Opinion Magazine
Number of visits: 9676733
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક પાક સાફ મજહબી ગુજરાતી મુસ્લિમ મહિલાની દાસ્તાં

અશોકપુરી ગોસ્વામી|Opinion - Opinion|11 September 2021

જીહા, અમીનાબહેન આદમ ઘોડીવાળા ખાકે સુપર્દ થયાં. મરહૂમ થયાં. આપણી વચ્ચેથી રુખસત લીધી.

અમીનાબહેન વલ્લભ વિદ્યાનગર ત્રણેક દાયકા રહ્યાં હશે. આદમ માસ્તર કહેતાં અધ્યાપક આદમ ઘોડીવાળાના આણંદ અને વિદ્યાનગરના જુદા જુદા રહેઠાણોને બહુ જલ્દીથી ઘર બનાવી દેનાર અમીનાબહેનના સ્વતંત્ર વ્યક્તિત્ત્વનો મારા સહિત અદમભાઈના મોટી સંખ્યાના મિત્ર વર્તુળને વધારે ઓછો પણ અચ્છો પરિચય. પતિના બહુર્મુખી વ્યક્તિત્વની સાથે / સમાંતરે ઊભી રહી શકે તેવી એમની પોતાની છબી. એ પોતે આંતરમુખી; ઓછાબોલાં. પરંતુ એમના આવકારના, આદરભાવથી બોલાતા ભરૂચની બોલશાવાળા બોલનું વ્હાલ આપણને અડે. ભીંજવે. વાને ઘઉંવર્ણા અદમના કરતાં અમીનાબહેન ઠીક ઠીક ગોરાં. ઈંગ્લેન્ડ વસવાટ પછી તો યુરોપિયન બોર્ન મુસ્લિમ વુમન લાગે. અદમની શૈક્ષણિક અને સાહિત્યિક ઊંચાઈને આંબી શકે તેવું એમનું એકેડેમીક ક્વૉલિફિકેશન કદાચ ન હતું પરંતુ ઘઉંની કણેક જેવા ઉજળા વાનમાં આપણા અદમથી તેઓ ચડિયાતાં લાગે. ઊંચાઇમાં તો અદમભાઇનાં સમોવડિયાં. પતિના અતિવ્યસ્ત અધ્યાપકીય તથા જાહેર જીવન માટેની જરૂરી  મોકળાશ એમણે જે કરી આપેલી તે … તથા, અદમના બચરવાળ પરિવારને જે રીતે ઉછેર્યો/જાળવ્યો/ પરણાવ્યો તેમાં તથા, તમામના શાદી-બ્યાહના મામલે અમીનાબાનુની કોઠાસૂઝથી સ્કૉલર કવિ અધ્યાપકને ઘણી મોટી રાહત થયેલી. અહીં અને ત્યાં ઈંગ્લેન્ડમાં પણ ઘરબહાર ઝાઝું રહેતા અદમભાઇના ઘરપરિવાર કે સંતાનો અને અન્ય સર્વે નિર્ણાયક વ્યવહારો પર અમીનાબહેનની સહી જોઇ શકાય. ગુજરાતી ભરૂચની મુસ્લિમ તહેજીબ છેક લગી તેમનામાં જળવાઈ રહેલી. તેઓ અદમભાઇની જેમ ભલે અમારે ત્યાં આવ્યાં ગયાં નથી, પરંતુ જ્યારે અમે એમને મળતા ત્યારે એ; અનસૂયા કે ગોપીબહેન કે ગીતાબહેન અને અમારાં સંતાનોને યાદ કરતાં.

દિવસની પાંચે પાંચ નમાજ બિનચૂક અદા કરનાર અમીનાબહેન જેટલાં મજહબી હતાં, એટલાં એમના સગાં વહાલાં માટે એમના અનુભવી અભિપ્રાયોને ન અવગણી શકાય તેવાં કોઠાસૂઝવાળાં હતાં. અમારા જેવા અદમભાઇના બિન- મુસ્લિમ મિત્રો માટે એમનો મીઠો આવકાર એક સંભારણું બની રહેશે હવે. અદમભાઇના કારણે અમારો – મારો અને ચતુર પટેલનો – ૧૯૯૫ની સાલમાં ઇંગ્લેન્ડ પ્રવાસ ભલે શક્ય બન્યો, પરંતુ સફળ અને સાર્થક થયો અમીનાબહેનને કારણે. અમને બંને મિત્રોને એમણે, ઈંગ્લેન્ડના એમના બોલ્ટનના એક બેડરૂમના નાના હાઉસમાં જે રીતે સમાવી લીધેલા  તે… ત્યાંના કલ્ચર પ્રમાણે ત્યાંના નિવાસીઓને માટે અગવડભર્યુ ગણાય. મિત્રો, બોલ્ટનમાં અમીના બહેનના ઘરે જેટલા દિવસ; ટુકડે ટુકડે એ પ્રવાસના ત્રીસેક દિવસમાં અમારા ચ્હા – નાસ્તા કે વેજિટેરિયન ખાનપાન માટે, ખાસ તો સબ્જી કહેતાં શાકભાજી માટે હું અને ચતુરભાઇ આટલાં વર્ષો પછી એ તો ખાસ કહીશું કે, એમણે અમને માફક આવે એવી રસોઈ અને સબ્જી તો બનાવી જ હોય પરંતુ એ રીપીટ પણ ન થાય તેની કાળજી રાખી હતી. જુદું જુદું અવનવું શાક એ ગમે ત્યાંથી શોધી કે મંગાવી લાવે. અદમભાઇ વહેલી સવારે એમની સ્કૂલે જાય અને બપોરે આવે ત્યાં સુધી અમારી સાથે શરૂઆતમાં ખપ પૂરતી વાત કરતાં અમીનાબહેન પાછળથી ખુલાસી અને મૉકળાપણે વાત કરતાં. તેમને ત્યાંથી નીકળતી વખતે અમે તેમને : તમને અમે ઘણી તકલીફ આપી એવું કહેતાં રોકી; ઊલટાના તમને બંનેને તો હજુ ય છ મહિના રખાય …" એવી માર્મિક વાત અગાઉ આવી ગયેલા એમના મહેમાનોએ કરાવેલા જરા અલગ અનુભવોના અનુસંધાને ત્યારે કહ્યું હતું.

અમે ઇંગ્લેન્ડ જઇ આવ્યા પછી, આપણા મૂર્ધન્ય કવિ હરીશ મિનાશ્રુ ઈંગ્લેન્ડ ગયેલા. અમીનાબહેને એમની સાથે અનસૂયા માટે સરસ મજાનું રૂપકડું લેડીઝ ઘડિયાળ મોકલેલું, જે આજે ય સાચો ટાઇમ બતાવવાની સાથે અમીનાબહેનની યાદ પણ અપાવે છે. કોઇને એ ઓછાબોલાં અવશ્ય લાગે પરંતુ બધું સઘળું એમની જાણકારીમાં હોય; નજર બહાર કશું ન હોય. અદમભાઇ અગર ઉત્તમ કવિ અધ્યાપક છે તો, અમીનાબહેન ઉત્તમ ગૃહિણી હતાં એ બાબત અદમભાઇ સહિત સહુ સ્વીકારશે.

એક પાક સાફ મજહબી ગુજરાતી મુસ્લિમ મહિલાને એમનો ખુદા એમને રાબીઆની પંગત સંગતમાં બેસાડે એવાં અમીનાબાનુ સદા સ્મરણમાં રહેશે.

સૌજન્ય : અશોકપુરી ગોસ્વામીની ફેઇસબૂક દિવાલેથી સાદર; 11 સપ્ટેમ્બર 2021 

Loading

‘આધુનિકતાવાદ અને સત્તાની વાત’

સુમન શાહ|Opinion - Opinion|10 September 2021

બાબુ સુથારે એમના બ્લૉગ પર, 'આધુનિકતાવાદ-૩’-માં, આધુનિકતાવાદ અને સત્તાની વાત છેડી છે. સત્તાને પડકાર -ને એમણે આધુનિકતાનું એક મહત્ત્વનું લક્ષણ ગણ્યું છે.

એમણે એ સંદર્ભે મારો દાખલો ટાંક્યો છે. મેં ‘શબ્દસૃષ્ટિ’-નું સમ્પાદનકાર્ય સંભાળ્યું એ અંગે એમણે લખ્યું છે કે – "ત્યારે ખાસ કરીને સુ.જો.ના મિત્રો રાજી ન'તા થયા. બધા એમ કહેતા હતા કે સુ.શા. સત્તાની પડખે ગયા. અર્થાત્, એક આધુનિકતાવાદી સાહિત્યકાર પરંપરા તરફ ગયો. ત્યારે સુમન શાહે જવાબમાં કહેલું કે હું સંસ્થાની અંદર જઈને બળવો કરવા માગું છું. આ 'બળવો' શબ્દ કદાચ એમનો નહીં હોય. પણ, એ એવું માનતા હતા કે સંસ્થામાં જઈને સંસ્થાને બદલી શકાય…”

હું કંઇ પણ કહું એ પહેલાં, Some Alerts :

૧ : હું જે કહીશ એને મારાં સ્વતન્ત્ર મન્તવ્યો ગણવા વિનન્તી છે. એ મન્તવ્યો મિત્ર બાબુના વિચારોની પૂર્તિરૂપ લાગી શકે, ભિન્નરૂપ પણ લાગી શકે. પરન્તુ યાદ રહે કે એમની જોડે હું કશા વિવાદમાં નથી ઊતર્યો કે કશી પ્રતિક્રિયા પણ નથી આપી રહ્યો.

૨ :  આધુનિકતાવાદ વિશેની આ બધી જ સામ્પ્રત વાતોને, ચન્દ્રકાન્ત સંઘવીનો શબ્દ વાપરીને કહું કે ‘સ્મરણમાળા’ ગણવી જોઇશે. સાથોસાથ, સરૂપ ધ્રુવે કહ્યું એમ 'ખરેખર આ નિંદા નથી દસ્તાવેજીકરણ છે, એક ખજાનો છે’ એમ પણ ગણવું જોઈશે.

૩ : યાદ રાખવું જોઈશે કે આ કશી શાસ્ત્રધર્મને વળગી રહીને ચાલતી ચર્ચા નથી. કેમ કે સામા પક્ષને શું કહેવાનું છે એ જાણવું બાકી રહે છે. થીસિસને ઍન્ટિથીસિસ જોઇએ એમ પક્ષને વિપક્ષ જોઇએ.

૪ : મારું મન્તવય છે કે મૅમરી, ફૅકટ, ટ્રુથ, પોસ્ટ ટ્રુથ અને મિથના ‘તળ’માં બેસીને પણ આપણા આધુનિક યુગને, તેના ઘડતરને, તેના ઇતિહાસને સમજી શકાય, નવેસર રચી શકાય, પણ તે માટે અપારની વિદ્વત્તા જોઈશે, જેનો હાલ આપણે ત્યાં અભાવ છે.

પ : સામ્પ્રતમાં આ વાતો જેમની સામે મુકાઈ રહી છે એમને માટે, રીસિવિન્ગ એન્ડ પરની એ વ્યક્તિઓને માટે, બહુશ: સમાચાર છે. એમને એમાં રસ પડે, મજા આવે, પણ એ જાતના ગમતીલા રીસેપ્શનને એથી વધારે વજૂદ ન અપાય, એ પણ યાદ રાખવું જોઈશે.

++

સૌ પહેલાં મારે જણાવવું જોઇએ કે ‘શબ્દસૃષ્ટિ'ના તન્ત્રીકાર્ય માટે મેં અરજી ન્હૉતી કરી, મને નિમન્ત્રણ અપાયેલું. હું ત્યાં ‘માનાર્હ તન્ત્રી’ હતો. મને માનદ્ વેતન આપતા’તા. હું વેતન માટે કે બળવો કરવા કે સંસ્થાને બદલવા ન્હૉતો ગયો. એમ કોઈ માનતું હોય તો તે તેની ભૂલ કહેવાશે, મને ઓળખતો નથી એમ પણ કહેવાશે. હું મારી શક્તમતિ અને સૂઝબૂઝ પ્રમાણેનું સામયિક ઘડવા ગયેલો. મેં માનેલું કે મારા જેવાને જો અકાદમી નિમન્ત્રે છે તો સમજતી હશે કે હું શું છું અને કેવાક સાહિત્યદર્શનને વરેલો છું.

બીજા મિત્રોએ તો મને એમ કહ્યાનું યાદ છે કે – સુમનભાઈ, તમે હશો એટલે આપણા સાહિત્યમાં એક સરસ સામયિક ઉમેરાશે. પણ મને મારા ગુરુ સુરેશ જોષીએ કહેલું એ બરાબર યાદ છે : સુમન, સરકારી તન્ત્રમાં તને કેટલું ફાવશે? મેં કહેલું : મેં એમની સાથે શરત કરી છે કે મારા સમ્પાદકીય નિર્ણયો મારા હશે, વળી, કોઇ વ્યક્તિ કોઇની સિફારસ કરશે તો હું સાંભળીશ નહીં. એ એઓએ મંજૂર રાખ્યું છે. મેં કહેલું : સુરેશભાઈ, મને આપવામાં આવેલી સ્પેસ એકદમ ચોખ્ખી છે અને જે દિવસે મને લાગશે કે બધું ઠીક નથી, તે દિવસે હું ચાલુ ગાડીએ ભૂસકો મારીશ.

હું જ્યારે જ્યારે સુરેશભાઈને અમદાવાદથી વડોદરા મળવા ગયો હોઉં ત્યારે ત્યારે અચૂક પૂછે : પેલો ભૂસકો તું ક્યારે મારે છે? : અને મેં માર્યો, ત્યારે તેઓ ખૂબ રાજી થયેલા, ને એ પછી મેં ‘ખેવના’ સામયિક શરૂ કરેલું.

ભૂસકો મારવાનું કારણ, લોકશાહીય કહેવાતા ઉપરીઓની ગુસ્તાખી. લોકશાહીનો પ્રાણ ગણાતી પરમતને વિશેની સહિષ્ણુતાનો અભાવ.

ઉમાશંકરે ત્યારે અકાદમીની સ્વાયત્તતા બાબતે ચર્ચા જગવેલી. મેં એમના મન્તવ્ય પક્ષે રહીને સૂર પુરાવતો લેખ લખેલો. અકાદમીને એનો વાંધો પડેલો. મને જે નાનું સરખું માનદ્ વેતન આપતા’તા તે બંધ કરી દીધેલું. હું માનાર્હ તન્ત્રી હતો, અકાદમીનો પગારદાર નોકર ન્હૉતો, મેં પૂછેલું : મને મારા વાણીસ્વાતન્ત્ર્યના અધિકારનો વિનિયોગ કરવાની છૂટ શા માટે ન હોવી જોઈએ? હું શા માટે અકાદમીની સ્વાયત્તતા બાબતે સૂર ન પુરાવી શકું? મેં કહેલું – સરખું નહીં કરો તો મારે ડિપાર્ટમૅન્ટને દિલ્હી પત્ર લખવો પડશે. અને તેઓ સરખા થયા એ પછી મેં ‘શબ્દસૃષ્ટિ' છોડી દીધું. વરસો પછી ફરીથી એમાં લખતો થયો તે મારા વિદ્યાર્થીમિત્ર તત્કાલીન મહામાત્ર હર્ષદ ત્રિવેદીના વારંવારના સદાગ્રહને કારણે.

આમાં એકે ય સાહિત્યકારને દેખાયું નહીં કે : ૧ : ‘શબ્દસૃષ્ટિ’ ભલે સરકારનું હતું પણ મેં એને સરકારી થવા દીધું ન્હૉતું : ૨ : મેં સ્વાયત્તતા બાબતે એટલો વહેલો સૂર પુરાવેલો તેની કશી નૉંધ સ્વાયત્તતાના મહારથીઓએ કદી લીધી નહીં : ૩ : મારી જે તે સ્થાને રહીને પણ ચોખ્ખાં કામ કરનારી વ્યક્તિતાને સમજવાની કોશિશ પણ ન થઈ : ૪ : કોઇએ મારા આ દાખલાને ધ્યાને લઈને કે નિમિત્ત ગણીને સ્વાયત્તતા માટે લોકમત કેળવવાની તકલીફ ત્યારે તો ન લીધી, હજીયે લોકમતના ઉપાયથી કેટલાક સાહિત્યકારો નાકનાં ટેરવાં ચડાવે છે, એમને એમની ભવ્ય કીર્તિ અને સુંવાળો અહમ્ ચ્હૅરાઈ જવાનો ભય લાગે છે. વગેરે.

મારે ઉમેરવું જોઈએ કે ભાગ્યેશ ઝા અધ્યક્ષ હતા ત્યારે પણ મને કાર્યવાહક અને સલાહકાર મંડળમાં નિમન્ત્રણ આપીને બોલાવાયો હતો. અને, પછીના કાળે, એ બન્ને મંડળો નામશેષ જેવાં થઈ ગયાં, એટલે મેં અકાદમીને તિલાંજલિ આપી, તે શું મેં લોકશાહી મૂલ્યોની હિફાજત માટે ન્હૉતું કર્યું? હું હમેશાં જે તે સ્થાને કામ કરવા ગયો છું ને કર્યાં છે, એ મારે નથી કહેવું પડતું, કામો જ બોલે છે.

લોકશાહીય ગણાતી પરિષદે મને ક્યારે ને શેને માટે નિમન્ત્ર્યો એનો એક તો દાખલો આપો ! આપણી સ્વાયત્ત સંસ્થાઓ, કહેવાતા લોકશાહો વડે કેવી તો સીમિત અને સર્જકના સ્વાતન્ત્ર્યને ગૂંગળાવનારી નીવડી છે, એ તો એ બધા ભોગ બનેલાઓ બોલે ત્યારે ખબર પડે !

હવે, કેટલાંક મારાં મન્તવ્યો :

‘સત્તા'નો એક અર્થ આપણને અંગ્રેજોએ ગુજારેલા અમલ દરમ્યાન મળ્યો છે, એ એક અનુભવ હતો. ‘સત્તા’નો બીજો અર્થ સ્તાલિન વગેરેના સામ્યવાદી શાસનથી આપણે જાણેલો છે, એ એક માહિતી હતી, એક સમાચાર હતા.

પરન્તુ લોકશાહીમાં ‘સત્તા’નો જે અર્થ છે તેને આપણે સમજી શક્યા નથી. ‘આપણે' એટલે, સત્તામાં બેઠેલા લોકશાહો અને કરોડોની સંખ્યાએ પ્હૉંચેલી પ્રજા. હું બીજા શબ્દોમાં એમ કહેવા ચાહીશ કે આપણે ભારતીયો લોકશાહીને લાયક થવાની એક સંકુલ પ્રક્રિયામાં છીએ.

કેમ કે હજી આપણા સત્તાલોલુપ લોકશાહો બાદશાહોની જેમ વર્તે છે. ઉપલા વર્ગના પ્રજાજનો આપમતલબે અંગ્રેજ સૂબાઓની સાચીખોટી ભક્તિપૂજા કરતા એમ ચૂંટીને મોકલેલાઓની આજે પણ કરતા જોવા મળે છે. સમજદારો સરકારમાં જવાની ના પાડે છે, પાર્ટિસિપેટરી ડૅમોક્રસી છેવટે તો સમજુઓનો સાથ વાંછે છે. એને સ્થાને સરકારોથી છેટા રહેવાનું આભડછેટિયું વલણ બૌદ્ધિકોમાં વિકસ્યું છે. શાસનતન્ત્રમાં અંગ્રેજ સરકારે સ્થાપેલી ઉચ્ચાવચતાવાળી રસમો પણ હજી જીવે છે.

આપણી ચર્ચાઓ પણ એ અંગ્રેજકાલીન ‘સત્તા'-ના અર્થને, સત્તાના એ નમૂનાને લક્ષ્ય ગણીને થયા કરતી જણાય છે. આપણે હજી સરકારને જ દોષી માનીએ છીએ. વળી અવાજ પણ ખપજોગો જ ઉઠાવીએ છીએ બલકે એને વ્યાપક સમાજ સુધી પ્હૅંચાડવાની તકલીફ નથી લેતા.

આપણને લોકશાહીમાં સત્તાનો સામનો કરવાનું ખાસ આવડતું નથી. બાંકડે બેસીને વૃદ્ધો કાલયાપન માટે ભા.જ.પ. કે કૉન્ગ્રેસ બાબતે જે કંઇ કરે છે, એટલું જ. પત્રકારો જે કાગારોળ કરે છે, એ; કે કોઇ કોઇ ખરો પત્રકારધર્મી વિચારક સમીક્ષાત્મક મન્તવ્યો પીરસે છે, એ.

સત્તાને નમવું પડે એવા લોકમતને ઘડી શકાય, બદલી શકાય, એવા શુદ્ધ વિચારપુરુષો આ વસતીમાં ગણ્યાગાંઠ્યા છે. કોઇ પણ શાસનસમયમાં કોઈ પણ ક્ષેત્રે ગેમચેન્જરની વારે વારે જે જરૂર પડે તેની આપણે ત્યાં અછત છે. ગુજરાતી સાહિત્યક્ષેત્રે, ખાસ.

સત્તાનો સામનો કરવાના પ્રસંગો રાજાશાહીમાં હતા તેમ કોઈ પણ શાસનપ્રણાલિમાં આવતા જ હોય છે. દાઝીલા બૌદ્ધિકો સામનો કરે ને પ્રજા જો ઝીલે તો સુધારા થતા હોય છે. સત્તા સામે લડનારી બુદ્ધિને પણ સાથસંગાથ જોઈતો હોય છે. ગુજરાતી સાહિત્યમાં દાઝીલા ઓછા છે ને વર્તુળો ને જૂથોમાં વસનારા ધીરુ-ભીરુ વધારે છે.

સામનો કરનારાઓ અંગ્રેજ અમલ દરમ્યાન ન્હૉતા એમ નથી. ઝીણા કદનાં અનેક ઉદાહરણો છે, પણ બે મહા મોટાં દૃષ્ટાન્તો છે – એક તે ગાંધીજીનું, અને બીજું તે, રવીન્દ્રનાથનું. ઉમાશંકર જોશી અને સુરેશ જોષી બહુ ભાગે ભારતીય લોકશાહીમાં જીવ્યા હતા. એકે સંસ્કૃત સજાગ નાગરિકની રીતે લોકશાસનને સમીક્ષાપૂર્વક સમજવા-સમજાવવાનું કર્યું, તો બીજાએ સાહિત્યશબ્દના ઉપાસકની રીતે કલાની રીતભાતમાં રહીને પોતાના સમયને જોયો-તપાસ્યો.

સવાલોનો સવાલ એ છે કે સર્જક કલાકારે સત્તાનો સામનો કેવી રીતેભાતે કરવો … ટીકાટપ્પણી કરીને? કોઇ એક પક્ષના ભાગિયા બનીને? કે સત્તામંડળમાં કે સરકારી તન્ત્રોમાં સહભાગી થઇને? કે પછી કલાસત્તા ધરાવતી કશી તુલ્યબળ કૃતિ સરજીને?

બીજા શબ્દોમાં એમ પુછાય કે — શું ગુજરાતી સર્જકે લોકશાહીપૂર્ણ ચૂંટણી લડીને સંસ્થામાં બેસી ભાષા અને સાહિત્યની સુધારક પ્રગતિમાં સાથ આપવો કે લોકશાહીય સરકારે સ્થાપેલી સંસ્થા સાથે જોડાઈને સાથ આપવો?

અથવા, અથવા, સંસ્થા કે સરકાર એકેયથી છેટા રહીને પોતાના સર્જનની શક્તિ વડે એક બુલંદ અવાજ ઊભો કરવો – જેને વિદ્રોહ કહી શકાય, તે વડે? ત્યારે આપણને યાદ રહેવું જોઈશે કે સુરેશ જોષીનો વિદ્રોહ સાહિત્યના ઉધ્ધાર અને વિકાસને સારુ હતો, સાહિત્યક્ષેત્રે હતો, અને એવો કે જેની અસરો પેઢીઓ બદલાય ત્યારે, સમયાન્તરે, બને કે સરકારોને સ્પર્શી શકે. કલા કશો તાત્કાલિક ઇલાજ નથી આપી શકતી.

આ ત્રણ વિકલ્પો પોતાની જગ્યાએ બરાબર છે. જેણે જે સ્વીકાર્યો હોય, સ્વીકારી શકે છે – એ એની સ્વતન્ત્રતાનો વિષય છે. એણે જે સ્વીકાર્યો હોય એની ખરાખરી એ જાતે કરે કે બીજા કરે? બીજા કરે તો એ પૂછી શકે – તમે કોણ છો મને આમ કર ને તેમ ન કર કહેનારા -? લોકશાહી તત્ત્વ પોતે જ સ્વતન્ત્રતા અને સ્વાયત્તતા બન્ને મૂલ્યોને પોતામાં સમાવીને બેઠું છે. લોકશાહીનું એ પ્રાણતત્ત્વ છે, એ તથ્યને આત્મસાત્ કરવામાં મૉડું થઈ રહ્યું છે …

એટલે, બાબુએ શરૂમાં જ જે કહ્યું એ કે — ''સત્તા' શબ્દનો અર્થ રાજ્યની સત્તા પૂરતો મર્યાદિત કરવાનો નથી. જે સર્જકતાને dictate કરે તે સત્તા એવો અર્થ કદાચ વધારે બંધ બેસે.”

આધુનિકતાવાદી સર્જકોએ પરમ્પરાને, સર્જનની ભાષાને, સ્વરૂપને, પડકાર્યાં કેમ કે એ અર્થમાં પરમ્પરા એક સત્તા હતી. એમણે વળી ઉમેર્યું છે કે "અહીં સત્તા, મેં કહ્યું એમ, સર્જન પર નિયંત્રણો લાદતી વ્યવસ્થા બની રહેતી હોય છે.”

કરુણતા એ છે કે આજે કશું ડિક્ટેટ કરે એવા બરનું સાહિત્ય આપણે ત્યાં છે જ નહીં, મળી આવે ને ડિક્ટેટ કરે, તો કોઈ ડિક્ટેટ થવાની હદે વિકસ્યું પણ નથી … કયો કોના પર નિયન્ત્રણ લાદી શકે એવો જોરાવર સાહિત્યકાર છે આપણી વચ્ચે? કશી પણ સત્તાને પડકારે એવો કોણ છે આપણી વચ્ચે?

એકે ય સર્રીયાલિસ્ટ બચ્યો નથી, બધા રીયાલિસ્ટ થઈ ગયા છે. એકે ય ઍબ્સર્ડિસ્ટ નાટકવાળો ક્યાં ય જણાતો નથી, બધા મીનિન્ગફુલી વરતે છે. એકે ય પ્રયોગશીલ ભળાતો નથી. એકેયને સાહિત્ય-માધ્યમ ભાષા માટે પ્રશ્ન નથી.

આ બધું એમ નથી સૂચવતું કે આપણે આધુનિકતાને બરાબર પામ્યા જ ન્હૉતા? આપણે એને વિશે પુનર્વિચાર કરવાને તૈયાર જ ન્હૉતા? સ્વીકારો કે આપણને આપણા નવોન્મેષોની પ્રશંસા જેટલી ખપતી’તી, એટલી એની ટીકાટિપ્પણી ન્હૉતી ખપતી. સાહિત્ય પોતે તુલ્યબળ સત્તા બની શકે એ માટેની સાધના-આરાધના કરવામાં આપણે પાછા પડ્યા’તા.

આપણા આધુનિકતાવાદને આ અવનતિદૃશ્યની પડછે મૂકીને જોવાની ખાસ જરૂર છે, આજે.

બાકી, આધુનિકતાવાદ માટે અરણ્યરુદન કરો કે કાખલી કૂટો, કશો મતલબ નથી.

= = =

(September 9, 2021: USA)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાભાર

Loading

કોઈ પણ સમયમાં શિક્ષણ આટલું અપ્રસ્તુત થયું નથી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|10 September 2021

તાલિબાનની સરકાર રચાઈ ગઈ છે ને અમેરિકા, ચીન, રશિયા, ભારત, પાકિસ્તાનની જાણમાં છડેચોક રચાઈ છે. એ કોઈને માન્ય હોય કે ન હોય, પણ અત્યારે તો તે રચાઇ છે તે હકીકત છે. અફઘાની પ્રજાને આ સરકાર કેટલી માફક આવશે તે તો તે જ કહી શકે, પણ ત્યાંની સ્ત્રીઓને તે માફક નથી જ આવવાની તે નક્કી છે. શરૂમાં મહિલાઓને અધિકારો આપવાનાં વચન અપાયાં, પણ તાલિબાન સરકારમાં એક પણ હોદ્દા પર કોઈ મહિલા નથી તે સૂચક છે. એ પરથી પણ ખ્યાલ આવશે કે સરકારની ગતિ કઈ દિશાની છે? તે ઉપરાંત વીસ વર્ષોમાં જે હકો મહિલાઓને મળ્યા હતા તે છીનવાઈ ન જાય તે માટે ત્યાંની મહિલાઓ સંઘર્ષ કરી રહી છે. આ સ્થિતિ પણ મહિલાઓનું ભાવિ કેવું હશે તેનો સંકેત કરે છે.

સાચું તો એ છે કે તાલિબાનોએ થૂંકીને ચાટવા જેવું કર્યું છે. તાલિબાનોએ કાબુલ કબજે કરતી વખતે ઘણી સુફિયાણી વાતો કરી છે. તેણે કહ્યું કે તાલિબાનથી કોઈ દેશને ખતરો નહીં થાય. ભારત સાથે સ્પષ્ટ વાત કરતાં તેણે એકથી વધુ વખત કહ્યું છે કે તે કાશ્મીરને મુદ્દે કોઈ દખલ નહીં કરે ને હવે વાત બદલતાં કહે છે કે કાશ્મીરના મુસ્લિમો માટે અવાજ ઉઠાવવાનો તેને અધિકાર છે. એ પણ છે કે તાલિબાની સરકારમાં આતંકીઓને સરકાર બનાવવાનું લાઇસન્સ મળ્યું છે. તેના પાંચ મંત્રીઓ યુનોની યાદીમાં ત્રાસવાદી તરીકે જાહેર થયેલા છે. તાલિબાની સરકારના વડા પ્રધાન મુલ્લા હસન યુનોની આતંકવાદીઓની યાદીમાં સામેલ છે. એક મંત્રી એવા છે જેને માથે કરોડોનું ઈનામ છે. આ મંત્રીઓમાંના થોડા તો ચીન અને પાકિસ્તાનની રહેમ નજરથી સરકારમાં ઘૂસેલા છે, એટલે જ તો મંત્રી બન્યા પછી પહેલું કામ મંત્રી, ચીની દૂતાવાસની ડેલીએ માથું ટેકવવાનું કરે છે. તાલિબાન સરકારમાં ગૃહ મંત્રી બનનાર સિરાઝ હક્કાની આઈ.એસ.આઈ. આતંકી સંગઠનનો વડો છે ને એ દ્વારા પાકિસ્તાને તાલિબાની સરકારની રચનામાં મોટું યોગદાન આપ્યાનું જણાય છે. જે વોન્ટેડ છે એવા ગુનેગારો સરકારમાં છે ત્યારે અમેરિકા શું કરે છે તે જોવાનું રહે છે. આ સ્થિતિ ભારત માટે એટલે જોખમી છે, કારણ ભારતનાં શત્રુ રાષ્ટ્રો, ચીન અને પાકિસ્તાનની તાલિબાની સરકારમાં કોઈક ને કોઈક નકારાત્મક ભૂમિકા છે.

તાલિબાનીઓને તાલીમ વગર પણ શસ્ત્રો ચલાવતાં આવડે છે. તેની પાસે અત્યાધુનિક શસ્ત્રો છે ને તે આડેધડ ચલાવવાનાં જ હોય તો લક્ષ્ય તો નજીકથી ઠાર કરવાનું જ હોય એટલે, ઓછી તાલીમે પણ તેઓ હેતુ તો પાર પાડે જ છે. આમ પણ તાલિબાનને શિક્ષણની ગરજ ખાસ નથી. એટલે જ તે શિક્ષિત થાય કે ન થાય, પણ મહિલાઓ બુરખો પહેરે એવું ફરમાન બહાર પાડી શકે છે ને અમેરિકાને એ મામલે દખલ ન કરવાની તાકીદ પણ કરી શકે છે. આવું ન થાય તો જ આશ્ચર્ય થાય, તે એટલે કે તેને શિક્ષણ અનિવાર્ય લાગતું નથી. સ્ત્રીઓ અશિક્ષિત રહે તેનો તેને બહુ વાંધો નથી, તે જાણે છે કે સ્ત્રીઓ જાગૃત થઈ તો તે માથે છાણાં થાપે એવી પૂરી શક્યતાઓ છે ને તાલિબાનીઓમાં એટલી અક્કલ તો છે જ કે તે સામે ચાલીને પોતાનું ખૂન કરવા છરી ન આપે. તાલિબાનો પોતે પણ શિક્ષિત થવા બહુ ઉત્સુક નથી. તેને તો શસ્ત્ર મળે ને સર્વનાશ કરી શકાય એટલું પૂરતું છે. તાલિબાનોનું શાસન લાંબું ન ચાલે એ ઇચ્છવા જેવું છે, કારણ તે પોતાને તો અંધકાર યુગમાં ધકેલશે જ, પણ દુનિયા માટે પણ ઉપદ્રવી જ સાબિત થશે.

કોઈ શાસક અભણ અને પછાત હોય તે સમજી શકાય, પણ એવા શાસકને ઊંડે ઊંડે લઘુતા પીડતી હોય છે ને તેનો તેને સંકોચ પણ થતો હોય છે. આવું હોય ત્યારે તે ક્ષમ્ય છે, પણ શાસક પોતાની નબળાઈને વખાણવા લાગે તો તે શરમજનક છે. એવી શરમજનક વાત તાલિબાનના શિક્ષણ મંત્રીએ કરી છે. શિક્ષણ મંત્રાલયનો હવાલો શેખ મોલવી નુરૂલ્લા મુનીરને સોંપવામાં આવ્યો છે. હવાલો લેતા જ મુનીરે કહ્યું છે કે પીએચ.ડી. અને માસ્ટર ડિગ્રીની કોઈ કિંમત નથી. તે એટલે કે તેની પાસે તે નથી. તે માને છે કે મુલ્લાઓ પાસે કોઈ ડિગ્રી નથી ને છતાં તેઓ મહાન છે. તે કઈ રીતે મહાન છે તે તેણે કહ્યું નથી. એટલે કહ્યું નથી કે એવું કહેવા વિચારવું પડે ને મુશ્કેલી જ વિચારવાની છે. મુનીરે શિક્ષણ મંત્રી તરીકે એમ પણ કહ્યું છે કે ડિગ્રીનો કોઈ ભાવ પૂછતું નથી ને એ પોતે પણ ડિગ્રી વગર જ અહીં સુધી પહોંચ્યો છે. તેણે મુલ્લાઓ અને તાલિબાની  નેતાઓ સંદર્ભે એમ પણ કહ્યું કે આ બધા પાસે પણ કોઈ ડિગ્રીઓ નથી, તે તો ઠીક, કોઈ હાઈસ્કૂલ પણ પૂરી કરી શક્યું નથી, છતાં એ સૌ બળવાન છે. તે માને છે કે આજે તો ડિગ્રી કરતાં તાકાત વધારે મહત્ત્વની છે. કોઈ પણ જાડી બુદ્ધિનો નેતા કરે તેવો આ બકવાસ છે. એવા બકવાસનું કોઈ મહત્ત્વ ના હોય, પણ એ જો કોઈ મંત્રી ને તે પણ શિક્ષણ મંત્રી કરે તો વિચારવાનું રહે.

જેને પોતાને હૈયે જ શિક્ષણનું કોઈ મહત્ત્વ નથી, તે શિક્ષણ મંત્રી તરીકે કેવીક કામગીરી કરશે તે સમજી શકાય એવું છે. તેને શાસ્ત્ર કરતાં શસ્ત્ર વધુ મહત્ત્વનાં લાગે છે. મુનીરે ખુલ્લે આમ કહ્યું છે કે મુલ્લાઓ અને તાલિબાની નેતાઓ પાસે ડિગ્રી નથી ને છતાં તે મહાન છે. અભણ કે અશિક્ષિત હોવું એ પીએચ.ડી. કરતાં પણ વિશેષ લાયકાત હોય એવું એક શિક્ષણ મંત્રીને લાગે ત્યારે આઘાત લાગે. આવાં વિધાનોથી કેવો મેસેજ જાય તે કહેવાની જરૂર નથી. શિક્ષિતો કરતાં અભણ લોકો વધુ સક્ષમ અને સફળ છે એવું સૂચવીને મુનીરે જગતના તમામ શિક્ષિતોની મશ્કરી કરી છે. મુનીરને કહી શકાય કે અભણ રહીને પણ શિક્ષિતો સાથે સ્પર્ધા કરી શકાતી હોય તો સ્કૂલો, કોલેજો કે યુનિવર્સિટીઓ ખોલવાની જરૂર શી છે? આપણને તો એ.કે. 47 ચલાવતાં આવડે તો પૂરતું છે ! નકામી શિક્ષણ સંસ્થાઓ ચલાવવી અને વિદ્યાર્થીઓનાં એ શિક્ષણમાં ઢગલો વર્ષો બગાડવાં કે શિક્ષકોને કલાકો નોકરીમાં જોતરવા ને તેમને પગાર આપવો એ બધી ઝંઝટ શું કામ? એના કરતાં એટલા પૈસાના શસ્ત્રો વસાવાય તો લોહી લોહી રમવાની મઝા તો પડે ! અને તો તો શિક્ષણ મંત્રાલય અને શિક્ષણ મંત્રીની જરૂર જ કેટલી રહે? એ જ ન હોય તો પ્રજા ઘણો બકવાસ સાંભળવામાંથી બચી જાય, એવું નહીં?

તાલિબાનમાં શિક્ષણ ઓછું છે એટલે શિક્ષણની કોઈ કિંમત નથી, ભારતમાં એના કરતાં શિક્ષણ વધારે છે એટલે પણ કોઈ કિંમત નથી. તાલિબાનમાં અશિક્ષિત હોવાને લઈને મંત્રીપદ મળે છે, ભારતમાં શિક્ષિત હોય તો મંત્રીપદ મળે જ એની કોઈ ખાતરી નથી. તાલિબાનમાં અયોગ્યને ને યોગ્ય સ્થાન મળ્યું છે, ભારતમાં યોગ્ય સ્થાને અયોગ્ય વ્યક્તિઓ પણ ગોઠવાઈ છે. શિક્ષણ અહીં પાત્રતા વગર પણ મળે છે ને એ જ રીતે પાત્રતા ન હોય તો ભ્રષ્ટતાને કારણે ચોક્કસ સ્થાનો પર વ્યક્તિઓ ગોઠવાઈ પણ જાય છે. શિક્ષણમાં સારું પણ થયું જ છે ને એવું પણ થયું છે કે અયોગ્ય વ્યક્તિઓ શિક્ષણ આપતી થઈ છે. એવું થવાથી શિક્ષણ અયોગ્ય રીતે પણ અપાયું છે કે અયોગ્ય વ્યક્તિ શિક્ષિત પણ થઈ છે. પીએચ.ડી.ના થિસિસ વિદ્યાર્થીઓએ લખ્યા જ ન હોય ને ડિગ્રી મળી હોય એવું નથી જ થયું એવું ક્યાં છે? આપણે ત્યાં ડિગ્રીની કિંમત એ રીતે ઘટી છે. એ જ રીતે રાજકીય મંત્રી થવા માટે કોઈ લાયકાત નક્કી નથી થઈ. એ જુદી વાત છે કે એ મંત્રીના મંત્રાલયમાં કામ કરનારા અધિકારીઓ અભણ નથી. મંત્રી અભણ હોય તો ચાલે, એના હાથ નીચે કામ કરતાં કોઈ પણ હોદ્દા પર દરેકની પાત્રતા નક્કી થયેલી છે.

બધાંને સમાન તક મળે એ બંધારણીય અધિકાર ભલે હોય, પણ નોકરીમાં એ અધિકાર માન્ય કરાતો નથી. અભણને સમાન અધિકારને નામે મંત્રી થવાની તક હોય તો મંત્રાલયમાં અધિકારને નામે પટાવાળો અભણ રખાતો નથી. આવું કેમ? મંત્રી અભણ ચાલી જતો હોય તો પટાવાળો કેમ ન ચાલે? આપણે પણ સરસ્વતીને અવગણી જ છે ને ! ક્યાંક, કૈંક તો ગરબડ છે. અધિકારને નામે શિક્ષણનું મહત્વ જ ન રહે એ સ્થિતિ ઇચ્છવા જેવી ખરી? પછી તાલિબાની શિક્ષણ મંત્રી ગમ્મત કરે કે પીએચ.ડી. કરતાં અમારા અભણ મુલ્લાઓ વધારે મહાન છે તો તેનો શો વાંક કાઢવો? શિક્ષણનું કોઈ જ મહત્ત્વ ન રહે એ રીતે આખું રાજકીય તંત્ર ગોઠવતું હોય તો ને એ રીતે ચાલી જતું હોય તો, કોઈ પીએચ.ડી થવા કે ગ્રેજ્યુએટ થવા શું કામ લાખો રૂપિયા ખર્ચીને કોલેજ કે યુનિવર્સિટીના ધક્કા ખાશે? નથી લાગતું કે કદી ન હતું એટલું, શિક્ષણ, આજના સમયમાં અપ્રસ્તુત થયું છે ને તે આપણે જાણી બૂઝીને થવા દીધું છે?

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 10 સપ્ટેમ્બર 2021

Loading

...102030...1,7961,7971,7981,799...1,8101,8201,830...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved