Opinion Magazine
Number of visits: 9570947
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઈન્ટરનેશનલ ડે ઑફ પીસ : ઓમ શાન્તિ: શાન્તિ: શાન્તિ:

સોનલ પારીખ|Opinion - Opinion|25 September 2021

ॐ द्यौः शान्तिरन्तरिक्षं शान्तिः

पृथिवी शान्तिरापः शान्तिरोषधयः शान्तिः ।

वनस्पतयः शान्तिर्विश्वेदेवाः शान्तिर्ब्रह्म शान्तिः

सर्वं शान्तिः शान्तिरेव शान्तिः सा मा शान्तिरेधि ॥

ॐ शान्तिः शान्तिः शान्तिः ॥

વર્ષ 1981થી દર 21 સપ્ટેમ્બરના દિવસને યુ.એન. ‘ઈન્ટરનેશનલ ડે ઑફ પીસ’ – વિશ્વ શાંતિ દિવસ તરીકે ઉજવે છે. શાંતિ દિવસ અને તે પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ખાસ ઊજવવો પડે તેના બે અર્થ થાય : એક તો શાંતિનું મહત્ત્વ આપણને સમજાઈ રહ્યું છે અને બીજું, શાંતિનું અસ્તિત્વ ખતરામાં છે. હકીકત એ છે કે શાંતિનું અસ્તિત્વ જોખમમાં મુકાય ત્યારે જ આપણને તેનું મહત્ત્વ સમજાતું હોય છે. પણ આપણો અને શાંતિનો મેળ પડતો નથી કારણ કે આપણને તો શાંતિ માટે ને શાંતિના નામે યુદ્ધો, દાદાગીરી, મારપીટ, ધાંધલધમાલ અને કોલાહલ કરવાની ટેવ છે.

યાદ આવે છે શાંતિ માટે વિશ્વ ભરમાં પદયાત્રાઓ કરતા રહેનાર સતીશ કુમાર. એમની આત્મકથાનું નામ છે ‘પાથ વિધાઉટ ડેસ્ટિનેશન’. એમાં એક જગ્યાએ એમણે લખ્યું છે, ‘રસ્તો લાંબો છે. શરીર તૂટી રહ્યું છે – એક પગલું ભરવાનો પણ ઈન્કાર કરે છે પણ આત્માને પાંખો ફૂટી છે. મારો પ્રાણ શાંત અનંત આકાશમાં સ્વતંત્ર અને નિર્ભય વિહાર કરે છે.’

1936માં જન્મેલા સતીશ કુમારે નવ વર્ષની ઉંમરે જૈન સાધુ તરીકે દીક્ષા લઈ બ્રહ્મચર્ય અને અપરિગ્રહવ્રત લીધું હતું. આઠ વર્ષ પછી તેમણે સાધુજીવન છોડ્યું અને વિનોબાજીના આશ્રમમાં જઈને રહ્યા. સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહાત્મા ગાંધી સાથે કામ કર્યું. આ બધા અનુભવોથી તેમને સામાજિક પરિવર્તન, અહિંસા અને અધ્યાત્મ વચ્ચેના સંબંધનો ખ્યાલ આવ્યો.

1962માં તેમણે દિલ્હીથી શાંતિ માટે પદયાત્રા શરૂ કરી. દિલ્હીથી ચાલતા ચાલતા તેઓ અણુસત્તાઓના પાટનગર સમા મોસ્કો, લંડન, પેરિસ અને વૉશિંગ્ટન શહેરમાં ગયા. વિનોબાજીએ કહ્યું હતું તેમ વાહનમાં ન બેસતા, શાકાહાર કરતા અને પાસે પૈસા ન રાખતા. રસ્તામાં આવતાં ગામો, વસ્તીઓ અને લોકોનો જ સંપૂર્ણ આશ્રય. દરેક સ્થળે તેમણે બધાને ભેગા કરી શાંતિ વિશે વાતો કરી. તેમણે જોયું કે લોકો કોઈ પણ દેશના હોય, શાંતિ જ ઈચ્છે છે, શાંતિથી જ રહે છે. તો પછી શું છે, કોણ છે જે શાંતિ તોડે છે? ભાંગફોડ કરે છે? હિંસા કરે-કરાવે છે? 8,000 માઈલની યાત્રા દરમ્યાન આ પ્રતીતિ અને આ પ્રશ્ન સતત તેમની સામે આવતા રહ્યાં. આર્મેનિયાની એક ખેડૂત સ્ત્રીએ તેમને પોતે ઊગાડેલી ચાનાં ચાર પેકેટ આપ્યાં, ‘તમે જે ચાર જગ્યાએ જવાના છો ત્યાંના નેતાઓને આ પેકેટ આપજો. ન્યૂક્લિયર મિસાઈલ છોડવાનો નિર્ણય લેતા પહેલાં તેઓ આ પેકેટમાંની ચા પીએ એવી મારી વિનંતી એમને પહોંચાડજો.’

પછીથી તેઓ ઈંગ્લૅન્ડમાં થોડાં વર્ષ રહ્યાં. 1991માં તેમણે શુમાકર કૉલેજ શરૂ કરી. આ શુમાકર પણ સમજવા જેવી વ્યક્તિ છે. તેમનું પૂરું નામ ઈ.એફ. શુમાકર. તેઓ જર્મન-બ્રિટિશ અર્થશાસ્ત્રી હતા. તેમણે આધ્યાત્મિકતા, સાદગી, અર્થશાસ્ત્ર અને ઈકૉલૉજીને એક સાથે મૂકતી ‘સ્મૉલ ઈઝ બ્યુટિફૂલ’ મુવમેન્ટ શરૂ કરી હતી અને નાના દેશોને ભોગે પોતાની સુખસગવડોનું માળખું ઊભું કરતા મૂડીવાદનો વિરોધ કર્યો હતો. આ કૉલેજ શરૂ કર્યા બાદ સતીશકુમારે ઈંગ્લૅન્ડ, વેલ્સ, સ્કૉટલૅન્ડ, જાપાન અને તિબેટમાં શાંતિ માટે પદયાત્રા કરવાનું ચાલુ રાખ્યું હતું.

1901થી નોબેલ કમિટી દર વર્ષે નોબેલ પીસ પ્રાઈઝ આપે છે. મહાત્મા ગાંધીને શાંતિ માટેનું નોબેલ મળ્યું નહોતું તે માટે થોડા થોડા વખતે ચર્ચા થાય છે. ગાંધીઅભ્યાસી ઉર્વીશ કોઠારીએ એમના એક લેખમાં જણાવ્યું છે કે 1915માં ગાંધીજી ભારત આવ્યા ત્યારે પહેલું વિશ્વયુદ્ધ ચાલતું હતું. એટલે 1914થી 1916 સુધી, અને બીજા વિશ્વયુદ્ધ વખતે 1939થી 1943 સુધી, કોઈને શાંતિ માટેનું નોબેલ પ્રાઇઝ અપાયું નહીં. એ સિવાય ગાંધીજીના જીવનકાળ દરમિયાન 1923, 1924, 1928, અને 1932માં પણ નોબેલ પીસ પ્રાઇઝ જાહેર ન થયું. ગાંધીજીને શાંતિનું પ્રાઇઝ ન આપવા બદલ નોબેલ સમિતિએ ખુલાસા કરવા પડ્યા છે અને સમિતિના સભ્યોએ દિલગીરી પણ વ્યક્ત કરી છે. 1948માં ગાંધીજીને નોબેલ આપવા છ જગ્યાએથી ભલામણ થઈ હતી. ચર્ચાવિચારણાઓ પછી એ વખતનું શાંતિ ઈનામ ગાંધીજીના માનમાં કોઈને ન આપવું એવો નિર્ણય થયો હતો! 1989માં દલાઈ લામાને આ પારિતોષિક અપાયું, ત્યારે સમિતિના અધ્યક્ષે કહ્યું હતું કે 'એક રીતે એ મહાત્મા ગાંધીની સ્મૃતિને અંજલિ છે.'

નોબલ પ્રાઇઝની સત્તાવાર વેબસાઇટ પર આ અંગે આખો એક લેખ મૂકવામાં આવ્યો છે. તેનું પહેલું જ વાક્ય છેઃ મહાત્મા ગાંધી વીસમી સદીમાં અહિંસાના સૌથી મજબૂત પ્રતીક સમા છે. એ લેખનું શીર્ષક છે ‘મહાત્મા ગાંધી, ધ મિસિંગ લૉરેટ’ – નોબેલ પ્રાઈઝને ગાંધીજીની ખોટ સાલે છે. ગાંધી તો કહેતા, ‘વિશ્વ માટે જે શાંતિકાર્યો હું કરી શક્યો એ જ મારો પુરસ્કાર છે.’ જીવનભર શાંતિવાદી રહેનાર અને 1915નું સાહિત્ય માટેનું નોબેલ પ્રાઈઝ મેળવનાર રહસ્યવાદી ફ્રેંચ સર્જક રોમાં રોલાં મહાત્મા ગાંધીને ‘બીજા ઈસુ ખ્રિસ્ત’ ગણતા. તેમણે સરસ રીતે આખી વાતનો બંધ વાળ્યો છે, ‘દરેક ઈનામ કરતાં ગાંધીજી અનેકગણા મહાન છે.’

શાંતિની વાત નીકળે ત્યારે યજુર્વેદના અદ્દભુત શાંતિમંત્રો યાદ આવે:

ઓમ દ્યો: શાન્તિરન્તરિક્ષં શાન્તિ:,
પૃથ્વી શાન્તિરાપ શાન્તિરોષધય: શાન્તિ: ।
વનસ્પતય: શાન્તિર્વિશ્વે દેવા: શાન્તિર્બ્રહ્મ શાન્તિ:
સર્વ શાન્તિ: શાન્તિરેવ શાન્તિ: સા મા શાન્તિરેધિ ।।
ઓમ શાન્તિ: શાન્તિ: શાન્તિ:

કહે છે, ‘હે પ્રભુ, ત્રણે ભુવનમાં, જલમાં, થલમાં ને ગગનમાં, અંતરિક્ષ, અગ્નિ ને પવનમાં, ઔષધિ, વન ઉપવનમાં, સકલ વિશ્વમાં, રાષ્ટ્ર, નગર, ગ્રામ ને ભવનમાં, જીવમાત્રના તનમનમાં, જગતના કણ-કણમાં શાંતિ હો, શાંતિ હો, શાંતિ હો.’

હજારો વર્ષ પહેલાં આની રચના થઈ ત્યારે આકાશ અને અંતરિક્ષ જુદાં છે તેનો સ્પષ્ટ ખ્યાલ લોકોને હતો! સકલ વિશ્વના કણેકણમાં શાંતિ હો એવી પ્રાર્થના પોતે જ કેટલી શાંતિમય છે! મૃત્યુ પછી આપણે શાંતિ પ્રાર્થના ગાઈએ છીએ તેમાં જે સિધાવી ગયો છે એ આત્માને માટે મોક્ષ, સ્વર્ગના સુખ વગેરેની કામના કરવાના સ્થાને કહીએ છીએ, ‘જે જીવ આવ્યો આપ પાસે શરણમાં અપનાવજો, પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો.’ 

આઈન્સ્ટાઈન કહે છે, ‘શાંતિ બળપૂર્વક લાવી શકાતી નથી. એ સમજપૂર્વક જ લાવી શકાય.’ દલાઈ લામાએ કહ્યું છે, ‘જ્યાં સુધી અંતરમાં શાંતિ નહીં હોય ત્યાં સુધી બહારની શાંતિનો અર્થ નથી.’ મહાત્મા ગાંધી કહે છે, ‘શાંતિનો કોઈ માર્ગ નથી, શાંતિ પોતે જ માર્ગ છે.’ ઓશો કહે છે, ‘સ્વતંત્રતા વિના શાંતિ શક્ય નથી. ભય હોય ત્યાં પણ શાંતિ શક્ય નથી.’

ભગવાન બુદ્ધે બહુ માર્મિક વાત કરી છે, ‘પોતાને પણ સામેલ ન કરો ત્યાં સુધી કરુણા અધૂરી રહે છે.’ અને શાંતિ માટે ‘ભૂતને ન વળગો, ભવિષયમાં ન ખેંચાઓ, વર્તમાન પર એકાગ્ર થાઓ.’ શાંતિ વિના પ્રેમ પણ શક્ય નથી. ઓશો કહે છે, ‘પ્રેમ, આંતરિક શાંતિનો પડછાયો છે. શાંતિ ત્યારે જ મળે જ્યારે તમે અપેક્ષા રહિત થાઓ, એકાંતનો આનંદ લઈ શકો.’

ગીતા કહે છે, ‘સત્પુરુષો સર્વથા, સર્વદા અને સર્વત્ર નિર્ભયતાથી ભરેલા હોય છે. તેઓની ક્રિયાઓમાં, વિચારોમાં કે સમજણોમાં સ્થિતપ્રજ્ઞતાનો પ્રભાવ ખૂબ સહજપણે ઝળહળતો હોય છે. સર્વોપરી, સર્વકર્તા અને સર્વશક્તિમાન પરમાત્મસ્વરૂપના ઉત્તમ-નિર્વિકલ્પ નિશ્ચયથી તેમની બુદ્ધિ છલોછલ હોય છે. આથી તેઓ ક્યારે ય, ક્યાં ય પણ, કોઈનાથી પણ, કોઈ પણ રીતે ભય પામતા નથી. તેમનું અંતઃકરણ સદાય શાંત સરોવર જેવું નિર્મળ હોય છે. વાયુરહિત સ્થળમાં મૂકેલ દીવાની જ્યોતની જેમ તેઓની બુદ્ધિ જરા ય કંપ્યા વગર અત્યંત સ્થિરતા ધરી રહે છે.’ આવા સત્પુરુષોના ચિત્તમાં જે વસતી હોય, એનું નામ શાંતિ છે. આપણે મોટે ભાગે અશાંતિના અભાવને શાંતિ માની લેવાની ભૂલ કરતા હોઈએ છીએ.

સંત ફ્રાન્સિસે કહ્યું છે, ‘શાંતિ અને મુક્તિનો માર્ગ એ છે, કે તું તારી ઈચ્છા કરતા બીજાની ઈચ્છને વધારે માન આપ, થોડી ચીજોથી સંતુષ્ટ રહે, નાની જગ્યાએ નાનો થઈને રહે અને એવી પ્રાર્થના કરે કે ‘મારા દ્વારા પ્રભુએ જે ઈચ્છા પૂર્ણ કરવા ધાર્યું હોય તે પૂર્ણ થાય.’

જે મનુષ્ય સુખની ઈચ્છા નથી રાખતો અને અસંતોષથી નથી ડરતો તે શાંતિ મેળવે છે. જીવનમાં આવતાં દુ:ખોને સ્વીકારીએ અને વિચારીએ કે એને કારણે આત્મચિંતનનો અવસર મળ્યો, તો કોઈ ફરિયાદ નહીં રહે. એટલે તો કુંતીએ કૃષ્ણ પાસે દુ:ખ માગ્યું હતું. ખ્રિસ્તી સંતો પણ ઈશ્વર પાસે દુ:ખની માગણી કરતા હોય છે.

અને ‘સર્વે ભવન્તુ સુખિન:, સર્વે સન્તુ નિરામય, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુ:ખ ભાગ્ભવેત્‌’ પછી અને ‘ઓમ સહ નાવવતુ, સહ નૌ ભુનક્તુ, સહ વીર્યં કરવાવહૈ, તેજસ્વીનાવધીતમસ્તુ, મા વિદ્વિષાવહૈ’ પછી   કેટલી સુંદર રીતે બોલાય છે ઓમ શાન્તિ: શાન્તિ: શાન્તિ:

ક્રમશ: ધીમો પડતો અવાજ ગુંજારવ થઈને શમી જાય છે, ને પછી અસ્તિત્વમાં જે મૌન ગુંજન રૂપે આકાર લે છે, શાંતિના એ વિશ્વમાં આપણા સહુનો વાસ હો …

e.mail : sonalparikh1000@gmail.com

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 19 સપ્ટેમ્બર 2021

Loading

Reachout!

Vijay Bhatt|English Bazaar Patrika - Features|25 September 2021

I know … I know … I am not alone who felt like writing today. There are thousands of you who are writing, or want to write. We all run out of words when we hear that an eighty years old professor with national repute depressed, and helpless due to his illness. Also, he wrote that he feels he is a burden to the society; he finished his role, and has no meaningful reason to stay alive….! How come no one close to him noticed this coming? A professor, a scholar, who has taught, analyzed, and studied poetry of all the nine human emotions himself, became a victim of one! How come he lost the battle he taught others to win? 

I highly recommend Atul Gawande's book 'Being Mortal' in this context. It very well discussed the end-of-life care challenges. 

The biggest issue is the neglect of mental health of the aging population, especially those who suffer from terminal illness.

In the USA the system of hospice has partial success. It is about time India should adopt formal hospice treatment. 

As India is progressing and adopting western lifestyle, it is losing the older traditions of respecting and taking care of the aging loved ones.

It is not a fault of the younger generation. It is nobody's fault. Twenty first century's challenges, attractions, opportunities, greed, ambitions, and rat-race for success have misaligned personal priorities. The society which brags about its culture and traditions is failing at its core pride. The pride of family values!

USA Today magazine reported earlier this year that the number of married or unmarried adults living physically closer to their parents have increased in the last several years. One reason is that they realize the family support system is precious while raising small children or taking care of the disable and old parents.

India had such a support system which is gradually disappearing. Indian youth, it is not too late to wake up! Let us take care of your immediate family members' mental health and physical well being.

Career, money, and success are all transient. Friends and family with unconditional love are eternal! It takes a village!

Before it's too late let us be proactive, watchful, and identify mental health problems and Reach out!

e.mail : vijaybhatt01@gmail.com

Loading

સિનિયર સિટીઝન્સ ઓછું જીવે એને માટે તંત્રો બહુ મહેનત કરે છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|24 September 2021

કાગળ પર, સૂત્રોમાં, જાહેરાતોમાં વૃદ્ધો માટે ઘણી સન્માનજનક વાતો કહેવાતી હોય છે ને કેટલાંક ખરેખર સિનિયર સિટીઝન્સને માન આપે પણ છે. આજની પેઢી એમને ખભે ઊભી છે એવું પણ પ્રશંસાત્મક સૂરે કહેવાતું રહે છે ને એવા પણ છે જે ખભો આપવાની ફિરાકમાં હોય. ડોસાઓ બધા જ વખાણવા લાયક હોય છે એવું નથી, કેટલાક માથાના ફરેલા ને તામસી પણ હોય છે, પણ ઉંમરને કારણે ઘણા દયાજનક સ્થિતિમાં જીવતા હોય છે. એમાં પણ જેઓ એકલા અને આર્થિક આધાર વગરના હોય છે એ બીજાને તો ઠીક, પોતાને પણ બોજારૂપ જ લાગે છે. એવાઓને અનેક પ્રકારના ટેકાની જરૂર હોય છે, પણ એમના તરફ ધ્યાન ઓછું જ જાય છે.

એમાં ક્યારેક પડતાં પર પાટું – જેવું પણ થાય છે. નાણાં મંત્રીએ છેલ્લું બજેટ રજૂ કર્યું ત્યારે તેમણે સિનિયર્સ માટે બહુ લાગણી હોય તેમ ભાવુક રીતે જાહેર કર્યું હતું કે જે વૃદ્ધોની ઉંમર 75 વર્ષ થઈ ચૂકી છે તેમણે હવે પછી રિટર્ન ફાઇલ કરવાની જરૂર નથી. એમણે તો એમની રીતે જ કહ્યું હશે, પણ સિનિયર્સ એવું સમજ્યા કે 75 ઉપરનાઓએ હવે ઇન્કમટેક્સ ભરવાનો નહીં થાય, પણ પછી એવો ખુલાસો આવ્યો કે રિટર્ન ફાઇલ કરવાનું નથી, એનો અર્થ એવો નથી કે ટેક્સ ભરવાનો નથી. સૂચવાયું તો એટલું જ હતું કે ટેક્સ લાગતો હશે તો તે કપાશે જરૂર, પણ તે સંબંધિત બેન્ક દ્વારા કપાશે. એટલે સરવાળે રાહત તો ટેક્સ કન્સલ્ટન્ટની ફી બચી એટલી જ થઈ ને ટેક્સ કાપવાની વ્યવસ્થા બદલ બેન્ક કોઈ ચાર્જ લેશે કે કેમ તે નથી ખબર. બને કે એ ચાર્જ ટેક્સ કન્સલ્ટન્ટની ફી કરતાં વધી પણ જાય. એ જે હોય તે, સિનિયર્સને છેતરાયાની લાગણી થઈ એ હકીકત છે. આવી રાહતથી ખરેખર સિનિયર્સને કેવી ને કેટલી રાહત થઈ ને ન થઈ હોય તો આવી ગમ્મત કરવાથી સરકારને કેટલી રાહત થઈ તે નાણાં મંત્રીએ જણાવવાનું રહે.

રેલવે તંત્રે પણ સિનિયર્સને છેતર્યા છે. તેમને રેલવે ભાડાંમાં ટિકિટ પર 40 ટકા રાહત અપાતી હતી કે યાત્રી માત્રને ભોજન કે અન્ય સગવડો અપાતી હતી તે કોરોના કાળમાં બંધ કરી દેવામાં આવી. ખરેખર તો મહામારીમાં આનાથી વધારે રાહતોની જરૂર હતી તે બંધ થઈ ગઈ. આમાં પણ વૃદ્ધો દંડાયા. મોંઘવારીનો માર જેમ અન્યોને પડે છે એમ જ સિનિયર્સને પણ પડે જ છે, કદાચ વધારે પડે છે, એટલે એ મરવાને વાંકે જીવે તેમાં નવાઈ નથી. માંદગી કે હોસ્પિટલાઇઝેશન કે દવા વગેરેમાં સૌથી વધુ ખર્ચ સિનિયર્સને થાય છે, તે એટલે પણ કે ઉંમરને કારણે તેમનું સ્વાસ્થ્ય સારું રહે એવું ઓછું જ બનતું હોય છે. એમાં જેમની પાસે નોકરી નથી કે જેમને પેન્શન પણ મળતું નથી કે જેમનો મેડિક્લેમ નથી એમનો નિભાવ કેમ થતો હશે તે પ્રશ્ન જ છે.

જેમને પેન્શન છે એમની સ્થિતિ પણ કૈં બહુ સારી નથી. સાધારણ રીતે બેન્કર્સ બહુ લાભ એ વાતે ખાટે છે કે તેમની જોબ વ્હાઇટ કોલર્ડ જોબ હોવા ઉપરાંત પેન્શનેબલ પણ છે. નિવૃત્તિ પછી કૈં નહિ તો પેન્શનમાં ચાલી રહેશે એટલો વિશ્વાસ તેમને હોય છે, પણ તેમની હાલત પણ સાધારણ છે. બેન્ક રિટાયરિઝની જ વાત કરીએ તો ઇંડિયન બેન્ક્સ એસોશિએશન સાથે જોડાયેલી બેંકોના નિવૃત્ત કર્મચારીઓને બેન્ક દરેક મહિને પેન્શન ચૂકવે છે, પણ આ સિનિયર્સને પેન્શન 10 કે 11 મહિના જ મળતું હોય એવી સ્થિતિ વધારે છે.

કોરોના મહામારી તો વૈશ્વિક આફત છે ને એમાં અનેક જીવોની સાથે સિનિયર સિટીઝન્સ પણ હોમાયા છે. આમ પણ ઉંમરને કારણે સિનિયર્સ અનેક નાની મોટી માંદગીનો ભોગ બનતા જ હોય છે. એકાએક મોટી માંદગીનો ખર્ચ આવી પડે તો હોસ્પિટલ ને દવાના ખર્ચમાં જ વૃદ્ધો એવા વેતરાઈ જતાં હોય છે કે મરવા પહેલાં જ તેઓ મરી રહે છે. એ જ કારણે ઘણાં પેન્શનર્સ મેડિકલ ઈન્સ્યોરન્સ લે છે જેથી સારવારનો મોટો ખર્ચ માથે ન પડે. વીમા કંપનીઓ વીમો ઉતારીને પ્રીમિયમ તો ગજવે ઘાલી જ લે છે, પણ પછી ક્લેઇમ સેટલ કરવામાં ભારે અખાડા કરતી હોય છે. એમાં જ્યારે ગ્રૂપનો મેડિકલ ઈન્સ્યોરન્સ લેવાનો હોય છે ત્યારે કંપનીઓ નોકરીમાં હોય તેને કે નોકરીમાંથી નિવૃત્ત હોય તેને દર વર્ષે પ્રીમિયમ વધારી વધારીને લૂંટે જ છે ને તેનો એવો બોજ નિવૃત્તો પર પડે છે કે પ્રીમિયમ ભરવા લોન લેવી પડે છે અથવા તો સબસિડી પર આધાર રાખવો પડે છે.

પ્રમાણમાં બેન્કનો નિવૃત્ત ક્લાર્ક કે ઓફિસર પેન્શનને કારણે એકંદરે ઠીકઠાક રહેતો હોય છે, પણ તેણે પણ વર્ષમાં ઓછામાં ઓછાં એક કે બે પેન્શન મેડિકલ ઈન્સ્યોરન્સ કંપનીને નામે જ કરી દેવાં પડે છે. ઇંડિયન બેન્ક્સ એસોશિએશન સાથે જોડાયેલી બેંકોનાં નોકરીમાં હોય તેવા કે બેંકમાંથી નિવૃત્ત થયા હોય એવા અધિકારી કે વર્કમેન સ્ટાફના મેડિકલ ઈન્સ્યોરન્સ, નેશનલ ઈન્સ્યોરન્સ કંપની દ્વારા ઉતારાય છે. આ કંપની સરકારની કંપની છે. પ્રમાણમાં સરકારી કંપનીનું પ્રીમિયમ ઓછું હોય છે, પણ આ અને બીજી કંપનીઓ ધીમે ધીમે એટલો વધારો વર્ષોવર્ષ લાવે છે કે માંદગી પહેલાં પ્રીમિયમ ભરવામાં જ સિનિયર્સ અધમૂઆ થઈ જાય છે. માત્ર બેન્ક ઓફિસરનો જ દાખલો જોઈએ. 2015-16માં ચાર લાખના વીમા માટે પ્રીમિયમ 6,573 અને જી.એસ.ટી. 920 મળીને 7,493 રૂપિયા હતું. આ પ્રીમિયમ 20-21માં 32,264 (27,342+4,922 જી.એસ.ટી.) થઈ ગયું જે લગભગ 5 ગણું વધ્યું. હવે 2021-22 માટે મેડિકલ ઈન્સ્યોરન્સ લેવા જઈએ તો તે 43,249 (36,652+6,597 જીએસટી) રૂપિયા ભરવા પડે. જે ગયા વર્ષ કરતાં 34 ટકા વધારે છે. આ વધારો વર્કમેન સ્ટાફમાં 40 ટકા છે. 2015માં જે પ્રીમિયમ 6,573 હતું તેનાથી વધારે 6,597 તો ખાલી જી.એસ.ટી. જ આ વર્ષે લાગે છે. આ તો વીમા કંપનીને જીવાડવા ડોસાઓએ વીમો ઉતરાવવા જેવું છે. કંપની, સરકારની, પણ નિવૃત્તો પાસેથી 18 ટકા જી.એસ.ટી. લૂંટતા શરમાતી નથી. આ નિવૃત્તો ધંધો કરે છે કે વીમો ઉતરાવવો એ શું નફાકારક ધંધો છે કે 18 ટકા જી.એસ.ટી. લેવો જ પડે? થોડી પણ શરમ હોય તો વીમા કંપનીએ તાત્કાલિક અસરથી જી.એસ.ટી. નાબૂદ કરવો જોઈએ. આજે જ જાહેરાત થઈ છે કે 50.000 રૂપિયા કોરોનામાં મૃત્યુ પામેલાના વારસોને સરકાર આપશે. આ સારી જ વાત છે, જો આ એમને એમ આપી શકાય તો નિવૃત્તોનાં પ્રિમિયમમાંથી જી.એસ.ટી. બાદ ના થઈ શકે કે કોઈ પણ મદદ, સરકાર કોઈના મર્યા પછી જ કરે છે? ઓલ ઈન્ડિયા બેન્ક એસોશિએશનના જનરલ સેક્રેટરી સી.એચ. વેંકટચલમે નાણાં મંત્રી નિર્મલા સિતારામનને આ અંગે 21 સપ્ટેમ્બરે પત્ર પણ લખ્યો છે. જોઈએ, શું થાય છે તે –

34થી 40 ટકા પ્રીમિયમ વધારો એક જ વર્ષમાં કેમ થયો એનાં કારણોમાં ઇંડિયન બેન્ક્સ એસોશિએશન દ્વારા એમ જણાવાયું કે આ વર્ષે ક્લેઇમ રેશિયો 147 ટકા વધી ગયો. આમ થવા પાછળનું દેખીતું કારણ તો કોરોનાનો થયેલો વિસ્ફોટ જ છે. આ મહામારી વૈશ્વિક છે ને તેને કારણે 90 ટકા વધારો ક્લેઇમમાં થયો હોય એમ બને, પણ એ કોઈ કાવતરું નથી. આ ન ટાળી શકાય એવું અનિષ્ટ છે. બીજું, મેડિકલ ઈન્સ્યોરન્સ લેવાનું કારણ તો એ જ હોય ને કે આરોગ્યની સલામતી, એને લીધે જળવાઈ રહે. એ કોઈ શોખ ખાતર તો ના જ લે. બીજું, કે જેમણે વર્ષોથી કેવળ પ્રીમિયમ જ ભર્યું છે ને કદી રૂપિયાનો ક્લેઇમ નથી કર્યો એના કરોડો કરોડો રૂપિયા કંપનીએ ગજવે ઘાલ્યા છે એનું શું? વર્ષોથી ક્લેઇમ રેટ ઓછો રહ્યો ત્યારે નફો થયો એનો અવાજ ના કર્યો ને આ એક વર્ષ કોરોનાને કારણે ક્લેઇમ રેટ વધ્યો તો તે ગણી બતાવાય એ બરાબર નથી. સરકારની વીમા કંપની જરા પણ માણસાઈ વગર પ્રીમિયમ વધારે એનો તમામ એસોશિએશન દ્વારા વિરોધ થવો જોઈએ ને તેને પ્રીમિયમ ઘટાડવાની ફરજ પાડવી જોઈએ.

આમાં ઇંડિયન બેન્ક્સ એસોશિએશનની ભૂમિકા પણ શંકાસ્પદ છે. ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પ્લોઈઝ એસોશિએશનના જનરલ સેક્રેટરીએ 20 સપ્ટેમ્બરે સિનિયર એડ્વાઇઝરને લખેલ પત્રમાં આશ્ચર્ય પ્રગટ કરતાં કહ્યું છે કે ઇંડિયન બેન્ક્સ એસોશિએશને કોઈ પણ ચર્ચા કર્યા વિના સીધો પ્રીમિયમમાં વધારો જાહેર કરી દીધો ! જનરલ સેક્રેટરીએ એનો વિરોધ કરીને પ્રીમિયમ ઘટાડવા અંગે તાકીદે મીટિંગ બોલાવવાની માંગ કરી છે.

આ તો બેન્ક સંદર્ભે વાત થઈ. બીજું ઘણું એવું હશે જ્યાં જેનું પણ મળે, જે પણ મળે ને અધિકાર વગર મળે તે ગજવે ઘાલી લેવાય. કોઈનું પણ લૂંટી લેવું એ માનસિકતા કોરોના કરતાં વધારે ભયંકર છે. એમાં કોઈ બાકાત નથી. એમાં ઓછું કમાનાર, ઓછું ખાનાર માટે જગ્યા જ બચતી નથી. આ બધાંમાં સિનિયર્સ ક્યાં ઊભા રહે, ઊભા રહે તો કઈ રીતે ટકે એ સારી નાખતો પ્રશ્ન છે. એને માટે પ્રાર્થના જ કરવાની રહે. અસ્તુ !

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 24 સપ્ટેમ્બર 2021

Loading

...102030...1,7421,7431,7441,745...1,7501,7601,770...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved