Opinion Magazine
Number of visits: 9554045
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—297

દીપક મહેતા|Opinion - Opinion|12 July 2025

મિસ આહુજા, તમે રિવોલ્વર ફૂટવાનો અવાજ સાંભળ્યાની વાત ઉપજાવી કાઢી છે! 

પછીના દિવસે અદાલત ફરી મળી, ત્યારે બચાવ પક્ષના વકીલ ખંડાલાવાલાએ નામદાર જજસાહેબને વિનંતી કરી કે મામી આહુજાને વધુ ઊલટતપાસ માટે ફરીથી બોલાવવામાં આવે. ફરિયાદ પક્ષના વકીલના વિરોધને અદાલતે સ્વીકાર્યો નહિ, અને મામી આહુજા ફરીથી જુબાની આપવા ઊભાં રહ્યાં. ખંડાલાવાલાના હાથમાં કાગળોની એક થોકડી હતી. એ બતાવીને તેમણે મામી આહુજાને પૂછ્યું: શું તમને ખબર છે કે ૧૯૫૮-૫૯ દરમ્યાન તમારા ભાઈને ઓછામાં ઓછી ત્રણ પરણેલી સ્ત્રીઓ સાથે પ્રેમસંબંધ હતો? અને તેમણે એ ત્રણ સ્ત્રીઓને લખેલા આ કાગળો તેનો પુરાવો છે.

બચાવપક્ષના વકીલે આ અંગે વાંધો લેતાં કહ્યું કે આ કહેવાતા પુરાવાને અને બીજી સ્ત્રીઓ સાથેના સંબંધની વાતને પ્રેમ આહુજાના ખૂન સાથે શી લેવાદેવા છે એ મને સમજાતું નથી. અને એટલે આ પુરાવા રેકર્ડ પર ન લેવા આપને વિનંતી કરું છું, માય લોર્ડ.

ખંડાલાવાલા : લેવાદેવા છે, મારા મિત્ર, ઘણી લેવાદેવા છે. આ પત્રો સાબિત કરી આપે છે કે મરનાર પ્રેમ આહુજા શિથિલ ચારિત્ર્યનો પુરુષ હતો અને પોતાના હવસને સંતોષવા માટે તે જુદી જુદી સ્ત્રીઓને પોતાની જાળમાં ફસાવતો હતો. 

જજ મહેતા : ઓબ્જેક્શન ઓવર રુલ્ડ. મિસ્ટર ખંડાલાવાલા, યુ મે પ્રોસીડ ફર્ધર.

મિસ મામી આહુજા

ખંડાલાવાલા : થેન્ક યુ માય ઓનર. હાં, તો મિસ આહુજા! તમને એ વાતની તો ખબર હશે જ કે મરનાર પ્રેમ આહુજા અવારનવાર યુવાન સ્ત્રીઓને દારુની મિજબાની માટે ઘરે બોલાવતો હતો. અને આવી મિજબાનીઓ મોડી રાત સુધી ચાલતી હતી.

મિસ આહુજા : આ અંગે મને કશી ખબર નથી.

ખંડાલાલાવાલા : તમે અને મરનાર આહુજા એક જ ફ્લેટમાં રહેતાં હતાં અને છતાં તમે કહો છો કે તમને આ વાતની ખબર નથી? 

મિસ આહુજા : હું તેની અંગત વાતોમાં માથું મારતી નહોતી.

ખંડાલાવાલા : (હાથે લખેલા કાગળોનું એક બંડલ બતાવીને) જુદી જુદી સ્ત્રીઓને મરનાર પ્રેમ આહુજાએ લખેલા પ્રેમપત્રોનું એક બંડલ તેમના બેડરૂમના પંચનામા વખતે મળી આવ્યું હતું એ હકીકત તો તમે જાણતા જ હશો.

મિસ આહુજા : ના જી. મને એ અંગે કશી ખબર નથી.

ખંડાલાવાલા : પ્રમિલા, લીઝ, જેન, બેટી, આશા, — આમાંથી કેટલાં નામથી તમે પરિચિત છો?

મિસ આહુજા : એક્કે નહિ. હું તેમને વિષે કશું જ જાણતી નથી. 

ખંડાલાવાલા : તો હું તમને જણાવું. આ બધી સ્ત્રીઓ મરનાર પ્રેમ આહુજાની ‘પ્રેમિકાઓ’ હતી જેને લખેલા પ્રેમપત્રોનું બંડલ તેમના બેડરૂમમાંથી મળી આવ્યું હતું. અને પ્રમિલા ઉર્ફે ‘પામ’ સાથે તો મરનાર આહુજાએ લગ્ન સુધ્ધાં કર્યાં હતાં. 

મિસ આહુજા : મારા ભાઈના લગ્નની વાત ખોટી છે. પામ ઉર્ફે પ્રમિલા અને તેનો પતિ અમારા મિત્રો હતાં અને બન્ને ઘણી વાર અમારે ઘરે આવતાં.  

ખંડાલાવાલા : તમારા ભાઈ પાસે કયા પ્રકારના અને કેટલા દારૂની પરમિટ હતી એની તો તમને ખબર હશે જ.  

(પ્રિય વાચક: અહીં થોડો ખુલાસો જરૂરી છે. આઝાદી પછી ૧૯૪૯માં તે વખતના મુંબઈ રાજ્યમાં ‘બોમ્બે પ્રોહિબિશન એક્ટ ૧૯૪૯’ દ્વારા દારૂબંધી લાગુ કરવામાં આવી. શરૂઆતમાં તો સંપૂર્ણ દારૂબંધી હતી. પણ પછી ધીમે ધીમે બહુ મર્યાદિત પ્રમાણમાં દારુ માટેની પરમિટ આપવાનું શરૂ થયું. આવી પરમિટને આધારે કયા પ્રકારનો દારુ કેટલા પ્રમાણમાં ખરીદી શકાય એ પણ નક્કી હતું. પરમિટ વગર કોઈ પણ પ્રકારનો દારુ વેચવો, ખરીદવો, સંઘરવો, પીવો કે પીવડાવવો, એ સજાને પાત્ર ગુનો બનતો. ૧૯૬૩ પછી મહારાષ્ટ્ર રાજ્યમાં દારૂબંધી ધીમે ધીમે હળવી થતી ગઈ. જ્યારે મુંબઈ રાજ્યનું બીજું વારસદાર રાજ્ય, ગુજરાત, હજી ચુસ્તપણે કાનૂની દારૂબંધીને વળગી રહ્યું છે. એટલે કે આ ખટલો ચાલ્યો તે વખતે મુંબઈમાં દારૂબંધી હતી.) 

મિસ અહુજા : ના જી. મને ખબર નથી.

ખંડાલાવાલા : તો હું તમને કહું. પ્રેમ આહુજા પાસે જે પરમિટ હતી તે ફક્ત સાડા છ આઉંસ બ્રાન્ડીની હતી. બીજા કોઈ પણ દારૂની નહોતી. અને તમારા ભાઈના મોત પછી જ્યારે તેમના બેડરૂમની તલાશી લેવામાં આવી ત્યારે એ રૂમમાંથી જુદા જુદા પ્રકારના દારૂની ૨૧ જેટલી બાટલીઓ મળી આવી હતી. 

મિસ આહુજા : બાટલીઓ મળી આવી હતી એની મને ખબર છે, પણ કેટલી અને કયા પ્રકારના દારૂની, એ હું જાણતી નથી. 

ખંડાલાવાલા : મરનાર પ્રેમ આહુજા પાસે દારૂની જે પરમિટ હતી તે તમે જોઈ તો હશે જ.

મિસ આહુજા : મારા ભાઈએ મને કહેલું ખરું કે તેની પાસે દારૂની પરમિટ છે. પણ મેં પોતે એ જોઈ નહોતી. 

ખંડાલાવાલાએ પ્રેમ આહુજાના નામની દારૂની પરમિટ બતાવીને પૂછ્યું : આ પરમિટ પર તમારા ભાઈ અને મરનાર પ્રેમ આહુજાની સહી છે તે તો તમે ઓળખી શકશો ને?

મિસ આહુજા : હા, જી. આ સહી મારા ભાઈની જ છે.  

આ તબક્કે ખંડાલાવાલાને રોકતાં જજ મહેતાએ પૂછ્યું : આ બધી બાબતો અને વિગતોની અહીં ચર્ચા કરવાનું જરૂરી છે ખરું?

ખંડાલાવાલા : હા, નામદાર. મરનાર પ્રેમ આહુજા એક બદચલન, કાયદા કાનૂનનો ભંગ કરનાર, અને શિથિલ ચારિત્ર્યનો પુરુષ હતો એ વાત પુરવાર કરવા માટે આમ કરવું જરૂરી છે.

જજ મહેતા : યુ મે પ્રોસીડ ફર્ધર, મિસ્ટર ખંડાલાવાલા. 

ખંડાલાવાલા : થેન્ક યુ, માય ઓનર. હા, તો તમારા ભાઈને મળવા મિસિસ સિલ્વિયા નાણાવટી અવારનવાર તમારે ઘરે આવતાં એ વાત સાચી છે?

મામી આહુજા : મારા ભાઈને મળવા તેઓ ક્યારેક અમારે ઘરે આવતાં એમ કહેવું વધારે સાચું ગણાશે. 

ખંડાલાવાલા : પણ તમે પોલીસને આપેલા નિવેદનમાં તો એમ કહ્યું હતું કે મિસિસ નાણાવટી તમારા ભાઈને મળવા અવારનવાર તમારા ઘરે આવતાં.

મામી આહુજા : ‘અવારનવાર’ શબ્દનો અર્થ મારા મનમાં ‘ક્યારેક’ એવો હતો.

ખંડાલાવાલા : હકીકત તો એ છે કે તમને મળવાને બહાને સિલ્વિયા નાણાવટી મિસ્ટર આહુજાને મળવા આવતા હતા. 

મામી આહુજા : આ વાત સાચી નથી. 

વધુ ઊલટતપાસમાં મામી આહુજાએ કહ્યું : જાન્યુઆરીમાં હું દિલ્હી ગઈ હતી. ત્યારે પ્રેમ પણ દિલ્હીમાં હતો અને અશોક હોટેલમાં રહેતો હતો. એ વખતે સિલ્વિયા નાણાવટી પ્રેમને મળવા રોજ હોટેલ પર જતી હતી કે નહિ એની મને ખબર નથી. હકીકતમાં કોફી હાઉસમાં હું સિલ્વિયાને અચાનક મળી ત્યાં સુધી મને તો ખબર પણ નહોતી કે તે દિલ્હીમાં છે. મોટર દ્વારા મુંબઈ જવા ૨૫ કે ૨૬ જાન્યુઆરીએ મેં પ્રેમને સમજાવ્યો. ૨૭મી તારીખે મેં સિલ્વિયાને કહ્યું કે તું પણ અમારી સાથે મુંબઈ ચાલ. એ વખતે મને ખબર નહોતી કે પ્રેમે આ અંગે મારા પહેલાં જ તેને નોતરું આપી દીધું છે. 

નવપરિણીત કાવસ અને સિલ્વિયા

ખંડાલાવાલા : તમે સિલ્વિયાને નોતરું આપ્યું તે વખતે તેની અને તમારા ભાઈ વચ્ચેના પ્રેમ-પ્રકરણની તમને ખબર હતી?

મામી આહુજા : જો મને ખબર હોત તો મેં તેને નોતરું આપ્યું જ ન હોત.

ખંડાલાવાલા : તો તમને ક્યારે ખબર પડી?

મામી આહુજા : ૨૯મીની સવારે આગરાની હોટેલમાં નાસ્તો કરતી વખતે પ્રેમે પહેલી વાર એ વિષે કહ્યું. 

ખંડાલાવાલા : એ વખતે બીજું કોઈ હાજર હતું?

મામી આહુજા : ના, જી. 

ખંડાલાવાલા : પછી આ અંગે તમે સિલ્વિયા નાણાવટી સાથે વાત કરેલી?

મામી આહુજા : ના, જી. મુંબઈ આવ્યા પછી પણ નહિ. 

ખંડાલાવાલા : કેમ? સિલ્વિયા સાથે વાત કરવાની તમારા ભાઈએ તમને ના પાડી હતી?

મામી આહુજા : ના, જી. એવું કશું જ તેણે મને કહ્યું નહોતું. પણ મને લાગતું હતું કે પ્રેમ અને સિલ્વિયા લગ્ન કરે તે યોગ્ય નથી.

ખંડાલાવાલા : તો તમે એ અંગે તમારા ભાઈ સાથે વાત જ ન કરી એનું કારણ શું?

મામી આહુજા : બંને ઉમરલાયક હતાં. સાચું-ખોટું શું એ સમજી શકે તેવાં હતાં. એટલે તેમની વાતમાં હું કઈ રીતે વચ્ચે પડી શકું?

ખંડાલાવાલા : શું એ સાચું નથી કે તમે પણ એ બેનાં લગ્નની તરફેણમાં હતાં?

મામી આહુજા : ના, જી. બિલકુલ નહિ. 

ખંડાલાવાલા : બનાવને દિવસે તમે તમારા બેડરૂમમાં સૂઈ ગયાં હતાં?

મામી આહુજા : ના, જી. હું પલંગમાં આડી પડી હતી.

ખંડાલાવાલા : પણ પોલીસને આપેલા નિવેદનમાં તો તમે કહ્યું છે કે ‘હું સૂતેલી હતી.’

મામી આહુજા : એનો અર્થ હું સૂઈ ગઈ હતી એવો નથી, પણ હું પલંગમાં આડી પડી હતી, એવો થાય છે. 

ખંડાલાવાલા : અચ્છા. તો તમે પલંગમાંથી ઊઠવાની તૈયારીમાં હતાં ત્યારે તમે શું સાંભળ્યું હતું? મામી આહુજા : બારીનો કાચ તૂટવાનો અવાજ અને એક ચીસ. 

ખંડાલાવાલા : ઉપરાંત બીજું કાંઈ?

મામી આહુજા : હા. ઝપાઝપીનો અવાજ. 

ખંડાલાવાલા : પોલીસને આપેલા નિવેદનમાં તમે ઝપાઝપીના અવાજનો ઉલ્લેખ નહોતો કર્યો.

મામી આહુજા : કારણ ત્યારે હજી હું આઘાતમાંથી પૂરેપૂરી બહાર આવી નહોતી. 

ખંડાલાવાલા : રિવોલ્વર ફૂટવાનો અવાજ સાંભળવા અંગે પણ તમે પોલીસને કશું કહ્યું નહોતું. મામી આહુજા : કારણ એવો અવાજ મેં કોઈ દિવસ સાંભળ્યો નથી એટલે એ કેવો હોય તેની મને ખબર નથી. 

ખંડાલાવાલા : તમે તમારા ભાઈના બેડરૂમમાં પહોચ્યાં ત્યારે સૌથી પહેલાં શું જોયું?

મામી આહુજા : નાણાવટી બારણા પાસે ઊભો હતો, અને લાગતું હતું કે એ બેડરૂમમાંથી બહાર નીકળી રહ્યો છે. તેના હાથમાં રિવોલ્વર હતી. 

ખંડાલાવાલા : એટલે કે તમે નાણાવટીને રિવોલ્વરમાંથી ગોળીબાર કરતાં જોયા નહોતા. માત્ર તેમના હાથમાં રિવોલ્વર હતી એટલું જ જોયું હતું. બરાબર?

મામી અહુજા : ના, જી. મેં પોલીસને નિવેદન નોંધાવ્યું ત્યારે ડોકટરે મને ઘેનનું ઇન્જક્ષન આપ્યું હતું એટલે હું થોડી તંદ્રાવસ્થામાં હતી. એટલે હું બધું ન કહી શકી હોઉં એવું બને.       

ખંડાલાવાલા : શું એ વાત સાચી નથી કે તમને અનિદ્રાનો પ્રોબ્લેમ હોવાથી તમે અવારનવાર સ્લીપિંગ પિલ્સ લો છો.

મામી આહુજા : અવારનવાર નહિ, પણ ક્યારેક મારે તેવી દવા લેવી પડે છે. 

ખંડાલાવાલા : એટલે કે તમે આવી દવા લેવાથી ટેવાયેલાં છો. અને જો એમ હોય તો પોલીસમાં નિવેદન નોંધાવતાં પહેલાં તમે એવી દવા લીધી હોય તો એની એટલી અસર તો ન થાય કે ખરેખર શું બન્યું હતું એ અંગે તમારા મનમાં અસ્પષ્ટતા ઊભી થાય. એટલે એમ માનવને પૂરતું કારણ છે કે તમે રિવોલ્વર ફૂટવાનો અવાજ સાંભળ્યાની વાત પાછળથી ઉપજાવી કાઢી છે. 

રામ જેઠમલાની યુવાન વયે

બચાવ પક્ષના વકીલ : આય ઓબ્જેક્ટ યોર ઓનર. મારા અસીલ પર વિના કારણ ખોટું આળ મૂકાઈ રહ્યું છે.

જજ મહેતા : ઓબ્જેક્શન સસ્ટેન્ડ.

અને એજ વખતે અદાલતનો સમય પૂરો થયો. એટલે નેવીના ઓફિસર યાજ્ઞિકનાં પત્નીની ઊલટતપાસ મુલતવી રાખવામાં આવી.

ચતુર સુજાણ વાચકો મનમાં જરૂર વિચારતા હશે : બચાવ પક્ષના વકીલનું નામ કેમ નથી આપતા,હા, ભાઈ! OK. તેમનું નામ હતું રામ જેઠમલાની. તેમની કારકિર્દીનો આ પહેલ વહેલો ‘હાઈ પ્રોફાઈલ’ કેસ. વધુ વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 12 જુલાઈ 2025 

Loading

હાર

પ્રભાત [મૂળ હિન્દી પરથી અનુવાદઃ રૂપાલી બર્ક]|Poetry|12 July 2025

જ્યારે જ્યારે હું હારી જાઉં છું
સ્ત્રીઓને યાદ કરું છું
અને તાકાત મેળવું છું.
એ સદાય હારેલી પરિસ્થિતિમાં જ
કામ કરતી હોય છે
એમનામાં એ જ તલ્લીનતા, એ જ ઉત્સુક્તા
એ જ મુક્તિ દેખાય છે.
એ કામના બદલામાં નામથી
ઊંડાણપૂર્વક મુક્ત રહે છે
વાસ્તવમાં નિચોવાઈ જવાની હદ સુધી
થાક્યા બાદ પણ
આ જ કારણે હસી શકે છે
કે એ હારી ગયેલી છે.
વિજય સમાન તુચ્છ અભિલાષાઓ પર
એમણે ઐતિહાસિક વિજય પ્રાપ્ત કર્યો છે.

ફોટોઃ રૂપાલી બર્ક
e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

ખૂન ખૂન હોતા હૈ પાની નહીં … વિશ્વ રક્તદાન દિવસ 

સોનલ પરીખ|Opinion - Opinion|12 July 2025

એક વખતમાં કરેલું રક્તદાન ત્રણ જિંદગી બચાવી શકે છે અને શરીરમાં થોડા કલાકોમાં જ નવું લોહી બની જાય છે; તો પણ મોટા ભાગના લોકોએ રક્તદાન વિશે વિચાર્યું હોતું નથી, કેમ કે સમાજમાં રક્તદાન અંગે જાગૃતિનો ખાસ્સો અભાવ છે. ભય પણ હશે. બાય ધ વે, લોહીના એક પ્રકારનું નામ બોમ્બે બ્લડ ગ્રુપ છે … 

સોનલ પરીખ

એક સમયે લોસ્ટ એન્ડ ફાઉન્ડ એ બોલિવૂડની પ્રિય ફોર્મ્યુલા હતી. 1977માં એક ફિલ્મ આવી હતી, ‘અમર અકબર એન્થની’. બાળપણમાં વિખૂટા પડેલા ત્રણ ભાઈઓમાં એક હિંદુ, એક મુસ્લિમ, એક ખ્રિસ્તી તરીકે ઉછરે છે. અંધ મા પણ છૂટી પડી ગયેલી છે. એક વાર માને અકસ્માત થાય છે અને એકબીજાને કે માને ન ઓળખતા આ ભાઈઓ, એને એક્સાથે લોહી આપે છે – હા, એક સાથે! હોસ્પિટલમાં ચાર બેડ છે, એકમાં મા સૂતેલી છે; બીજા ત્રણમાં વિનોદ ખન્ના, અમિતાભ બચ્ચન અને ઋષિ કપૂર અને ત્રણેનું લોહી એકસાથે મા નિરૂપા રોયને ચડે છે. બેકગ્રાઉન્ડમાં ગીત વાગે છે, ‘ખૂન ખૂન હોતા હૈ પાની નહીં …’ દર્શકોને ઈમોશનલ બનાવવામાં સફળ નીવડેલું આ દૃશ્ય હિંદી સિનેમાના ‘મોસ્ટ ઈલ્લોજિકલ’ અર્થાત્‌ સૌથી વધારે અતાર્કિક દૃશ્યોમાંનું એક ગણાય છે!

ફિલ્મનું દૃશ્ય ભલે અતાર્કિક હોય, પણ રક્તદાન એવી પ્રક્રિયા છે જેના એક છેડે જીવ બચ્યાનો ને બીજા છેડે જીવ બચાવ્યાનો આનંદ હોય છે. ટોટલી વિન-વિન સિચ્યુએશન. 

14 જૂનના દિવસે વર્લ્ડ બ્લડ ડૉનેશન ડે – વિશ્વ રક્તદાન દિવસ છે. આ દિવસ દુનિયાભરના સ્વૈચ્છિક રક્તદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે તેમ જ બ્લડ ટ્રાન્સફ્યુઝન માટે સુરક્ષિત રક્તપ્રવાહ ચાલુ રહે એ હેતુથી ઉજવવામાં આવે છે. 14 જૂન એ.બી.ઓ. બ્લડગ્રુપ સિસ્ટમના શોધક કાર્લ લેન્ડસ્ટેઇનરનો જન્મદિન છે. આ માટે તેમને 1930ના વર્ષનું નોબૅલ પારિતોષિક પણ એનાયત કરવામાં આવ્યું હતું. 

કાર્લ લેન્ડસ્ટેઇનર

ઑસ્ટ્રેલિયન મૂળ ધરાવતા અમેરિકાના આ બાયોલૉજિસ્ટ-કમ-ફિઝિશ્યન કાર્લ લેન્ડસ્ટેઈનરે સવાસો વર્ષ પહેલા એક મહત્ત્વની શોધ કરી હતી, કે દરેક વ્યક્તિનું લોહી એકસરખું નથી હોતું. એમણે સાબિત કર્યું કે ‘એ’, ‘બી’, ‘એબી’ અને ‘ઓ’ એમ ચાર પ્રકારનાં પૉઝિટિવ અને નેગેટિવ આર.એચ. ફૅક્ટર ધરાવતું કુલ આઠ પ્રકારનું લોહી હોય છે. આને એ.બી.ઓ. સિસ્ટમ કહે છે. આ સિસ્ટમને આધારે મૅચિંગ બ્લડ-ગ્રુપ ધરાવનારાઓમાં બ્લડ-ટ્રાન્સફ્યુઝન કરવાથી એમાં 99.9 ટકા જેટલી સફળતા મળતી હોવાનું નોંધાયું છે. આ સફળતાને પગલે વધુ ને વધુ લોકો રક્તદાન કરીને બીજાની જિંદગી બચાવવામાં પોતાનો ફાળો આપે એ માટે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને વિશ્વ રક્તદાન દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું. એને માટે બ્લડ-ગ્રુપના શોધકના જન્મદિવસથી વધારે યોગ્ય દિવસ કયો હોઈ શકે? 

તંદુરસ્ત વ્યક્તિના શરીરમાં પાંચથી છ લિટર જેટલું લોહી હોય છે. આપણા શરીરના કુલ વજનમાંથી સાત ટકા વજન લોહીનું હોય છે. લોહીના લાલ રક્તકણોમાં શુગરબેઝ્ડ ઍન્ટિજન ‘એ’ અને ‘બી’ની હાજરી અથવા ગેરહાજરીને આધારે લોહીના ‘એ’, ‘બી’, ‘એબી’ અને ‘ઓ’ આવા ચાર પ્રકારો પડે છે. અને એ ચારે પૉઝિટિવ અને નેગેટિવ એમ બે પ્રકારના હોય છે એટલે કુલ આઠ પ્રકારના બ્લડગ્રુપ હોય છે. લોહીના કણોમાં આર.એચ. ફૅક્ટર તરીકે ઓળખાતા ઍન્ટિજન અને ઍન્ટિબૉડીઝની હાજરી કે ગેરહાજરી પરથી પૉઝિટિવ – નેગેટિવ ગ્રુપ જુદાં પડે છે.

લોહીનું મૅચિંગ કઈ રીતે થાય? ‘એ’ ગ્રુપ ધરાવનારી વ્યક્તિ ‘એ’ ગ્રુપ તેમ જ ‘એબી’ ગ્રુપ ધરાવતી વ્યક્તિને લોહી આપી શકે અને ‘એ’ તેમ જ ‘ઓ’ ગ્રુપનું લોહી લઈ શકે. ‘બી’ ગ્રુપ ધરાવનારી વ્યક્તિ ‘બી’ અને ‘એબી’ ગ્રુપ ધરાવતી વ્યક્તિને લોહી આપી શકે અને તે ‘બી’ તેમ જ ‘ઓ’ ગ્રુપનું બ્લડ લઈ શકે. ‘એબી’ ગ્રુપ ધરાવનારી વ્યક્તિનું લોહી ‘એબી’ ગ્રુપ ધરાવતી વ્યક્તિને આપી શકાય અને તે ‘એ’, ‘બી’, ‘એબી’ અને ‘ઓ’ એમ દરેક પ્રકારનું બ્લડ લઈ શકે. 

આમ એબી’ ગ્રુપની વ્યક્તિ દરેક પ્રકારના ગ્રુપનું લોહી લઈ શકે છે. એથી એને યુનિવર્સલ રિસીવર બ્લડ-ગ્રુપ કહેવાય છે અને ‘ઓ’ ગ્રુપની ધરાવનારી વ્યક્તિઓનું લોહી કોઈ પણ બ્લડ-ગ્રુપ ધરાવનારાઓને આપી શકાતું હોવાથી એને યુનિવર્સલ ડોનર બ્લડ-ગ્રુપ કહેવાય છે. પણ આ ‘ઓ’ ગ્રૂપનું લોહી પણ બી.બી.જી. (બોમ્બે બ્લડ ગ્રુપ)  ધરાવતી વ્યક્તિને ચઢાવી શકાતું નથી.

આ પ્રકારનું લોહી 1952માં મુંબઈમાં પહેલી વાર જોવા મળ્યું હતું એટલે એ ગ્રુપનું નામ બૉમ્બે બ્લડ-ગ્રુપ પાડવામાં આવ્યું છે. તેને ‘એચ.એચ.’ બ્લડગ્રુપ પણ કહે છે. આ સૌથી દુર્લભ બ્લડ-ગ્રુપ છે. ભારતમાં દર દસ હજાર લોકોએ એક વ્યક્તિ બૉમ્બે બ્લડ-ગ્રુપ ધરાવે છે ને ઈસ્ટ એશિયાના અમુક દેશોમાં દર દસ લાખે ચાર વ્યક્તિ આ બ્લડ-ગ્રુપ ધરાવે છે. આ બ્લડ-ગ્રુપ ધરાવનારા લોકો નૉર્મલ સ્વાસ્થ્ય ધરાવતા હોય છે અને દરેક બ્લડ ગ્રુપને લોહી આપી શકે છે, પણ જો તેમને ઍક્સિડન્ટ, ડિલિવરી કે મેજર સર્જરી દરમ્યાન લોહી ચડાવવાની જરૂર ઊભી થાય તો કટોકટી પેદા થઈ શકે છે, કેમ કે તેમને માત્ર અને માત્ર બૉમ્બે બ્લડ-ગ્રુપ ધરાવનારાઓનું જ લોહી ચડી શકે છે.

એક વખતમાં કરેલું રક્તદાન એ અન્ય ત્રણ લોકોનો જીવ બચાવી શકે છે, અને શરીરમાં થોડા કલાકોમાં જ નવું લોહી બની જાય છે. મોટા ભાગના લોકોએ રક્તદાન વિશે વિચાર્યું હોતું નથી. અર્થાત્‌ સમાજમાં રક્તદાન અંગે જાગૃતિનો ખાસ્સો અભાવ છે. ભય પણ હશે. હાલમાં જુદી-જુદી બ્લડ બૅન્ક દ્વારા કૉલેજો અને મોટી શૈક્ષણિક સંસ્થાઓમાં રક્તદાન શિબિર યોજી યુવાનોને રક્તદાન માટે પ્રેરિત કરવામાં આવે છે. જે ખૂબ આવકારદાયક પગલું છે. રક્તદાન શિબિરમાં સલામત રક્તદાન અંગેની પૂરતી વ્યવસ્થા હોવી જોઈએ. સમાજમાં કોઈ વિશિષ્ટ દિવસ, જન્મ દિવસ અથવા પ્રસંગની ઉજવણી પણ રક્તદાન શિબિર દ્વારા કરવાનું ચલણ વધ્યુ છે, એ પણ ખૂબ આવકાર્ય છે. મેડિકલ ક્ષેત્રે ખૂબ સંશોધનો થવા છતાં કૃત્રિમ રીતે લોહી બની શક્યું નથી. લોહી એ ફક્ત અને ફક્ત કોઈ રક્તદાતા પાસેથી જ મેળવી શકાય છે. અને આ કારણથી જ લોહીની ખૂબ જ અછત ઊભી થાય છે.

જે લોકો રક્તદાન કરવા માગતા હોય તેમના લોહીનો સૌ પ્રથમ ટેસ્ટ કરવામાં આવે છે કારણ કે એ લોહી સુરક્ષિત છે કે નહિ તે ખૂબ જ અગત્યની બાબત છે. દાતાને એઈડ્સ કે હિપેટાઈસ જેવી લોહી દ્વારા ફેલાતી બીમારી ન હોવી જોઈએ. ઉપરાંત તે નશીલા પદાર્થનું સેવન કરતો ન હોવો જોઈએ. બ્લડ-પ્રેશર, હિમોગ્લોબીન, શરીરનું તાપમાન અને રક્તદાતાના પલ્સ રેટની પણ તપાસ કરવામાં આવે છે.

વિશ્વમાં જેટલા લોકો કોઈ ગંભીર કે આકસ્મિક રોગોથી મરે છે એટલા જ લોકો ઍક્સિડન્ટ કે કુદરતી હોનારતમાં મરે છે. આવી હોનારત દરમ્યાન વધુ પડતું લોહી વહી જવાને કારણે અને તત્કાળ યોગ્ય મૅચિંગ બ્લડ-ગ્રુપ ધરાવતું લોહી ન મળવાને કારણે અનેક મૃત્યુ થાય છે. પ્રસૂતિ અને હૃદય-કિડની કે અન્ય મોટાં ઓપરેશનો દરમ્યાન પણ લોહી ચડાવવાની જરૂર ઊભી થાય છે. માનવશરીરમાં લોહી એક એવી ચીજ છે જે સતત નવું-નવું બન્યા કરે છે. 

વિશ્વ આરોગ્ય સંસ્થાના અંદાજ મુજબ ૨૫ ટકા લોકોને જીવનના કોઈક ને કોઈક તબક્કે લોહી ચડાવવાની જરૂર પડે છે. એકલા ભારતમાં જ દર વર્ષે ચાર કરોડ બ્લડ-ટ્રાન્સફ્યુઝનની જરૂરિયાત હોય છે, જ્યારે ડોનેશન મળે છે માત્ર ચાળીસ લાખ જેટલું જ. તો પણ બેદરકારી એટલી છે કે બ્લડ-ડોનેશન કૅમ્પ દ્વારા એકઠા કરવામાં આવતા લોહીમાંથી યોગ્ય મૅનેજમેન્ટના અભાવે હજારો યુનિટ લોહી વપરાયા વિનાનું વેસ્ટ જાય છે. આવું જાણીને બ્લડ-ડોનેશન કૅમ્પોવાળાને કહેવાનું મન થાય કે ભાઈ, જરા સંભલ કે – ખૂન ખૂન હોતા હૈ, પાની નહીં …             

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 08 જૂન  2025

Loading

...102030...169170171172...180190200...

Search by

Opinion

  • ધર્મેન્દ્ર – નોટ જસ્ટ અ હી-મેન 
  • આસ્થા અને ભ્રમ વચ્ચે જન્મેલી સચ્ચાઈ; પંથની  ગાથાનો એક છૂપો પક્ષ
  • પ્રિટર્મ બેબી – ધ યુનિક જર્ની ઑફ ફેઈથ એન્ડ ફિયર 
  • કામિની કૌશલ: અધૂરી મહોબ્બત અને સ્ત્રીના કર્તવ્યનો સિનેમાઈ ઇતિહાસ
  • જય ભીમ’ ખરેખર શું છે? 

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved