Opinion Magazine
Number of visits: 9962453
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિચરતા વિચારો – ૨૦૧૨ (પુનશ્ચ)

સુમન શાહ|Opinion - Opinion|13 February 2022

૨૦૧૨ના મે માસની ૪ તારીખે આ 'વિચરતા વિચારો' લેખશ્રેણી શરૂ કરેલી.

ત્યારે લખેલું કે –

મને એ નથી સમજાયું કે મારા વિચારો મને ચલાવે છે કે હું એમને. એટલે એમને મારાથી છુટ્ટા ભમતા રખડતા કે ચરતા વિચરતા ગણવા એમાં જ મારું કે એમનું ભલું છે  – આ પોતે જ એવો નથી?

એક આ વિચાર જુઓ :

કહે છે, માણસ જ એવું પ્રાણી છે જે વસ્ત્રોથી શરીર ઢાંકે છે.

જો કે વસ્ત્ર વગરનું કોઈ પક્ષી કે જાનવર ક્યારે ય મને નાગું નથી લાગ્યું. દાખલા તરીકે, કબૂતર કે ગાય – તમને ય નથી લાગ્યું !

માણસને નગ્નતાની શરમ છે. કોઈ આભડી જશે એવી બીક પણ ખરી.

માણસની કરુણતા તો એ છે કે શરીરના ઢાંકેલા ભાગો જ એને આભડવાને બોલાવે છે !

ને ત્યારે એને એકેય શરમ યાદ નથી આવતી !

ઇશ્વરની યોજનામાં ઍબ્સર્ડ છે પણ માણસે એમાં અદ્ભુત વધારો કરી દીધો છે, ખરું કે નહીં?

+ + +

એ પછી, રફતે રફતે કંઈ ને કંઈ લખતો હતો.

+ + +

જેમ કે, એક આ :

હું કદાચ ખોટો પડું, પણ મારું માનવું છે કે માણસજાત પાસેથી બીજાં પ્રાણીઓ, શું હિંસક કે અહિંસક, કશું શીખ્યાં નથી. જેમ કે, ઢોર. ભાંભર્યાં કરે, ગાંગર્યા કરે, આરડ્યા કરે. હરાયાંનાં હરાયાં.

એ અહિંસકોએ – ગાય ભેંશ બળદ આખલા ઊંટ બકરીઓ ઘેટાં, વગેરેએ – સભાઓમાં, પરિસંવાદોમાં, કે વ્યાખ્યાનમાળાઓમાં જઇ પગ વાળીને બેસવું ન જોઇએ?

જેમ કે, ચકલી-કબૂતર. કાબર-લૅલાં. આખો દા’ડો ચૅંચૅં ચૅંચૅં કર્યા કરે. અહીંથી તહીં ને તહીંથી અહીં કૂદતાં ને ભટકતાં. એમણે ગાયનશાળામાં જઇ સારેગમ ન શીખવું જોઇએ? કંઈ નહીં તો ‘ઇન્ડિયન આઇડોલ’ સામે કાન માંડીને બેસે કે નહીં?

ગાય-વાછરડાં ટ્રેનમાં બેસીને આવ-જા કરે તો કેટલું સારું લાગે !

કૂતરાં સ્કૂટરો પર, ચકલીઓ ઍરો-પ્લેનમાં, કબૂતરો હેલિ-કૉપ્ટરમાં મુસાફરીઓ કરે તો કેવાં રૂડાં લાગે !

હિંસકો પણ ધારે તો માણસ પાસેથી ઘણું શીખી શકે. ભક્ષ્ય પાછળ દોટો લગાવવાને બદલે વાઘ કે સિંહ પિસ્તોલ કે રાઇફલ રાખી શકે. શક્તિ કેટલી બધી બચે !

ચિત્તા ભાલા કે ખંજર વાપરી શકે, હડીઓ કાઢવાની જરૂર નહીં !

વરુ તીર-કામઠાં વાપરે તો શ્વાસોચ્છ્વાસ બચાવી શકે, હાંફે તો નહીં !

દીપડા મૉં ઍઠું કરવાને બદલે નાઇફ-ફૉર્ક વાપરી શકે.

શિયાળવાં પડાપડી કરવાને બદલે કડિયાળી ડાંગો અપનાવી શકે.

સદ્ભાગ્યે જો આ બધું બને તો હિંસક હોવા છતાં આ બધાં પાશવી ન લાગે, માનવીય લાગે …

બાકી, માણસોએ તો બીજાં પ્રાણીઓ પાસેથી ક્યારનું ઘણું-જ-ઘણું શીખી લીધું છે :

દાખલા તરીકે, કૂતરાની જેમ માણસને ભસતાં આવડે, પૂંછડી તો એવી પટપટાવી જાણે કે ન પૂછોની વાત.

ઉંદરની જેમ ફૂંક મારીને કરડતાં આવડે.

સમડીના જેવી ચિલ-ઝડપ? માણસને બરાબર આવડે.

બગલાની માફક લાગ જોઈને મોડે લગી બેસી રહેતાં પણ માણસને એટલું જ આવડે.

માણસ સાપની જેમ ફણા માંડે.

વીંછીની જેમ ડંખ મારે.

કીડીની જેમ ચટકે.

સાબદું હોય એને ઊધઇની જેમ છૂપું છૂંપું કરકોલીને ખોખરું કરી નાખે.

ગીધડાંની જેમ માણસ શિકારને પેખી પાડે ને એવી જ સિફતથી પંજાના નહોર વાપરીને ચીરી ચાખી આરોગવા મંડે.

માણસ દાંતિયાં કરે, એક ડાળેથી બીજી ડાળે કૂદકા લગાવે, એ કારણે કહેવું કે એ વાનરમાંથી ઊતરી આવ્યો છે; તો તે ચાવેલું ચાવવા બરોબર છે – ચર્વિતચર્વણા.

માણસ શિયાળ જેવો લુચ્ચો છે, કાગડા જેવો ફૂલણજી છે. એ પણ એમ છે – ચર્વિતચર્વણા.

એ તો વળી સ્વલ્પોક્તિ પણ છે. કેમ કે માણસની દિનચર્યા માત્ર કાગડાની જ પૂરી અને માત્ર પૂરી જ પડાવી લેવા જેવી મર્યાદિત થોડી છે? માણસ માત્ર ગાવાની વાતે જ ફૂલણજી થોડો છે?

માણસોમાં જેઓ રાજકારણમાં પડેલા છે, પડ્યા રહેનારા છે, એઓ જળઘોડાની રીતના છે.

માણસોમાં જેઓ અધ્યાપકો છે, બિલકુલ મયૂર જેવા છે, ને અધ્યાપિકાઓ જે છે, આબાદ કોયલ જેવી છે.

માણસોમાં જે વડેરાઓ છે, જેમાંના કેટલાક વડેરા, ચિમ્પાન્ઝી જેવા મેંઢા છે.

જેમાંના કેટલાક, હાથી જેવા ઠાવકા છે.

તો એમનામાં જે વડેરીઓ છે, જેમાંની કેટલીક વડેરીઓ મેના જેવી મધ-બોલી છે; જેમાંની કેટલીક, હોલા જેવી ઘૂ-ઘૂ-કારી છે …

વગેરે વગેરે … વગેરે વગેરે …

કેમ કે આ પ્રાણીય શિક્ષણ-યાદી ન ખૂટે એવી અખૂટ છે …

+ + +

એક આ પણ જુઓ :

કહે છે, ઘોડો હમેશાં, રાતદિવસ, ઊભો જ રહે છે. જો કે, મને એની એથી વિશેષ જાણ નથી.

Pictures courtesy : A  Horse : sutterstock : A Tree : Adobe

પણ હું ચોક્કસ જાણું છું કે વિશ્વનું કોઈ પણ વૃક્ષ અહર્નિશ ઊભું જ હોય છે.

ટૂંટિયે વળીને બપોરની વામકુક્ષી નથી લેતું.

સોડ તાણીને રાતની નિદ્રા નથી લેતું.

હા, પોતાની છાયામાં કોઈ પસીનાભીના મજૂરને વિસામો લેવા જરૂર બોલાવે છે.

વરસાદમાં ભીંજાઇ ગયેલી કોઈ ગૃહિણીને છતરી જરૂર ધરે છે.

ચોરને પોતાની બખોલમાં ચોરીનો માલ જરૂર સંતાડવા દે છે.

ઊભા રહેવું એ જ વૃક્ષનો સ્થાયી મનોભાવ છે.

પણ, વય વીત્યે — 

એનું લાકડું હોડી રૂપે સીધું વહે છે.

ગાડાનું પૈંડું બની ગોળ દોડે છે.

ભમરડો બની ચકરાતું ભમે છે.

ગિલ્લી બનીને ઊડે છે.

કોઈ ડોશીમાની લાકડી બનીને કાયમી ટેકો થઈ જાય છે.

સુખી પરિવારનો મોભ બની રૂઆબ છાંટે છે.

હરાયા ઢોરના ગળે હેડલો થઈ લટકે છે.

તો, કોઈની ચિતામાં બળીને રાખ થઈ જાય છે.

વય વીત્યે વહેતા રહેવું એ એનો બીજો સ્થાયી મનોભાવ છે …

માણસોને સ્થાયી મનોભાવ ખરા? કયા? કોઈ એક-બે એવા ખરા જેની આવી વાત થઈ શકે …? …

= = =

(February 13, 2022: Ahmedabad)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

‘વિદ્યાવિલાપને માર્ગે’

સુમન શાહ|Opinion - Opinion|12 February 2022

મારું એક પુસ્તક આવી રહ્યું છે – 'નિબન્ધપદ'. એમાંના કેટલાક અંશ અહીં પ્રકાશિત કરું છું.

વિચરતા વિચારો – ૨૦૧૩ (પુનશ્ચ) : 'વિદ્યાવિનાશને માર્ગે' તો બરાબર પણ આજકાલ

મારા ગુરુ સુરેશ જોષીએ એમની સુખ્યાત પુસ્તિકા 'વિદ્યાવિનાશને માર્ગે'-ના છેડે 'મહાભારત'-ને યાદ કર્યું છે અને લખ્યું  છે : મહાભારતના શાન્તિપર્વમાં કહ્યું છે કે જે પ્રજા જ્ઞાનથી વિમુખ થાય છે તેનો નાશ થાય છે. આપણો સમાજ એમાંથી બચે એ માટે વિદ્યાના ક્ષેત્રમાં પ્રચણ્ડ પુરુષાર્થ કરવાની જરૂર ઊભી થઇ છે.

આ વાત એમણે ૨૦૦૩-થી પણ પહેલાં ઉચ્ચારી હતી. એ વાતને દસકો, હવે બે દસકા, વીતી ગયા છે અને એ દરમ્યાન વિદ્યાક્ષેત્ર એટલું બધું વણસી ચૂક્યું છે કે એ પુરુષાર્થને  કેટલો તો પ્રચણ્ડ કલ્પવો તેની સમજ નથી પડતી.

મારી લાગણી છે, મારું મન્તવ્ય છે, કે મારા સમાં દાઝીલાં આપણે સૌ સાહિત્યકારો અને અધ્યાપકો આજે 'વિદ્યાવિલાપને માર્ગે ' છીએ. વિદ્યાક્ષેત્રની પ્રવર્તમાન દુર્દશા વિશે વિલાપ કરી રહ્યાં છીએ :

ગઇ કાલે હર્ષદ ત્રિવેદી ફોન પર મળ્યા, અમે અરધો કલાક સંવાદ જે કર્યો; એ પહેલાં મારા ઘરે જયેશ ભોગાયતા અને અજય રાવલ મળ્યા, બે કલાક  દરમ્યાન વાતો જે થઇ; હસિત મહેતા આવેલા ને કલાક વાતો જે થઇ; તાજેતરમાં ફેસબૂક પર જયશ્રી જોષીએ લખ્યું અને એની વાતને અન્યોએ પ્રતિભાવ જે આપ્યા; મને ખૂબ ગમાડતા મિત્ર રમેશ મહેતાએ જૂનાગઢથી હમણાં એક પત્ર મોકલ્યો અને એમાં જે લખ્યું; વચમાં બાબુ સુથાર અને બે દિવસ પર મધુસૂદન કાપડિયાના અમેરિકાથી ફોન આવ્યા અને એમાં વાતો જે થઇ; નાગાલૅન્ડથી કિશોર જાદવ જોડે વાતો જે થાય છે; ગયા મહિને જયેન્દ્ર શેખડીવાળાના ઘરે વાતો જે થઇ, વડોદરાથી સંજય મકવાણા સાથે અને પાલીતાણાથી પાછા ફરતાં ચન્દ્રકાન્ત ટોપીવાલા સાથે કારમાં વાતો જે થઇ; એ પહેલાં પાલીતાણા જતાં ચિનુ મોદી, સતીશ વ્યાસ અને ઉષા ઉપાધ્યાય સાથે વાતો જે થઇ; ભાવનગર યુનિવર્સિટીમાં વિપુલ અને મહેન્દ્રસિંહ જોડે ભલે અછડતા જે ટહુકા થયા; પાલનપુરમાં દીપક રાવલ સાથે સંવાદ જે થયો; વચમાં રાધેશ્યામ શર્મા ઘરે આવ્યા ને વાતો જે થઇ; માય ડીયર જયુ, મનોહર ત્રિવેદી અને જગદીશ ગુર્જર જોડે તાજેતરમાં વાતો જે થઇ; વિનોદ જોશી જોડે અવારનાવર ફોન પર અરધો અરધો કલાકની સાઇઝનાં મન્તવ્યો જે પ્રગટે છે; વીનેશ અંતાણી, રાજેન્દ્ર પટેલ, યોગેશ જોષી, જિજ્ઞેશ બ્રહ્મભટ્ટ, નિસર્ગ આહીર, નરેશ શુક્લ, વિપુલ વ્યાસ, સાગર શાહ  અને અભિમન્યુ આચાર્ય જોડે જ્યારે ને ત્યારે મારે કરુણ સૂરે વાર્તાલાપો ને વાતો જે થાય છે –

'વાતો જે થઇ'-ના પુનરાવર્તન સાથેનો, મારા એ સઘળા ઉલ્લેખોમાં સંભરેલો સાર એ છે કે આપણે સૌ વિદ્યાવિલાપને માર્ગે છીએ.

Pic courtesy : Clipart

યુનિવર્સિટીઓ અને કૉલેજોમાં જે ઝડપે ધોવાણ ચાલી રહ્યું છે એ વિશે આપણે ચિન્તિત છીએ. બધી વાતે સુખી પણ આ વાતે દુખી અને એકમેક સામે કશા પણ ઉકેલ વિનાની મજબૂરી અનુભવતા લાચાર જીવો છીએ.

(અહીં જે મિત્રોનાં નામો લખ્યાં છે તે ઉપરાન્તનાં અનેક મિત્રો પણ વિલાપથી જુદો ભાવ નથી ધરાવતાં એમ માનું છું. તેઓ કદાચ જાહેરમાં બોલતાં નથી પણ અંદરોઅંદર તો બોલે જ છે).

વિલાપના વિષયો છે :

સૅમિસ્ટર સિસ્ટમ.

અભ્યાસક્રમો.

અભ્યાસક્રમ-સંલગ્ન સાહિત્યના અધ્યયન-અધ્યાપનને માટેની ખરી સામગ્રીની અછત.

વૈકલ્પિક પ્રશ્નોના ઝુકાવવાળી પરીક્ષાપદ્ધતિ.

સાહિત્યના ઇતિહાસને વિશેનો અણગમો. એની સૂઝબૂઝ વગરનાં ફૅંકાફૅંક વિધાનોની બોલબાલા.

સંશોધન વિશે અચરજ કે – એ શી બલા છે? 

અસજ્જ પીઍચ.ડી.-પદવીધારીઓ. એ માટેના સ્કૅમ.

યુ.જી.સી.-આધારિત કાર્યક્રમોમાં નાણાંની ઉચાપત.

ગુણવત્તાની સરેઆમ મશ્કરી.

સાહિત્યના કાર્યક્રમોનો ફુગાવો, છતાં સર્વત્ર હાજરી પાંખી.

પરિસંવાદોમાં નિષ્ણાતોની ખોટ. એમાં સગવડવાદ.

વધતાં જતાં સામયિકો, ઑનલાઇન પણ, છતાં વધતો જતો અસંતોષ.

વાચનને વિશે વધતી જતી ઉદાસીનતા.

અઘરાં પણ અનિવાર્ય ગ્રન્થોનાં અવલોકનોની અછત.

જોડણી અને લિપિની એકવાક્યતાને વિશેની ઉદાસીનતા.

વિવેચન અને અવલોકનકામને ઊતરતાં ગણવાની દૂષિત માનસિકતા -તેની શી જરૂર છે નામનું બીમાર મનોવલણ.

સંસ્કૃત અને પશ્ચિમની સાહિત્યવિચારધારાઓ સાથે પૂરો થવા આવેલો વિચ્છેદ.

માતૃભાષાને વિશેનો લગાવ, પ્રશ્નાર્થ હેઠળ.

વગેરે વગેરે …

વિદ્યાવિલાપને માર્ગે-ની વાતમાં હું એક નામ વીસરી ગયેલો, મારા માટે અનિવાર્ય એવું નામ, અને તે પરેશ નાયકનું. હમણાં જ ફોન પર મળાયું. પરેશ હમેશાં મારા બળાપાનો મોટો સહભાગી રહ્યો છે -અને તે ય એની સીધી ધારદાર વાણી સાથે ! સૉરિ, પરેશ !

સુરેશભાઈ પૂછે છે એમ આપણે જ્ઞાનથી વિમુખ થઇ રહ્યાં છીએ કે જ્ઞાનપ્રસારણની અત્યાધુનિક જોગવાઇઓ છે છતાં આપણી કશી દાનત નથી રહી? નથી રહી તો કેમ નથી રહી?

હું આ સઘળાને વિશે સૌને ચર્ચા કરવા, ઉપાયો સૂચવવા, વિનન્તી કરું છું. કંઇ નહીં તો, સૌ પોતાની લાગણીઓને વાચા આપે. અનુભવી જનો કહે છે, દુ:ખ એકલા એકલા નહીં પણ સૌ સાથે બેસીને ખમીએ તો ઓછું થાય કે ન થાય, પણ ખમી ખાવાનું બળ તો જરૂર મળે છે…

= = =

(February 11, 2022)

Loading

ચલ મન મુંબઈ નગરી—132

દીપક મહેતા|Opinion - Opinion|12 February 2022

નવસેરો હાર નંદવાયો ને બાઈ, મારાં મોતી વેરાઈ ગયાં ચોકમાં

ઉપરવાલા દેતા હૈ તો છપ્પર ફાડકે દેતા હૈ : આ કહેવત ચોમાસામાં નક્કામી

મોતીની માળા રાણા, શું રે કરવી છે?
તુલસીની માળા લઈને પ્રભુને ભજવા છે રે.

મીરાંબાઈ આમ કહી શકે કારણ તેઓ પોતાની એક જૂદી દુનિયામાં વસતાં અને શ્વસતાં હતાં. પણ આજથી છ-સાત દાયકા પહેલાંની મધ્યમ વર્ગની ગુજરાતી ગૃહિણી આમ કહેતી નહિ. એ તો મનોમન રાહ જોતી કે ક્યારે કોઈ નજીકના કુટુંબીને ત્યાં લગ્ન આવે, અને ક્યારે એનાં મોતીનાં માળા, ઝૂમણાં, બાજુબંધ, કંગન, રવિફૂલ, અને બીજાં ઘરેણાંનો નવાવતાર થાય. એ વખતે સાચાં મોતીનાં ઘરેણાંની બોલબાલા. અરબસ્તાનના દરિયામાં પાકતાં સાચાં મોતી, ભલે મોંઘા, પણ મળી રહેતાં. અને સાચાં મોતીનાં ઘરેણાં સારે પ્રસંગે પહેરવાં એ ‘ઇન-થિંગ’ હતું. પણ મોતીનાં ઘરેણાંની એક મુશ્કેલી. ભલે મજબૂત, પણ મોતી દોરામાં પરોવાય. પહેરનારનો પરસેવો, ક્યારેક પાણીથી ભીંજાય. અને આમે ય તે દોરાની આવરદા કેટલી? એટલે દર ત્રણ-ચાર વરસે મોતીનાં ઘરેણાં ફરીથી પરોવવાં પડે. નહિતર પેલું ગીત ગાવાનો વારો આવે :

નવસેરો હાર નંદવાયો ને બાઈ!
મારાં મોતી વેરાઈ ગયાં ચોકમાં.
ખોવાઈ ગયાં મોતી, ને બાઈ!
એનો દોરો ઝૂલે છે હજી ડોકમાં.

મારાં મોતી વેરાઈ ગયાં ચોકમાં

મોતી જાય, અને દોરો રહી જાય એવું ન થાય એ માટે પરોણીગરને ઘરે બેસાડતાં પહેલાં પણ સારો દિવસ તો જોવાનો જ. એ વખતે મોટા ભાગના પરોણીગર સુરત કે ખંભાતના જૈન વાણિયા. સ્થૂળકાય પરોણીગર ભાગ્યે જ જોવા મળે. કપાળમાં પીળો ચાંદલો. લાલ કે લીલી કિનારનું સફેદ ધોતિયું. આજે જેવી બોલબાલા છપ્પનની છાતીની છે તેવી એ વખતે છપ્પનિયા ડગલાની. લાંબી બાંયના ખમીસનાં કફ લિન્ક્સ ચાંદીનાં. યજમાનને યથાયોગ્ય રીતે જય શ્રી કૃષ્ણ કે જય હાટકેશ, કે જય અંબે કહેતાં સહેજ પણ અચકાય નહિ. ઘરમાં હવા-ઉજાસવાળી જગ્યાએ આસન માંડે. સામે લાકડાનો બાજોઠ. તેના પર લાલ રંગનું કપડું એક પણ સળ ન રહે તે રીતે બાંધે. એક પછી એક મોતીનો દાગીનો હાથમાં લે. કોઈ કુશળ કાર્ડિઆક સર્જન જેમ કાપો મૂકે તેમ ધારદાર કાતરથી દોરા કાપે. પછી નાનાં-મોટાં કાણાંવાળી નાનકડી ચાળણીઓથી ચાળીને મોતીના નાના-મોટા દાણા જુદા પાડે. અરીઠાના પાણીમાં ધોઈને સાફ કરે. બંગડી, પેન્ડન્ટ જેવાં ઘરેણાં માટે સોને રસેલાં જુદી જુદી ડિઝાઈનનાં ‘ઘરાં’ પોતાની સફેદ થેલીમાંથી કાઢીને બતાવે. ઘરાક પોતે બીજા ભોઈવાડામાંથી લઈ આવ્યા હોય તો ય વાંધો નહિ. ઘરનાં બૈરાં અંદર-અંદર મસલત કરીને ઘરાં પસંદ કરે, ભાવતાલ થાય. અને પછી કામ શરૂ થાય નવા દાગીના પરોવવાનું. સફેદ, પાતળા, મજબૂત દોરાને એક છેડે લાંબી, પાતળી સોય. એક પછી એક મોતી પરોવાતું જાય. નવું ઘરેણું તૈયાર થતું જોઈને વહુઆરુની છાતી ગજ-ગજ ફૂલે.

વિલે પાર્લે ઇસ્ટની એક ઝવેરીની દુકાન બહાર બેસતા પરોણીગર દેવેંશ મોતીવાલા. તસવીર સૌજન્ય : ડો. પ્રીતિ જરીવાલા 

પણ પછી સાચાં મોતી મળતાં લગભગ બંધ થયાં. કલ્ચર મોતી આવ્યાં, જાપાની મોતી આવ્યાં, ખોટાં મોતી આવ્યાં. સિન્થેટિક દોરા વપરાતા થયા. ધીમે ધીમે મોતીની ફેશન ઓછી ને ઓછી થતી ગઈ. હીરા અને સોનું ફેશનમાં આવ્યા. વળી મોતીની રિસેલ વેલ્યૂ ઓછી. એટલે એવી કહેવત પણ સાંભળવા મળતી કે ‘મોતીની મા રોતી.’ આજે હવે કેટલાક ઝવેરીની દુકાનની બહાર પરોણીગર બેઠેલા જોવા મળે. પણ સાચા મોતીનું કામ બહુ ઓછું. બીજા, જાત જાતના ‘પારા’નાં ઘરેણાં પરોવી આપે.

***

‘સોના ઇંઢોણી, રૂપા બેડલું રે નાગર ઊભા રહો રંગ રસિયા.’

પણ રૂપાનું બેડલું એ તો કલ્પનાની દુનિયાનું. એક જમાનામાં ઘરના રસોડામાં તો પિત્તળનું રાજ. આજે ઘણી મહેનત કરો તો કદાચ ઘરમાંથી પિત્તળનો એકાદ જૂનો પ્યાલો કે નાની રકાબી મળી આવે, વરસોથી વણવપરાયેલાં. એક જમાનામાં રસોડામાં લાકડાની અભરાઈઓ પર હારબંધ ગોઠવાયેલાં પિત્તળનાં ચકચકતાં વાસણ એ ઘરનું આભૂષણ. પણ આ વાસણની એક મુશ્કેલી. દર બે-ચાર મહીને તેને કલાઈ કરાવવી પડે. એટલે વરસમાં ત્રણ-ચાર વખત તો કલાઈ કરવાવાળો ઘરે આવે જ. રસોઈ થઈ જાય અને ઘરનાં બધાં જમી લે પછી કલાઈવાળો આવે. તેમાંના ઘણા પુરબિયા મુસ્લિમ. માથે સફેદ ગોળ ટોપી. બાંયો ચડાવેલું ખમીસ. મેલો પાયજામો. કાબરચીતરાં દાઢી-મૂછ. એની સામે પિત્તળનાં વાસણોનો ઢગલો થાય. એક પછી એક વાસણને તપાવીને ગરમ કરે. તેના પર નવસારનો સફેદ પાવડર છાંટીને કલાઈનો તાર કે પાતળી ‘સ્ટિક’ વાસણમાં ફેરવે. કપડાના ચોખ્ખા કટકાથી કલાઈને આખા વાસણમાં સરખી રીતે ફેલાવી દે. અને પછી વાસણ ઝબોળાય પાણીથી ભરેલા વાસણમાં. પહેલાં ચોક્કસ ગંધવાળો ધૂમાડો, અને પાણીમાં ઝબોળાય ત્યારે થાય છમકારો. પિત્તળનું વાસણ અંદરથી ચાંદીનું હોય એવું ઝગારા મારે. પણ જેમ અજવાળા-અંધારાની આવનજાવન સતત ચાલ્યા કરે છે તેમ ઝગારા ઝાંખા પડતા જાય. વાસણ અંદરથી કાળું પડતું જાય. ફરી કલાઈવાળાને યાદ કરાય. આદિ શંકરાચાર્યની વાત યાદ આવે : ‘પુનરપિ જનનમ્, પુનરપિ મરણમ્.’

પિત્તળનાં વાસણને ચમકાવતો કલાઈવાળો

પણ પછી એક રાજાને પદભ્રષ્ટ કરીને બીજો રાજા સિંહાસન પર ચડી બેસે તેમ પિત્તળને અભરાઈભ્રષ્ટ કરીને સ્ટેનલેસ સ્ટીલનાં ઝગારા મારતાં વાસણ બંધ બારણાંવાળી કિચન કેબિનેટમાં ગોઠવાઈ ગયાં. જુદી જુદી ધાતુઓનું મિશ્રણ કરીને, ખાસ પ્રક્રિયા વડે સ્ટેનલેસ સ્ટીલ બનાવાય છે. અનેક જુદાં જુદાં ક્ષેત્રોમાં આજે સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ થાય છે. વાસણમાં વપરાતું સ્ટેનલેસ સ્ટીલ તો કુલ ઉત્પાદનનો નાનકડો ભાગ છે. શરૂઆતમાં સ્ટેનલેસ સ્ટીલ પરદેશથી, ખાસ કરીને જાપાનથી, આવતું. પણ પછી આ બાબતમાં ઘણાં વરસ પહેલાં આપણો દેશ ‘આત્મનિર્ભર’ થઈ ગયો છે. તેમાં ય વાસણો માટે તમિલનાડુમાં આવેલા સાલેમ શહેરનું સ્ટેનલેસ સ્ટીલ વખણાય છે. પરદેશી કાચના ડિનર સેટ, ટી સેટ, પારદર્શક કાચવાળી ‘એન્ટિક લૂક’ના વોલ યુનિટમાં શોભવા લાગ્યા. લગભગ દરેક બાબતમાં વધુ નહિ તો બે મત તો હોય જ છે. એટલે કેટલાક કહે છે કે કલાઈ કરેલા વાસણમાં રાંધેલી વસ્તુઓ સાથે રોજ થોડી થોડી કલાઈ પણ પેટમાં જાય એથી ફાયદા થાય. તો બીજા કહે છે કે કલાઈ એ એક હલકી જાતની ધાતુ છે અને આરોગ્ય માટે હાનિકારક છે. પણ પિત્તળનાં વાસણો ગયાં તેની સાથે નવસારની ગંધ ગઈ, કલાઈની સ્ટિક ગઈ, છમકારો ગયો, કલાઈવાળો પણ ગયો.

***

કહેવાય છે કે જબ ઉપરવાલા દેતા હૈ તો છપ્પર ફાડકે દેતા હૈ. પણ આ કહેવત ચોમાસામાં નક્કામી. ગળતા છાપરામાંથી વરસાદનું પાણી ઘરમાં આવે એને ઉપરવાળાની ભેટ ન મનાય. એમાં તો પાણી પહેલાં પાળ બાંધવી પડે. એ વખતે મુંબઈમાં મોટા ભાગનાં મકાન બહુ બહુ તો ચાર-પાંચ માળનાં. સૌથી ઉપર નળિયાવાળું છાપરું. એ જમાનામાં જેમ મુંબઈની વસતી ‘દેશી’ અને ‘પરદેશી’માં વહેંચાયેલી, તેમ મકાનોનાં છાપરા પણ દેશી નળિયાં અને પરદેશી નળિયામાં વહેંચાયેલાં. આખા મકાન પર અગાસી હોય એવું ઓછું જ જોવા મળે. દેશી નળિયાં હાથે બનાવેલાં, અર્ધગોળાકાર, નીભાડામાં પકવેલાં, ઝાંખા કાળાશ પડતા કથ્થાઈ રંગનાં. વિલાયતી નળિયાં મશીનમાં બનાવેલાં, લગભગ સપાટ, એક સરખા માપનાં, ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં પકવેલાં, ચમકતા લાલ રંગનાં. પણ નળિયાં ગમે તે હોય, દેશી કે વિલાયતી, વરસે – બે વરસે છાપરું ‘ચળાવવું’ પડે. એ કામ કરે ડામરિયા. બિલ્લીપગે એક જણ છાપરા પર ચડીને બધાં નળિયાં ખસેડી નાખે. પછી છાપરા પર પાતળું કપડું પાથરી દે. તેનો જોડીદાર નીચે ભઠ્ઠીમાં ડામર ગરમ કરતો હોય. બરાબર ગરમ થઈ જાય એટલે ઉપરવાળાને હાક મારે. મજબૂત દોરડાને છેડે બાંધેલું ડબલું એ નીચે ઉતારે. ધગધગતો ડામર ડબલામાં રેડાય. દોરડું ખેંચીને ડબલામાંનો ડામર છાપરે ચડાવે, અને ફટાફટ છાપરા પર પાથરી દે. ફરી ડબલું નીચે, ફરી ગરમાગરમ ડામર ભરાય, ફરી ડબલું ઉપર ખેંચાય. આખા છાપરા પર ડામર પથરાઈ જાય ત્યાં સુધી એપ્રિલ-મેના ભર તડકામાં, આમ ચાલ્યા કરે. ગળતા છાપરાને કારણે ભીંજાઈ ગયેલી ભીંતોની જેમ ડામરિયો પરસેવે ભીંજાઈ જાય. ડબલું ઉપર ખેંચવા માટે જીવના જોખમે છાપરાની ધારે ઉભડક બેસે, કે ક્યારેક ઊંધો સૂઈ પણ જાય. આખા છાપરા પર લગાડેલો ડામર સૂકાઈ જાય પછી નળિયાં પાછાં એની જગ્યાએ ગોઠવી દે. થોડાં ભાંગેલાં તૂટેલાં નળિયાંની જગ્યાએ નવાં ગોઠવાઈ જાય.

ડામરિયા  ડામર લગાવ

પણ પછી મકાનોને માથેથી નળિયાંની લાલ પાઘડીઓ ગઈ, અને ખુલ્લા માથા જેવી અગાસીઓ આવી. વોટર લીકેજનાં જાતજાતનાં ‘સોલ્યુશન્સ’ આવ્યાં. જે કામ બે-ત્રણ માણસો કરતા તે કરવા માટે મોટી મોટી કન્સલટન્ટ કંપનીઓ ઊભી થઈ. અને છતાં આજે પણ દર ચોમાસે મલબાર હિલ પરના ગવર્નરના બંગલામાં પણ ‘વોટર લીકેજ’નો પ્રોબ્લેમ ઊભો થાય જ છે. હા, આજે પણ ગિરગામ, કાલબાદેવી જેવા તળ મુંબઈના વિસ્તારોમાં એપ્રિલ-મેમાં ડામરિયા જોવા મળે ખરા. જો કે એમાંના ઘણા હવે ધગધગતા ડામરને બદલે ‘કોલ્ડ ટાર મિક્સ’ વાપરતા થયા છે.

શું પ્રકૃતિનો, કે શું સંસ્કૃતિનો અફર નિયમ એક જ છે કે આ દુનિયામાં કશું જ અફર નથી. જે સતત ગતિશીલ છે તે જ છે જગત. અને એટલે જ પરોણીગર, કલાઈવાળો, ડામરિયો હળવે સાદે કવિ નર્મદની પંક્તિ ગણગણતા સંભળાય છે :

‘નવ કરશો કોઈ શોક, રસિકડાં, નવ કરશો કોઈ શોક.’ 

E.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 12 ફેબ્રુઆરી 2022

Loading

...102030...1,7181,7191,7201,721...1,7301,7401,750...

Search by

Opinion

  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved