Opinion Magazine
Number of visits: 9570834
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કૃષિ કાયદા : ખેડૂત, સરકાર અને બજાર

રમેશ બી. શાહ|Opinion - Opinion|1 December 2021

છેવટે વિવાદાસ્પદ કૃષિકાયદા રદ્દ કરવાની જાહેરાત વડા પ્રધાનશ્રીએ કરી, જે આંદોલનને પૂર્વે વગોવવામાં બાકી રાખવામાં આવ્યું ન હતું એમાં સરકારે પોતાની ભૂલ કબૂલ કરી છે. ખેડૂતોમાં આંદોલનને ખાલિસ્તાન ચળવળ સાથે, આતંકીઓની પ્રવૃત્તિ સાથે અને માઓવાદી સાથે સાંકળવામાં આવ્યું હતું. દેશના ભાગલા પડાવવા માંગતા લોકો આ આંદોલન ચલાવી રહ્યા છે, એમ કહેવામાં આવ્યું હતું. વડા પ્રધાનશ્રીએ પોતે આ ‘આંદોલન જીવી’ લોકો ચલાવી રહ્યા છે એવો આક્ષેપ કર્યો હતો; ટૂંકમાં, જે કાયદાઓનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો, તે ખેડૂતોના હિતમાં ન હતો, એમ સરકાર માનતી હતી – આજે પણ સરકારની પૉઝિશન એ જ છે વડા પ્રધાનશ્રીએ પોતે સરકાર ખેડૂતોને આ કાયદા દ્વારા થનાર લાભ સમજાવી શકી નથી, એવી રજૂઆત કરી છે.

હવે સરકાર એક સમિતિ રચીને ખેડૂતો માટે નવું પૅકેજ તૈયાર કરશે. એવી જાહેરાત કરવામાં આવી છે. આ સમિતિમાં રાજ્યસરકારોના પ્રતિનિધિઓ, કેન્દ્રસરકારના પ્રતિનિધિઓ અને નિષ્ણાતો હશે. એ સમિતિ જે ભલામણો કરશે, તેનો અમલ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. આનો અર્થ એ થયો કે જ્યાં સુધી સમિતિ ભલામણ નહીં કરે ત્યાં સુધી કૃષિ ક્ષેત્રે સુધારા થશે નહીં અને વર્તમાન નીતિ ચાલુ રહેશે.

આજે જે નીતિ ખેતીના ક્ષેત્રે ચાલી રહી છે, તે પચાસ વર્ષ જૂની છે. દેશમાં અનાજની તીવ્ર તંગી પ્રવર્તતી હતી અને દેશ અનાજની આયાતો ઉપર નભતો હતો, ત્યારે હરિયાળી ક્રાંતિનો અમલ કરવા માટે આ નીતિ અમલમાં મૂકવામાં આવી હતી. એમાં ખેડૂતોને હરિયાળી ક્રાંતિની ટૅક્નોલૉજી અપનાવવા માટે પ્રોત્સાહનો આપવામાં આવ્યાં હતાં. એના એક ભાગ રૂપે લઘુતમ ટેકાના ભાવોની(એમ.એસ.પી.)ની ખાતરી આપવામાં આવી હતી, તેમ જ રસાયણિક ખાતરોનો ઉપયોગ વધે તે માટે એના ઉપર સબસિડી આપવાની નીતિ જાહેર કરવામાં આવી હતી અને ફૂડ કૉર્પોરેશનની રચના કરીને ખેડૂતો પાસેથી અનાજ ખરીદવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

હવે દેશમાં અનાજની તંગી રહી નથી અને અનાજની વિપુલતાનો પ્રશ્ન ઊભો થયો છે. બીજી બાજુ કઠોળ અને તેલીબિયાંની અછત પ્રવર્તે છે. તેને કારણે અવાર-નવાર દેશને ખાદ્યતેલોની અને કઠોળની આયાતો કરવી પડે છે. બીજો એક પ્રશ્ન પણ ઊભો થયો છે. ઉદ્યોગોમાં વિકાસ દ્વારા ખેતી પરનું ભારણ આપણે ઘટાડી શક્યા નથી. ઉદ્યોગોનો એટલો વિકાસ થયો નથી કે જેથી ખેતી ક્ષેત્રે રોકાયેલા લોકોની સંખ્યા ઘટાડી શકાય. બીજી બાજુ, વસ્તીવધારો મોટા પ્રમાણમાં થવાથી બીજા વિકલ્પોના અભાવે ગ્રામીણ લોકો ખેતીમાંથી રોજગારી અને આવક મેળવવા પ્રયત્ન કરે છે. આને કારણે ખેડૂતો પાસે રહેતી જમીન ઘટતી જાય છે. દેશમાં આજે લગભગ ૭૦ ટકા ખેડૂતો પાસે અઢી એકરથી ઓછી જમીન છે. જેમાંથી એમને પૂરતી આવક મળતી નથી. આ ખેડૂતોને વધારે ઉત્પાદક બનાવવાની દિશામાં વિચારવાનું છે. એ માટે ખેતીના ક્ષેત્રે વૈવિધ્ય લાવવાની જરૂર છે. કેટલાક સુધારાઓની બાબતમાં અર્થશાસ્ત્રીઓમાં સર્વાનુમતિ પ્રવર્તે છે. જેમ કે વીજળી, રાસાયણિક ખાતરો, વગેરે પર સબસિડી આપવાને બદલે ખેડૂતોને સીધી નાણાકિય સહાય કરવી. ખેતી ક્ષેત્રે વિશેષ મૂડીરોકાણની જરૂર છે, જેથી ખેડૂતોની આવકમાં વધારો કરી શકાય.

આમ, ખેતી ક્ષેત્રે અનેક સુધારાઓ કરવા જરૂરી છે. ખેતીક્ષેત્રે સરકારે કરેલા સુધારાની કસુવાવડ થઈ એનાથી જો સુધારાવિરોધી માનસ સર્જાશે તો એ ખેડૂતો અને ખેતી માટે પ્રતિકૂળ નીવડશે. ખેતી ક્ષેત્રે સુધારાનો સમય ક્યારનો વીતી ગયો છે. ત્રણેક દાયકા પહેલાં એ સુધારાનો આરંભ થવો જોઈતો હતો. ખેતીને વધારે ઉત્પાદક બનાવવાની દિશામાં વિચારવાના બદલે ‘મનરેગા’ જેવી રોજગારીસર્જક યોજનાઓ દ્વારા ખેતી ક્ષેત્રે પૂરક રોજગારી સર્જવામાં આવી, જેનાથી ખેતી ક્ષેત્રે રોકાયેલા લોકોનું, ખાસ કરીને, ખેતમજૂરોનું કેટલાક મહિનાઓ પૂરતું રોજગારસર્જન થયું પણ તેનાથી લાંબા ગાળાનું હિત સધાતું નથી. ખેતી ક્ષેત્રે આપણે જુદી રીતે વિચારવું પડે, એવી સ્થિતિ સર્જાઈ છે, ઉપર નોંધ્યું તેમ ઉદ્યોગોના વિકાસ દ્વારા આપણે ખેતીક્ષેત્રનું ભારણ ઘટાડી શક્યા નથી. દક્ષિણ કોરિયા, ચીન વગેરે દેશો એ દિશામાં સફળ થયા છે, પણ આપણે સફળ થઈ શક્યા નથી.

હવે ખેડૂતનેતાઓએ લઘુતમ ટેકાના ભાવોને કાનૂની દરજ્જો આપવાની માંગણી કરી છે. લઘુતમ ટેકાના ભાવોનાં લાભ મહદંશે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના પશ્ચિમ ભાગને મળે છે. દેશના મોટા ભાગના ખેડૂતોને એના લાભ નથી મળતો એમ કહીએ તો ચાલે. કહેવાનો મુદ્દો એ છે કે ખેડૂતોની આવક વધારવા માટે લઘુત્તમ ટેકાના ભાવોની નીતિ સમગ્ર દેશમાં સફળ થઈ શકે એમ નથી. આંદોલનકારી ખેડૂતોના નેતાઓ પોતાનાં હિતનો જ વિચાર કરી રહ્યા છે. વળી, બજારતંત્ર ઉપર આધારિત અર્થવ્યવસ્થામાં ભાવોને નિયમિત કરવાનું હિતાવહ નથી. એમાંથી બજારની કામગીરીમાં વિકૃતિ સર્જાય છે. સરકાર પાસે આજે બફરસ્ટૉક માટે જોઈએ, એનાથી બમણો જથ્થો ઘઉં અને ચોખાનો છે. આનો અર્થ એ થાય કે ઘઉં અને ડાંગરનું વધારે પડતું ઉત્પાદન થાય છે. બજારને એની રીતે કામ કરવા દેવું જોઈએ અને જ્યાં અનિવાર્ય હોય, ત્યાં જ સરકારે દરમિયાનગીરી કરવી જોઈએ.

પાલડી, અમદાવાદ

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2021; પૃ. 03

Loading

હવે જ કિસાન આંદોલન અને રાજનીતિની કસોટી છે

ભરત મહેતા|Opinion - Opinion|1 December 2021

કપરાં કોરોનાકાળમાં વટહૂકમથી લેવાયેલાં ત્રણ કૃષિબિલ આખરે મોદી સરકારે પાછા ખેંચવા પડ્યાં! ૧૪ મહિના કડકડતી ઠંડી, કાળઝાળ ગરમી, ભારે વરસાદ ઉપરથી સરકારી ત્રાસ છતાં ય ખેડૂતો ડગ્યાં નહીં. નવસો ખેડૂતો શહીદ થયાં છે. ઉત્તરાખંડથી યુ.પી. સુધી સરકારે સેંકડો ખેડૂતો પર આંદોલન કરવા બદલ કેસો કર્યાં છે. સામ, દામ, દંડ, ભેદની તમામ સરકારી પ્રયુક્તિને કિસાન એકતાએ પાછી પાડી. મોદીનો પહેલો પરાજય સુપ્રિમ કૉર્ટ આ ત્રણ કોર્પોરેટી કાળા કાનૂન સ્થગિત કર્યા હતા ત્યારે જ થયો હતો, પરંતુ આંદોલનથી એ નિર્ણયને બળ મળ્યું. કિસાન આંદોલનની આ જીત ભારતની રાજનીતિમાં ઐતિહાસિક સીમાચિહ્‌ન છે.

હજુ હમણાં જ બે દાયકા પૂર્વે નંદીગ્રામમાં ત્રણ હજાર કિસાનો મરી ગયાં, સેંકડો સ્ત્રીઓ પર બળાત્કાર થયાં પણ ટાટાને જમીન આપવા બાબતમાં કિસાનો ઝુક્યાં નહીં અને એમનો વિજય થયેલો એ અત્યારે યાદ આવે. ટાટા માટે લાલ જાજમ અને માર્ક્‌સને ટાટા કરનાર બંગાળની પાંત્રીસ વર્ષની સરકારનું નંદીગ્રામે પતન કર્યું. ગાંધીજીનો ભારતીય રાજનીતિમાં પ્રવેશ ચંપારણના કિસાન આંદોલનથી, વલ્લભભાઈ પટેલની આગળ 'સરદાર’ વિશેષણ ઉમેરાયું બારડોલીના કિસાન આંદોલનથી. આ પરંપરામાં આ કિસાનોના સત્યાગ્રહને ય જોવો જોઈએ. આઝાદી પછી તેલંગણામાં કિસાનોએ નેહરુને ય હંફાવેલા અને જમીનદારીનો કાયદો રદ્દ કરાવેલો.

નાનપણથી આપણને ભણવામાં આવે છે કે ભારત ખેતીપ્રધાન દેશ છે. પણ ભારતમાં ખેડૂત જ અવગણાતો જાય છે – સહુથી વધારે. ભારત ગામડાંમાં જીવે છે એમ પણ કહેવાયું છે. આ છ લાખ ગામડાંમાં ભારત રોજ રોજ મરે છે. મોદી આવ્યા ત્યારે ભૂખમરાથી પીડિતોનો આંકડો ત્રીસ કરોડથી ઓછો હતો (એ પણ કંઈ આશ્વાસન પામવા જેવી વાત નહોતી જ) આજે જેમને મહિને પાંચ કિલો અનાજ અપાય છે એવાનો આંકડો એંસી કરોડ છે. એંસી કરોડને રોજનું પચાસ ગ્રામ અનાજ મળે છે! મનરેગામાં ૧૫૦ રૂપિયા દલાલી ન આપે તો કામ મળતું નથી. આમાંના મોટા ભાગનાં ખેતમજૂરો જ છે. યુ.પી.ની જેમ અન્ય સરકારોએ પણ આગામી ચાર વર્ષ સુધી મજૂર કાયદાઓ સ્થગિત કર્યાં છે! કહેવાનો અર્થ છે આ સરકાર ખેડૂત, મજૂર, ગરીબ, વિદ્યાર્થી વિરોધી સરકાર છે. તેથી મોદી સરકારનું આ દેખીતું ‘હૃદયપરિવર્તન’ આગામી દિવસોમાં આવી રહેલી પાંચ રાજ્યોની ચૂંટણીનું દબાણ છે. પોતાની સઘળી તાકાત વાપર્યા છતાં, ૭,૦૦૦ કરોડ ખર્ચા છતાં, બંગાળનો પરાભવ તાજો છે. તેથી શૂરા બોલ્યા ન ફરે, એ ફર્યાં છે! સત્તાના મદમાં મસ્ત સરકારને કિસાન એકતાએ ઠેકાણે લાવી દીધી છે. હવે જ કિસાન આંદોલનની અને રાજનીતિની કસોટી છે. ભા.જ.પ.ના આ મતદાર કિસાનો ભા.જ.પ.થી નિભ્રાંત થયાં છે અને 'વોટ પે ચોટ’ના સૂત્રોચ્ચાર કરે છે, અને કુંભકર્ણની નિંદ્રામાં ખલેલ પાડી છે.

આમ છતાં, આ બિલ પાછા ખેંચતી વખતે પણ એમણે તંગડી તો ઊંચી જ રાખી છે! કિસાનોના એક જૂથને મનાવી ન શક્યાં એટલે બિલ પાછા ખેંચું છું. અરે ભાઈ, ભારતના કયાં કિસાન સંગઠને આ બિલનું સ્વાગત કરેલું એ તો બતાવો? એક બે મીડિયામાં ચમકેલાં એ પણ બનાવટી નીકળ્યાં! આ બિલ વાપસીના ભાષણમાં એક પણ શબ્દ, જીવ ગુમાવેલાં કિસાનો માટે નહીં? આ તમારી સંવેદનશીલતા?! તમે કહો છો કે કિસાનોના ભલા માટેના કાનૂન હતા તો કેમ તમે એકવાર પણ કિસાનોને મળવા ન ગયા? તમારા રહેઠાણથી કેવળ ૨૫ કિલોમીટર જ દૂર હતા! અયોધ્યા-સોમનાથના આંટાફેરા મરાય પણ જગતના તાતને મળવાનો સમય જ નહીં, અને હવે મગરના આંસુ! કિસાનોના હિતમાં આ બિલ હતા એ સરાસર જુઠ્ઠાણું છે. સંસદને વંદન કરીને સંસદમાં તમે પ્રવેશ્યા પછી તમે સતત સંસદનું ચીરહરણ કર્યું છે. કોઈ પણ સુધારો સંસદીય સમિતિની ચર્ચા વિચારણા પછી થાય એના બદલે સીધો ‘વટ્ટ હુકમ’. સંસદીય સમિતિની રચના જ નહીં! એ જ રીતે સાંસદો, સાથીપક્ષો સાથે વિધિવત્‌ની બેઠક વગર જ પાછો ખેંચવાની જાહેરાત! આ સરકાર છે કે કોઈ પેઢી? કૃષિસુધારણાઓ રાજ્યસરકારના ક્ષેત્રમાં આવે છે તો તમે કેન્દ્રીય હસ્તક્ષેપ દ્વારા પુનઃ સંસદીય ગરિમાનો ભંગ કર્યો. વળી, ચૂંટાયેલા પ્રધાનો ચેનલે ચેનલે કિસાનોને નક્સલવાદી, દેશદ્રોહી, ખાલિસ્તાની ગણાવે. તમે એકવાર પણ એક પણ નેતાને એ અંગે ટકોર્યા હતા? તેથી જ કિસાનનેતાને તમે જાહેરમાં બિલ પાછું ખેંચ્યું છતાં વિશ્વાસ નથી. કૃષિબિલ તમારા ઘોષણાપત્રનો ભાગ હતું જ નહીં. ઘોષણાપત્રમાં પ્રતિવર્ષ બે કરોડ નોકરીઓ હતી. ક્યાં છે? તમે જે નથી કરવાનું એ કરો છો, કરવાનું છે એ નથી કરતાં એનું નોટબંધી પછીનું આ બીજું ઉદાહરણ છે.

ભારતમાં ૬૦ કરોડ ખેડૂતો છે. એમના સંતાનો તમે જેની સાથે દિવાળી ઊજવી એ ભારતીય સેનામાં છે. જેણે કદી ગાય દોહી નથી, ગાયની સાની (ખોરાક) તૈયાર નથી કરી એ એકાએક કૃષિબિલ લાવી નાંખે? કિસાનસંગઠનોને બિલ આવતાં પહેલાં બોલાવી શકાત. અરે, બિલ પાછું ખેંચ્યું ત્યારે પણ કિસાનનેતાઓને બોલાવી, પત્રકાર પરિષદ બોલાવી, સન્માનપૂર્વક પાછું ખેંચી શકાત. બિલવાપસી પશ્ચાત્‌ના તમારા ભાષણમાં અહંકારમઢી નમ્રતા દેખાઈ જતી હતી. કૃષિબિલ લાવતા કે પાછું ખેંચતા સાથી પક્ષો કે વિરોધ પક્ષોને ય કંઈ નહીં પૂછવાનું? તમે ભારતના રાજા છો કે લોકતંત્રના વડા? ઉત્તર પ્રદેશથી ઉત્તરાખંડ, રાજસ્થાન વગેરે જગ્યાએ જગ્યાએ કિસાન આંદોલન સંદર્ભે થયેલી ધરપકડો તાકીદે રદ્દ કરો, સેંકડો કેસો પાછા ખેંચો, જો તમારામાં સંવેદનશીલતા બચી હોય તો.

આ આંદોલને બતાવી દીધું કે રાજનીતિ એ શિક્ષિતોનો ઠેકો નથી. પછી ચૂંટણીમાં વેરવાના અઢળક નાણાં જ છે, ભોંયુ પ્રચારમાધ્યમો ખડા પગલે ૨૪ ગુણ્યા ૭ [24 x 7] સેવામાં લાગેલાં રહેશે. ગામેગામ કિસાન આંદોલને નાની-નાની સભાઓ કરી તીવ્રપણે કોર્પોરેટ હાઉસની ગુલામી કરી રહેલ સરકારને ચૂંટણીમાં પરચો દેખાડવાનું કામ હજુ કરવું પડશે. શેરડીના ૭,૦૦૦ કરોડ સરકારને ચૂકવવાના બાકી છે, એ લેવાના છે. સમગ્ર ભારતમાં સૌથી વધુ મોંઘી વીજળી યુ.પી.માં છે, ઔદ્યોગિક એકમોને વીજળી-પાણીમાં અભૂતપૂર્વ લાભ અપાય છે એ ખેડૂતોએ માંગવો રહ્યો. ગુજરાતમાં નેનોને એક યુનિટ ૪૦ પૈસે વીજળી મળે છે! આંદોલનની ચાદર સમેટી લેવાને બદલે કિસાનોએ ભારતીય લોકતંત્રના તારણહાર બની, ભજન કરનારને ભગવાનના ભજન કરવા મોકલી દેવા જોઈએ. જેમને અદાણી અંબાણી પર ખૂબ જ વહાલ ઉભરાતું હોય એમને ત્યાં નોકરી કરવા મોકલી દેવા જોઈએ. પાંચ ટ્રિલિયન ઇકોનોમીની વાત કરનારાં તમે જે તબાહી સર્જી છે એને ‘રૂક જાવ’ કહેનાર કિસાન આંદોલન ધન્યવાદને પાત્ર છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2021; પૃ. 04

Loading

મારી વિદ્યાયાત્રા == પુનશ્ચ == AGAIN ==

સુમન શાહ|Opinion - Opinion|30 November 2021

વિદ્યાયાત્રાના કેટલાક અંશ ફરીથી પ્રકાશિત કરું છું :

૫ : અધ્યાપનકાળના કેટલાક બનાવો

ઉપલેટા કપડવણજ બોડેલી અને અમદાવાદ એમ સઘળાં અધ્યાપનસ્થળો દરમ્યાનના કેટલાક બનાવો મને બહુ યાદ રહી ગયા છે :

ઉપલેટામાં ૧૯૬૪માં હું પ્રોફેસરપદે હતો. કારકિર્દીનો એ શુભારમ્ભ હતો.

પહેલા વર્ષે અમે કેટલાક અધ્યાપકો નવા ને અમારા પ્રિન્સિપાલ પણ નવા. પ્રોફેસર હોવાથી હું પ્રિન્સિપાલ પછીનો ફર્સ્ટ આસિસ્ટન્ટ. તે મને કહે, ટાઇમટેબલ બનાવી દો. મને કેમ આવડે? મેં બીજા બેએક મિત્રોની મદદ મેળવીને બનાવેલું.

અમે કેટલાક અધ્યાપકો ‘ભવાન ગોકળની ચાલ’-માં ઉપલા માળે રહેતા’તા અને ‘પ્રિન્સિપાલ-નિવાસ’ નીચે ગ્રાઉન્ડફ્લોર પર હતો. રશ્મીતાના પત્રો ત્યારે હું કૉલેજના સરનામે મંગાવતો તે લેવા અને આમે ય કૉલેજના કામે મારે અવારનવાર નીચે એમને ત્યાં જવું પડતું’તું. કેમ કે એમને વાતે વાતે મદદની જરૂર પડતી. એમનાં પત્ની મિલનસાર. મને કહે, તમારે સાહેબને નાનીમોટી હૅલ્પ કરતા રહેવું. પછી હસીને કહેતાં, લૉ આ તમારો પ્રેમપત્ર, આજે જ આવ્યો. એમ લૅણાદૅણીનો પણ મીઠો સમ્બન્ધ ઊભો થયેલો.

પણ એ સમ્બન્ધ વિકસે એ પહેલાં બીજે વર્ષે તેઓ અમદાવાદ ચાલી ગયેલા. મેં જ્યારે સાંભળેલું કે તેમનું મૃત્યુ અ-સહજ હતું, મન ખિન્ન થઇ ગયેલું. 

પ્રિન્સિપાલ બદલાઇ ગયેલા ને તેથી એકડો નવેસર ઘૂંટવાનો વારો આવેલો. કેમ કે એ તો કારણ વગરના ચીકણા હતા. વળી, સાહેબગીરીના શોખીન તે વાતે વાતે અમને બધાને મૅમા આપે. લખ્યું હોય : બે દિવસમાં ખુલાસાવાર જવાબ કરજો : એમણે મને પણ મૅમો આપેલો. કારણ શું? એ કે – તમે રવિવારે ધોરાજીના વિદ્યાર્થીને ત્યાં ગયા તે ઠીક ન કર્યું. વિદ્યાર્થીની બીહેવીયર સારી નથી. હું એકલો તો ગયો ન્હૉતો, બેત્રણ બીજા અધ્યાપકો પણ હતા ! અને વિદ્યાર્થી તો બાપડો એના ખેતરે અમને મગફળી ને ગૉળ ખાવા લઇ ગયેલો. મને યાદ છે, એણે સૌરાષ્ટ્રની ઢબના અડદિયા પણ ખવરાવેલા. આખો વખત મૅમાનું કાગળિયું જોયા કરું. મન મારું બેચૅન થઇ ગયેલું.

પરન્તુ સદ્ભાગ્યે એ વર્ષે બે નવા અધ્યાપકમિત્રો જોડાયેલા – પૂરા કાઠિયાવાડી જણ. મને ક્હૅ, એમાં શું ! મામાને સીધો કરશું. જો કે એ વાતે હું વળી ફફડતો’તો. 

સારું હતું કે સામે ઑઇલમિલ હતી ને પિલાતી મગફળીની સોડમ રાતદિવસ આવ્યા કરતી’તી. મોટી બારીમાંથી ચન્દ્ર જોઉં એટલે મન પ્રસન્ન થઇ જતું. બાજુમાં વેપારી રહેતા’તા. ક્હૅતા – સુમનભાઇ, આ તેલનો ડબ્બો હાલ ત્રીસમાં મળે છે ઇ એક દી ત્રન્સોમાં મળતો થૈ જસે. એમને ક્યાં ખબર હતી કે ડબ્બો તો ઉત્તરોત્તર વધીને ચાર આંકડાનો થઇ જવાનો’તો !

ચાલની બાજુમાં મગફળીનો ખુલ્લો ભંડાર હતો. એ તરફ ભીંતે કોટે કોટે ચાલતા જવાય ને ત્યાં બેસીને મગફળી જેટલી ખાવી હોય એટલી ખવાય. ઘરે લઇ જવાની ચોખ્ખી મનાઇ. રસ્તા પર થોડે આઘે એક ફાફડાવાળો હતો. ગરમાગરમ ઉતારતો હોય. કાચી મગફળીથી મારું માથું ચડતું ને ફાફડા જોડેનાં મરચાં હું કદીક જ ખાઇ શકતો.

ત્યારે ઉપલેટામાં એક ભારે ભડ વકીલ હતા. ગામ આખાના પ્રશ્નો જાણે ને ઉકેલે. લોક પણ એમની પાસે દોડ્યું જાય. અધિકારીઓ એમનાથી બીવે. એક રવિવારે મારે ત્યાં અમે મિત્રો ફાફડાભોજન કરતા’તા, અમારામાંથી કોઇએ બારીમાંથી જોયું તો વકીલ જતા’તા. મને ક્હૅ, વકીલ જાય છે, બોલાવો બોલાવો. મેં બોલાવ્યા. એ આવ્યા. વકીલ પૂછે, પ્રિન્સિપાલને ફાફડા ખાવા – ? આમ હોય કૈં? બોલાવો એમને !

બોલાવ્યા તો વકીલનું નામ સાંભળીને પ્રિન્સિપાલ ઝટ આવ્યા. બેઠા. ફાફડો ખાતા’તા એ દરમ્યાન મહા સંકટકારક બનાવ શરૂ થયો.

વકીલે સ-સ્મિત પ્રિન્સિપાલના ખિસ્સાની પેન કાઢી, ખોલી ને ઊંધી કરીને શાહીને ફ્લોર પર ઢોળી દીધી – ક્હૅ, આજ પછી કોઇને મૅમા આપસો ને સાયેબ, તો ઉપલેટે રહૅવાસે નૈં, હમજ્યા ! સોપો પડી ગયો. પ્રિન્સિપાલ મૉં ચડાવીને જતા રહ્યા. વકીલ પણ – તમે લોકો નિરાંત રાખો, હું બેઠો છું, કહીને નીકળી ગયા. મિત્રો પણ વેરવિખેર થઇ ગયા. હું ને રશ્મીતા શિયાવિયા. અમને થાય, આ શું બની ગયું આપણે ત્યાં.

શાઇ તો મેં લૂછી નાખેલી પણ બીજે દિવસે સવારે અમને બધાને તાજા મૅમા મળેલા. લખેલું, પ્રિન્સિપાલનું અપમાન કરવાનું પૂર્વાયોજન, મુખ્ય જવાબદાર છે, સુમન શાહ, પગલાં લેવાશે. કૉપી ઍડમિનિસ્ટરને ફોરવર્ડ કરેલી.

ત્યારે કૉલેજ ઉપલેટા મ્યુનિસિપાલિટી ચલાવે પણ અનેક કારણોસર સુપરસીડ થયેલી એટલે ઍડમિનિસ્ટ્રેટ ફાઇનલ ઑથોરિટી હતા. પગલાં તો એ કે – છૂટા કરવામાં આવશે. કેમ કે પ્રિન્સિપાલે હઠ પકડેલી – કાં આ બધા નહીં, કાં હું નહીં.

કાઠિયાવાડી બન્ને બળિયા મિત્રો બાતમી મેળવી લાવ્યા – આપણને બધાને છૂટા કરવાની નોટીસો ટાઇપ થઇ ગઇ છે. પણ બન્ને કહે – ગભરાશો નહીં, અમે બિલકુલ એની વાંહે લાગેલા છીએ.

વાત એમ હતી કે ઍડમિનિસ્ટ્રેટરની દીકરી કૉલેજમાં ભણતી’તી, રશ્મીતા એને જાણે. એને કાને વાત નાખી એટલે, વગેરે લાંબી વાર્તા છે પણ ટૂંકમાં કહું કે, ઍડમિનિસ્ટ્રેટરના ઘરે અમને સૌને બોલાવાયા. મીટિન્ગ ગોઠવાણી. અમે પાથરણા પર નીચે બેઠેલા. એઓ ખુરશી પર.

બધાને એક પછી એક ખુલાસા કરવા કહ્યું. છેલ્લો સવાલ મને કરવામાં આવ્યો : તમારા ઘરે પ્રિન્સિપાલ જેવા પ્રિન્સિપાલ જોડે આવો અઘટિત બનાવ બન્યો, તમારે શું કહેવાનું છે? મેં કહ્યું – સર, જે થયું તે ખોટું થયું છે. મારે ત્યાં થયું એ માટે હું ખરેખર દિલગીર છું. પણ એક વાત નક્કી કહું કે એ માત્ર અકસ્માત હતો.

ત્યાં પેલા મિત્રોએ કહ્યું – અમને છૂટા કરાતા હોય તો ભલે કરો, પણ સાહેબ, પ્રિન્સિપાલે બીજી કૉલેજમાં ઑર્ડર મેળવેલો છે, એમના વતનમાં, આપડી કૉલેજ છોડી જવાના છે. ઍડમિનિસ્ટ્રેટરે કહ્યું, એમ છે? ભલે. તમે જઇ શકો છો.

એમણે પૂરેપૂરી માહિતી મેળવીને ખાતરી કરેલી ને અમારી નોટિસો રદ કરેલી. મને કહેવામાં આવેલું – તમને પ્રિન્સિપાલ બનાવીએ. પણ મારે બનવું ન્હૉતું. પ્રોફેસર રહેવું’તું. કપડવણજ અને ડાકોરના બે-બે ઑર્ડર છેક ફેબ્રુઆરીથી મારા હાથમાં હતા. મારે તો વહેલી તકે ‘ગુજરાત’ જવું’તું. કોઈ અમદાવાદ તરફ જાય તો એ લોકો ક્હૅતા – ગુજરાત જવાના, નૈં…

ડાકોરને બદલે હું કપડવણજ ગયો. કપડવણજમાં પહેલી વાર કામૂની નવલકથા ‘આઉટસાઇડર’ વાંચી ને નાયક મ્યરસોંને એમ કહેતાં સાંભળ્યો કે – આરબની હત્યા કરવાનો પોતાનો આશય ન્હૉતો, એ તો તડકાને કારણે થયેલું – બીકૉઝ ઑફ ધ સન. ત્યારે મને ઉપલેટાવાળો પ્રિન્સિપાલના અપમાનનો બનાવ યાદ આવી ગયેલો. મારે પણ એવું જ કંઇક કહેવું હતું કે – એવો મારો ઇરાદો ન્હૉતો, એ તો ફાફડાને કારણે બનેલું …

જો કે એ બુઝુર્ગ મનુષ્યની છબિ જ્યારે જ્યારે ચિત્તમાં જાગે છે ત્યારે ત્યારે મને દિલસોજી થાય છે ને એમ પણ થાય છે કે એમ ન થયું હોત તો સારું થાત.

(ક્રમશ:)

= = =

(November 24, 2021: Ahmedabad)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

...102030...1,6821,6831,6841,685...1,6901,7001,710...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved