Opinion Magazine
Number of visits: 9674286
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઘોલેરા મીઠા સત્યાગ્રહ [1930]

જયાબહેન શાહ|Gandhiana|24 January 2022

ધોલેરા-વિરમગામ આમ તો કાઠિયાવાડની સરહદે આવેલાં અમદાવાદ જિલ્લાનાં ગામો છે. ધોલેરા અને વિરમગામના સંગ્રામો ચલાવવામાં કાઠિયાવાડના સૈનિકો મોખરે હતા. તેમના ઉપર સંગ્રામની જવાબદારી મૂકવામાં આવી હતી. સંખ્યાની દૃષ્ટિએ જોઈએ તો સૈનિકોમાં કાઠિયાવાડી નવજુવાનોની સંખ્યા મોટી હતી. વળી તેમણે બહાદુરીપૂર્વક લડીને સંગ્રામોને સફળ બનાવ્યા હતા.

આ બંને સંગ્રામોની કસોટીઓમાંથી પાર ઊતરેલા નવજુવાનોએ કાઠિયાવાડના પ્રજાજીવનને માર્ગદર્શન પૂરું પાડ્યું. કાઠિયાવાડની નાનીમોટી લડતોમાં મોખરે રહ્યા, તેમ જ વર્ષો સુધી કાઠિયાવાડના પ્રજાજીવનને પ્રેરણા આપતા રહ્યા.

પૂર્વાર્ધ :

1929ના ડિસેમ્બરમાં લાહોરમાં કાઁગ્રેસનું અધિવેશન મળ્યું હતું ત્યારે ડિસેમ્બરની 31મીની મધરાતે, રાવી નદીને તટે કાઁગ્રેસ મહાસભાના પ્રમુખ પંડિત જવાહરલાલજીએ સ્વતંત્રતાનો ત્રિરંગી ધ્વજ ફરકાવીને મુકમ્મિલ આઝાદી − ‘પૂર્ણ સ્વરાજ’નો નાદ ગુંજતો કર્યો હતો અને મહાસભાએ પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કર્યો હતો.

ઉપરોક્ત ઠરાવ અનુસાર ગાંધીજીએ 1930ના માર્ચની 12મી તારીખે જગપ્રસિદ્ધ દાંડીકૂચ આદરીને પૂર્ણ સ્વરાજની લડતનો આરંભ કર્યો. તેની આગલી રાતે સાબરમતીની રેતીમાં એકત્ર થયેલ વિરાટ માનવમેદનીને સંબોધતાં તેમણે જણાવ્યું કે, ‘આ રાજ્ય શેતાની છે અને તેનો હું ક્ષણે ક્ષણે નાશ ઇચ્છું છું.’ આગળ ચાલતાં તેમણે જણાવ્યું કે, ‘હવે હું કાગડા કૂતરાને મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના સાબરમતી આશ્રમમાં પાછો નહીં ફરું.’ ગાંધીજીએ ચુનંદા એવા 80 સાથીઓ સાથે દાંડીકૂચનો આરંભ કર્યો, પરિણામે આખો દેશ ખળભળી ઊઠ્યો.

“સૌરાષ્ટૃ” પત્રના સંચાલક અને ‘સૌરાષ્ટૃના સિંહ’ અમૃતલાલ શેઠે ધોલેરામાં મીઠાનો સત્યાગ્રહ કરવાનું વિચાર્યું હતું. તેમાં ગાંધીજીની સંમતિ પણ મળી ચૂકી હતી.  તેના અનુસંધાને ઝવેરચંદ મેઘાણી લડતની પૂર્વ તૈયારી માટે નીકળ્યા હતા. ત્યાંથી પાછા ફરતાં બરવાળાની નદીમાં ખાદીધારી બે તેજસ્વી યુવાનોને ચર્ચા કરતા જોયા. પોતાની ગાડી થંભાવી તેમની પૂછપરછ કરી. નવજુવાનોએ જણાવ્યું કે અમે ગાંધીજીની લડતમાં જોડાવા માટે કરાંચીથી આવ્યા છીએ અને કાકાસાહેબ કાલેલકરના માર્ગદર્શન નીચે લડતમાં ઝુકાવવાના છીએ. તેમને એ નવજુવાનોને સમજાવ્યા કે તમારા જેવા સપૂતોની અહીં વધુ જરૂર છે. એમ કહીને બંને નવજુવાનોને પોતાની ગાડીમાં બેસાડી ધીધા. આ બે નવજુવાનો હતા : મોહનભાઈ મહેતા અને બીજા હતા વજુભાઈ શાહ.

સંગ્રામ માટે સૈનિકો કેમ મેળવવા તેની ચિંતામાં અમૃતલાલ શેઠ હતા. આ બંને જુવાનોએ કામ ઉપાડી લીધું. વજુભાઈએ અમરેલીમાં અભ્યાસ કરેલો, તેથી ત્યાં એમના ઘણા સંબંધો હતા. તેઓ અમરેલી પહોંચ્યા. નવ-જુવાનો કોઈના સાદની રાહ જોતા બેઠા હતા. ઝવેરચંદ મેઘાણી પણ અમરેલી ગયા અને આમ, નવજુવાનોની એક મોટી ફોજ તૈયાર થઈ. સંખ્યાબંધ નામો લખાયાં, આથી અમૃતલાલ શેઠનો ઉત્સાહ વધ્યો. આ પછી તો ગામેગામ રણશિંગાં ફૂંકાવા લાગ્યાં. મેઘાણીભાઈ, મોહનભાઈ મહેતા, વજુભાઈ શાહે ગામેગામ ફરીને પોતાની જોશીલી જબાનથી સંગ્રામનાં ગીતો ગાઈને લોકોમાં શૂરાતન પેદા કરતા રહ્યા. પરિણામે મોટી સંખ્યામાં નવજુવાનો સંગ્રામમાં જોડાવા લાગ્યા. અમેરેલી-રાજકોટ જેવાં શહેરોમાં મેટિૃકની પરીક્ષા ચાલી રહી હતી. તેમાંના કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષાઓ છોડીને સંગ્રામમાં ભરતી થઈ ગયા.

1930ની ઍપ્રિલની છઠ્ઠી તારીખે ધોલેરાની ધરતી ઉપર રણસંગ્રામ મંડાયો. હજારો લોકો આ વિરલ દૃશ્ય જોવા આવી પહોંચ્યા. લોકોએ સૈનિકોનું ભાવભર્યું સ્વાગત કર્યું. ઍપ્રિલની છઠ્ઠી તારીખના શુભ પ્રભાતે અમૃતલાલ શેઠે પોતાના હાથમાં રાષ્ટૃીય ધ્વજ ધારણ કરીને ટુકડી સાથે આગેકૂચ કરી. લોકોએ વિદાય આપી. ટુકડી દરિયાની ખાડી પાસે પહોંચી. શેઠે પોતાની મુઠ્ઠીમાં મીઠું ઉપાડ્યું. એવામાં પોલીસ હાજર થઈ ગઈ અને શેઠની ધરપકડ કરવામાં આવી. તેમની ઉપર કેસ ચલાવવામાં આવ્યો અને તેમને અઢી વર્ષની સજા થઈ.

ત્યાર બાદ, બીજી, ત્રીજી એમ ઘણી ટુકડીઓએ સવિનય કાનૂનભંગ કર્યો. આ ટુકડીઓના અનુક્રમે સરદારો હતાં : બળવંતરાય મહેતા, મણિશંકર ત્રિવેદી, ભીમજીભાઈ ‘સુશીલ’, જગજીવનદાસ નારાયણ મહેતા, દેવીબહેન પટ્ટણી, ડૉ. રતિલાલભાઈ, ગંગાબહેન ઝવેરી, વગેરે. આગેવાનોની ધરપકડ કરીને કેસ ચલાવીને સજા કરવામાં આવતી હતી.

‘મીઠું માથા સાટે સાચવવાની વસ્તુ છે ને શરીરમાં ચેતનનું છેલ્લું બિંદુ હોય ત્યાં સુધી તેને સાચવવું,’ એવી ગાંધીજીની શીખ હતી.

ધોલેરાના સૈનિકોએ ગાંધીજીની આ શીખનું વફાદારીપૂર્વક પાલન કરી બતાવ્યું. મીઠું છોડાવવા માટે પોલીસોએ સૈનિકોના હાથ ઉપર લાઠીના કૂંદા માર્યા, હાથ મચકોડ્યા, નહોર ભર્યા, છતાં સૈનિકો સામી છાતીએ મારા ખાવા તૈયાર રહ્યા.

ગાંધીજીને પોલીસોનાં આવાં હિચકારાં કૃત્યોની ખબર પહોંચી ત્યારે તેઓ ઊકળી ઊઠ્યા. તેમણે બ્રિટિશ સરકારને ચેતવણી આપી કે, ‘સરકાર કાયદેસર નહીં વર્તે તો સત્યાગ્રહીઓને આકરાં પગલાં લેવાની ફરજ પડશે.’ પણ સરકારે વિવેક ગુમાવ્યો હતો, ધરાસણા તથા વિરમગામ સંગ્રામમાં સિતમની ઝડીઓ વરસાવી રહી હતી.

ધોલેરા સંગ્રામની મુખ્ય ચાર છાવણીઓ હતી : ધોલેરા, બરવાળા, રાણપુર અને ધંધુકા. લડત આગળ ચાલતાં તેની પેટાછાવણીઓ પણ ઊભી કરવામાં આવી હતી. લડતને લોકોનો હૃદયપૂર્વકનો પૂરો સાથસહકાર હતો. બહેનો રસોઈ કરીને છાવણીમાં આવીને સૈનિકોને હેતથી જમાડી જતી. પણ કેટલીક વાર સૈનિકોને જમવાનો સમય પણ નહોતો રહેતો. પોલીસો સાથેની ખેંચાખેંચી, મીઠાના કોથળાઓ સારવા − આ બધા વખતે બબ્બે દિવસ સુધી સૈનિકો ભૂખ્યા રહીને કામ ચાલુ રાખતા. ઉપરાંત મીઠું ન છોડવા માટે માર પણ ખાતા અને દાળિયા ફાકીને ચલાવી લેતા.

29 મે 1930ની રાત્રિ અવિસ્મરણીય હતી. કાઠિયાવાડભરમાંથી સૈનિકો મીઠાની થેલી સાથે રાણપુર ઊતરવાના હતા. સરકારે રાણપુર સ્ટેશને ગાડી ન થોભે તેવી રેલવેને સૂચના આપી હતી, તેથી સૈનિકો આગલે સ્ટેશને ઊતરી ગયા. એક હજાર સૈનિકોએ એક હાથમાં રાષ્ટૃધ્વજ અને બીજા હાથમાં મીઠાની થેલી સાથે રાણપુરમાં પ્રવેશ કર્યો.

રાણપુરમાં ભારે જુલમ થશે, તેનો સામનો કરવાની અને બલિદાન આપવાની તૈયારી સાથે સૈનિકોએ કેસરિયાં કરીને ઝુકાવ્યું હતું. પણ કોણ જાણે શું થયું ?પોલીસ હઠી ગઈ. સૈનિકોએ સરઘસ કાઢ્યું. ગામે રોટલી તથા ભાતના ઢગલા કર્યા અને શાકદાળથી માટલાં ભરી દીધાં. રાણપુર ગામ જાણે હેલે ચડ્યું. રાણપુરની નદીના પટમાં રાત્રે જંગી સભા થઈ અને વિજયોત્સવ મનાવવામાં આવ્યો.

બીજે દિવસે અમલદારોએ વ્યૂહ બદલ્યો. આગેવાનોને ગિરફતાર કર્યા અને લડતને ટેકો આપનારને માર મારવાનું શરૂ કર્યું. અમૃતલાલ શેઠના મોટાભાઈ વ્રજલાલ શેઠના માથા ઉપર ત્રણ લાઠીઓ ઝીંકાઈ. તેઓ તમ્મર ખાઈને નીચે ઢળી પડ્યા ને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

14મી સપ્ટેમ્બર 1930ના રોજ બરવાળામાં સામૂહિક સવિનય કાનૂનભંગનો કાર્યક્રમ યોજાયો. સૈનિકો ગામડે ગામડે સંદેશો પહોંચાડવા નીકળી પડ્યા. કેટલાકે 50-55 માઈલની ખેપ કરી નાંખી. 13મીએ રાત્રે બરનાળામાં સભા યોજાઈ. માણસ ઊમટી પડ્યું. એક થાળીમાં પાનનાં બીડાં અને બીજી થાળીમાં બંગડીઓ મૂકીને થાળીઓ સભામાં ફેરવવામાં આવી. સભામાં એટલો ઉત્સાહ હતો કે પાનનાં બીડાં ઉઠાવવા માટે હરીફાઈ ચાલી. સૈનિકો વહેલી સવારે મીઠું લેવા ઊપડી ગયા ને પોહ ફાટતાં મીઠાની થોલીઓ સાથે બરનાળા પાછા ફર્યા. ગઢની રાંગ પાસે નદીના પટમાં પોલીસનો બેડો સજ્જ થઈને ઊભો હતો. આબાલાવૃદ્ધ સૌ ગઢની રાંગ ઉપર ચડીને શું થાય છે તે જોવા ઉત્સુક હતાં. પોલીસોએ સૈનિકોને મીઠું છોડી દેવા સમજાવ્યા પણ કોઈ માન્યું નહીં. તેથી ચારે બાજુથી પોલીસ આવી પહોંચી. તેણે સૈનિકોને ઘેરી લીધા ને તેમની પર તૂટી પડ્યા.

કેટલાંયનાં માથાં ફૂટ્યાં, લોહીની નીકો વહેવા લાગી. રાંગ ઉપરથી સ્ત્રીઓ ચિચિયારી કરી રહી હતી. ‘એ રાક્ષસો, જરા તો દયા રાખો.’ લોકોની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. ત્યાં હાજર એવા એક હરિસિંગ નામના ગરાસદારનું લોહી ઊકળી ઊઠ્યું. તે વચ્ચે કૂદી પડ્યો ને લાકડીની એક ફટકો પોલીસ અધિકારીના પગ ઉપર ઝીંકી દીધો. અધિકારી તમ્મર ખાઈને ઢળી પડ્યો. પોલીસો એ જુવાનિયા પર તૂટી પડ્યા. તેનું માથું ફાડી નાખ્યું. ગ્રામજનો ઉપર પણ લાઠીઓ વીઝાવા લાગી. જે લોકોએ નાસભાગ કરી તેમનો પીછો કરી પકડીને ફટકાર્યા, ત્યાર બાદ સૈનિકોમાંથી આગેવાન જેવી વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી. મારનો ભોગ બનેલા તો ઘણા હતા, પણ સૈનિકોમાં રતુભાઈ અદાણી, ભગવાનજીભાઈ મહેતા તેમ જ કાંતિભાઈ શાહને ખૂબ માર પડ્યો. ત્યાર બાદ રતુભાઈને છોડી મૂક્યા અને બાકીના ઉપર કેસ ચાલવવામાં આવ્યો. સૌને છ માસની સજા થઈ.

ધોલેરા લડતમાં બરવાળાના મનુભાઈ જોધાણી અગ્ર ભાગ લઈ રહ્યા હતા. સરકારે તેમને પકડવા વોરંટ કાઢ્યું હતું. ઝવેરચંદ મેઘાણી તે અરસામાં “સૌરાષ્ટૃ” પત્ર ચલાવી રહ્યા હતા અને લડતનો રંગ જોવા ધોલેરા વિસ્તારમાં પત્રકાર તરીકે ફરી રહ્યા હતા. પોલીસોએ મેઘાણીને જોધાણી સમજી તેમની ઈરાદાપૂર્વક ધરપકડ કરી. ધંધુકામાં ન્યાયાધીશ ઈસાણીની કોર્ટમાં તેમના ઉપર કેસ ચાલ્યો. સંખ્યાબંધ લોકો કેસ સાંભળવા ધંધુકા ઊમટી પડ્યા. મેઘાણીભાઈને કાંઈ કહેવું હોય તો કે બચાવ કરવો હોય તો બચાવ કરવા કોર્ટે પૂછ્યું.

મેઘાણીભાઈએ કહ્યું : ‘મારે બચાવ તો કશો કરવો નથી, પણ એક નિવેદન કરવું છે.’ અને તેમણે બ્રિટિશ સરકારની અન્યાયભરી રીતરસમો અને જુલમો સામે ધારદાર તહોમતનામું રજૂ કર્યું. કોર્ટમાં ઉપસ્થિત લોકોએ તેમને એક પ્રાર્થના કરવા માગણી કરી. મેઘાણીભાઈની છાતીના બંધ મોકળા થઈ ગયા. તેમણે બુલંદ અવાજે ગીત શરૂ કર્યું :

હજારો વર્ષની જૂની અમારી વેદના;
કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથા;
મરેલાંનાં રુધિર ને જીવતાંનાં આંસુડાં;
સમર્પણ એ સહુ તારે કદમ, પ્યારા પ્રભુ!

અમારા યજ્ઞનો છેલ્લો બલિ: આમીન કે’જે!
ગુમાવેલી અમે સ્વાધીનતા તું ફરી દેજે!
વધારે મૂલ લેવાં હોય તોયે માગી લેજે!
અમારા આખરી સંગ્રામમાં સાથે જ રે’જે!

પ્રભુજી! પેખજો આ છે અમારું યુદ્ધ છેલ્લું,
બતાવો હોય જો કારણ અમારું લેશ મેલું –
અમારાં આંસુડાં ને લોહીની ધારે ધુએલું!
દુવા માગી રહ્યું, જો, સૈન્ય અમ તત્પર ઊભેલું!

નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે,
ખબર છે આટલી કે માતની હાકલ પડી છે;
જીવે મા માવડી એ કાજ મરવાની ઘડી છે:
ફિકર શી જ્યાં લગી તારી અમો પર આંખડી છે?

જુઓ આ, તાત! ખુલ્લાં મૂકિયાં અંતર અમારાં,
જુઓ, હર જખ્મથી ઝરતી હજારો રક્તધારા,
જુઓ, છાના જલે અન્યાયના અગ્નિ-ધખારા:
સમર્પણ હો, સમર્પણ હો તને એ સર્વ, પ્યારા!

ભલે હો રાત કાળી – આપ દીવો લૈ ઊભા જો!
ભલે રણમાં પથારી-આપ છેલ્લાં નીર પાજો!
લડન્તાને મહા રણખંજરીના ઘોષ ગાજો!
મરન્તાને મધુરી બંસરીના સૂર વાજો!

તૂટે છે આભ ઊંચા આપણા આશામિનારા,
હજારો ભય તણી ભૂતાવળો કરતી હુંકારા,
સમર્પણની છતાં વહેશે સદા અણખૂટ ધારા.
મળે નવ માવડીને જ્યાં લગી મુક્તિ-કિનારા.

હાજર રહેલાં સૌની આંખોમાંથી અશ્રુધારાઓ વહેવા લાગી. વાતાવરણ લાગણીસભર બની ગયું. ન્યાયાધીશ ઈસાણી મેઘાણીભાઈને એક વર્ષની સજા ફરમાવીને ભીની આંખે પોતાના ઓરડામાં ચાલ્યા ગયા. વર્તમાનપત્રોએ આ બનાવને વ્યાપક પ્રસિદ્ધિ આપી. (વધુ વિગતો માટે, “ભૂમિપુત્ર”ના 01 જૂન 2021ના અંકમાં, ‘ઝવેરચંદ મેઘાણી પર રાજદ્રોહ’ લેખ જોવો.)

સૈનિકો તેમ જ લોકોને માર મારીને જાણે પોલીસ કાંઈક થાકી હશે. અમલદારોએ વ્યૂહ બદલ્યો. તેમણે છાવણીઓ ગેરકાયદેસર જાહેર કરી અને સૈનિકોને મદદ કરનારને અપરાધી ઠરાવવામાં આવ્યા. પણ સરકારની આ બાજી નિષ્ફળ નીવડી.

સૈનિકોએ નદીના પટમાં મુકામ કર્યો. સ્મશાનને ‘સત્યાગ્રહ છાવણી’ બનાવી. રાણપુરની સ્મશાન છાપરીને ‘સત્યાગ્રહ છાવણી’ નામ અપાયું. ઘર-ઘરથી ‘આઝાદ રોટી’ ઉઘરાવવામાં આવતી, ને આમ છાવણીઓ ચાલવા લાગી.

દરમિયાનમાં ગાંધી-ઈરવિન વાટાઘાટો શરૂ થઈ ને તેને પરિણામે 1931ના માર્ચમાં લડત મોકૂફ રાખવામાં આવી. આશરે દોઢ-બે હજાર જેટલા લોકો જુદી-જુદી જેલમાં હતા તેઓ સૌ છૂટ્યા. અફસોસની વાત એટલી કે રતિલાલ વૈદ્ય નામનો એક જુવાન યરવડા જેલના ત્રાસનો ભોગ બન્યો ને વીરગતિ પામ્યો.

આ સંગ્રામમાં કાઠિયાવાડના જુવાનોએ ભારે બહાદુરી બતાવી. તેમણે વ્યવસ્થિત લડત ચલાવીને કાઠિયાવાડની શાન વધારી.

ઉત્તરાર્ધ :

1931માં ગાંધી-ઈરવિન તહકૂબી થઈ ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે જણાવ્યું હતું કે, ‘અત્યારે તો તલવાર મ્યાન કરવાની છે. પણ હાથ તો મૂઠ ઉપર જ રાખવાનો છે.’ તેથી ધોલેરા સંગ્રામના સત્યાગ્રહીઓ સંધિકાળ દરમિયાન ભાલનાં ગામડાઓમાં થાણાં નાખીને લોકજાગૃતિનું તેમ જ રચનાત્મક કામ કરતા હતા.

ગાંધીજી ગોળમેજી પરિષદમાંથી ખાલી હાથે પાછા ફર્યા અને મુંબઈ ઊતર્યા તે જ દિવસે તેમની ધરપકડ કરવામાં આવી. પરિણામે લડત પુન: શરૂ થઈ.

ધોલેરા, રાણપુર, બરવાળાની છાવણીઓ જપ્ત હતી. તેના ઉપર પોલીસ પહેરો ગોઠવાઈ ગયો હતો. રતુભાઈ અદાણી, મનુભાઈ પંચોળી, કેશુભાઈ મહેતા, ઈશ્વરભાઈ મો. દવે ધોલેરાથી છાવણીનો કબજો છોડાવવા ગયા. પોલીસોએ બંદૂકના કૂંદાથી રતુભાઈ અદાણીનું માથું ફોડી નાખ્યું તેમ જ અન્ય સાથીદારો પણ ઘવાયા.

બીજી બાજુ કાંતિભાઈ મણિલાલ શાહ, તારાચંદ રવાણી વગેરે સૈનિકોની ટુકડી રાણપુર છાવણીનો કબજો છોડાવવા રાણપુર પહોંચી. સૈનિકોએ ગામમાં પત્રિકા વહેંચી અને ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો. પોલીસ આવી પહોંચી, તેણે સૈનિકો સાથે ઝપાઝપી કરી ને આખરે જેલ ભેગા કર્યા. તારાચંદભાઇ રવાણી વગેરેને પોલીસથાણામાં ખૂબ હેરાન કરવામાં આવ્યા.

1932માં સરકારે ‘ગેરકાયદે’ ઠરાવેલી કાઁગ્રેસનું અધિવેશન દિલ્હીમાં મળ્યું. તેમાં ભાગ લેવા ધોલેરાના કેટલાક સૈનિકો દિલ્હી પહોંચ્યા. ત્યાં ભારે લાઠીચાર્જ થયો. ધોલેરાના સત્યાગ્રહી ઈશ્વરભાઈ મો. દવે પોલીસ કોર્ડન તોડીને આગળ વધ્યા. પોલીસ તેમના ઉપર તૂટી પડી. લોકો વચ્ચે પડ્યા તો તેમને પણ માર્યા. લોકો ઈશ્વરભાઈને ઉઠાવીને બીજે લઈ ગયા. તેઓ તેમની પાટાપિંડી કરી રહ્યા હતા ત્યાં ફરીને પોલીસ આવી પહોંચી ને તેમને મારવા લાગી. એમ છતાં ઈશ્વરભાઈ જરા પણ ચલાયમાન ન થયા.

1932ના આખા વર્ષ દરમિયાન સવિનય કાનૂનભંગના કાર્યક્રમો ચાલતા રહ્યા અને એક હજાર જેટલા સૈનિકોએ સાબરમતી, વિસાપુર, યરવડા, નાસિક તથા થાણાની જેલો ભરી દીધી.

નાસિક જેલમાં અપમાનજનક નિયમોને કારણે સત્યાગ્રહી કેદીઓ અને જેલના અમલદારો વચ્ચે અથડામણ ઊભી થઈ. કેદીઓની ગણતરી કરતી વખતે કેદીઓએ ઉભડક પગ ઉપર બેસી, ઉપર હાથ રાખી માથું નમાવીને બેસવાની જેલપ્રથા હતી. સત્યાગ્રહીઓએ આ અપમાનજનક પ્રથાનો વિરોધ કર્યો. પરિણામે તેમને જેલની તમામ સજાઓ ફટકારી જોઈ, છતાં કોઈ પણ સત્યાગ્રહીએ નમતું આપ્યું નહીં. અમૃતલાલ નામના એક સત્યાગ્રહીને એટલો માર પડ્યો કે એ બેભાન બની ગયો. મનુભાઈ પંચોળી, રતુભાઈ અદાણી, કાનજીભાઈ ચૌહાણ, કેશુભાઈ મહેતા, મગનલાલ સતીકુમાર વગેરેને મારવામાં આવ્યા. પણ તેઓ અડગ રહ્યા.

તે વખતે સ્વામી આનંદ નાસિક જેલમાં જ હતા. તેમને આ ખબર પડી. તેમણે કાઠિયાવાડી જુવાનોની ટેક તથા બહાદુરીને બિરદાવ્યાં અને વર્તમાનપત્રોએ આવી હેવાનિયત સામે સખત ઝાટકણી કાઢી. અમૃતલાલ બેભાન બની જવાથી આ કિસ્સો જગતબત્રીસીએ ચડ્યો. સરકારને તપાસ સમિતિ નીમવી પડી. પરિણામે જેલના નિયમો વિરુદ્ધ કાર્યવાહી કરવા બદલ અંગ્રેજ જેલઅધિકારી રોસને સસ્પેન્ડ કરીને તેના ઉપર કામ ચલાવવામાં આવ્યું. જે જેલના તેઓ મુખ્ય અધિકારી હતા, તે જ જેલમાં તેમને કેદી તરીકે રહેવાનો વારો આવ્યો.

હજારો સત્યાગ્રહીઓ જેલમાં હતા, તેથી બહાર લડતનું જોર મંદ પડવા લાગ્યું. તેવામાં કોમી ચુકાદા સામે ગાંધીજીએ યરવડા જેલમાં મરણાંત ઉપવાસ શરૂ કર્યા. દેશના આગેવાનોએ વાટાઘાટો શરૂ કરી. પરિણામે ચુકાદાને ફેરવવામાં આવ્યો, તેથી ગાંધીજીના ઉપવાસ છૂટ્યા. પરંતુ ગાંધીજીએ લડત થંભાવી દીધી. દેશભરના સત્યાગ્રહીઓ જેલમાંથી બહાર આવ્યા. ગાંધીજીએ હરિજન સેવા તેમ જ અસ્પૃશ્યતા નિવારણનો કાર્યક્રમ હાથ ધર્યો. સત્યાગ્રહીઓ છૂટીને મનગમતાં રચનાત્મક કામોમાં ગૂંથાઈ ગયા. આ રીતે ‘પૂર્ણ સ્વરાજ’ની લડતનો બીજો તબક્કો પૂરો થયો.

(‘સૌરાષ્ટૃના સ્વાતંત્ર્ય સૈનિકો અને લડતો’માંથી સંકલિત)

સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 જાન્યુઆરી 2022; પૃ. 12-14

Loading

આઇડિયોલોજીકલ સ્પેસને પોલિટિકલ સ્પેસમાં કઈ રીતે પરિવર્તિત કરવી ?

રમેશ ઓઝા|Opinion - Opinion|23 January 2022

દેશમાં આઈડિયોલોજીકલ સ્પેસ ઉપલબ્ધ છે અને આઈડિયોલોજીકલ સ્પેસ હંમેશાં પોલિટિકલ સ્પેસ પેદા કરતી હોય છે. ભારતમાં પ્રત્યેક બીજી વ્યક્તિને કાયદાના રાજવાળું, બંધારણીય, સહિયારું, સેક્યુલર, વિકાસલક્ષી, ઊર્ધ્વગામી ભારત જોઈએ છે. તેને ખબર છે કે આવું ભારત સમાજની અંદર કોમી તિરાડો પાડીને ન રચી શકાય, ઊલટું તેને કારણે નુકસાન થાય. કોમવાદી રાજકારણ દ્વારા કેટલીક વ્યક્તિને, વગ ધરાવનાર પ્રજાસમૂહોને, સંગઠનોને કે રાજકીય પક્ષોને સત્તાકીય ફાયદો થાય, દેશના સકળ સમાજને કોઈ ફાયદો ન થાય. એ તો ઇતિહાસ અને અનુભવ બન્ને સાક્ષી પૂરે છે કે સમાજમાં જ્યારે અમન હોય, એકતા હોય, સહયોગ હોય ત્યારે જ જે તે સમાજે વિકાસ હાંસિલ કર્યો છે, અશાંતિ અને વિખવાદની સ્થિતિમાં નહીં.

માટે મારું હિત, મારા પરિવારનું હિત, મારી આવનારી પેઢીઓનું હિત, સમાજનું હિત અને એકંદરે દેશનું હિત ઉપર કહ્યું એવું કાયદાના રાજવાળું, બંધારણીય, સહિયારું, સેક્યુલર, વિકાસલક્ષી, ઊર્ધ્વગામી ભારતમાં છે. આ આઈડિયોલોજીકલ સ્પેસ છે જેને ભારતની અડધોઅડધ પ્રજા સ્વીકારે છે, સવાલ માત્ર એટલો જ છે કે આઈડિયોલોજીકલ સ્પેસને પોલિટિકલ સ્પેસમાં કઈ રીતે પરિવર્તિત કરવી? ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા એ પછી તેમણે આ આઈડિયોલોજીકલ સ્પેસને પોલિટિકલ સ્પેસમાં ફેરવી આપી હતી. કાઁગ્રેસે અને કાઁગ્રેસના મોટા ભાગના નેતાઓએ તેને સ્વીકારી હતી. કેટલાક કાઁગ્રેસી નેતાઓ (જેની સંખ્યા અલબત્ત ઘણી મોટી હતી.) જેઓ અંદરથી હિંદુ હતા તેઓ થોડીક અસ્વસ્થતા અનુભવતા હતા, પરંતુ તેમને પણ એટલી વાત તો સમજાઈ ગઈ હતી કે એકંદરે પ્રજાકીય સંપ વગર દેશને આઝાદી મળી શકે એમ નથી. બીજું, તેઓ ભણેલાગણેલા હતા, દુનિયાને જોઈ હતી અને ઇતિહાસનો અભ્યાસ કર્યો હતો એટલે તેઓ એ જાણતા હતા કે કોઈ પણ દેશમાં બહુમતી પ્રજાનું હિત પણ કાયદાના રાજમાં જ જળવાય છે. માથાભારેપણામાં બે ઘડી વિકૃત આનંદ મળતો હોય છે એટલું જ, એ માર્ગ સુખાકારી તરફ નથી લઈ જતો. માટે તેમણે અંદરથી હિંદુ ઝોક હોવા છતાં ઉપર કહ્યું એવા ભારતની કલ્પના સ્વીકારી લીધી હતી.

આ સિવાય તેમને એ વાતની પણ જાણ હતી કે ગાંધીજીનો અને ગાંધીજીની કલ્પનાનાં ભારતનો સ્વીકાર કર્યા વિના તેમની પાસે કોઈ છૂટકો નથી. પોતાની અંગત મહત્ત્વાકાંક્ષા ગાંધીના માર્ગે અને ગાંધીની આંગળી પકડીને જ પૂરી કરી શકાય એમ છે. એ સમયે કાઁગ્રેસમાં એવા ઘણાં નેતાઓ હતા જે ઢોંગી હિંદુ હતા, ઢોંગી કાઁગ્રેસી હતા અને ઢોંગી ગાંધીવાદી હતા. પણ સવાલ એ નથી, સવાલ એ છે કે એ સમયે ગાંધીજીએ આઈડિયોલોજીકલ સ્પેસને પોલિટિકલ સ્પેસનું એવું તે કેવું સ્વરૂપ આપ્યું હશે કે આખા દેશે એ સ્પેસ અપનાવી લીધી? એટલે સુધી કે મહત્ત્વાકાંક્ષી હિંદુ નેતાઓએ પણ ઢોંગ કરવો પડતો હતો.

આ આઈડિયોલોજીકલ સ્પેસ આજે પણ એટલાને એટલાં પ્રમાણમાં કાયમ છે અને હિંદુ રાષ્ટ્રની કલ્પના કે હિંદુ રાષ્ટ્રનું જોખમ સામે આવ્યા પછી અનુભવે વધારે પરિપક્વ અને દ્રઢ બની છે. ગાંધી અને નેહરુના યુગમાં સેક્યુલર હિંદુઓ જેટલા સેક્યુલર નહોતા એટલા આજે છે. ઉપર કહ્યું એવું ભારત હોવું જોઈએ એમ ત્યારે લાગતું હતું એ અત્યારે હોવું જ જોઈએ એમ તેમને લાગે છે. તેમને એ પણ જાણ છે કે રાજકીય પક્ષોએ અને રાજકીય નેતાઓએ આઝાદી પછીનાં ચૂંટણીકીય/સત્તાકીય સંસદીય રાજકારણમાં જે તે વર્ગવિશેષને તેના મત સારુ લાડ લડાવીને એકંદરે આઈડિયોલોજીકલ સ્પેસને નુકસાન પહોંચાડ્યું છે. આમ દેશનાં વિવેકી નાગરિકોને એ વાતની પણ જાણ છે કે ભૂલ ક્યાં થઈ છે. ટૂંકમાં સંસદીય રાજકારણના અનુભવનું ભાથું પણ સાથે છે.

એકંદરે જુઓ તો સ્થિતિ અનુકૂળ છે. આઈડિયોલોજીકલ સ્પેસ ઉપલબ્ધ પણ છે અને અડધોઅડધ ભારતીય પ્રજામાં સ્વીકૃત પણ છે. પણ તેને પોલિટિકલ સ્પેસમાં પરિવર્તિત કરી શકે એવું કોણ છે? સ્થિતિ નિરાશાજનક છે, પણ ગયા સપ્તાહના લેખમાં કહ્યું હતું એમ શૂન્યાવકાશ ભરાવા માટે જ પેદા થતો હોય છે. જરૂરિયાત હંમેશાં પૂરી થવા માટે જ પેદા થતી હોય છે. પ્રજાના એક વર્ગે હિન્દુત્વવાદીઓને આવકાર્યા કારણ કે તે તેમની જરૂરિયાત હતી. પરાજીત હિંદુની જગ્યાએ માથાભારે હિંદુનો ચહેરો જોવાની સદીઓ જૂની વાસના પૂરી થાય એ હિંદુઓની જરૂરિયાત હતી.

પણ માથાભારે હિંદુ અને શક્તિશાળી હિંદુ એ બે જુદી સ્થિતિ છે. શક્તિશાળી હિંદુ પણ ઉપર કહ્યું એવું કાયદાના રાજવાળું, બંધારણીય, સહિયારું, સેક્યુલર, વિકાસલક્ષી, ઊર્ધ્વગામી ભારતમાં જ પેદા થઈ શકે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 23 જાન્યુઆરી 2022

Loading

કોરોનાવાઇરસ સિઝન 3: આકરા નિયમો ચાલશે પણ સંપૂર્ણ લૉકડાઉન નહીં પોસાય

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|23 January 2022

વિશ્વભરની સરકારોએ રોગચાળાનું સૌથી ખરાબ રૂપ જોઇ લીધું છે, તેમને પોતાની ક્ષમતાઓ ખબર છે અને માટે જ અમુક-તમુક છૂટછાટ સાથે કેલક્યુલેટિવ રિસ્ક લઇને ન્યૂ નોર્મલ સાથે જન-જીવન સામાન્ય રખાઇ રહ્યું છે


ગયા અઠવાડિયાના મધ્યે મુંબઇના BMCના કમિશનરે એવી જાહેરાત કરી કે કેસિઝમાં જંગી ઊછાળો નહીં વર્તાય તો શક્યતા છે કે ૨૬મી જાન્યુઆરી પછી સ્કૂલો ચાલુ કરવાનો વિચાર કરાશે. આ અંગે હજી કોઇ સ્પષ્ટતા નથી. પણ વાઇરસને જે આપણને પજવવાનું કોઠે પડી ગયું છે એ રીતે આપણને પણ હવે આ શરદી-સળેખમના પિતરાઇ ભાઇ જેવો આડોડાઇથી ભરેલો વાઇરસ કોઠે પડી ગયો છે. શરૂ શરૂમાં સજ્જડ બંધ પાળીને આખી દુનિયા ઘરે બેઠી હતી. લોકોએ સ્વજનો ખોયાં, વહીવટી તંત્રએ કામ કરવાની ક્ષમતાઓ કોઇ તબ્બકે ખોઇ દીધી કારણ કે આ અણધાર્યું હતું. ન ગમતા મહેમાનની પણ એક હદ પછી ટેવ પડી જાય, એવું કંઇક આ વાઇરસ સાથે થયું છે કારણ કે આપણે બધા ધીરજથી, માસ્ક પહેરવાની ટેવ પાડીને, હાથ ધોવાની ટેવ પાડીને, બહાર જવાનું બને તો ટાળીને બધું એડજેસ્ટ કરી રહ્યા છીએ. મુંબઇમાં સ્કૂલ શરૂ થશે કે કેમ એ તો જ્યારે સ્પષ્ટ થવાનું હશે ત્યારે થશે, પણ એક બીજા રિપોર્ટ અનુસાર યુરોપિયન દેશોમાં જ્યાં ઓમિક્રોનના કેસિઝ સતત વધી રહ્યા છે, ત્યાં સરકારોએ સંપૂર્ણ લૉકડાઉન લાગુ કરવાનું ટાળ્યું છે. ફ્રાન્સમાં શિક્ષકોએ સ્કૂલ બંધ કરવાનો વિરોધ કર્યો અને સરકારે સ્કૂલો ચાલુ રાખી. અહીં રોજના એક લાખ કેસિઝ હોય છે છતાં ય વેક્સિનના સુરક્ષા કવચ પર અહીં લોકોને પૂરો વિશ્વાસ છે. સ્પેનમાં કશું બંધ નથી, ૮૦ ટકા લોકોએ રસી લઇ લીધી છે અને લોકો પોતાની ઘટમાળમાં ગોઠવાયેલા છે. ફ્રાન્સમાં હેલ્થ પાસ હોય તો વ્યક્તિઓ ગમે ત્યાં હરી ફરી શકે છે, તો બ્રિટનમાં તો હેલ્થ પાસ આપવાની તસ્દી પણ સરકારને નથી લેવી. ડેનમાર્ક, રશિયા, ફિનલેન્ડ, થાઇલેન્ડ, ઑસ્ટ્રેલિયા, પોર્ટુગલ, જર્મની, હોલેન્ડ વગેરે દેશોમાં રોજે રોજ આવતા કેસિઝની સંખ્યા નાની નથી ક્યાંક ૨૦ હજારથી વધુ છે તો ક્યાંક આંકડો લાખની આસપાસ છે, પણ કોઇ પણ દેશની સરકારે સંપૂર્ણ લૉકડાઉન લાગુ કરવાની જાહેરાત નથી કરી. નાના – મોટા પ્રતિબંધો લાગુ કરાય છે અને લોકો તેને અનુસરે છે.

વાઇરસે ૨૦૨૦ના વર્ષથી આપણી જિંદગીઓ પર તાળાં માંર્યા પણ આપણે એ તાળાની બંધી કેટલી પાળી? વાઇરસની ત્રીજી લહેરમાં શું દુનિયાના બધા દેશોએ મોતના ડરને નેવે મૂક્યો છે? વાઇરસના નવા વેરિયન્ટની શક્તિ અને અસરકારકતા પર પણ જુદાં જુદાં અભિગમ આવે છે. શા માટે વિશ્વ લૉકડાઉનના વિકલ્પને પસંદ નથી કરી રહ્યું અને તેમ ન કરીને શું કોઇ મોટી ભૂલ થઇ રહી છે કે પછી ‘હર્ડ ઇમ્યુનિટી’ માટે ‘જોઇ લઇશું’-વાળો અભિગમ બરાબર છે? જેમ કે નેધરલેન્ડઝની વાત કરીએ તો ત્યાં ડિસેમ્બરની ૧૯મી તારીખથી કડક લૉકડાઉન હતું પણ ૨૫મી જાન્યુઆરી સુધી જ આ સ્થિતિ રહેશે અને પછી જીમ, દુકાનો, સલૂન્સને અમુક નિયમો સાથેની છૂટ અપાશે, પણ બાર અને રેસ્ટોરાંઝ ખુલ્લાં નહીં મુકાય. યુનાઇટેડ કિંગ્ડમના પ્રાઇમ મિનિસ્ટર બોરિસ જોન્સન જેની આજકાલ ભારે ટીકા થઇ રહી છે, કારણ કે દેશને લૉકડાઉનમાં નાખીને પોતે પાર્ટી કરી હતી, તેમણે પણ એવું વિધાન કર્યું હતું કે ઓમિક્રોનના વેવ પર સવાર થઇને કોઇ પણ આકરાં પગલાં લીધાં વિના આપણે તેમાંથી પસાર થઇ જશું. જર્મનીમાં વેક્સિન ન લેનારાને દંડ કરાશેની જાહેરાત કરાઇ તો રોમાનિયામાં પણ માસ્ક ન પહેરનારાઓને આકરો દંડ કરાશેની જાહેરાત કરાઇ. જાહેર સ્થળો ૩૦થી ૫૦ ટકાની ક્ષમતાએ જ લોકોને હાજરી આપી શકશે. આ તરફ ટર્કીમાં પણ કેસિઝનો આંકડો મોટો હોવા છતાં સરકાર લૉકડાઉન કે બંધનોને બદલે માસ્ક અને વેક્સિનેશન પર ભાર મૂકી રહી છે. આપણે ત્યાં મુંબઇ, દિલ્હી, ગુજરાત એમ દરેક રાજ્યમાં અલગ અલગ નિયમો લાગુ કરાયેલા છે પણ ક્યાં ય પણ સંપૂર્ણ લૉકડાઉનની વાત નથી થઇ રહી.

યુરોપના દેશોથી સાવ જુદો અભિગમ છે ચીનમાં જ્યાં જરા સરખી ઢીલ નથી અપાતી – ત્યાં ત્રણ મુખ્ય શહેરો સજ્જડ લૉકડાઉનમાં છે, ત્યાં ઝિરો કૉવિડ પોલિસી છે, જે શહેરમાં થોડા ઘણા કેસ પણ આવે તે શહેર ક્વોરેન્ટાઇનમાં જ જતું રહે છે. જો કે લાન્સેટના એક રિપોર્ટ અનુસાર માસ્ક અને વેક્સિનેશન પર ગમે તેટલું જોર મુકાશે છતાં ય ઓમિક્રોનમાંથી આસાની છટકી નહીં શકાય. માર્ચ ૨૦૨૨ સુધીમાં વિશ્વના મોટા ભાગના દેશોમાં ઓમિક્રોનનું મોજું ફરી વળ્યું હશે, મોટા ભાગની વિશ્વની વસ્તીને ઓમિક્રોનનું સંક્રમણ લાગ્યુ હશે. રોગચાળા ફાટી નીકળવાના એક વિષ ચક્રમાં ફસાયેલી દુનિયા હવે બંધ થવા નથી માગતી. અર્થતંત્રનાં હાડકાં નબળાં પડી જાય તો રાષ્ટ્ર માટે ખડા રહેવું જ શક્ય નથી અને માટે જ આકરા નિયમો પોસાય છે પણ લૉકડાઉન નહીં. આપણે રોગચાળાનાં ત્રીજા વર્ષમાં છીએ, કોવિડ-૧૯ને કારણે વિશ્વના ૮૧ દેશોએ ૨૦.૫ મિલિયન વર્ષની જિંદગીઓ ગુમાવી છે. વળી જે રીતે વાઇરસે સપાટો બોલાવ્યો છે એ જોતાં વૈશ્વિક સ્તરે સ્વાસ્થ્યની જાળવણીની ક્ષમતાના માર્ગે આપણી સામે હાલમાં એક ડેડ એન્ડ જેવી સ્થિતિ છે. રિસર્ચ થઇ રહ્યા છે, કામ થઇ રહ્યું છે પણ દરેક બાબતની ગતિ એક સમય પછી ધીમી પડે છે. નવા રસ્તા રાતોરાત ખડા નથી થઇ જવાના અને આ સત્યથી વાકેફ દુનિયાના બધા જ દેશો જિંદગી અટકાવી દેવા નથી માગતા. જ્યાં સુધી પાણી માથાની ઉપરથી ન વહે ત્યાં સુધી સંપૂર્ણ લૉકડાઉન લાગુ નહીં કરીને, અર્થતંત્રને ભલેને બીજા-ત્રીજા ગિયરમાં તો એમ, પણ દોડતું રાખવામાં જ સાર છે તેમ વૈશ્વિક સ્તરે સરકારો માનતી હશે. આપણે ત્યાં વસ્તીની ગીચતા જ માણસોને લાંબો સમય સુધી લૉકડાઉનમાં રાખવામાં નડી જાય તેવી સમસ્યા છે. બીજા દેશોમાં જગ્યાની મોકળાશ હોય છે આપણે ત્યાં એનું સપનું ય ન જોઇ શકાય. પણ જીવનની, રોકડા કલદારની, માનસિક સ્વસ્થતાની વગેરેની ગાડી દોડતી રાખવી હશે તો લૉકડાઉનના ફાટકને હાલમાં તો ઉપર જ રાખવું પડશે.

બાય ધી વેઃ

સંતુલન જાળવીને બધું સમું-સૂતરું ચલાવી શકાય તેવો અભિગમ વૈશ્વિક સ્તરે અનુસરાઇ રહ્યો છે. વાઇરસે શરૂઆતમાં દેખા દીધી ત્યારે આપણે સૌ – સામાન્ય લોકો, નીતિ લાગુ કરનારા, ડૉક્ટર્સ બધાં જ તેનાથી અજાણ હતા. આ હવે જાણીતો દુશ્મન છે અને તેની સામે લડવાનાં શસ્ત્રોથી આપણે સદંતર અપરિચિત નથી. મોટા ભાગનાં લોકો માને છે કે સજ્જડ પ્રતિબંધ લાગુ કરવાનો વિકલ્પ ટાળવો જ જોઇએ,  હજી પણ એન્ટરટેઇનમેન્ટ, સ્પોર્ટ્સ, હેલ્થ ક્લબ જેવી સવલતોના માલિકોને પોતાનું ભવિષ્ય ધૂંધળું લાગે છે. વિશ્વભરની સરકારોએ રોગચાળાનું સૌથી ખરાબ રૂપ જોઇ લીધું છે, તેમને પોતાની ક્ષમતાઓ ખબર છે અને માટે જ અમુક-તમુક છૂટછાટ સાથે કેલક્યુલેટિવ રિસ્ક લઇને ન્યૂ નોર્મલ સાથે જન-જીવન સામાન્ય રખાઇ રહ્યું છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  23 જાન્યુઆરી 2022

Loading

...102030...1,6611,6621,6631,664...1,6701,6801,690...

Search by

Opinion

  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved