(ભારતના ઇતિહાસવિદ્દ અને 'The Unquiet Woods' તથા 'Spin and Other Turns' ઉપરાંત અનેક પુસ્તકોના લેખક તરીકે પ્રખ્યાતિ પામેલા, બેંગ્લોર સ્થિત રામચંદ્ર ગુહા, તેમના આ લેખ દ્વારા ભારતીય પ્રજાને ગાંધી ખરેખર કોણ હતા, અને આપણે તેમની પાસેથી શું શીખી શકીએ, તે વિષે જાગૃત કરવા માગે છે. આપણી સાંસ્કૃતિક અને આર્થિક ઊણપો માટે પશ્ચિમને દોષિત ઠરાવવાની આપણી વૃત્તિ કેટલી અર્થવિહીન છે તે સમજાવે છે. તેને બદલે તેઓ ઇચ્છે છે કે ભારતના લોકો પશ્ચિમ પાસે જે સારું છે, તે સ્વીકારે અને નઠારું છે તે છોડી દે. એ માટે તેમણે જાપાન અને સિંગાપોર જેવા દેશોના ઉદાહરણો ટાંક્યા છે, જે દેશોએ પોતાની સંસ્કૃતિને જરા પણ આંચ આવવા નથી દીધી છતાં ઘણી બાબતોમાં પશ્ચિમનું અનુસરણ કર્યું છે.)
મોટા ભાગના ભારતીયોને મન ગાંધી એ નીતિમત્તાનું એક ચરમ બિંદુ છે, કે જેમની તુલના જાહેર સંબોધનોમાં અસર ઉપજાવનાર તરીકે અમેરિકાના થોમસ જેફર્સન કે ઇસ્લામિક દેશોમાં કુરાનના સ્થાન સાથે સરખાવી શકાય. આથી જ તો દેશની પ્રજાના જીવનને સ્પર્શતા ઘણા ખરા મુદ્દાઓની ચર્ચાઓમાં ગાંધીના મતનું અવતરણ ટાંકવામાં આવે છે. જો કે ગાંધીના વિચારોનો વર્તમાન સમયમાં ઉલ્લેખ કરવા પાછળનો મકસદ મહદ્દ અંશે પશ્ચિમ વિચારધારા ઉપર આક્રમણ કરવાનો છે એ તેની ખાસિયત છે. કેટલીક સામાજિક સમસ્યાઓનો રાજકીય હેતુસર ઉપયોગ કરનારાઓ અને કિસાનોના નેતાઓ આ બાબતમાં સામ્ય ધરાવે છે; ગાંધીનું નામ પશ્ચિમને બદનામ કરવા ઉપયોગમાં લે છે.
ભારત સ્વતંત્ર થયું ત્યાર બાદનાં વર્ષોમાં પશ્ચિમના દેશો પર આક્રમણ કરવાના પ્રયાસોમાં વર્ષોવર્ષ વૃદ્ધિ થતી રહી છે. બ્રિટિશરોની વિદાય બાદ, 70 વર્ષે પણ આપણાં અખબારોમાં પશ્ચિમના આધિપત્યની વાતોનો ક્યારે ય અંત નથી આવ્યો. જમણેરી વિચારધારા ધરાવનારા રૂઢિચુસ્ત હિંદુઓ કે જેમને એમ.ટી.વી. અને તેના જેવા અન્ય માધ્યમો દ્વારા આપણી પારંપરિક સભ્યતાને લૂણો લાગવાનો ભય છે, ડાબેરી વિચારધારા ધરાવતા રાષ્ટ્રવાદીઓ, કે જેઓ એવી માન્યતા ધરાવે છે કે વિદેશી મૂડી આપણા દેશના વિકાસને રૂંધશે અને ગરીબીમાં વધારો કરશે, સરકારના નોકરિયાતો અને અમલદારો, કે જેમને ભય છે કે આ નવ્ય એકરંગી જગતમાં અમેરિકાનું રાજકીય પ્રભુત્વ વધવાની શક્યતા છે, તેમને એવી દહેશત છે કે વિદેશી હાથ આ બધા વિકાસ પાછળ કામ કરી રહ્યો છે, જેનાથી ભારતની એકતા, સ્વનિર્ભરતા અને અખંડિતતા જોખમાઈ રહી છે. આ વિદેશી હાથનો રંગ હંમેશ સફેદ હોય છે, જો કે એની ચોક્કસ રાષ્ટ્રીયતા સાબિત કરવી ક્યારેક મુશ્કેલ હોય છે.
વર્તમાન સમયમાં રાષ્ટ્રવાદનું પ્રદર્શન પૂરજોશમાં પ્રવર્તમાન છે, જેના પુરાવા મારા જેવા બુદ્ધિજીવીઓની જમાતમાં તેના ફેશન કોડના રૂપમાં પુષ્કળ જોવા મળે છે. એક સમય એવો હતો કે મોટા ભાગના બુદ્ધિજીવીઓ માર્ક્સવાદી હતા, આજે અમારામાંના મોટા ભાગના બહુ સાંસ્કૃતિક વલણ ધરાવનારા છે. વિદ્વાનો અને સમાજશાસ્ત્રના નિષ્ણાતો જે કાચમાંથી વિશ્વને જુએ છે તેને કારણે સંસ્કૃતિ અને સભ્યતાના વર્ગીકરણે વર્ગ અને મૂડીવાદના પ્રકારોનું સ્થાન લઇ લીધું છે. જ્યાં વિદ્વત્તા વિદ્યમાન હોય ત્યાં આક્ષેપો કરવાનું ચલણ હોય અને એ પરિવર્તન બદલાતા જતા દુરુપયોગના શબ્દકોશ જેટલો સ્પષ્ટ ભાગ્યે જ ક્યાં ય જોવા મળે.
માર્ક્સવાદના સુવર્ણ કાળમાં જો કોઈ લેખક કોઈ વિચાર સાથે અસહમત થાય તો તેને મૂડીવાદના ખુશામતિયા કે સામ્રાજ્યવાદના પૂંછડી પટપટાવતા કૂત્તા જેવો ગણીને અવગણવામાં આવતો. હવે આ ઘઉંવર્ણા બહુ સાંસ્કૃતિક યુગમાં એવા અપરાધીઓ ઉપર યુરોસેન્ટ્રિક હોવાનો કે પોતાની સંસ્કૃતિ માટે ઘમંડ ધરાવતા હોવાનો આક્ષેપ મુકવામાં આવે છે. કોઈ પણ જાતના ખાસ પ્રયત્ન વિના મૂડીવાદી ધનિકો અને કામદારો વચ્ચનો સંઘર્ષ પશ્ચિમ અને તે સિવાયની સભ્યતાઓ વચ્ચેની જદ્દોજહદમાં બદલાઈ ગયો.
બે સભ્યતાઓ વચ્ચેના તફાવતની બાબતમાં બે કટ્ટર વિચારધારાઓના પ્રતિસ્પર્ધીઓ વચ્ચે કુતૂહલ ઉપજાવે તેવું સામ્ય જોવા મળે છે અને તે માત્ર ભારતમાં જ નહીં, અન્ય દેશોમાં પણ જોવા મળે. ઉદારણ તરીકે અમેરિકાના વિદ્વાનોના જગતમાં હાર્વર્ડના સેમ્યુઅલ હંટીન્ગટન પશ્ચિમની તરફદારી જોરશોરથી કરે, તો કોલંબિયાના એડવાર્ડ સેઈડ બાકીના દેશો માટે બુમરાણ મચાવી મૂકે. આ બન્ને ધુરંધરો સભ્યતાઓને એકબીજાને પરસ્પર સમાવિષ્ટ કરનારી નહીં તેવી, પરસ્પર વિરોધી અને ઘણે ભાગે એકબીજા પાસેથી કંઈ પણ શીખી ન શકે એવી વિભાવના તરીકે જુએ છે.
જેઓ સભ્યતાને બહોળા પરિપેક્ષ્યમાં જુએ છે તેઓ ગાંધીને તેમના આદર્શો અને ઠોસ અસ્તિત્વના સંદર્ભમાં સુએઝ નહેરથી પૂર્વના ભાગમાં સહેજે મૂકે. આથી જ બ્રિટનના રૂઢિચુસ્ત પક્ષના લોકો ગાંધીને તેઓની સંસ્કૃતિના ચાડિયાતાપણાનો સ્વીકાર ન કરતા હોવાને કારણે ડારો આપે, જ્યારે ભારતીય રાષ્ટ્રવાદીઓ ગાંધીના વિચારો પશ્ચિમી આધિપત્યનો વિકલ્પ પૂરો પાડતો હોવાનું માનીને તેમને સાદર સ્વીકારે. બ્રિટનના ટોરી પક્ષના સભ્યો અને ભારતીય રાષ્ટ્રવાદીઓ ગાંધીની એક પ્રખ્યાત ઉક્તિને સમજવા નિષ્ફ્ળ નીવડ્યા. ભારતનું રાજકીય ભાવિ નિશ્ચિત કરવા મળેલી બેઠકમાં હાજર રહેવા જ્યારે 1931માં ગાંધી લંડન ગયા, ત્યારે એક બ્રિટિશ પત્રકારે સવાલ પૂછ્યો, “તમે પશ્ચિમની સભ્યતા વિષે શું અભિપ્રાય ધરાવો છો?” જેના ઉત્તરમાં ગાંધીએ કહેલું, “મને લાગે છે કે જો એમ થાય તો એ એક ઉમદા વિચાર હશે.”
આ ઉક્તિ પાછળની રમૂજ સિવાય રાષ્ટ્રવાદીઓની એવી આશા હોય કે ગાંધી તેમના પક્ષે છે એમ જરૂર માની શકાય, કેમ કે ગાંધીજીએ તેમના રાજનૈતિક કાર્ય ફલકમાં દેશને વિદેશી શાસનમાંથી મુક્ત કરવા વણથાક્યા પ્રયાસો કર્યા, આર્થિક કાર્ય ફલકમાં સ્વદેશીને પ્રોત્સાહન આપ્યું, માન્ચેસ્ટરની મિલમાં બનેલ કાપડને સ્થાને હાથે કાંતેલી-વણેલી ખાદીને પ્રસ્તુત કરી અને નૈતિક ફલકમાં તેમના વતન ગુજરાતની વૈષ્ણવ પરંપરામાંથી પોષણ મેળવીને કાર્ય કર્યાં. આ રીતે ભારતીય રાજકારણીઓ; પછી તે દગાબાજ હોય કે બીજા રાજકારણી હોય તેઓ તથા અન્ય બુદ્ધિજીવીઓ પશ્ચિમી સામ્રાજ્યવાદનો ઘરઘરાઉ વિકલ્પ શોધવા સીધા ગાંધી તરફ દોડે.
સવાલ એ થાય કે તો ગાંધી શું ખરેખર મૂળે ભારતીય હતા, કે ખરા હિન્દુ અને વિચારક હતા? કાર્લ માર્ક્સના પ્રખ્યાત શિષ્ય વી.આઈ. લેનિને એક વખત કહેલું, મારા માસ્ટરના વિચારો જર્મન તત્ત્વજ્ઞાન, બ્રિટિશ પોલિટિકલ ઈકોનોમી અને ફ્રેન્ચ ઇતિહાસ વિજ્ઞાન શાખાનું સંશ્લેષણ હતું. ગાંધીના વિચાર ઘડતર પાછળ તેમને અસરકર્તા લોકોની યાદી કરવા જઈએ તો ગાંધીના વિચારોમાં રશિયાનું લોકપ્રિયતાવાદ (લિઓ ટોલ્સટોય મારફત), અમેરિકન ઉદ્દામવાદી લોકશાહી (હેન્રી ડેવિડ થોરો દ્વારા) અને ઇંગ્લિશ ઔદ્યોગિકીકરણનો વિરોધ(જ્હોન રસ્કિન પાસેથી મળેલ વિચારો)માં ભારતીય વિચારધારાનું સંમિશ્રણ જોવા મળે.
આ હિન્દુ મહાત્માની બૌદ્ધિક સંપદાના ઋણના મૂળ જરૂર પશ્ચિમમાં જણાય છે. એમણે પોતે જ નોંધ્યું છે – તેમના ઉત્તમ ગણાતા પુસ્તક ‘હિન્દ સ્વરાજ (1909)’ના અંતમાં વધુ આગળ અભ્યાસ માટેના પુસ્તકોની સૂચિમાં ટૉલ્સ્ટૉયનાં છ પુસ્તકો, બે બે પુસ્તકો થોરો અને જ્હોન રસ્કિન દ્વારા લખેલા, ઉપરાંત પ્લેટો, મેઝિની, એડવર્ડ કાર્પેન્ટર અને અન્યનાં લખેલાં પુસ્તકોનો ઉલ્લેખ છે. એ યાદીમાં ભારતીય લેખકોમાંથી માત્ર દાદાભાઈ નવરોજજી અને રોમેશ ચન્દ્ર દત્ત જ સામેલ છે; જેઓએ ભારતીય સભ્યતાની શાન વિષે નહીં પરંતુ બ્રિટિશ રાજની ભારત ઉપર પડેલી આર્થિક અસરો વિષે લખેલ છે.
ગાંધીના સાંસ્કૃતિક બાબતો વિશેના ઉદાર મત અને તેમની પશ્ચિમના ઘણાં પાસાંઓ પ્રત્યેના અનુરાગનો પુરાવો તેમની ઇંગ્લિશ વ્યક્તિઓ તથા દક્ષિણ આફ્રિકાના વતનીઓ સાથેની મૈત્રીમાં તેમ જ ખ્રિસ્તી ધર્મના ઊંડા અભ્યાસમાં અને બીજા વિશ્વયુદ્ધના અંધકાર ભર્યા દિવસો દરમ્યાન ઇંગ્લેન્ડ અને તેની સભ્યતા માટેની તેમની નિસ્બતમાં જોવા મળશે. આમાંની કેટલીક હકીકતોની યોગ્ય નોંધ લેવાઈ છે, પરંતુ આજે હું એક એવો ઠોસ પુરાવો આપવા માંગુ છું કે મારા જાણવા પ્રમાણે ગાંધી વિશેના કોઈ સાહિત્ય સંગ્રહમાં કે તેમના વિશેની જીવન કથાઓ સુધી પહોંચ્યો નથી.
એ કથાના કથા નાયકો છે ભારતના યુસૂફ મહેરઅલી અને અમેરિકન બર્ટરામ ડી. વૉલ્ફ. બંને તેમના સમયમાં જાણીતા હતા, પણ વર્તમાન સમયમાં વિસરાઈ ગયા છે. મહેરઅલી સ્વાતંત્ર્ય સેનાની હતા, કાઁગ્રેસ સોશ્યાલિસ્ટ પાર્ટીના સ્થાપકોમાંના એક હતા અને થોડા સમય માટે મુંબઈના મેયર રહી ચુક્યા હતા; જ્યારે વૉલ્ફ ઉગ્ર ડાબેરી વિચાર ધરાવતા હોવાને લીધે સ્ટાલિનના ટીકાકાર, અને Three Who Made a Revolution તથા અન્ય પુસ્તકોના લેખક તરીકે પ્રખ્યાત હતા. 1946માં યુસૂફ મહેરઅલી અમેરિકામાં હતા. તેઓ ટ્યુબર કયુલોસિસથી પીડિત હતા અને અંતિમ દિવસો નજીક હતા. ભારતની કષ્ટદાયી જિંદગીથી બચવા અમેરિકા ગયા. તેમણે જીવનનાં છેલ્લાં દસ વર્ષમાંનો મોટો ગાળો જેલમાં વિતાવેલો. આમ છતાં ન્યુયોર્કમાં તેમના યજમાન બર્ટરામ ડી. વૉલ્ફને તેમના મિત્ર બ્રિટિશરો પ્રત્યે અસાધારણ એવા સૌમ્ય મિજાજમાં જોવા મળ્યા. આ પહેલાની મુલાકાતમાં મહેરઅલી સંસ્થાનવાદની અનિષ્ટ અસરો પ્રત્યે વ્યાજબી રીતે પુણ્યપ્રકોપ ધરાવતા હતા, પણ આ વખતે તેઓ બ્રિટિશરોના થોડા વખાણ કરવા પણ તૈયાર હતા. વૉલ્ફને આ પરિવર્તનથી, તેમના વલણ અને ટોનમાં 180 ડિગ્રી ઘુમાવથી વિમાસણ ઉપજી. તેમણે આ વિષે ચોખવટ માગી. મહેરઅલીએ કહ્યું, તેઓ હવે ભારત છોડે છે. તેમ અમે હવે મુક્ત થઈશું. ગાંધીજી કહે છે, હવે જ્યારે તો વિદાય લઇ રહ્યા છે ત્યારે આપણે બ્રિટિશ પ્રજાના ઉત્તમ ગુણો યાદ રાખવા જોઈએ, તેમની કાયદાકીય વ્યવસ્થા, તેમની ન્યાય પરાયણતા, વગેરે. એ યાદ રાખો અને તેને સાચવી રાખો. આ સલાહ પહેલી વખત આપી તેને 50 વર્ષ થઇ ગયા, છતાં આજે હજુ એટલી જ પ્રસ્તુત લાગે છે. હું કઈં એમ.ટી.વી. કે કે.એફ.સી.નો પક્ષકાર નથી, પરંતુ હું એ જાણું છું કે પશ્ચિમી સભ્યતાનો ઉત્તમ હિસ્સો હજુ પણ આપણા માટે સુલભ છે, જે હજુ આપણી પહોંચમાં નથી. ફિનલેન્ડ અને નોર્વે જેવા દેશોની સરકારો પોતાના દેશની મહિલાઓ અને ગરીબ લોકોને ઘણી માનવતા ભરી અને ન્યાયી સેવાઓ આપે છે. જર્મની અને યુ.એસ.એ.ના વૈજ્ઞાનિકો પોતાના સંશોધનોને માનવ જાતના હિતાર્થે એ દિશામાં વાળે છે, જયારે આપણા વૈજ્ઞાનિકો રિસર્ચ પેપર્સને (જેમના ઘણાં શંકાસ્પદ હોય છે) દોરી પર બાંધી તેનો હાર બનાવે છે, અને કોઈ કમિટીના ચેરમેનશીપના પદ માટે ઝંખે છે. એ દેશોના ઉદ્યોગપતિઓ પોતાની વધારાની મિલ્કતનું કલા અને સંકૃતિને પોષતાં ફાઉન્ડેશનમાં દાન કરે છે, આપણા ઉદ્યોગપતિઓ પોતાના નાણાં સ્વિસ બેંકમાં દાટી દે છે.
વધુ દુઃખદ બાબત તો એ છે કે જે ભારતીયો પશ્ચિમને ચાહે છે તે ખોટા કારણોસર તેમ કરે છે. તેમાંનાં ઘણાં રવિ શંકરને બદલે મેડોનાને પસંદ કરે, આર.કે. નારાયણને બદલે ડેનિએલ સ્ટીલ, કુર્તાને બદલે ટી શર્ટ અને તાંદુરીની બદલે કેનટકી ફ્રાઈડ ચિકન તરફ તેમની પસંદગી ઢળે છે. ઉચ્ચ મધ્યમ વર્ગના નિષ્ણાત વ્યાવસાયિકો ઉર્જાનો વધુ ઉપયોગ કરે તેવી જીવનપદ્ધતિ અપનાવીને વેક્યુમ ક્લીનર, પૉજો જેવી કાર વાપરે, છતાં આપણા જેવા સમાજને ઉપયોગી હોય એવી એ દેશોમાં થયેલ શોધખોળોને અવગણે. આપણામાંના કોઈ એ વિષે વિચાર નથી કરતા કે જાહેર સંસ્થાઓ કાબેલિયતથી, સાતત્યપૂર્વક અને વ્યક્તિ નિરપેક્ષ રહીને જે સમાજના તેઓ ભાગ છે તેને સેવાઓ આપવાની બાબતમાં આપણે પશ્ચિમની સરસાઈ ક્યારે કરી શકીશું. પશ્ચિમના દેશોમાં જજ હોય છે જેમને કોઈ ખરીદી નથી શકતું; ત્યાં યુનિવર્સિટીઓ છે જ્યાં અધ્યાપકો શિક્ષણ આપે છે અને વિદ્યાર્થીઓ સતત હડતાળ ઉપર નથી ઉતરતા હોતા, વાહન વ્યવહારની વ્યવસ્થા સલામત અને વિશ્વાસપાત્ર હોય છે; ત્યાં હોસ્પિટલો હોય છે જ્યાં ગરીબ અને તવંગર સહુને એક સરખા વિનય અને શીઘ્રતાથી સારવાર કરવામાં આવે છે.
કેટલાક લોકો માને છે કે ભારત સહુથી મોટી અને પુખ્ત લોકશાહી વ્યવસ્થા છે અને સદા નવીન રહેતી એવી તાજગી ભરી સભ્યતા છે. તો તેનામાં એવો વિશ્વાસ અને ગૌરવપૂર્ણ નિર્ણય લેવાની ગુંજાઈશ નથી જેથી પશ્ચિમ પાસેથી તેને જે જોઈએ તે લઇ શકે અને ચૂપચાપ જે ન જોઈએ તેની અવગણના કરી શકે? જાપાને બરાબર એમ જ કર્યું અને સિંગાપોરે તેને અમલમાં મૂક્યું. 1940ના દાયકામાં યુસૂફ મહેરઅલી અને મહાત્મા ગાંધી જાણતા હતા કે ક્યારે ‘પશ્ચિમી સંસ્થાનવાદ’ વિષે બોલવાનું બંધ કરવું જોઈએ અને સહુથી વધુ શક્તિશાળી અને ગતિશીલ એવી આધુનિક સભ્યતા પાસેથી ભારત શું શીખી શકે તે વિચારવા માંડે. આપણે, જેણે બ્રિટિશ જેલો અંદરથી નથી જોઈ તેઓ કદાચ કદી સમજી ન શકે.
e.mail : 71abuch@gmail.com