Opinion Magazine
Number of visits: 9570943
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પરદેશમાં

મૂકેશ પરીખ|Opinion - Opinion|3 October 2021

વતન છોડીને આવી ગયો પરદેશમાં,
ઠરીને ઠામ ન થઈ શક્યો પરદેશમાં.

પદ મેળવ્યું, મેળવી પ્રતિષ્ઠા પણ થોડી,
નીંદર નિરાંતે ન મેળવી શક્યો પરદેશમાં.

ઘર બન્યું અને ગૃહસ્થી પણ બની ગઈ,
વતનનું ખોરડું ન ભૂલી શક્યો પરદેશમાં.

અલબત્ત આરામની જિંદગી જીવી રહ્યો છું,
‘હાશ’ ની પ્રતિતી ન કરી શક્યો પરદેશમાં.

‘મૂકેશ’ કમી નથી અહીંયા ભૌતિક સુખોની,
બસ, ઈચ્છિત મોત ન પામી શક્યો પરદેશમાં.

ન્યુ જર્સી, યુ.એસ.એ.

e.mail : mparikh@usa.com

Loading

ઉજ્જવળ ભાવિ પર તોળાતી તલવારઃ સાંસ્કૃતિક વારસા પર ફરી રહેલા બુલડોઝર

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|3 October 2021

બદલાતી સરકારો સાથે ઇતિહાસને રજૂ કરવાની પદ્ધતિઓ અને ઇરાદા પણ બદલાયા કરે છે પછી તે પાઠ્યપુસ્તકો હોય કે ઇમારતો

વડોદરા શહેરની ઓળખનો મોટા ભાગને હિસ્સો છે સયાજીરાવ ગાયકવાડે શહેરને આપેલી અઢળક ભેટ, તે પણ અમૂલ્ય સાંસ્કૃતિક વારસાના રૂપમાં અને માટે જ કલા નગરીનું બિરુદ વડોદરાની ઓળખ નોખી રહી છે. પણ કમનસીબે શહેરની આ વારસાગત ઓળખ પર બુલડોઝર ફરી રહ્યું છે, અથવા તો ફરી ગયું છે તેમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. તાજેતરમાં જ સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ વાઇરલ થઇ, જેમાં વડોદરા શહેરના ઐતિહાસિક રેલવે શેડને જમીન દોસ્ત કરી દેવાયું હોવાની વાત થઇ છે. બુલેટ ટ્રેનના રસ્તાને મારગ આપવા માટે એ રેલવે શેડને જમીનદોસ્ત કરી દેવાયું છે જ્યાં સયાજીરાવ ગાયકવાડ ત્રીજા જે બોગીમાં મુંબઇ જતા તેને રખાતી, આ કોઇ સામાન્ય બોગી નહોતી પણ તેમાં મહારાજા મુસાફરી કરતા એટલે તેમાં ડાઇનિંગ, બેડરૂમ અને લિવિંગ રૂમ જેવી સવલતો રહેતી. આ ઇમારત આમ પણ જર્જરીત હાલતમાં હતી કારણ કે તે મુખ્ય રસ્તાની સાવ નજીક હતી અને કોઇ પણ હેરીટેજ ઇમારતને વાહનો, પ્રદૂષણ વગેરેની માઠી અસર થતી જ હોય છે. પરંતુ કલાનગરી વડોદરાનો ખોંખારો ખાનારા આ શહેરને માટે આ ચોક્કસ નાલેશી ભર્યું જ કહેવાય કે એક ઇમારતને જર્જરીત થવા દેવાઇ અને હવે તેને હંમેશને માટે ખલાસ કરી દેવાઇ. વિરોધાભાસ તો એ છે કે આ તોડી પડાયેલા ટ્રેન શેડના ફેસ લિફ્ટ માટે બે વાર યોજનાઓ થઇ ચૂકી છે, પણ સરકારી કચેરીઓમાં એ ફાઇલ વખારે ચઢી ગઇ હશે અને હવે ૧૮૮૦ની આસપાસ બનાવાયેલી આ ઇમારત હતી ન થઇ હતી થઇ ગઇ છે. વડોદરામાં ગાયકવાડી પરિવારે આપેલા વારસાનો છેદ ઊડી જાય તો વડોદરામાં શું રહેશે? વારસો માત્ર વિચારોમાં તો ન જીવી શકે તેના પુરાવા સચવાય તો જ ભવિષ્ય ઘડવાનો પાયો મજબૂત બને તે વાસ્તવિકતા સમજવી કંઇ અઘરી નથી. પરંતુ છતાં ય ‘કલાનગરી’ વડોદરાએ વિકાસ માટે વારસો ગુમાવવાનો વારો આવ્યો. હજી ગયા મહિને અહીંની એ શાળા જ્યાં સરદાર વલ્લભભાઇ પટેલ ભણ્યા હતા તેવી એક્સપેરિમેન્ટલ સ્કૂલ પર પણ તવાઇની તલવાર તોળાવના સમાચાર ઝળક્યા હતા.

ગુજરાતમાં વડોદરા, જૂનાગઢ, જામનગર, સૌરાષ્ટ્રનાં અન્ય શહેરો જ્યાં રાજા રજવાડાં હતાં ત્યાં સાંસ્કૃતિક વારસાની ધરોહર હંમેશાંથી રહી છે. અમદાવાદને તો વર્લ્ડ હેરીટેજ સિટીનું બિરુદ મળી ચૂક્યું છે. તાજેતરમાં ગુજરાતમાં ધોળાવીરાને પણ યુનેસ્કોએ વર્લ્ડ હેરીટેજ સાઇટનું ટાઇટલ આપ્યું છે. પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક ઇતિહાસને લગતું ઘણું બધું આખા ય રાજ્યમાં પથરાયેલું છે. મીડિયા, વિવાદો અને ક્યારેક સંશોધકોની રૂચિને કારણે લોકોને આમાંથી મોટા ભાગની ધરોહર વિશે આછો પાતળો ખ્યાલ રહ્યો છે પણ તેની જાળવણી અંગેની જાગરૂકતા છેલ્લા દોઢ-પોણા બે દાયકામાં વધારે ધારદાર બની છે.

છતાં પણ આ શહેરોમાં આ વારસાને જાળવવાને મામલે ચૂક થતી આવી છે. જેમ કે જૂનાગઢ શહેરમાં નવાબી સમયની ચિત્તાખાના ચોકની કન્યાશાળા ધરાશયી થઇ છે. વળી અમૂક શહેરોમાં તો જે સાંસ્કૃતિક વારસો નથી તેને હેરીટેજને નામે ચલાવવાના ધખારા પણ થયાં છે, જેની પાછળ સરકારી દાનત અને ખાનગી હિતોનાં સમીકરણો કામ કરી જતાં હોય છે. હેરીટેજ સિટી બનેલા અમદાવાદને હવે યુનેસ્કોને રિપોર્ટ આપવાની ઘડી નજીક આવી છે ત્યારે અવગણાયેલી સૂચનાઓ, ભંગ થયેલા નિયમો જેવી બાબતો અડચણો ન બને તે માટે તંત્ર છેલ્લી ઘડીએ સાબદું થયું હોવાના વાવડ તો છે, પણ આખરે આવા મામલે તો નીવડે વખાણ જેવી જ સ્થિતિ હોય. ૨૦૧૯માં અમદાવાદના હેરીટેજના લિસ્ટમાં આવેલી ઇમારતો પર ડિમોલીશનનું જોખમ હતું. આધુનિક વારસાની વાત કરીએ તો આઇ.આઇ.એમ. અમદાવાદમાં જ લેજેન્ડરી અમેરિકન આર્કિટેક્ટ લુઇ કાને કરેલા પ્રતિષ્ઠિત બાંધકામને તોડી પાડવાની ચર્ચા પણ ચાલી હતી જે વિરોધને પગલે અટકી ગઇ.

સુરતની વાત કરીએ તો તે હંમેશાંથી આર્થિક કેન્દ્ર જ રહ્યું છે જ્યાં ૮૪ બંદરના વાવટા ફરક્યા છે તેવું શહેર, જ્યાંથી અકબર બાદશાહ હજ પર ગયા છે, તેવું શહેર જ્યાં અંગ્રેજોએ પોતાની પહેલી કોઠી ઇ.સ. ૧૬૦૦માં સ્થાપી, તેવું શહેર. આ શહેરનો ઇતિહાસ પૈસા સાથે જોડાયેલો રહ્યો છે, અનેકવાર લૂંટાયેલું સુરત સમૃદ્ધિ ચાહનારાઓનું ચહિતું રહ્યું છે. દરિયા કાંઠો અને નદીને કારણે વારંવાર પૂરમાં તણાતાં આ શહેરમાંથી અંગ્રેજો મુંબઇ તરફ વળ્યા. એક સમયે અહીં કોટ પણ હતો અને બાર દરવાજા પણ હતા, આજે દરવાજાનાં નામ રહ્યા છે અને કતારગામ વિસ્તારમાં એક સમયના કોટની દિવાલના અવશેષ નજરે ચઢે છે પણ ધંધા-પાણીને પગલે મુંબઇની નજીક હોવાને કારણે સુરત અમુક મામલે હાંસિયામાં ધકેલાયું. આધુનિક સુરતમાં છેલ્લાં પાંચ વર્ષમાં પબ્લિક આર્ટ ક્ષેત્રે કામ થયું છે, અહીં ઉદ્યોગો છે, અમદાવાદમાં મહાજન સંસ્કૃતિનો વારસો છે, મુગલ કાળની ધરોહરો છે વળી એક માત્ર વિક્રમ સારાભાઇએ ખડાં કરેલા સંસ્થાનો પણ કોઇ સમૃદ્ધ વારસાથી કમ નથી, ત્યારે સયાજીરાવ ત્રીજાના વડોદરામાં જો રાજવી વારસાનો છેદ ઊડી જાય તો પછી શહેર પાસે ‘કલા નગરી’ના નામનો ખોંખારો ખાવા જેવું કશું બચે નહીં તેમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી.

વિકાસ અને ધર્મની દોડમાં ઇતિહાસનાં પાનાં ગાયબ ન થઇ જાય તે બહુ જરૂરી છે. બુલડોઝરો અને બુલેટ ટ્રેન્સ આ કામ સિફતથી કરી રહ્યા છે જે ચોક્કસ ચિંતા જનક છે.

બાય ધી વેઃ

સાંસ્કૃતિક ધરોહર એ માત્ર ટુરિઝમ નથી પણ ભવિષ્યની યોજનાઓને પાર પાડવાનો પાયો છે.  પૂર્વગ્રહો વગરનો ઇતિહાસ, વાસ્તવિકતા રજૂ કરતો ઇતિહાસ એ ઉજ્જવળ ભવિષ્યની ખાતરી આપનારો હોય તે સ્વીકારીને તેની જાળવણી યોગ્ય રીતે થાય તે જરૂરી છે. બદલાતી સરકારો સાથે ઇતિહાસને રજૂ કરવાની પદ્ધતિઓ અને ઇરાદા પણ બદલાયા કરે છે પછી તે પાઠ્યપુસ્તકો હોય કે ઇમારતો. એમાં પાછું આપણને વિકાસનું વળગણ છે એટલે શું રહેશે અને શું જશે તેની કોઇ ગેરંટી મળી શકે તેમ નથી. મંદિરો માત્ર આપણો વારસો નથી, ધ્વંસ કરાયેલી મસ્જીદ પણ ઇતિહાસનો પુરાવો હતો એ સત્ય આવનારી પેઢીઓને કોઇપણ પ્રકારના પૂર્વગ્રહો વિના જણાવી શકાશે તો જ આપણે જવાબદારીપૂર્વક ફરજ પૂરી કરી તેમ માની શકાશે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  03 ઑક્ટોબર 2021

Loading

રઈશ મનીઆર કૃત ‘ડૂબકીખોર : મનના દરિયાની સફર કરાવતી વાર્તાઓ’

બકુલા ઘાસવાલા|Opinion - Opinion|3 October 2021

નાનકડી અંગત વાત સાથે શરૂઆત કરીશ. ડો. મુસ્તાક કુરેશી અમારાં પારિવારિક મિત્ર. આ વખતે મારી વર્ષગાંઠને અલગ રીતે યાદગાર બનાવી. સવારે ફોન પર કુરેશી સાથે હેપ્પીવાલા બર્થડેનું ગીત સૂરીલી લઢણે ગાતાં એમણે મને કહેલું કે હું સાંજ સુધીમાં તમને રૂબરૂ મળી જઈશ, અને ખરેખર એમણે રઈશ મનીઆરના વાર્તાસંગ્રહ ‘ડૂબકીખોર – મનના દરિયાની સફર કરાવતી વાર્તાઓ’ની ભેટ સાથે સાંજ યાદગાર બનાવી. આ પુસ્તકની વાર્તાઓને વાંચી, સૂંઘી, માણી, નાણીને અભિજાત જોશીએ ‘ગુજરાતી વાર્તાવિશ્વનો સાચુકલો અવાજ’ કહીને નવાજી છે. વાસ્તવમાં તો એવી છાપ કે ડો. રઈશ મનીઆર તો ગઝલ, દરેક પ્રકારનાં કાવ્યો અને મુશાયરા-કવિ સંમેલનનો ગઝલકાર-કવિ. એક સમયે એમની હાસ્ય-કવિતાઓની એક નાનકડી પુસ્તિકા હું હાથવગી રાખતી, જેથી ‘હાસ્યાંજલિ’માં પઠન કરી શકાય. મને યાદ છે કે મારે અહીં એમના વાર્તાસંગ્રહ વિશે લખવાનું છે.

કોઈ વ્યક્તિ ડોક્ટર, સામાજિક કર્મશીલ, વકીલ, પોલીસ, શિક્ષક-પ્રોફેસર હોય અને સાથે લેખક-વાર્તાકાર હોય તો શું થાય? એના વ્યવસાયનો અનુભવ અને જ્ઞાન એનાં લખાણમાં ડોકિયું કરી જાય અને વાંચીએ ત્યારે લાગે કે આપણે સાચુકલી વાતમાંથી પસાર થઈ રહ્યાં છીએ. એ વાર્તા પછી પરિકલ્પના તરીકે જ  સામે ન રહે, પરંતુ નજર સામે ભજવાતી હોય એવું લાગે. આ વાર્તાસંગ્રહની બાર વાર્તાઓમાંથી પસાર થતાં પણ એવું લાગ્યું. વિષય વૈવિધ્ય તો અદ્દભુત જ સાથે અતાગ અને અથાગ મનનો દરિયો જેમાં તમે ડૂબકી મારો કે નાવડી લઈ હલેસાં મારો … તમારી મરજી.

આમ પણ હું વિવેચક નથી વાચક તરીકે ભાવક છું, વાર્તા સ્ત્રીની દૃષ્ટિએ તપાસી લેવાઈ તે વાત જુદી, પરંતુ અહીં કહેવું પડશે કે વાર્તાકારની તટસ્થતા બરકરાર રહી છે. ‘ડૂબકીખોર’ની અસલામતી અનુભવતી મા લખમી, ‘ચંદાનું વેકેશન’માં સેક્સ વર્કર તરીકે કાર્યરત ચંદા, ‘સવા ત્રણની બસમાં દીકરાની રાહ’માં માનસિક રીતે અસ્વસ્થ થઈ ગયેલી મા, ‘ઉપર કશું છે?’માં પ્રગટતી શ્રદ્ધાવંત મા, શનિરવિ’માં દિવ્યાંગ બાળક માટે સમર્પિત મા, ‘અનમોલ રતન’માં દીકરા માટે દીકરીઓ પ્રત્યે દુર્લક્ષ રાખતી છતાં છેવટે દીકરીઓ માટે કૂણો ભાવ રાખતી મા અમિતા, ‘કજોડું’માં નર્મદા અને ‘અનુબંધ’માં દીકરી માટે થઈને જીવન વહેણને ગતિશીલ રાખતી અમોલા સહિત માતાઓનું વિવિધ સ્વરૂપ અહીં ઉજાગર થયું છે. દરેક વાર્તામાં કોઈને કોઈ રીતે માતાની સ્થૂળ કે સૂક્ષ્મ હાજરી છે છતાં આ ફક્ત ‘માતૃ વંદના’ માટે જ લખાયેલી વાર્તાઓ નથી. આ વાર્તાઓમાં પ્રેમકથા છે, પ્રવર્તમાન આધુનિક મૂલ્યોથી જન્મતો દ્વંદ્વ છે, કલ્પનાતીત કહેવાય તેવી વિષયવસ્તુ લઈ આવતી ઘટના આધારિત ગંગામાં લાશને શોધવાના વ્યવસાય કરતા નાવિક અને ડૂબકીખોર છોટુની જીવનચર્યા છે તો રેશનલ વલણ સાથે પ્રગટતી કહેવાતી બરછટ વર્તણૂંક છતાં માનવીય સંવેદનાનો આવિર્ભાવ, સ્ત્રી તરીકેની મર્યાદાઓ સાથે પ્રગટતું સ્ત્રીચરિત્ર, આતંકવાદનો ઓછાયો, સાત સહેલી પ્રદેશની યુવતીની કુટુંબકથા, લિંગભાવ સંદર્ભે પરંપરાગત સામાજિક માન્યતાઓનું દ્રઢિકરણ અને સમાજ, દિવ્યાંગ બાળક માટેની માતાની સમર્પિતતાનાં કારણે ભોગ બનતાં સામાન્ય બાળકની માનસિકતા, નાનાં ઘરોમાં મળતાં એકાંતના અભાવનાં કારણે પેદા થતી પરિસ્થિતિમાં પોલીસનું વર્તન અને આમ આદમી તરીકે વગર વિચાર્યે ધારણાઓ બાંધી લેવાની સહજ વૃત્તિ, મિલકત માટે કોઈ પણ હદે જઈ શકતા કુટુંબીઓ, વેરાન-બંજર જમીન પર ઊભી થતી વસાહતો અને શહેરીકરણ, શિક્ષણનું મહત્ત્વ સમજતો ગરીબ કે કહેવાતો  પછાત  વર્ગ, મૃત્યુની વાસ્તવિકતા પર ચિંતન જેવા મુદ્દાઓ પણ વાર્તાઓમાં ખાસ્સા વણી લેવાયા છે અને તે સુપેરે ઉજાગર થાય છે.

વલસાડી ભાષાપ્રયોગ અને પારડી-વાપી-ઉમરગામ જેવાં સ્થળોનો ઉલ્લેખ પોતીકો લાગે. 'ગલવાઈ ગીયો’ શબ્દપ્રયોગ તો અનાવિલોનો જ છે એવી મારી દ્રઢ માન્યતા ખોટી છે, તે અહીં એના બેએક વાર થયેલા ઉલ્લેખથી સમજાયું. જો કે અમે ગલવાઈ જવાના શબ્દપ્રયોગ સમાંતર ‘બલવાઈ જવું’ શબ્દપ્રયોગ પણ કરીએ! મોપાસાં, સ્ટેફાન ઝ્વીગ, ચેખોવ, ટાગોર અને અન્ય નામી-અનામી વાર્તાકારોની વાર્તાકલાથી પોતે પ્રભાવિત છે એવું રઈશ લખે છે. તો પણ પોતાની વાર્તાશૈલીને એ લોકપ્રિય આલેખન અને વિવેચકો વખાણે તેવા સાહિત્યિક માપદંડમાં સફળ થતી અટપટી, મુશ્કેલ અને જટિલતા રૂપે પ્રગટતી કલાની વચ્ચે અંકિત થતી માને છે. એની પ્રસ્તાવના પર પદ્યની અસર લાગે પરંતુ વાર્તાઓમાં કવિતા કરતાં વાસ્તવ-દર્શન વધારે છે. મનોગત એકોક્તિ પણ ખાસ્સી મુખરિત થતી રહે છે. મને સૌથી વધારે અસર બે વાત પર થઈ કે એક જ બાળક પર જાણેઅજાણે ધ્યાન આપવાની એકાંગી વૃત્તિ બીજાં બાળકોની જિંદગી પણ બેહાલ કરી શકે, દીકરાને ચગાવી મારવાનું વલણ એને માટે જ ખતરનાક બને છે તે માતા-પિતા તરીકે સમજવું જોઈએ. રઈશનાં મનના દરિયામાં સ્ત્રીઓને દીકરા માટે મોહ વધારે હોય એ માન્યતા તરતી રહેતી હોય એવું મને લાગ્યું, પરંતુ સ્ત્રીઓમાં એ વલણ કેમ સ્થિત થઈ ગયું છે તે પણ સમજવાનો મુદ્દો છે એવું પણ લાગે છે.

આજકાલ હું ગ્લુકોમા અને મોતિયો પીડિત છું, એટલે એકી બેઠકે વાંચી શકું એમ તો નથી, છતાં ૧૭૮ પાનાં વાંચી તો લીધાં! કારણ કે આ વાર્તાઓમાં એવું કંઈક તો છે જે એક વાર્તા વાંચવાની શરૂ કરો તો પછી પૂરી ન કરો ત્યાં સુધી ચેન ન પડે! ખાસ કરીને જેમને સામાજિક, સાંસ્કૃતિક, ભૌગોલિક હદ ઓળંગી માનસિક પરતો ઉકેલીને દુનિયાને સમજવી છે તેમને આ વાર્તાઓ વાંચવી ગમશે એવું મને લાગે છે.

પ્રકાશક : આર.આર. શેઠ – સંપર્ક: ૦૨૨-૨૨૦૧૩૪૪૧ – Email:sales@ rrsheth.com  – www.rresheth.com 

“AadiRaj", Behind Jalaram Temple, Halar Road, Valsad 396 001 Gujarat, India.

Loading

...102030...1,7321,7331,7341,735...1,7401,7501,760...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved