Opinion Magazine
Number of visits: 9571178
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રેમ : મનનો અને તનનો

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|14 September 2021

આ પૃથ્વી પર માનવજાત અસ્તિત્વમાં આવી ત્યારે તેને આ જગતની તો ખાસ સમજ નહીં જ હોય, પણ તેને પોતાને વિષે પણ ત્યારે કેટલી સમજ હશે તે પ્રશ્ન જ છે. આજે પણ આપણે વિષે આપણે કેટલું જાણીએ છીએ? જે શરીરની આપણે બહારથી ટાપટીપ કરીએ છીએ એ શરીરની રચના પણ આપણે તો ભણવી જ પડે છે. તે એટલે કે શરીર આપણને પહેલાં મળી જાય છે ને જ્ઞાન તે પછી શરૂ થાય છે. ખોરાકનું લોહી બને છે તે આપણે શીખ્યા છીએ, પણ કયાં બિંદુથી ખોરાકનું લોહી બને છે ને આપણા જ શરીરમાં બને છે, એની આપણને ખબર નથી. આંસુ કોણ, ક્યાંથી બનાવે છે એ નથી જાણતા ને ઘણું બધું જાણીએ છીએ એવા વહેમમાં ફરીએ છીએ !

એવું જ પ્રેમનું છે. પૃથ્વી પર મનુષ્યે યુગોથી પ્રેમ કર્યો છે, પણ એ તત્ત્વ પૂરેપૂરું આજે પણ પકડમાં આવ્યું નથી. જગતમાં આદમ પહેલો આવ્યો એમ કહેવાય છે. તે પછી ઈવ આવી. એ સ્ત્રી–પુરુષે એકબીજાને પહેલીવાર જોયાં હશે ત્યારે શરીરનો ભેદ દેખાયો હોય તો પણ સમજાયો નહીં હોય એમ બને. આદમની પાંસળીમાંથી સ્ત્રી જન્મી એવું કહેવાય છે, પણ બધી સ્ત્રીઓ આદમની ઓશિયાળી નથી. વારુ, સ્ત્રીને જન્માવનારા આદમની વાત સાચી માનીએ તો, ઈવ જન્મી એનું શું અને કેવું ભાન એને રહ્યું હશે તે તો એ જ જાણે, પણ એટલું તો સહુ કોઈ સ્વીકારશે કે હૃદયની ખબર ન હતી ને હૃદય ધબકતું હતું, આંસુની ખબર પડે તે પહેલાં આંખો ભીની થઈ હતી, સ્મિતની વ્યાખ્યા થાય તે પહેલાં ચહેરે સ્મિત ખીલ્યું હતું. આજે પણ એવું ઘણું બધું છે જેની સમજ પડતી નથી, પણ એક વસ્તુ નક્કી છે કે જીવંત શરીર ન હોય તો જગતમાં કૈં નથી. બહારનું જે કૈં પણ અનુભવાય છે તે પહેલાં તનને કે મનને અનુભવાય છે.

જેને પ્રેમ કહીએ છીએ એની શું અને કેવી ખબર પહેલી વ્યક્તિને પડી હશે તેની તો અટકળ જ કરવાની રહે છે. જેને આપણે વેદના, આનંદ કહીએ છીએ એને એવું જુદું નામ તરત તો નહીં જ મળ્યું હોય. એને અલગ તારવવાનું ને ઓળખવાનું પણ પહેલાં તો સહેલું નહીં હોય. જેને આપણે શરીરનો અને મનનો પ્રેમ કહીએ છીએ એ પણ આપણા પૂર્વજો અલગ તારવી આપે એવી અનુકૂળતા ત્યારે નહીં જ રહી હોય, કારણ જેને તનનો કે મનનો પ્રેમ કહીએ છીએ એવાં જુદાં ખાનાં કરવાનું ભાન જ ત્યારે કોને રહ્યું હશે? એટલું સમજાય છે કે સ્ત્રી કે પુરુષને કોઈ લાગણી એકબીજા માટે મનમાં ઉદભવી હશે ને એ મનમાં જ રહે તો કોને પહોંચે? એટલે એ પહોંચી હશે અભિવ્યક્તિ દ્વારા અને અભિવ્યક્તિ શરીર વગર તો કેમ શક્ય બને? એટલે મનની વાત પણ શરીર વગર તો શક્ય જ ન હતી ને નથી. એટલે મન પણ શરીર દ્વારા જ બીજા મન સુધી પહોંચ્યું હશે. ટૂંકમાં, શરીર વગર સ્નેહ અશક્ય છે.

બીજી તરફ આપણા ધર્મગુરુઓએ અને ગ્રંથોએ કોણ જાણે કેમ, પણ શરીરનો મહિમા એટલો નથી કર્યો જેટલો આત્માનો કર્યો છે. વિલાસિતાનું મહત્ત્વ ન વધે ને લાગણીઓ નિયંત્રણમાં રહે એટલે એમ થયું હશે. એ સારું પણ છે. કશું પણ વકરે એ ઇચ્છનીય નથી, પણ શરીરનો છેદ જ ઉડાવી દેવો એ બરાબર નથી. શરીર નાશવંત છે ને તેનું કઠોર નિયમન શાસ્ત્રો સૂચવે છે. બ્રહ્મચર્ય એ જ એક માત્ર ઉપાય નિયમનનો છે એવું પણ ભણાવાયું છે, છતાં જગતમાં માત્ર બ્રહ્મચર્યની જ બોલબાલા છે એવું નથી. જગત બ્રહ્મચર્યને લીધે વિકસ્યું નથી. એ વિકસ્યું છે સ્ત્રી-પુરુષનાં પ્રેમને લીધે, સહવાસને લીધે. એક વાત સ્પષ્ટ છે કે પ્રેમનો પ્રથમ આવિર્ભાવ મનમાં થાય છે, પણ એ મન પણ શરીરમાં છે, એટલે એની અનુભૂતિ ને અભિવ્યક્તિ શરીર દ્વારા જ શક્ય બને છે. પ્રેમ એક દિવ્ય અનુભવ છે, પણ તે જીવંત શરીરની બહાર ક્યાં ય નથી. મન, શરીરની બહાર નથી તો મન વગર શરીર પણ કૈં નથી. એટલે જે જીવંતતાની અનુભૂતિ થાય છે તે મનુષ્ય સજીવ હોવાને લીધે. પશુપક્ષીમાં પણ પ્રેમની લાગણી છે, પણ ત્યાં ભાષા નથી, એટલે અભિવ્યક્તિ શરીર દ્વારા જ થાય છે. મનુષ્ય પાસે ભાષા છે. ભાષા છે એટલે જ મન પણ છે. ભાષા ન હોત તો કદાચ મનની વાત પ્રગટ જ ન થઈ હોત ! અનુભૂતિ ભાષા વડે અભિવ્યક્તિ પામે છે એટલે મનની વાતો બીજા સુધી પહોંચે છે, નહીં તો પ્રેમ શરીર દ્વારા જ વ્યક્ત થઈને રહી ગયો હોત.

આમ છતાં શરીરી પ્રેમને આપણે બીજા નંબરે જ મૂક્યો છે. શરીરને પવિત્ર ગણતાં આપણને સંકોચ થાય છે, એટલે શરીરી પ્રેમને પવિત્ર ગણવાનું વલણ પણ ઓછું જ છે. શરીર મલીન છે ને આત્મા જ પવિત્ર છે એવું આપણને અનેક રીતે ઠસાવાયું છે, પણ ગમે એટલો પવિત્ર કેમ ન હોય, આત્મા શરીરની બહાર ક્યાં ય નથી. શરીર બતાવી શકાય છે, આત્માનું એવું નથી. શરીરની બહાર પણ આત્મા અનુભવી શકાય છે એવું પણ કહેવાય છે. એ જ રીતે શરીર પણ સૂક્ષ્મ હોય છે એવું મનાય છે, એ બધું ભલે કહેવાતું, મનાતું હોય, એનો કોઈ વાંધો નથી, પણ અતિ સૂક્ષ્મ અનુભૂતિ પણ શરીર વગર શક્ય નથી, એ ભલેને સૂક્ષ્મ શરીર જ કેમ ન હોય, પણ અનુભૂતિ શરીર વગર અશક્ય છે.

હકીકત એ છે કે મનથી હોય કે શરીરથી, પ્રેમ મહત્ત્વનો છે. કેવળ મનથી કોઈ ચાહતું હોય અને એટલાથી જ તૃપ્તિનો અનુભવ થતો હોય તો ભલે, તેની સામે કૈં કહેવાનું નથી, પણ એ દિવ્ય પ્રેમમાં કોઈ શરીરની ઝંખના કરે તો તેટલા માત્રથી તે અપવિત્ર થઈ જાય એમ માનવું કે મનાવવું બરાબર નથી. આપણે પ્રમાણિક હોઈએ તો એ પણ સ્વીકારીશું કે મનથી શરૂ થયેલો પ્રેમ, શરીરી પ્રેમ પર પૂર્ણત્વ પ્રાપ્ત કરે છે. સ્ત્રી-પુરુષનો પ્રેમ મનથી શરૂ થાય તો પણ તેનું ઊંડે ઊંડે એક લક્ષ્ય શરીરની પ્રાપ્તિનું હોય જ છે. બધા પ્રેમ, શરીર પ્રાપ્તિમાં પૂરા થાય એવું જરૂરી નથી, ઘણા પ્રેમ મન આગળ પણ પૂરા થઈ જાય છે, તો ઘણી વાર મનની વાત મનમાં પણ રહી જાય છે ને પ્રિય પાત્ર અન્યત્ર પરણી જાય છે ને આખી જિંદગી કશુંક ન પ્રાપ્ત થઈ શકવાનો વસવસો સિલકમાં રહી જાય છે. એ અસંતોષ કે અપ્રાપ્તિ ઘણું ખરું શરીરની જ હોય છે. ઘણો સ્નેહ મન સુધી પહોંચતો પણ હોય છે ને લગ્ન શક્ય બનતાં નથી ને દેહની પ્રાપ્તિ ન થઈ શકવાની પીડા શેષ રહી જાય છે. વારુ, જે પાત્રો અન્યત્ર ગોઠવાય છે એ પણ સમાધાન તો શરીરમાં જ શોધવા લાચાર બને છે. એટલે દંભ ન કરીએ તો એ સ્વીકારવું પડે કે શરીરી પ્રેમ દરેક વખતે અપવિત્ર નથી જ !

હા, કોઈ અનિચ્છાએ શરીરને સ્પર્શવાની કોશિશ કરે કે બળજબરીએ શરીર પ્રાપ્ત કરે તો એના જેવી ઘોર અપવિત્રતા બીજી કોઈ નથી, કારણ કે શરીરને કોઈ અનિચ્છાએ સ્પર્શવા મથે છે. દેખીતું છે કે શરીર નથી ઇચ્છતું એટલે મન પણ ન જ ઈચ્છે. એવો સ્પર્શ નકારવાનો જ રહે. એનો વિરોધ જ હોય. એથી ઊલટું જે સ્પર્શ શરીર ઇચ્છતું હોય અને એનાથી કોઈને કોઈ પણ રીતે હાનિ ન પહોંચતી હોય તો તેનો નકાર પણ અક્ષમ્ય છે, છતાં હકીકત એ છે કે ઇચ્છનીય સ્પર્શથી ઘણાં વંચિત રહે છે ને અનિચ્છનીય સ્પર્શ ઘણાંને કરમે ચોંટે છે.

એવું પણ કહેવાયું છે કે માતાનું પયપાન કરતું બાળક પણ શરીરી પ્રેમનું જ ઉદાહરણ છે. એ માન્યતા પશ્ચિમની હોઈ શકે ને એ અહીં લાગુ ન પણ પડે. આપણી વાત કરીએ તો બાપ, દીકરીને વહાલ કરે કે બહેન, ભાઈનું કપાળ ચૂમે તો તે સ્પર્શ, પતિ-પત્નીનો સ્પર્શ નથી. પતિ-પત્નીના સ્પર્શમાં એકબીજાનાં શરીરની પ્રાપ્તિનો હેતુ છે, જ્યારે મા-દીકરા કે ભાઈ-બહેનના પ્રેમમાં એ હેતુ નથી. કહેવાય તો છે એ પણ પ્રેમ જ, પણ સમાજ, વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેના સંબંધો, પ્રેમના ઘણા પ્રકારો પાડે છે, તે સાથે જ એ પણ ખરું કે શરીરી પ્રેમની પણ અનેક છાયાઓ છે ને તે વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેના સંબંધો ને સ્થાન પર અવલંબિત છે એ વાત ધ્યાને લેવાની રહે …

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

ટૂંકીવાર્તાની કલા વિશે મારાં મન્તવ્યો (8)

સુમન શાહ|Opinion - Literature|13 September 2021

સલાહ રૂપે કહેવાયું છે કે ટૂંકીવાર્તામાં ‘સિન્ગલ ઇફૅક્ટ’ હોવી જોઇએ.

આજે, એ અંગેનું મારું મન્તવ્ય રજૂ કરું :

મને યાદ આવે છે કે ટૂંકીવાર્તાના સાહિત્યપ્રકાર વિશે મેં પહેલો લેખ લખેલો, ‘સ્વાધ્યાય’-માં. એ સામયિક પ્રાચ્ય વિદ્યામન્દિર, મ.સ. યુનિવર્સિટી, વડોદરાથી પ્રકાશિત થતું હતું. લેખનું શીર્ષક હતું : ‘સાહિત્યપ્રકાર અને વિભાવના – ટૂંકીવાર્તાના સંદર્ભમાં’. લેખ પ્રકાશિત થયેલો, ૧૯૭૫માં.

ત્યારથી માંડીને આજ સુધી ટૂંકીવાર્તાએ મારો કેડો નથી મૂક્યો. કેટલીયે વાર્તાઓ લખી, કેટલીયે પાઇપલાઇનમાં છે. કેટલા ય લેખો કર્યા, કેટલાયે લખાશે. ૬ વાર્તાસંગ્રહમાં વાર્તાઓ સંઘરાઈ છે અને ‘કથાપદ’ તેમ જ ‘કથાસિદ્ધાન્ત’-માં લેખો સંઘરાયા છે. ૪૬ વર્ષ થઈ ગયાં …

એ પહેલા લેખમાં મેં ટૂંકીવાર્તા અંગેના ઍડ્ગર ઍલન પોના બે સિદ્ધાન્તની વાત જોડી છે – પ્રોઝ ટેલ – સિન્ગલ ઇફૅક્ટ. પહેલો સિદ્ધાન્ત વાર્તાના ગદ્ય વિશે છે, બીજો, વાર્તામાં હોવી જોઈતી એકમેવ અસર વિશે છે.

વાર્તાના ગદ્ય વિશે બીજી કોઈ વાર, પણ અત્યારે એકમેવ અસર વિશે કહું :

પો એમ કહે છે કે વાચક પર એકમેવ અસર, એટલે કે એક જ અસર, મૂકી જનારી ટૂંકીવાર્તાને જ સારી વાર્તા કહી શકીએ. એમનું તાત્પર્ય મારા શબ્દોમાં કહું તો એ હતું કે વાર્તાની વાચક પર પડનારી અસર કે સમગ્ર પ્રભાવ દ્વિધ, બહુવિધ કે વિવિધ હોય તે ન ચાલે – ટૂંકીવાર્તાની કલાને ઘાતક નીવડે.

Edgar Allan Poe

Picture courtesy : Wikipedia

જુઓ, ટૂંકીવાર્તામાં લાઘવ હશે. તે ટૂંકમાં જ ઘણું સૂચવી દેતું હશે. પણ એને કારણે બધું સુગ્રથિત થતું હશે, કશું પણ આઘુંપાછું બચશે નહીં, એક પણ વાનું કારણ વગરનું હશે નહીં. કથક આમતેમની વાતો કરતો હશે પણ મૂળ વાતને વીસરશે નહીં, જે ગાણું ગાતો હશે એ જ ગાશે. ટૂંકીવાર્તા તીરવેગે જાય છે કહેનારા કહેવા તો એ જ કરે છે કે નૅરેટિવ ઍરો વાંકોચૂંકો ભલે જાય પણ પોતાના ધ્યેયભણી જ જશે.

પછી છે ને … પછી છે ને … કરીને પિતાજી પણ વાર્તાના મૂળ તાંતણાને પકડી લેતા’તા, બગાસું આવતું હોય તો પણ …

આ બધાંને કારણે અને પ્રતાપે વાચકનું ધ્યાન પણ એકત્ર થઈ જશે ને જે અસર પડશે તે પણ એક જ હશે. નવલ કે નાટકમાં વાર્તા અનેક દિશાએ જાય, જવી પણ જોઈએ, ને અવનવી વાતો મૂળમાં ઉમેરાય, ઉમેરાવી પણ જોઇએ. પરન્તુ ટૂંકીવાર્તાને એવો વિલાસ પરવડતો નથી કેમ કે એમાં એટલી જગ્યા જ નથી. વાર્તાકાર જગ્યા કરવા જશે, તો રચના લાંબી કે પ્હૉળી થઈ જશે, ઢીલી પડી જશે, એમાં વરવા ઝોલ પડશે. પરિણામે, વાચક અરધેથી ભાગી જશે.

જેમ કે, મારા આ ચાલુ લેખમાં હું શું કરી રહ્યો છું? મારા વાચકને પકડીને એકમેવ અસરની એ જ એક-ની-એક વાત કરી રહ્યો છું. જાતભાતની વીગતો આપીને, મૂળ દલીલને આમથી તેમ ફેરવીને, મારે કરવું છે એટલું જ કે મારો વાચક એકમેવ અસરના મુદ્દાને ચિત્તસાત્ કરી લે, આત્મસાત્ કરી લે. સમજી જાય કે ટૂંકીવાર્તાની કલાના કલાકારે આ કરી બતાવવું અનિવાર્ય છે ને એમાં એની સર્જકતાની કસોટી છે. જો હું બીજીત્રીજી વાતો કરું તો વાચકનું ધ્યાન હરતુંફરતું થઈ જાય ને સરવાળે એ કશું જ લાભે કે પામે નહીં, ભાગી જાય. બને કે હું પણ મારા એવા યદ્વાતદ્વાના દબાણે કરીને ગપાટે ચડી ગયો હોઉં.

શિકાગોમાં અશરફ ડબાવાલાને ત્યાં એક વાર મેં ટૂંકીવાર્તા વિશે મારી વાર્તાઓને સંડોવીને વ્યાખ્યાન આપેલું. ત્યારે કહેલું કે માણસનું જીવન અપાર અને અતાગ છે. સતત ગૂંચવાતું અને ચારેય દિશામાં ફેલાતું રહેતું છે. ટૂંકીવાર્તાનો કલાકાર એનો તાગ લેવા માગે છે. એ માટે જીવનને કોઇ એક ઘટનામાં કેન્દ્રિત કરે છે, પોતાને સૂઝેલા કોઇ એક વિશિષ્ટ ઢાળામાં ઢાળે છે. એવી રીતે કે એ આખ્ખા કમઠાણનો આપણા પર એક સુગઠિત પ્રભાવ પડે.

મેં કહેલું કે સારી ટૂંકીવાર્તામાં કથકે માંડેલી વાત એક અને એક રહે છે, એમ જ રહેવી જોઈશે. કથક અને એનો જનક વાર્તાકાર સમજે છે કે ટૂંકીવાર્તાની અસર ચોતરફ દોડતી ફેલાતી વસ્તુ નથી, એ તો ચોતરફથી રસિત થતો આવતો એક સંઘાત છે. સમજે છે કે પોતે એવી અસર આપશે, એવો પ્રભાવ પાડશે, કે રચના ગમે એટલી ટૂંકી કે દીર્ઘ પણ લાગતી હોય, વાચક એને છોડશે નહીં.

મેં કહેલું કે ટૂંકીવાર્તાનું ટૂંકાપણું ટૂંકમાં પતાવી દેવા માટેનો ખેલ નથી. જે કરવાનું છે તે ટૂંકાપણાને વશ રહીને કરવાનું છે. એટલે, સમજુ વાર્તાકાર પથારો નથી કરતો, ઊંડાણને તાકે છે, ઉતરાય એટલો ઊંડે ઊતરે છે. કામ, લાગે છે સરળ, પણ છે અઘરું. ચોમેર ઢણકવાનું, પણ ખીલે બંધાયેલા રહીને !

Charles Pierre Baudelaire

Picture courtesy : CNRSnews

નીચે જે કહ્યું છે એને ‘એકમેવ અસર’-ના મારા મન્તવ્ય સાથે કશી લેવાદેવા નથી.

ટૂંકીવાર્તાના પ્રારમ્ભકાલીન પ્રણેતાઓમાં ઍડગર ઍલન પો પણ છે. ટૂંકીવાર્તાને વિશેની એમણે કરેલી બીજી વાતો હવે કાલગ્રસ્ત છે. પણ જગવિખ્યાત ફ્રૅન્ચ કવિ બૉદ્લેર આ પો સાથે કેટલુંક વૈચારિક સામ્ય અનુભવવા લાગેલા. એમણે ૧૫ વર્ષના ગાળામાં પો-ની સાહિત્ય સૃષ્ટિમાંથી નવલ નિબન્ધ વગેરે અનેક કૃતિઓનો ફ્રૅન્ચમાં અનુવાદ કરેલો. એમાં સૌથી વધુ હતી પો-ની વાર્તાઓ, ત્રણ ગ્રન્થમાં : ઍક્સ્ટ્રાઑર્ડિનરી સ્ટોરીઝ, ન્યૂ ઍક્સ્ટ્રાઑર્ડિનરી સ્ટોરીઝ. ગ્રોટેક્સ ઍન્ડ સીરિયસ સ્ટોરીઝ. કહે છે, આ મનગમતા કામે બૉદ્લેરને ઠીક ઠીક કમાણી કરી આપેલી – તંગીના દિવસો હતા, કવિને જરૂર હતી.

= = =

(September 12, 2021: USA)

Loading

બે કાવ્યો

બકુલા ઘાસવાલા|Poetry|13 September 2021

છેલ્લા કેટલાક દિવસોમાં કાળજું કંપાવે એવી બનેલી આ બે ઘટનાઓ પર અમારી સંવેદનશીલ નાનકી સખી ખેવનાનું ચિત્ત ડહોળાઈ ગયું છે. એનો બળાપો મારાથી સહન ન થયો તે વેદનાની  આમ કાવ્ય ગણો તો અભિવ્યક્તિ થઈ. 

૧: 

*કોણે શરમને નેવે મૂકી : 

 
કોણ જાણે કેમ શરમ નો’તી
એટલે એને નેવે મૂકી! 
આમ તો સાબરમતી  સૌને મન ગંગા જેવી 
એટલે 
એમાં વળાવી ને વહાવી કો’ અજ્ઞાત દુહિતા 
અમારો વિકાસ પાગલ જેવો 
શરમબરમ રાખીએ તે પાલવે નહીં 
અમે તો છાપરે ચડીને પોકારીએ 
જુઓ, જુઓ …. નદીમાં વહેતી એ દીકરી! 
દીકરી? 
કેવા દીકરી ને કેવી વાત? 
એ તો ફક્ત કેસ બનીને ફાઈલે જશે. 
બે-ચાર દિવસ થોડું આક્રંદ અને થોડો આક્રોશ
 પછી બધું ત્યાં ને ત્યાં 
ખબર નથી બાયોલોજિકલ એક્સિડન્ટ હતો કે 
બળાત્કાર … કે પછી કશું જ નહીં 
વાત એમ હતી કે એ જોઈતી ન હતી
એટલે એને ગર્ભમાં જ …
બાકી અમે તો માતૃદેવો ભવ અને 
દીકરી વહાલનો દરિયોનું રટણ કરનારાં
ફક્ત અમને શરમબરમ નડે નહીં 
એટલે એક બાજુ આમ ને બીજી બાજુ તેમ 
જવા દો બધી વાત …
અમારે તો તૈયારી કરવાની  છે 
શાની? 
કેમ, ભૂલી ગયા નવરાત્રિ આવે છે તે! 
જેણે મૂકી લાજ, તેનું નાનું સરખું રાજ 
આમ પણ શરમ તો નેવે મુકાયેલી જ છેને! 

**************************************

૨ :

એક સ્ત્રી રહેતી હતી ફૂટપાથ પર.

એક સ્ત્રી રહેતી હતી ફૂટપાથ પર, 
એની પાસે કોઈ સામાન હતો કે નહીં 
તે તો ખબર નથી. 
પણ એનું ઘર જ ફૂટપાથ પર હતું તે તો નક્કી વાત. 
આમ તો કોઈને નડતી નો’તી
લોક તો કહેતું કે મગજ સ્થિર નો’તું 
અને જે મળે તે ખાઈ-પી લેતી હતી. 
આમ તો બધાંને માટે સાવ નગણ્ય 
પરંતુ કોઈની આંખે તો ચડી ગયેલી
એટલે એક દિવસ એને માણસ કેવો હોય 
તેની જાણ થઈ, ખબર નથી કે એને એ સમજાયું હોય …
પરંતુ માણસની ક્રૂરતાનો પરચો તો એને મળ્યો. 
એનાં સર્જનદ્વારને તહસનહસ કરીને સળિયો નાંખ્યો અંદર ગર્ભાશયે ! 
અને વટાવી દીધી હદ બર્બરતાએ! 
પણ એને ક્યાં ભાન હતું કે એની સાથે શું થયું? 
હોસ્પિટલ ભેગી તો થયેલી પણ છેવટે જાનથી ગઈ …
હવે આવી ઘટનાઓ પર ખાસ ઊહાપોહ થતો નથી. 
બે-ચારને ‘આક્રંદ અને આક્રોશ’ પ્રગટ કરવાની ખેવના 
એટલે વાત થોડી હવામાં ફેલાઈ, 
બાકી આજકાલ તો આવી ઘટનાઓ 
‘કેસ ફાઈલ’ બનીને રહી જાય … 
અને હા, હવે એ ફૂટપાથ પર 
કોઈ સ્મારક નથી બનવાનું. 
કદાચ,એનાં જેવી બીજી કોઈ ત્યાં 
ગોઠવાય પણ ગઈ હોઈ તો આપણને નથી ખબર! 

*********************************

“AadiRaj", Behind Jalaram Temple, Halar Road, Valsad 396 001 Gujarat, India.

Loading

...102030...1,7551,7561,7571,758...1,7701,7801,790...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved