Opinion Magazine
Number of visits: 9674591
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ટૉલસ્ટોય, ગાંધી અને શ્રમનું ગૌરવ

નાનક ભટ્ટ|Opinion - Opinion|2 November 2021

મહાત્મા ગાંધી જેમને ‘સત્યમૂર્તિ’ કહેતા અને કાકાસાહેબ કાલેલકર જેઓને મહાન કૃતિના રચયિતા જાણતા, તે લિયો ટૉલ્સ્ટૉય (૧૮ર૮-૧૯૧૦) રશિયાના પાટનગર મૉસ્કોમાં સ્થળાંતર કરીને આવતા ગામડાંના ગરીબોને જોઈને ચિંતિત છે. લેખક તરીકે પોતાની સંવેદના વર્તમાનપત્રોની કૉલમમાં પ્રકાશિત કરતા રહેવા સાથે તેઓ ગામડાંની ગરીબી દૂર કરવા સ્વપ્રયત્નો પણ માંડે છે.

ટૉલ્સ્ટૉય નોંધે છે કે “ભૂખ અને રોગથી પીડાતા કામધંધા અને આવાસના અભાવથી ભટકતાં દયાજનો મૉસ્કોમાં આશાના તાંતણે ખેંચાઈ તો આવે છે, પરંતુ શહેરમાં આવવા છતાં નથી તો તેમના ફાટલાં કપડાં સાઇબીરિયાના કાતિલ ઠંડા પવનો રોકી શકતા કે નથી તો તેમનાં બગડેલાં પેટ તેમને કઈ વધુ રાહત આપી શકતાં. પરિણામે સ્ત્રીઓ પોતાને અને ઘરનાં સ્ત્રીબાળકોને વેશ્યાવૃત્તિમાં ધકેલે છે. પુરુષો દુઃખ ભૂલવા સસ્તા દારૂ અને જુગારમાં રચ્યા-પચ્યા રહે છે, તો પેટનો ખાડો પૂરવા બાળકો મજૂરીમાં તો કોઈ લૂંટફાટ કરી જીવન ગુજારે છે અને જે ગરીબો પોલીસના હાથમાં લાગી જાય છે, તેઓ તો જાહેરમાં હાથ-પગ કે માથું ઉતારી લેવાની શિક્ષા ભોગવી જીવતાંજીવ નરક ભોગવે છે.”

લેખક સ્વયં સમૃદ્ધ ઘરના રહીશ છે. સુંવાળા ગાલીચા, વિશાળ ગરમ ઓરડા, સ્વચ્છ મોભાદાર કપડાં અને વિવિધ રંગ-આકારની ટોપી ઓઢી શકે છે. બુદ્ધિજીવી પત્રકાર તરીકે તેઓનું શહેરી સમુદાયમાં સ્થાન છે, પરંતુ ગરીબીના સમુદ્રમાં પોતાનો વિલાસી ટાપુ લેખકને કોરી ખાય છે. આમ છતાં, ગામડાંમાં ટાંચાં સાધનોથી જીવન વિતાવતાં અને મહદંશે સુખી લોકોનાં અહેસાન ઉપર મજૂરી મેળવતા શ્રમિકોની સ્થિતિનો જાતઅનુભવ કરવા સિમન પિટર નામના મજદૂર સાથે લાકડાં ફાડી મળતી રોજીમાંથી જીવન વિતાવવાનો પ્રયોગ કરે છે. મજૂરોની કૉલોનીમાં રહેતા લિયો ટૉલ્સ્ટૉય અનુભવે છે “ગરીબી સ્વયં એક નિભાવ બની જાય છે. સાધનોના અભાવે શ્રમશક્તિ, વ્યસન, વેશ્યાવૃત્તિ, બાળમજદૂરી, ગુલામીની સ્થિતિમાં ધકેલાય છે. એટલું જ નહીં, પણ કુપોષણ, રોગ, અકાળ વૃદ્ધાવસ્થાના વિષચક્રમાં તેઓ વધુ ને વધુ ઊંડા ઊતરતા જાય છે.”

લેખક પોતાની પરિશ્રમની કમાણી ગરીબોમાં વહેંચી દે છે. ‘ઉઘાડાને ઢાંકજે, ભૂખ્યાનું પેટ ભરજે’ તેવો આદેશ આપનાર બાઇબલમાં શ્રદ્ધા ધરાવતાં ધાર્મિક જૂથોની મદદથી ગરીબોને રૂબલ આપે છે, પરંતુ થાય છે એવું કે, ગરીબ સમુદાય પોતાની વૃત્તિને છતી કરતાં દરવાજે આવેલના દાનવીરોને જ લૂંટી લે છે.

આજે લોકશાહીના નામે રાજકીય પક્ષો 'ગરીબી હટાઓ, ગરીબી મીટાઓ’ના નારા જોર-શોરથી પ્રચલિત કરવા સક્રિય રહે છે. તે સંજોગોમાં એક વર્ષ સુધી ખિત્રોવની શ્રમિક વસાહતમાં રહેનાર ટૉલ્સ્ટૉય આજથી ૧૪૮ વર્ષ પહેલાં પોતાના જાતઅનુભવથી કહે છે કે, “શ્રમિકો માટે ગરીબી એ સ્વભાવગત બીમારી બની જાય છે અને માત્ર કરુણાથી પરિસ્થિતિમાં બદલાવ લાવી શકતો નથી. ઘેટાં-બકરાં બાંધી રાખી ચારો-પાણી નાખીએે તેમ માનવ-સમુદાય વિકસિત રહી શકે નહીં. સમાન સામાજિક દરજ્જાથી જ માનવજાત ટકી શકે છે.”

ર૭૦૦ વર્ષ પહેલાં ભગવાન બુદ્ધે વૃદ્ધાવસ્થા, માંદગી અને મૃત્યુને જોતાં સમાજને બોધિજ્ઞાન તરફ દોર્યો તેમ આપણા આ રૂસી રશિયન લેખક ‘What Shall we do then?’/ What is to Be Done?1  નામના પુસ્તકના પાને સમાજવાદી સમાજરચનાને ઉપાય તરીકે ઉદ્‌ઘોષિત કરે છે.

મોહનદાસ ગાંધીએ જેમના વિચારોને આધાર બનાવી દક્ષિણ આફ્રિકામાં ફિનિકસ આશ્રમ સ્થાપી જાડું અનાજ – જાડાં વસ્ત્રો અને જાડી હથેળીનો રાહ અપનાવ્યો, તે ટૉલ્સ્ટૉય એક સાધનસજજ પૈસાપાત્ર લેખક તરીકે અનુભવે છે કે “મુઠ્ઠીભર સત્તાધિપતિઓના વિલાસ માટે પ્રાકૃતિક સ્રોતનો મહત્તમ હિસ્સો વપરાય જાય છે.”

મૉસ્કોમાં પરવાનો લઈને વસતાં ર૦,૦૦૦ ગરીબો શહેરી સમુદાય માટે તો વપરાશનું સાધન માત્ર છે. મૉસ્કોના આવા એક ગાર્બેજ એરિયા તરીકે જાણીતો ખિત્રાવ બજારમાં વેશ્યાઓ, રોગીઓ, દારૂડિયા અને જુગારીઓ તથા બાળમજદૂરોથી ખદબદતો જોઈ લેખક વધારે વ્યથિત બને છે. બજારવાદનો વિકલ્પ ટૉલ્સ્ટૉય પાસે નથી. આમ છતાં, સામાજિક પાપ અને દુઃખનાં કારણોને તપાસતાં અનુભવે છે કે, ગરીબીનું કારણ ગુલામી છે. ગુલામીનું કારણ જમીન ઉપર રઇસ લોકોનો કબજો છે. શહેરના સંપન્ન લોકો કાચોમાલ તૈયાર કરનાર મજદૂરો ઉપર જોર-જુલમ આચરી તૈયાર માલ-સામાન ઊંચી કિંમતે વેચી અમાનવીય આનંદ મેળવ્યાનું ગૌરવ અનુભવે છે.”

સમાજજીવન સાથે ઓતપ્રોત રહીને જીવન સમજવાની પદ્ધતિ અખત્યાર કરનાર ટૉલ્સ્ટૉયને અમેરિકા અને યુરોપની ગરીબી માટે પણ નિરક્ષરતા, ટાંચાં સાધનો તથા શહેરી સમુદાયની શોષણ મનોવૃત્તિ સમાન રીતે જવાબદાર લાગે છે. ટૉલ્સ્ટૉય ઉપાય તરફ આગળ વધતા લખે છે કે “મજૂરીની પરવશતામાંથી બહાર કાઢવા ગ્રામીણ યુવકોને શિક્ષણ, વિજ્ઞાન અને તક્‌નીકના સહારે સ્વાવલંબન તરફ લઈ જવા પડશે.” શૃંગાર, ભોગ અને સાધનોના દુર્વ્યયને પ્રતિષ્ઠા ગણતાં નગરજનો પ્રત્યે ભારોભાર સૂગ સ્પષ્ટ કરી લિયો શહેરો ઉપર ઉપભોક્તા કરબોજ નાખી ગામડાંઓ તરફ પાછા વળવા સમાજને હાકલ કરે છે.

શ્રમ પ્રત્યેની સૂગ ખંખેરી લેખક પોતાને આઠ-આઠ કલાક પરસેવાની કમાણી માટે જોતરે છે અને અનુભવે લખે છે “સ્વૈચ્છિક શ્રમથી સર્જનશીલતા વિસ્તરે છે. આનંદ અને સ્વાસ્થ્ય ખીલી ઊઠે છે. સરવાળે બૌદ્ધિકતાને ન્યાયનું કવચ મળતાં જીવનમાં વધુ સત્ત્વશીલતા ઉમેરાય છે.”

મૂડીવાદ અને ઔદ્યોગિક ક્રાંતિની બોલબાલા વચ્ચે પણ ‘શ્રમસાગરમાં ટીપું એવા મથાળે ૨૦મો લેખ લખીને લિયો પ્રત્યેક નાગરિકને આત્મદીપોત્સવના આચરણ માટે પ્રેરે છે અને કહે છે : (૧) પોતાની જાત કે બીજા સાથે જૂઠો વ્યવહાર કરવો નહીં. (૨) જાતમહેનતથી પોતાની જરૂરિયાતનું અન્ન પેદા કરવું. (૩) સ્વ-ગુજરાન માટે પ્રકૃતિનો આધાર લેવો. (૪) પ્રામાણિકતાથી જ કમાઈ મેળવવી. (૫) પોતાનું કામ જાતે જ કરવું. (૬) અંતરઆત્માના અવાજને પ્રાધાન્ય આપવું.

અસહાય વ્યક્તિને ધન અને સત્તાના જોરે ખરીદી લઈ પોતાની માલિકીના ગુલામના માસની મિજબાનીનું ગૌરવ અનુભવતા મૂડીપતિઓને ડંકાની ચોટે ૧૬ પાનાંના લેખમાં ટૉલ્સ્ટૉયે જણાવ્યું કે, “ખોટી ટેવ ઘટાડશો તો જ ખર્ચ ઘટશે અને શરીરસૌષ્ઠવ વધશે. સામાજિક સમરસતા વધારીશું, તો જ સમાજમાં તંગદિલી ઘટશે.” શ્રમના ગૌરવને વ્યક્તિવિકાસ સાથે સ્થાપિત કરી સમાજવાદી સમાજરચનાનો રાહ આપનાર લિયો ટૉલ્સ્ટૉયે સત્તાના જોરે ગુલામી, ગુલામીના ટેકે બૃહદ્‌ ઉત્પાદન અને અતિ વપરાશથી વિલાસ તરફ જવાના શહેરી અભિગમને વિનાશકારી ગણાવ્યો છે.

પુરુષપ્રધાન સમાજવ્યવસ્થામાં જ્યાં સ્ત્રીઓ માત્ર પ્રજોત્પત્તિનું સાધન હતું, ધર્મ કે રાજ્યવ્યવસ્થાપનમાં તેની ગણના જ નહોતી, તેવા સમયે એક શતાબ્દી પહેલાં દૂરદૃષ્ટા લિયો લખે છે. “સ્ત્રીઓ ઈશ્વરના કાયદા પ્રમાણે વર્તન કરે છે, આથી સ્ત્રીઓના હાથમાં ઉદ્ધારની આશા છે. સત્તા અને પ્રદર્શનથી પર સ્ત્રીઓ પોતાના ચારિત્ર્યથી સમાજને નિયમન(શિસ્ત)માં રાખી શકે છે, સીમિત સાધનોથી સંસારને ખુશહાલ રાખી શકે છે. લોકમતનું ઘડતર કરી શકે છે. જાતે ગરીબી વહોરી ગરીબીના ઉપાયની શોધમાં નીકળેલ લેખક પોતાના પુસ્તક ‘What then Shall we do?ના સમાપને લખે છે, “હે સ્ત્રીઓ અને માતાઓ જગતનાં ઉદ્દઘાટનનો ઉપાય બીજા કોઈ કરતાં તમારા હાથમાં વધુ છે.”

ઍરકન્ડિશનર ચેમ્બર, કૉફીની ચૂસકી અને ઇન્ટરનેટના ડેટાને લઈ શબ્દોની રંગોળી સજાવતા સાહિત્યકારોની કૃતિ અત્યંત ટૂંકું આયુષ્ય ભોગવી પસ્તીમાં પડી જાય છે, તે વેળાએ એક શતાબ્દી પહેલાં મૂડીવાદના ધસમસતા પ્રવાહ સામે ઊભા રહી લિયો ટૉલ્સ્ટૉયે ભોગવાદી સમાજવ્યવસ્થાને વખોડી, સ્ત્રીઓને સમાન દરજ્જો આપવા હિમાયત કરી સત્તાના કેન્દ્રીકરણના વિનાશમાંથી બચવા સમાજવાદી સમાજરચનાનું બીજ રોપ્યું તે આજે એક શતાબ્દી પછી પણ મનનીય બને છે.

1. આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ નવજીવન પ્રકાશન મંદિરે ‘ત્યારે કરીશું શું?’ નામે પ્રકાશિત કર્યો છે. કાકાસાહેબની પ્રસ્તાવના પ્રાપ્ત આ પુસ્તકનો અનુવાદ નરહરિ પરીખ અને પાંડુરંગ વિઠ્ઠલ વળામેએ કર્યો છે. પુસ્તક પ્રાપ્ય છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2021; પૃ. 06-07

Loading

સાદગીની કોઈ સરખામણી નથી હોતી

પીયૂષ પારાશર્ય|Opinion - Opinion|2 November 2021

આ લખી રહ્યો છું, ત્યારે ૧૯૩૨ના સપ્ટેમ્બર, ૧૬થી લંડનમાં શરૂ થયેલી રાઉન્ડટેબલ કૉન્ફરન્સની યાદ તાજી થઈ આવે છે. ભારતને થોડા સમયમાં આઝાદી મળશે તેવી પ્રસ્તાવના અને આશા સાથે આ કૉન્ફરન્સમાં ભાગ લેવા માટે ગાંધીજી અને સર પ્રભાશંકર પટ્ટણી, મહાદેવભાઈ દેસાઈ તથા અનેક મહાનુભાવો અને રાજકીય નેતાઓ એસ.એસ. રાજપૂતાના નામની સ્ટીમરમાં મુંબઈથી લંડન જવા નીકળેલા.

આ સમયે તેમને વિદાય આપવા મારા દાદાજી સ્વ. વિજયશંકર કાનજી પટ્ટણી કે, જેઓ પ્રભાશંકરના કાકાના દીકરા ભાઈ થતા હતા, તેઓ પણ ગયેલા. સ્ટીમરમાં સામાન ચડી ગયેલો. ગાંધીજી અને તેમના સાથીઓનો પણ ખૂબ જ સામાન હતો. આટલો બધો સામાન જોઈને અકળાઈને ગાંધીજી બોલ્યા કે “મહાદેવ, આટલો બધો સામાન સપ્રુ અને જયકરને શોભે, આપણને ન શોભે”. સપ્રુ અને જયકર એ સરકાર તરફથી જનારા અધિકારીઓ પૈકીના નામાંકિત ધારાશાસ્ત્રીઓ હતા. ગાંધીજીનું આ વાક્ય સાંભળીને મારા દાદાજીથી નારાજગીભર્યું હસાઈ ગયું એ તરફ ગાંધીજીનું ધ્યાન ગયું અને તેમણે પ્રભાશંકરને પૂછ્યું કે, હું આમ બોલ્યો, ત્યારે આ ભાઈ કેમ હસ્યા? કોણ છે એ? પ્રભાશંકરે કહ્યું, “મારો નાનો ભાઈ છે અને એમને આપ જ પૂછોને ? “પૂ. ગાંધીજીએ વિજયશંકર પાસે આવીને પૂછ્યું કે હું આમ બોલ્યો, ત્યારે તમે કેમ નારાજગીભર્યું હસ્યા? વિજયશંકરે નમ્રતાથી જવાબ આપ્યો કે સાદગીની કોઈ સરખામણી ન હોઈ શકે. સહુ કોઈ પોતપોતાની રીતે સાદગી અપનાવતા જ હોય છે પણ આપ આ રીતે બોલ્યા અને મારાથી હસાઈ ગયું, મારી નારાજગી અભિવ્યક્ત થઈ ગઈ એ મારી અંગત મર્યાદા માટે માફી માગું છું.”

ગાંધીજીને બીજી ગોળમેજી પરિષદમાં જવા માટે તૈયાર કરનાર સર પ્રભાશંકર હતા, તેમણે ગાંધીજીને સમજાવેલું કે, ભારતમાં તમે જે કંઈ કહો છો તે સમાચાર ચળાઈને બ્રિટનના લોકો સુધી પહોંચે છે. આપ બ્રિટનની પ્રજા વચ્ચે જઈને કહો તો તેની ઘેરી અસર પડશે. ગાંધીજી સંમત થયા અને માન્ચેસ્ટર મિલના કામદારો વચ્ચે જઈ વાતો કરી. આંદોલનનું આ એક મોટું પગલું હતું. આ સમય દરમિયાન પ્રભાશંકરે એક મોટું પગલું ભર્યું, જે એક મોટા સંસ્મરણરૂપે આપણી સામે આજે ય છે. તેમણે પૂ. ગાંધીજીને કહ્યું કે, અમને ન ગમે તેવાં અનેક કામ કરવાનું તમે અમને કહો છો, તો તમને ન ગમે તેવું અમારું એક કામ આપશ્રી કરો. મારા અંગત સંગ્રહ માટે આપનું એક તૈલચિત્ર તૈયાર કરવું છે, તે માટે આપ અનુમતિ આપો. પૂ. ગાંધીજી સહમત થયા અને જે માણસ ફોટોગ્રાફ પડાવવા માટે પણ સહમત ન થાય તેણે એક તૈલચિત્ર બનાવવા માટે બે-બે કલાકના ચારેક સીટિંગ આપેલા. બ્રિટનના જગવિખ્યાત પોટ્ર્રેઇટ આર્ટિસ્ટ ઓસ્વાલ્ડ બિર્લી પાસે આ તૈલચિત્ર તૈયાર કરાવ્યું. ઓસ્વાલ્ડ બિર્લીને પછીથી ‘સર’નો ઇલ્કાબ મળેલો!

આ તૈલચિત્ર લઈને પ્રભાશંકર ભાવનગર આવ્યા અને એક પેટીમાં રાખી મૂક્યું. પોતાનો અંત નજીક આવતો જોઈને તેમના પુત્રરત્ન અનંતરાય પટ્ટણી, જેઓ ત્યારે જૂના ભાવનગર રાજ્યના દીવાન બની ગયા હતા, એમને બોલાવીને કહ્યું કે, દેશ સ્વતંત્ર થાય, ત્યારે હું નહીં હોઉં, પણ તું હોઈશ. હું ઇચ્છું છું કે, આ પેટીમાં આ એક એવી વ્યક્તિનું ચિત્ર છે કે, જેણે દેશની સ્વતંત્રતા મેળવવા માટે સહુથી મોટું કામ કર્યું છે. અને તે તૈલચિત્ર દેશના પાર્લમેન્ટ હાઉસમાં મુકાય. અનંતરાયને ખબર હતી કે, આમાં પૂ. ગાંધીજીનું તૈલચિત્ર છે. પ્રભાશંકરનું તા. ૧૬-૨-૧૯૩૮ના દિવસે અવસાન થયું કે, જ્યારે તેઓ ૧૭-૨-૧૯૩૮થી હરિપુરામાં યોજાયેલા કાઁગ્રેસ-અધિવેશનમાં હાજરી આપવા જવાના હતા. તેમની અનુપસ્થિતિમાં પછીથી ભાવનગર રાજ્ય તરફથી દુલાભાયા કાગ અને અંગત લોકો ગયેલા.

તા. ૧૫-૮-૧૯૪૭ના દિવસે દેશ આઝાદ થયો અને અનંતરાયે રાજેન્દ્રપ્રસાદને પોતાના સ્વર્ગસ્થ પિતાની ઇચ્છાની જાણ કરી. આ સમયે બંધારણસભાની કાર્યવાહી રોજ ચાલતી હતી. એ દરમિયાન તા. ૨૮-૮-૧૯૪૭ના દિવસે (જ્યારે પૂ. ગાંધીજી હજી આપણી વચ્ચે હતા) બંધારણીય સભાના પ્રમુખ ડૉ. રાજેન્દ્રપ્રસાદના વરદ્દ હસ્તે આ તૈલચિત્રનું અનાવરણ થયેલું. પ્રભાશંકરની જેમ તેના પુત્રરત્ન અનંતરાય પણ અંગ્રેજી અને સંસ્કૃત સાહિત્યના અભ્યાસી હતા અને તેમની પણ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્‌ સાથે સારી મૈત્રી હતી. આ પોર્ટેઇટની સાથે અનંતરાયે ડૉ. રાધાકૃષ્ણન્‌ સાથે પડાવેલી તસવીર અમારા પરિવારના સંગ્રહમાં છે. ગાંધીજીએ તૈલચિત્રમાં આપેલો પોઝ એક સિગ્નેચર પોઝ બની ગયેલો છે. એ ફોટોગ્રાફની એક કૉપી અનંતરાયે મારા પિતાશ્રી સ્વ. મુકુન્દ પારાશર્યને તા. ૩૦-૧-૧૯૪૮ના દિવસે સવારમાં આપેલી, જેમાં લખેલું છે. “ચિ. મુકુન્દને – અનંતરાય”. અને એ સાંજે પૂ. ગાંધીજીની હત્યા થઈ. બંધારણસભાની દૈનિક કાર્યવાહીના તા. ૧૫-૮-૧૯૪૭થી ૩૧-૮-૪૮નાં પાનાંઓ મારી પાસે છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2021; પૃ. 07

Loading

જીવન અને મૃત્યુની વિમાસણ

વાસુદેવ મ. વોરા|Opinion - Opinion|2 November 2021

ભાષાશાસ્ત્રના નિષ્ણાત તેવા નિવૃત્ત પ્રાધ્યાપક અને તેમનાં પત્નીએ, શારીરિક તકલીફોથી કંટાળીને ગયા મહિને અમદાવાદમાં પોતાના જીવનનો અંત આણ્યો. તેમને ‘નિરીક્ષક’ના તંત્રીશ્રીની અંજલિ સાથે દિવંગત પ્રાધ્યાપકની અંતિમ નોંધ ‘નિરીક્ષક’માં આપણે જોઈ છે.

આ દુઃખદ ઘટના અફસોસજનક હોવા ઉપરાંત કંઈક વિશેષ અર્થમાં અસર કરી જાય તેવી છે, જીવન, જિંદગી અને મૃત્યુ એ દરેક માટે અલગ ને અંગત અનુભવ, સમજ અને અર્થ ધરાવતી હકીકત હોય છે. સૌને માટે આ નિશ્ચિત ઘટના હોવા છતાં તે મહદંશે આકસ્મિક રીતે સતત બનતી રહે છે. દુનિયામાં જ્યારે સોએ માત્ર નવ વ્યક્તિ જ પાંસઠ વર્ષથી વધુ જીવે છે (ભારતમાં તો તે આંકડો ૬.૫૭ છે !) ત્યારે માનવમૃત્યુ કેવું આકસ્મિક છે તે સ્વયંસ્પષ્ટ છે. સંસ્કૃતિ અને શિક્ષણનો પ્રભાવ જો કે તેમાં હકારાત્મક અસર પાડી શકે, પરંતુ તે બીજી અનેક બાબતો પર આધારિત હોય છે. આપણા દેશના સ્વરાજ પછીના ફેરફારો અને અત્યારના, અનુઆધુનિક સમયની અસરોમાં મનુષ્ય વધુમાં વધુ માનસિક તણાવ તેમ જ અસંતોષમાં જીવન પસાર કરી રહ્યો છે. આજે હવે વધતી ઉંમરની સાથે શારીરિક બિમારીને તકલીફોમાં લંબાતું આયુષ્ય કેટલું કંટાળાજનક હોતું હશે, તે માત્ર સંવેદનાપૂર્વક સમજવાનું હોય છે. એક વિદ્વત્જન જ્યારે આ કોયડાના અનિચ્છનીય ઉકેલ માટે નિર્ણય કરે છે, ત્યારે પૂરા સમાજજીવન અને તેની ગતિવિધિઓ સામે શંકાસ્પદ સવાલ ખડો થાય છે. આ ઘટના એકલદોકલ નથી જ તે આપણે સૌ જાણીએ છીએ, પરંતુ તેને વ્યક્તિગત માની કે મનાવીને તેના વિશે ઉદાસીન રહેવાનું પસંદ કરવામાં આવે છે. શું આ રીતરસમ યોગ્ય, બૌદ્ધિક, સાંસ્કૃતિક, સામાજિક, વિકસિત ને માનવીય ગણી શકાય ?

સંથારો કે તેવા મતલબની સમજથી આવકારેલ પોતાનું મૃત્યુ તે સ્વૈચ્છિક, પોતાના આત્માના કલ્યાણ માટે કરેલું અનુષ્ઠાન છે, તેથી તેવી રીતના મૃત્યુ વિશે અહીં ચર્ચાની વાત નથી. પરંતુ કોઈ પ્રકારનાં માનસિક દબાણ કે વલણને લીધે વહોરી લીધેલ મરણ તે અનિચ્છનીય હોય છે, તેથી આવી માનસિક સ્થિતિનાં કારણો તે મુખ્ય સવાલ હોવો જોઈએ.

આ કારણો દેખીતી રીતે વ્યક્તિગત ગણી લેવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં તે પૂરી સામાજિક જીવનવ્યવસ્થા સાથે સંકળાયેલ હોય છે એ તો સહજ સમજાય તેવું છે કે, આધુનિક સમયમાં માનવીની મનોબળની આંતરિક ક્ષમતા ઝડપથી ઘટી રહી છે. સમાજમાં કુટુંબથી આગળ વધીને વ્યાપક સૌહાર્દના અનુભવના અભાવની અસર પણ સહજ બની રહી છે. સામાજિક માહોલમાં સદ્‌ભાવના ન હોય તો માનવીય વિકાસની કઈ દિશા સંભવિત બને છે – પ્રગતિ કે પરાગતિ ? સમાજમાં ઉકળાટ, અશાંતિ, અવિશ્વાસ અને ભયનો પ્રભાવ પ્રબળ બનતો રહે, તો માનવવસ્તી અને જંગલનાં પશુજીવનનાં વાતાવરણ વચ્ચે તફાવત નહિવત્‌ બની રહે છે. આથી, તેનાં મૂળમાં જવાથી આપણી વર્તમાન જીવન-વ્યવસ્થા અને દૃષ્ટિ અથવા અભિગમ વિશે સ્પષ્ટતા થઈ શકે. તે બાબત જ આધુનિકતાની સામે પડકારરૂપ બને છે. સુખ અને આનંદ વિશેની આધુનિક સમજ  માનવીય ગુણવિકાસ સાથે કેવી રીતે અનુબંધ સાધે તે વાતને અવગણવામાં આવે છે, તેથી વિદ્વાનો પણ તેને ઉજાગર કરતાં ખચકાટ અનુભવે છે, તેમ જણાય છે. જીવનની ઘરેડમાં ગોઠવાઈ જવાની હોડમાં 'ખરો સુધારો’ શું તે સત્યના આગ્રહની હામ ભરવાનું પણ હવે અનિચ્છનીય બની રહ્યું છે અને તે વલણને આધુનિક સત્ય માનવામાં ડહાપણ ગણાય છે.

આધુનિકતા તે માનવીની જીવનદૃષ્ટિના બદલાવનું મહત્ત્વનું પ્રબળ પરિબળ હોવાનું સમજવામાં આવે છે, ત્યારે સવાલ થાય કે ખરેખર જીવનદૃષ્ટિમાં તે બદલાવ આવે છે? વાસ્તવમાં શું કોઈ જીવનદૃષ્ટિ હોય છે ખરી? જીવન તો હોય છે, પણ તેને જીવવાની કોઈ ચોક્કસ રીત, સમજ, અભિગમ, વિચાર કે નિષ્ઠાની સ્પષ્ટતા હોય છે ખરી? જો તેવું કાંઈ છે જ નહીં, તો વાત સહેલી બની જાય છે, પણ એવું માનવામાં, ધારવામાં કે સમજવામાં આવે છે કે જેમની પોતાની સંસ્કૃતિની ધરોહર છે, તેઓનાં જીવન કોઈ મૂલ્યને ચરિતાર્થ કરવાની સમજથી કે પ્રેરણાથી દોરાયેલાં હોય છે. આ બાબતને સાધારણ રીતે જીવનદૃષ્ટિ તરીકે સમજી લેવામાં આવે છે.

એકવીસમી સદીમાં ભારતનો શહેરી સમાજ અને આધુનિકતાની હવાથી અસરગ્રસ્ત હરેક ભારતીય પોતાનાં સાંસ્કૃતિક મૂળિયાં સાથે કેટલો ને કેવી રીતે જોડાયેલો રહ્યો છે, તે હવે અજાણ્યું નથી. સાંસ્કૃતિક મૂલ્યો વિશે ઉપેક્ષા ઉપરાંત અજ્ઞાનતા એ ઘણી ગંભીર સ્થિતિ હોવાનો અનુભવ સામાન્ય બાબત બની ગઈ છે. તે એ સમજણ તરફ આપણને દોરી જાય છે, જેનો અર્થ છે જીવનમાં શરીર અને તેના પ્રકૃતિગુણો જ સર્વ કાંઈ છે, જે વાસ્તવમાં જડતાનો સ્વભાવ છે. તેને કોઈ ‘અધિક’ ચૈતન્ય તત્ત્વની કે તેનાં સાતત્યનો વિચાર કે સમજ હોવી જરૂરી નથી. જો માનવી તે પ્રકૃતિગત અસ્તિત્વ માત્ર છે, તો સુખી હોવા છતાં શાંતિ અને આનંદના ક્ષણિક નહીં પણ નિરંતર અનુભવથી વંચિત કેમ રહે છે ? વળી, એમ મનાવવામાં આવે છે કે, આધુનિક વિકાસ તે વિજ્ઞાન આધારિત છે. વાસ્તવમાં એમ કહી શકાય કે, વિકાસની વ્યાવસાયિક વ્યવસ્થા પોતાના હિતમાં વિજ્ઞાનનો મતલબી ઉપયોગ કરી રહી છે. તેનાં દુષ્પરિણામ જીવન અને મરણમાં સ્વાભાવિક રીતે પ્રતિબિંબિત થતાં રહે છે.

આ ટૂંકી ચર્ચામાં વધુ તો શું, પણ સમયના બદલાવની ભૂમિગત વાત ઘરના–ગામના–જ એક વડીલની એેમની જબાનમાં : “નાનાભાઈ(ભટ્ટ)ની ભાગવતકથા વખતનાં સંસ્મરણો પણ માલપરા ઉપરાંત આજુબાજુનાં બધાં ગામને એક કુટુંબભાવમાં જોડનારાં યાદ આવે છે … ઘઉંનો લોટ બધા ગામની બહેનોએ ઘેર ઘેર ઘંટીએ હાથે દળી આપેલો. ગાડાંઓમાં ઘઉં ને પછી લોટ લાવવામાં આવેલ … હું જાજરૂઓની ચર ખોદવાની ટુકડીમાં હતો .. !! ગયા એ દિવસો, ફરી ન મળે એ વાતાવરણ, એ માનસિક ભાવનાની શુદ્ધ વિશાળતા !! એ હતું વસુધૈવ કુટુમ્બકમ્‌!!!!”

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2021; પૃ. 13

Loading

...102030...1,7421,7431,7441,745...1,7501,7601,770...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved