Opinion Magazine
Number of visits: 9571315
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આ વાત છે ૧૯૪૨ના કૉન્ગ્રેસ રેડિયોની અને તેની પાછળ રહેલી બાવીસ વરસની છોકરીની દેશદાઝની

દીપક મહેતા|Opinion - Opinion|15 August 2021

૧૯૪૨ના ઓગસ્ટ મહિનાની એક સાંજ. મુંબઈનાં ઘણાં ઘરોમાં લોકો રેડિયોનું ચકરડું ઘૂમાવીને એક નવું સ્ટેશન શોધી રહ્યા છે. સ્ટેશન પકડાય છે. પણ હજી કાર્યક્રમ શરૂ થયો નથી. આ સ્ટેશન પરથી આજે પહેલવહેલો કાર્યક્રમ રજૂ થવાનો છે. ઘરઘરાટી બંધ થાય છે અને બાવીસ વરસની એક છોકરીનો અવાજ ગૂંજી ઊઠે છે : “This is the Congress Radio calling on 42.34 meters from somewhere in India.” એ અવાજ હતો ઉષા મહેતાનો. પછી તો રોજ સાંજે કેટલા ય લોકો આ અવાજની રાહ જોતા. દરરોજના કાર્યક્રમની શરૂઆત થતી ‘સારે જહાં સે અચ્છા, હિંદોસ્તાં હમારા’ એ ગીતથી, અને છેલ્લે ‘વંદેમાતરમ્.’ વચમાં ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ વિશેના સમાચાર, નેતાઓનાં ભાષણ, મુલાકાત, વગેરે. ૧૯૪૨ની ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ એ જો એક નવલકથા હોય, તો આ કૉન્ગ્રેસ રેડિયો એ તેનું એક ટૂંકું પણ ઝળહળતું પ્રકરણ છે.

આ પ્રકરણની પ્રમાણભૂત, દસ્તાવેજી વિગતો, ફોટા, માહિતી વગેરેને પહેલી વાર રજૂ કરતું અંગ્રેજી પુસ્તક તાજેતરમાં જ પ્રગટ થયું છે. Congress Radio : Usha Mehta and the Underground Radio Station of 1942 નામનું આ પુસ્તક લખ્યું છે વિદૂષી ઉષાબહેન ઠક્કરે. એમની એક ઓળખાણ ડો. ઉષા મહેતાનાં વિદ્યાર્થી તરીકેની. બીજી ઓળખાણ મુંબઈના મણિભવન ગાંધી સંગ્રહાલયનાં માનદ્દ નિયામક તરીકેની. અગાઉ મુંબઈમાં એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાં અધ્યાપક હતાં. ગાંધીજીના રંગે પૂરાં રંગાયેલાં, પણ ચોખલિયા ગાંધીવાદી નહિ. મન અને વિચારો બંધિયાર નહિ, મુક્ત. પણ મક્કમ.

ડો. ઉષાબહેન ઠક્કર                                                 ડો. ઉષાબહેન મહેતા

આ વિષય પર પુસ્તક લખવાનું કેમ સૂઝ્યું એવા સવાલના જવાબમાં ઉષાબહેન ઠક્કર કહે છે કે આપણી આઝાદી માટેની લડતનું આ એક ઉજ્જવળ પ્રકરણ છે, પણ તેને અંગે લખાયું છે બહુ ઓછું. એનું એક કારણ એ કે આ પ્રકરણનાં નાયિકા ડો. ઉષાબહેન મહેતા સ્વભાવે જાતને ભૂંસી નાખનારાં. બીજું કોઈ વાત કાઢે તો પણ હસીને કહે કે ‘એમાં કોઈ મોટું કામ મેં ક્યાં કરેલું? મને આવડ્યું એ રીતે મેં તો મારી ફરજ બજાવેલી.’ એટલે આ રેડિયો સ્ટેશન વિષે પુસ્તક લખવા માટે અનેક જગ્યાએ ખાંખાખોળાં કરવાં પડે. લેખિકાએ એ કર્યાં. જે માહિતી મળી એને એકઠી કરી, ચકાસી. મળ્યા તેટલા દસ્તાવેજી પુરાવા ભેગા કર્યા. જે કથા ઉઘડતી ગઈ તેમાં સાહસ હતું, ભેદભરમ હતો, પોલીસ સાથેની સંતાકૂકડી હતી. દેશદાઝ હતી, સર ફરોસી કી તમન્ના હતી. અને આ પુસ્તકનાં લેખિકાએ એ વાતને રજૂ પણ એવી જ રીતે કરી છે. સાચને આંચ ન આવે એ રીતે વાતને રોચક બનાવીને રજૂ કરી છે.

આ રેડિયો પ્રસારણ ક્યાંથી થાય છે એ જાણવા બ્રિટિશ સરકારે ઘણા ધમપછાડા મારેલા. પણ થોડે થોડે દિવસે ઉષાબહેન મહેતા અને સાથીઓ રેડિયોનું ટ્રાન્સમિટર જૂદી જૂદી જગ્યાએ ફેરવતાં. એટલે સરકારને માહિતી મળે અને પોલીસ ત્યાં જાય ત્યાં સુધીમાં તો ટ્રાન્સમિટર બીજે ખસેડાઈ ગયું હોય! પણ છેવટે કૉન્ગ્રેસ રેડિયો માટે કામ કરતો એક ટેકનીશિયન જ ફૂટી ગયો. તે જાતે પોલીસને રેડિયો સ્ટેશન પર લઈ આવ્યો. સાંજનો કાર્યક્રમ શરૂ થવામાં હતો અને ઉષાબહેન મહેતા અને કેટલાંક સાથીઓ પકડાઈ ગયાં.

અદાલતમાં કેસ ચાલ્યો ત્યારે ક્રાંતિકારીઓનો બચાવ કરવા મોતીલાલ સેતલવાડ, કનૈયાલાલ મુનશી, અને જસ્ટિસ (નિવૃત્ત) તેંદુલકર જેવા નામી વકીલો કોર્ટમાં ઊભા રહ્યા. ઉષાબહેન મહેતાને સખત મજૂરી સાથેની ચાર વરસની સજા થઈ. તેમને યરવડા જેલમાં લઈ જવામાં આવ્યાં. બીજા સાથીઓને પણ વધતી-ઓછી સજા થઈ. રેડિયો સ્ટેશન ખાતર અભ્યાસ અધૂરો મૂકનાર ઉષાબહેન મહેતાએ ૧૯૪૭ પછી ફરી અભ્યાસ શરૂ કર્યો. પીએચ.ડી. થયાં, વિલ્સન કોલેજ અને મુંબઈ યુનિવર્સિટીમાં અધ્યાપક બન્યાં. ૧૯૮૦માં નિવૃત્ત થયાં. જો ધાર્યું હોત તો આઝાદી પછી રાજકારણમાં પડીને પદ, પૈસા, પ્રતિષ્ઠા સહેલાઈથી મેળવી શક્યાં હોત. પણ ગાંધીજીના એક સાચા અનુયાયી તરીકે આવાં બધાં જ પ્રલોભનોથી દૂર રહ્યાં. ૧૯૯૮માં ભારત સરકારે પદ્મભૂષણનું સન્માન આપીને તેમના ફાળાનો ઋણસ્વીકાર કર્યો. ઈ.સ. ૨૦૦૦ના ઓગસ્ટની ૧૧મીએ તેમનું અવસાન થયું.

ઉષાબહેન ઠક્કરે અગાઉ Gandhi in Bombay : Towards Swaraj નામના પુસ્તકમાં ગાંધીજી અને મુંબઈ શહેર વચ્ચેના સંબંધને પણ ઝીણવટપૂર્વક તપાસીને એ વિષયનું મહત્ત્વનું દસ્તાવેજીકરણ કર્યું છે. તેનો ગુજરાતી અનુવાદ ‘ગાંધી અને મુંબઈ : સ્વરાજ્યના પંથે’ નામથી પ્રગટ થયો છે. આ ઉપરાંત તેમનાં બીજાં સાતેક પુસ્તકો અંગ્રેજીમાં પ્રગટ થયાં છે, જેમાંનાં કેટલાંક તેમણે અન્યોની સાથે મળીને લખ્યાં છે.

આજે જ્યારે આપણો દેશ આઝાદીના ૭૫મા વરસમાં પ્રવેશી રહ્યો છે ત્યારે આ પુસ્તક એક અનોખા સ્વાતંત્ર્ય સેનાનીની સાચી ઓળખ કરાવીને તેમના કાર્યનો સાંગોપાંગ પરિચય કરાવે છે. પેન્ગ્વિન જેવી પ્રતિષ્ઠિત પ્રકાશન સંસ્થાએ આ પુસ્તક પ્રગટ કર્યું છે.

xxx xxx xxx

e.mail : deepakbmehta@gmail.com

Loading

સૂચિત ગાંધી આશ્રમ પ્રોજેક્ટ : સરકાર થકી ગાંધીજીની ફરી એક વાર હત્યા

રામચન્દ્ર ગુહા|Opinion - Opinion|14 August 2021

૧૯૭૯માં હું પહેલી વાર અમદાવાદ ગયો અને તેના પછીના દાયકામાં વ્યાવસાયિક અને  વ્યક્તિગત બંને કારણોસર ત્યાં ઘણી વખત જવાનું થતું રહ્યું. ત્યાર બાદ મેં ગાંધી પરનું મારું સંશોધન શરૂ કર્યું અને આ શહેર સાથેનું મારું જોડાણ વધ્યું. ૨૦૦૨ના આરંભે ગુજરાતમાં ભીષણ રમખાણો થયાં, તેના તરત પછીના ઉનાળામાં હું અમદાવાદ ગયો, ત્યારે સ્વાભાવિક રીતે જ મેં સાબરમતી આશ્રમની મુલાકાત લીધી. ત્યાં મેં આશ્રમના એક ટ્રસ્ટી સાથે કેટલોક સમય વાત કરી. ખુદ વિશે બોલવામાં સંકોચશીલ અને નમ્ર એવા આ ટ્રસ્ટીએ ગાંધીની સેવામાં ત્રીસ વર્ષ ગાળ્યાં હતાં. વાતચીત દરમિયાન એમણે મને કહ્યું કે ગુજરાતનાં ૨૦૦૨નાં રમખાણો ‘બીજી વારની ગાંધીહત્યા’ હતી.

૨૦૦૨નાં રમખાણો તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીની રહેમનજર હેઠળ થયાં હતાં. મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારામાં કેળવાયેલા છે. સંઘની સાંપ્રદાયિક અને વિદેશીઓને તિરસ્કારવાની (xenophobic) વિચારધારા ગાંધીના વિશાળ અને ઉદાર વિશ્વદર્શનની તદ્દન વિરુદ્ધ છે. મોદી સંઘના સરસંઘચાલક મ.સ. ગોળવલકરની આભામાં મોટા થયા છે. ગોળવલકરનો ગાંધી માટેનો જાણીતો  અણગમો નોંધાયેલો છે. ૧૯૪૭ના એક જાહેર ભાષણમાં ગોળવલકરે કહ્યું હતું : ‘મહાત્મા ગાંધી લોકોને લાંબા સમય માટે ગેરમાર્ગે દોરી ન શકે. આપણી પાસે એવા રસ્તા છે કે જેના થકી આવા લોકોને તરત જ ચૂપ કરી શકીએ, પણ આપણી એ પરંપરા છે કે આપણે હિન્દુઓ તરફ વેરભાવ ન રાખીએ. પણ જો આપણને ફરજ પાડવામાં  તો આપણે એ રસ્તો પણ અપનાવવો પડે.’

મોદી માટે ગોળવલકર ‘પૂજ્યશ્રી ગુરુજી’ હતા. મોદીએ એમની કારકિર્દીમાં ગોળવલકરનો ખૂબ આદર કરતા રહ્યા છે, પણ ગાંધી વિશે તેમણે ભાગ્યે જ કંઈ વિચાર્યું હશે. ગુજરાતના મુખ્ય મંત્રીપદના વર્ષોમાં તેઓ ગાંધી આશ્રમ બહુ વખત ગયા નથી.  જો કે વડા પ્રધાન બન્યા બાદ તેમને આ સ્થળમાં ઊંડો રસ જાગ્યો છે. જાપાન અને ઇઝરાયેલના વડા પ્રધાનો તેમ જ ચીન અને અમેરિકાના પ્રમુખોએ જ્યારે ગાંધી આશ્રમની મુલાકાત લીધી, ત્યારે મોદીએ બિલકુલ વ્યક્તિગત રીતે એસ્કૉર્ટ બનીને તેમને આશ્રમ બતાવ્યો.

ગાંધી આશ્રમના ઘણા ટ્રસ્ટીઓ અને કર્મચારીઓ ગાંધી વિશે ઊંડી જાણકારી ધરાવે છે. પણ તેમનામાંથી કોઈને વિદેશી મહાનુભાવોના એસ્કૉર્ટ બનવાનું કહેવાને બદલે, ગાંધીજીની નિંદા અને તેમના તિરસ્કારમાં માનનારી વિચારધારામાં ઘડાયેલ વ્યક્તિ એવા મોદીએ પોતે વિદેશી મહેમાનોને આશ્રમ બતાવવાનો આગ્રહ રાખ્યો. એ વખતે કૅમેરામૅનને સૂચના આપવામાં આવી હતી કે ફ્રેમમાં માત્ર ભારતના વડાપ્રધાન અને મુલાકાત લેવા આવેલા રાષ્ટ્રપ્રમુખ જ આવવા જેઈએ. તેમને એમ પણ કહેવામાં આવ્યું હતું કે ગાંધી રહ્યા હતા તે બાપુ કુટિર, ગાંધીજીની પ્રાર્થનાની જગ્યા અને તેમના ચરખા જેવી, આશ્રમની વિશિષ્ટતાઓ હાવભાવ અને હસ્તનિર્દેશ દ્વારા મુલાકાતીઓને બતાવી રહેલાં મોદીનું દૃશ્યાંકન કરવું, જેને કારણે ગાંધીનાં જીવન અને સંદેશ વિષય પરની અધિકારી વ્યક્તિ તરીકેના મોદીની છાપ ઊભી થાય.

ગાંધી માટેનો લગાવ જાહેરમાં બતાવવા માટેની વડા પ્રધાનની ઇચ્છાને શી રીતે સમજાવી શકાય ? એમ જણાય છે કે પોતાની મહત્તા વધારવા માટેની મોદીની ઇચ્છાએ તેમની પહેલાંની  રાજકીય નિષ્ઠા અને વૈચારિક જોડાણોને પાછળ ધકેલી દીધાં છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં ગાંધી વિશે ભારે સંદિગ્ધતા છે. મોદીભક્તો સોશિયલ મીડિયામાં ગાંધીનો ખુલ્લેખુલ્લો વિરોધ કરે છે. પણ મોદી જાણે છે કે ગાંધી – આજકાલની ભાષામાં કહીએ તો – એવી ભારતીય ‘બ્રાન્ડ’ છે કે જેને આખી દુનિયા જુએ છે અને પસંદ પણ કરે છે. એટલે જાપાન, ચીન, ઇઝરાયેલ, ફ્રાન્સ, અમેરિકા, રશિયા, જર્મની – ગમે ત્યાં હોય, મોદીએ ગાંધીને પોતાના નિંદાભાવ છતાં પણ સાધન તરીકે સાથે રાખવા પડે.

મોદી વડા પ્રધાન બન્યા ત્યારથી તેમણે ગાંધીમાં બતાવેલા રસ છતાં નૈતિક અને વૈચારિક રીતે તેમની અને ગાંધીજીની વચ્ચે જે ખાઈ છે, તે ક્યારે ય ન પુરાય તેવી રહેવાની. વડા પ્રધાન જે પક્ષના છે, તેના ત્રણસો જેટલા લોકસભા સાંસદોમાં એક પણ મુસ્લિમ સાંસદ નથી. આ પક્ષની બનેલી સરકારે મુસ્લિમોને બદનામ કરનારા અને તેમની તરફ ભેદભાવ રાખનાર સંખ્યાબંધ વિધેયકો પસાર કર્યાં છે. આ એવું રાજકારણ છે કે જેનો કોમી સંવાદિતાના પેગંબર એવા ગાંધીએ આખી જિંદગી વિરોધ કર્યો હતો. જે માણસે પોતાના ભૂતકાળને કલ્પનાનો બેસુમાર ઉપયોગ કરીને સજાવ્યો હોય; અને જેના શાસનમાં અર્થવ્યવસ્થા, આરોગ્ય અને બીજી બધી જ બાબતોને લગતા આંકડા સાથે પદ્ધતિસર ચેડાં કરવામાં આવ્યાં હોય તે માણસ સત્યમેવ જયતે કહેનાર વ્યક્તિથી જોજનો દૂર છે. ખરેખર તો આ શાસનનાં જૂઠાણાં અને દેખાડા એટલાં બધાં સર્વવ્યાપી છે કે મારા ઓળખીતા એક લેખક કહે છે કે આ શાસકપક્ષનો મુદ્રાલેખ ‘અસત્યમેવ જયતે’ હોવો જોઈએ.

ગાંધી એટલે સત્ય, પારદર્શિતા અને બહુધાર્મિકતા (religious pluralism). મોદી એટલે કપટ, ગુપ્તતા અને બહુમતવાદ (majoritarianism). આમ હોય ત્યારે મોદી ગાંધી સાથે કોઈ સંબંધ હોવાનો દાવો શી રીતે કરી શકે ? તર્ક અને નૈતિકતા બતાવે છે કે આવો સંબંધ હોઈ ન શકે, પણ સત્તા અને મહાત્ત્વાકાંક્ષાની માંગ આ સંબંધને અનિવાર્ય બનાવે છે. એટલા માટે સાબરમતી આશ્રમને ‘વર્લ્ડક્લાસ’ અર્થાત્ ‌વૈશ્વિક સ્તરની શ્રેષ્ઠતા ધરાવતું સ્મારક બનાવવાના બહાના હેઠળ આ પ્રકલ્પ સૂચવવામાં આવ્યો છે. કેન્દ્ર દ્વારા પુષ્કળ પૈસાની ફાળવણી સાથેનો રાજ્યસરકાર હસ્તકનો આ પ્રોજેક્ટ સાબરમતી આશ્રમને ધરમૂળથી નવો ઘાટ આપવા માગે છે. પણ ખરેખર તો મોદીના નામને ગાંધી સાથે જોડીને મોદીનાં કાળાં કૃત્યોની તવારીખને ઊજળી બતાવવાનો  આ સહુથી નવો અને અતિશય ખરાબ પ્રયત્ન છે.

‘મારું જીવન એ જ મારો સંદેશ છે’ – એમ ગાંધી કહેતા. મોદીની જેમ એમને સ્ટેડિયમ સાથે પોતાનું નામ જોડવાની જરૂર ન પડી. તેમને ઇતિહાસમાં સ્થાન પામવા માટે પાટનગરોને નવો ઘાટ આપીને ભૂતકાળના શાસકોની મુદ્રા ભૂંસીને પોતાની છાપ ઉપસાવવાની જરૂર ન પડી. પણ સાબરમતી આશ્રમ આજે જેવો છે, તે ગાંધી અને તેમણે જે મૂલ્યો બતાવ્યાં તેના માટેનું પરિપૂર્ણ  પ્રતીક છે. આશ્રમ-પરિસરનાં મજાનાં બેઠાં મકાનો ગાંધીના સમયથી અસ્તિત્વમાં છે. વૃક્ષો અને પક્ષીઓ, પરિસર પછવાડે નદી, આશ્રમ સંકુલમાં પ્રવેશની પૂરેપૂરી છૂટ, ટિકિટ નહીં, ચોકીદાર નહીં,  બંદૂક તો જવા દો, દંડાવાળી પોલીસ પણ નહીં :  આ બધું આશ્રમની વસ્તુને — આજના ભારતનાં બીજાં કોઈ પણ સ્મારક કે મ્યૂઝિયમમાં ન હોય તેવું — એક વિશિષ્ટ, આવકારોત્સુક રૂપ આપે છે.

ગાંધીએ દક્ષિણ આફ્રિકામાં બે અને ભારતમાં ત્રણ એમ પાંચ આશ્રમો સ્થાપ્યા. તેમાંથી સાબરમતી આશ્રમ સહુથી મહત્ત્વનો છે, એ વાતમાં શંકાને કોઈ સ્થાન નથી. વર્ષોથી દેશ અને દુનિયાનાં લાખો લોકો આશ્રમની મુલાકાત લેતાં રહ્યાં છે. મુલાકાતીને આશ્રમની સાથે જોડાયેલી ઐતિહાસિક હકીકતો જેટલી જ તેના માહોલની સાદગી અને સુંદરતા પણ સ્પર્શવા વિના રહેતી નથી. 

સૌંદર્યની બાબતમાં બર્બરતા માટે અને સ્મારકવાદ (monumentalism) માટે જાણીતું શાસનતંત્ર જ્યારે સાબરમતી આશ્રમની બાબતમાં ‘વર્લ્ડક્લાસ’ શબ્દ વાપરે છે, ત્યારે ધ્રૂજી જવાય છે. વળી, આ ‘અપગ્રેડેશન’ માટે પસંદ કરવામાં આવેલ સાધન-સ્થપતિ (architect) બિમલ પટેલ છે, એ વાત વધુ બેચેન બનાવનારી છે. પટેલે કોઈ નોંધપાત્ર કામ કર્યું નથી. એમણે કરેલાં સિમેન્ટ કોંક્રિટનાં, હૂંફ વિનાનાં બાંધકામોનો સાબરમતી અને સેવાગ્રામ આશ્રમોમાંનાં ઘરો અને નિવાસો સાથે મેળ ખાતો નથી.

મોદીએ આર્કિટેક્ટ્‌સમાં માત્ર બિમલ પટેલનું જ નામ સાંભળેલું લાગે છે. દિલ્હી, વારાણસી અને અમદાવાદના બીજા સરકારી પ્રોજેક્ટોની જેમ સાબરમતી આશ્રમનો પ્રોજેક્ટ પણ લગભગ એની મેળે જ બિમલ પટેલના ખોળામાં આવીને પડ્યો લાગે છે. પ્રોજેક્ટના કામ માટે મોદીએ તેમના અંગત રીતે વિશ્વાસુ ગણાતા ગુજરાતના કેટલાક સનદી અધિકારીઓની નિમણૂક કરી છે. ‘રિડેવલપમેન્ટ’ની યોજના મોદીનાં અંદરનાં વર્તુળોએ ઘડી છે. તે ઘડતી વખતે સ્મારકો અને વારસાની જાળવણીનું જ્ઞાન ધરાવનાર સ્થપતિઓને તેમ જ ગાંધીવાદીઓ અને અભ્યાસીઓનાં સલાહ-સૂચન લેવામાં આવ્યાં નથી. આશ્રમના ટ્રસ્ટીઓને સુધ્ધાં આ યોજના અને તેની વિગતો અંગે પૂરેપૂરા અંધારામાં રાખવામાં આવ્યા હતા.

સાબરમતી આશ્રમ માટેની મોદી-યોજના ગુપ્તતાથી ઘેરાયેલી અને મળતિયાવાદ (architect)થી  અંકાયેલી છે. આ પહેલાં ૧૯૬૦ના દાયકામાં પણ આશ્રમ સંકુલમાં ફેરફાર કરવામાં આવ્યો હતો, પણ તે ધોરણસરનું  ઉમેરણ હતું. ટ્રસ્ટીઓને આશ્રમના પરિસરમાં એક નાના સંગ્રહાલયની જરૂર જણાઈ હતી, ત્યારે તેમણે સ્થપતિ તરીકે પોતાના  ગુજરાતના નહીં પણ મુંબઈના ચાર્લ્સ કોરીઆની પસંદગી કરી હતી. સ્થપતિ અલગ ધર્મના અને ભારતના જુદા પ્રદેશના હોય એ બાબત, ગાંધીના સંકુચિતતાથી દૂર રહેવાના અભિગમ સાથે બંધબેસતી હતી. વળી, કોરીઆનું કામ બધે ખૂબ વખણાયું હતું. તેમણે ડિઝાઇન કરે સંગ્રહાલયનું કદ પ્રચંડ નહીં, પણ માનવીય છે. તેની મોકળાશવાળી પરસાળને આકાશ, પ્રકાશ, જમીન, નદી એવાં તત્ત્વો (the elements) અને આજુબાજુનાં ઝાડ સાથે સંવાદ છે. વળી, મ્યૂઝિયમનું બાંધકામ આશ્રમ પરિસરમાં ગાંધીના સમયમાં કરવામાં આવેલાં  બાંધકામો સાથે ભળી જનારું છે.

અમદાવાદના એક સાથી એવી રમૂજ કરે છે કે આપણે ત્યાં ‘એક દેશ, એક પક્ષ’ એવું સદ્‌ભાગ્યે ક્યારે ય નહીં બને, પણ આપણે ‘એક દેશ’ એક સ્થપતિ’ની દિશામાં તો આગળ વધી જ રહ્યા છીએ. જો કોઈ કરોડપતિ પોતાનાં જુદાં જુદાં પ્રકારનાં ઘર-દરિયાકાંઠાનું ઘર, કસબાનું ઘર, ડુંગર પરનું ઘર અને રણનું ઘર – એના પોતાના પૈસે એક જ સ્થપતિ પાસે બનાવડાવે તો તેના માટે કોઈ નૈતિક વાંધો લઈ ન શકાય. પણ કરદાતાના પૈસે તૈયાર થનારા બધા જ મોભાદાર સરકારી પ્રોજેક્ટ્‌સનું કામ જો એક જ સ્થપતિને સોંપવામાં આવે, તો તેમાં સવાલ થાય. કોઈ એક સ્થપતિ કોઈ એક નેતા અને તેના મહિમામંડન સાથે જોડાયા હોય, એવું માત્ર સરમુખત્યારશાહી શાસનમાં જોવા મળે છે. એક જ વ્યક્તિ મંદિરો માટે જાણીતાં પ્રાચીન શહેર, આધુનિક રાજધાની અને ગાંધીનો આશ્રમ ત્રણેયને ફરીથી ડિઝાઇન કરવાની પાત્રતા ધરાવતી હોય, તે મોદીશાસનના મળતિયાવાદ અને લાગવગશાહી પર પ્રકાશ ફેંકે છે. ભારતના સ્થાપત્ય ક્ષેત્રે અને ભારતમાં આ કરતાં ઘણી સારી પરિસ્થિતિ હોય તે જરૂરી છે.

વધારે સારો અને વધુ નીડર સમાજ મોદી અને તેમના સાથીદારોની વિદ્વંસકતા ચલાવી ન લે. ખેદની વાત છે કે સાબરમતી આશ્રમનાં ટ્રસ્ટીઓ ગુજરાતનાં હોવાને કારણે વિરોધ કરતાં નથી.  તેમને કદાચ ભીતિ હશે તે બદલો લેવામાં નામચીન એવી સરકાર તેમને કે તેમનાં પરિવારજનોને  નિશાન બનાવે. મોદી અને તેમના મળતિયાઓએ રચેલી યોજનાઓ આગળ વધશે. હવે આ માણસને (મોદીને) આપણે ઓળખી ગયા છીએ, એટલે એમની યોજનાઓમાં એવું કશું જ નથી હોતું કે જેમાં એમનો સ્વાર્થ ન હોય. મોદી સાબરમતી આશ્રમને મહાત્મા માટેનાં પ્રેમ કે આદર ખાતર રિડેવલપ કરી રહ્યા નથી. તેઓ આ કરી રહ્યા છે, તે પોતાની છબીને ચમકાવવા અને પોતાના ભૂતકાળને ફરીથી લખવા માટે.

નવી દિલ્હીના સેન્ટ્રલ વિસ્ટામાં જે લૂંટ અને વિનાશ ચાલી રહ્યાં છે તેની ચોમેર ટીકા થઈ છે. પણ સાબરમતી આશ્રમનો સૂચિત વિનાશ આચરણની દૃષ્ટિએ વધુ ચિંતાજનક છે. મોદી દેશના પાટનગરની જમીન પર ગમે તેટલાં બેહૂદાં અને મોંઘાં બાંધકામો કરે તો પણ તેની કંઈક કાનૂની વૈધતા (legitimacy) છે એમ ગણી શકાય, કેમ કે એ જાહેર જમીન છે અને તેઓ દેશના ચૂંટાયેલા વડા પ્રધાન છે. ગાંધી આશ્રમની વાત સાવ જુદી છે. સાબરમતી આશ્રમ અને ગાંધી અમદાવાદના નથી, ગુજરાતના નથી, એ ભારતના સુધ્ધાં નથી : તે જન્મેલા અને નહીં જન્મેલા, અત્યારના આવતી પેઢીઓના દરેક માણસના છે. જેમની આખી જિંદગીનું કામ ગાંધીના કાર્યનું વિરોધી રહ્યું હોય તેવા રાજકારણી, અને એ રાજકારણી સાથેના મળતિયાપણાની મુખ્ય લાયકાત ધરાવતા એક સ્થપતિ – આ બંનેને મહાત્મા સાથે જોડાયેલી એક સહુથી પવિત્ર જગ્યાને બગાડી નાખવાનો કોઈ અધિકાર નથી.

[અનુવાદ : સંજય સ્વાતિ ભાવે, ‘ધ ટેલિગ્રાફ’, 17 જુલાઈ, 2021]

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑગસ્ટ 2021; પૃ. 04-06

Loading

વિસરાયેલી વિમુક્તિ

ગણેશ દેવી|Opinion - Opinion|14 August 2021

ઇતિહાસની તમામ મહત્ત્વપૂર્ણ ક્ષણો મૌનમાં આરંભાય છે અને અંતે મૌનમાં સમાઈ જાય છે. ઑગસ્ટ ૨૦૨૧નો મહિનો એવી ઘણી ચુપકીદીઓ વિશે – અને એક સદી પહેલાંની, ૧૯૨૦-૨૧ની એવી અનેક મહત્ત્વપૂર્ણ ક્ષણો જેણે આજનું ભારત ઘડ્યું તેના વિશે – વિચાર કરવાની ફરજ પાડે છે. ભારતના ઇતિહાસના એ સમયગાળામાં અનેક ઘટનાઓએ આકાર લીધો – એવી ઘટનાઓ જેણે ઈતિહાસમાં અમીટ છાપ છોડી અને એવી ઘટનાઓ પણ જેનું આજે ભારે મહત્ત્વ છે. ઑગસ્ટ ૧૯૨૦નો મોપલા બળવો આજે પણ ભૂલી ના શકાય. રાષ્ટ્ર હજુ પણ વૈવિધ્યપૂર્ણ સમાજના વિચારને પૂરેપૂરો અપનાવી શક્યો નથી. તે જ વરસે જમશેદપુરમાં તાતા સ્ટીલ ટેકનોલોજી ઈન્સ્ટિટ્યૂટની સ્થાપના સાથે ભારતમાં ઔદ્યોગિકી શહેરીકરણની શરૂઆત થઈ. પોલાદ તો આધુનિકતાની સંસ્કૃતિની કરોડરજ્જુ છે. ૧૯૨૧માં કોહિનૂર ફિલ્મ્સ કંપનીના નિર્માણ હેઠળની કાનજીભાઈ રાઠોડની ફિલ્મ ‘ભક્ત વિદુર’ પર પ્રતિબંધ મુકાયો તે પણ નોંધપાત્ર યાદગીરી છે, અને વ્હી. શાંતારામે બાબુરાવ પેન્ટરની ફિલ્મ ‘સુરેખા હરણ’માં અગ્ર અભિનેતા તરીકે કારકિર્દી આરંભી તે પણ. ભારત નામની એક સામૂહિકતાની રાષ્ટ્ર નામની એક અભિલાષાનો ઇતિહાસ આલેખવામાં આ કચકડાનાં સપનાંની કોઈ જોડ નથી. આ બે મૂક ચલચિત્રોએ – શબ્દશઃ ચુપકીદી સાથે – એ અભિલાષાની ખેંચતાણ માંડી, જે દેશને એક જ સમયે પાછળ મિથકોના યુગમાં અને આગળ આધુનિકતાના યુગમાં લઈ ગઈ.

પરંતુ, ૧૯૨૦-૨૧ની એ દુનિયા ભારત બહાર જોઈએ તો ૧૯૧૪-૧૯૧૮ના વિશ્વયુદ્ધ પછી ભયાવહ રીતે બદલાઈ ચૂકી હતી અને ભારતની અંદર જોઈએ તો અશાંતિ વધી રહી હતી, તે અરસામાં ઘણી વધારે નોંધપાત્ર ઘટના હતી ડો. ભીમરાવ આમ્બેડકરના સાપ્તાહિક ‘મૂકનાયક’નું આગમન. અગ્રણી દૈનિકો દલિતોનાં લખાણ પ્રસિદ્ધ કરવા તૈયાર નહોતાં, એટલે કોલ્હાપુરના પ્રગતિવાદી રાજકુમાર શાહુની આર્થિક સહાયથી ‘વૈકલ્પિક મીડિયા’ તરીકે મૂકનાયક શરૂ કરવામાં આવ્યું હતું. આમ તો એ પ્રકાશન લાંબો સમય ના ચાલી શક્યું, પણ હાંશિયે મુકાયેલાઓની અધિકાર માટેની લડતની શરૂઆતનું તે ચિહ્ન બન્યું.

બીજી પણ ત્રણ નિઃશબ્દ શરૂઆતો થઈ જેની સંયુક્ત અસર જોતાં તેનો ઉલ્લેખ કરવો ઘટે. ‘આશ્રમ’ એટલે પરિવર્તન માટેનું સ્થાન એવો પ્રાચીન વિચાર એ ત્રણેયે અપનાવ્યો. આ ત્રણ પ્રારંભોના કર્તા વેદકાળના ઋષિમુનિઓની યાદ અપાવે તેવા હતા, અને સૌ તેમને ગુરુદેવ, મહાત્મા અને મહર્ષિ તરીકે ઓળખતા થયા. ૧૯૨૦-૨૧નો ગાળો એ ત્રણેય વ્યક્તિઓ માટે આમૂલ પરિવર્તનનો સમય હતો. રવીન્દ્રનાથ ટાગોર (૧૮૬૧-૧૯૪૧), મોહનદાસ કરમચંદ ગાંધી (૧૮૬૯-૧૯૪૮) અને અરવિંદ ઘોષ (૧૮૭૨-૧૯૫૦) – એ ત્રણેમાં અરવિંદ ઉંમરમાં સૌથી નાના હતા. આઝાદીથી બરાબર ૭૫ વરસ પહેલાં ૧૫મી ઑગસ્ટે તેમનો જન્મ થયો હતો, અને બંગભંગ પછીનાં વરસોમાં અંગ્રેજ શાસનનો વિરોધ કરવામાં તેમણે અગ્રણી ભૂમિકા ભજવી હતી. દેશદ્રોહના ગુના હેઠળ તેમને એક વરસની કારાવાસની સજા થઈ હતી, પછી તેમણે તેમની શક્તિઓ ‘ઈશ્વર’ વિશેના રૂઢિવાદી વિચારને પડકારવાના હેતુ સાથે ભારતીય દર્શનની વિવિધ શાખાઓના પુનરાધ્યયન કરવા તરફ વાળી. પુડુચેરી સ્થાયી થઈને તેમણે પરંપરાનાં નવાં અર્થઘટનો સર્જ્‌યાં, આ વિષય પરની દરેક નિષ્ણાત-સત્તાને પડકારી, અને અનન્ય ઊર્જા સાથે શ્રેષ્ઠ દાર્શનિક સાહિત્યનું સર્જન કર્યું. તેમના નિબંધો પહેલાં તેમના સામયિક ‘આર્ય’માં પ્રસિદ્ધ થયા અને પછી પુસ્તકાકારે એકઠા થયા – ધ લાઈફ ડિવાઈન, ધ સિન્થેસિસ ઓફ યોગ, એસેઝ ઓન ગીતા, ધ સિક્રેટ્‌સ ઓફ વેદ, હાઈમ્સ ટુ ધ મિસ્ટિક ફાયર, ધ રનેસોંસ ઓફ ઈન્ડિયા, ધ હ્યુમન સાયકલ અને ફ્યુટર પોએટ્રી. દાર્શનિક અધ્યયન તરીકે આ લખાણો અનુપમ રહેશે. ૧૯૨૦માં શ્રી અરવિંદે આર્યનું પ્રકાશન બંધ કરવાનો ર્નિણય કર્યો અને તમામ પ્રકારનું લખાણકાર્ય લગભગ અટકાવી દીધું, કારણ કે તેઓ તેમની બધી શક્તિઓ તેમના ગહન આધ્યાત્મિક મહાકાવ્ય, સાવિત્રી, માટે આપવાના હતા. તે પછીના ત્રણ દાયકા તેમણે પોતાની યૌગિક શક્તિઓ દ્વારા વિશ્વમાં ચેતનાનું સ્તર ઊંચું લઈ જઈને માનવજાતમાં પરિવર્તન આણવા માટે આપી દીધા. એ સ્વપ્ન સાકાર કરવા માટે આવશ્યક હતી સામૂહિક સાધના, જે માટે પુડુચેરીમાં તેમણે આશ્રમ સ્થાપ્યો.

ત્રણમાંથી સૌથી પહેલાં જન્મેલા, અને ૧૯૨૧માં તો નોબેલ પારિતોષિક સાથે વિશ્વભરમાં ખ્યાતિ પણ પ્રાપ્ત કરી ચૂકેલા રવીન્દ્રનાથ ટાગોરે ડિસેમ્બર ૧૯૨૧માં વિશ્વભારતીનું ઉદ્‌ઘાટન કર્યું. શિક્ષણ અને સર્જનાત્મકતા માટેની આ તદ્દન નવા જ પ્રકારની સંસ્થામાં તેઓ વિશ્વમાનવનું સર્જન કરવા માગતા હતા, એવા માનવ જે સંપૂર્ણ માનવજાતનું જતન કરે. મહર્ષિ અરવિંદની જેમ ગુરુદેવ ટાગોરે પણ જે યજ્ઞ આરંભેલો તે એક જૂથ-સમુદાય કે એક રાષ્ટ્ર માટે નહિ પણ સમગ્ર વિશ્વના હિત માટે હતો. પુડુચેરી અને શાંતિનિકેતનના આશ્રમ નવા વિશ્વ માટેના નવા વિચાર ઘડવાની પ્રયોગશાળા જેવા હતા.

ગાંધીને જે આત્મ-પરિવર્તનની એષણા હતી તે આ બંને પ્રયોગો કરતાં પણ વધુ મૂળગામી હતી. ગાંધીની જૂન ૧૯૨૧ની તસવીરો અને સપ્ટેમ્બર ૧૯૨૧ની તસવીરો સરખાવીએ તો મોટો તફાવત જોવા મળે છે. જૂનમાં તેમણે કાઠિયાવાડી પોષાક પહેર્યો છે, પણ સપ્ટેમ્બરમાં તેમણે લંગોટી પહેરી છે, માથું મુંડાવેલું છે અને ટોપી પહેરી નથી. આ પહેલાં ઑગસ્ટ ૧૯૨૦માં ટિળકના અવસાન સાથે લાલ-બાલ-પાલનો એટલે કે લાલા લજપત રાય, બાલ ગંગાધર ટિળક અને બિપિન ચન્દ્ર પાલનો યુગ આથમી ગયો હતો. એ શૂન્યાવકાશમાં ગાંધી જાણે કે ઝંઝાવાતની જેમ આવ્યા, ભારતના ખૂણેખૂણાના પ્રવાસ કર્યા, કૉન્ગ્રેસનાં વિવિધ જૂથોને એકઠા કર્યા, યુવાનોને સેવાદળ સ્થાપવાની પ્રેરણા આપી અને હિન્દુ-મુસ્લિમ-ખ્રિસ્તી સૌને રાષ્ટ્રીય સ્વાતંત્ર્યસંગ્રામમાં જોતર્યા. ઑક્ટોબર ૧૯૨૦માં તેમણે ર્નિભયી સમાજસેવીઓ તૈયાર કરવા ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી અને ડિસેમ્બર ૧૯૨૧માં કલકત્તા અધિવેશનમાં તેમણે કૉન્ગ્રેસનું સુકાન સંભાળ્યું.

એ પછી જે બન્યું તેમાં તો ઇતિહાસ રચાયો. ભારતમાં ગાંધીના આશ્રમજીવનનાં આ શરૂઆતનાં વરસો હતાં. પહેલાં તેમણે કોચરબમાં આશ્રમ સ્થાપેલો, પછીથી સાબરમતીના તીરે, શહેરથી થોડે બહાર નવો આશ્રમ સ્થાપ્યો. મૂળ નામકરણ થયેલું સત્યાગ્રહ આશ્રમ, પણ નદીના નામે તે સાબરમતી આશ્રમ તરીકે ઓળખાતો થયો. એક દાયકા પછી દાંડીકૂચ વખતે અંગ્રેજ સામ્રાજ્યના પાયા હચમચાવી નાખવાની જે શક્તિ ગાંધીમાં હતી તે આ આશ્રમના વાતાવરણમાં, તેના સિદ્ધાન્તોમાં અને તેની સાદગીમાં ઘડાયેલી.

આ ત્રણ આશ્રમોએ આપણો ઇતિહાસ સર્જ્‌યો છે, ચાહે આપણે એ યાદ રાખીએ કે પછી ભૂલવાનું પસંદ કરીએ.

૨૦૨૧માં સાબરમતી આશ્રમ પર જોખમ તોળાઈ રહ્યું છે. તેને વિશ્વ કક્ષાનું પ્રવાસી ધામ બનાવવાનું આયોજન થયું છે. તે હેતુસર સરકારે રૂ. ૧,૨૦૦ કરોડ ફાળવ્યા છે. જે સ્થપતિને દિલ્હીની ચર્ચાસ્પદ સેન્ટ્રલ વિસ્ટા પરિયોજના સોંપવામાં આવી છે, તેમને જ આશ્રમ પરિસરને આધુનિક બનાવવાની જવાબદારી સોંપાઈ છે. ગાંધી માટે સાદગીના સદ્‌ગુણનું મહત્ત્વ જરા ય ઓછું અંકાય એવું નહોતું. તેમણે એ જ સાદગીથી આ આશ્રમ ઊભો કર્યો. એ સાદગીના આધારે જ આ જગ્યા વિશ્વ કક્ષાની હતી અને આજે પણ છે. ત્યાં વી.આઈ.પી. ગેસ્ટહાઉસ અને સભાગૃહ ઊભાં કરાતાં ગાંધી ભુલાઈ જશે.

બધી રીતે જોતાં એમ લાગે છે કે સાબરમતી આશ્રમને નવો ઓપ આપવાનો હેતુ વિસ્મૃતિ પેદા કરવાનો છે, નહિ કે ગાંધીના વિચાર અને હિંમતને યાદ રાખવાનો. જે શાસન તેમના દુષ્પ્રચારનાં કારખાનાં મારફતે સતત આપણને આપણી આઝાદીની ચળવળ ભુલવાડવા મથે છે, ટાગોરે જેની વાત કરી તે મનની મુક્તિ અને શ્રી અરવિંદને જેનું દર્શન હતું તે આત્માની મુક્તિ ભુલાવવા મથે છે, તે શાસન પાસેથી બીજી કોઈ અપેક્ષા રાખી પણ ન શકાય.                                     

અનુવાદ : આશિષ મહેતા

ગણેશ દેવી સાહિત્ય વિવેચક અને સાંસ્કૃતિક કર્મશીલ છે. (સૌજન્યઃ ‘ધ ટેલિગ્રાફ’)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑગસ્ટ 2021; પૃ. 07-08

Loading

...102030...1,7861,7871,7881,789...1,8001,8101,820...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved