Opinion Magazine
Number of visits: 9674299
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વૃક્ષોની તદ્દન અવિચારી છટણી : ગુજરાતી સાહિત્ય પરિષદમાં …

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|22 January 2022

આજે પંદરેક દિવસ બાદ અમદાવાદના ‘ગ્રંથવિહાર’ પુસ્તક ભંડારમાંથી પુસ્તકો લેવા ગુજરાતી સાહિત્ય પરિષદના પરિસરમાં ગયો. એ વખતે ચોંકી ગયો કે પરિષદના સંકુલના ઓછાંમાં ઓછાં આઠેક વૃક્ષોની બહુ જ ખરાબ રીતે છટણી કરવામાં આવી છે. આ પોસ્ટ સાથે મૂકેલ ફોટો કોલાજ કદાચ તેનો પૂરો અંદાજ ન પણ આપી શકે. પણ પરિષદ પરિસર સાથે પરિચિત સાહિત્યકારો અને સાહિત્યરસિકોને એનો ખ્યાલ આવી શકે.

પરિષદમાં ઘણાં વર્ષોથી આવતાં-જતાં વ્યક્તિ તરીકે મેં પહેલાં થોડાંક જ ઝાડ હોય એવા આ સંકુલને સરસ હરિયાળું થતું જોયું છે. નદીકાંઠો પરિષદને બિલકુલ અડીને હતો ત્યારે અને રિવરફ્રન્ટ બની ગયાં પછી, બંને સમયે બદલાતી મોસમો પરિષદનાં આંગણાંમાં જોઈ છે.

પરિષદના પૂર્વ નિયામક અને વાર્તાકાર રમેશ ર. દવેએ લાગણી, મહેનત અને સમજથી પરિષદનાં પ્રાંગણમાં જાતભાતનાં છોડ વાવ્યાં હતાં. તેમને ઝાડ તરીકે મોટાં થતાં જોયાં છે. કેટલાંક તો પહેલેથી હતાં. પરિષદનાં નદી તરફના ખુલ્લાં પ્રાંગણમાં માટી ઠીક પ્રમાણમાં જળવાઈ છે. રમેશભાઈની સાથે, મારી છાપ પ્રમાણે, રાજેન્દ્રભાઈ પટેલનો પણ પ્રાંગણને – અત્યારની ભાષામાં કહીએ તો – લૅન્ડસ્કેપને રળિયામણું બનાવવામાં ફાળો હતો. વૃક્ષો, હરિયાળી (અને એક સમયે તો પરિષદના પાછલા છેડે આવતાં નદીકાંઠાને કારણે) પરિષદના મકાનના સ્થાપત્યનું ભારેખમપણું  ઢંકાઈ જાય છે.

આજે આ લખું છું ત્યારે તાજેતરમાં થયેલી ઝાડ-કટાઈને કારણે પ્રાંગણ સાવ સૂકુંભઠ્ઠ થયું છે એવી અતિશયોક્તિ નહીં કરું. પણ એ તો કહીશ જ કે વૃક્ષોને ઘણું જ નુકસાન થયું છે. ઝાડનાં કપાઈ ગયેલાં થડ પીડાકારક છે. એનો કદાચ જોવાથી જ ખ્યાલ આવી શકે.

મને ઘણાં સવાલો થયા. એમ થયું કે જેની સાથે સંવેદનશીલ, પ્રબુદ્ધ માણસો જોડાયેલાં હોય તેવી આ સંસ્થામાં વૃક્ષોની આ કઈ રીતે બન્યું હશે ? વૃક્ષતોડ રાત્રે થઈ હશે ? રજાને દિવસે થઈ હશે ?

વૃક્ષોને માત્ર છાટવાનું, અથવા ટ્રિમિન્ગ કરવાનું કહેવામાં આવ્યું હશે અને તે ખરાબ રીતે કાપવામાં આવ્યાં હશે ? ટ્રિમિન્ગ માટેની કોઈ શરતો અને તે કામનું સુપરવિઝન નહીં હોય ? ટ્રિમિન્ગની સાથે ઝાડનું સંતુલન, પક્ષીઓનાં માળા, પાંદડાં ફૂટવાની મોસમ, બાગકામની સમજ જેવી ઘણી બધી બાબતો સંકળાયેલી છે, એનો કાપનારને, ટ્રિમિન્ગનો નિર્ણય લેનારને, તેનો અમલ કરાવનારને ખ્યાલ નહીં હોય ?

આમ તો ઝાડને પ્રત્યક્ષ કાપનાર વ્યક્તિ વગદાર હશે એટલે ભર શહેરમાંથી આવી રીતે વૃક્ષોનાં મોટાં થડ કાપીને લઈ જઈ શકે. નાના કઠિયારાઓને તો પોલીસ રોકતી/કનડતી હોય છે. આ ઝાડ આઠ-દસ દિવસો પહેલાં કપાયાં એવી મારી માહિતી સાચી હોય, તો એ પછીના દિવસોમાં કોઈએ પરિષદ સાથે કે અન્યત્ર આ અંગે કંઈ વાત કરી હશે ?

એ પણ સવાલ થાય કે એકંદર સાહિત્યકાર વર્ગ માટે વૃક્ષવનસ્પતિ અને પ્રકૃતિ માત્ર કવિતાઓ કે લલિત નિબંધો લખવા માટે જ છે ? એનાથી આગળ કશું નહીં ? કોઈને બંધબેસતી પાઘડી પહેરવી – પહેરાવવી હોય તો ભલે, પણ મારો કોઈ એવો વ્યક્તિલક્ષી ઇરાદો નથી.

દર્શકને ખેતી શીખવનાર અને ‘વાડી પરનાં વહાલાં’ પુસ્તક  લખનાર આપનાર ઇસ્માઇલભાઈ નાગોરીને ક્યાં મૂકશું ? ‘શુડ ગુડ પોએટ મસ્ટ બી અ ગુડ પર્સન ?’  એવી ચર્ચા  કે ‘‘દર્શક’ અને મનુભાઈ બંને જુદાં છે, દર્શક થવું કંઈ રેઢું પડ્યું છે ?’ એ મતલબની મનુભાઈ પંચોળીએ કહેલી વાત યાદ કરવાની થાય. પર્યાવરણ રક્ષણ-સંવર્ધનનાં ઉપક્રમો, તેના માટેની લડતો સાથે ઘનિષ્ઠ અને સક્રિય રીતે સંકળાયેલા સાહિત્યકારો આપણે ત્યાં અને બીજે ખરા? કે એમનું કામ માત્ર લખવાનું ? કે એવી અપેક્ષા જ ન રાખી શકાય ? પરિષદમાં કપાયેલાં વૃક્ષોની બાબતે હવે શું કરી શકાય ?

બી.બી.સી.ગુજરાતીમાં 5 જૂન 2021ના રોજ પત્રકાર અર્જુન પરમારે એવી સ્ટોરી કરી છે કે ‘મોદી સરકારમાં પાછલાં પાંચ વર્ષમાં ‘વિકાસ’ના નામે દર મિનિટે ચાર વૃક્ષ કપાયાં’. હમણાં ઉત્તરાયણનાં જ છાપાંમાં સમાચાર હતા કે ભારતના ‘સ્ટેટ ઑફ ફૉરેસ્ટ રિપોર્ટ 2021’ પ્રમાણે ગુજરાતમાં ગયાં બે વર્ષમાં ફૉરેસ્ટ કવરમાં 1,423 ચોરસ કિલોમીટરનો ઘટાડો નોંધાયો છે, અને દેશનાં સાત મેગા-સિટીઝમાં સહુથી વધુ ઝાડ અમદાવાદમાં કપાયાં છે. સ્ટૅચ્યૂ ઓફ યુનિટી માટે વર્ષો જૂનાં વડ સાથેનાં સંખ્યાબંધ વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું.

એટલે કોઈને એવો પણ સવાલ થાય કે આટલી બધી જગ્યાએ આટલાં બધાં ઝાડ કપાય છે, (આટલા બધા માણસો મરે છે) ત્યાં નહીં, પણ  આ માણસ પરિષદનાં થોડાંક ઝાડની બાબતમાં જ કેમ કચકચ કરે છે ? એનાથી મૃદુહૃદયી સાહિત્યકારોની લાગણી કેટલી બધી દુભાશે ? આ અરણ્યરુદનનો શો અર્થ ?

21 જાન્યુઆરી 2022

તસવીર કોલાજ : નીતિન કાપૂરે

સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

ચલ મન મુંબઈ નગરી—129

દીપક મહેતા|Opinion - Opinion|22 January 2022

સ્પોકન વર્ડના બેતાજ બાદશાહ ગિજુભાઈ વ્યાસ

નોકરીને છેલ્લે દિવસે સરકારી મોટરને બદલે ઓટોરિક્ષામાંથી ઊતર્યા ગિજુભાઈ

ખુલાસો સાંભળતાં વેંત ઇન્દિરા ગાંધીએ કહ્યું : ફરગેટ ઇટ

બુધવાર, ૧૯૮૦ના એપ્રિલ મહિનાનો છેલ્લો દિવસ. સરકારી રહેઠાણોના વિસ્તારમાં આવેલો એક આલિશાન બંગલો. અમે પાંચ-સાત મિત્રો તે દિવસે સાંજે ત્યાં ભેગાં થયેલાં. રોજ સાંજે સફેદ ચકચકતી એમ્બેસડર મોટર આવીને પોર્ચમાં ઊભી રહે. શોફર ઉતરીને મોટરનું બારણું ખોલે અને સૂટેડ-બૂટેડ સાહેબ ઊતરે. સફેદ યુનિફોર્મ પર લાલ મોટા પટ્ટાવાળો ‘ચોપદાર’ સાહેબની પાછળ ઊતરે. એના હાથમાં હોય સાહેબની કાળી બ્રીફકેસ. એક નક્કી કરેલી જગ્યાએ એ મૂકીને નમનતાઈથી ઊભો રહે. સાહેબ ઈશારો કરે એટલે સલામ કરી ચાલતો થાય.

આ બંગલો મુંબઈનો નહિ, દિલ્હીનો. દેશના DGDDનો બંગલો. એટલે કે ડિરેક્ટર જનરલ, દૂરદર્શનનો. પણ એ સાંજે અમે જે જોયું તે જોઈ બે ઘડી તો ડઘાઈ ગયાં. સફેદ સરકારી મોટરને બદલે એક કાળી ઓટોરિક્ષા આવીને ઊભી રહી. એમાંથી ઊતર્યા ગિરજાશંકર વ્યાસ. એ સાંજે જ સરકારી હોદ્દા પરથી નિવૃત્ત થયેલા. સરકારી નિયમ પ્રમાણે તો એ સાંજે સરકારી મોટર એમને ઘરે મૂકવા આવે. બીજા દિવસથી બંધ. પણ વ્યાસસાહેબે વિચાર્યું કે આવતી કાલથી તો સરકારી મોટર નથી જ આવવાની. તો આજની સાંજથી જ ઓટોરિક્ષાની ટેવ કેમ ન પાડવી? ૧૯૪૩માં ઓલ ઇન્ડિયા રેડિયોના મુંબઈ સ્ટેશન પર ટ્રાન્સમિશન અસિસ્ટન્ટ તરીકે જોડાયા ત્યારે તો ઘરથી રેડિયો સ્ટેશન ચાલતા જતા જ ને, બસ-ટ્રામની ટિકિટના પૈસા બચાવવા. હવે બીજું કાંઈ નહિ તો ય રિક્ષા તો પોસાય એમ છે.

ગિજુભાઈ વ્યાસ

ટ્રાન્સમિશન અસિસ્ટન્ટ એટલે રેડિયોની નોકરીની નિસરણીનું લગભગ સૌથી નીચેનું પગથિયું. આપબળે ‘મારે એક ડગલું બસ થાય’ કરતાં નિસરણી ચડીને સર્વોચ્ચ પદે પહોંચ્યા. ટેલીવિઝનની શરૂઆત થઈ ત્યારે રેડિયો અને ટેલીવિઝન જોડાયેલા હતા. પછી ટેલીવિઝન – દૂરદર્શન – અલગ થયું. તેના પહેલવહેલા ગુજરાતી ડિરેક્ટર જનરલ તે ગિરજાશંકરભાઈ. એ વખતે સરકારી દૂરદર્શન એ એકમાત્ર ટીવી ચેનલ. બીજી ખાનગી અને પરદેશી ચેનલોને હજી સરકારે દેશમાં છૂટ આપી નહોતી. એટલે દૂરદર્શન અને એના વડાનો દબદબો અને મોભો ઘણો. પણ સાપ કાંચળી ઉતારે તેમ એ બધું ઉતારીને એ સાંજે ગિરજાશંકરભાઈ આમઆદમી બની ઓટોરિક્ષામાં ઘરે આવ્યા. આ ગિરજાશંકરભાઈ એટલે બીજું કોઈ નહિ પણ સ્પોકન વર્ડના બેતાજ બાદશાહ ગિજુભાઈ વ્યાસ.

૧૯૨૨ના એપ્રિલની ૨૩મી તારીખે જન્મ. એ જમાનાના માણસનો જન્મ કાં બ્રિટિશ ઇન્ડિયામાં થયો હોય, કાં કોઈ દેશી રજવાડામાં. પણ ગિજુભાઈનો જન્મ આ બેમાંથી એકેમાં નહિ! તો? એ વખતે જ્યાં પોર્ટુગીઝ સરકારનું રાજ હતું તે દીવ બંદરે તેમનો જન્મ. એટલે એમનું બર્થ સર્ટિફિકેટ પણ પોર્ટુગીઝમાં, અને એમાં નામ લખેલું ગિરજાશંકર. પણ પછી કુટુંબ મુંબઈ આવ્યું. ગિજુભાઈ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણી બી.એ. થયા. આગળ ભણવાની હોંશ હતી. પણ એ જ વખતે પિતાને ધંધામાં ભારે ખોટ ગઈ. પોતાનાં આશા-અરમાનનો વીંટો વાળીને ગિજુભાઈએ લીધી નોકરી, ‘માતૃભૂમિ’ નામના ગુજરાતી અખબારમાં. પગાર રોજનો રૂપિયા બે! રજાના દિવસનો પગાર નહિ! પણ થોડા વખત પછી શેઠ-તંત્રી સાથે ઝગડો થતાં ઘણા પત્રકારો એક સાથે છૂટા થયા. નોકરી છોડી ગિજુભાઈ સીધા ગયા રેડિયો સ્ટેશન પર ચંદ્રવદન મહેતા પાસે. સી.સી. પહેલાં તો એમને નજીકની એમ.જી. કાફેમાં લઈ ગયા. બંને જમ્યા. એ જ રાતે સી.સી.નું નાટક ‘મહાકાલ રાત્રી’ રેડિયો પર ભજવાયું તેમાં ગિજુભાઈએ ભાગ લીધો. તેના મળ્યા રોકડા રૂપિયા પાંચ. બીજી નોકરી શામળદાસ ગાંધીના ‘વન્દેમાતરમ્’ દૈનિકમાં.

વિક્ટર પરનજોતિ

પછી ૧૯૪૩માં જોડાયા ઓલ ઇન્ડિયા રેડિયોના મુંબઈ સ્ટેશન પર ટ્રાન્સમિશન અસિસ્ટન્ટ તરીકે. ૧૯૪૮ના જાન્યુઆરીની ૩૦મીની સાંજ. ગિજુભાઈ રેડિયોની ફરજ પર. ત્યાં એક ઓળખીતા વેપારીનો ફોન. ગાંધીજીની હત્યાના સમાચાર આપ્યા. ગિજુભાઈ રીતસર દોડતા ગયા સ્ટેશન ડિરેક્ટર વિક્ટર પરનજોતિના ઘરે. પછીથી પરનજોતિએ નોકરી છોડી વેસ્ટર્ન મ્યુઝિકના ક્ષેત્રે ઘણી નામના મેળવેલી. પહેલેથી જ સરકારે એવી ગોઠવણ કરેલી કે જે મકાનમાં રેડિયોનાં ઓફિસ-સ્ટુડિયો આવેલાં એ જ મકાનમાં સ્ટેશન ડિરેક્ટરનો ફ્લેટ. બધી વાત સાંભળીને સાહેબે પૂછ્યું : ‘અત્યારે કયા કાર્યક્રમ ચાલે છે?’ ‘એ ચેનલ પર ઉર્દૂમાં બાળકો માટેનો કાર્યક્રમ, બી ચેનલ પર કન્નડમાં સમાચાર શરૂ થવાની તૈયારીમાં છે.’ ‘બંને પ્રોગ્રામ રોકીને સમાચાર ફ્લેશ કરો.’ કર્યા ગિજુભાઈએ. પણ શાબાશીને બદલે દિલ્હીના સાહેબો તો રાતાચોળ! દિલ્હી સ્ટેશન કરતાં પહેલાં તમે કેમ સમાચાર આપી દીધા? લાગતાવળગતાને ઠપકો, અને સાથે તાકીદ કે હવે પછી આવી ભૂલ ફરી થશે તો …

શ્રીમતી ઇન્દિરા ગાંધી વડા પ્રધાન હતાં તે વખતની બે વાત, ગિજુભાઈએ કહેલી : પંડિત જવાહરલાલ નેહરુના અવસાન પછી રેડિયોનાં બધાં કેન્દ્રો પરથી તેમનાં પુસ્તકોમાંથી પઠનનો કાર્યક્રમ શરૂ થયેલો. એ વખતે ગિજુભાઈ અમદાવાદના સ્ટેશન ડિરેક્ટર. પઠનની જવાબદારી પણ પોતે જ સંભાળી. કોઈ અદકપાંસળી પત્રકારે ઈન્દિરાજીને ફરિયાદ કરી કે આ કાર્યક્રમમાં તો નેહરુના અવાજની નકલ કરી તેમના ચાળા પાડવામાં આવે છે! થોડા દિવસ પછી કોઈ કારણસર ઈન્દિરાજીની અમદાવાદની મુલાકાત નક્કી થઈ. એ વખતે ગિજુભાઈ રજા લઈને મુંબઈ આવેલા. કોઈ મિત્રે ખબર પહોંચાડ્યા એટલે તરત પાછા અમદાવાદ. ઈન્દિરાજી રેડિયો સ્ટેશનની મુલાકાતે આવ્યાં ત્યારે તો વાત કરવાની તક મળી નહિ. બીજે દિવસે હતું બેસતું વરસ. ત્યારે એવો રિવાજ કે રાજ્ય અને કેન્દ્ર સરકારના બધા ઉચ્ચ અધિકારીઓનું સ્નેહમિલન મુખ્ય મંત્રીને ઘરે સવારે યોજાય. તેમાં ઈન્દિરાજી પણ હાજર. ગિજુભાઈએ વાત કરવાની તક મેળવી લીધી. પણ હજી તો અડધી વાત સાંભળી ત્યાં જ ઈન્દિરાજી બોલ્યાં : ‘મિસ્ટર વ્યાસ, ફરગેટ ઇટ.

’

ઓલ ઇન્ડિયા રેડિયો – આકાશવાણીનો લોગો

એક વખત કોઈ અતિ ઉત્સાહી અમલદારને વિચાર આવ્યો કે ઓલ ઇન્ડિયા રેડિયોનો સિગ્નેચર ટયૂન બહુ જૂનો થઈ ગયો છે. વળી એમાં પશ્ચિમી સંગીતની અસર છે. એટલે ભારતીય સંગીત પર આધારિત નવો ટયૂન બનાવી વાપરવો જોઈએ. આવો ટયૂન બનાવવા માટે પંડિત રવિશંકર કરતાં વધુ યોગ્ય વ્યક્તિ બીજી કોણ હોઈ શકે? પંડિતજી સાથે વાટાઘાટ થઈ. તેમણે વાત સ્વીકારી, પણ કહ્યું કે મહેબૂબ સ્ટુડિયો બૂક કરો તો ત્યાં રેકોર્ડિંગ કરીએ, કોઈ રેડિયો સ્ટેશન પર નહિ. ‘સારે જહાં સે અચ્છા’ પર આધારિત નવો ટયૂન તૈયાર થયો. નવા અને જૂના ટયૂનનું રેકોર્ડિંગ ઇન્દિરાજીને મોકલાયું, તેમની મંજૂરી માટે. બંને સાંભળ્યા પછી ઈન્દિરાજીએ કહ્યું : ‘પંડિત રવિશંકરે બનાવેલો ટયૂન ઉત્તમ જ છે. પણ જૂનો ટયૂન એ આકાશવાણીની ઓળખ બની ગયો છે. હું નાનપણથી એ જ સાંભળતી આવી છું. દેશ-પરદેશમાં એ સાંભળતાં જ સૌ સમજી જાય છે કે આ ઓલ ઇન્ડિયા રેડિયોનું કોઈ સ્ટેશન છે. એટલે એ તો બદલાય નહિ. પંડિત રવિશંકરે તૈયાર કરેલો ટયૂન હવેથી દૂરદર્શને વાપરવો.

બીજી એક વાત : ગિજુભાઈ દૂરદર્શનના ડિરેક્ટર જનરલ નિમાયા ત્યારે કેટલાક લોકોમાં ગૂસપૂસ ચાલેલી કે એ તો ગુજરાતી વડા પ્રધાનની મહેરબાનીનું પરિણામ! પણ હકીકત હતી સાવ ઊલટી. કેબિનેટ કમિટી સુધીનાં બધાં પગથિયે ગિજુભાઈના નામની ભલામણ થયેલી. પણ વડા પ્રધાન મોરારજીભાઈએ ભલામણ રોકીને આકાશવાણી અને દૂરદર્શનના ડિરેક્ટર જનરલનો વધારાનો કાર્યભાર ઉપાડવા માહિતી મંત્રાલયના સેક્રેટરીને જણાવ્યું!

પણ પછી મોરારજીભાઈ ગયા અને ચૌધરી ચરણસિંહ વડા પ્રધાન થયા. હવે, એવો રિવાજ કે દરેક ખાતાના સર્વોચ્ચ અધિકારી નવા વડા પ્રધાનને મળવા આવીને પોતાના વિભાગની કામગીરીનો પરિચય આપે. બે-ત્રણ દિવસ પછી ચૌધરી ચરણસિંહે પોતાના સેક્રેટરીને પૂછ્યું : ‘બીજા બધા મળવા આવી ગયા, રેડિયો અને ટેલીવિઝનમાંથી કોઈ આવ્યું નથી, એમ કેમ?’ સેક્રેટરી કહે કે ‘ત્યાં કોઈ વડાની નિમણૂંક જ થઈ નથી.’ ‘તો કામ કેવી રીતે ચાલે છે?’ ‘માહિતી ખાતાના સેક્રેટરી પાસે વધારાનો ચાર્જ છે.’ ‘તો હમણાં જ બોલાવો એમને.’ આવ્યા એટલે પૂછ્યું : ‘આવાં ત્રણ ત્રણ મોટાં મહેકમનાં કામ એકલે હાથે કઈ રીતે કરો છો?’ ‘ના, ના. રેડિયો અને ટીવીનું કામ તો ત્યાંના બે સિનિયર અધિકારીઓ સંભાળે છે. હું તો કોક વાર આંટો મારું છું.’ વડા પ્રધાને તરત પોતાના સેક્રેટરીને પૂછ્યું : ‘આવી બે મહત્ત્વની જગ્યાએ કોઈની નિમણૂંક કેમ કરી નથી?’ ‘બીજી બધી પ્રક્રિયા તો પૂરી થઈ ગઈ છે, પણ આગલા વડા પ્રધાને ફાઈલ પર સહી કરી નહિ એટલે …’ ‘લાવો અત્યારે જ એ ફાઈલ.’ અને ચૌધરી ચરણસિંહે સહી કરી અને ગિજુભાઈ બન્યા DGDD.

દૂરદર્શનને ૬૦ વરસ પૂરાં થયાં ત્યારે બહાર પડેલી ટપાલ ટિકિટ

બ્રોડકાસ્ટિંગ ક્ષેત્રે ગિજુભાઇના ફ્રેન્ડ, ફિલોસોફર, ગાઈડ જેવા ચંદ્રવદન મહેતાએ કહ્યું છે : ‘પ્રોગ્રામ આસિસ્ટન્ટથી શરૂ કરનારા કૈંક ગુજરાતી ભાઈઓ આવી ગયા, એમાં એક ગિજુભાઈ વ્યાસ. ધીમે ધીમે આ માધ્યમને પૂરેપૂરું સમજી તો લીધું, પણ સાથે સુશીલ, શાંત સ્વભાવને કારણે ડાયરેક્ટર જનરલનો હોદ્દો પણ સર કર્યો. એમાં એની કૂનેહ, ઝીણી સમજદારી, બધા સાથે સમભાવપૂર્વક વર્તન, એવા એવા સ્વભાવનાં કેટલાંક સુંદર તત્ત્વો એમનામાં વિકસ્યાં, અને એમને પણ કામ લાગ્યાં. પ્રોગ્રામ આસિસ્ટન્ટથી ડાયરેક્ટર જનરલની ખુરસી પર બેસે નહિ એ પહેલાં ગુજરાતી એમ પાયરી ચઢવામાં એમની સામે હરીફાઈ, ઈર્ષા, બીજાની લાગવગો નથી નડયાં એમ નથી. ઘણા અંતરાયો આવ્યા, પણ એમણે ધીરજથી પસાર કર્યા. એક નાના પદથી સૌથી મોટા ઉચ્ચ શિખરના પદ પર પહોંચનારા એક ગુજરાતી તરીકે ગિજુભાઈને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે.’

*

ખાસ નોંધ :

આ લખનારે ૧૯૯૪માં આકાશવાણીના મુંબઈ કેન્દ્ર માટે ગિજુભાઈની લગભગ છ કલાક લાંબી મુલાકાત રેકોર્ડ કરી હતી. ત્રણ શનિવારે થયેલા રેકોર્ડિંગને બાર ભાગમાં વહેંચીને આકાશવાણી મુંબઈએ પોતાની યુટ્યૂબ ચેનલ પર મૂકી છે. એ જોવાથી ગિજુભાઈ વિષેની બીજી ઘણી રસપ્રદ વાતો જાણવા મળશે.

e.mail : deepakbmehta@gmail.com 

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 22 જાન્યુઆરી 2022

Loading

વિવેક ટીકા માટે જરૂરી છે એટલો જ પ્રશંસા માટે પણ જરૂરી છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|21 January 2022

એક ટપોરીએ જમીન દલાલને માર મારીને ધમકી આપી કે 48 કલાકમાં તને પૂરો કરી નાખીશ. હું વોન્ટેડ છું, છતાં તારી સામે બેઠો છું. જામીન પર છૂટેલ ટપોરી સામે ફરિયાદ તો નોંધાઈ છે ને કાયદો કાયદાની રીતે કામ પણ કરશે, પણ કાયદાની જરા પણ શરમ ન હોય એ રીતે, ગુનેગાર હોવા છતાં આ માણસમાં બીજો ગુનો કરવાની હિંમત ક્યાંથી આવી હશે તે નથી સમજાતું. જાનથી મારી નાખવાની હિંમત સજા ભોગવી રહેલા ગુનેગારમાં આવે એ જ સૂચવે છે કે કાયદા કે સજાનો કોઈ ખોફ આ માણસમાં નથી. તે જાણે છે કે પૈસા વેરીને ય ગમે તેવા ગુનામાંથી છૂટી શકાય છે. કેટલો વિશ્વાસ હશે આ માણસને પોતાનામાં કે તે માની શકે કે કોઈ કૈં બગાડી શકે એમ નથી ! પોતાને કોઈ પૂછનાર નથી એવો અહંકાર એકાદ માણસમાં જ હોય એવું નથી. એવા લોકોથી આખો દેશ ખદબદે છે. કોઈ પણ લવારો કરવાનો સંકોચ આજકાલ ઘણાંને રહ્યો નથી તે હકીકત છે.

એમાં પણ લવારા કરવામાં રાજકારણીઓ મોખરે છે. જેમ કે, પત્રકાર પરિષદમાં જાણીતા ક્રિકેટર સિધ્ધુને ગાળ બોલાઈ જવાનો કોઈ અફસોસ નથી થયો. બીજી એક ઘટનામાં, એક વીડિયોમાં મહારાષ્ટ્રના કાઁગ્રેસ અધ્યક્ષ નાના પટોલે મરાઠીમાં કહે છે કે હું પી.એમ. મોદીને મારી શકું છું ને એમને ગાળ પણ આપી શકું છું. આ લવારો છે ને તે અક્ષમ્ય છે. પટોલેએ પોતે 30 વર્ષથી લોકસેવા કરે છે એવું કહેતાં કહેતાં મોદીને મારવાની ને ગાળ દેવાની વાત કરી છે. પોતાની વાત કરતાં મોદીની વાત પર ચડી જવાનું કોઈ જ કારણ ન હતું, પણ કાઁગ્રેસ પ્રદેશ અધ્યક્ષે મોદીને મારવાની વાત કરી છે તે નકારી શકાય એમ નથી. એમણે પાછળથી ફેરવી તોળ્યું છે કે પોતે એક સ્થાનિક ગુંડા-મોદી માટે બોલ્યા છે, વડા પ્રધાન માટે નહીં ! એ ગુંડો કોણ છે તે વાત તો બહાર આવી નથી. એકાદ ગુંડો પોલીસે પકડ્યો છે એવું પણ એમણે કહ્યું છે, પણ એ મોદી નામધારી જ છે એ અંગે કશી સ્પષ્ટતા નથી. માની લઇએ કે એવો કોઈ મોદી નામક ગુંડો ખરેખર જ છે, તો પણ મોદી વિષે બોલતી વખતે એવી સ્પષ્ટતા એમણે કરી નથી. બીજું, કે પોતાના બોલવાનો સંદર્ભ તરત જ વડા પ્રધાન સાથે જોડાઈ શકે એમ છે, તો એવું જાણવા છતાં આવો લવારો પટોલેએ કરવો જ ન જોઈએ ને ! એ ખરેખર કોઈ ગુંડા માટે બોલ્યા હોય તો પણ, પોતે કાઁગ્રેસના પ્રદેશ અધ્યક્ષ છે તો એ પદ પરથી પણ આમ કોઈને મારવાની કે ગાળ દેવાની વાત કરવાનું એમને શોભતું નથી. આમ પણ કાઁગ્રેસના શીર્ષસ્થ નેતાઓને વડા પ્રધાન માટે ‘મોતના સોદાગર’ કે ‘ચા વાળા’ જેવી ટિપ્પણીઓ કરવાનો સંકોચ નડ્યો નથી, તો કાઁગ્રેસના બીજા નેતાઓ વધુ અભદ્ર ટિપ્પણીઓ કરે તેમાં નવાઈ નથી. દેખીતું છે કે ભા.જ.પ.માં આ મામલે ભડકો થાય જ ને થયો જ ! ભા.જ.પ.ના કાર્યકરોએ 100 જગ્યાએથી પટોલે વિરુદ્ધ એફ.આઇ.આર. નોંધાવી છે. એટલું થાય તે તો સમજાય, પણ જાલનાના ભા.જ.પ. યુવા મોરચાના પ્રમુખ સુજિત જોગસે તો ત્યાં સુધીનું એલાન કર્યું કે જે કોઈ પટોલેની જીભ કાપશે તેને એક લાખનું ઈનામ મળશે. આ પટોલેના વિધાન કરતાં વધુ શરમજનક છે. એ ખરું કે પટોલેનું વિધાન કોઈ પણ રીતે ક્ષમ્ય નથી, પણ તેથી કૈં ભા.જ.પ.ને તેનો ન્યાય, જીભ કાપવામાં દેખાય તે બરાબર નથી. બહુ થાય તો પટોલે વિરુદ્ધ ફરિયાદ થઈ શકે, જે 100ની સંખ્યામાં થઈ પણ છે, પછી પણ લાખની લહાણી કરવામાં તો યુવા મોરચાના પ્રમુખની આછકલાઇ ને તુમાખી જ પ્રગટ થાય છે. કેવી રીતે આ નેતાઓ લાખ રૂપિયા ફેંકવા તૈયાર થઈ જાય છે તે નથી સમજાતું. એટલું જરૂર સમજાય છે કે રાજકીય પક્ષો પાસે વેડફવા માટે અઢળક નાણું છે ને એમ વેડફવાનો કોઈને સંકોચ પણ નથી થતો એ જ બતાવે છે કે પક્ષ કોઈ પણ હોય, વિવેક ભાગ્યે જ કોઈમાં જોવા મળે છે.

લોકશાહીમાં વિરોધને અવકાશ ન હોય તો એ લોકશાહી જ નથી. એનો અર્થ એવો પણ નહીં કે શાસકોની ગમે તેવી નિંદા માટે દરવાજા મોકળા છે. વડા પ્રધાનનો વિરોધ ભલે હોય, પણ તેની ગરિમા જોખમાય એ રીતે વર્તવાનો કોઈને અધિકાર નથી. ઝી તમિલ પરથી પ્રસારિત એક રિયાલિટી શોમાં બાળકોએ નોટબંધી પર કટાક્ષ કર્યો અને વડા પ્રધાનની તેમ જ તેમના પોષાકની મજાક ઉડાવવામાં આવી, તો કેન્દ્ર સરકારે ઝી તમિલને નોટિસ મોકલી ને અઠવાડિયામાં તેનો જવાબ માંગ્યો છે. બીજી તરફ ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથની આપત્તિજનક તસ્વીર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવા બદલ 17 વર્ષના એક કિશોરની ધરપકડ કરવામાં આવી ને આરોપીને કિશોર ન્યાયાલયમાં રજૂ કરવામાં આવ્યો ને ત્યાંથી તેને બાલ સુધાર ગૃહમાં મોકલી દેવામાં આવ્યો. આ બંને ઘટનામાં ભાગ લેનાર બાળકો છે. એવું બને કે બાળકોએ કોઈના કહેવાથી વડા પ્રધાનની મજાક ઉડાવી હોય કે મુખ્ય મંત્રીની છબી આપત્તિજનક જ હોય, પણ બાળકોની હરકતને થોડી ઉદારતાથી જોઈ શકાય, પણ તંત્રો બાળકો કરતાં ઓછા સહનશીલ પુરવાર થાય છે તે ઠીક નથી. એમ પણ લાગે છે કે શાસકો વિરુદ્ધ કોઈ બોલે નહીં એ રીતે તંત્રો સક્રિય થયાં છે. પ્રજાએ વિવેક જાળવવાનો જ છે, તે એવું કોઈ કામ ન કરી શકે જેથી શાસકોનું અપમાન થાય, એ સાથે જ શાસકોએ પણ એ ભૂલવાનું નથી કે તેનું પગલું વિરોધની ધાર બુઠ્ઠી કરી નાખે એવું ન જ હોવું જોઈએ. પ્રજાને એવું લાગવા માંડે કે તે સરમુખત્યારશાહીમાં જીવે છે તો તેવું શાસન લોકશાહીને નામે કોણ સ્વીકારશે તે પ્રશ્ન જ છે.

ઉપરના બધા જ કિસ્સાઓમાં ક્યાંક ને ક્યાંક વિવેક ચુકાયો છે. ક્યાંક વિપક્ષ કે શાસક પક્ષ વિવેક ચૂક્યો છે તો ક્યાંક પ્રજા વિવેક જાળવી શકી નથી. વારુ, આ વિવેક ટીકા કરવામાં નથી દાખવાયો તે સ્પષ્ટ છે, પણ વિવેક ટીકા કરવામાં જ ન દાખવાય એવું નથી, વિવેક પ્રશંસા કરવામાં પણ ન રહે એવું પણ બને. મધ્ય પ્રદેશના કૃષિ મંત્રી ને ભા.જ.પ.ના નેતા કમલ પટેલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ભગવાનનો અવતાર ગણાવ્યા. એમણે સોમવારે પત્રકારોને કહ્યું કે કાઁગ્રેસનો અત્યાચાર, ભ્રષ્ટાચાર, જાતિવાદ વધ્યો ને ચારે તરફ નિરાશા વ્યાપી ગઈ ત્યારે તેને ખતમ કરવા નરેન્દ્ર મોદીએ અવતાર ધારણ કર્યો. આ અગાઉ પણ હિમાચલ પ્રદેશના શહેરી વિકાસ મંત્રી સુરેશ ભારદ્વાજે મોદીને શિવનો અવતાર ગણાવ્યા હતા. રાજકોટના રમેશચંદ્ર ફેફરેએ તો પોતે જ પત્ર લખીને તેનાં સંબંધિત સચિવને જણાવ્યું હતું કે તે પોતે કલ્કિ અવતાર છે અને કોરોના તેનું જ સુદર્શન ચક્ર છે. મઝાની વાત એ છે કે આવો દાવો કરનાર રાજ્ય સરકારના ક્લાસ વન અધિકારી રહી ચૂક્યા છે. એક તરફ મોદીને ભગવાન કહેવાય છે તો બીજી તરફ રમેશચંદ્ર પોતે જ ભગવાન બની બેસે છે. જો રમેશચંદ્ર આપણને સ્વીકાર્ય ન હોય તો મોદી પણ અવતાર તરીકે ગળે ન જ ઊતરે તે દેખીતું છે. વડા પ્રધાનને પોતાનાં અવતાર કૃત્યની ખબર ન હોય તો જુદી વાત છે, પણ જો તેઓ જાણતા હોય કે ભા.જ.પ.ના જ મંત્રીઓ પોતાને અવતાર જાહેર કરી રહ્યા છે તો તેમણે આનો સખત વિરોધ કરવો જોઈએ. એમનું મૌન સંમતિમાં ન ખપવું જોઈએ. વડા પ્રધાન બરાબર જાણે છે કે પોતે કોણ છે ને કેટલાં સંઘર્ષ પછી આટલે સુધી આવ્યા છે તો તેમણે જ જાહેર કરવું જોઈએ કે પોતે અવતાર નથી અને પક્ષના નેતાઓને પણ કહેવું જોઈએ કે આ પ્રકારની વાતોનો તેઓ ફેલાવો ન કરે. એનાથી એમની માણસ તરીકેની ગરિમા જોખમાય છે.

ભા.જ.પ.ના નેતાઓએ પણ એટલું સમજી લેવું જોઈએ કે જે અવતારો થયા તેમણે પોતે અવતાર હોવાની જાહેરાત કરી નથી. કૃષ્ણે વિરાટ રૂપ લીધું ત્યારે અવતાર ધરું છું એમ કહ્યું છે, પણ પોતાને અવતારનું સર્ટિફિકેટ આપ્યું નથી. રામે કદી કહ્યું નથી કે પોતે ભગવાન છે. એ તો સમય જતાં ખબર પડે છે જગતને કે અવતાર કૃત્ય કોનું હતું ને કોણ અવતારી પુરુષ તરીકે અવતર્યો ધરતી પર! ભા.જ.પ.ના નેતાઓ એટલા મહાપુરુષો છે કે મોદીને તેમના ચાલુ કાર્યકાળમાં અવતાર હોવાનું પ્રમાણપત્ર ફાડી આપે? પોતાનાથી મોટી ને ઉચ્ચ પદે બિરાજતી વ્યક્તિ માટે માન હોય તે સમજાય, પણ નેતાઓ એટલા મહાન નથી જ કે અવતારના પ્રમાણપત્રો ફાડી આપે. આમાં ખુશામત સિવાય બીજું કૈં નથી. વડા પ્રધાને આવા મહાત્માઓથી ચેતવા જેવું છે. ઈશ્વર તો થવાય કે નયે થવાય, માણસ થવાય તો ય ઘણું છે ને જ્યાં માણસાઈ જ ખૂટતી હોય ત્યાં ભગવાન થઈને કરવાનું ય શું? આજકાલ સાધારણ થવાનું જ અસાધારણ થઈ ગયું છે એવું નથી લાગતું?

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 21 જાન્યુઆરી 2022

Loading

...102030...1,6621,6631,6641,665...1,6701,6801,690...

Search by

Opinion

  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved