Opinion Magazine
Number of visits: 9675789
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કાઁગ્રેસ રેડિયો

ઉષા ઠક્કર|Gandhiana|20 October 2021

આપણે હમણાં જે તસવીર જોઈ તે 1942ની લડતની એક તેજસ્વી ક્રાતિશીખા ઉષાબહેન મહેતાની હતી. તેમણે અને તેમના સાથીઓએ મુંબઈમાં 1942માં ભૂગર્ભ રેડિયો ચલાવેલો. 

હું તેમને મળી 1966ની આસપાસ. મુંબઈ મારા માટે નવું હતું, અને હું મુંબઈ માટે. પીએચ.ડી. કરવાની મને ઘણી ઇચ્છા અને પ્રૉફેસર તરીકે ઉષાબહેન પ્રખ્યાત હતાં. હું તેમને મળી, અને મેં પીએચ.ડીનું કામ શરૂ કર્યું. ત્યારે મને કોઈક લોકો પૂછતા કે તમારા પીએચ.ડી. માટેના ગાઈડ કોણ છે ? અને હું ઉષાબહેનનું નામ કહેતી. પ્રત્યુત્તરમાં મને કેટલા ય લોકોએ કહ્યું છે કે ‘ઉષાબહેન ! રેડિયોબહેન ! બહુ સરસ !’ અને મને સમજાતું ગયું કે આ સૌમ્ય અને મૃદુ સ્વભાવનાં પ્રૉફેસર એક પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની પણ છે. પછી તો અમારો સંબંધ ઘનિષ્ટ થયો. મને તેમનો દાયકાઓ સુધી સ્નેહભર્યો સાથ મળ્યો.

હું તેમને કાઁગ્રેસ રેડિયો વિશે પ્રશ્નો પૂછતી અને આ વિશે તેમને લખવા કહેતી. તેમનો શાંત પ્રતિભાવ રહેતો − મારે જે કરવાનું હતું, મને જે યોગ્ય લાગ્યું તે મેં કર્યું. અને તે દિવસોની યાદમાં તે ખોવાઈ જતાં. પછી પોતાની પ્રિય પંક્તિઓ – કવિ વર્ડ્ઝવર્થની − ગણગણતાં :

Bliss it was in that dawn to be alive
But to be young was very heaven.

અને પછી મેઘાણીની પણ :

નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે,
ખબર છે આટલી કે માતની હાકલ પડી છે.

નાનપણથી જ ઉષાબહેન દેશપ્રેમના રંગમાં રંગાયેલાં. નાની ઉંમરે ગાંધીજીના પ્રભાવમાં આવી ખાદી પહેરવાની શરૂ કરી અને આજીવન પહેરી. પત્રિકાઓ વહેંચી. સૂત્રો પોકાર્યાં. અને પ્રભાત ફેરીઓમાં ભાગ લીધો. તે પછી મુંબઈમાં રચનાત્મક કાર્યો તથા રાષ્ટૃભાષા પ્રચારનાં કામમાં જોડાયેલાં. વિલ્સન કૉલેજમાં તો તેમના રાષ્ટૃપ્રેમને સમર્થન આપતું વાતાવરણ મળ્યું.

અને પછી 1942નો ઑગસ્ટ મહિનો અને મુંબઈનું રાજકીય ઉત્તેજના અને રાષ્ટૃપ્રેમથી ભરપૂર વાતાવરણ. મિટિંગો અને સભાઓની તો કતાર લાગી હતી. ઉષાબહેન અને તેમનાં મિત્રો 02 ઑગસ્ટના સરદાર પટેલનું ચોપાટી પર થયેલું ભાષણ સાંભળવા ગયેલાં. પચાસ હજારની મેદનીને સરદારે કહેલું કે આ ગાંધીજીની છેલ્લી લડત છે. આ ભાષણે ઊષાબહેનના મન પર ઊંડી અસર કરેલી. અને તે પછી ઉષાબહેન અને સાથીઓ 07 અને 08 ઑગસ્ટના ઑલ ઇન્ડિયા કાઁગ્રેસ કમિટીના અધિવેશનમાં ગયેલાં. તેમના મનમાં દેશભક્તિની જ્યોત તો હતી જ, હવે વધુ પ્રજ્વળિત થઈ. ગાંધીજીના શબ્દો અને તેમનો Do or Die-નો સંદેશ તેમનાં હૃદય પર કોતરાઈ ગયો.

તે સમયે સમાચારોના પ્રસારણ પર અનેક પ્રતિબંધ હતા. Press Ordinances લાગુ હતા અને સરકારને મદદ કરવા National War Frontની પણ સ્થાપના થઈ ચૂકેલી. ઉષાબહેન અને તેમના સાથીઓએ નક્કી કરેલું કે કંઈક તો કરવું જ છે. તેમણે વિચાર કર્યો કે માહોલ તો રાષ્ટૃીયતાથી ભરેલો છે. લોકો લડતના સમાચાર જાણવા આતુર છે. જરૂર છે લોકો સુધી વિશ્વસનીય સમાચાર પહોંચાડવાની. બ્રિટિશ શાસન તરફથી અપાતા સમાચાર પર લોકોને વિશ્વાસ નહોતો. આવા સંજોગોમાં આ જૂથને થયું કે આપણો જ એક રેડિયો શરૂ કરીએ જે લોકોને સાચા સમાચાર આપી શકે. આજે રેડિયોનું એટલું મહત્ત્વ ન લાગે, પણ 1942માં અને ખાસ તો બીજા વિશ્વયુદ્ધ સમયે રેડિયો મહત્ત્વપૂર્ન સંચાર માધ્યમ બની ગયેલો.

વિચાર તો અવનવો અને આકર્ષક હતો. પણ તેને મૂર્ત સ્વરૂપ કેવી રીતે આપવું ? રેડિયો કેવી રીતે શરૂ કરવો ? કયા સાધનો જોઈએ ? અને નજર સમક્ષ આવ્યા આવા પ્રશ્નો અને પડકારો. વિઠ્ઠલદાસ ઉર્ફે બાબુભાઈ ખખ્ખર, ઉષાબહેન મહેતા, રવીન્દ્ર મહેતા અને અન્ય સાથીઓ આ બાબતમાં વિચારવા લાગ્યાં. સૌથી મોટો અવરોધ હતો ટેકનિકલ સહાયનો. ભૂગર્ભ રીતે સરકારથી વિરુદ્ધ રેડિયો બનાવવામાં કોણ મદદ કરે ? બાબુભાઈ અને રવીન્દ્ર મહેતા નરીમાન આદરબાદ પ્રિન્ટર નામના એક ટેકનિશિયનને ઓળખતા હતા. તે ભાયખલા પરના બૉમ્બે ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાયેલો હતો. તેની સામે થોડાઘણા કેસ પણ હતા. તેની પાસે ટૃાન્સમિટરના થોડા પાર્ટ્સ હતા જે તેણે સરકારથી છુપાવીને પોતાની પાસે રાખી મૂકેલા. બાબુભાઈએ તેનો સંપર્ક કર્યો. બન્નેએ અન્ય આવશ્યક પાર્ટ્સ ખરીદ્યા. અમે પ્રિન્ટરે રેડિયો બનાવવાની શરૂઆત કરી.

પ્રિન્ટરના ઘરમાં જ એ અંગેના થોડા અખતરા થયા, અને સફળ થયા. થોડા દિવસો પછી પ્રિન્ટરે પોતાના ઘરમાં ટૃાન્સમિટર રાખવાની અનિચ્છા દર્શાવી.

•••

અને હવે શરૂ થાય છે કાઁગ્રેસ રેડિયોની યાત્રા – તેની દિલધડક દાસ્તાન. તેમાં સાહસ છે. ગુપ્ત બાતમી છે. રોમાંચ છે. અને બધાને આવરી લેતી દેશભક્તિ છે. સ્વતંત્રતાની અદમ્ય ઇચ્છા છે.

ઉષાબહેન, બાબુભાઈ અને સાથીઓ સામે અનેક પ્રશ્નો હતા. રેડિયો માટે એવું સ્થળ જોઈએ જેના પર લોકોને કોઈ સંદેહ ન થાય કારણ કે સરકારને પડકાર આપતો આ રેડિયો ગુપ્ત રખાવો જોઈએ. તે સાથે વિશ્વસનીય સમાચાર મેળવીને લોકો સુધી પહોંચાડવા આવશ્યક હતા, માટે આ કામ તો કરવું જ જોઈએ.

આ જૂથે એક જગ્યા શોધી – ચોપાટી પર Sea View બિલ્ડિંગ. મકાનમાલિક પાસે બાબુભાઈ, ઉષાબહેન અને પ્રિન્ટર ગયેલાં. તેમને ભાડૂત તરીકે એક બનાવટી નામ આપ્યું − કેશવલાલ છગનલાલ અને જણાવ્યું કે આ જગ્યા જામનગરથી આવનાર તેમના કાકા માટે જોઈતી હતી. અને 26 ઑગસ્ટથી આ જગ્યા ભાડે લીધી.

‘સી વ્યૂ’થી કાઁગ્રેસ રેડિયો 10 સપ્ટેમ્બરના વાલકેશ્વર વિસ્તારમાં ‘રતન મહાલ’માં ખસેડાયો, અને 25 સપ્ટેમ્બરના ગામદેવી વિસ્તારમાં ‘અજીત વીલા’માં. 02 ઑક્ટોબરના કાઁગ્રેસ રેડિયોના જૂથે જગ્યા શોધી સેન્ડહર્સ્ટ રોડ પર ‘લક્ષ્મી ભુવન’માં. ફરી સી.આર. ઠાકોર જેવું બનાવટી નામ અપાયું. સાચાં નામે જગ્યા ભાડે લેવામાં જોખમ હતું. કારણ તેમ કરવાથી પોલિસ માટે તેમને પકડવાનું આસાન થાય.

અને આ બધી વાતો પાછળથી પોલિસની તપાસમાં, આ જગ્યાઓ સંબંધી સાક્ષીઓની જુબાનીમાં અને છેવટે ચુકાદામાં પ્રગટ થઈ.

‘લક્ષ્મી ભુવન’થી કાઁગ્રેસ રેડિયોના પ્રસારણનો મહત્ત્વપૂર્ન તબક્કો શરૂ થયો. આ સમયથી કાઁગ્રેસ રેડિયોને ડૉ. રામ મનોહર લોહિયા અને અન્ય નેતાઓનું સમર્થન મળેલું. ઉષાબહેને કહેલું કે ડૉ. લોહિયાએ આ જૂથનો સંપર્ક કર્યો, તેનાં સભ્યોને મળ્યા, તેમનાં કામને વખાણ્યું અને આર્થિક જવાબદારી તેમ જ સમાચાર બુલેટિન તથા તેમના અને જયપ્રકાશ નારાયણ, અચ્યુત પટવર્ધન જેવા નેતાઓનાં ભાષણો આપવાની જવાબદારી પણ લઈ લીધી. હવે બ્રૉડકાસ્ટિંગનું કામ રેકોર્ડિંગનાં કામથી છૂટું કરવામાં આવ્યું. ‘હિંન્દુસ્તાન હમારા …’ અને ‘વંદે માતરમ્‌’ની રેકર્ડનો અવાજ સ્પષ્ટ સંભળાતો હતો. પણ સમાચાર એટલી સ્પષ્ટ રીતે નહોતા સાંભળી શકાતા. આ સમયથી વિઠ્ઠલભાઈ ઝવેરીની અગત્યની ભૂમિકા રહી. તે પ્રોગ્રામની રેકર્ડ કરીને આપવા લાગ્યા.

આ સમયથી ટૃાન્સમિટર સબળ બનવાને કારણે મિટર બદલાયું. ઉષાબહેન આનંદભેર ગૌરવથી કહેતાં કે ‘This is Congress Radio calling on 42.34 meters from somewhere in India. ઍનાઉન્સ કરવામં જુદી જ મજા હતી. અને સુચેતા કૃપલાણીનાં સંપર્કમાં રહેતાં. તેઓ મુંબઈના એ.આઈ.સી.સી.ના ચાર્જમાં હતાં. ઘણી વાર ડૉ. લોહિયા ભાષણો લખતા. અચ્યુત પટવર્ધન પણ લખતા અને ક્યારેક હું પણ લખતી. સમાચાર સાથે ભાષણો તો રહેતા જ. તે સાથે સમાજના જુદાજુદા વર્ગો માટેની ખાસ અપીલ અને માર્ગદર્શન પણ રહેતાં. લખનારાઓ અને બોલનારાઓમાં મુખ્ય હતા – ડૉ. લોહિયા, અચ્યુત પટવર્ધન, મોઈનુદ્દીન હેરિસ, કુમી દસ્તૂર (જે પાછળથી કમલ વૂડ બન્યાં), કે.એ. અબ્બાસ અને હું.’

ઉષાબહેન, બાબુભાઈ અને સાથીઓની તીવ્ર ઇચ્છા હતી કે ટૃાન્સમિટરને વધુ શક્તિશાળી બનાવવામાં આવે. બાબુભાઈએ આ માટે ઘણો પ્રયત્ન કર્યો અને શિકાગો રેડિયો કંપનીના નાનક મોટવાની સાથે સંપર્ક થયો. થોડા નવા પાર્ટ્સ મળ્યા. પ્રિન્ટરે તેમને બરાબર બેસાડ્યા અને બ્રૉડકાસ્ટિંગ વધુ સારું થવા લાગ્યું.

ત્યાં તો ફરી પાછો રેડિયો સ્ટેશન બદલવાનો સમય થયો. એક જ જગ્યાએ વધુ સમય રહેવામાં જોખમ. પોલિસ તો પાછળ જ હતી. રખે ક્યાંક પકડી પાડે. હવે ગિરગામ બેક રોડ પર પારેખવાડીના પાંચમે માળે 103-106 નંબરના રૂમવાળી જગ્યા પસંદ થઈ. મહેતાએ મોહનલાલ દેસાઈના ખોટા નામથી જગ્યા 15 ઑક્ટોબરથી ભાડે લીધી અને કહેવાયું કે તેમના કાકા જામનગરથી 8-10 દિવસ પછી આવવાના હતા.

27 ઑગસ્ટથી 12 નવેમ્બર સુધી કાઁગ્રેસ રેડિયોનું પ્રસારણ ચાલેલું. ફક્ત 15-16-17 ઑક્ટોબરના તે બંધ રહેલું. કારણ ટૃાન્સમિટરને વધુ અસરકારક બનાવવાનું હતું.

આ સમયમાં કાઁગ્રેસ રેડિયોના જૂથે પાંચ સ્થળોએથી તેનું પ્રસારણ કર્યું અને છઠ્ઠી જગ્યાએ જાય તે પહેલાં પોલિસે તેમને પકડી પાડ્યા.

પ્રિન્ટર, મિરઝા અને મહેતાએ એક બિસ્તરો, એક હેટ બોક્સ, બે સૂટકેસ અને પાણીની બોટલ ખરીદીને રાખેલ. જેથી આ સામાન બધી જગ્યાએ લઈ જવાય અને બહારગામથી આવતા મુસાફરો જેવો દેખાવ લાગે. ટૃાન્સમિટર અને અન્ય વસ્તુઓ તો બાબુભાઈની ગાડીમાં લઈ જવાતાં.

પારેખવાડીમાંના થોડા દિવસો પછી મહાલક્ષ્મી મંદિર પાસે વોર્ડન રોડ પર ‘પેરેડાઇઝ બંગલો’ (23 ઑક્ટોબરથી) ભાડે લેવાયેલો, એસ.બી. પંડ્યાના ખોટા નામે. (કબજો 03 નવેમ્બરના લેવાયેલો.) પણ ત્યાં જવા પહેલાં જ પોલિસ પારેખવાડી પહોંચી અને 12 નવેમ્બરના ઉષાબહેન અને ચન્દ્રકાન્તભાઈ ઝવેરી કાર્યક્રમ ચલાવતા હતાં, ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી.

આમ જોઈએ તો આ ધરપકડ ઓચિંતી જ થઈ તેમ નહોતું. ઇન્સ્પેક્ટર ઑફ પોલિસ, સીઆઈ.ડી., સ્પેશિયલ બ્રાન્ચ ગણેશ કેશવ કોકજે આ ભૂગર્ભ રેડિયો પકડવા પાછળ પડેલા. તેમણે આ રેડિયો સંબંધિત થોડાંઘણાં સૂત્રોનું સંધાન કરેલું. ઑક્ટોબરના મધ્ય ભાગમાં ડેપ્યુટી ઇન્સ્પેક્ટર મેન્યુઅલ ફર્ગ્યુસને કોકજેને કહેલું કે કાઁગ્રેસ રેડિયો ચોપાટીથી સી.પી. ટેન્ક સુધીના ક્ષેત્રમાં છે.

12 નવેમ્બરના દિવસે ઉષાબહેન અને ચન્દ્રકાન્તભાઈ બાબુભાઈની ઓફિસે હતાં. ત્યારે જ બાબુભાઈની ધરપકડ કરવા કોકજેએ મોકલેલા ડેપ્યુટી ઇન્સ્પેક્ટર ઑફ પોલિસ, સી.આઈ.ડી. દીનાનાથ કૃષ્ણરાવ પેડનેકર અને પોલિસ આવેલા. તે સમયે પ્રિન્ટર પણ ત્યાં જ મોજૂદ હતા. તેમને પણ પકડી લેવાયા. ત્યારે ઉષાબહેને બાબુભાઈને પૂછ્યું કે ‘હું ડૉક્ટરને માની તબિયત વિશે શું કહું ?’ અહીં સમજવાનું કે ડૉક્ટર એટલે ડૉક્ટર લોહિયા અને મા એટલે ટૃાન્સમિટર. બાબુભાઈએ પણ ચતુરાઈથી જવાબ આપ્યો, ‘મને ખબર છે કે મા સિરિયસ છે, પણ મારાથી તો આજે નહીં આવી શકાય. ડૉક્ટર જ નક્કી કરી લે કે પ્રિસ્ક્રિપ્શન બદલવાનું છે કે એ જ દવા ચાલુ રાખવાની છે. બાબુભાઈએ પોલિસને સમજાવ્યું કે આ પાડોશીની દીકરી છે, કોઈ વાર મદદ માટે આવે છે.

ઉષાબહેન અને ચન્દ્રકાન્તભાઈ સિફતથી ત્યાંથી નીકળી ગયાં. ઉષાબહેન જ્યાં રેકોર્ડિંગ થતું ત્યાં ગયાં. ડૉ. લોહિયા સાથે વાતો કરી અને નક્કી થયું કે ‘શૉ મસ્ટ ગો ઑન’.  તે પછી ઉષાબહેન ઘેર ગયાં. માને કહી નીકળી પડ્યાં પારેખવાડી જવા, રેડિયો કાર્યક્રમ આપવા − કર્તવ્ય પથ પર અગ્રસર.

ઉષાબહેનના શબ્દોમાં તો ‘અમે disciplined soldiers જેવાં હતાં.’ જ્યારે તે બ્રૉડકાસ્ટિંગ માટે જતાં હતાં ત્યારે તેમના ભાઈ, ચન્દ્રકાન્તભાઈ બોલ્યા : હું તમને વાઘના મોઢામાં એકલાં કેમ જવા દઉં ?અને તે પણ સાથે આવ્યા. આખો પ્રોગ્રામ પૂરો કરી જ્યારે ઉષાબહેન ‘વંદે માતરમ્‌’ની રેકર્ડ મૂકી ત્યારે પોલિસની મોટી ટૂકડી આવી પહોંચી. તેમની સાથે તેમનો ટેકનિશિયન પ્રિન્ટર હતો. તેણે જ આ જગ્યા બતાવી, તે પોલિસ સાથે થઈ ગયેલા. ઉષાબહેનને પોલિસે ‘વંદે માતરમ્‌’ બંધ કરવા કહ્યું. પણ ઉષાબહેને કહ્યું કે આ અમારું રાષ્ટૃગીત છે. બંધ નહીં થાય. બધા અટેન્શનમાં ઊભા રહો. અને માનશો ? બધા ઊભા રહ્યા. ત્યાં તો ફ્યૂઝ ગયો. વીજળી ગઈ. લાલટેન મંગાવવા પડ્યા. પંચ બોલાવવામાં આવ્યા. ધરપકડની કાર્યવાહી પૂરી થઈ. જ્યારે ઉષાબહેન ચન્દ્રકાન્તભાઈ સાથે સીડી ઊતરતાં હતાં, ત્યારે દરેક પગથિયે એકએક પોલિસ ઊભો હતો. શાંતિથી ઉષાબહેને ચન્દ્રકાન્તભાઈને કહ્યું કે, ‘ભાઈ, આજે તો આપણને ‘ગાર્ડ ઑફ ઓનર’ મળે છે, અને તે પણ રાયફલવાળા પોલિસો પાસેથી !’ ચન્દ્રકાન્તભાઈએ પણ સ્વસ્થતાથી કહ્યું, ‘હા, આજનો દિવસ યાદગાર છે.’

પોલિસે ત્યાંથી ચાલુ સ્થિતિમાં ટૃાન્સમિટર, ફિલિપ્સ વાયરલેસ સેટ, 120 ગ્રામોફોન રેકર્ડ્સ, એક બેડીંગ, એક હેટ બોક્સ અને એક સૂટકેસ કબજે કર્યાં.

પછી તો સરકાર દ્વારા ‘સ્પેશિયલ ક્રિમિનલ કોર્ટ ઍર્ડિનન્સ, 1942’ હેઠળ નિમાયેલી સ્પેશિયલ જજની કોર્ટમાં કેસ દાખલ કરાયો. સ્પેશિયલ જજ એન.એસ. લોકુર હતા. 22 ઍપ્રિલ 1943ના વિઠ્ઠલદાસ ઉર્ફે બાબુભાઈ ખખ્ખર, વિઠ્ઠલદાસ ઝવેરી, ઉષા મહેતા, ચન્દ્રકાન્ત ઝવેરી અને નાનક મોટવાની સામે આરોપ મુકાયો, સરકાર સામે ક્રિમિનલ કૉન્સ્પીરસી કરવાનો. ઇન્ડિયન પીનલ કૉડ, ટેલિગ્રાફ એક્ટ અને ડિફેન્સ ઑફ ઇન્ડિયા એક્ટ્સના સંદર્ભો અપાયા. ગંભીર ગુનાઓની યાદી બની − ગેરકાયદે વાયરલેસ ટૃાન્સમિટર રાખવું અને ચલાવવું, સરકાર વિરુદ્ધ સમાચાર પ્રસારણ કરવા અને સરકાર સામે અસંતોષ ફેલાવવો, યુદ્ધ માટેનાં કાર્યોમાં ખલેલ પાડતી કામગીરી કરવી, લોકોને સરકારના કર અને જમીન મહેસૂલ ન આપવા માટે પ્રેરિત કરવા, લોકોનો રાષ્ટૃીય ધીરાણ અને સરકારી ચલણી નોટ પરથી વિશ્વાસ ઓછો કરવો અને બ્રિટિશ હિંદની અને પ્રજાની સુરક્ષા અંગેની કાર્યવાહી પર વિપરીત અસર કરવી.

બન્ને પક્ષે પ્રખ્યાત વકીલો હતા. સરકાર તરફથી હતા સોહરાબ ડી. વીમાદલાલ અને સી.બી વેલકર, instructed by Public Prosecutor N.K. Petigara. બચાવ પક્ષે પણ પ્રખ્યાત નામો હતા. ઉષાબહેન તરફથી એસ.આર. તેંડોલકર અને એમ.એમ. જપે હતા. વિઠ્ઠલભાઈ ઝવેરી તરફથી કે.એમ. મુનશી હતા અને નાનક મોટવાની તરફથી એમ.સી. સેતલવડ. બીજા કાનૂનવિદ્દો પણ હતા.

બચાવ પક્ષના વકીલોએ તર્કબદ્ધ દલીલો કરી. એવું દર્શાવવા પ્રયત્નો કર્યા કે પોલિસ જેના સમાચાર સાંભળતી અને રિપોર્ટ્સ લખતી હતી તે આ ટૃાન્સમિટર નહોતું. વળી, ટૃાન્સમિટર પર લગાડેલા ‘ક્રિસ્ટલ’ની ફ્રિક્વન્સી પણ જુદી હતી, [7075] જે શાહીથી લખવામાં આવેલી. અને રેકર્ડ્સ તો પાછળથી પણ મૂકી દેવાઈ હોય. પણ ન્યાયાધીશને આ દલીલો માન્ય નહોતી. એટલું જ નહીં પારેખવાડીમાંથી જે 120 રેકોર્ડ્સ મળેલી, તેમાંથી 35 તો પોલિસે મોનિટર કરેલા રેડિયો બુલેટિનના રિપોર્ટ સાથે મેળ ખાતી હતી. પોલિસે 09 ઑક્ટોબરથી 02 નવેમ્બર સુધીના કાઁગ્રેસ રેડિયોના પ્રસારિત કાર્યક્રમોની ખાસ માણસો દ્વારા પૂરી નોંધ બનાવેલી.

પોલિસે અને ઇન્સ્પેક્ટર કોકજેએ કાઁગ્રસ રેડિયોના ઉપયોગ માટે ભાડે લેવાયેલી બધી જગ્યાઓનું પગેરું શોધી માહિતી ભેગી કરી લીધેલી.

માઇક્રોફોન – એમ્પલિફાયર તથા ફિલિપ્સ રેડિયો પણ ક્યારે લેવાયા તેની વિગતો ભેગી કરી લીધેલી. અને પ્રિન્ટર તો તાજનો સાક્ષી બની ગયેલો. તેણે (તથા તેના સાથીદાર મિરઝા) કાઁગ્રેસ રેડિયોના બધા રહસ્યો ખોલી દીધેલા. રવીન્દ્ર મહેતા, બિપીન ઈનામદારની જુબાનીમાં પણ થોડા તથ્યો બહાર આવ્યા. બાબુભાઈ સામે સજ્જડ પુરાવા મળ્યા. અને ઉષાબહેન તથા ચન્દ્રકાન્તભાઈ ઝવેરી તો સમાચાર પ્રસારણ કરતાં જ પકડાયેલા.

ચુકાદામાં નોંધાયું છે કે ઉષાબહેન તો આરંભથી જ આ કોન્સ્પિરસીમાં − ષડયંત્રમાં − જોડાયેલાં અને તેમાં તેમણે સક્રિય ભાગ લીધેલો. ઉષાબહેને પણ જાતને બચાવવા કશું ન કહ્યું. તેમને પૂછવામાં આવેલું કે તમારી વિરુદ્ધ જે પુરાવા ભેગા થયેલ છે, તે માટે તમારે કંઈ કહેવું છે ? ઉષાબહેનનો જવાબ રહ્યો, કશું નહીં. પ્રશ્ન પૂછાયેલો – So do you want to make any statement in your own defence ? ફરી શાંત અને દૃઢ જવાબ હતો, No. વર્ષો પછી તેમણે કહેલું કે દેશની સ્વતંત્રતા પ્રાપ્તિ માટેનું કાર્ય ક્યારે ય ગુનો ન કહી શકાય.

જે 35 રેકોર્ડ્સ પોલિસ મોનિટરીંગ રિપોર્ટ્સ સાથે મેળ ખાતી હતી, તેમાંથી બે તો ઉષાબહેનના અવાજમાં ઓળખવામાં આવી. તત્કાલીન મધ્ય પ્રદેશના ચિમુર ગામમાં બ્રિટિશ સૈનિકોએ ગામના માણસો પર અત્યાચાર કર્યો અને સ્ત્રીઓ પર બળાત્કાર કરેલો. આ સમાચાર સૌથી પહેલાં કાઁગ્રેસ રેડિયોએ આપેલા એવું ઉષાબહેન કહેલું અને આ બનાવની વિગતો આપતી રેકોર્ડ પણ ઉષાબહેનના અવાજમાં હતી. સ્ત્રીઓ પર થતા અન્યાય સામે ઉષાબહેનનો અવાજ સદાય બુલંદ રહ્યો. અમે તેમને કેટલી ય મિટિંગો અને સભાઓમાં જુસ્સાથી બોલતાં સાંભળ્યાં છે.

ન્યાયાધીશે સ્વીકારેલું કે ઉષાબહેન રેડયો માટે માઇક્રોફોન પર તો અવારનવાર બોલતાં. તેમણે એમ નોંધ્યું કે ઉષાબહેને જાતને બચાવવા માટે કોઈ અસત્યનો સહારો નથી લીધો. અને તે માટે ‘She desereves all the credit for refusing to state a falsehood to save herself.’

બાબુભાઈ તો આ સાહસમાં પહેલેથી જ જોડાયેલા હતા. અને તેના પુરાવાઓ મળ્યા. બે રેકોર્ડ પરના લેબલ પણ તેમના અક્ષરોમાં લખેલા હતા. કેસની સુનાવણી જલદી થઈ અને ચુકાદો પણ 14 મે 1943ના આવી ગયો. બાબુભાઈને પાંચ વર્ષની સખત કેદ થઈ અને ઉષાબહેનને ચાર વર્ષની સખત કેદ. ચન્દ્રકાન્તભાઈને એક વર્ષની સખત કેદની સજા થઈ.

વિઠ્ઠલભાઈ ઝવેરી પર એ.આઈ.સી.સી. સમયે ગવાયેલા ‘હિન્દુસ્તાન હમારા …’ ગીતની રેકોર્ડ બનાવવાનો આરોપ અને રેકોર્ડ પર લેબલ લખવાના આરોપ સાબિત ન થયા. તે ટૃાન્સમિટર બનાવતા હતા તેવું પણ કહેવાયેલું, પર તેના પુરાવા ન મળ્યા. માટે છૂટી ગયા.

નાનકભાઈ પરના કાઁગ્રેસ રેડિયો માટે ‘ક્રિસ્ટલ’ આપવાના, રેકોર્ડિંગ મશીન કે રેકોર્ડ આપવાના આરોપ સાબિત ન થયા. તે પણ છૂટી ગયા.

ઉષાબહેનના કહેવા મુજબ ટૃાયલ સમયે પાંચે જણ શાંતિથી વકીલોની દલીલો સાંભળતાં − ખાસ તો કે.એમ. મુનશીની દલીલો જે આરોપીઓની દેશભક્તિને બિરદાવતી હતી. વિઠ્ઠલભાઈ પાસે સુંદર સ્કેચ બનાવવાની કળા હતી. તે બેસીને બધાના સ્કેચ બનાવતા, અને છેવટે, તેમણે તે બધા ન્યાયાધીશ અને વકીલોને ભેટ આપેલા.

જેલમાં ઉષાબહેનનું સ્વાસ્થ્ય બગડેલું. તેમને પાચનક્રિયાની તકલીફ થઈ તે આજીવન રહી. પણ તેમને જેલમાં મણિબહેન પટેલ, સફિયા ખાન, પૂર્ણિમા બેનરજી, પ્રેમા કંટક, કમલા અષ્ટપુત્રે અને સાવિત્રી મદન જેવી બહેનોનો ભરપૂર સ્નેહ મળ્યો.

ઉષાબહેનના જેલવાસ દરમિયાનની એક વાત કહેવાનું મન થાય છે. તેમની માને કોઈએ ખોટા ખબર આપ્યા કે તમારી દીકરી ઉષા માફી માગીને જેલમાંથી છૂટવાની છે. માએ જેલરને આજીજી કરી ઉષાબહેનને સારુ ઘરનું ખાવાનું મોકલ્યું. એને એક રોટલીની અંદર નાની ચબરખી મૂકી, ‘માફી માગીને ઘરે આવશે તો મારા ઘરના દરવાજા બંધ હશે’. આ વાતને યાદ કરતાં ઉષાબહેન ગદ્દગદ્દ થઈ જતાં. તેમનો માતૃપ્રેમ અને માતૃભૂમિ પ્રેમ અનન્ય હતો.

ડૉ. રામમનોહ લોહિયાએ આગ્રાની સેન્ટૃલ જેલથી લંડન સ્કૂલ ઑફ એકોનોમિક્સ ઍન્ડ પોલિટિકલ સાયન્સના પ્રૉફેસર હેરાલ્ડ લાસ્કીને એક પત્ર લખેલ તેમાં ઉષાબહેન વિશે લખેલું,

‘There is a young woman in a Bombay jail, Miss Usha Mehta, perhaps the  only woman political in the jails of that province, who is doing a term of four years for running a freedom radio. I am not quarrelling with her sentence, although, had this young woman of rare attainment and rare courage been Spanish or Russian, your countrymen would have glamorised her into a heroine …. I might add that her trial and that of her colleagues was banned from the newspapers.’

•••

જેલમાંથી છૂટ્યા પછી ઉષાબહેને The Social and Political Thought of Mahatma Gandhi પર પીએચ.ડી. કર્યું અને શિક્ષણ ક્ષેત્રમાં કામ કરવાનું પસંદ કર્યું. વર્ષો સુધી મુંબઈ યુનિવર્સિટીમાં પ્રૉફેસર રહ્યાં, જાહેર ક્ષેત્રમાં અને રચનાત્મક કાર્યોમાં તથા ગાંધીવિચાર પ્રસારનાં કાર્યોમાં સક્રિય રહ્યાં. 1998માં તેમને પદ્મવિભૂષણના સન્માનથી વિભૂષિત કરવામાં આવ્યાં.

પાંચેયમાંથી કોઈએ પણ પોતાના કાર્ય માટે પ્રસિદ્ધિની ચાહ ન રાખી. વિઠ્ઠલભાઈ ઝવેરીએ ગાંધીજીના ફોટોગ્રાફ્સ અને ફિલ્મ ફૂટેજ મેળવી, − Mahatma નામની સુંદર ડોક્યુમેન્ટરી બનાવી. તેમને પદ્મભૂષણનું સન્માન મળેલું.

હવે થોડી વાત કરીએ પ્રસારિત થતા સમાચાર વિશે. તે સમયે સમાચારો ભેગા કરવા માટે કોઈ ઔપચારિક સાધનો નહોતા, નહોતી કોઈ ઓફિસ કે નહોતા કોઈ પગારદાર કર્મચારી. તેમ છતાં દેશમાં બનતી અગત્યની ઘટનાઓ, 1942ની લડતના વ્યાપના અને લોકોના પ્રતિકારના દૈનિક સમાચાર અપાતા. બ્રિટિશ સરકારના અત્યાચાર સામે લોકોના હૃદયમાં ભભૂકતો રોષ – વિરોધ અને સ્વતંત્રતાની અદમ્ય ઇચ્છા આ સમાચારોમાં વ્યક્ત થતા હતા.

રાષ્ટૃીય ભાવનાથી પ્રેરિત સ્વયંસેવકો અને કાર્યકરો દેશના વિભિન્ન ભાગોમાંથી સમાચાર ભેગા કરીને તેમને ડૉ. લોહિયા કે સુચેતા કૃપલાણી જેવાં નેતા સુધી પહોંચાડતા અને તેઓ આ સમાચારોને કાઁગ્રેસ જૂથ સુધી પહોંચાડતાં. આ નેટવર્ક ઘણું જ અસરકારક પ્રભાવી રહ્યું. સમાચાર તો તરત જ આપવાના હોય એટલે આ જૂથ પાસે તેમને ગોઠવવાનો બહુ સમય ન રહેતો. લગભગ દરેક બ્રૉડકાસ્ટ એક એકમ બની રહેલું. બ્રિટિશ સરકાર જે સમાચાર દબાવવાનો પ્રયત્ન કરતી, તે સમચાર કાઁગ્રેસ રેડિયો સુધી પહોંચી જતા. અને નિર્ભયપણે તેવા સમાચાર પ્રસારિત કરવામાં આવતા.

ઘણીવાર ઉષાબહેન મળેલી બાતમીને ગોઠવીને એક કાગળ પર લખતાં અને પ્રસારણ માટે તૈયાર કરતાં. તેમના અક્ષરોમાં લખાયેલ બ્રૉડકાસ્ટના થોડા કાગળ આ વાતની મૂક સાક્ષી છે.  ઉષાબહેન કહેતાં, સાચા સમાચાર – correct news – આપવાનું અમારું ધ્યેય હતું. જમશેદપુરની હડતાળ, ચિત્તાગોંગ પરની બૉમ્બરેઇડ ને બલિયાની ઘટના − આ બધાના સમાચાર અમે જ સૌ પ્રથમ રેડિયો પર આપેલા.

કાઁગ્રેસ રેડિયો પર સમાચાર અપાતા દેશના અશાંત વાતાવરણના, લોકોના આક્રોશના અને તેને વ્યક્ત કરતા બનાવોના જેમ કે ટેૃનના પાટા ઉખાડવા, ટેલિફોનના તાર કાપવા, રસ્તાઓમાં અવરોધ નાખવા, સરકારી ઈમારતોને નુકસાન પહોંચાડવું, સરકારના શાસન અને અર્થવ્યવસ્થાને ખોરવી નાખવું.

તે સાથે કાઁગ્રેસ રેડિયો પર લોકોને, તથા વેપારીઓ અને વિદ્યાર્થીઓ જેવા ખાસ જૂથોને અપીલ કરવામાં આવતી – સલાહ આપવામાં આવતી કે શહેરો છોડો, ગામડાંઓમાં જાઓ, તેમને સ્વાશ્રયી બનાવો અને બ્રિટિશ શાસનના પાયા હલાવી નાખો. રેલવે સંબંધી કામ અને ફેક્ટરીઓ છોડો. સરકારી બેંકોમાંથી નાણાં લઈ લો. વિદેશી સામાનની ઓફિસો અને ફેક્ટરીઓ સામે પિકેટીંગ કરો. ચરખો કાંતો, રાષ્ટૃીય કામો માટે ફાળો ઉઘરાવો અને હિંદુ – મુસ્લિમ એકતા માટે કામ કરો.

દેશના જુદા જુદા ભાગોથી સમાચાર આવતા અને કાઁગ્રેસ રેડિયો પર પ્રસારિત થતા, જેમ કે બિહારમાં ડેહરી – ઑન – સોન પર 4,000 લોકોએ હલ્લો કર્યો. કલકત્તા પોર્ટ ટૃસ્ટના 6,000 કામદારો હડતાળ પર ગયા. ઓરિસ્સામાં કટક જિલ્લામાં લોકોએ સરકારી કામકાજ ખોરવી કાઢ્યું. મહારાષ્ટૃમાં કિર્લોસ્કરવાડીના આયર્ન ઍન્ડ સ્ટીલ વર્ક્‌સના 2,000 કામદારોએ હડતાળ પાડી. ગુજરાતમાં આઝાદ દિનની ઉજવણી માટે મોટું સરઘસ નીકળ્યું,  જેમાં વિદ્યાર્થીઓ, ગ્રામજનો અને મુસ્લિમો સામેલ હતા.

કાઁગ્રેસ રેડિયોમાં ઘોષણા થયેલી કે આ રેડિયો મનોરંજન માટે નથી, પ્રોપેગન્ડા માટે પણ નથી. તે સ્વાતંત્ર્ય સંગ્રામમાં દેશના લોકોને થોડી માર્ગદર્શક સૂચના આપવા માટે છે.

સરકારને અંદેશો હતો કે કાઁગ્રેસ રેડિયોમાં ‘ફિફ્થ કૉલમ’ અંગે વિગતો અપાય છે. પણ બધા બુલેટિન અને બ્રૉડકાસ્ટ વંચાતાં તે આશંકા દૂર થઈ. તેમાં રાષ્ટૃીય દૃષ્ટિકોણ છે, સમાજવાદી નેતાઓની વિચારસરણી છે અને તે સાથે ગાંધીજી પ્રત્યે અપાર શ્રદ્ધા છે. તેમાં કહેવાયેલું, ‘There is only one family in the country today, the big family of the Indian nation struggling to form the Free State of India.’

પ્રજાની શક્તિમાં તેનો વિશ્વાસ અટલ હતો. ‘Without us no government can prevail and no army can march to victory. Let us make our strength felt. Let us Do or Die.’

ઉષાબહેનના હિન્દી બુલેટીનની એક ઝલક આ પુસ્તકમાં ઝિલાઈ છે. ‘ઈન્કલાબ કે મહામંત્ર’ નામક આ પ્રસારણ 20-21 ઑક્ટોબર 1942ના કરાયેલું.

કાઁગ્રેસ રેડિયોએ પોતાની શક્તિનો – પ્રજાની શક્તિનો − આઝાદીની ઇચ્છાની શક્તિનો એહસાસ કરાવ્યો. કડક બંધનો હોવા છતાં લગભગ અઢી મહિના સુધી તેણે સ્વતંત્રતાનો સંદેશ ઘરે ઘરે પહોંચાડ્યો. અને દર્શાવ્યું કે યુવા પેઢીમાં સાહસ છે, સ્વતંત્રતા પામવાનો નિર્ધાર છે અને દેશ માટે મરી ફીટવાની તમન્ના છે.

•••

રાજકીય આકાશમાં 1942ની લડત સમયે કાઁગ્રેસ રેડિયો વીજળીની જેમ ચમક્યો અને આઝાદીનાં મૂલ્યોનો પ્રકાશ ફેલાવી ગયો. અને તેની જ એક તેજરેખા ઉષાબહેન, જેમની જન્મશતાબ્દી ગયા વર્ષે હતી. તેમનામાં અસંભવ લાગતાં સ્વપ્નોને સાકાર કરવાના પ્રયત્ન કરવાની હિમ્મત હતી.

[3,141]

Mani Bhavan Gandhi Sangrahalaya, Mani Bhavan, 19 Laburnum Road, Gamdevi, MUMBAI – 400 007

[યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની શનિવાર, 02 ઑક્ટોબર 2021ની વર્ચૂઅલ બેઠકમાં રજૂ કરાયેલું વક્તવ્ય.]

મુદ્રાંકન : વિપુલ કલ્યાણી

પ્રગટ : "નિરીક્ષક", 16 ડિસેમ્બર 2021, પૃ. 08-11

Loading

મંદિર સર્જાયું અને ઘંટારવ વાગ્યો :

મેધા જોશી|Diaspora - Features|20 October 2021

તમે સહેજ જમણી બાજુ નજર કરી જુઓ, ભીમસેન જોશી, લત્તા મંગેશકર, પંડિત જસરાજજી, વગેરે ચહેરા દેખાય છે ? હવે ડાબી બાજુ જુઓ, પંડિત હરિપ્રસાદ ચોરસિયા, પંડિત શિવકુમાર શર્મા, ઝાકીર હુસેન દેખાય છે ? હવે સહેજ ઊંધા ફરો, બિરજુ મહારાજ, વૈજંતી માલા, મૃણાલિની સારાભાઈ, જેવાં નૃત્યકાર દેખાય છે ? હવે દરેક દિવાલથી નજીક જઈને સહેજ કાન ધરો, તમને સારંગીના સૂર, પૂર્વા ધનાશ્રી રાગ, જપ તાલ કે યમન કલ્યાણના આલાપ સંભળાય છે? હવે તમે એકદમ સામે નજર કરો, કલાત્મક ચિત્ર ઉપર કશું વંચાય છે? યસ, બૈજુ બાવરા તાના રીરી હોલ. આમ તો એ મોટા ખંડને હોલ કહેવું ગમે નહિ, એમાં સ્વર, શબ્દ, રંગ, લય અને સાથે વિચારોની સાધના થાય, આ સ્થળને કોઈ પણ કલાકાર માટેનું યાત્રાધામ કહેવું હોય તો પણ કહી શકાય. કમરાના ખૂણે ખૂણે, દરેક કણ ને તમે જુઓ અને સંવેદો પછી સ્વગત જે બોલો તે વાહ, આફ્રિન, અદ્દભુત જેવા દરેક ઉદ્દગાર થાય. તમને સંસ્કૃતિના જતનમાં એક ક્ષણ માટે પણ કૈક યોગદાન આપવાનું મન થાય, તમને સાહિત્ય, સંગીત અને નૃત્યના ભવ્ય વારસા વિષે વધુ જાણવાની ઇચ્છા થાય અને જો પ્રકૃતિ સાથે તાદાત્મ્ય અનુભવો તો તમને એમના ‘જય સચ્ચિદાનંદ’.

મૂળ કરમસદના વતની રમેશ પટેલ, કવિ ‘પ્રેમોર્મિ’નાં સર્જનમાં સેંકડો કાવ્યો, કેટલાક ગદ્ય ખન્ડ અને શબ્દ-સૂરનો સાધના ખંડ "બૈજુ બાવરા તાનારીરી હોલ" ઉપરાંત માપી ના શકાય એટલી ચાહ અને સન્માન છે. કરમસદમાં નવકલા સંસ્થાના સ્થાપક રમેશભાઈ પટેલની દશેરાના દિવસે દેહ વિદાય થઇ છે.

દરેક કલા સાધકમાં પ્રભુ નિહાળતા રમેશ પટેલ ખરેખર બાવરા હતા. જીવન પર્યન્ત એમની પાસે એક અમૂલ્ય વસ્તુ હતી, જીદ. બર્મામાં જન્મેલા આ ચરોતરી પટેલને આમ તો ગુજરાતી ભાષા સાથે સીધો શૈક્ષણિક સંબંધ ના હતો, પરંતુ નાનપણથી જ કવિતા પ્રત્યે અનુરાગ હતો. રંગુનથી કરમસદ આવેલા રમેશભાઈને ગુજરાતી ભાષા માટેની પ્રીતિ એટલી વધુ હતી કે તમને માતૃભાષામાં જ પૂર્ણ શિક્ષણ મેળવવાની ઇચ્છા હતી, પરંતુ પારિવારિક કારણોને લીધે ત્યાર બાદ તેઓ નાસિકમાં રહ્યા અને પછી ભારતની બહાર એક એક ભૂમિ એમની રાહ જોતી હતી જ્યાં એમના થકી આમૂલ પરિવર્તન આવવાનું હતું. આમ તો એ અંગ્રેજની ભૂમિ હતી અને એમાં માત્ર રોજગારી સાથેની મૂડી તો મેળવવાની જ હતી પરંતુ સાથે ભારતનો નકશો અંકિત કરવાની એમની એક જીદ હતી.

નાસિકમાં રસોઈકલા શીખનાર રમેશભાઈએ પત્ની ઉષાબહેનના સહકારથી લંડનની ધરતી પર “મંદિર" ઊભું કર્યું. પહેલીવાર લંડનમાં શુદ્ધ શાકાહારી રેસ્ટોરન્ટની શરૂઆત રમેશભાઈએ કરી, જેનું નામ મંદિર. ક્લબ, બાર, ડાન્સ અને ડાઈનની સંસ્કૃતિમાં લંડનના હાર્દ સમા વિસ્તારમાં આ ગુજરાતી ભડવીરે ભલભલાને થેપલાં અને ઢોકળાં ખાતાં કરી દીધા. સ્ત્રીઓ માટે કહેવાય છે ને કે તમારે જો પતિના કે શ્વસુર પક્ષના દરેક સભ્યોના હૃદયમાં જગ્યા કરવી હોય, તો સ્વાદિષ્ટ વ્યંજન થકી, એમની હોજરીમાં પહેલા કરજો. રમેશભાઈ માટે આ વિચાર સાચો પડ્યો. અતિથિને જમાડવાની સાથે રમેશ ભાઈએ વિચારોને પણ પીરસ્યા, કદાચ એનું જ પરિણામ લંડનના પ્રખ્યાત આલ્બર્ટ હોલમાં મેળવવાનું હતું.

"મંદિર" એક રેસ્ટોરન્ટ હોત તો એમાં મેનુકાર્ડમાં વાનગીની વધ ઘટ કે સામે લખેલ એના કિંમતમાં સરવાળા થાત, પરંતુ રમેશ પટેલના મંદિરમાં પંડિત રવિશંકર હોલ નામનો એક ખન્ડ બન્યો. આજે દેશ- વિદેશમાં બૉલીવુડ સેલિબ્રિટી ને મનોરંજન માટે આમંત્રણ મળે છે આ તો 1960થી 1990ના ત્રણ દસકાની વાત હતી. ઉસ્તાદ અલી અકબર ખાન હોય, પંડિત રવિશંકર, હરિપ્રસાદ ચોરસિયા, અનુપ જલોટા, બિરજુ મહારાજ, આશિત દેસાઈ, વગેરે કલા સાધકોને નિમંત્રણ આપ્યું અને તે સાથે લંડનમાં એક વાતાવરણ સૂરીલું કર્યું.

ભારતના શાસ્ત્રીય સંગીત અને નૃત્યના કોઈ પણ કલાકાર લંડન જાય ત્યારે મંદિર અને રમેશભાઈ એમનું કાયમી સરનામું રહેતા. નાના-મોટા સાંસ્કૃતિક કાર્યક્રમના આયોજન કરી આ જિદ્દી માણસે ખરા અર્થમાં એક પારકી ભૂમિમાં ભારતનો નકશો અંક્તિ કર્યો. લંડનના અને વિશ્વના અતિ પ્રસિદ્ધ આલ્બર્ટ હોલમાં શાસ્ત્રીય સંગીતની મોટી કોન્સર્ટના આયોજનથી માંડીને ગુજરાતની સિગ્નેચર જેવા રાસ નૃત્યને મંચ સુધી લઇ ગયા. હજારો પ્રેક્ષકોની સામે રમેશભાઈએ ખુદ ગરબા રાસ કર્યા અને એ સિલસિલો એમના જીવનમાં પૂરા પંચ્યાસી વર્ષ ચાલ્યો. નૃત્ય અને ગરબાને બેસ્ટ સાયકોથેરાપિ ગણતા રમેશભાઈએ એમની માતાના સ્મરણમાં શરદપૂનમની રાત્રે કાયમ ગરબા રાસનું આયોજન કર્યું.

આ રમેશ પટેલ નામક વ્યક્તિની અલગ અલગ ઓળખ પ્રમાણે લોકો એમને ઓળખતા. ગજરાતી ભાષાના વાચક એમને એક ભક્ત કવિ તરીકે પણ ઓળખતા. આ એવા ગુજરાતી જે સ્કૂલ કે કોલેજમાં ક્યારે ય ગુજરાતી વિષય ભણ્યા નથી. શિખરિણી કે મંદાક્રાંતા એમના સિલેબસમાં ક્યારે ય ન હતા. તે છતાં કવિતા એમની માટે સાહજિક હતી. એમનું ‘હૃદયગંગા’ પુસ્તક નવ ભાષામાં અનુવાદ તો થયું પરંતુ એ પુસ્તક માત્ર વાંચવા જેવું નથી, પરંતુ જોવા જેવું પણ છે. આ પુસ્તકમાં કુલ 51 રચનાઓનો સમાવેશ છે આ દરેક રચનામાં પ્રેમ અને પ્રકૃતિ છે.

અહીં એક અંગત અનુભવ ટાંકુ છું. મોબાઈલના સ્ક્રીન પર ટ્યુન સાથે ઝબકારો થાય અને સામે "રમેશ અંકલ" નામ ચમકે, ફોનમાં રણકા સાથે અવાજ સંભળાય "જય સચ્ચિદાનંદ બેટા, ક્યાં છે તું ?તારો બાપ હજી જીવે છે, હવે સાંભળ સાવ અચાનક કૈક અવતર્યું છે .. પ્રાણાયામ પછી આંખ બંધ કરીને બેઠો હતો, કૃષ્ણનું નામ તો કદાચ મનમાંથી સર્યું હશે, ત્યાં તો ગોપીઓ ગીત લઈને આવી ગઈ ..” આવું કૈક કહીને સાવ તાજી જન્મેલી કવિતા એ ફોન પર સંભળાવતા. બે ત્રણ કવિતા પછી કહેતા કે, હવે આવ, મારે ઘણું કામ કરવાનું છે હજુ. "એંશી વર્ષ ક્રોસ કર્યા પછી ક્યાં ય થાક, નાસીપાસ થવું કે રોદણાં રડવા જેવું એમનામાં દેખાતું નહિ. કારણ કે એમની ભાષામાં કહું તો એમની પાસે કવિતાદેવી હતી.

લંડનથી શરૂ કરેલી કલાયાત્રા વડોદરામાં વિસ્તરી અને વડોદરામાં પણ નિવાસ સ્થાને કાલા મંડપની અદ્દભુત બંધાણી કરીને સાંસ્કૃતિક સંવર્ધનનું કામ કર્યા બાદ, માદરે વતન એવી કરમસદની ભૂમિ પર સ્થાયી થયા. અદ્દલોઅદ્દલ વડોદરા જેવો જ સભાગૃહ એમણે કરમસદમાં બનાવ્યો. દર મહિનાના પહેલા રવિવારે અલગ અલગ કલાકારોને આમંત્રણ આપીને નવકલા સંસ્થાના નેજા હેઠળ કાર્યક્રમનું આયોજન કર્યું. ચરોતર વિસ્તારના તાલીમ લેતા અને ઊગતા કલાકારોને મંચ આપ્યું, સિદ્ધહસ્ત કલાકાર રમેશભાઈને સામેથી કાર્યક્રમના આયોજન માટે ફોન કરતા. આ કાર્યક્રમમાં આ પટેલની કલાગીરી (થોડી ઘણી દાદાગીરી) પણ વિશેષ અને નવીન રહેતી. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પહેરવેશ, ભાષા, તાળી પાડવાની રીત, વડીલના આશીર્વાદ લેવાની રીત, સમય પાલન, વગેરે ઝીણી ઝીણી બાબતો એ કહેતા અને એક આખી પેઢીને આકાર આપવામાં સફળ રહ્યા. લંડનમાં ઓર્ગેનિક સ્ટોર અને આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ શરૂ કરનાર રમેશભાઈએ યોગ, વૈદિક અને પ્રાકૃતિક ચિકિત્સામાં પણ ઘણું કામ કર્યું. કવિ વિભૂષિત, વિશ્વ હિન્દી સન્માન એવોર્ડ, શાંતિનિકેતનમાં "પ્રેમોર્મિ"નું સન્માન, જેમ ઓફ ઇન્ડિયા એવોર્ડ જેવા ઘણાં સન્માન એમને એનાયત થયાં.

જે હવા થકી ન ઊડી શકે ના અગ્નિથીયે બળી શકે
ના જલ કદી ભીંજવી શકે … એ આત્મા છું

જે અખંડિત, ના વિભાજીત આનંદનો સ્થિર મર્મ
જે સત્ત – ચિત્ત બનીને વિચરે … એ આત્મા છું

નાદબ્રહ્મનું હું સ્વરૂપ ને બ્રહ્મ થઇ બ્રહ્માંડ જે
સમયના બંધન કશામાં .. એ આત્મા છું

જ્યોતિ સ્વરૂપનું રૂપ હું ને, દૃશ્ય થઇ અદૃશ્ય સઘળે
અંત:સ્તલે હું પ્રગટું છું ને …. એ આત્મા છું

હું અહીં ને નજીક દૂરમાં .. તદ્દદૂરે અન્તીકે જે
આનંદ પથ પર વિસ્તરું … એ આત્મા છું

આ કાવ્યના રચયિતા કવિશ્રી રમેશ પટેલ ઉર્ફે પ્રેમોર્મિ હવે આત્મા સ્વરૂપે છે. રમેશ પટેલ મૂળ કરમસદના છે એમ કહેવાય, પરંતુ એ વિશ્વમાનવી હતા. રમેશ પટેલ ખરા અર્થમાં પ્રેમોર્મિ હતા.

નોંધ : રમેશ પટેલ એક વિશાળ વ્યક્તિત્વ અને અર્થપૂર્ણ જીવન હતા. અહીં એમની સાથે થયેલ અઢળક વાતોની સ્મૃતિમાંથી થોડાં અંશ મૂક્યાં છે.

‘મનોગ્રામ’, ૨૦/૧૦/૨૦૨૧

સૌજન્ય : ‘લેખિકાની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

ગાંધીના નામનો સદુપયોગ અને તેનો દુરુપયોગ

મૂળ લેખક : રામચંદ્ર ગુહા • અનુવાદક : આશા બૂચ|Opinion - Opinion|20 October 2021

(ભારતના ઇતિહાસવિદ્દ અને 'The Unquiet Woods' તથા 'Spin and Other Turns' ઉપરાંત અનેક પુસ્તકોના લેખક તરીકે પ્રખ્યાતિ પામેલા, બેંગ્લોર સ્થિત રામચંદ્ર ગુહા, તેમના આ લેખ દ્વારા ભારતીય પ્રજાને ગાંધી ખરેખર કોણ હતા, અને આપણે તેમની પાસેથી શું શીખી શકીએ, તે વિષે જાગૃત કરવા માગે છે. આપણી સાંસ્કૃતિક અને આર્થિક ઊણપો માટે પશ્ચિમને દોષિત ઠરાવવાની આપણી વૃત્તિ કેટલી અર્થવિહીન છે તે સમજાવે છે. તેને બદલે તેઓ ઇચ્છે છે કે ભારતના લોકો પશ્ચિમ પાસે જે સારું છે, તે સ્વીકારે અને નઠારું છે તે છોડી દે. એ માટે તેમણે જાપાન અને સિંગાપોર જેવા દેશોના ઉદાહરણો ટાંક્યા છે, જે દેશોએ પોતાની સંસ્કૃતિને જરા પણ આંચ આવવા નથી દીધી છતાં ઘણી બાબતોમાં પશ્ચિમનું અનુસરણ કર્યું છે.)

મોટા ભાગના ભારતીયોને મન ગાંધી એ નીતિમત્તાનું એક ચરમ બિંદુ છે, કે જેમની તુલના જાહેર સંબોધનોમાં અસર ઉપજાવનાર તરીકે અમેરિકાના થોમસ જેફર્સન કે ઇસ્લામિક દેશોમાં કુરાનના સ્થાન સાથે સરખાવી શકાય. આથી જ તો દેશની પ્રજાના જીવનને સ્પર્શતા ઘણા ખરા મુદ્દાઓની ચર્ચાઓમાં ગાંધીના મતનું અવતરણ ટાંકવામાં આવે છે. જો કે ગાંધીના વિચારોનો વર્તમાન સમયમાં ઉલ્લેખ કરવા પાછળનો મકસદ મહદ્દ અંશે પશ્ચિમ વિચારધારા ઉપર આક્રમણ કરવાનો છે એ તેની ખાસિયત છે. કેટલીક સામાજિક સમસ્યાઓનો રાજકીય હેતુસર ઉપયોગ કરનારાઓ અને કિસાનોના નેતાઓ આ બાબતમાં સામ્ય ધરાવે છે; ગાંધીનું નામ પશ્ચિમને બદનામ કરવા ઉપયોગમાં લે છે.

ભારત સ્વતંત્ર થયું ત્યાર બાદનાં વર્ષોમાં પશ્ચિમના દેશો પર આક્રમણ કરવાના પ્રયાસોમાં વર્ષોવર્ષ વૃદ્ધિ થતી રહી છે. બ્રિટિશરોની વિદાય બાદ, 70 વર્ષે પણ આપણાં અખબારોમાં પશ્ચિમના આધિપત્યની વાતોનો ક્યારે ય અંત નથી આવ્યો. જમણેરી વિચારધારા ધરાવનારા રૂઢિચુસ્ત હિંદુઓ કે જેમને એમ.ટી.વી. અને તેના જેવા અન્ય માધ્યમો દ્વારા આપણી પારંપરિક સભ્યતાને લૂણો લાગવાનો ભય છે, ડાબેરી વિચારધારા ધરાવતા રાષ્ટ્રવાદીઓ, કે જેઓ એવી માન્યતા ધરાવે છે કે વિદેશી મૂડી આપણા દેશના વિકાસને રૂંધશે અને ગરીબીમાં વધારો કરશે, સરકારના નોકરિયાતો અને અમલદારો, કે જેમને ભય છે કે આ નવ્ય એકરંગી જગતમાં અમેરિકાનું રાજકીય પ્રભુત્વ વધવાની શક્યતા છે, તેમને એવી દહેશત છે કે વિદેશી હાથ આ બધા વિકાસ પાછળ કામ કરી રહ્યો છે, જેનાથી ભારતની એકતા, સ્વનિર્ભરતા અને અખંડિતતા જોખમાઈ રહી છે. આ વિદેશી હાથનો રંગ હંમેશ સફેદ હોય છે, જો કે એની ચોક્કસ રાષ્ટ્રીયતા સાબિત કરવી ક્યારેક મુશ્કેલ હોય છે.

વર્તમાન સમયમાં રાષ્ટ્રવાદનું પ્રદર્શન પૂરજોશમાં પ્રવર્તમાન છે, જેના પુરાવા મારા જેવા બુદ્ધિજીવીઓની જમાતમાં તેના ફેશન કોડના રૂપમાં પુષ્કળ જોવા મળે છે. એક સમય એવો હતો કે મોટા ભાગના બુદ્ધિજીવીઓ માર્ક્સવાદી હતા, આજે અમારામાંના મોટા ભાગના બહુ સાંસ્કૃતિક વલણ ધરાવનારા છે. વિદ્વાનો અને સમાજશાસ્ત્રના નિષ્ણાતો જે કાચમાંથી વિશ્વને જુએ છે તેને કારણે સંસ્કૃતિ અને સભ્યતાના વર્ગીકરણે વર્ગ અને મૂડીવાદના પ્રકારોનું સ્થાન લઇ લીધું છે. જ્યાં વિદ્વત્તા વિદ્યમાન હોય ત્યાં આક્ષેપો કરવાનું ચલણ હોય અને એ પરિવર્તન બદલાતા જતા દુરુપયોગના શબ્દકોશ જેટલો સ્પષ્ટ ભાગ્યે જ ક્યાં ય જોવા મળે.

માર્ક્સવાદના સુવર્ણ કાળમાં જો કોઈ લેખક કોઈ વિચાર સાથે અસહમત થાય તો તેને મૂડીવાદના ખુશામતિયા કે સામ્રાજ્યવાદના પૂંછડી પટપટાવતા કૂત્તા જેવો ગણીને અવગણવામાં આવતો. હવે આ ઘઉંવર્ણા બહુ સાંસ્કૃતિક યુગમાં એવા અપરાધીઓ ઉપર યુરોસેન્ટ્રિક હોવાનો કે પોતાની સંસ્કૃતિ માટે ઘમંડ ધરાવતા હોવાનો આક્ષેપ મુકવામાં આવે છે. કોઈ પણ જાતના ખાસ પ્રયત્ન વિના મૂડીવાદી ધનિકો અને કામદારો વચ્ચનો સંઘર્ષ પશ્ચિમ અને તે સિવાયની સભ્યતાઓ વચ્ચેની જદ્દોજહદમાં બદલાઈ ગયો.

બે સભ્યતાઓ વચ્ચેના તફાવતની બાબતમાં બે કટ્ટર વિચારધારાઓના પ્રતિસ્પર્ધીઓ વચ્ચે કુતૂહલ ઉપજાવે તેવું સામ્ય જોવા મળે છે અને તે માત્ર ભારતમાં જ નહીં, અન્ય દેશોમાં પણ જોવા મળે. ઉદારણ તરીકે અમેરિકાના વિદ્વાનોના જગતમાં હાર્વર્ડના સેમ્યુઅલ હંટીન્ગટન પશ્ચિમની તરફદારી જોરશોરથી કરે, તો કોલંબિયાના એડવાર્ડ સેઈડ બાકીના દેશો માટે બુમરાણ મચાવી મૂકે. આ બન્ને ધુરંધરો સભ્યતાઓને એકબીજાને પરસ્પર સમાવિષ્ટ કરનારી નહીં તેવી, પરસ્પર વિરોધી અને ઘણે ભાગે એકબીજા પાસેથી કંઈ પણ શીખી ન શકે એવી વિભાવના તરીકે જુએ છે.

જેઓ સભ્યતાને બહોળા પરિપેક્ષ્યમાં જુએ છે તેઓ ગાંધીને તેમના આદર્શો અને ઠોસ અસ્તિત્વના સંદર્ભમાં સુએઝ નહેરથી પૂર્વના ભાગમાં સહેજે મૂકે. આથી જ બ્રિટનના રૂઢિચુસ્ત પક્ષના લોકો ગાંધીને તેઓની સંસ્કૃતિના ચાડિયાતાપણાનો સ્વીકાર ન કરતા હોવાને કારણે ડારો આપે, જ્યારે ભારતીય રાષ્ટ્રવાદીઓ ગાંધીના વિચારો પશ્ચિમી આધિપત્યનો વિકલ્પ પૂરો પાડતો હોવાનું માનીને તેમને સાદર સ્વીકારે. બ્રિટનના ટોરી પક્ષના સભ્યો અને ભારતીય રાષ્ટ્રવાદીઓ ગાંધીની એક પ્રખ્યાત ઉક્તિને સમજવા નિષ્ફ્ળ નીવડ્યા. ભારતનું રાજકીય ભાવિ નિશ્ચિત કરવા મળેલી બેઠકમાં હાજર રહેવા જ્યારે 1931માં ગાંધી લંડન ગયા, ત્યારે એક બ્રિટિશ પત્રકારે સવાલ પૂછ્યો, “તમે પશ્ચિમની સભ્યતા વિષે શું અભિપ્રાય ધરાવો છો?” જેના ઉત્તરમાં ગાંધીએ કહેલું, “મને લાગે છે કે જો એમ થાય તો એ એક ઉમદા વિચાર હશે.”

આ ઉક્તિ પાછળની રમૂજ સિવાય રાષ્ટ્રવાદીઓની એવી આશા હોય કે ગાંધી તેમના પક્ષે છે એમ જરૂર માની શકાય, કેમ કે ગાંધીજીએ તેમના રાજનૈતિક કાર્ય ફલકમાં દેશને વિદેશી શાસનમાંથી મુક્ત કરવા વણથાક્યા પ્રયાસો કર્યા, આર્થિક કાર્ય ફલકમાં સ્વદેશીને પ્રોત્સાહન આપ્યું, માન્ચેસ્ટરની મિલમાં બનેલ કાપડને સ્થાને હાથે કાંતેલી-વણેલી ખાદીને પ્રસ્તુત કરી અને નૈતિક ફલકમાં તેમના વતન ગુજરાતની વૈષ્ણવ પરંપરામાંથી પોષણ મેળવીને કાર્ય કર્યાં. આ રીતે ભારતીય રાજકારણીઓ; પછી તે દગાબાજ હોય કે બીજા રાજકારણી હોય તેઓ તથા અન્ય બુદ્ધિજીવીઓ પશ્ચિમી સામ્રાજ્યવાદનો ઘરઘરાઉ વિકલ્પ શોધવા સીધા ગાંધી તરફ દોડે.

સવાલ એ થાય કે તો ગાંધી શું ખરેખર મૂળે ભારતીય હતા, કે ખરા હિન્દુ અને વિચારક હતા? કાર્લ માર્ક્સના પ્રખ્યાત શિષ્ય વી.આઈ. લેનિને એક વખત કહેલું, મારા માસ્ટરના વિચારો જર્મન તત્ત્વજ્ઞાન, બ્રિટિશ પોલિટિકલ ઈકોનોમી અને ફ્રેન્ચ ઇતિહાસ વિજ્ઞાન શાખાનું સંશ્લેષણ હતું. ગાંધીના વિચાર ઘડતર પાછળ તેમને અસરકર્તા લોકોની યાદી કરવા જઈએ તો ગાંધીના વિચારોમાં રશિયાનું લોકપ્રિયતાવાદ (લિઓ ટોલ્સટોય મારફત), અમેરિકન ઉદ્દામવાદી લોકશાહી (હેન્રી ડેવિડ થોરો દ્વારા) અને ઇંગ્લિશ ઔદ્યોગિકીકરણનો વિરોધ(જ્હોન રસ્કિન પાસેથી મળેલ વિચારો)માં ભારતીય વિચારધારાનું સંમિશ્રણ જોવા મળે.

આ હિન્દુ મહાત્માની બૌદ્ધિક સંપદાના ઋણના મૂળ જરૂર પશ્ચિમમાં જણાય છે. એમણે પોતે જ નોંધ્યું છે – તેમના ઉત્તમ ગણાતા પુસ્તક ‘હિન્દ સ્વરાજ (1909)’ના અંતમાં વધુ આગળ અભ્યાસ માટેના પુસ્તકોની સૂચિમાં ટૉલ્સ્ટૉયનાં છ પુસ્તકો, બે બે પુસ્તકો થોરો અને જ્હોન રસ્કિન દ્વારા લખેલા, ઉપરાંત પ્લેટો, મેઝિની, એડવર્ડ કાર્પેન્ટર અને અન્યનાં લખેલાં પુસ્તકોનો ઉલ્લેખ છે. એ યાદીમાં ભારતીય લેખકોમાંથી માત્ર દાદાભાઈ નવરોજજી અને રોમેશ ચન્દ્ર દત્ત જ સામેલ છે; જેઓએ ભારતીય સભ્યતાની શાન વિષે નહીં પરંતુ બ્રિટિશ રાજની ભારત ઉપર પડેલી આર્થિક અસરો વિષે લખેલ છે.

ગાંધીના સાંસ્કૃતિક બાબતો વિશેના ઉદાર મત અને તેમની પશ્ચિમના ઘણાં પાસાંઓ પ્રત્યેના અનુરાગનો પુરાવો  તેમની ઇંગ્લિશ વ્યક્તિઓ તથા દક્ષિણ આફ્રિકાના વતનીઓ સાથેની મૈત્રીમાં તેમ જ ખ્રિસ્તી ધર્મના ઊંડા અભ્યાસમાં અને બીજા વિશ્વયુદ્ધના અંધકાર ભર્યા દિવસો દરમ્યાન ઇંગ્લેન્ડ અને તેની સભ્યતા માટેની તેમની નિસ્બતમાં જોવા મળશે. આમાંની કેટલીક હકીકતોની યોગ્ય નોંધ લેવાઈ છે, પરંતુ આજે હું એક એવો ઠોસ પુરાવો આપવા માંગુ છું કે મારા જાણવા પ્રમાણે ગાંધી વિશેના કોઈ સાહિત્ય સંગ્રહમાં કે તેમના વિશેની જીવન કથાઓ  સુધી પહોંચ્યો નથી.

એ કથાના કથા નાયકો છે ભારતના યુસૂફ મહેરઅલી અને અમેરિકન બર્ટરામ ડી. વૉલ્ફ. બંને તેમના સમયમાં જાણીતા હતા, પણ વર્તમાન સમયમાં વિસરાઈ ગયા છે. મહેરઅલી સ્વાતંત્ર્ય સેનાની હતા, કાઁગ્રેસ સોશ્યાલિસ્ટ પાર્ટીના સ્થાપકોમાંના એક હતા અને થોડા સમય માટે મુંબઈના મેયર રહી ચુક્યા હતા; જ્યારે વૉલ્ફ ઉગ્ર ડાબેરી વિચાર ધરાવતા હોવાને લીધે સ્ટાલિનના ટીકાકાર, અને Three Who Made a Revolution તથા અન્ય પુસ્તકોના લેખક તરીકે પ્રખ્યાત હતા. 1946માં  યુસૂફ મહેરઅલી અમેરિકામાં હતા. તેઓ ટ્યુબર કયુલોસિસથી પીડિત હતા અને અંતિમ દિવસો નજીક હતા. ભારતની કષ્ટદાયી જિંદગીથી બચવા અમેરિકા ગયા. તેમણે જીવનનાં છેલ્લાં દસ વર્ષમાંનો મોટો ગાળો જેલમાં વિતાવેલો. આમ છતાં ન્યુયોર્કમાં તેમના યજમાન બર્ટરામ ડી. વૉલ્ફને તેમના મિત્ર બ્રિટિશરો પ્રત્યે અસાધારણ એવા સૌમ્ય મિજાજમાં જોવા મળ્યા. આ પહેલાની મુલાકાતમાં મહેરઅલી સંસ્થાનવાદની અનિષ્ટ અસરો પ્રત્યે વ્યાજબી રીતે પુણ્યપ્રકોપ ધરાવતા હતા, પણ આ વખતે તેઓ બ્રિટિશરોના થોડા વખાણ કરવા પણ તૈયાર હતા. વૉલ્ફને આ પરિવર્તનથી, તેમના વલણ અને ટોનમાં 180 ડિગ્રી ઘુમાવથી વિમાસણ ઉપજી. તેમણે આ વિષે ચોખવટ માગી. મહેરઅલીએ કહ્યું, તેઓ હવે ભારત છોડે છે. તેમ અમે હવે મુક્ત થઈશું. ગાંધીજી કહે છે, હવે જ્યારે તો વિદાય લઇ રહ્યા છે ત્યારે આપણે બ્રિટિશ પ્રજાના ઉત્તમ ગુણો યાદ રાખવા જોઈએ, તેમની કાયદાકીય વ્યવસ્થા, તેમની ન્યાય પરાયણતા, વગેરે. એ યાદ રાખો અને તેને સાચવી રાખો. આ સલાહ પહેલી વખત આપી તેને 50 વર્ષ થઇ ગયા, છતાં આજે હજુ એટલી જ પ્રસ્તુત લાગે છે. હું કઈં એમ.ટી.વી. કે કે.એફ.સી.નો પક્ષકાર નથી, પરંતુ હું એ જાણું છું કે પશ્ચિમી સભ્યતાનો ઉત્તમ હિસ્સો હજુ પણ આપણા માટે સુલભ છે, જે હજુ આપણી પહોંચમાં નથી. ફિનલેન્ડ અને નોર્વે જેવા દેશોની સરકારો પોતાના દેશની મહિલાઓ અને ગરીબ લોકોને ઘણી માનવતા ભરી અને ન્યાયી સેવાઓ આપે છે. જર્મની અને યુ.એસ.એ.ના વૈજ્ઞાનિકો પોતાના સંશોધનોને માનવ જાતના હિતાર્થે એ દિશામાં વાળે છે, જયારે આપણા વૈજ્ઞાનિકો રિસર્ચ પેપર્સને (જેમના ઘણાં શંકાસ્પદ હોય છે)  દોરી પર બાંધી તેનો હાર બનાવે છે, અને કોઈ કમિટીના ચેરમેનશીપના પદ માટે ઝંખે છે. એ દેશોના ઉદ્યોગપતિઓ પોતાની વધારાની મિલ્કતનું  કલા અને સંકૃતિને પોષતાં ફાઉન્ડેશનમાં દાન કરે છે, આપણા ઉદ્યોગપતિઓ પોતાના નાણાં સ્વિસ બેંકમાં દાટી દે છે.

વધુ દુઃખદ બાબત તો એ છે કે જે ભારતીયો પશ્ચિમને ચાહે છે તે ખોટા કારણોસર તેમ કરે છે. તેમાંનાં ઘણાં રવિ શંકરને બદલે મેડોનાને પસંદ કરે, આર.કે. નારાયણને બદલે ડેનિએલ સ્ટીલ, કુર્તાને બદલે ટી શર્ટ અને તાંદુરીની બદલે કેનટકી ફ્રાઈડ ચિકન તરફ તેમની પસંદગી ઢળે છે. ઉચ્ચ મધ્યમ વર્ગના નિષ્ણાત વ્યાવસાયિકો ઉર્જાનો વધુ ઉપયોગ કરે તેવી જીવનપદ્ધતિ અપનાવીને વેક્યુમ ક્લીનર, પૉજો જેવી કાર વાપરે, છતાં આપણા જેવા સમાજને ઉપયોગી હોય એવી એ દેશોમાં થયેલ શોધખોળોને અવગણે. આપણામાંના કોઈ એ વિષે વિચાર નથી કરતા કે જાહેર સંસ્થાઓ કાબેલિયતથી, સાતત્યપૂર્વક અને વ્યક્તિ નિરપેક્ષ રહીને જે સમાજના તેઓ ભાગ છે તેને સેવાઓ આપવાની બાબતમાં આપણે પશ્ચિમની સરસાઈ ક્યારે કરી શકીશું. પશ્ચિમના દેશોમાં જજ હોય છે જેમને કોઈ ખરીદી નથી શકતું; ત્યાં યુનિવર્સિટીઓ છે જ્યાં અધ્યાપકો શિક્ષણ આપે છે અને વિદ્યાર્થીઓ સતત હડતાળ ઉપર નથી ઉતરતા હોતા, વાહન વ્યવહારની વ્યવસ્થા સલામત અને વિશ્વાસપાત્ર હોય છે; ત્યાં હોસ્પિટલો હોય છે જ્યાં ગરીબ અને તવંગર સહુને એક સરખા વિનય અને શીઘ્રતાથી સારવાર કરવામાં આવે છે.

કેટલાક લોકો માને છે કે ભારત સહુથી મોટી અને પુખ્ત લોકશાહી વ્યવસ્થા છે અને સદા નવીન રહેતી  એવી તાજગી ભરી સભ્યતા છે. તો તેનામાં એવો વિશ્વાસ અને ગૌરવપૂર્ણ નિર્ણય લેવાની ગુંજાઈશ નથી જેથી પશ્ચિમ પાસેથી તેને જે જોઈએ તે લઇ શકે અને ચૂપચાપ જે ન જોઈએ તેની અવગણના કરી શકે? જાપાને બરાબર એમ જ કર્યું અને સિંગાપોરે તેને અમલમાં મૂક્યું. 1940ના દાયકામાં યુસૂફ મહેરઅલી અને મહાત્મા ગાંધી જાણતા હતા કે ક્યારે ‘પશ્ચિમી સંસ્થાનવાદ’ વિષે બોલવાનું બંધ કરવું જોઈએ અને સહુથી વધુ શક્તિશાળી અને ગતિશીલ એવી આધુનિક સભ્યતા પાસેથી ભારત શું શીખી શકે તે વિચારવા માંડે. આપણે, જેણે બ્રિટિશ જેલો અંદરથી નથી જોઈ તેઓ કદાચ કદી સમજી ન શકે.

e.mail : 71abuch@gmail.com

Loading

...102030...1,7551,7561,7571,758...1,7701,7801,790...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved