Opinion Magazine
Number of visits: 9674758
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રાપ્તિ અને પ્રતિષ્ઠાથી અલિપ્ત દુર્લભ પ્રતિભાઓ : મેરી અને પિયરી ક્યુરી

સોનલ પરીખ|Opinion - Opinion|11 November 2021

પિયરી ક્યુરી કહેતા, ‘હું એવા લોકોમાં છું જેમને વિશ્વાસ છે કે માણસજાત નવી શોધોમાંથી વિનાશકારી નહીં, પણ હિતકારી એવું પ્રાપ્ત કરતાં શીખશે.’ બંને પ્રામાણિક, સાદા અને માનવતાભરપૂર હતાં. લગભગ તમામ કમાણી વિજ્ઞાન સંસ્થાઓને આપી દેતાં. આઈન્સ્ટાઈન એમને ‘પ્રતિષ્ઠાથી અલિપ્ત દુર્લભ વ્યક્તિઓ’ તરીકે ઓળખાવતા. મેરી ક્યુરી કહેતાં, ‘વ્યક્તિઓને બહેતર બનાવ્યા વિના બહેતર વિશ્વ કદી ન સર્જી શકાય. એટલે દરેકે સૌ પહેલા તો પોતાને બહેતર બનાવવાની દિશામાં કામ કરવાનું છે અને સાથે પૂરી માનવતા માટે સહિયારી જવાબદારી ઉઠાવવાની છે.’

‘કશાથી ડરવાની જરૂર હોતી નથી. જરૂર હોય છે સમજી લેવાની. જેમ વધુ સમજો, તેમ ડર ઓછો.’ આ ઉક્તિ છે મેરી સ્કૉદોવ્સ્કા ક્યુરીની. આપણે તેને મેરી ક્યુરી તરીકે ઓળખીએ છીએ, પણ તેનું નામ દુનિયાભરના મ્યુઝિયમોમાં અને પુસ્તકોમાં આ રીતે લખાય છે. તેણે કરેલી શોધ રેડિયોએક્ટિવિટીમાં પાયાની ગણાય છે. મેરી ક્યુરી નોબેલ ઈનામ મેળવનાર જીતનારી પ્રથમ મહિલા અને વિજ્ઞાનના બે ક્ષેત્રોમાં નોબેલ મેળવનાર પ્રથમ વ્યક્તિ હતી.

મેરી અને પિયરી ક્યુરી નોબેલ મેળવનાર પ્રથમ દંપતી હતાં. આજની કૉલમ મેરી અને પિયરી ક્યુરીને – એક અદ્દભુત અનોખા પ્રતિભાશાળી દંપતીને સમર્પિત કરું છું. ક્યુરી પરિવારે પાંચ નોબેલ મેળવ્યાં છે. યુનિવર્સિટી ઑફ પૅરિસમાં પ્રોફેસર બનનાર મેરી પ્રથમ મહિલા હતી. પોતાના ક્ષેત્રને તે એટલી સમર્પિત હતી કે તેને રેડિએશનથી થતો હાડકાનો રોગ લાગુ પડ્યો હતો. આ મેરી સ્કૉદોવ્સ્કાનો જન્મ યુરોપના નાના-શા દેશ પૉલેન્ડની રાજધાની વૉર્સોમાં 1867ની 7મી નવેમ્બરે થયો ત્યારે નેપોલિયન યુદ્ધો પૂરાં થઈ ગયાં હતાં અને પૉલેન્ડ રશિયા-પ્રુશિયાની ભીંસમાંથી માર્ગ શોધી રહ્યું હતું.

1991માં મેરી ફ્રાંસ આવી અને પેરિસની સોર્બોર્ન યુનિવર્સિટીમાં જોડાઈ. તેને અહીં લાવનાર હતા પૉલેન્ડના ફિઝિસિસ્ટ અને પ્રોફેસર કાઉન્ટ જૉસેફ કૉવાલ્સ્કી. તેમણે જ મેરીની ઓળખાણ પિયરી ક્યુરી સાથે કરાવી હતી, પણ ત્યારે એમને કલ્પના નહીં હોય કે આ દંપતી વિજ્ઞાનના ક્ષેત્રે ચમત્કાર કરવાનું છે. પિયરીએ મેરીને પોતાની વિદ્યાર્થિની તરીકે લેબોરેટરીમાં લઈ લીધી. તરત તેને મેરીની પ્રતિભાનો ખ્યાલ આવી ગયો અને તે પિયરીની વિદ્યાર્થિની મટી સંશોધન-સાથી બની.

પિયરી સાથેની પહેલી મુલાકાતનું વર્ણન કરતાં મેરીએ લખ્યું છે, ‘હું પ્રવેશી ત્યારે પિયરી ક્યુરી બાલ્કનીમાં ખૂલતી ફ્રેન્ચ વિન્ડોમાંથી બહાર જોતો આરામથી ઊભો હતો. ત્યારે એ 35 વર્ષનો હતો, પણ દેખાવે ઘણો યુવાન લાગ્યો. તેના ચહેરા પર અને વર્તણુંકમાં આવકાર, ખુલ્લાપણું અને અલિપ્તતાનું ગમી જાય એવું સંયોજન હતું. તેની વિચારપૂર્વક ધીરે ધીરે બોલવાની શૈલી, તેની સાદગી, તેનું સ્વચ્છ સ્મિત, તેનામાં એક સાથે દેખાતી ગંભીરતા અને તાજગી આકર્ષક હતા. તેનો આત્મવિશ્વાસ, અન્યમાં પણ આત્મવિશ્વાસ જગાડી શકે એવો સમર્થ હતો.’ પિયરી ક્યુરી ફ્રેન્ચમેન હતો. તેના પિતા ડૉક્ટર હતા. પિયરી એમની પાસે જ તૈયાર થયો. કિશોરાવસ્થામાં જ તે ગણિત અને ભૂમિતિનો સ્કૉલર ગણાવા માંડ્યો હતો. સોળમા વર્ષે તે ગણિતમાં બી. એસસી. થયો અને 18માં વર્ષે માસ્ટર. પછીનાં વર્ષોમાં ઝડપથી તેણે વિજ્ઞાન અને સંશોધનના ક્ષેત્રે નામ કાઢ્યું હતું.

દોસ્તી થતાં વાર ન લાગી. એક વર્ષ પછી પિયરીએ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, ‘આપણે બન્ને સ્વપ્નસેવી, કહો કે સ્વપ્નસંમોહિત વ્યક્તિઓ છીએ. આપણે સાથી બનીએ, સાથે જીવીએ અને તેં તારા દેશ માટે જે જોયું છે, આપણે આખી માનવજાત માટે તેમ જ સંશોધન માટે જે સેવ્યું છે તે સ્વપ્નને સાકાર કરીએ તો કેવું?’ મેરી તો પણ ખચકાતી હતી, લગ્ન અને વિજ્ઞાનનો મેળ પડશે ખરો? પિયરીએ વિશ્વાસ આપ્યો, ‘આપણે સાથે મળીને વિજ્ઞાનની સેવા કરીશું.’ મેરીને પોતાના દેશમાં જઈ કામ કરવું હતું, પણ ત્યાંની યુનિવર્સિટીઓએ તેને કામ આપવાની ના પાડી કારણ કે તે સ્ત્રી હતી. પિયરીએ તેને પેરિસ આવી જવા મનાવી લીધી. 1895ની 26મી જુલાઈએ બન્ને પરણી ગયાં. ભારતમાં આ વખતે અંગ્રેજોનું રાજ્ય હતું. 1857ના વિદ્રોહને ત્રણ દાયકા થવા આવ્યા હતા. ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસની સ્થાપનાને દસ વર્ષ થયા હતા. દક્ષિણ આફ્રિકામાં મહાત્મા ગાંધીના સત્યાગ્રહની ભૂમિ તૈયાર થતી આવતી હતી.

પિયરી મેરી કરતાં બાર વર્ષ મોટો હતો. લગ્નમાં મેરીએ નવવધૂના પોષાકને બદલે લેબોરેટરીમાં પહેરતી એવો જ ઘેરા ભૂરા રંગનો પોષાક પહેર્યો, ‘પિયરી, તને વાંધો ન હોય તો હું આ પહેરું. આ પોષાક રોજ વપરાશે. બ્રાઈડલ ગાઉન તો કબાટમાં પડ્યો જ રહેશે.’ હનીમૂન માટે આ અનોખાં પતિપત્ની સાયક્લ લઈને ફ્રાન્સના કુદરતી સૌંદર્યથી ભરપૂર ગ્રામવિસ્તારમાં ઘૂમ્યાં. એમનું લગ્નજીવન પ્રેમ અને ઉષ્માથી ધબકતું હતું. ક્યુરી દંપતીને બે પુત્રીઓ થઈ, ઇરિના અને ઈવ. 

મહાત્મા ગાંધીએ દક્ષિણ આફ્રિકામાં એમનું ઔતિહાસિક અખબાર ‘ઇન્ડિયન ઓપિનિયન’ શરૂ કર્યું એ જ વર્ષે એટલે કે 1903માં આ યુગલે ફ્રેંચ વિજ્ઞાની એન્ટોની હેનરી બેક્વેરલ સાથે રેડિયેશનના સંશોધન માટે ફિઝિક્સનું નોબેલ ઈમામ જીત્યું. પહેલા નોમિનેશનમાં મેરીનું નામ ન હતું. પિયરીએ આ સંશોધનમાં મેરીના પ્રદાન તરફ ધ્યાન દોર્યું, ત્યારે તેનું નામ ઉમેરાયું અને તે નોબેલ મેળવનારી પ્રથમ મહિલા બની. 1903-1904માં આ દંપતીને બહુ પ્રતિષ્ઠિત એવાં ઈટાલિયન અને બ્રિટિશ ઈનામો પણ મળ્યાં.

આ મહાન ઘટનાના ત્રણ જ વર્ષ બાદ પિયરી પરિવાર એક મોટી દુર્ઘટનાનો ભોગ બન્યો. એક વરસાદી દિવસે પિયરી રસ્તો ઓળંગતો હતો ત્યાં લપસી પડ્યો અને ઘોડા જોડેલું એક ભારે વાહન પસાર થઈ રહ્યું હતું, તેનું જબ્બર પૈડું તેના માથા પરથી ફરી ગયું. માત્ર 46 વર્ષની ઉંમરે એ મૃત્યુ પામ્યો ત્યારે મેરી માત્ર 34 વર્ષની હતી. એ ભાંગી પડી, પણ પિયરીના વિજ્ઞાન-સમર્પણને યાદ કરીને તે ફરી સંકલ્પબદ્ધ થઈ. એ જ વર્ષે તે સોર્બોર્ન યુનિવર્સિટીમાં જોડાઈ, પતિની સ્મૃતિમાં એક વિશ્વકક્ષાની પ્રયોગશાળાનું નિર્માણ કર્યું અને યુનિવર્સિટીની પહેલી મહિલા પ્રેફેસર બની.

મેરીએ રેડિયમ અને પોલોનિયમ આ બે તત્ત્વો શોધ્યાં અને કેન્સર-સંશોધનમાં મોટું પ્રદાન આપ્યું. ઘાતક રોગો સામે ઝઝૂમતા લોકોને મદદ કરવા તેણે ચેરિટી મિશન શરૂ કર્યું હતું. મેરી અને પિયરીની દીકરી ઇરિના અને જમાઈ ફ્રેડરિક જોલિઓટ બન્ને રેડિયોએકટિવિટીના ઊંડા અભ્યાસી હતાં. બન્નેએ એક એક નોબેલ ઈનામ મેળવ્યું હતું. બીજી દીકરી ઈવે મેરીની જીવનકથા લખી હતી. તેના પતિ યુનિસેફમાં હતા, અને તેમને પણ નોબેલ શાંતિ ઈનામ મળ્યું હતું. એમની દીકરી હેલન યુનિવર્સિટી ઑફ પેરિસમાં ન્યૂક્લિયર ફિઝિક્સની પ્રોફેસર હતી. હેલનના પુત્રનું નામ પિયરી ક્યુરી રાખવામાં આવેલું અને તેણે બાયોકૅમિસ્ટ્રીમાં કારકિર્દી બનાવી હતી.

મેરી પોતાની પૉલિશ ઓળખ કદી નહોતી ભૂલી. તે સમયાંતરે પતિ સાથે પૉલેન્ડ જતી પણ ખરી. બન્ને દીકરીઓને તેણે પૉલિશ ભાષા શીખવી હતી અને પોતે જે પહેલું શોધ્યું તે રાસાયણિક તત્ત્વને પોતાના દેશ પરથી ‘પૉલેનિયમ’ નામ આપ્યું હતું. 1911માં તેને કેમિસ્ટ્રીમાં નોબેલ મળ્યું. તેના શતાબ્દી વર્ષે યુરોપ અને અમેરિકાએ ‘મેરી ક્યુરી યર’ ઊજવેલું.

મેરી અને પિયરી ક્યુરીના જીવન પર ચાર જીવનકથા લખાઈ છે ઉપરાંત ફિલ્મો, નાટકો પણ બન્યાં છે. 2020ના આંકડા પ્રમાણે કુલ 866 નોબેલ વિજેતાઓમાંથી 53 મહિલાઓ છે. તેમાંની 16 સાહિત્યમાં, 4 ફિઝિક્સમાં અને 4 કેમિસ્ટ્રીમાં નોબેલવિજેતા બની છે. ભારતની કોઈ મહિલાએ નોબેલ મેળવ્યું નથી. એ કમાત્ર મધર ટેરેસા છે, જેની ઓળખ નોબેલ સૂચિમાં ઈન્ડિયન-યુગોસ્લૉવિયન એવી અપાઈ છે.

પિયરી ક્યુરી કહેતા, ‘હું એવા લોકોમાં છું જેમને વિશ્વાસ છે કે માણસજાત નવી શોધોમાંથી વિનાશકારી નહીં, પણ હિતકારી એવું પ્રાપ્ત કરતાં શીખશે.’ બંને પ્રામાણિક, સાદા અને માનવતાભરપૂર હતાં. લગભગ તમામ કમાણી વિજ્ઞાન સંસ્થાઓને આપી દેતાં. આઈન્સ્ટાઈન એમને ‘પ્રતિષ્ઠાથી અલિપ્ત દુર્લભ વ્યક્તિઓ’ તરીકે ઓળખાવતા. મેરી ક્યુરી કહેતાં, ‘વ્યક્તિઓને બહેતર બનાવ્યા વિના બહેતર વિશ્વ કદી ન સર્જી શકાય. એટલે દરેકે સૌ પહેલા તો પોતાને બહેતર બનાવવાની દિશામાં કામ કરવાનું છે અને સાથે પૂરી માનવતા માટે સહિયારી જવાબદારી ઉઠાવવાની છે.’

આ દિશામાં એકાદ પગલું તો આપણે સૌ ઉઠાવી શકીએ. શું કહો છો ?

e.mail : sonalparikh1000@gmail.com

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 07 નવેમ્બર 2021

Loading

દેવદાસીની કુપ્રથા હજુ જીવંત છે.

ચંદુ મહેરિયા|Opinion - Opinion|11 November 2021

આ વરસના ફેબ્રુઆરી મહિનામાં કર્ણાટકના વિજ્યનગર જિલ્લાના કુડલિગી ગામની બાવીસ વર્ષની દલિત યુવતીએ તેને બળજબરીથી દેવદાસી બનાવવાનો વિરોધ કર્યો હતો. ‘દેવદાસી નિર્મૂલન કેન્દ્ર’ની સહાય અને પરિવારની હૂંફથી તે દેવદાસી બનતાં બચી ગઈ હતી. પુરીના જગન્નાથ મંદિરના બાણું વર્ષનાં દેવદાસી શશિમણિનું ૨૦૧૪માં અવસાન થયું, ત્યારે માધ્યમોમાં તેમને છેલ્લા દેવદાસી ગણાવી, દેવદાસીની કુપ્રથા નામશેષ થઈ ગયાના નગારા પીટ્યા હતા. અનુસૂચિત જાતિ-જનજાતિ અત્યાચાર પ્રતિબંધક કાયદામાં ૨૦૧૫માં થયેલા સુધારામાં, દલિત-આદિવાસી સ્ત્રીઓને દેવદાસી બનાવવાના કૃત્યને, અત્યાચારની વ્યાખ્યામાં સામેલ કરવામાં આવ્યું હતું. શશિમણિના અવસાન પછીના વરસે, સંસદ કાયદામાં સંશોધન કરી દેવદાસીને અત્યાચારની વ્યાખ્યા સામેલ કરે અને કર્ણાટકના કુડલિગીની યુવતીનો આ વરસે દેવદાસી બનવાનો ઈન્કાર- દેવદાસીની કુપ્રથા આજે પણ જીવંત હોવાનો પુરાવો છે.

ભારતમાં ‘દેવદાસી’ના નામે વેશ્યાવૃતિને ધાર્મિક આધાર આપવાની હલકટ પ્રથાનો ઇતિહાસ બહુ દીર્ઘ અને જટિલ છે. ‘દેવની દાસી’ એવો સામાન્ય અર્થ ધરાવતી આ પરંપરા મુજબ, મંદિરોમાં નાચગાન માટે સ્ત્રીઓનો ઉપયોગ છઠ્ઠી સદીમાં શરૂ થયાનું મનાય છે. બારમી સદીમાં આ પરંપરા તેના ચરમ પર હતી. કૌટિલ્યના ‘અર્થશાસ્ત્ર’માં, કાલિદાસના ‘મેઘદૂત’માં, અશોકના શિલાલેખોમાં અને ચીની મુસાફર હ્યુ-એન-સાંગના પ્રવાસ વર્ણનોમાં એનો ઉલ્લેખ મળે છે. કર્ણાટક, ઓરિસ્સા, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને ગોવામાં આ પ્રથા હતી. આજે દેવદાસીમુક્ત ગુજરાતમાં મહમદ ગઝનીએ ઈ.સ. ૧૦૨૬માં સોમનાથ પર ચડાઈ કરી, મંદિર લૂંટ્યું ત્યારે તેમાં ૫૦૦ દેવદાસીઓ હતી. જુદા જુદા રાજ્યોમાં આ પ્રથા દેવદાસી, જોગિણી, મુરળી, દેવકન્યા, અછૂતી, સુલે, ભાવિણી જેવાં વિવિધ નામે ઓળખાય છે.

ગરીબ દલિત કન્યાઓને કુમળી વયે દેવદાસી બનાવી વેશ્યા બનવા મજબૂર કરાય છે. આ કુપ્રથાને ધર્મનું સમર્થન છે. ગામનો ધનાઢ્ય જમીનદાર ગામના નિર્ધન દલિતની રૂપાળી સગીર દીકરીની પોતાની દેહવાસના માટે ‘દેવદાસી’ તરીકે પસંદ કરે છે. ધાર્મિક અંધશ્રદ્ધા, દેવીના પ્રકોપનો ડર, શિક્ષણનો અભાવ અને ગરીબી કન્યાઓને દેવદાસી બનાવે છે. દેવદાસી બનવા માટે કન્યાનું વિધિપૂર્વક દેવી યેલમ્માને સમર્પણ કરાય છે.

જાણીતા મરાઠી લેખક-પત્રકાર ઉત્તમ કાંબળેએ એમના શોધપુસ્તક, ’દેવદાસી’માં દેવી યેલમ્માની ઉત્પતિની જે દંતકથા વર્ણવી છે તે મુજબ, સેંકડો વરસો પૂર્વે બ્રાહ્મણ યુવતી બળાત્કારીઓથી બચવા ભાગી, ત્યારે તેને યેલમ્મા નામક દલિત યુવતીએ આશરો આપીને બચાવી હતી. એટલે બ્રાહ્મણોએ રક્ષક યેલમ્માને દેવી ગણી તેનું મંદિર બનાવ્યું હતું. કાળક્રમે યેલમ્માનો મહિમા વધ્યો અને સ્ત્રીઓ, ખાસ કરીને દલિત સ્ત્રીઓ, એને પોતાનો દેહ સમર્પિત કરવા માંડી. રક્ષણહાર પોતે જ ધર્મપ્રણિત યૌનશોષણનો શિકાર બને એવી પુરોહિતવર્ગની કુટિલતા રચાયેલી અહીં જોવા મળે છે.

આરંભે મંદિરમાં દેવદાસીનું સ્થાન અને મહત્ત્વ પૂજારી પછીનું હતું. તે અખંડ સૌભાગ્યવતી અને શુકનવંતી મનાતી હતી. પરંતુ પિતૃસત્તા અને સામંતવાદના પ્રભુત્વે દેવદાસીને પૂજારીઓ અને જમીનદારોની હવસ તરફ ધકેલી હતી. જે સ્ત્રીને દેવદાસી બનાવાય તે લગ્ન કરી શકતી નહીં. ક્યારે ય પોતાના ઘરે પરત જઈ શકતી નહીં. ગામનો જમીનદાર તેની સાથે લગ્નબાહ્ય સંબંધ રાખતો, પણ તેના ગુજરાનની જવાબદારી લેતો નહીં. દેવદાસીને તો ગામના છેડે ઝૂંપડીમાં રહેવું પડતું અને મજૂરી કરવી પડતી. મંદિરમાં નાચગાન કરતી દેવદાસી કદી મંદિરના ગર્ભગૃહમાં જઈ શકતી નહીં. તેની દયનીય સ્થિતિનું વર્ણન કરતાં ‘બ્રોકન પીપલ’ પુસ્તકમાં સ્મિતા નરુલા લખે છે :  ‘દેવદાસી ગામમાં અલગ રહે છે. દલિત પુરુષો સહિત તમામ પુરુષો એમનો ઉપભોગ કરે છે. દેવદાસી સાથેના બળજબરીથી થતા શરીરસંબંધને કોઈ બળાત્કાર ગણતું નથી.’

દેવદાસી પ્રથાની નાબૂદી માટે પ્રયાસોનો દક્ષિણમાં પેરિયાર રામાસ્વામી નાયકરે અને મહારાષ્ટ્રમાં મહાત્મા ફુલેએ આરંભ કર્યો હતો. ડો. આંબેડકરે ૧૯૩૬ અને ૧૯૩૮માં દેવદાસી અને વેશ્યાઓની સભાઓ કરીને, તેમને કલંકિત જિંદગી છોડી સ્વમાનભેર જીવવા હાકલ કરી હતી. ૧૮૯૩માં મૈસુર સરકારે મંદિરમાં દેવદાસીઓના નાચગાનને પ્રતિબંધિત કરતો કાયદો કર્યો હતો. ૧૯૨૦માં શાહુ મહારાજે કોલ્હાપુર રાજ્યમાં દેવદાસી નાબૂદીનો નિયમ ઘડ્યો હતો. અંગ્રેજ સરકારે ૧૯૩૪માં ‘બોમ્બે દેવદાસી પ્રતિબંધક કાયદો’ બનાવ્યો હતો. આઝાદી પછી કર્ણાટક અને આંધ્ર સરકારે દેવદાસી પ્રથા વિરુદ્ધ કાયદા બનાવ્યા હતા. તેમ છતાં આ પ્રથા બેરોકટોક એટલા માટે ચાલે છે કે મોટા ભાગના રાજ્યોની સરકારોના કાયદા દેવદાસીને જ ગુનેગાર ઠેરવે છે ! દેવદાસીને આ વિકૃત પ્રથામાં ધકેલનાર કે તેનો ઉપભોગ કરનારને કોઈ સજાની જોગવાઈ જ કાયદાઓમાં નથી.

દેશમાં દેવદાસીના પ્રમાણ અંગે કોઈ આધારભૂત માહિતી મળતી નથી. મહિલા સાંસદ ઉષાપ્રકાશ ચૌધરીએ પહેલીવાર ૨૫મી ફેબ્રુઆરી ૧૯૮૩ના રોજ લોકસભામાં દેવદાસીઓનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે આઝાદી પછીના પાંત્રીસ વરસોમાં દોઢ લાખ અને વરસે સાડા ચાર હજાર કન્યાઓને દેવદાસી બનાવાતી હોવાની રજૂઆત કરી હતી. માત્ર દક્ષિણ ભારતમાં જ પાંચ લાખ દેવદાસીઓ હોવાનો એક અન્ય અભ્યાસનો અંદાજ છે. તેમાંથી પંચાણુ ટકા દલિત સ્ત્રીઓ અને અઠ્ઠાવન ટકા ત્રીસ વરસ કરતાં ઓછી વયની હતી. કર્ણાટકની દેવદાસીઓ અંગેનો ૨૦૧૮નો અભ્યાસ, રાજ્યમાં નેવું હજાર દેવદાસીઓ હોવાનું  જણાવે છે. દેવની આ દાસીઓના સંતાનો સાવ  અનાથ ગણાય છે. દેવદાસીનું સંતાન પુત્રી હોય તો તેણે દેવદાસી જ બનવું પડે છે. દેવદાસીના એંસી ટકા બાળકો નિરક્ષર હોય છે. અને બાળમજૂરી કરે છે. દેશના નાના મોટા શહેરોના દેહવ્યાપારમાં ધકેલાયેલી સ્ત્રીઓનો મોટો હિસ્સો દેવદાસીઓનો હોય છે, કેમ કે મંદિરો અને જમીનદારો એમનું પેટ ભરતા નથી.

સામાજિક સંસ્થાઓ, કાર્યકરો અને સરકારી વહીવટી તંત્ર દેવદાસી નિર્મૂલન, દેવદાસી મુક્તિ અને તેમનાં પુન:સ્થાપનનું કાર્ય કરે છે. કેટલાંક મુક્ત થયેલાં દેવદાસી પણ આ કામ સાથે જોડાયેલાં છે. મહિલા અનામત, મહિલા શિક્ષણ અને મહિલા સમાનતા જેવા મુદ્દે સમાજમાં થોડી પ્રગતિ જોવા મળે છે. પણ દેવદાસીની કુપ્રથાનો અંત આણવા બાબતમાં  ઝાઝુ કશું થયું નથી. નારી આંદોલનમાં દેવદાસી મુક્તિને પ્રાધાન્ય મળ્યું નથી. દલિત આંદોલનમાં પણ દેવદાસીનો સવાલ કદી મુખ્ય મુદ્દો બન્યો નથી. સરકારો અને રાજકીય પક્ષોમાં પણ આ બાબતે રાજકીય ઇચ્છાશક્તિનો અભાવ છે. સ્ત્રીને દેવી કે શક્તિ માનવામાં આવે છે. નવરાત્રિ તો શક્તિની આરાધનાનું પર્વ છે. આ દિવસોમાં સહુ શક્તિની આરાધના કરે છે. ત્યારે શોષણનો ભોગ બનેલી અને નારીને પૂજવાના દંભનું પ્રતીક બની રહેલી દેવદાસીઓને શક્તિ નહીં તો કમ સે કમ સ્ત્રી તરીકેનું તેનું સ્થાન – સન્માન મળી રહે તો ય ઘણું.

e.mail : maheriyachandu@gmail.com

Loading

સ્વાતંત્ર્યસેનાની અને કલાકાર સરલાદેવી મઝુમદારને ઓળખો છો ?

સોનલ પરીખ|Opinion - Opinion|11 November 2021

આઝાદ ભારતના ૭૫માં વર્ષમાં આવેલી ગાંધીજયંતી નિમિત્તે લોકભારતી સણોસરા ખાતે ‘ગાંધી ચિત્રકથા’ નામના સુંદર પુસ્તકનું વિમોચન થયું. ગાંધીશતાબ્દી વર્ષે પ્રકાશિત થયેલા આ પુસ્તકને સાર્ધ શતાબ્દી નિમિત્તે નવા રૂપેરંગે અને નવ ભાષાઓમાં પુન: પ્રકાશિત કરવામાં આવ્યું. તેનાં ચિત્રો અને લેખન સરલાદેવી મઝુમદાર નામનાં સ્વાતંત્ર્ય સેનાનીએ કર્યાં છે.

સરલાદેવીનાં પરિવારજનોની ઇચ્છા એવી કે આ નવે પુસ્તકોનું વિમોચન, એમના જ શબ્દોમાં  ‘નાનાભાઈ ભટ્ટ, મૂળશંકરભાઈ ભટ્ટ અને મનુભાઈ પંચોળી ‘દર્શક’ જેવા ગાંધીવિચારને વરેલા વડીલો દ્વારા સ્થાપિત અને વિકસિત લોકભારતી ગ્રામવિદ્યાપીઠના આંતરરાષ્ટ્રીય ગાંધીવિચાર અનુશીલન કેન્દ્રમાં’ થાય. લોકભારતીએ પ્રસન્નતાપૂર્વક આ શુભ ભાવનાને વધાવી લીધી અને મુંબઈ – વલ્લભવિદ્યાનગરથી આવેલાં સરલાદેવીના પરિવારજનો તેમ જ પ્રકાશક ભરતભાઈ – કેતનભાઈ રાજ્યગુરુની હાજરીમાં યોજાયેલા એક સાદા, સુંદર, સુઘડ કાર્યક્રમમાં ‘ગાંધી ચિત્રકથા’ પુસ્તકોનું વિમોચન થયું. આ પુસ્તક અને તેની લેખિકા વિશે જાણવું વાચકમિત્રોને ખૂબ ગમશે.

જજ પિતા અને પ્રગતિશીલ વિચારો ધરાવતાં માને ત્યાં 1911માં સરલાદેવી મઝુમદારનો જન્મ. શિક્ષિત – સંપન્ન પરિવારમાં થયેલો ઉછેર અને ગાંધીઊર્જાથી ભરેલાં વાતાવરણને પરિણામે તેમનામાં નાની વયથી જ ઉચ્ચ મૂલ્યો અને દેશભક્તિ કેળવાયાં. 

સરલાદેવીને જન્મજાત કલાકાર કહી શકાય. 13મા વર્ષે ‘કુમાર’ની રંગોળીસ્પર્ધામાં વિજેતા થયાં. એ વખતે ‘કુમાર’ના તંત્રી કલાગુરુ રવિશંકર રાવળ હતા. કોઈ ઔપચારિક શિક્ષણ વગર 16મા વર્ષે એમણે ઑલ ગુજરાત ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો અને સર્ટિફિકેટ ઑફ મેરિટ મેળવ્યું. ગ્રેજ્યુએશન પછી ચિત્રનું ઔપચારિક શિક્ષણ મેળવવા તેઓ કર્વે યુનિવર્સિટી(અત્યારની એસ.એન.ડી.ટી.)માં દાખલ થયાં અને ચિત્રમાં પ્રોફિશ્યન્સી ઈન આર્ટસ – અનુસ્નાતક સ્તરની ડિગ્રી મેળવી.

1935માં સરલાદેવીનાં લગ્ન ઈંગ્લૅન્ડમાં ભણેલા અને નારીસ્વાતંત્ર્યના પુરસ્કર્તા એવા પુરેન્દ્ર મઝુમદાર સાથે થયાં. લગ્ન પછી એમણે જે.જે. સ્કૂલ ઑફ આર્ટસમાંથી ગવર્નમેન્ટ ડિપ્લોમા લીધો. એ વખતે ત્યાં મિ. વિલિયમ એવર્ટ ગ્લૅડસ્ટોન સોલોમન નામના ખૂબ કાબેલ ગણાતા પ્રિન્સીપાલ હતા. એન્ટ્રન્સ ટેસ્ટ માટે સરલાદેવીએ કરેલાં ચિત્રો જોઈ તેઓ એટલા પ્રસન્ન થયા કે સીધો ત્રીજા વર્ષમાં પ્રવેશ આપ્યો. સુપ્રસિદ્ધ ચિત્રકાર જગન્નાથ મુરલીધર અહિવાસીના હાથ નીચે તૈયાર થઈ સરલાદેવીએ ડિપ્લોમા અને બૉમ્બે આર્ટ સોસાયટીનું સર્ટિફિકેટ ઑફ મેરિટ બન્ને મેળવ્યાં. આ ગાળામાં તેમણે રામાયણ, શિવમહિમ્નસ્તોત્ર, બાળકૃષ્ણલીલા વગેરે વિષયો પર ચિત્રો કર્યાં. સાથે ગુજરાતી અને મરાઠી સામયિકો માટે પણ ચિત્રો બનાવ્યાં.

દેશ મહાત્મા ગાંધી પ્રેરિત આંદોલનોની ઊર્જાથી ધબકતો હતો. સરલાદેવીના મોસાળમાંથી ઘણા સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લેતા હતા. સરલાદેવીએ પણ ઝંપલાવ્યું, દેશનાં કામોમાં સક્રિય થયાં અને જેલ પણ ભોગવી. એ પછી તેમણે ગ્રામસેવા શરૂ કરી. થોડાં વર્ષ મુંબઈ નજીકના નાના ગામમાં કામ કર્યું. સ્વતંત્રતા મળ્યા પછી ભરૂચ જિલ્લાના સુણેવ ખુર્દ ગામમાં મકાન બાંધીને ત્યાં સેવાપ્રવૃત્તિઓ શરૂ કરી.

કલાપ્રવૃત્તિઓ પણ ચાલતી હતી. કરાડીના ગાંધી સ્મૃતિ ભવન માટે વાઈસરૉય લૉર્ડ અરવિનને પત્ર લખતા ગાંધીજીનું લાઈફસાઈઝ પૉટ્રેટ સરલાદેવીએ બનાવી આપ્યું હતું. જે થોડાં વર્ષ ફૉર્ટ, મુંબઈના ખાદી ગ્રામોદ્યોગ ભવનમાં મુકાઈ અત્યારે એમના કાયમી પ્રદર્શનમાં છે. સાબરમતી આશ્રમનું મહાદેવભાઈ દેસાઈનું લાઈફસાઈઝ પૉટ્રેટ સરલાદેવીએ બનાવ્યું છે.

સ્વામી વિવેકાનંદની જન્મશતાબ્દી નિમિત્તે બહાર પડેલું ‘બાળકોના વિવેકાનંદ’ પુસ્તક જોઈ સરલાદેવીને આવું જ એક પુસ્તક મહાત્મા ગાંધીની જન્મશતાબ્દી નિમિત્તે તૈયાર કરવાનો વિચાર આવ્યો. તેઓ સાબરમતી આશ્રમમાં લગભગ આખું વર્ષ રહ્યાં અને ચિત્રો, પુસ્તકોનો અભ્યાસ કરીને વૉટર કલરમાં 27 ચિત્રોની ગાંધી ચિત્રકથા રચી. એ પેઢીનાં બાળકોએ ગાંધીજીને જોયા ન હોય. દેશ અને દુનિયા પર તેમનો જે જાદુ છવાયો હતો, તેનો પણ એમને ખ્યાલ ન હોય. ગાંધીજીના સદ્દગુણો બાળકોનાં હૃદયમાં ઊતરે એ માટે સરલાબહેને ગાંધીજીવનમાંથી એવા પ્રસંગો પસંદ કર્યા જેમાં સત્ય, પ્રેમ, કરુણા, અભય આદિ મૂળભૂત ગુણો પ્રગટ થતા હોય. પ્રસંગો સંબંધિત લખાણ પણ પોતે જ તૈયાર કર્યું. પછી આ જ ચિત્રો સુધારા વધારા સાથે ઓઈલ પેઈન્ટમાં બનાવ્યાં.

૧૯૬૮-૬૯ દરમ્યાન ગાંધીશતાબ્દી નિમિત્તે આ પુસ્તકનું પ્રકાશન મુંબઈ ગાંધી સ્મારક નિધિએ કર્યું. એનું બીજું સંસ્કરણ નવભારત પ્રકાશન મંદિરે કર્યું હતું. તેનો અંગ્રેજી અનુવાદ તેમના મામા હેમંતકુમાર નીલકંઠે કર્યો, જેમણે થોડો સમય ગાંધીજી સાથે વીતાવ્યો હતો અને ગાંધીજીની રોજનીશીના થોડા ભાગનો અંગ્રેજી અનુવાદ પણ કર્યો હતો. ‘ગાંધી ચિત્રકથા’નો હિન્દી અનુવાદ સરલાદેવીનાં ભાભી કુરંગીબહેન દેસાઈ (કવિ નરસિંહરાવ દિવેટિયાનાં દોહિત્રી કવયિત્રી મનોજ્ઞા દેસાઈ અને પ્રણવ દેસાઈનાં મા) અને તેમનાં બહેન ચિત્રાબહેન દેસાઈએ કર્યો હતો. આ બંને બહેનોએ નારાયણભાઈ દેસાઈના પુસ્તક ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ના અનુક્રમે હિન્દી અને અંગ્રેજી અનુવાદો પણ કર્યા છે. કુરંગીબહેનનાં મા લવંગિકાબહેને એ જમાનામાં ગ્રીક ટ્રેજેડી પર એક પુસ્તક લખ્યું હતું.

‘ગાંધી ચિત્રકથા’ના મરાઠી, તમિળ, તેલુગુ અને મલયાલમ અનુવાદો જે તે રાજ્યોની ‘ગાંધી સ્મારક નિધિ’ઓએ કરાવ્યા. હવે તેના કન્નડ, બંગાળી, અસમિયા અને પંજાબી અનુવાદો પણ ઉપલબ્ધ છે. અમેરિકામાં ગાંધીજીના પગલે અશ્વેતોના અધિકાર માટે અહિંસક ચળવળ ચલાવનાર ડૉ. માર્ટીન લ્યુથર કિંગ જૂનિયરનાં પત્ની કોરેટા કિંગના હાથે આ પુસ્તકના અંગ્રેજી અનુવાદનું લોકાર્પણ થયું હતું.

ગાંધીશતાબ્દી દરમ્યાન થતાં ચિત્રપ્રદર્શનોમાં તેમનાં ચિત્રો મુકાતાં અને કાકાસાહેબ કાલેલકર, જયપ્રકાશ નારાયણ, સ્વામી ચિન્મયાનંદ જેવા મહાનુભાવો સહિત ઘણા લોકો તેનો લાભ લેતા. ગુજરાતના સર્વોદય મેળાઓમાં પણ એમનાં ચિત્રો મુકાતાં.

૧૯૭૫ – આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ નિમિત્તે સરલાદેવીએ ઉપનિષદકાળથી લઈ તત્કાલીન સમય સુધીના કાલખંડ દરમ્યાન પ્રસિદ્ધ થયેલી મહિલાઓનાં ચિત્રો કર્યાં. આ ચિત્રો ટૂંકાં લખાણો સાથે અનેક જગ્યાએ પ્રદર્શિત થયાં. આવનારી પેઢીઓ માટે કલા અને જીવનનો ભવ્ય વારસો મૂકી 2001માં સરલાદેવી મઝુમદારે ચિરવિદાય લીધી.

વધતી જતી હિંસાનો પ્રતિકાર કેમ કરવો એ એક મોટી સમસ્યા આજે બધા દેશોને મૂંઝવી રહી છે. તે સાથે ગ્લોબલ વોર્મિંગ, કુદરતી આફતો અને કોવિડ – ૧૯ જેવી મહામારીએ વિશ્વને ઘેર્યું છે. સૌ પોતપોતાની રીતે પોતાની જીવનશૈલી અંગે સભાન થઈ રહ્યા છે ત્યારે મહાત્મા ગાંધીના જીવન, કાર્ય અને વિચારોનું ફરી એક વાર અવલોકન કરવા જેવું છે.

એક રસપ્રદ વાત – આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ પ્રગટ થઈ ત્યારે આઠેક વર્ષના એક બાળકે બાપુને ગોળી વાગી રહી છે એવું ચિત્ર જોઈ દુ:ખી થઈને સરલાદેવીને એ ચિત્ર કાઢી નાખવા કહ્યું. સરલાદેવીને ખ્યાલ આવ્યો કે એક સાદા ચિત્રથી પણ બાળકના મન પર કેવી અસર થઈ શકે છે. તેમણે તરત એ ચિત્રને દૂર કર્યું. 

બીજી એક રસપ્રદ વાત. વિદેશમાં પણ ગાંધી વિચારનો પ્રચાર કરતી સંસ્થાઓ છે. તેવી એક અમેરિકા, કેનેડા સ્થિત સંસ્થાનો ૨૦૧૯માં સંપર્ક કરીને આ પુસ્તકની નવી આવૃત્તિ વિષે તેમને જાણકારી આપી તેના જવાબમાં તેમણે તેમની લાઈબ્રેરીમાં રહેલી ૫૦ વર્ષ જૂની ‘ગાંધી ચિત્રકથા’નો ફોટોગ્રાફ મોકલી આપ્યો. આમ આ પુસ્તકની પરદેશમાં પણ નોંધ લેવાઈ હતી.

e.mail : sonalparikh1000@gmail.com

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 17 ઑક્ટોબર 2021

Loading

...102030...1,7361,7371,7381,739...1,7501,7601,770...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved