Opinion Magazine
Number of visits: 9571212
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભાઈબહેનની અજબ જોડી : બેન્જામિન ફ્રેન્કલિન અને જેન મેકમ

સોનલ પરીખ|Opinion - Opinion|1 September 2021

બેન્જામિન ફ્રેન્કલિન વિશ્વવિખ્યાત, જેન સીધીસાદી ગ્રામનારી. બેન્જામિનના જીવનનું કેન્દ્ર એ પોતે હતા. જેનના જીવનનું કેન્દ્ર તેનાં સંતાનો અને તેમનાં સંતાનો હતાં. જેન તેના ભાઈની સતત વધતી પ્રસિદ્ધિથી ચકિત થતી. તેના પ્રકાશમાં તેની બોસ્ટનની જર્જર જિંદગી ઝગમગી ઊઠતી. બેન્જામિને બીજાઓ સમક્ષ જેનનો ઉલ્લેખ પણ ભાગ્યે જ કર્યો છે.

પણ છ દાયકાથી વધારે લાંબો પત્રવ્યવ્હાર એમના સંબંધની લાઈફલાઈન હતી. બે જુદાં વિશ્વોમાં જીવતાં આ ભાઈબહેનનું સહિયારું પણ એક વિશ્વ હતું. આપણું આપણા ભાઈબહેનો સાથે સહિયારું એવું કોઈ વિશ્વ છે ખરું?

‘તું લખજે. મારી હેસિયત મુજબ હું સમજીશ.’ આ વાક્ય બહેનના પત્રોમાં વારંવાર ડોકાતું. એનો ભાઈ એની ‘હેસિયત’ જાણતો, છતાં પોતાની સિદ્ધિઓ વિશે જણાવતો – બણગા ફૂંકવા માટે નહીં, પણ દુનિયામાં થઈ રહેલાં પરિવર્તનો વિશે બહેન પણ જાણે એવી ભાવનાથી. આ ભાઈનું નામ બેન્જામિન ફ્રેન્કલિન.

બેન્જામિન ફ્રેન્કલિન એટલે જેના ઉલ્લેખ વગર સ્વતંત્ર અમેરિકાનો ઇતિહાસ અધૂરો રહે તેવો બહુઆયામી પ્રતિભાશાળી પુરુષ – લેખક, વિજ્ઞાની, રાજનીતિજ્ઞ, પ્રિન્ટર, પબ્લિશર, પોલિટિકલ ફિલોસોફર. સત્તર-અઢારમી સદીમાં યુરોપની કોલોનીઓમાં વહેંચાયેલા અમેરિકાને સ્વતંત્ર કરવામાં અને દુનિયામાં અગ્રેસર બનાવવામાં બેન્જામિન ફ્રેન્કલિનની નિર્ણાયક ભૂમિકા હતી. જેન આ વિરાટ પુરુષની સીધીસાદી બહેન હતી. ફ્રેન્કલિન પરિવારના સત્તર સંતાનોમાં બેન્જામિન ભાઈઓમાં અને જેન બહેનોમાં સૌથી નાનાં, ને ‘બેની એન્ડ જેની’ તરીકે ઓળખાતાં. રક્ષાબંધનનો શુભ તહેવાર દેશભરમાં ઊજવાઈ રહ્યો હોય ત્યારે ભાઈબહેનની આ અનોખી જોડીને યાદ કરવી ગમશે.

18મી સદીની શરૂઆતમાં આ બન્નેનો જન્મ. દુનિયાના ઇતિહાસમાં 18મી સદીનું ખૂબ મહત્ત્વ છે. અમેરિકન, ફ્રેન્ચ અને હૈતીની ક્રાંતિઓ આ સદીમાં થઈ. યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ. સમાજ, જીવનશૈલી અને પર્યાવરણમાં મોટા ફેરફારોની શરૂઆત થઈ. બ્રિટિશ સામ્રાજ્યનો સૂર્ય દુનિયાભરમાં તપતો હતો. ભારતમાં મોગલ શાસનનો અંત અને આખા દેશ પર બ્રિટિશ પ્રભુત્વ આ જ સદીની ઘટનાઓ હતી.

અમેરિકા બ્રિટિશ અને અન્ય યુરોપીય દેશોની વસાહતોનું નામ હતું. ઈંગ્લેન્ડથી આવીને અહીં વસેલા જોશીઆ ફ્રેન્કલિન સાબુ અને મીણબત્તી બનાવતા. એ સમયની રીત પ્રમાણે દીકરો બેન્જામિન સ્કૂલમાં જતો, દીકરી જેન ભરત-ગૂંથણ અને ઘરકામ શીખતી. બેન્જામિન જે શીખે તે છ વર્ષ નાની બહેનને શીખવે. આમ તે વાંચતાં-લખતાં શીખી.

17 વર્ષની ઉંમરે બેન્જામિને ઘર છોડ્યું ત્યારે જેન 11 વર્ષની. 15 વર્ષની ઉંમરે જેનનાં લગ્ન બાવીસ વર્ષના એડવર્ડ મેકમ સાથે થયા. યુરોપમાં થતી શોધખોળો, લાયબ્રેરી વગેરે બેન્જામિનને આકર્ષતાં. યુરોપ જીતે છે કારણ કે તેની પાસે જ્ઞાન છે. આપણે પણ જીતવું હોય તો જ્ઞાન વધારવાનું છે એ તેને સમજાઈ ગયું હતું. તેમણે પ્રિન્ટિંગ-પબ્લિશિંગમાં નામ કાઢ્યું. લેખક બન્યા, વૈજ્ઞાનિક શોધખોળો કરી, લાયબ્રેરીઓ શરૂ કરી અને આખી પ્રજાની ઊર્જાને સ્વાતંત્ર્ય અને જ્ઞાનના રાજમાર્ગ પર લાવી મૂકી.

સાથે રહેવાનું થતું નહીં, બન્ને પત્રો લખતાં. પહેલો પત્ર બેન્જામિને 21 વર્ષની ઉંમરે લખેલો છે. બેન્જામિન પોતાના બદલાતા વિશાળ વિશ્વ વિશે ઘણું લખતા. જેન રસથી વાંચતી અને લખતી, ‘મને કેટલું સમજાયું તે ખબર નથી, પણ તું લખતો રહેજે.’ અને ‘મારા સ્પેલિંગ, ગ્રામર અને ભાષા ગરબડિયાં છે. પણ તું એને સમજી લેશે એમ ધારું છું.’ બેન્જામિન લખતા, ‘ચિંતા ન કર. તું સારું લખે છે.’ અને લખતા કે ‘જે વાતો મિત્રો સાથે અમસ્તા કરતા હોઈએ એ પત્રમાં લખાય નહીં. ધ્યાન રાખવું જોઈએ.’ પણ પછી મોકળાશથી ન લખવા માટે ઠપકો પણ આપતા.

જેનનો પતિ એડવર્ડ સ્કૉટિશ મોચી હતો અને માનસિક અસ્થિરતાથી પીડાતો હતો. આ અસ્થિરતા તેના બે સંતાનોને પણ વારસામાં મળી. લગ્ન પછી એ ફ્રેન્કલિન કુટુંબ સાથે રહેવા આવી ગયો હતો અને કમાવાના નિષ્ફળ પ્રયત્નો કરી દેવું વધારતો રહેતો. જેન પરિવારના સાબુ બનાવવાના ધંધામાં કામ કરી આવક ઊભી કરતી અને એક પછી એક જન્મતાં સંતાનોને ઉછેરતી. ઝડપથી તેનાં શરીર-મન કંતાતાં ગયાં. ભાઈ બેન્જામિન સાથે નિયમિત ચાલતો પત્રવ્યવહાર તેના જીવનનું બળ હતો.

જે વર્ષે બેન્જામિને અમેરિકામાં પહેલી લાયબ્રેરી શરૂ કરી તે વર્ષે જેન 21 વર્ષની થઈ હતી. બેન્જામિને તેને એક પુસ્તક આપ્યું, ‘ધ લેડીઝ લાયબ્રેરી.’ જેન 38 વર્ષની થઈ ત્યારે બેન્જામિને તેને પોતાની ‘એક્સપેરિમેન્ટ એન્ડ ઑબ્ઝર્વેશન્સ ઓન ઈલેક્ટ્રીસીટી’ મોકલી. બેન્જામિને બીજા કોઈ પણ કરતાં વધારે પત્રો જેનને લખ્યા છે.

બાવીસ વર્ષમાં જેન બાર વાર સગર્ભા થઈ. છેલ્લા સંતાનને જન્મ આપ્યો ત્યારે તે 39 વર્ષની હતી. બેન્જામિનને ત્રણ સંતાનો હતાં. એમની જિંદગી નવાં કામો, પુસ્તકો, પ્રયોગો અને રાજનીતિમાં વ્યસ્ત હતી. જેનનો એક દીકરો ટ્રેન્ટન યુદ્ધમાં ખોવાઈ ગયો હતો. બે દીકરાને માનસિક સમસ્યાઓ હતી. કેટલાક સંતાનોને આજે જેને ટી.બી. કહીએ છીએ તેવી બીમારી હતી. બારમાંના અગિયાર સંતાનોને તેણે પોતાના હાથે દફનાવ્યાં. એક જ સંતાન લાંબું જીવ્યું. પતિ 38 વર્ષના લગ્નજીવન બાદ મૃત્યુ પામ્યો. જેન અને એની બે દીકરીઓને સાબુની દુકાન કરવી હતી ત્યારે એ માટેની સામગ્રી બેન્જામિને લંડનથી મોકલી હતી.

જેન વિશે માહિતી મેળવવાના બે જ સ્રોત છે – બચેલા પત્રો અને એક નાની, ચાર ફૂલસ્કેપ પાનાં સાંધીને બનાવેલી બુકલેટ ‘અ બુક ઑફ એજિસ’. એમાં એણે એના પતિ અને બાળકોનાં જન્મ, લગ્ન અને મૃત્યુની તારીખો લખી છે. આટલી સામગ્રી પરથી જિલ લેપોરે નામની લેખિકાએ એક પુસ્તક લખ્યું છે, ‘બુક ઑફ એજિસ : એ લાઈફ એન્ડ ઓપિનિયન ઑફ જેન ફ્રેન્કલિન’ તેની શરૂઆતમાં તે લખે છે, ‘વિખ્યાત ભાઈના હાથમાં કલમ હતી અને અવિખ્યાત બહેનના હાથમાં સોયદોરા! ભાઈ દુનિયાભરમાં ફરતો હતો. જેનને થતું કોઈ મને કાઢે – આ ઘરમાંથી, બૉસ્ટનમાંથી, આ દુનિયામાંથી.’

જેન બેન્જામિનને પોતાનો ‘સેકન્ડ હાફ’ માનતી. જેન એમને માટે ‘અડધું વિશ્વ’ હતી, પણ આ બે અડધિયાંનાં વિશ્વો કેટલાં જુદાં હતાં! 1870-80ના દાયકામાં બેન્જામિન અમેરિકાના સ્વાતંત્ર્યયુદ્ધ અને બંધારણના ઘડતરમાં મગ્ન હતા, ત્યારે જેનની એક દીકરી સેલી ગુજરી ગઈ હતી. તેનાં ચાર છોકરાંને જેન ઉછેરતી હતી. એમાંનાં બે પણ મૃત્યુ પામ્યાં. ત્યાર પછી જેનનો પતિ અને બીજી એક દીકરી મૃત્યુ પામ્યાં. ‘ઈશ્વર આપે છે અને તે જ લઈ પણ લે છે. શું કહું, મારાથી સહન થતું નથી. પણ તું મને તારા લેખો વિશે ચોક્કસ જણાવતો રહેજે.’ જેને લખ્યું. સપ્ટેમ્બર 1767ના દિવસે જેને તેની છેલ્લી નોંધ લખી : ‘મારી વહાલી દીકરી પોલીનું મૃત્યુ થયું.’ આ લખતી વખતે તેના અક્ષર ધ્રૂજી ગયા છે, ‘દરિયાનાં મોજાંની જેમ દુ:ખ મારા પર ફરી વળ્યું છે.’ પછી લખે છે, ‘ઈશ્વર માલિક છે. હું શરણાગત છું.’

જેને પહેલા સંતાનનું નામ પિતાના નામ પરથી ને છેલ્લા, બારમા સંતાનનું નામ માતાના નામ પરથી પાડ્યું હતું. એ બન્ને એક વર્ષના થયા પહેલા જ મરી ગયા હતા. એક સંતાનનું નામ તેણે બેન્જામિન પણ પાડ્યું હતું. વારંવાર સુવાવડો, બાળઉછેર અને બાળમરણો વચ્ચે જેને વૃદ્ધ માની સેવા પણ કરી. બેન્જામિન સેનેટમાં ચૂંટાયા ત્યારે જેને મા વતી પત્ર લખ્યો. મા જેનના હાથમાં જ મરી ગઈ. તેનું દફન પણ જેને જ કર્યું. પછી બેન્જામિને કબર બંધાવી અને લખાણ કોતરાવ્યું. પૈતૃક સંપત્તિમાં મળેલો પોતાનો ભાગ તેમણે જેનને આપ્યો અને એક ઘર પણ, જેમાં તે થોડાં વર્ષ રહી – બચેલી એકમાત્ર દીકરી સાથે. જીવનના છેલ્લાં 30 વર્ષમાં બેન્જામિનના ભાઈઓ બહેનોમાંથી એક માત્ર જેન જીવિત હતી. 1790માં બેન્જામિનનું મૃત્યુ થયું. પોતાના મૃત્યુ પછી દર મહિને એક સરખી રકમ જેનને મળતી રહે એવી વ્યવ્સ્થા એમણે કરી હતી. જેન 1794માં મૃત્યુ પામી.

બેન્જામિન પારિવારિક ઇતિહાસ વિશે ખૂબ સંવેદનશીલ હતા. જેન એમને માટે પારિવારિક માહિતીઓનો સ્રોત હતી. પણ એમને મન પરિવાર એટલે ભૂતકાળ – પોતાના અત્યંત સફળ જીવનની પ્રસ્તાવના અને જેન માટે પરિવાર એટલે તેનું સર્વસ્વ, તેને ઘેરીને ઊભેલો વર્તમાન. બેન્જામિનના જીવનનું કેન્દ્ર એ પોતે હતા. જેનના જીવનનું કેન્દ્ર તેનાં સંતાનો અને તેમનાં સંતાનો હતાં. જેન તેના ભાઈની સતત વધતી પ્રસિદ્ધિથી ચકિત થતી. તેના પ્રકાશમાં તેની બોસ્ટનની જર્જર જિંદગી ઝગમગી ઊઠતી. બેન્જામિને બીજાઓ સમક્ષ જેનનો ઉલ્લેખ પણ ભાગ્યે જ કર્યો છે.

બે જુદાં વિશ્વોમાં જીવતાં આ ભાઈબહેનનું સહિયારું પણ એક વિશ્વ હતું. આપણું આપણા ભાઈબહેનો સાથે સહિયારું એવું કોઈ વિશ્વ છે ખરું?

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 22 ઑગસ્ટ 2021

Loading

‘કાનુડો કામણગારો’થી ‘ડાર્ક ઈઝ બ્યુટિફૂલ’ સુધી ….

સોનલ પરીખ|Opinion - Opinion|1 September 2021

કૃષ્ણ માટે ઘનશ્યામ, શ્યામસુંદર જેવા શબ્દો વપરાય છે જે એમનાં નામ પણ છે અને વિશેષણ પણ. કૃષ્ણ, રામ અને શિવના શ્યામ રંગમાં આકાશના નીલ વર્ણની આભા છે, જે એમને અત્યંત ભવ્ય અને આકર્ષક બનાવે છે. માતાજીના વર્ણનમાં ‘તું કાળી ને કલ્યાણી રે મા’ જેવા શબ્દો આવે છે. કૃષ્ણ ‘કાળા ને કામણગારા’ તરીકે ઓળખાય છે. દ્રૌપદી શ્યામવર્ણની હતી, પણ તેની સુંદરતા અલૌકિક ગણાતી. લયલા શબ્દનો અર્થ જ રાત્રિ જેવી કાળી એવો થાય છે. મજનૂ એ શ્યામ સૌંદર્ય પાછળ જ પાગલ બન્યો હતો.

આ બધી વાતોને જૂની ગણીએ ને સ્મિતા પાટિલ કે નંદિતા દાસની વાત કરીએ તો આ અભિનેત્રીઓ જો ગોરી હોત તો કદાચ આટલી આકર્ષક ન લાગતી હોત. આપણે જેમની ચામડીનો રંગ જોઈ અમસ્તા અમસ્તા ઝંખવાઈ જઈએ છીએ એ ગોરાઓ ‘ટેન્ડ સ્કીન’ મેળવવા ખાસ તડકો ખાય છે. મારી એક મિત્રનો પતિ એના કરતાં ઘણો ગોરો છે. કોઈ પત્નીના રંગ માટે કૉમેન્ટ કરે તો કહે છે કે ‘શ્યામ વર્ણની પોતાની એક આભા છે. શ્યામ ત્વચામાં જીવંતતાની ચમક હોય છે.’ 

પણ આપણને શ્યામ રંગ માટે પૂર્વગ્રહ અને શ્વેત રંગ માટે પક્ષપાત છે. એક બંગાળી અભિનેત્રીના રંગ માટે સોશ્યલ મીડિયા પર કૉમેન્ટ થઈ તેથી તેણે એફ.આઈ.આર. લખાવી. ગયા મહિને મૃત્યુ પામેલી સુરેખા સિક્રી ઉમદા અભિનય હોવા છતાં ઘણા વખત સુધી એના રંગને કારણે ઉપેક્ષિત રહી હતી. ગોરાપણા માટેના આ વળગણને લીધે ફેરનેસ ક્રીમથી શરૂ થઈ ટેબ્લેટ્સ અને ઈન્જેક્શનો સુધી, એની જોખમી આડઅસરો છતાં સૌંદર્ય ઉદ્યોગ અબજો રૂપિયાનો ધંધો કરે છે. ઈન્જેક્શનો કેવી રીતે લેવા એના વીડિયો મળે છે. અમુક થેરપીથી વાળ ઊતરવા, થાઈરોઈડ, કિડનીની સમસ્યાઓ, કેન્સર, શ્વાસમાં મુશ્કેલી જેવી તકલીફો થાય છે, છતાં લોકો તેની પાછળ હોંશે હોંશે હજારો રૂપિયા ખર્ચે છે. ફેરનેસ ક્રીમ સૌમ્યથી જલદ સુધીના બજારમાં પ્રિસ્ક્રીપ્શન વગર મળે છે. તેમાં સ્ટીરોઈડ હોય છે. તેનાથી ચામડીનું ઉપરનું પડ ઊતરી જાય છે અને અંદરની કૂણી, તાજી ત્વચા સૂર્ય અને પ્રદૂષણ સામે ખુલ્લી થાય છે. ચામડીને પછી એના વિના ચાલતું નથી. જેવું ક્રીમ વાપરવાનું બંધ કરો, ચકામા અને ઉઝરડા પડી જાય છે. ત્વચાનિષ્ણાતો કહે છે કે એમના દરદીઓમાં ફેરનેસ પ્રોડક્ટ્સ વાપરવાથી ખરાબ થઈ ગયેલી ત્વચા ‘રિપેર’ કરાવવા આવનારાઓની સંખ્યા મોટી હોય છે.

ગોરા થવાની આવી ઘેલછા સામે દુનિયાભરમાં અભિયાનો થાય છે. ‘ડાર્ક ઈઝ બ્યૂટિફૂલ’ કેમ્પેઈનમાં સક્રિય નંદિતા દાસ કહે છે, ‘મારા વિશે લખાય ત્યારે મારી ડાર્ક-ડસ્કી સ્કીનનો ઉલ્લેખ અચૂક થાય. મને રમૂજ પડે એ જોઈને, કે કોઈ કરીના કે ઐશ્વર્યા વિશે લખતું હોય ત્યારે ફેર કરીના કે ફેર ઐશ્વર્યા એવું લખતું નથી. કોઈ વળી ઘોષણા કરે છે કે મને શ્યામ સ્ત્રીઓ વધુ ગમે છે. પણ હું એમ કહું છું, કે કોઈ ગમે કે ન ગમે એમાં એનો ગોરો કે કાળો રંગ નિર્ણાયક શા માટે બનવો જોઈએ? રંગ એટલી મોટી બાબત છે કે એની સામે એની બીજી ક્ષમતાઓ નગણ્ય બની જાય?’

વિચારવા જેવું છે ને? પણ સ્થિતિ શું છે? એક મા લખે છે, ‘મારી આઠ વર્ષની દીકરી થોડા દિવસથી અરીસા સામે વધારે વખત ગાળતી હતી. કારણ એ હતું કે એ સ્વીમિંગ શીખવા જતી અને તેને લીધે તેની ત્વચા થોડી ઘેરી બની હતી. એને એ ગમ્યું નહોતું. એમાં થોડા લોકોએ એ નોંધ્યું અને વારંવાર કહ્યું પણ ખરું એટલે એ એની ત્વચાના રંગ વિશે સભાન બની ગઈ હતી. અરીસામાં જોયા કરતી કે રંગ ઊઘડ્યો છે કે નહીં. મારે બહુ મહેનતે એના ગળે ઊતારવું પડ્યું કે તે સુંદર જ લાગે છે અને અમે બધા એને એટલું જ ચાહીએ છીએ. અને સારો મોકો હતો એટલે મેં એને એ પણ સમજાવ્યું કે ત્વચા શ્યામ હોય કે ઊજળી, એને સુંદરતા કે વ્યક્તિત્વ સાથે કોઈ સંબંધ નથી.’

સુંદરતા એટલે ગૌર વર્ણ એ વાત આપણા લોહીમાં ભળી ગઈ છે. ટેલિવિઝન ચેનલો પર ફેરનેસ પ્રોડક્ટની જાહેરાતનો મારો સતત ચાલુ હોય છે. એવું ઠસાવવામાં આવે છે કે ખુશખુશાલ અને સફળ જિંદગી માટે ગોરા હોવું અનિવાર્ય છે. ગોરા હો તો જ લોકો આકર્ષાય, દોસ્તો મળે ને પ્રેમપાત્ર બનાય. લગ્ન આપણાં કોઈ કે બીજા કોઈનાં, ગોરી ત્વચા વિના ન ચાલે. નોકરી માટેનો ઈન્ટરવ્યૂ હોય તો પણ ગોરા હોવું જરૂરી! મા કે દાદી દીકરીને નાનપણથી ચણાના લોટ અને મલાઈ વડે નવડાવે. તડકામાં રમવા ન દે.

સમાજ તરીકે આપણને યુગોથી શ્વેત રંગનું વળગણ છે. નવલકથાઓ, નાટકો ને ફિલ્મોની નાયિકાઓ સુંદર હોય છે કેમ કે એ ગોરી હોય છે. ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડીસ’માં એક બહેનને ગોરી અને આકર્ષક બતાવી છે, તેને મળવા યુવાનો ખૂબ ઉત્સુક હોય છે. બીજી બહેન બુદ્ધિશાળી અને હાજરજવાબી છે. એની બૌદ્ધિક ક્ષમતાનું સૌંદર્ય ઓછા લોકોને દેખાય છે. ક્લિયોપેટ્રા અને નેફરટિટી બેનમૂન સુંદર હતા. ‘રોમિયો અને જુલિયેટ’માં શેક્સપિયર કહે છે, ‘જૂલિયેટ સૂર્ય જેવી ઊજ્જવળ હતી. એના ગાલની ચમક તારાઓને શરમાવતી.’ નાયિકાઓનું વર્ણન આવું જ હોય – ગોરી, સુંદર, ચંદ્રમા જેવું મુખ – ગોરાપણાની ઘેલછા વધારવામાં લેખકોનો મોટો હાથ છે. પ્રતિભા તો ત્યાર પછી, સુંદરતાના વિકલ્પ તરીકે વર્ણવાય છે.

હવે તો આપણે મંગળ સુધી પહોંચી ગયા, પણ ગોરાપણાનું વળગણ ગયું નથી. કોઈ પણ બ્યુટી પાર્લરમાં જાઓ, કિશોરીઓથી માંડીને વૃદ્ધાઓ સુધીના દરેકને ગોરા થવું છે. એક આખી ઈન્ડસ્ટ્રી, એક આખો પ્રોફેશન આ વળગણ પર ફાટફાટ ગજવાં ભરે છે. આપણા દેવીદેવતાઓ સમા મોટા સ્ટારને ફેરનેસ પ્રોડક્ટ્સ માટે મોડેલિંગ કરતા જોઈ આપણા જેવો વ્યક્તિપૂજક અને લિંગભેદમાં માનનારો દેશ ઝડપથી રંગભેદનો ઉપાસક થઈ જાય છે. મનમગજમાં સુંદરતા એટલે ગોરાપણું એ સમીકરણ એવું જડબેસલાક બેસી જાય છે કે પુરુષોને ગોરા બનાવતા ઉત્પાદનો બનાવતી કંપનીઓ પણ સદ્ધર બની જાય છે.

નંદિતા દાસ કહે છે, ‘હું મોટે ભાગે વાસ્તવિક પાત્રો ભજવું છું, જે મારા જેવા શ્યામ જ હોવાનાં. પણ જ્યારે ઉપલા મધ્યમ વર્ગનું પાત્ર કરવાનું આવે, ત્યારે મને અચૂક કહેવામાં આવે, ‘થોડો ફેર મેક-અપ કરીએ? પ્લીઝ, ઈફ યુ ડોન્ટ માઈન્ડ…’ આનો અર્થ તો એ થયો ને કે ગરીબો, ખેડૂતો, ઝૂંપડપટ્ટીના લોકો કાળા હોય અને તવંગરો, ઉચ્ચ વર્ગના લોકો ગોરા હોય? આ માનસિકતાનો મેં સતત વિરોધ કર્યો છે. આ માનસિકતા જ ગોરાપણા માટે ગાંડપણ, વળગણ અને દબાણ સર્જે છે. માણસની ચામડીનો રંગ અમુક હોય તે માટે તેને આત્મવિશ્વાસ, પોતાપણું ગુમાવવા પડે એ કેવું વિચિત્ર છે! બુદ્ધિની ક્યાં ય જગ્યા જ નથી? હું સદ્દભાગી છું કે મારાં માબાપ મારા રંગ કરતાં મારી ક્ષમતાઓના વિકાસ માટે વધુ ચિંતિત હતાં.’

આ વળગણનો અંત ક્યારે? કે પછી એનો અંત શક્ય છે ખરો? શ્યામ વર્ણ એક અભિશાપ હોય એવું વર્તન શા માટે? અમેરિકામાં ‘બ્લેક ઈઝ બ્યુટિફૂલ’ મૂવમેન્ટ ચાલે છે. ભારતમાં ‘ડાર્ક ઈઝ બ્યુટિફૂલ’ કૅમ્પેઈન 2013માં ફાતિમા લોદી નામની યુવતીએ પાકિસ્તાનમાં ‘ડાર્ક ઇઝ ડિવાઈન’ અભિયાન છેડ્યું હતું. 2016માં ટેકસાસની ત્રણ યુવતીઓએ ‘અનફેર એન્ડ લવલી’ આંદોલન ચલાવ્યું હતું.

ગોરા રંગ સાથે જે સત્તા અને શ્રેષ્ઠતાનો ભાવ લોકોના માનસમાં ઘર કરી ગયો છે એ કાઢવો મુશ્કેલ છે. પણ સૌંદર્યની વ્યાખ્યામાં પરિવર્તન લાવવું જરૂરી તો છે જ. સેલિબ્રિટીઓએ વિધાનો કરતા પહેલા જવાબદારીથી વિચારવું જોઇએ, કારણ કે લોકમાનસ પર એમની ખૂબ અસર હોય છે. સ્ત્રીઓ હવે શિક્ષણ, નોકરી અને આર્થિક સ્વાતંત્ર્યને લીધે આત્મવિશ્વાસસભર બની છે. શ્વેત ત્વચા એ જ એમની ઓળખનો એકમાત્ર આધાર નથી. તેઓ જાણે છે કે કાળું એ કદરૂપું ને શ્વેત એ સોહામણું એ બહુ જ ઉપરછલ્લો નિર્ણય છે. સુંદરતા માત્ર ‘ફેર એન્ડ લવલી’ શબ્દોમાં બંધાઈ ન જતી હોય એ દિવસની રાહ જોઈએ!

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 29 ઑગસ્ટ 2021

Loading

રાજા સુપ્પડકન્નો

પ્રતિષ્ઠા પંડ્યા|Poetry|31 August 2021

ચૂપચાપ રહેવાનું, કોઈને કહેવાનું નહીં
કે રાજા  સુપ્પડકન્નો
વાતોએ હવામાં આમ વહેવાનું નહીં
કે રાજા  સુપ્પડકન્નો
કાલે તો જોઈ'તી આજ ચકલીઓ ગઈ કંઈ? 
એમ ઊંચા અવાજે કોઈને પૂછવાનું નહીં
કોને નાખી'તી અહીં અદ્રશ્ય કોઈ જાળ?
કોને ફસાવવા કોણે વેરી'તી જાર?
જ્યાં ત્યાં આમ કાવતરું ભાળવાનું નહીં
કે રાજા  સુપ્પડકન્નો
ચકલીઓને જો તમે કરો દેશ પાર
માળા ને ઝાડ ને જંગલ ને ખેતોની પાર 
તો જીવન પર, ગીતો પર, ગાવા પર,
પાંખના ફફડાવા પર હક એનો રહેવાનો કે નહીં?
એમ પૂછી પૂછી હલ્લો બોલાવવાનો નહીં
રાજની સામે ચકલીઓ શું ચીજ છે 
ચકલીઓ બચાવો, રાજા હટાવો 
એવા ખોટો ખોટો નારો લગાવવાનો નહીં
કે રાજા સુપ્પડકન્નો
સાક્ષી છું હું કહે છે ઝાડનું એ પાન
મારું ના માને તો આ આભનું તો માન
રાજા એ લીધા છે ચકલીના પ્રાણ
સાંભળ્યાં છે મેં એના પેટમાં કંઈ ગાન
કહે હવા હવે તો મારું માન, મારું માન
લોકોનું કહ્યું બધું કંઈ સાંભળવાનું નહીં
આંખોથી જોઇએ છો, માનવાનું નહીં
ને માનો તો માનો પણ વિચારવાનું નહીં
કે રાજા  સુપ્પડકન્નો
આ તે કેવો રાજા, ને  કેવો આ દેશ
ભૂખ્યાંનો બેલી ધરે ભક્ષકનો વેશ
એવી નક્કામી પંચાતમાં પડવાનું જ નહીં
જાત સાથે રોજ રોજ ઝગડવાનું નહીં
અલા, દીવાલો હોય તો હોય બધે ફાટ
એ ફાટ દેખી કે ઊંડા ઊતરવાનું નહીં
સતનાં તો હોય ગામ ગામ ડેરા સાત
એના પગલાંની હોય રોજ બદલાતી ભાત
એની પાછળ આમ આપણે ભટકવાનું નહીં
મૂંગા ઝાડવાની આગળ પણ બોલવાનું નહીં
ગીત એનું નગારે  ગજવવાનું નહીં
કે રાજા સુપડકન્નો
અરે, હું તો કહું છું ચકલી ને ઝાડની વાત બધી છોડો
આખા જંગલ સામે જ તમારે જોવાનું નહીં
અને જોયું તો જોયું, સમજો
પણ કવિતામાં તો ખમૈયા કરો મારા બાપ,
ભૂલથી ય કોઈ દિવસ લખવાનું નહીં
કે રાજા સુપ્પડકન્નો
કે રાજા સુપ્પડકન્નો

  https://ruralindiaonline.org/en/articles/the-king-and-his-very-secret-elephantine-ears/   

Loading

...102030...1,7661,7671,7681,769...1,7801,7901,800...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved