Opinion Magazine
Number of visits: 9674571
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આ મુશ્કેલ સમયમાં (64)

સુમન શાહ|Opinion - Opinion|16 November 2021

આ કોરોનાકાળે આપણે એકમેકને રૂ-બ-રૂ મળવાનું નથી કરી શકતા. મળીએ ત્યારે પણ મૉં માસ્ક-મઢ્યું હોય છે. જો કે ત્યારે આંખોથી મળવાનું ઘણું શક્ય હોય છે. પણ આંખોથી મળવાનો કશો અનર્થ થાય એ પહેલાં આપણે કોઇ ને કોઇ બ્હાને થોડી જ વારમાં છૂટા પડી જઈએ છીએ. ઊલટું એ કે કેટલા ય લોકો આંખમાં આંખ મેળવીને વાત નથી કરતા. નજરથી નજર નહીં મેળવીને વાત કરનારા ઘણું બધું છુપાવતા હોય છે. ગોગલ્સ પ્હૅરીને મારી જોડે વાતો કરવા આવેલાને હું તો સાંખી શકતો નથી.

આંખનો પ્રતાપ કદાચ આપણે બરાબર અનુભવતા નથી, મહિમા પૂરો જાણતા નથી. દુ:ખદ એ છે કે મનુષ્ય મનુષ્ય વચ્ચેના લાઇવ આઇ-ટુ-આઇ કૉન્ટેક્ટની ઘટનાઓ ઘટી રહી છે.

હા, ઇન્સ્ટાગ્રામ કે એનાં સમાં બીજાં ઉપકરણો પર પિક્ચર્સ કે પ્રોફાઇલ્સ વારંવાર અને આંખ થાકી જાય ત્યાંલગી જોઈ શકાય છે. એટલું જ નહીં, આપણી એ વર્ચ્યુઅ્લ દુનિયા આપણને બધી રીતે સુગમ લાગે છે. ઘણા તો એને 'મફત' સમજવાની ભૂલમાં ખુશ ખુશ રહે છે.

મેં ૨૬ વર્ષ પહેલાં, ૧૯૯૫માં, ‘વર્ચ્યુઅ્લિ રીયલ સૂટકેસ’ નામની વાર્તા લખેલી. એમાં સૂટકેસ હોય છે, મારા એ ઘરની સામેનું બે સ્તરે ફેલાયેલું ગ્રાઉણ્ડ – મેઇન તે ઊંડું સ્તર અને એની ઉપરનું ખુલ્લું તે – સૂટકેસનું ઢાંકણું. અને, સૂટકેસધારી તે શામલાલ, જે પાંચેક ડગલાંમાં મુમ્બઇથી પ્રોટેગનિસ્ટના ઘરે, સમજો અમદાવાદના ઘરે, પ્હૉંચી જાય છે …

પણ એવું બધું વર્ચ્યુઅ્લ હવે તો ‘મૅટાવર્સ’-ની દુનિયામાં સૌ કોઈ કરી શકશે. ત્યાં આપણે જ આપણા અવનવા અવતારો સરજવાના છીએ. વાસ્તવિક જીવનમાં ન થઈ શકે તે બધું જ ત્યાં કરવાના છીએ, કરી શકવાના છીએ. ત્યારે આપણે પૂરું જાણતા જ હોઈશું કે કશું પણ એમાં રીયલ નથી, છતાં એ વર્ચ્યુઆલિટીને માણતા રહીશું. ક્રમે ક્રમે એમ પણ બને કે એ વર્ચ્યુઅ્લ દુનિયા જ માણસને રીયલ લાગવા માંડે.

હું ચૉક્કસ માનું છું કે માનવીય સર્જકતા અને વિજ્ઞાનીય શક્તિમત્તાનો એ મહાન વિજય હશે.

પણ ત્યારે આપણી આ યુગોપુરાણી ઍક્ચ્યુઅલ દુનિયા કેવી હશે અને કેટલી બચી હશે એ પ્રશ્નો નજીકના ભવિષ્યમાં આપણી સામે આવીને ખડા થવાના છે. એ વિજયની સામે, મને જે પ્રશ્નો થઈ રહ્યા છે તે આ, કે : સરેરાશ મનુષ્યનું શું થયું હશે – મનુષ્યના ભાવજગતનું શું થયું હશે – અને ખાસ તો, મનુષ્યની આંખોનું શું થયું હશે.

એટલે મને થાય છે કે, ચાલો, જે કંઈ સંચિત છે, માનવજાતના આર્કાઇવમાં સદીઓથી સંભરાયેલું છે, તેમાં ચાલી જઈએ. શબ્દ જન્મ્યો તેટલું પુરાણું કોઈ આર્કાઈવ હોય, તો એ તો લિટરેચર છે. તેના સર્જનહાર શબ્દસાધકો અને તેમાં યે જે માસ્ટર્સ છે અને હતા, તેમની પાસે ચાલી જઈએ.

આંખોથી મળવું એ ઘટના નિરાળી છે. કોઇ પણ મનુષ્યની આંખો જોવી અને તેની આંખોમાં જોવું મને તો ગમે છે. સ્ત્રીની આંખો જેટલું સુન્દર અને સુન્દર સ્ત્રીની આંખો જેટલું સુન્દર શું હોઈ શકે? જોયા જ કરાય, કશું બોલાય નહીં, સ્તબ્ધ રહી જવાય. આ ક્ષણે મને યાદ આવે છે, મારા વાચનમાં આવેલા રવીન્દ્રનાથ કાલિદાસ કે શેક્સપીયર આદિ મહામનાઓ અને તેઓએ આંખો વિશે કહેલું એ બધું. પણ આજે મારે કહેવું છે કે રુમિ શું કહે છે : રુમિ આવું આવું કહે છે :

કહે છે કે :

“સુન્દર, સુઘડ અને મનોરમ બધી જ વસ્તુઓ જોનારની આંખ માટે સરજાઈ છે.”

આ એટલું મોટું સત્ય છે કે એનું ભાનસાન નથી હોતું એ સુન્દરને કે એ સુન્દર વસ્તુના જોનારને. રુમિ એમ સૂચવે છે કે દૃશ્ય દૃષ્ટા માટે હોય છે, અને દૃષ્ટા ન હોય તો દૃશ્ય પણ નથી હોતું.

છતાં, રુમિ એમ પણ કહે છે કે :

“આ દુનિયા તો એક સપનું છે, આંખો ખોલ.”

રુમિની આ વાત તો એમ સૂચવે છે કે વર્ચ્યુઅલ અને રીયલ બન્ને દુનિયાઓ સપનું છે, સપના જેટલી સુન્દર છે, પણ રુમિ જાગી જવા કહે છે. ભ્રાન્તિ હમેશાં રમણીય અને આહ્લાદક હોય છે પણ બધા પ્રબુદ્ધોનું મન્તવ્ય છે કે એથી નિર્ભ્રાન્ત થઇ જવું.

પણ એ જ રુમિ, કવિતાકાર સર્જક ખરો ને, એટલે અવળું પણ સત્ય વદે છે :

“બંધ કર આંખો, પ્રેમમાં પડ, ને એમાં જ ટકી રહે.”

માણસથી ખરેખર થઈ શકે એવી સરળતમ એક જ વસ્તુ છે – પ્રેમ ! હા, સ્ત્રી-પુરુષો પ્રેમમાં પડે તો છે પણ ટકી નથી રહેતાં. નહીં ટકી રહેવાથી શું બચે છે? એ તો એ લોકો જ જાણે – દયાપાત્ર મુડદાલ જીવન …

આજકાલ, આપણે તો ‘હાય’ ને ‘બાય’-માં જીવીએ છીએ. ઘણા તો ‘બાય’ કરી દેવાની ઉતાવળમાં સરખું બોલતા પણ નથી, ખરું કે સાચું લખવાની તો વાત જ શી ! સારું ગુજરાતી લખી શકતા કવિઓ પણ ઇમોજીથી પતાવે છે. આપણને થાય એમને બચારાઓને બહુ કામ હશે. પણ ના, કામ તો શું હોય? એટલું જ કે દરેક જગ્યાએ એ-નું-એ ઇમોજી ચૉંટાડવું ! એ લોકો સોશ્યલ મીડીઆમાં દાખલ થાય ખરા પણ સોશ્યલ નથી થતા, એમની એ જ સંકીર્ણ ઇન્ડીવિજ્યુઆલિટીમાં પડ્યા રહે છે.

હાય-બાયની વાતમાં સમજી શકાય એવું સીધું એ છે કે તમે પ્રેમ કર્યો હોય તો હાય-થી મલકી પડાય, છાતી ફૂલે, અને બાય-થી મૉં પડી જાય, વિરહ થાય. ખરા પ્રેમીને – પ્રિયાને કે પ્રિયને – બાય બાય કરતાં હમેશાં દુ:ખ થાય – ઉમ્બરેથી આંગણે ને આંગણેથી શેરીના નાકે જાય, કેમ કે વિદાય એનાથી વેઠાય નહીં. પણ એવું હાય કે એવું બાય પ્રેમ કર્યો હોય તો થાય, તો જ થાય, બાકી શું …

રુમિ જુદું અને સરસ સૂચવે છે કે ખરાં પ્રેમીઓ સાદુંસીધું બાય નથી કરતાં. કહે છે :

“કેમ કે દિલોજાનથી પ્યાર કરનારાંની જિન્દગીમાં વિદાય નામની વસ્તુ કદી હોતી નથી.” અને જો બાય કરી શકે તો કોણ? રુમિ ઉમેરે છે : ‘’આવજો’ એ જ કહી શકે જે પોતાની આંખોથી તમને પ્યાર કરતું હોય.”

કેમ કે પ્રેમનું માધ્યમ અને સાધન આંખો છે. પ્રેમને હું સર્વોત્તમ વાસ્તવિકતા ગણું છું – સુપ્રીમ રીયાલિટી. અનુભવીઓ જાણે છે કે એ રીયલ રોજ વર્ચ્યુઅલમાં ને એ વર્ચ્યુઅલ રોજ રીયલમાં બદલાતું રહે છે. પ્રેમ સદા ક્રિયમાણ અને ઝલમલતું તત્ત્વ છે.

પ્રેમમાં આંખો અને આંખોમાં પ્રેમ -ની આ રહસ્યમય છતાં સીધી વાતો છે. એ વાતો જેટલી વાર કરાય એટલી વાર નવી લાગશે પણ હરેક વખતે લાગશે કે – હું જાણું છું. મહામનાઓ આપણે જાણીએ છીએ એ જ કહેતા હોય છે, પણ એઓને સાંભળ્યા પછી આપણને ખાતરી થાય છે કે હું જાણું છું એ બરાબર છે, આપણો દિવસ સારો જાય જાય છે, આપણને સારું લાગે છે …

= = =

(November 16, 2021: Amsterdam)

Loading

રોટલા બને છે, ફેફસાં બળે છે

ચંદુ મહેરિયા|Opinion - Opinion|16 November 2021

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ઉજ્જવલા યોજનાના બીજા તબક્કાનો આરંભ કરાવ્યો છે. મે-૨૦૧૬માં શરૂ થયેલી આ યોજના ધૂમાડામુક્ત બહેતર ગ્રામીણ ભારતનો ઉદ્દેશ ધરાવે છે. ગરીબી રેખા હેઠળના ગ્રામીણ અને શહેરી પરિવારની મહિલાઓને આ યોજનામાં રાંધણ ગેસનું નિ:શુલ્ક જોડાણ આપવામાં આવે છે. બીજા તબક્કામાં સરકારે વધુ ઉદાર બનીને માત્ર એલ.પી.જી. કનેકશન જ નહીં, પહેલું સિલિન્ડર અને એક સગડી પણ મફત આપવાની જોગવાઈ કરી છે. પેટ્રોલિયમ મિનિસ્ટ્રી એપ્રિલ ૨૦૨૦ સુધીમાં ૮.૨ કરોડ રાંધણ ગેસ કનેકશનો આપ્યાંનું જણાવે છે. હવે સરકારનું લક્ષ્ય ૧૦ કરોડ કનેકશનનું છે.

૨૪ કરોડ પરિવારોના બનેલા ભારત દેશમાં ૧૦ કરોડ કરતાં વધુ પરિવારો પાસે રાંધવા માટેના ગેસનો અભાવ છે. તેઓ રાંધવા માટે લાકડાં, કોલસા, છાણાં અને કેરોસીનનો ઉપયોગ કરે છે. ૨૦૧૧ની ઘરોની વસ્તી ગણતરીના આંકડા પ્રમાણે દેશમાં ૪૯ ટકા લોકો રસોઈ માટે જલાઉ લાકડાનો, ૨૮.૬ ટકા એલ.પી.જી.નો અને ૮.૯ ટકા છાણાંનો વપરાશ કરે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના એક અભ્યાસમાં સમગ્ર દેશના ૬૭.૪ ટકા ઘરોમાં રાંધવા માટે ઘન ઈંધણોનો ઉપયોગ થતો હોવાનું નોંધાયું છે. ગામડાંઓમાં તેનું પ્રમાણ ૮૬.૫ ટકા અને શહેરોમાં ૨૬.૧ ટકા છે.

માટી કે લોખંડના ચૂલા પર લાકડાં, છાણાં, કોલસા અને બીજાં ઘન ઈંધણોથી રાંધવાને કારણે ધૂમાડો ઉત્પન્ન થાય છે. ઘન ઈંધણોથી પેદા થતા ઘરેલુ વાયુ પ્રદૂષણની રસોઈ કરતી સ્ત્રીઓ અને તેમનાં બાળકોનાં આરોગ્ય પર માઠી અસર થાય છે. ધૂમાડો અને મેશ તેમનાં ફેફસાંમાં જાય છે, જે અનેક ગંભીર બીમારીઓ સર્જે છે. ગ્રામીણ ભારત અને શહેરી ઝૂંપડપટ્ટીઓની મહિલાઓ ફેફસાં બાળીને રોટલા બનાવે છે. રસોઈ કરતી સ્ત્રીઓ જ નહીં ઘરના અડધોઅડધ સભ્યો ધૂમાડા અને મેંશની અસરો સહન કરે છે.

દર કલાકે ચારસો સિગારેટ પીવા જેટલો ધૂમાડો લાકડાં અને બીજા ઈંધણાથી રાંધતી મહિલાઓનાં ફેફસાંમાં જાય છે. ઘન બળતણોથી રાંધવાને કારણે પેદા થતા ઘરેલુ વાયુ પ્રદૂષણથી શ્વસન રોગ, ટી.બી., ન્યૂમોનિયા, સ્વરયંત્ર અને ફેફસાંનું કેન્સર, દમ, મોતિયો, અંધાપો અને અન્ય રોગો થાય છે. બાહ્ય કરતાં ગૃહ પ્રદૂષણ દસ ગણી વધારે ખરાબ અસરો જન્માવે છે. પ્રદૂષણકારી બળતણના રાંધવામાં ઉપયોગથી ભારતમાં વરસે ૧૩ લાખ લોકોના મોત થતા હોવાનું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું કહેવું છે. ગરીબી અને જાણકારીના અભાવે લોકોને પ્રદૂષિત બળતણનો વપરાશ કરવાની મજબૂરી છે. પ્રદૂષિત ઈંધણના વપરાશથી પેદા થતા કાર્બન મોનોક્સાઈડની અસર ગર્ભવતી મહિલાઓ અને તેમના ગર્ભના બાળકો પર પણ પડે છે. પ્રદૂષિત ઘન બળતણ વાપરીને રસોઈ કરતી ગર્ભવતી સ્ત્રીઓની પ્રસૂતિ દરમિયાન મોત થવાની અને ઓછા વજનનાં બાળકો જન્મવાની અસરો જોવા મળે છે.

રોટલા નહીં, ફેફસાં શેકતી સ્ત્રીઓને આવાં હાનિકારક બળતણના ઉપયોગમાંથી મુક્તિ અપાવી મોત અને આરોગ્યના જોખમોથી ઊગારવા સાથે પ્રદૂષણ નિયંત્રણ, વનસંરક્ષણ અને બહેતર જીવનના હેતુથી ઉજ્જવલા યોજનાનો આરંભ થયો હતો. તેનાં કેટલાંક સારાં પરિણામો પણ જોવા મળ્યા છે. તો યોજનાની મર્યાદાઓ પણ જણાઈ છે. ઉજ્જવલા યોજનાના પ્રથમ તબક્કામાં મહિલાઓના નામે મફત ગેસ કનેકશન અને ગેસ સિલિન્ડરમાં સબસિડી મળી હતી. પરંતુ ગેસની સગડી લાભાર્થી મહિલાએ સ્વખર્ચે કે લોનના નાણાંથી ખરીદવાની હતી. બી.પી.એલ. કે ગરીબીની રેખા તળેના કુટુંબોને આ લાભ મળવાનો હતો. તેમણે ગરીબી-અભાવ અને મોત-બીમારી વચ્ચે પસંદગી કરવાની હતી. શરૂઆતમાં તેમણે આરોગ્યની પસંદગી કરી પણ તેમના ખાલી ખિસ્સાને આ પસંદગી ભારે પડી. રસોઈ ગેસનો બાટલો ખાલી થાય પછી ભરાવવાનો ભારે પડવાના અનેક બનાવો જોવા મળ્યા છે.

૨૦૧૯માં પ્રકાશિત, ૨૦૧૬થી ૨૦૧૮ના અઢીએક વરસોના ઓડિટનો, ‘કેગ’નો અહેવાલ જણાવે છે કે દેશમાં ૨૦૧૫-૧૬માં  કુલ એલ.પી.જી. કવરેજ  ૬૧.૯ ટકા હતું. તે ૨૦૧૮-૧૯માં વધીને ૯૪.૩ ટકા થયું છે. અર્થાત્‌ એલ.પી.જી.ધારકોનું પ્રમાણ ચાર વરસમાં ૩૨.૪ ટકા વધ્યું છે. કુલ એલ.પી.જી. વપરાશકારકોમાં ઉજ્જવલાના લાભાર્થીઓ અને ઉજ્જવલા સિવાયના  વપરાશકારકોમાં ગેસ સિલિન્ડર રિફિલ કરાવવાના પ્રમાણની સરખામણી કરતાં કેગને જાણવા મળ્યું કે ઉજ્જવલાના લાભાર્થીઓ ગેસનું જોડાણ તો મેળવી લે છે, પરંતુ તેનો નિરંતર વપરાશ કરી શકતા નથી. ઉજ્જવલા લાભાર્થીઓ બિનલાભાર્થીઓની તુલનામાં અડધા જ સિલિન્ડર રિફિલ કરાવે છે. ૨૦૧૮-૧૯માં બિન-ઉજ્જવલા લાભાર્થી વરસે સરેરાશ ૬.૭ ગેસ સિલિન્ડર વાપરતા હતા જ્યારે ઉજ્જવલાના લાભાર્થી ૩.૦ સિલિન્ડર જ વાપરતા હતા.

કન્ટ્રોલર જનરલ એકાઉન્ટના જણાવ્યા મુજબ ૨૦૧૯-૨૦માં કેન્દ્ર સરકારે રાંધણગેસની સબસિડી પેટે રૂ. ૨૮,૩૮૫ કરોડ, ૨૦૨૦-૨૧માં રૂ. ૧૬,૪૬૧ કરોડ અને ૨૦૨૧-૨૨ના શરૂઆતના ચાર મહિનામાં માત્ર રૂ. ૧,૨૩૩ કરોડનો જ ખર્ચ કર્યો છે. રાંધણ ગેસની સબસિડીમાં આટલો મોટો ઘટાડો રાંધણ ગેસના સિલિન્ડરના વપરાશમાં ઘટાડો દર્શાવે છે. એક અભ્યાસ મુજબ માત્ર આર્થિક રીતે ન પરવડતા હોઈ ઉત્તર ભારતમાં જ ૮૫ ટકા લોકોએ ઉજ્જવલા યોજના હેઠળના ગેસ સિલિન્ડર ખરીદવાના બંધ કરી દીધા છે.

નિ:શુલ્ક મળવાને કારણે ગેસ કનેકશનો વધ્યા હતા, પણ એલ,પી,જી,ના ભાવો લાભાર્થી ગરીબોને પરવડતા ન હોઈ,  જોડાણના પ્રમાણમાં ગેસના બાટલાનો ઉપાડ વધ્યો નથી. રસોઈ સગડી અને સિલિન્ડર ઉજ્જવલાના લાભાર્થીએ સ્વખર્ચે કે લોનથી મેળવવાના હતા. ગરીબીને કારણે લોકો જેમ સિલિન્ડર રિફિલ કરાવી શકતા નથી, તેમ લોનના હપ્તા પણ ભરી શકતા નથી. તેને કારણે રૂ. ૧,૨૩૫ કરોડની લોન રિકવરી બાધિત થયાનો અંદાજ છે.

નેશનલ સ્ટેટેસ્ટિકસ ઓફિસનો ૨૦૧૮નો સર્વે જણાવે છે કે ઉજ્જવલા યોજનાના ૪૩ ટકા લાભાર્થીઓ એકવાર ગેસનો ઉપયોગ કર્યા પછી તેમના પરંપરાગત બળતણનો આશરો લે છે. કેમ કે ગામડાંઓમાં લગભગ ૬૦થી ૭૦ ટકા લોકોને બળતણનાં લાકડાં અને છાણાં મફત મળે છે. ઉજ્જવલા યોજનાના ૭૦ ટકા લાભાર્થીઓમાંથી ૪૦ ટકા તો દેશના તળિયાના ગરીબો છે. એન.એસ.ઓ.નો  સર્વે દેશના ૨૦ ટકા ગરીબોનો સરેરાશ માસિક ખર્ચ રૂ. ૧,૦૬૫/- આંકે છે. જ્યારે ગેસનું એક સિલિન્ડર આશરે રૂ.૯૦૦ થી ૧,૦૦૦/-નું છે. જે તેના સરેરાશ માસિક ખર્ચ રૂ.૧,૦૬૫/-નો એટલો મોટો હિસ્સો છે કે તેને ગેસ સિલિન્ડર ખરીદવાનું માંડી વાળવું પડે છે.

જો સ્થિતિ આ હોય તો કરવું શું ? ઉજ્જવલા યોજનાના લાભ તેના ગરીબ લાભાર્થીઓના ગળે ઉતારવા સરકારે યોજનાના કારણે ઘરેલુ વાયુ પ્રદૂષણ ઘટ્યાના અને આરોગ્યમાં સુધારો થયાના માપદંડો  તાકીદે ઊભા કરવા જોઈએ. સરકાર કોરોનાકાળમાં પ્રધાન મંત્રી અન્ન યોજના હેઠળ ગરીબોને થોડું અન્ન મફત આપે છે તેમ ઉજ્જવલાના લાભાર્થીઓને વરસે ત્રણ સિલિન્ડર મફત આપવાની છે. આ યોજનાનો સમયગાળો લંબાવી શકાય. હાલમાં ઉજ્જવલાના લાભાર્થી ગરીબોના ઘરોમાં એલ.પી.જી.ના વપરાશ માટે જરૂરી સલામતી જોવા મળતી નથી. લાભાર્થીઓના ઘરો ઘણાં નાના છે, હવા ઉજાસનો અભાવ છે, અલાયદા રસોડાં જ નથી તો પછી એલ.પી.જી.ના સલામત વપરાશ માટેના સ્ટેન્ડિંગ કિચનની તો વાત ક્યાંથી થઈ શકે. એટલે ગ્રામીણો અને શહેરી ગરીબો જે પરંપરાગત ઈંધણો રસોઈ માટે વાપરે છે તેને બિનજોખમી અને વધુ કુશળતાથી વાપરવાના વિકલ્પો વિચારવા જોઈએ. ઉર્જાના અન્ય વિકલ્પોની શોધ સતત ચાલે છે. તેમાં સૂર્ય ઉર્જાનો વિકલ્પ અજમાવી શકાય. બિનકૃષિ ક્ષેત્રોમાં વૈકલ્પિક ઉર્જાનો વપરાશ વધાર્યા સિવાય પરંપરાગત બળતણનો ઉપયોગ વધશે નહીં તે બાબત ધ્યાનમાં રાખીને આ સમસ્યાનો ઉકેલ શોધવાનો છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

હવે સત્યથી ઓછું તો કોઈ કૈં જાણતું જ નથી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|15 November 2021

આજકાલ એટલું મનોરંજન જાહેર માધ્યમો પૂરું પાડે છે કે હવે ટુચકાઓની જુદી ચોપડીઓ વાંચ્યા વગર પણ લોકો હસી કાઢે છે. એક સમય હતો જ્યારે સત્યવાદી તરીકે માત્ર રાજા હરિશ્ચંદ્રનું નામ લેવાતું. હવે એટલા સત્યવાદીઓ થઈ ગયા છે કે સત્યથી ઓછું તો કોઈ કૈં જાણતું જ નથી. આમ તો ભૂલેચૂકે ય કોઈ કૈં ફેંકતું નથી, અરે, જાહેરખબરો ય જુબાં કેસરી થઈ ગઈ છે ! કોઈ ખોટું બોલતું જ નથી, પણ ધારો કે કોઈ બોલે છે તો તે પણ સત્ય થઈ જાય છે. જન્મે ત્યારે બાળક કૈં બોલતું નથી, પણ હવેનું દરેક બાળક સત્યવાદી છે એમ માનવું જ પડે એટલું સત્ય લોકો રોજ રોજ બોલવા લાગ્યા છે. અફસોસ એટલો જ રહેવાનો કે અસત્ય જેવું તો હવે કદી જણાવાનું જ નહીં ! એક સમય હતો જ્યારે કહેવાતું કે સત્ય એક જ હોય, એ પછી સત્ય સાપેક્ષ હોય એવું આવ્યું, હવે સત્ય અનેક હોય એવી સ્થિતિ છે. દરેકનું સત્ય જુદું એટલે અસત્યે ક્યાંક રહેવું હોય તો પણ તેને જગ્યા ન મળે એ સ્થિતિ છે. કોઈ કૈં પણ બોલે એ સત્ય જ છે ને સત્યથી ઓછું તો કોઈ કૈં …

દાખલા તરીકે કોઈ ગૃહ મંત્રી હિન્દી પખવાડિયાની પૂર્ણાહુતિમાં જાય તો જેની ઘંટીનો લોટ હોય તેને જ વખાણે તે સમજી શકાય એવું છે ! તે ગુજરાતી હોય તો પણ કહી શકે કે મને ગુજરાતી કરતાં હિન્દી વધુ પસંદ છે તો એ એક સત્ય છે. એમ જ, એ જ મંત્રી ગુજરાતમાં માતૃભાષા દિવસે એમ પણ કહી શકે કે દરેકે માતૃભાષામાં જ વાત કરવી જોઈએ તો એ બીજું સત્ય છે. ધારો કે એ વિદેશ જાય તો અંગ્રેજીની આરતી પણ ઉતારે એમ બને. તેનો અર્થ એવો નહીં જ કે એ ખોટું બોલે છે. એ તેનું ત્રીજું સત્ય છે. સત્ય હવે વ્યક્તિએ, વ્યક્તિએ જુદું હોવાનું, એટલું જ નહીં, વ્યક્તિનાં પોતાનાં સત્ય પણ અનેક હોવાનાં, હવે આમાં અસત્યે રહેવું હોય તો પણ જગ્યા ક્યાં છે? આ તો બુલેટ ટ્રેન જેવું છે. ટ્રેન એક, પણ રાજ્યે રાજ્યે જુદી ! બુલેટ ટ્રેન ડ્રીમ પ્રોજેક્ટ છે. એ સૌ પ્રથમ સુરતથી બિલિમોરા શરૂ થવાની છે. સુરતનું કેવું (અદ)ભૂત નસીબ છે કે તે વર્લ્ડ ક્લાસ સ્ટેશન બનવાનું છે, પહેલી બુલેટ ટ્રેનનું નસીબ પણ તેને જ મળ્યું ! સુરતથી બિલિમોરા લોકલ શરૂ થઈ છે કે કેમ તે તો નથી ખબર, પણ સુરતથી બિલિમોરા બુલેટ ટ્રેન શરૂ થશે એ નક્કી છે, કારણ એ ડ્રીમ પ્રોજેક્ટ છે. હવે તો ડ્રીમ પણ સત્ય જ છે ! સ્વપ્ન, સત્ય નથી થતાં, શું? તો, એમ શંકા ના કરો, પ્લીઝ !

ગુજરાતની જ વાત કરીએ તો સુરત શિક્ષણનું હબ બનવા જઈ રહ્યું છે, પણ ગમ્મત એ છે કે રાજ્યની ઢગલો યુનિવર્સિટીઓમાંથી એક પણ દેશની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં નથી, તેથી હબ વાળી વાત કૈં ખોટી ન થઈ જાય ! કહ્યુંને, ખોટું હવે કૈં રહ્યું જ નથી ! ગુજરાતમાં આટલી યુનિવર્સિટીઓ છે એ તો સાચું છે ને ! એ જુદી વાત છે કે ગુજરાતનાં અઢી લાખ વિદ્યાર્થીઓને વાંચતાં – લખતા આવડતું નથી કે ગણિતમાં 3.80 લાખ વિદ્યાર્થીઓ નબળા છે, તો શું થયું? આ વિદ્યાર્થીઓ જ કોલેજોમાં ને યુનિવર્સિટીઓમાં ડિગ્રીઓ લેશે ને પીએચ.ડી. પણ થશે. કોઈ ડિગ્રી હવે ભણતરની મહોતાજ નથી. આટલી બધી યુનિવર્સિટીઓ છે તે કૈં ખાલી થોડી જ રહેવાની છે ! સત્ય એ છે કે ન ભણાવાય તો પણ પરીક્ષાઓ લેવાશે. પરીક્ષા ન લેવાય તો પણ પરિણામો અપાશે. પરિણામોમાં ટોપર્સ પણ હશે ને પ્રમાણપત્રો પણ મઢાવવા માટે અપાશે જ ! શિક્ષકો નહીં હોય ને વિદ્યાર્થીઓ ભણતા હોય, તો વિદ્યાર્થીઓ વગર પણ સ્કૂલો ચાલશે ને કોલેજો, યુનિવર્સિટીઓ પણ નેટ, નેકથી પ્રગતિ કરવાની જ છે. હવે શું છે કે ઓછામાં ઓછું પ્રગતિ ને વિકાસ તો થાય જ છે. ધારો કે અહીં એડમિશન નથી મળતું, તો વિદેશમાં કૈં એજ્યુકેશનનો દુકાળ નથી. આ જ નબળા કહેવાતા વિદ્યાર્થીઓ ભણશે ને ભણાવશે પણ ! હવેનું સત્ય એ છે કે ભણવા કે ભણાવવા માટે જ્ઞાન જરૂરી નથી.

સાચું એ છે કે કોઈ હવે ખોટું નથી. ભણેલો ખોટો નથી, તો અભણ પણ ખોટો નથી. જેમ અસત્ય રહ્યું નથી, એમ જ હવે કોઈ અભણ પણ રહ્યું નથી. બધાં, બધું જ જાણે છે. કોઈ પણ માણસ કૈં પણ બોલે, એ સત્ય જ હોય છે ને ન હોય તો એ સત્ય થઈ જ જાય છે. ઉત્તર પ્રદેશના એક પૂર્વ મંત્રીએ કહ્યું કે મહંમદઅલી જિન્નાહ પણ ગાંધી, નહેરુ, સરદારની જેમ બેરિસ્ટર થયા ને એમણે પણ આઝાદી અપાવી. જિન્નાહને આઝાદીનું શ્રેય આપવાનું ‘અખિલ’ સત્ય કે ખિલખિલ સત્ય સરદાર જયંતી નિમિત્તે પ્રગટ થયું ને આપણે જે ભણેલા કે જિન્નાહની ભાગલાવાદી વિચારધારાને કારણે પાકિસ્તાન પહેલાં આઝાદ થયું ને ભારત એ પછી એક દિવસે, 15 ઓગસ્ટે આઝાદ થયું, એ વાતની તો પથારી જ ફરી ગઈ ને ! જે માણસ ખલનાયક હતો તેને એક પૂર્વ મંત્રીએ નાયક બનાવી દીધો. દ્રોહીઓ હવે દેશની બહાર નથી. તે આ દેશમાં જ રહી શકે એવી પૂરતી સગવડ છે. એમ થાય કે મંત્રીએ આવું સત્ય કેમ ઘડ્યું? એને કદાચ એવું છે કે એમ કરવાથી 2022ની વિધાનસભા ચૂંટણીમાં મુસ્લિમોના મત મળી જશે. આ દેશની પ્રજા એટલી અબૂધ અને મૂરખ છે કે કોઈ પણ નેતા કૈં પણ ભણાવે તો તે માની લે? મત મેળવવા જે સત્ય નેતાઓ પ્રગટ કરતાં હોય છે એ લોકો ભૂલી જાય છે કે પ્રજાને પણ પોતાનું સત્ય છે. પહેલું સત્ય તો એ કે પ્રજા નાપ તોલ કે બોલમાં માને છે. કોઈ કોર્ટ ન આપે એવો ચુકાદો પ્રજા આપે છે ને ત્યારે સૈકાઓનું, દાયકાઓનું શાસન પણ શીર્ષાસન કરવા લાગે છે. કોઈ શાસન ત્યારે પરિણામ નથી આપતું, પરિણામ પ્રજા આપે છે !

શું છે કે સત્ય અનેક થઈ ગયાં છે ને અસત્ય ક્યાં ય રહ્યું જ નથી એટલે જાતભાતનાં સત્યો સામે આવતાં રહે છે. એવું એક તાજું સત્ય સામે આવ્યું છે કે સાચી આઝાદી 2014માં ભારતને મળી. એ અગાઉ જે 1947માં આઝાદી મળી તે તો ભીખમાં મળી હતી. આ સત્ય એક જાણીતી ફિલ્મ અભિનેત્રીએ બહાર પાડ્યું છે. હવે સત્ય છે એટલે માનવું તો પડે જ ! નટીએ પોતાની વાતના સમર્થનમાં કહ્યું કે 1947માં કોઈ યુદ્ધ થયું નથી, તો આઝાદી ભીખમાં મળેલી જ ગણાય. જો કે, અભિનેત્રી મહાન છે એટલે એને પુછાય તો નહીં કે 2014માં સાચી આઝાદી મળી હોય તો ત્યારે કોઈ યુદ્ધ થયેલું કે કેમ? આમ તો એ હિંગનું ઝાડ છે એટલે બહુ વતાવાય તો નહીં, કદાચ એ ચૂંટણી યુદ્ધ હશે. એ 1947માં લડાયું ન હતું, એ ખરું. એટલે એક સત્ય એ લાધ્યું કે યુદ્ધ થયું હોય ને તાજું થયું હોય, ને પ્રજા તાજી આઝાદ થઈ હોય તો જ એ સાચી આઝાદી ગણાય, બાકી એ પહેલાં 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ થયો હોય કે ભગતસિંહ, ખુદીરામ બોઝ, સુભાષચંદ્ર બોઝ કે જલિયાનવાલા હત્યાકાંડ ને બીજા અનેક પ્રયત્નોનો કોઈ ખાસ અર્થ રહેતો નથી, એ ભીખની આઝાદી જ ગણાય ! જો કે, નટીને એ યાદ હતું કે લક્ષ્મીબાઈએ 1857ના સંગ્રામમાં ભાગ લીધેલો. તે એટલે કે એણે લક્ષ્મીબાઈની ફિલ્મ કરેલી ને એનો એવોર્ડ પણ એને તાજો જ મળ્યો છે. વધારામાં પદ્મશ્રીનો ખિતાબ પણ આ વિશિષ્ટ અભિનેત્રીને તાજેતરમાં જ મળ્યો છે. હવે આટલું બધું સત્ય જેને પક્ષે જમા થયું હોય તે 1947ની આઝાદી ગાય કે 2014ની? જરા તો વિચારો !

બને કે અભિનેત્રીશ્રીનું અગાધ જ્ઞાન જોતાં કોઈ એને 2014 પછીનો ભારતનો ઇતિહાસ લખવાનું કહે તો નવાઈ નહીં ! કારણ સત્ય તો એ જ જાણે છે ને એ પહેલાં તો જે કૈં સત્ય હતું તે ભીખની આઝાદી જેટલું જ હતું. એ ક્યાં આઝાદી હતી, એ તો ભીખ હતી, જે અંગ્રેજોએ જતાં જતાં ભારતના ઠોબલાંમાં નાખી હતી. કાલે કોઈ એવું સત્ય લાવે તો નવાઈ નહીં કે ગાંધીજી આ દેશમાં થયા જ ન હતા તો આઘાત ન લાગવો જોઈએ. નહેરુને ઇતિહાસમાં રખાય એમ બને, કારણ એ પહેલા વડા પ્રધાન હતા ને કાઁગ્રેસના હતા ને કાઁગ્રેસે 2014 સુધી ભારત પર રાજ કર્યું હતું. સરદારનો પણ એકડો ભૂંસાય એમ નથી, કારણ 2014 પછી જ તો એમનું વૈશ્વિક કક્ષાનું સ્ટેચ્યૂ કેવડિયામાં સ્થપાયું ને હવે ચલણી નોટો કેસરિયાં કરતી સરદારનું સત્ય પ્રગટ કરે તો નવાઈ નહીં. બાકી, ગાંધી તો હવે રિચાર્ડ એટનબરોની ફિલ્મમાં જ જોવા મળે એમ બને.

મહાત્મા ગાંધીએ ‘સત્યના પ્રયોગો’ લખી, એ પછી સૌથી વધારે સત્યના પ્રયોગો તો ગાંધી પર થયા છે. હવે તો મુગલાઈ કાળના માર્ગોના નામો બદલાઈ રહ્યા છે, એ જો ઝડપ પકડશે તો ગાંધી આશ્રમ કે માર્ગ  બદલાતા બહુ વાર નહીં લાગે ને ચલણી નોટો પરથી ગાંધીને ખસેડવા હોય તો, નોટબંધીની ક્યાં નવાઈ છે? બોલો રે બધાં, (અ)સત્યમેવ જયતે !

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 15 નવેમ્બર 2021

Loading

...102030...1,7321,7331,7341,735...1,7401,7501,760...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved