Opinion Magazine
Number of visits: 9456360
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આતંકવાદી હુમલા માટે ભારતના મુસ્લિમો જવાબદાર કે સરકાર? 

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|23 April 2025

હેમન્તકુમાર શાહ

(૧) જ્યારે પણ પાકિસ્તાનની ધરતી પરનાં આતંકવાદી જૂથો દ્વારા ભારતમાં આતંકવાદી હુમલા થાય છે ત્યારે ભારતના મુસ્લિમો પર હિન્દુઓ દ્વારા દોષારોપણ કરવાની એક હિન્દુત્વવાદી ફેશન થઈ પડી છે. 

(૨) આતંકવાદી હુમલા સાથે ભારતના મુસ્લિમોને કશો સંબંધ હોતો નથી, સિવાય કે તેમણે તેમાં કોઈ પણ રીતે સાથ આપ્યો હોય, અથવા તો તેઓ પોતે હુમલા કરતા હોય, અથવા તેઓ પોતે આતંકવાદી જૂથો સાથે ભળેલા હોય. 

(૩) આતંકવાદી હુમલા સામે રક્ષણ કેવી રીતે મળે? એ હુમલા કરનારાને પકડવામાં આવે અને કાયદા મુજબ સજા થાય તેમને. એ જવાબદારી સરકારની નહીં? 

(૪) પુલવામા હોય કે પહેલગામ, સવાલ એ છે કે જો પાકિસ્તાનથી આતંકીઓ આવ્યા હોય તો સરહદે આપણું લશ્કર શું કરે છે? સરહદથી ૫૦-૬૦ કિલોમિટર ભારતમાં અંદર આવે કેવી રીતે આતંકીઓ? ભારતના આશરે ૧૩ લાખના લશ્કરમાંથી લગભગ પાંચ લાખનું લશ્કર માત્ર જમ્મુ અને કાશ્મીરમાં છે એ યાદ રાખવું જોઈએ. 

(૫) સરહદે તારની વાડ બનાવાઈ જેવી સલામતીની જાતજાતની જડબેસલાખ વ્યવસ્થા છતાં ઘૂસણખોરી થાય તો એ વ્યવસ્થા કેવી પોલી કહેવાય!  

(૬) સરહદે થતી ઘૂસણખોરી લશ્કર અને ગુપ્તચર ખાતાની એ નિષ્ફળતા કહેવાય કે નહીં? એ બંને એટલે અત્યારે મોદી સરકાર, એટલે એ સરકારની નિષ્ફળતા કહેવાય કે નહીં? યાદ રહે કે, ૨૦૦૧માં અમેરિકા પર અલ કાયદા દ્વારા હુમલા થયા બાદ એક પણ આતંકવાદી હુમલો થયો નથી ત્યાં. 

(૭) આ વર્ષના બજેટમાં ₹ ૬.૮૧ લાખ કરોડનું બજેટ સંરક્ષણ માટે છે. આટલા જંગી ખર્ચ છતાં સલામતીની ખાતરી શું? આ પૈસા તો લોકોના જ છે ને! આતંકવાદી હુમલાના લાંબા ઇતિહાસ પછી પણ સરકારો એ રોકવામાં નિષ્ફળ કેમ જાય છે? આ સવાલ પૂછવાનો નાગરિકો તરીકે આપણને સૌને અધિકાર છે. કારણ કે, આંતરિક અને બાહ્ય સલામતી એ રાજ્યનું સૌ પ્રથમ કાર્ય છે. 

(૮) ભારતમાંનાં તમામ મુસ્લિમ સંગઠનોએ આતંકવાદી હુમલાને વખોડવા માટે જાહેરમાં આગળ આવવું જ જોઈએ. તો જ હિન્દુત્વવાદી સંગઠનો જે ખોટો પ્રચાર કરે છે એને ટેકો ન મળે. 

(૯) પાકિસ્તાન સાથે આતંકવાદી સંગઠનોની બાબતમાં શું કરવું જોઈએ એ સરકારે નવેસરથી વિચારવાની જરૂર છે. છપ્પનની છાતી ત્યાં પણ દેખાડવાની જરૂર ના કહેવાય? 

(૧૦) આતંકવાદી હુમલા એ મૂળભૂત રીતે કાયદો અને વ્યવસ્થાનો સવાલ છે તેમ જ રાજકીય પ્રશ્ન પણ છે. બંને રીતે તેનો ઉકેલ યોગ્ય ઠરે, દેશના મુસ્લિમોને તેને માટે વગર કારણે દોષી ઠેરવ્યા વિના. 

અને હા,

(૧૧) ૮ નવેમ્બર, ૨૦૧૬ના રોજ નોટબંદી જાહેર થયેલી ત્યારે નરેન્દ્ર મોદીએ કહેલું કે તેનાથી આતંકવાદ ખતમ થઈ જશે. આઠ વર્ષ થઈ ગયાં, ખતમ થયો આતંકવાદ? ૨૦૧૬થી અત્યાર સુધીમાં મોટા ૧૯ આતંકવાદી હુમલા થયા છે. 

તા.૨૩-૦૪-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ગાંધીજીની પ્રસ્તુતતા

રામચંદ્ર ગુહા [અનુવાદ : ઉર્વીશ કોઠારી]|Gandhiana|21 April 2025

થોડા સમય પહેલાં એક સ્નેહીના સૂચનથી, સમયની અનુકૂળતા મુજબ, રામચંદ્ર ગુહાના એક લેખનો અનુવાદ કર્યો હતો. તે અહીં મુકયો છે. સાથે તેની લિન્ક પણ છે. લેખનું મથાળું છે : 

(બ્લોગલિન્કઃ  http://urvishkothari-gujarati.blogspot.com/…/blog-post… )

*

કારણ 1

ગાંધીજીએ ભારતને અને જગતને અન્યાયી સત્તાધીશો સામે હિંસાના પ્રયોગ વિના લડવાનું સાધન આપ્યું. નવાઈની વાત એ છે કે સત્યાગ્રહના વિચારનો જન્મ જોહાનિસબર્ગના એમ્પાયર થિએટરમાં સપ્ટેમ્બર 11, 1906ના રોજ થયો હતો, જ્યાં રંગભેદગ્રસ્ત કાયદાનો વિરોધ કરવા માટે ગાંધીજીના નેતૃત્વ હેઠળ ભારતીયોની સભા મળી હતી. તેનાં 95 વર્ષ પછી ત્રાસવાદીઓએ વર્લ્ડ ટ્રેન્ડ સેન્ટર ઉડાડી દીધું. બે 9/11 : એકમાં અહિંસક લડતના રસ્તે ન્યાયની માગણી તથા અંગત બલિદાન; બીજામાં હિંસા અને બળપ્રયોગના રસ્તે શત્રુને ડારવાનો ઇરાદો.

ઇતિહાસે દર્શાવી આપ્યું છે કે અન્યાયનો મુકાબલો કરવાના મામલે બીજા વિકલ્પોની સરખામણીમાં સત્યાગ્રહ વધારે નૈતિક તેમ જ વધારે અસરકારક નીવડ્યો છે. દક્ષિણ આફ્રિકામાં અને ભારતમાં તેના પ્રયોગો પછી ગાંધીજીની એ પદ્ધતિનું અનુકરણ બીજાં ઘણાં ઠેકાણે થયું, જેમાં અમેરિકામાં કાળા લોકોએ આદરેલી નાગરિક અધિકારોની લડત સૌથી નોંધપાત્ર હતી.

કારણ 2

દેશ અને દેશની સંસ્કૃતિ માટેનો ગાંધીજીનો પ્રેમ, જેના કારણે તેમાં રહેલી અનેક વિકૃતિઓને ઓળખીને તેને સુધારવા માટે તેમણે પ્રયાસ કર્યો. ઇતિહાસકાર સુનિલ ખીલનાનીએ એક વાર કહ્યું હતું કે ગાંધીજી ફક્ત અંગ્રેજો સામે જ નહીં, ભારત સામે પણ લડી રહ્યા હતા. ગાંધીજી તેમના – આપણા સમાજમાં રહેલી ઊંડી અને વ્યાપક અસમાનતાને પિછાણતા હતા. અસ્પૃશ્યતા સામેની તેમની ઝુંબેશ ભારતીયોને સ્વરાજ માટે વધુ લાયક બનાવવાની ઇચ્છાનું પરિણામ હતી. તે નખશીખ નારીવાદી ન હોવા છતાં, મહિલાઓને જાહેર જીવનમાં આણવા માટે તેમણે ઘણું કર્યું.

કારણ 3

ધર્મિષ્ઠ હિંદુ હોવા છતાં તેમણે ધર્મના આધારે નાગરિકતાના ખ્યાલનો ઇન્કાર કર્યો. જ્ઞાતિપ્રથાએ હિંદુઓને ઊભા વહેર્યા છે, તો ધર્મે ભારતને આડું વહેર્યું છે. આ ઊભા અને ઘણી વાર ઐતિહાસિક રીતે આમનેસામને રહેલા વિભાગો વચ્ચે સેતુ બનાવવા માટે ગાંધીજી મથતા રહ્યા. હિંદુ-મુસલમાન એકતા તેમની કાયમી નિસબત રહી. એના માટે તે જીવ્યા અને આખરે, તેના માટે મૃત્યુ વહોરવા પણ તૈયાર રહ્યા.

કારણ 4

ગુજરાતી સંસ્કૃતિમાં તરબોળ હોવા છતાં અને ગુજરાતી ભાષા પર તેમનું પ્રભુત્વ હોવા છતાં, તે સંકુચિત પ્રાંતવાદી ન હતા. પોતાના સિવાયના ધર્મો માટે તેમના મનમાં આદરપ્રેમ હતાં. એવી જ રીતે ગુજરાતી સિવાયની ભાષાઓ માટે પણ તેમના મનમાં આદરભાવ રહ્યો. ભારતના ધાર્મિક અને ભાષાકીય વૈવિધ્ય માટેની તેમની સમજ વિદેશનિવાસ દરમિયાન વધારે ઊંડી બની, જ્યાં તેમના સાથીદારો તરીકે હિંદુઓની સાથોસાથ મુસલમાનો અને પારસીઓ પણ હતા, ગુજરાતીઓની સાથે તમિલો પણ હતા.

કારણ 5

તે દેશભક્ત હોવાની સાથે વૈશ્વિક પણ હતા. ભારતીય સંસ્કૃતિની સમૃદ્ધિ અને તેના વારસાની કદર કરવાની સાથે તેમને એ પણ ખ્યાલ હતો કે વીસમી સદીમાં કોઈ પણ દેશ કૂવામાંનો દેડકો બનીને રહી શકે નહીં. બીજાના આયનામાં જાતને જોવાના પણ ફાયદા હોય છે. તેમની પર ભારતીય તેમ જ પાશ્ચાત્ય બંને પ્રકારના પ્રભાવ હતા. તેમના તાત્ત્વિક અને રાજકીય દૃષ્ટિબિંદુમાં તોલ્સ્તોય અને રસ્કિન જેટલા જ ગોખલે અને રાયચંદભાઈ (શ્રીમદ્દ રાજચંદ્ર) હતા. વિવિધ વંશીય ઓળખ ધરાવતા લોકો સાથે તેમની ગાઢ દોસ્તી થઈ. તેમાં હેન્રી અને મિલિ પોલાક, હર્મન કેલનબેક અને સી.એફ. એન્ડ્રુઝ જેવા તેમના મિત્રોનો સમાવેશ થાય. તે સૌએ તેમના અંગત અને જાહેર જીવનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી.

અહીં થોભીને એટલું અંકે કરવું જોઈએ કે ગાંધીજીના વારસા જેવી આ પાંચ બાબતો ન હોત, તો સ્વતંત્ર ભારતે કદાચ સાવ જુદો રસ્તો લીધો હોત. ગાંધીજી હિંસાને બદલે સંવાદને પ્રાધાન્ય આપતા હતા, એટલે (નિર્ણયો લેવામાં હિંસાનો રસ્તો અપનાવનારા એશિયા અને આફ્રિકાના મોટા ભાગના દેશોની માફક) ભારતમાં એકપક્ષીય આપખુદશાહી રાજ્યવ્યવસ્થાને બદલે બહુપક્ષીય લોકશાહી સ્થપાઈ. ગાંધીજી અને ડો. આંબેડકર જેવા લોકોએ જાતિ અને જ્ઞાતિની સમાનતા પર ભાર મૂક્યો હોવાને કારણે, તે સિદ્ધાંતોનો ભારતના બંધારણમાં સમાવેશ થયો. ગાંધીજી અને જવાહરલાલ નેહરુએ ધાર્મિક અને ભાષાકીય સ્વતંત્રતાનો આગ્રહ રાખ્યો હોવાથી, બીજા ઘણા દેશોમાં બન્યું તેનાથી વિપરીત, ભારતે કોઈ એક ધર્મ કે ભાષાના ચડિયાતાપણાને આધારે નાગરિકતા નક્કી ન કરી.

આંબેડકર અને નેહરુના દાખલા પરથી સ્પષ્ટ થાય છે તેમ, લોકશાહી મૂલ્યો અને સમાવેશક રાજકીય સંસ્કાર કેવળ ગાંધીજીની દેન હતી, એવું કહેવાનો આશય નથી. અલબત્ત, વ્યક્તિગત નેતાગીરી અને લોકશાહી, સાંસ્કૃતિક વિવિધતા તથા સામાજિક સમાનતા અંગે વારંવારના આગ્રહ થકી ગાંધીજીની ભૂમિકા અત્યંત મહત્ત્વની હતી.

કારણ 6

ગાંધીજી જમાના કરતાં આગળ રહેલા પર્યાવરણવાદી હતા. અવિરત વૃદ્ધિ અને ગ્રાહકવાદથી કેવો ધબડકો સર્જાશે તેનો અંદાજ તેમને હતો. ડિસેમ્બર 1928માં તેમણે લખ્યું હતું, ‘ઈશ્વર હિંદુસ્તાનને યંત્રયુગથી અને સંસારને યંત્રમય હિંદુસ્તાનથી બચાવો. આજે એક મૂઠી જેટલી કોમ (ઇંગ્લેન્ડ) આર્થિક લૂંટને પંથે ચડી આખા જગતની જંગલી અભણ ગણાતી કોમોના પેટ ઉપર પગ મૂકીને બેઠેલી છે. જો 33 કરોડ લોકોની પ્રજા આ માર્ગે ચડે તો આખા સંસારને વેરાન કરી નાખે.’ આ એકદમ સાચું ભવિષ્યદર્શન છે. પશ્ચિમે આરંભેલા અઢળક મૂડી, અઢળક સંસાધનો અને અઢળક ઊર્જા હજમ કરી જતા ઔદ્યોગિકીકરણના રસ્તે આગળ ચાલતા ચીન અને ભારતને કારણે ખરેખર દુનિયા ઉજ્જડ થઈ જવાનો ખતરો છે. પોતાના જીવન અને કાર્યમાં ગાંધીજીએ સંયમ અને જવાબદારીની હિમાયત કરી, જેના વ્યાપક સ્તરે સ્વીકાર ઉપર પૃથ્વીનું ભવિષ્ય આધાર રાખે છે.

કારણ 7

ગાંધીજીમાં નીતનવા પ્રસંગો અને અનુભવો સાથે વિકસવાની અને ઉત્ક્રાંત થવાની ક્ષમતા હતી. વિખ્યાત અર્થશાસ્ત્રી જોન કેન્સના નામે ચડેલું એક અવતરણ છે, ‘હકીકતો બદલાય, ત્યારે હું મારું મન પણ બદલું છું. તમારું કેમ છે?’ હકીકતમાં ગાંધીજીએ 1934માં કહ્યું હતું, ‘મારાં વચનોમાં સર્વકાળે અવિરોધ હોવો જ જોઈએ એવો આગ્રહ કદી રાખ્યો નથી. જે ક્ષણે મને જે સત્ય ભાસે તે પ્રમાણે હું બોલું ને આચરું તો મારાં વાણી ને આચરણમાં ગમે એટલા વિરોધો બતાવવામાં આવે એની મને પરવા નથી.‘

પોતાના જીવનકાળ દરમિયાન ગાંધીજીએ ખાસ કરીને ત્રણ મહત્ત્વની બાબતોમાં તેમના વિચાર બદલ્યા.

એ ત્રણ બાબતો હતીઃ વંશીયતા (રેસ), જ્ઞાતિ (કાસ્ટ) અને જાતિ (જેન્ડર). આ ત્રણે મુદ્દે અગાઉ તેમના મનમાં રહેલા પૂર્વગ્રહોને બદલે તેમણે વધારે પ્રગતિશીલ ભૂમિકા અપનાવી. સભાન વિચાર વગરના વંશવાદી વલણથી શરૂઆત કરીને તે વંશવાદના મુખ્ય વિરોધી બન્યા. જ્ઞાતિઆધારિત ઊંચનીચના ભદભાવને અચકાતાં-ખચકાતાં પડકાર આપવાનું શરૂ કર્યા પછી તેમણે તેનો સીધો અને ખુલ્લો પ્રતિકાર કર્યો. મહિલાઓને બિનરાજકીય ભૂમિકામાં રાખતાં રાખતાં છેવટે તેમણે મહિલાઓને સંપૂર્ણપણે જાહેર જીવનમાં અને આઝાદીની લડાઈમાં સામેલ કરી.

કારણ 8

ગાંધીજીમાં અનુયાયીઓમાંથી નેતા બનાવવાની ગજબ ફાવટ હતી. તે પ્રતિભાને પિછાણતા, તેને પોષતા-વિકસાવતા અને પછી તેને સ્વતંત્રપણે આગળ જવા દેતા. તેમની આસપાસ ઉમેટેલા અનુયાયીઓમાંથી કેટલા ય સ્વતંત્રપણે ઇતિહાસના ઘડવૈયા બન્યા. તેમના અનુયાયીમાંથી નેતા બનેલા લોકોમાંથી કેટલાંક મહત્ત્વનાં નામઃ જવાહરલાલ નેહરુ, વલ્લભભાઈ પટેલ, કમલાદેવી ચટ્ટોપાધ્યાય, સી. રાજગોપાલાચારી, ઝાકિર હુસૈન, જે.બી. કૃપાલાણી, જે.સી. કુમારપ્પા, સરલાદેવી (કેથરીન મેરી હેલમેન) અને બીજાં ઘણાં.

ભાવિ નેતાઓ ઉછેરી શકવાની ગાંધીજીની ક્ષમતા ભારતના સૌથી પ્રભાવશાળી ત્રણ વડાપ્રધાનોની સરખામણીએ વિરોધાભાસ સર્જે છે. જવાહરલાલ નેહરુ, ઇન્દિરા ગાંધી અને નરેન્દ્ર મોદી ચરિત્ર અને રાજકીય વિચારધારાની રીતે ઘણા જુદા છે. પરંતુ પક્ષ, સરકાર અને દેશને પોતાની સાથે-પોતાના સમાનાર્થી તરીકે સાંકળી દેવાની બાબતમાં તે સરખા છે. ઇન્દિરા ગાંધી સત્તાના વ્યક્તિકરણને નેહરુ કરતાં ઘણું આગળ લઈ ગયાં અને મોદી તેને ઇન્દિરા ગાંધી કરતાં પણ બહુ આગળ લઈ ગયા. એ ત્રણે પોતાને અનિવાર્ય અને તેમનું સ્થાન કોઈ લઈ ન શકે એવાં માનતાં હતાં. તેમણે પછીની પેઢીના નેતાઓ ઊભા કરવાની દિશામાં ભાગ્યે જ કંઈ કર્યું. (રાજકારણ સિવાય ભારતના કોર્પોરેટ જગતના વડાઓ અને સ્વૈચ્છિક સંસ્થાના વડાઓમાં પણ સત્તાના વ્યક્તિકરણની લાક્ષણિકતા જોવા મળે છે, જે સંસ્થાને પોતાની સાથે એકરૂપ બનાવી દે છે.)

કારણ 9

ગાંધીજીમાં વિરોધી મત ધરાવનારનો દૃષ્ટિકોણ જોવા-સમજવાની અને તેમની સાથે સંવાદ સાધીને સન્માનભર્યા સમાધાન સુધી પહોંચવાની તૈયારી હતી. એટલે, આંબેડકર અને ઝીણા જેવા રાજકીય વિરોધીઓ સાથે અને દક્ષિણ આફ્રિકામાં તેમ જ ભારતમાં શાહી પ્રતિનિધિઓ સાથે તે ધીરજપૂર્વક વર્ષો સુધી સમાધાનની ભોંય ભાંગવાના પ્રયાસ કરતા રહ્યા. તેમને અણગમા કે તીવ્ર નાપસંદગી કેવળ બૌદ્ધિક અને રાજકીય હતાં, અંગત નહીં –અને તે પણ ઉકેલી શકાય એવી તેમને આશા હતી. મનમાં દુર્ભાવ સંઘરી રાખવાની ક્ષમતા તેમનામાં ન હતી.

કારણ 10

ગાંધીજીનું રાજકીય જીવન સંપૂર્ણપણે પારદર્શક હતું. આશ્રમમાં કોઈ પણ જઈ શકતું, તેમની સાથે ચર્ચા કરી શકતું અને છેવટે થયું પણ એવું કે એક માણસ સાવ સરળતાથી તેમની નજીક પહોંચી ગયો અને તેમની હત્યા કરી નાખી. તેમના કે આપણા સમયમાં સુરક્ષાની જંજાળો વચ્ચે જીવતા નેતાઓની સરખામણીમાં તે કેટલો મોટો વિરોધાભાસ કહેવાય.

ગાંધીજીના જીવનમાંથી મેં તારવેલા બોધપાઠ ફક્ત આ દેશ માટે જ પ્રસ્તુત છે એવું નથી. અલબત્ત, ધાર્મિક બહુમતીવાદની આબોહવામાં, અપમાન અને બુરાઈથી ગ્રસ્ત રાજકીય સંસ્કૃતિમાં, જૂઠાણાં અને અસત્યો ફેલાવતા નેતાઓ અને સરકારોની વચ્ચે, પ્રાકૃતિક પર્યાવરણના સત્યાનાશની સાથે, વ્યક્તિભક્તિના માહોલમાં ભારતને કદાચ તેની સૌથી વધારે જરૂર છે.

(ઉર્વીશભાઈ કોઠારીની ફેસબૂક દીવાલ પરથી સાભાર)
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દિવાલેથી સાદર; ક્રમાંક : 291

Loading

દેરિદાની વિઘટનશીલ ફિલસૂફી – ૨

સુમન શાહ|Opinion - Literature|21 April 2025

સુમન શાહ

ક્યારેક મને એવું થાય છે કે હું બે જ વસ્તુઓને ચાહું છું – જીવન અને સાહિત્ય. ફિલસૂફી કે ભાષાવિજ્ઞાન હું વિધિસર નથી ભણ્યો. જ્યારે પણ એમાં ગયો છું ત્યારે સાહિત્યના સ્વાર્થે, છતાં, એ બન્નેનાં સત્યોનો દ્રોહ ન થાય એની પૂરેપૂરી કાળજી રાખીને. આ લેખમાળા પણ ફિલસૂફીવિષયક છે તેમછતાં એના નિરૂપણનો હેતુ સાહિત્યિક છે એમ સ્વીકારવા વિનન્તી. હું હેતુ દર્શાવું : 

સાહિત્ય એક કલાવિશેષ છે તેથી સાહિત્યકાર કલાકાર છે. સાહિત્ય એક સાંસ્કૃતિક આવિષ્કાર છે તેથી સાહિત્યકાર સંસ્કૃતિપુરુષ છે. સાહિત્યકાર ક્રાન્તદૃષ્ટા છે તેથી ઋષિતુલ્ય છે. સાહિત્યકાર પ્રતિબદ્ધતાને વરેલો છે તેથી સમાજ અને રાષ્ટ્રનો હિતૈષી છે. સાહિત્યનો ખરો ભોક્તા સહૃદય છે તેથી વાચકો માટે આદર્શમૂર્તિ છે. સાહિત્યનો ફિલસૂફી ભાષાવિજ્ઞાન ધર્મ અધ્યાત્મ નીતિ-સદાચાર સમાજ અને રાજકારણ સાથેનો સમ્બન્ધ. કલાપ્રપંચ અને સત્તાપ્રપંચ. સાહિત્યમાં પૂર્વ અને પશ્ચિમ. સાહિત્ય અને અનુવાદો સમ્પાદનો પ્રકાશનો પત્રકારત્વ. સાહિત્ય અને કવિસમ્મેલનો પરિસંવાદો લોકાર્પણો પુસ્તક-મેળા સોશ્યલ મીડિયા. સાહિત્યનું પીએચ.ડી. પદવી સુધીનું અધ્યયન-અધ્યાપન. સાહિત્ય અને રુચિ. કૃતિ કર્તા અને ભાવકલક્ષી વિવેચનો. અધ્યાપકીય અને ઉન્નતભ્રૂ વિવેચનો. ભાવન આસ્વાદન અર્થઘટન અને મૂલ્યાંકન માટે વિશ્લેષણની રસલક્ષી પદ્ધતિ. સાહિત્યકારનું પુનર્વાચન અને પુનર્મૂલ્યાંકન.

વગેરે મુદ્દાઓ સંદર્ભે આપણે ત્યાં વિકસેલી માન્યતાઓ અને તેથી વિકસેલા વિચારવાતાવરણનો પરામર્શ વિઘટનની રીતે કરવો એટલે કે પ્રશ્નો કરવા, ગર્ભિત અર્થોને પ્રકાશિત કરવા, એ વાતાવરણ સરજનારાં પરિબળોને પ્રકાશિત કરવાં, અને પ્ર-ગતિ થઈ શકે તેવી નૂતન ભૂમિકાનું સર્જન કરવું, એ આ લેખમાળાનો મુખ્ય પણ અન્તિમ હેતુ છે. કેમ કે એ હેતુ સુધી પ્હૉંચવા જરૂરી છે કે પહેલાં તો મારે દેરિદાની વિઘટનશીલ ફિલસૂફીનો સવિશેષ પરિચય કરાવવો અને એ માટે એ સૃષ્ટિમાં જેટલે જવાય એટલે જવું. 

હું અટકી અટકીને જઈ રહ્યો છું એટલે આ લેખમાળા સળંગસૂત્ર નહીં પણ શકલોમાં – fragmentsમાં – હશે. તેથી એમાં કિંચિત્ પુનરાવર્તન હશે. આ લેખમાળા શોધનિબન્ધ નથી. મેં શોખથી નહીં પણ મૂળનું મૂલ્ય સાચવવા અંગ્રેજી શબ્દો માટે ગુજરાતી અને ગુજરાતી માટે અંગ્રેજી પર્યાયો આપ્યા છે, જો કે, કામચલાઉ છે. લેખમાળાનું સ્વરૂપ સુબોધક કલ્પ્યું છે તેથી, અલબત્ત સિદ્ધાન્તના ગૌરવને કૌંસમાં રાખીને, જરૂરી દાખલા સરળ સમજ ખાતર ઉપજાવ્યા છે એને સહ્ય ગણવા વિનન્તી.

બધા યહૂદી – Jews – પ્રાજ્ઞ હોય છે એમ ન કહેવાય પણ એમ જરૂર કહેવાય કે કેટલાક પ્રાજ્ઞ યહૂદી હોય છે. 

દેરિદા ૧૯૩૦-માં અલ્જીરિયામાં અલ-બિયાર પરગણામાં યહૂદી પરિવારમાં જનમ્યા હતા. કેટલાક યહૂદી સમુદાયો સ્પેન અને પોર્ટુગાલ જઈ વસેલા. એ વસવાટનું નામ sephardic હતું. એનો નિર્દેશ બાઇબલમાં છે. sephardic jewish descent દેરિદાનું ગોત્ર છે. એ ગોત્રના બૌદ્ધિકોનું ફિલસૂફી યહૂદી-વિચાર સાહિત્ય અને સંસ્કૃતિવિષયક પ્રદાન ઉત્તમ મનાયું છે. દેરિદાના અલ્જીરિયાવાસી પૂર્વજો એ વારસાના સહભાગી હતા અને તે સંસ્કારો સ્વાભાવિકપણે દેરિદામાં ઊતર્યા હતા.

૧૬-મી સદીથી મધ્ય ૨૦-મીના સમયો દરમ્યાન ફ્રૅન્ચોએ વિદેશોમાં colonies – સંસ્થાનો – ઊભાં કરીને હકૂમતો જમાવેલી. દેરિદાના શૈશવકાળનું અલ્જીરિયા ફ્રૅન્ચ સંસ્થાન હતું. બીજું કે ત્યાં વસતા યહૂદીઓ ઍન્ટિ-સૅમિટિસિઝમનો ભોગ બનેલા. ધર્મ અને વંશીય ઓળખના મુદ્દે યહૂદીઓ સાથે દુર્નિવાર શત્રુવટ તેમ જ ઘૃણા આભડછેટ અવમાનના શાબ્દિક / શારીરિક હુમલા તથા હિંસા સુધીના અત્યાચારનું નામ ઍન્ટિ-સૅમિટિસિઝમ છે. એનું અધમાધમ દૃષ્ટાન્ત બીજા વિશ્વયુદ્ધ દરમ્યાનનો holocau st – નરસંહાર – છે જેમાં આશરે ૬૦ લાખ યહૂદીઓનો પદ્ધતિપૂર્વક નાશ કરવામાં આવેલો. 

અલ્જીરિયાના તત્કાલીન યહૂદી-વિરોધી કાયદા અનુસાર માત્ર ૭% યહૂદી બાળકોને ફ્રૅન્ચ શાળામાં પ્રવેશ હતો. ઝા’ક (દેરિદા) ૧૨ વર્ષનો હતો અને ઉત્તમ વિદ્યાર્થી હતો તેમ છતાં શાળામાંથી એની હકાલપટ્ટી થયેલી. એને યહૂદીઓની સામાન્ય શાળામાં દાખલ કરાયેલો. ઘડતરકાળના એ અન્યાયને કારણે એના ચિત્તમાં ક્યારેક identityનો – ઓળખનો – કોયડો ઊપસ્યો હશે. શું કેન્દ્રમાં ને શું હાંસિયામાં તે સમજાઈ ગયું હશે. મનુષ્યોને કિનારે ધકેલી દેનારું હાંસિયાકરણ – marginalization, મનુષ્યોનો બહિષ્કાર – exclusion, સંસ્થાનવાદ – colonialism વગેરે પ્રશ્નો દેરિદાના દર્શનમાં પ્રમુખ સ્થાને છે એનું કારણ એમનું એ દમિત શૈશવ છે. એવો જન સંસ્થાપનાઓને પડકારે નહીં તો જ નવાઈ. દેરિદાની ગરવાઈ એ છે કે બધા પડકારો એમણે એક પ્રાજ્ઞ મનુષ્યને છાજે એવી તાત્ત્વિક ભૂમિકાએથી કર્યા. 

પ્રારમ્ભિક મૂલ્ય ધરાવતી આ હકીકતોમાં મારે ઉમેરવું જોઈએ કે દેરિદા મુખ્યત્વે continental philosopher છે. analytical અને continental philosophy પશ્ચિમની અર્વાચીન ફિલસૂફીની બે પરમ્પરાઓ છે. બન્ને પરમ્પરાઓ એકબીજાને સ્પર્શે છે છતાં બન્નેનાં સ્વરૂપ કાર્ય અને પદ્ધતિમાં ફર્ક છે.

ફિલસૂફી analytical – વિશ્લેષણાત્મક – એ કારણે કે વિશદતા અને અસંદિગ્ધતા માટે એમાં  સંકુલ વિભાવનાઓનું વિશ્લેષણ કરવામાં આવે છે. એથી ફિલસૂફીવિષયક કોયડા સ્પષ્ટ થાય છે. ભાષા માનવચિત્ત જ્ઞાન વિજ્ઞાન આ ફિલસૂફોના ધ્યાનવિષયો છે. તેઓ મુખ્યત્વે અનુભવપરક – empirical – પદ્ધતિનો આશ્રય કરે છે. આ ફિલસૂફોમાં અનિવાર્યપણે લેવાતાં નામ છે, બર્ટ્રાન્ડ રસેલ, લુડવિગ વિટ્ગેન્સ્ટાઇન, કાર્લ પોપર, ડેવિડ લૂઇસ, રુડોલ્ફ કાર્નેપ.

ફિલસૂફી continental – ઉપખણ્ડીય – એ કારણે કે એનાં મૂળ ઉપખણ્ડ યુરપમાં છે. જર્મન આદર્શવાદ અને phenominology – પ્રતિભાસવિજ્ઞાન – તેમ જ અસ્તિત્વવાદ સંરચનાવાદ અનુ-સંરચનાવાદ વિઘટનશીલ ફિલસૂફી અને તત્ત્વજ્ઞાનવિષયક વાદવિવાદોથી બોધદાયી નીવડેલાં આંદોલનોનો એમાં સમાવેશ થયેલો છે. વિવિધ સત્તાઓ ઐતિહાસિક સંદર્ભો માનવ-અસ્તિત્વ સંસ્કૃતિ સાહિત્યસમીક્ષા અને કાળક્રમે વિકસતા વિચારવિશેષોની તપાસ આ ફિલસૂફોના ધ્યાનવિષયો છે. એ માટે તેઓ વિવિધ પદ્ધતિઓનો વિનિયોગ કરીને લાભે છે. જેમ કે, ફીનૉમિનોલૉજિની પદ્ધતિ એમને ચેતનાપરક આત્મલક્ષી અનુભવો તપાસી આપે. અસ્તિત્વવાદની પદ્ધતિ સત્ત્વ અસ્તિત્વ સ્વાતન્ત્ર્ય દાયિત્વ અસંગતતા તેમ જ અર્થની અશક્યતાઓ દર્શાવે. સંરચનાવાદની પદ્ધતિ ભાષા અને સંસ્કૃતિ અન્તર્ગત સંરચનાઓનું સ્વરૂપ સ્પષ્ટ કરી આપે. અનુ-સંરચનાવાદની પદ્ધતિ સુસ્થાપિત સંરચનાઓ અને અર્થોનાં વિઘટન સૂચવે. આ ફિલસૂફોમાં અનિવાર્યપણે લેવાતાં નામ છે, માર્ટિન હાઇડેગર, ઝાં-પૉલ સાર્ત્ર, મિશેલ ફૂકો, અને ઝા’ક દેરિદા. 

દેરિદાનું વિચારવિશ્વ મને સમજાયું છે તે રીતની થોડીક વાત કરું : 

એ મને ભાષા સંજ્ઞાઓ સંરચનાઓ તન્ત્રો અને જ્ઞાનવિષયક વિવિધ માનવીય પુરુષાર્થોનાં સત્યો વિશે મુખ્યત્વે પ્રશ્નકારક – interrogative – લાગ્યું છે. અન્યથા હું એને મનુષ્યજીવનની અસંગતતાની – absurdityની – અનુકમ્પામય પર્યેષણા ગણું છું. 

પશ્ચિમની ફિલસૂફી logocentric અથવા શબ્દ કે તર્કકેન્દ્રી છે એમ દેરિદા કહે છે તેના મૂળમાં અધ્યાત્મવિદ્યા – metaphysics – છે. અધ્યાત્મવિદ્યામાં માનવ-અનુભવો અને જીવનના અર્થની શોધ મુખ્ય હોવાથી એમાં પ્રમાતા – subject – એટલે કે ચિન્તનશીલ વ્યક્તિ અને તેની ઉપસ્થિતિ – presence – અનિવાર્ય છે. એ વ્યક્તિનો આત્મલક્ષી અનુભવ કોઈનીયે મધ્યસ્થી વિનાનો – unmediated – અને સદ્યોવેદી – immediate – હોય છે. દેરિદાએ અધ્યાત્મવિદ્યાની આ ઉપસ્થિતિ-વિભાવનાને પડકારી છે. એમનું કહેવું એમ છે કે પહેલેથી બધું ભાષાથી ચેપાયેલું – influenced – હોય છે તેથી, અને અનુભવ આત્મલક્ષી હોય છે તેથી, એને મધ્યસ્થી વિનાનો અને પ્રાંજલ અથવા શુદ્ધ ન ગણી શકાય.

અર્થવિષયક સંરચનાવાદી સિદ્ધાન્ત પણ શબ્દ કે તર્કકેન્દ્રી છે. દેરિદા કહે છે કે સંરચનાઓ અસ્થિર હોય છે કેમ કે એમાં તફાવતોની લીલાનું – play of differncesનું – પ્રવર્તન હોય છે. તેઓ જણાવે છે કે સંરચનાત્વ – structurality – સંરચનાનું પ્રકૃતિપરક સત્ત્વ છે – essence of structure. એ એક માળખું – frame – છે જેમાં તત્ત્વો – elements – એકબીજાથી સમ્બન્ધિત હોય છે. સંરચનાવાદીઓએ સંરચનાને સ્થિર અને અવિચળ કેન્દ્રનો દરજ્જો આપ્યો હતો. એ માન્યતાની ટીકા કરતાં દેરિદાએ જણાવ્યું કે ત્યારે તેઓ સંરચનાત્વના ગતિમન્ત અને પ્રવહમાણ સ્વરૂપની અવહેલના કરતા હોય છે જેને કારણે એ સ્વરૂપ ન્યૂન અને તટસ્થ – reduced and neutralized – રહી જાય છે.

હું દાખલો આપું : વર્ગમાં અધ્યાપકશ્રી બેઠા છે. ખરેખર તો તેઓ કેળવણીવિષયક સંરચનાના કેન્દ્રમાં બેઠા છે. એ સંરચનામાં અન્ય અધ્યાપકો વિદ્યાર્થીઓ અભ્યાસક્રમો વ્યાખ્યાનપદ્ધતિ તેમ જ પરીક્ષા વગેરે તત્ત્વો – elements – જોડાયેલાં છે. એ તત્ત્વો એકબીજા સાથે ગતિમન્ત રહીને ભણવા-ભણાવવાની પ્રક્રિયામાં પોતાનો ફાળો આપે છે. પણ એઓશ્રી-કેન્દ્રી વર્ગમાં એ પ્રક્રિયાને ઘટાડી નાખીને એઓ બધું સીધુંસાદું કરી નાખે છે. એ કારણે વિદ્યાર્થી અને અધ્યાપક વચ્ચે પ્રશ્નોત્તર થાય એ ‘interactive method of teaching’ જેવા અધ્યાપનના અન્ય વિકલ્પો પણ ન્યૂન અને તટસ્થ રહી જાય છે.

સંરચનાવાદી સિદ્ધાન્તમાં ‘દૃઢ મૂળ’ – fixed origin – એક જાણીતો વિભાવ છે. એ ચૉક્કસ અર્થો આપનારો મૂળાધાર છે એમ સંરચનાવાદ માને છે. આ વિભાવને દેરિદા transcendental signified કહે છે – સંજ્ઞાતન્ત્રોની બહારનો અન્તિમ સંકેતાર્થ. સંરચનાવાદ એને કેન્દ્રસ્થ ગણે છે.

હું દાખલો આપું : આપણી તેમ જ બીજી સંસ્કૃતિઓમાં ‘સફળતા’ એક transendentle signified છે – સફળતા જ અન્તિમ અર્થ. અપરિવર્તનીય અને સિદ્ધિ-સમૃદ્ધિના વિષયમાં સિદ્ધાન્તરૂપે પ્રજાજીવનમાં એ સંકેતાર્થ સ્થિર થયેલો છે. પરીક્ષામાં વેપારધંધામાં કે દામ્પત્યજીવનમાં સફળતા નિર્ણાયક માનદણ્ડ છે. કેટલીયે વ્યક્તિઓ સફળતાને ઘોડે ચડીને જિન્દગી જીવતી હોય છે. સફળ નહીં તે જિન્દગી હાર્યો એ હદે એ ખયાલ વિસ્તર્યો છે. બીજા પરિપ્રેક્ષ્યો ધ્યાનમાં આવે નહીં કે સફળતાવિષયક સમજનું નવઘડતર થાય એવા રસ્તા સૂઝે નહીં ત્યારે આ સંકેતાર્થ neutral anchor – તટસ્થ સંચાલક – ભાસે છે. ચૉતરે બેસેલાઓ કારકિર્દીની ચર્ચા ચલાવતા હોય ત્યારે ચર્ચાના કેન્દ્રમાં સફળતા હોય છે અને વાતો ક્રમે ક્રમે ન્યૂન થઈ જતી હોય છે. એમાં વિવિધ દૃષ્ટિબિન્દુઓ નથી હોતાં અને જીવનસિદ્ધિવિષયક અન્ય વિચારોનાં તો બારણાં જ બંધ હોય છે. દેરિદાએ આ ‘દૃઢ મૂળ’ વિભાવને ધરાર નકાર્યો છે. 

આ લેખમાળાના સંદર્ભમાં સંકેતવિજ્ઞાન અને વિઘટન-વિચાર અનુસાર ભાષાની સર્વસામાન્ય વિભાવના શું છે એ સમજવું મને અનિવાર્ય લાગ્યું છે. કહી શકાય કે —

શબ્દની પ્રકૃતિ સમ્બન્ધપરક છે – relational. એક શબ્દ અન્ય શબ્દોથી અલગ રહીને પોતાનો અર્થ નથી આપી શકતો. હું ‘ટેબલ’ બોલું એથી સ્પષ્ટ નથી થતું કે કયું ટેબલ અને ‘ટેબલ’ સાથે ‘મારું’ જોડીને ‘મારું ટેબલ’ બોલું તો અર્થમાં વૃદ્ધિ થાય છે ખરી પણ વિશ્વનાં બાકી ટેબલનો બોધ તો અવ્યક્ત જ રહે છે. કોઈપણ શબ્દ બીજા શબ્દો સાથે જોડાય ત્યારે જ અર્થ આપી શકે છે અન્યથા એ એક absence – ખાલી અવકાશ – હોય છે. શબ્દો કે સંજ્ઞાઓ દ્વિદલ છે – સંકેતક અને સંકેતાર્થ. ‘સંકેતક’ દલ એક ધ્વનિ છે અને વસ્તુને રજૂ કરનારી વિભાવના માટેનું દલ ‘સંકેતાર્થ’ છે. દેરિદા ભાષાને તફાવતપરક – differential – કહે છે. ઉમેરે છે કે ભાષામાં તફાવતોની લીલા હોય છે, જેમ કે, catનો અર્થ rat કે bat સાથેના તફાવતને કારણે મળતો હોય છે. એ લીલા વડે સરજાય છે અર્થો અને અર્થઘટનોની એક અન્તહીન web – જાળ – જેમાં deferrals – વિલમ્બનો – પણ હોય છે. 

દેરિદા એટલે સુધી કહે છે કે વિલમ્બનોની એક ચેઇન બનતી હોય છે. એને pass the meaning-ની રમત પણ કહી શકાય. (ખોખો જેવી?). એ ચેઇનમાંથી કોઈ અર્થને અંકિત કરીએ એટલે તરત આપણે એ શબ્દના વિરુદ્ધાર્થમાં પાછા જવાના. ‘પ્રકાશ’-ને સમજવા માગીએ એટલે ચિત્તમાં એની વિરુદ્ધનો ‘અન્ધકાર’ આવે. એ જાતનું redoubling back સંભવતું હોય છે. તદુપરાન્ત ભાષામાં વાણી-લેખન કેન્દ્ર-હાંસિયો નર-નારી મિલન-વિરહ જીવન-મૃત્યુ જેવાં વિરોધી દ્વૈતની – binary oppositionsની – ચાલના હોય છે. પુરવાર તો એ જ થાય છે કે અર્થો નક્કી નથી બલકે ભાષાની આવી બધી સંકુલ લીલાનું ફળ છે. 

દેરિદાની différance વિભાવના એમની ફિલસૂફીમાં કેન્દ્રસ્થાને છે. ફ્રૅન્ચ ભાષા અનુસાર આ વિભાવના difference અને deferral એવી બે સમજને એક સાથે રજૂ કરે છે. એક સમજ, તફાવત; બીજી, વિલમ્બન. તાત્પર્ય એ કે સંજ્ઞાના અર્થનો અન્ય અર્થ સાથે તફાવત તો હોય જ છે પણ અર્થ મળવામાં વિલમ્બ પણ થતો હોય છે. તફાવતપરક cat rat bat જેવો આ દાખલો જુઓ : ‘ગુલાબ’-નો અર્થ ‘મોગરો’-ના અર્થથી જુદો છે. મને ગુલાબનો અર્થ જે ગુલાબ નથી એથી મળે છે. વળી, ગુલાબથી જે સમજવાનું છે એ જે તે સંદર્ભોને અધીન હોય છે. ગુલાબદાસ કે ગુલાબબા – દરેકનો સંદર્ભ અલગ છે. તેથી અર્થ ત્વરિત નહીં પણ વિલમ્બિત રહે છે. 

દેરિદાના વિઘટનવિચારમાં એક વિભાવના છે, ચિહ્ન અથવા નિશાન – trace. જે હાજર નથી તેની ગેરહાજરીનું નિશાન. શબ્દ પોતામાં અન્ય શબ્દાર્થોનાં નિશાન લઈને બેઠો હોય છે. દાખલા તરીકે, દાસ અર્થનો ‘ગુલાબ’ પોતા સાથે ‘બા’-નાં નિશાન ધરાવે છે. ‘લોકશાહી’-માં ‘શાહી’ ‘રાજાશાહી’-નું નિશાન છે.

મને પ્રશ્ન થયો કે વિઘટન કરીશું એટલે શું કરીશું. દેરિદા-શૈલીએ વાચન કરીશું. એટલે કે તન્ત્રો અન્તર્ગત સંરચનાઓના સંરચનાત્વને પ્રમાણીશું. અર્થનો સ્વઅર્થે નિર્ણય કરી નાખનારા સત્તાપ્રપંચોને ઉઘાડા પાડીશું. ટૅક્સ્ટમાં કાર્યરત અન્તિમ સંકેતાર્થો સંદિગ્ધતાઓ પૂર્વધારણાઓ અને વિલમ્બનોની ભાળ મેળવીશું. વિરોધી દ્વૈતનાં પદોનો સ્થાનફેર કરીશું, જેમ કે, વિચારના કેન્દ્રસ્થાને ‘જીવન’ હોય પણ એ સ્થાને ‘મરણ’ મૂકીને વિચારીશું. ‘મિલન-વિરહ’ હોય પણ ‘વિરહ-મિલન’ એમ પદોને પલટાવીને પણ વિચારી જોઈશું. છેવટે, એ દરેક પ્રાપ્તિનાં કાર્ય અને પ્રભાવ વિશે પ્રશ્નો કરીશું. નવેસર ખરું વાંચતા તો જ આવડે અને તે પછી જ બધી ગતાગમ પડે. 

= = =

[પ્રગટ : ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર “પરબ”; ઍપ્રિલ 2025]
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...177178179180...190200210...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved