહેરા પર શરમનું લેબલ લગાવવા માગું છું, એટલે લોકોનાં સ્નાયુતંત્રને હલાવી નાખે એવી આ નવલકથા લખવાનું અભિશપ્ત કાર્ય મે કર્યું છે.” તે જમાનામાં આ નવલકથાને બૅન કરવામાં આવી હતી અને તેને ફળોના બગીચાના માલિકો દ્વારા સળગાવવામાં આવી હતી. આ નવલકથાનું પ્રકાશન થયું (૧૯૩૯) અને મહેનતકશો માટે અવાજ ઉઠાવતાં સંગઠનો અને લોકોએ સરકાર પર ખૂબ દબાવ બનાવ્યો. લેખક પર રશિયાના એજન્ટ હોવાનો આરોપ મુકાયો. સાથે-સાથે આ નવલકથાને નૅશનલ બુક ઍવૉર્ડ અને પુલિત્ઝર ઇનામની ઘોષણા કરવામાં આવી. સાથે જ તે સમયની રૂઝવેલ્ટ સરકાર હરકતમાં આવી, એક તપાસ સમિતિ શ્રીમતી રૂઝવેલ્ટના નીચે નિમાઇ અને કૅલિફોર્નિયાના બગીચાઓમાં કામ કરતાં પ્રવાસી મજૂરોની સ્થિતિનું અધ્યયન કરવામાં આવ્યું. તપાસમાં સામે આવ્યું કે આ નવલકથામાં જે વર્ણન છે, એના કરતાં પણ મજૂરોની સ્થિતિ બદતર છે. તરત જ સરકારે ત્યારના શ્રમકાયદાઓમાં ભારે પરિવર્તન કર્યું કે જે મજૂરોના હક્કની વાત કરે.

નવલકથામાં વર્ણિત Weed Patch Campની જગ્યા આજે પણ ઐતિહાસિક ધરોહરના રૂપે સરકારે સંગ્રહિત કરીને રાખી છે. નવલકથાના શીર્ષક ‘ગ્રેપ્સ ઓફ રોથ’ને મેટાફર સમજીએ, તો એક એવો ગુસ્સો જે જમીનથી જોડાયેલા લોકો દ્વારા ઊઠ્યો અને લોકોને ક્રાંતિ માટે પ્રેરિત કર્યા.

આપણા દેશમાં કોરોનાકાળ દરમિયાન શું થયું ? સરકારે કોરોનાકાળ દરમિયાન પ્રવાસી મજૂરો માટે શ્રમ કાયદાઓમાં બદલાવ કરી કામના કલાકો જ વધારી દીધા ! વર્ષ ૨૦૦૮ના પછી ખેડૂતોની આત્મહત્યાના આંકડાઓ શું સૂચવે છે? કોરોના પછી વાવાઝોડાં જેવી કુદરતી આફતનો પણ સામનો કરવો પડ્યો. આપણી સરકારે ભૂમિ અધિગ્રહણ કાયદાને સહેલો બનાવી ખેડૂતોને પોતાની જમીનથી અપદસ્થ કરી દીધા !

કહેવાય છે કે કળા અને સાહિત્યની વિધિઓ દેશ અને સમાજમાં બદલાવ લાવી જ શકે છે, તે આ જોન સ્ટાઇનબેકની નવલકથાની બાબતમાં તો સાચું જ છે.

સૌજન્ય : “નિરીક્ષક” 01 ઑગસ્ટ 2021; પૃ. 07-08

Loading

...102030...1,7961,7971,7981,799...1,8101,8201,830...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved