Opinion Magazine
Number of visits: 9570385
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મુકામ લખપત, ૨૦૨૨માં પ્રવેશતાં

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|31 December 2021

પચીસમી ડિસેમ્બરનું વડાપ્રધાન મોદીનું લખપત વક્તવ્ય સાંભળ્યું તમે? જેમ તે પૂર્વે કાશીમાં તેમ અહીં કચ્છમાં પણ એમણે હજુ ‘ઔરંગઝેબ’ સામેનું જુધ્ધ ચાલુ છે, એ મુદ્દો કર્યો. ગુરુ નાનકે મક્કા જતાં જ્યાં રોકાણ કરેલું તે લખપતમાં એમણે હિંદુમુસ્લિમ સમન્વયનો મહિમા કરવા કરતાં ઓરંગઝેબનાં વરસો પસંદ કરવાનું નક્કી કર્યું એ સૂચક છે એમ જરૂર કહી શકાય. પણ ખરી વાત તો એ છે કે આ પ્રકારના ઉલ્લેખો એમનો ચિરરાબેતો છે. એમાં પણ ખાસ કરીને ૨૦૨૨નું વરસ ઉત્તર પ્રદેશ સહિત સાત રાજ્યોનું ચૂંટણીવરસ છે ત્યારે તો હિંદુમુસ્લિમ ધ્રુવીકૃત કોમી ચશ્મે જોવુંચીતરવું એ એમને સારુ કદાચ તકાજો પણ હશે. સબકા સાથ, સબકા વિકાસ જેવાં સૂત્રો ઉછાળતાં ઉછાળ્યાં હશે, પણ સ્થાયી રાગ તો પેલો અને પેલો જ, બોલ્યે અગર વણબોલ્યે.

તેગબહાદુર અને ગોવિંદસિંહ, બેઉ સન્માન્ય ગુરુઓના કાળમાં બાદશાહત સાથે બલિદાની ટકરાવ ખસૂસ છે. પણ શીખ ઘટનાને તમારે તેટલા પૂરતી જ જોવી છે? સમાનતા ભણી જે જદ્દોજહદ આ ઘટનામાં હતી એમાં તે સમયની હિંદુ સામંતી ઠકરાતો સાથે પણ ગોવિંદસિંહને ટકરાવના પ્રસંગો તો આવ્યા જ હતા, કેમ કે હિંદુ રાજાઓને જડબેસલાખ નાતજાતગત ઊંચનીચના ખયાલ પર શીખ ઘટનામાં સીધો ભય વરતાતો હતો.

આજનો સમય બંધારણીય લોકશાહી અને પ્રજાસત્તાક સ્વરાજનો છે. એમાં જૂના ઇતિહાસ પરત્વે ખંડદર્શન અને કાલવ્યુત્ક્રમની રીતે રાજનીતિ ખેલવી એ નાસમજ છે … અને એમાં પણ નફરતની ખેતી ! બેલાશક, આ વિશે ઝાઝું નહીં કહેતાં એટલું જ કહીશું કે મામલો છેવટે તો હોર્મોન્સ ને જિન્સનો છે; અને સામી ચૂંટણીએ કોમી ધ્રુવીકૃત જાતકમાઈ સારુ તે ઉપયોગી પણ છે. પ્રશ્ન, છેવટે તો, ટૂંકનજરી રાષ્ટ્રવાદની એવી જ ટૂંકનજરી ટિકિટબારીનો છે.

વડા પ્રધાનના વક્તવ્યને તમે એ રીતે જુઓ કે એમાં એ બધી જ સામગ્રી છે જેને યોગી આદિત્યનાથ મુખરપણે મૂકી આપે છે. તે પછી યતિ નરસિંહદાસની હરદ્વાર તકરીર એનું સ્વાભાવિક વિસ્તરણ બની રહે છે. કથિત ધર્મસંસદમાં તમને કહેવામાં આવે છે કે હિંદુરાષ્ટ્રને સારુ લડવા, મરવા ને મારવા તૈયાર રહો. હિંદુ માત્રે હથિયાર ધારણ કરી ‘એમને’ ખતમ કરવાના છે. એક એવું ‘સફાઈ અભિયાન’ ચલાવવાનું છે જેવું મ્યાંમારમાં ચાલ્યું હતું. આ તરેહની સંહારસત્રી ભાષા વિશે કેટલાક ધૂર્ત વ્યૂહકારો અને સવિશેષ તો સરળભોળા બચાવકારો કહેતા હોય છે કે આવું બધું કહેનારા થોડા હાંસિયા પરના લોકો જ છે. પણ તમે તપાસો તો ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી અને દેશના પ્રધાન મંત્રીમાં લગભગ એ જ ખાણદાણ પડેલું માલૂમ પડશે.

હિંદુ ધર્મ અને હિંદુત્વ નામની રાજકીય વિચારધારા વચ્ચે વિવેક કેળવવાની કોશિશ આજકાલ રાહુલ ગાંધી કરી રહ્યા છે. (જો કે ગુજરાતની ચૂંટણી વખતે એમને મંદિર મંદિર ભટકતા જનોઈધારી રૂપે પ્રોજેક્ટ કરાયા એ પણ વિતૃષ્ણા જગવતી બીના હતી.) ધર્મ અને રાજકીય વિચારધારા વચ્ચેનો તફાવત સમજવો નાગરિકને પક્ષે ચોક્કસ જ જરૂરી છે. પણ પોતે આ બે વચ્ચે ભેદ કરે છે એ દર્શાવવા ટીલાંટપકાંની રીતે દાખડો કરવાની જરૂરત શા વાસ્તે હોવી જોઈએ? મતદારો જો આમ જ ખેંચાવાના હોય કે એમને આમ જ ખેંચવાના હોય તો એનો અર્થ એ જ થયો ને કે મત માંગનારાઓ મતઘડતરની જવાબદારી અદા કરવા માંગતા નથી.

આવે વખતે, જેમ આપણે જેપી આંદોલનના વારામાં જોયું હતું તેમ તટસ્થપણે વિચારી શકતા લોકોએ સક્રિય દરમ્યાનગીરી કરવી રહે છે. આવી દરમ્યાનગીરી એક પા જો દુરિત રાજવટનાં બળોને ખાળી અને કિંચિત્‌ સંસ્કારી પણ શકે, તો બીજી પા વિપક્ષને સારુ તે કંઈક સુવાણ પણ સરજે એવું બને. કમનસીબ અને કરપીણ કારુણિકા એ છે કે આ સુવાણના તે દિવસોના લાભાર્થીઓ આજે તે વખતની દુરિત રાજવટના નવા નાદર નમૂના લેખે આપણી સામે આવ્યાં છે. જે પ્રજાકીય બળોની સક્રિય દરમ્યાનગીરીથી ત્યારે કંઈક નવરચના શક્ય બની હતી તે પ્રકારનાં પરિબળોમાં હાલની રાજવટ અને તેની પાંખ ને પનાહ તળે કાર્યરત લુમ્પન તત્ત્વોને શત્રુ દેખાય છે. દેશના વડા સુરક્ષા સલાહકાર અજિત દોવલે સિવિલ સોસાયટીને જે રીતે શત્રુવત્‌ ચીતરી છે તે પછી કદાચ કશું જ ઉમેરવાનું રહેતું નથી.

નહીં કે ૨૦૨૨માં પ્રવેશતાં વિપક્ષો કોઈ મોટી આશા પ્રેરે છે, પણ વડો સત્તાપક્ષ ધોરણસર પેશ આવ્યો નથી એ વાસ્તવ વિશે બોલવામાં કોઈ ટીના ફૅક્ટર – ધેર ઈઝ નો ઑલ્ટરનેટિવ ફૅક્ટર – આડું ન આવવું જોઈએ. ૨૦૨૨માં પ્રવેશતાં કહેવાનું બીજું પણ ઠીકઠીક છે, પણ હમણાં તો આટલું જ સવાલ, છેવટે તો, સમજનો અને એ સમજને સક્રિયતામાં ફેરવવાનો છે.

ડિસેમ્બર ૨૯, ૨૦૨૧

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2022; પૃ. 01 તેમ જ 04

Loading

લોકશાહી

બારીન મહેતા|Poetry|31 December 2021

એ દૂર-દૂર જતી રહી છે,
હા, એનાં પગલાં અહીં છોડતી ગઈ છે :
એની છાપ ઉકેલવા
હવે સહુ મથી રહ્યા છે,
પણ કશું ઉકેલાતું નથી.
એ જોવાની મજા
સાવ અલગ હોવા સાથે પીડાદાયક પણ છે.

અધધ, આટલા બધા માણસો,
મથ્યા કરતા સતત
એનાં પગલાં ઉકેલવા
છતાં કશું ઉકેલી ના શકે,
એટલે જતા રહે અલગ થઈ
વેગળા.
બસ, એમ જ
રચે પછી એનાં તાત્ત્વિક સમાધાનો
પછી ઉકેલો
ને
જે
દૂર-દૂર જતી રહી છે
તે
નાખી-નાખી કેટલા નિસાસા નાખે!!

જુઓ તો
હકીકતમાં કેટલા ય વળગી રહ્યા છે
પડેલાં એ પગલાંને
મથી રહ્યાં છે
પોતાની હૈયા ઉકલતથી
તેઓ વેગળા થવાનું નામ નથી લેતાં.
ના ઉકેલાય તો કંઈ નહીં,
પગલાં તો હાથવગાં છે ને,
એ જ ક્યારેક દાખવશે
કોઈ દિશા, મારગ કે ઉકેલ :
આ એક આગવી રીત છે,
જે દૂર દૂર જતી રહી છે
એની સાથે પોતાને જોડી રાખવાની.

આવી સ્થિતિ વચ્ચે
આ દૃશ્ય
ધૂંધળું લાગે,
ધુમ્મસમય દેખાય.
એટલે ઘણા ફેલાવો કરી રહ્યા છે,
કોઈના દોરવ્યા
ધૂંધળાશ
અને ધુમ્મસ ફેલાવવાનો.
એ પણ
જે જતી રહી છે,
એના નામનો હવાલો આપીને.
તો પણ
માણસો, માણસો જ હોવાથી
એટલું સમજી શક્યા છે
એ દૂર-દૂર જતી રહી છે
એનાં પગલાંની છાપ છોડતી ગઈ છે
એમાં જરૂર કોઈ સંકેત છે :
આ સંકેત મળવામાંથી
સાંપડવાનાં છે
એના ફળવાનાં પગલાં …..

e.mail : barinmehta@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2022; પૃ. 02

Loading

અલવિદા, ડેસમંડ ટુટુ

ડંકેશ ઓઝા|Opinion - Opinion|31 December 2021

થોડાં વરસ પર વિપુલ કલ્યાણી અને હું દક્ષિણ આફ્રિકાનાં ગાંધીતીર્થની યાત્રાએ ગયા ત્યારે ઈલા ગાંધી સ્વયંસેવી ઊલટથી અમને સેલ્ફડ્રાઈવ કરી ફાતિમા મીરને મળવા લઈ ગયાં હતાં. એ જ સવારે અમે ગાંધીજી વિશે ઘસાતું (દક્ષિણ આફ્રિકી મૂળ પ્રજા સંદર્ભે) સાંભળ્યું હતું અને કંઈક ક્ષુબ્ધ પણ હતા. વાત ચાલી, ત્યારે ફાતિમા મીરે તળ ગુજરાતી પારસી લહેકામાં ને વળી હલકથી કહ્યું, ‘મધુરાધિપતેર અખિલં મધુરમ’ની તરજ પર, કે એવણનું બધ્ધું મીઠ્ઠું અને પછી ઉમેર્યું, હમણાં જ ડેસમંડ ટેટુએ કહ્યું તે તમે સાંભળ્યું કે નહીં – અમારું હૃદય ફાડીને જુઓ. એમાં ગાંધી દેખાશે.

— પ્ર.ન.શા.

“નિરીક્ષક” તંત્રી

°°°

ભારતનો અને દક્ષિણ આફ્રિકાનો સંબંધ જૂનો અને જાણીતો છે. મોહનદાસ કરમચંદ ગાંધી ત્યાં વસતા ભારતીયો અને ગિરમીટિયાઓ માટે, તેમના અધિકારો માટે લડ્યા અને તે સમયે ‘ગાંધીભાઈ’ તરીકે જાણીતા થયા અને ત્યાં શરૂઆતના બે આશ્રમો સ્થાપ્યા, એ સઘળી વિગતો પાછળથી ગાંધીજીએ લખેલા પુસ્તક ‘દક્ષિણ આફ્રિકાનો ઇતિહાસ’માં સંગ્રહેલી છે. ઘણાને યાદ હશે કે આ પુસ્તક ગાંધીજીએ જેલમાં રહ્યા-રહ્યા લખ્યું હતું અને ઇન્દુલાલ યાજ્ઞિક ગાંધીજી લખાવે તેમ લખતા હતા.

આ બધું આજે યાદ કરવાને કારણ છે રંગભેદ વિરોધી નેતા ડેસમંડ ટુટુ નેવું વર્ષની વયે ૨૬મી ડિસેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અવસાન પામ્યા છે. કાળા-ગોરાની લડાઈ દાયકાઓ સુધી ચાલી છે. ઘણા લોકોએ તેમાં જાન ગુમાવ્યા છે. ૧૯૮૦ના દાયકામાં તે ઘણી ઉગ્ર બની હતી. ઘણું લોહી વહ્યું હતું, ત્યારે અશ્વેત લોકોના નેતા તરીકે ડેસમંડ ટુટુ ઊભર્યા હતા.

ગાંધીજી રંગભેદનો ભોગ બન્યા હતા અને વાજબી ટિકિટ હોવા છતાં રેલવેના પહેલા વર્ગના ડબ્બામાંથી પ્લૅટફૉર્મ પર ધકેલી દેવાયા હતા ! જે ઘટના થકી જ તેમનો ઉદય મહાત્મા સુધી થયો હતો. આ એક ઘટનાની આપણને ખબર છે, પરંતુ આનાથી વધુ અપમાનજનક અને આઘાતજનક હિંસાત્મક ઘટનાઓ તે સમયના શ્વેત-શાસન તરફથી અશ્વેત પ્રજા પર આચરવામાં આવતી હતી, જે જાણીએ અને વાંચીએ તો માનવજાત પ્રત્યે નફરત જ નફરત પેદા થાય! ભલું થજો નેલસન મંડેલાનું જે પોતે રંગભેદનીતિ સામે લડતાં-લડતાં દાયકાઓ સુધી જેલમાં રહીને, બહાર નીકળ્યા પછી ૧૯૯૪માં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. તે વખતે મંડેલાએ ડેસમંડ ટુટુને અગાઉની સરકારોએ આચરેલા અત્યાચારો અંગેના તપાસપંચના અધ્યક્ષ નીમ્યા હતા.

મંડેલા અને ટુટુ બન્ને ત્યાંના સ્થાનિક નેતાઓ હતા. રંગભેદ વિરોધી ચળવળના લડવૈયાઓ હતા. ટુટુ તો ખ્રિસ્તી-ધર્મના પુરોહિતવર્ગમાંથી લડવા માટે આગળ આવ્યા હતા. ધર્મ એટલે કર્મકાંડ માત્ર નહિ, પરંતુ દેખીતા અન્યાય સામે લડત એ સાચો ધર્મ. એ વાત આવાં અનેક ઉદાહરણો થકી આપણને જાણવા મળે છે. આ બન્ને નેતાઓ તેમના લાંબા સમયના કાર્યકાળ પછી નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનારા પણ બન્યા હતા, જે આપણે સૌ જાણીએ છીએ.

ડેસમંડ ટુટુનો જન્મ ૭-૧૦-૧૯૩૧ના રોજ પશ્ચિમ જોહાનિસબર્ગના એક પરગણામાં થયો હતો. ૧૯૬૧માં તેઓને ચર્ચના પુરોહિતવર્ગમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનાં પત્ની આજે ૬૬ વર્ષનાં છે અને તેમને ચાર બાળકો છે. એક સમયે જ્યારે એમને એમ પૂછવામાં આવ્યું કે તમને લોકો કેવી રીતે યાદ કરે તે ગમે, ત્યારે એમણે જવાબ વાળેલો કે : “આ એવો માણસ હતો જેણે લોકોને ચાહ્યા, લોકો સાથે હસ્યાં અને રડ્યાં, તેને ક્ષમા મળી અને તેણે ક્ષમા આપી. આવા વિશેષાધિકારો તેને જીવનભર પ્રાપ્ત થતા રહ્યા.”

અનેક લોકોએ પોતાને લગતા અન્યાયો સામે સતત લડતો આપી છે. એમ પણ કહેવાયું છે કે અન્યાય સહન કરનાર અન્યાય આચરનાર જેટલો જ મોટો ગુનેગાર છે. માણસજાતે ખોટા અન્યાયો લાંબો સમય સુધી સહન કરતા રહેવાની કોઈ જરૂર નથી એ ગાંધી, મંડેલા, ટુટુ જેવા અનેક નેતાઓ આપણને શીખવી ગયા છે. શાસક કે શોષણખોર ગમે તેટલો જલ્લાદ કેમ ન હોય – પ્રજાએ અને પ્રજાકીય નેતાઓએ પોતાના નૈતિક બળથી લાંબી લડતો આદરીને, ક્યારેક સફળતા તો ક્યારેક નિષ્ફળતા, અવશ્ય મેળવી છે. પરંતુ આખરે વિજય તો સત્યનો જ થયો છે. આવી ઇતિહાસસિદ્ધ હકીકતો આપણને પ્રેરણા પૂરી પાડે છે.

ડેસમંડ ટુટુ સદાય કહેતા કે હું ચૂપ નહિ રહી શકું. તેઓ એમ પણ કહેતા કે ઘાંટા પાડીને બોલવાને બદલે તમારી દલીલ એવી મજબૂત કરો જેનો પ્રતિકાર ન થઈ શકે! લડતમાં લડવાનું પણ છે અને જતું પણ કરવાનું છે. ક્યારે માફ કરી દેવું અને ક્યારે અડગ રહેવું એ બરાબર સમજવાનું છે. સદાય એવી આશા રાખવાની છે કે ગાઢ અંધકારને અંતે તેજકિરણ મળવાનું જ છે. તમે જ્યાં પણ હોવ, ત્યાં રહીને અન્યાય વિરુદ્ધ પોતાનાથી થાય તેટલું અવશ્ય કરતા રહો અને બાકીનું ઈશ્વરના ભરોસે છોડી દો. ઈશ્વરી સત્તા એ ન્યાયી છે અને હરહંમેશ એ તમારી પડખે છે એવો અહેસાસ અનુભવો. હું શાંત રહી શકું એવું જરૂર ઇચ્છું છું, પણ અન્યાય સામે જોઈને તેમ ન કરી શકું અને નહિ કરું.

કોઈકે ઠીક કહ્યું છે કે સદીઓના ઇતિહાસનો અભ્યાસ કરીએ, તો એવું જાણવા મળે છે કે માણસજાત ઇતિહાસમાંથી કશું શીખી નથી. એનો અર્થ એ થયો કે આપણે એકની એક ભૂલો ફરી કરીએ છીએ. લોકોએ અન્યાય સામે લડીને જીત મેળવી છે એ વાત અંકે કરીને સક્રિય બનવાને બદલે નિરાશ થઈએ છીએ. ભૂતકાળ આપણને ભવિષ્ય માટે ઉત્સાહ પ્રેરનારો હોવો જોઈએ, નિરાશ કરનારો નહિ.

રિવાજ તો મૃતાત્માઓેને અંજલિ આપવાનો રહ્યો છે. આમ જોઈએ એ એક પ્રકારનો, કર્મકાંડ થઈ ગયો છે. આપણે શ્રાદ્ધપક્ષમાં દૂધપાક ખાઈને અટકી જઈએ છીએ. પૂર્વજોએ શ્રદ્ધા પૂરી પાડનાર જે તત્ત્વો આચરી બતાવેલાં તેને અનુસરવાનું ભાગ્યે જ કરીએ છીએ. ઇતિહાસનાં પાત્રો પણ આપણા પૂર્વજો જ છે. તેમનાં કાર્યોમાંથી આપણે પ્રેરણા મેળવવાની છે. એ પ્રેરણા કદી પણ હતાશા કે નિરાશાની ન હોઈ શકે, પરંતુ પ્રોત્સાહન અને વિજયની જ હોઈ શકે.

ચાલો, આજે પણ આપણે ગાઢ અંધકારથી ડર્યા વિના તેજકિરણની આશાએ આપણને લાગતા-અનુભવાતા વ્યક્તિગત, સામાજિક અને જાહેર અન્યાયો સામે આપણી શક્તિ મુજબની નાની કે મોટી લડત લડવાનું કે તેમાં જોડાવાનું કે લડતા હોય તેમને ટેકો આપવાનું નક્કી કરીએ. આવું કરી શકીએ, તો તે કર્મકાંડથી આગળની વાત હશે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2022; પૃ. 03

Loading

...102030...1,6501,6511,6521,653...1,6601,6701,680...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved