Opinion Magazine
Number of visits: 9570989
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બાંગ્લાદેશની કૃષિક્રાંતિ અને તેને ઘરઘર સુધી પહોંચાડનારા શેખ સિરાજ

કિરણ કાપુરે|Opinion - Opinion|16 January 2022

ચીન, ભારત પછી બાંગ્લાદેશ એશિયાનું નવું માર્કેટ બનીને ઉભર્યું છે. વિશ્વમાં જે ગણ્યાગાંઠ્યા દેશો વાસ્તવિક ‘ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ’ આઠ ઉપર લઈ જઈ શક્યા છે, તેમાં બાંગ્લાદેશ પણ એક છે. ઝડપથી પ્રગતિ કરી રહેલાં દેશોમાં બાંગ્લાદેશ વિશ્વમાં પાંચમા ક્રમે છે. આર્થિક પ્રગતિમાં આવાં નિર્ધારિત માપદંડોમાં બાંગ્લાદેશ ઉપરના પાયદાન પર આવી રહ્યું છે અને બદલાયેલા બાંગ્લાદેશના આ ચિત્રની વાહવાહી આર્થિક નિષ્ણાતો પણ કરી રહ્યા છે. હાલમાં પચાસ વર્ષના થયેલાં બાંગ્લાદેશના કિસ્સામાં અનેક એવી કહાનીઓ લખાઈ જેના કારણે તેના વર્તમાનની વાત સુવર્ણ અક્ષરે લખાઈ છે.

બાંગ્લાદેશમાં ઉદ્યોગો વિકસ્યા તેમ ખેતીમાં પણ પરિવર્તન આવ્યું. બાંગ્લાદેશની ચાળીસ ટકાથી વધુ વસતી ખેતી પર અવલંબિત છે અને તેમાં આવેલા પરિવર્તનથી બેરોજગારી, ગરીબી અને અનાજની અછતની સમસ્યાને દૂર થઈ છે. બાંગ્લાદેશનું આ પરિવર્તન સદનસીબે વીડિયોમાં ઉપલબ્ધ છે અને તે ડોક્યુમેન્ટશન કરનાર વ્યક્તિનું નામ છે શેખ સિરાજ. સામાન્ય કિસ્સામાં કોઈ પણ આવી ઘટના બને છે પછી તેના વિઝ્યુઅલ કે તસીવર ડોક્યુમેન્ટ માટે ખાંખાખોળા કરવા પડે છે; પરંતુ બાંગ્લાદેશના કૃષિક્રાંતિમાં આવું કરવું પડ્યું નથી. દાયકામાં જે કંઈ બદલાવ આવતા ગયા તેને શેખ સિરાજ ડોક્યુમેન્ટ કરીને પ્રકાશિત કરતા ગયા.

શેખ સિરાજ પત્રકાર છે અને તેઓ 1982થી કૃષિ આધારિત કાર્યક્રમ કરી રહ્યા છે. સૌ પ્રથમ તેમણે બાંગ્લાદેશ ટેલિવિઝન માટે ‘માતી ઓ માનુષ’ નામનો કાર્યક્રમ કર્યો. આ કાર્યક્રમમાં તેમણે કૃષિ આધારિત પ્રશ્નોને વાચા આપી અને તેના ઉકેલ પણ નિષ્ણાતો દ્વારા ખેડૂતો સુધી પહોંચાડ્યા. બાંગ્લાદેશમાં તેમના કાર્યક્રમ જાણીતા બન્યા અને તેનાથી શિક્ષિત યુવાનો પણ ખેતી કરવા તરફ આકર્ષાયા. આવું બન્યું તેનું અગત્યનું કારણ શેખ સિરાજની પ્રસ્તુતી હતી, બાકી તો કૃષિ આધારિત અનેક કાર્યક્રમો આપણે ત્યાં પણ આવતા રહ્યા છે. પરંતુ તેમાં સંવાદ કરીને, નિષ્ણાતોની મુલાકાત લઈને, પ્રશ્નોના વાજબી ઉત્તર વાળીને શેખ સિરાજ લોકો વચ્ચે પોતાનું સ્થાન મજબૂત કરતા ગયા. પછીથી તેઓ અન્ય એક ખાનગી ચેનલ સાથે સંકળાયા અને ત્યારથી તેઓ ‘હૃદોયે માટી ઓ માનુષ’ નામનો કાર્યક્રમ કરી રહ્યા છે. આ કાર્યક્રમે પણ અગાઉના કાર્યક્રમ જેવી લોકચાહના મળી છે.

હાલમાં શેખ સિરાજની પ્રોફાઈલ ‘બી.બી.સી. હિંદી’ શબ્દોમાં મૂકી આપી છે અને તેમાં બાંગ્લાદેશના કૃષિવિકાસ અને શેખ સિરાજની અનુભવની વાત કરવામાં આવી છે. બાંગ્લાદેશમાં કૃષિને આધુનિક બનાવવાનો પ્રયાસ તેના જન્મ પહેલાં 1960ના અરસામાં કુમિલ્લા ગ્રામિણ વિકાસ અકાદમી દ્વારા કરવામાં આવ્યો હતો. તેના સંસ્થાપક અખ્તર હામિદ ખાન નામના વ્યક્તિ હતા. તેમણે જાપાનથી શ્રેષ્ઠ બિયારણ લાવી ખેતી કરવાની પહેલ કરી હતી. જો કે આ બિયારણમાં વખતે સિંચાઈની વ્યવસ્થા જરૂરી હતી તેથી ટ્યૂબવેલ નાખવાની શરૂઆત થઈ. શેખ સિરાજ કૃષિની આ પહેલ વિશે જણાવતાં કહે છે કે ગામડાંમાં જ્યારે ટ્યૂબવેલ નાંખવામાં આવ્યા ત્યારે લોકો ભયના માર્યે તે જગ્યાએથી ભાગી ગયા. તેમનું માનવું હતું કે જમીનમાંથી પાણી કાઢવાનું અલ્લાહના નિયમોથી વિરુદ્ધ છે. ખેડૂતોના આવા વલણથી સમજી શકાય કે આરંભના સમયે ચિત્ર કેવું હશે.

આજે એવું નથી. કૃષિ માટે સમય બદલાઈ ચૂક્યો છે અને બાંગ્લાદેશી ખેડૂત નવીન ટેક્નોલોજીને આવકારી રહ્યા છે, સાથે-સાથે તેવો આવકાર શેખ સિરાજને પણ મળે છે. બાકી જ્યારે તેમણે બાંગ્લાદેશના રાષ્ટ્રિય ટેલિવિઝન પર કૃષિ કાર્યક્રમ શરૂ કર્યો અને તેમને મોટા કેમેરા સાથે ગ્રામિણ વિસ્તારમાં જવાનું થતું, ત્યારે ગામડાંના લોકો કેમેરાને જોઈને ડરી જતાં. તેમને લાગતું કે આ તોપ છે. માઇક્રોફોનને તેઓ બંદૂકની નળી સમજતા હતા. તે સમયે સામાજિક રીતે ગામડાઓ પછાત હતા અને ગામડાંના લોકો એટલાં શરમાતા હતા કે કેમેરા સામે તેઓ આવતાં જ નહોતાં.

વિજ્ઞાન-ટેક્નોલોજીને આ રીતે જ્યારે પણ કોઈ નવા સમૂહમાં લઈ જવામાં આવે ત્યારે તે તરફ લોકો આવી જ પ્રતિક્રિયા દર્શાવે છે. આ સ્થિતિમાં નિષ્ફળતા સ્વીકારીને ત્યાંથી નિકળી જવાનો માર્ગ સરળ હોય છે પણ જેઓ આ પડકારને ઝીલીને ત્યાં ટકે છે તેઓ કશું નવતર કરી જાણે છે. શેખ સિરાજ આ સ્થિતિમાં ટકી રહ્યા. ટકવાનું કારણ પણ બાંગ્લાદેશમાં આવેલાં કૃષિક્ષેત્રનાં ઝડપી પરિવર્તન હતાં. આ પરિવર્તનોમાં મુખ્યત્વે વિજ્ઞાનીઓએ એક પછી એક ચોખાની નવી શ્રેષ્ઠ ઉપજ આપનારા બિયારણની શોધ કરી. ઉપરાંત કૃષિમાં નવી રીતભાત આવી અને આ બદલાવને પરિચય કરાવવાનો પ્રયાસ સરકાર તરફથી થયો. કૃષિમાં આ બધું થઈ રહ્યું હતું તેમાં શેખ સિરાજની ભૂમિકા પણ અગત્યની બની. કારણ તે સમયે યુવાન શેખ સિરાજ બાંગ્લાદેશની રાષ્ટ્રિય ચેનલમાં નવાસવા જોડાઈને કૃષિ ક્ષેત્રમાં રસ લઈ રહ્યા હતા.

શેખ સિરાજનો પ્રથમ કાર્યક્રમ તો આજે ભૂલાઈ ચૂક્યો છે તેનું નામ હતું ‘આમાર દેશ’. આ કાર્યક્રમ પચાસ મિનિટનો પાક્ષિક કાર્યક્રમ હતો. ત્યાર પછી તેમણે કાર્યક્રમનું નામ બદલીને ‘માટી ઓ માનુષ’ કર્યું. શેખ સિરાજ કહે છે કે તેમને લાગ્યું કે બાંગ્લાદેશના લોકોને મનોરંજક કાર્યક્રમના બદલે શિક્ષણ આપનારા અને ખેતીલાયક પ્રેરક કાર્યક્રમોની વધુ આવશ્યકતા છે. ખેડૂતોને નવા બિયારણ, નવી ટેક્નોલોજી, નવું કૌશલ્ય જો યોગ્ય રીતે સમજાવી શકાય તો કૃષિ ક્ષેત્રે મોટું પરિવર્તન લાવી શકાય. શેખ શરૂઆતમાં પોતાના દેશના લોકોની જરૂરિયાત સમજ્યા અને તેના અનુરૂપ કાર્યક્રમો નિર્માણ કર્યા. આશ્ચર્ય થાય એવી બાબત એ છે કે શેખ સિરાજની આ નાનકડી સફર આજે બાંગ્લાદેશમાં ખૂણખૂણે કૃષિ જાણકારી પહોંચાડવાનો એક માત્ર વિકલ્પ બની ચૂક્યો છે. અને તેની સાબિતી તો શેખ સિરાજને કાર્યક્રમના આરંભના સમય દરમિયાન જ મળી ચૂકી હતી. 1980ના દાયકામાં જ્યારે હજુ ટેલિવિઝન દરેક ઘરમાં પહોંચવાની વાર હતી ત્યારે લોકો દર શનિવારે સાંજે ગામડાંના બજારમાં અને સામુદાયિક કેન્દ્રોમાં ‘માટી ઓ માનુષ’ કાર્યક્રમ જોવા એકઠા થતા.

શેખ સિરાજ છેલ્લા ચાર દાયકાથી આ કાર્ય કરે છે અને તેથી તેઓ બાંગ્લાદેશના ખેડૂતોને સારી રીતે સમજી ચૂક્યા છે અને તે અનુભવને બયાન કરતાં કહે છે : “આજનો ખેડૂત અને ત્રીસ વર્ષ પહેલાં ખેડૂતમાં જમીન-આસમાનનું અંતર છે. તે વખતે જ્યારે કૃષિ પ્રચાર અધિકારી કામ કરતા હતા અથવા તો ટેલિવિઝન પર પ્રસ્તુતકર્તા જે કંઈ કહેતા, ખેડૂતો તેને આસાનીથી માનતા નહોતા. તેઓ વિચારતા કે અમે કૃષિ વિશે જે કંઈ માહિતી આપી રહ્યા છે, તેનાથી પાક સારો ન આવે તો? તેઓ સરળતાથી આ માહિતીથી પ્રેરિત નહોતા થતાં, તેઓ નવી ટેકનિક પણ સ્વીકારતા નહોતા.” આ વિશે એક ઉદાહરણ આપતાં તેઓ કહે છે : “જ્યારે હું એંસીના દાયકામાં વધુ ઉપજ આપનારા અનાજ વિશે જણાવતો તો ખેડૂતો એવું કહેતા કે અમે આ રબર જેવાં ચોખાને ખાઈશું નહીં. ત્યારે જે શોધ થઈ હતી તે પ્રમાણે એટલાં સારા ચોખા નહોતા. પકવેલા ચોખા રબર જેવા લાગતા અને તે ચોખા જો થાળીમાં ઉપરથી નાંખવામાં આવે તો તે રબરની જેમ નીચે પડતા હતા.” આ સ્થિતિમાં માર્ગ એક જ હતો કે વધુ ને વધુ નિષ્ણાતોને અને અનુભવને ખેડૂતો સામે લાવવો. શેખ સિરાજે તે કરે રાખ્યું અને આમ ધીરે ધીરે તેમની શાખ બનતી ગઈ.

બાંગ્લાદેશ વિવિધતાભર્યો દેશ છે. શેખ સિરાજનો કાર્યક્રમ જ્યારે વધુ લોકચાહના મેળવતો ગયો ત્યારે તેમણે કાર્યક્રમના કેટલાક માપદંડ નક્કી કર્યા. તેમાં સૌ પ્રથમ મુદ્દો ભાષાનો આવ્યો. શેખ સિરાજ કહે છે કે,  જ્યાં ગામડાંમાં શેખ સિરાજના કાર્યક્રમ જોવાતા ત્યાં બધે તેમની ભાષા સમજી શકતા નહોતા. અને ઘણી વાર ખેડૂતો કાર્યક્રમોમાં આવે તો તેઓ યોગ્ય રીતે પોતાની વાત સમજાવી શકતા નહોતા. આ માટે તેમણે ભાષા નિર્ધારિત કરી જેથી ખેડૂતો તેમની વાત સરળતાથી સમજી શકે. શેખ સિરાજે તેમની મૂળ ભાષામાં બદલાવ કર્યો અને લોકો સાથે તેમની જ બોલીમાં વાતચીત કરવાની શરૂ કરી.

અનાજ અને અન્ય ખાદ્ય ઉત્પાદકમાં બાંગ્લાદેશ આજે સ્વનિર્ભર બની ચૂક્યું છે. હવે અનેક પ્રકારના પાક બાંગ્લાદેશમાં થઈ રહ્યા છે. મત્સ્ય પાલન ક્ષેત્રે ક્રાંતિ આવી છે. બાંગ્લાદેશ હવે આ મામલે વિશ્વમાં ચોથા ક્રમાંકે છે. ગામેગામે ગાયોના ફાર્મ છે. પોલ્ટ્રી ફાર્મ છે. બાંગ્લાદેશનું કૃષિ ચિત્ર જોઈએ તો આ મહાન ક્રાંતિ છે અને તે ક્રાંતિને સૌ સુધી પહોંચાડનારા શેખ સિરાજ અને તેમની ટીમ છે.

e.mail : kirankapure@gmail.com

Loading

મારી વિદ્યાયાત્રા == પુનશ્ચ == AGAIN ==

સુમન શાહ|Opinion - Opinion|16 January 2022

: ૯ : વ્યાખ્યાનકલા બાબતે કેટલીક ટિપ્સ

= = અધ્યાપકમિત્રો ! વર્ગને ઇન્ટર-ઍક્ટિવ બનાવો. આપણે ઇન્ટરેનેટ-યુગમાં છીએ. વિદ્યાર્થીને પ્રશ્નો કરતો કરો, બોલતો કરો. કોઈ વાર એને નાનું વ્યાખ્યાન કરવા કહો. = =

૧ :

ઉચિત સ્થાને ઉચિત આસને અધ્યાપક અને વિદ્યાર્થીઓ હોય એ પછીની જરૂરિયાત એ છે કે અધ્યાપકે સૅટ થવું. કેટલાક એવા કે એકદમ જ ચાલુ થઈ જાય. ભલા માણસ, તારી પાસે જો પૂરતું જ્ઞાન છે તો એને બીજે રવાના કરી દેવાની ઉતાવળ શું કામ?

૨ :

વ્યાખ્યાન શરૂ કરતાં પહેલાં અધ્યાપકે ઘડીભર શાન્ત થઈ જવું, પ્ર-શાન્ત, coool … મન બુદ્ધિ હૃદયને એક અનુભવવાં. અમુક વિદ્વાનો આંખો મીંચીને મન્ત્રોચ્ચાર કરે છે તે એવી જ શાન્ત-તા માટે. સૌને પ્રસન્નતાથી જોવાં.

૩ :

કવિ વાર્તાકાર ગાયક કે કોઇ પણ કલાકારે તેમ જ વ્યાખ્યાતાએ હમેશાં યાદ રાખવું કે પોતે આનન્દનો સર્જક છે. મૉં પર સ્મિત હોવું જોઇએ. અમારાં બધાંનાં માનીતાં અને લોકલાડીલાં ગાયક ભારતી વ્યાસનો કણ્ઠ તો અનોખો છે જ પણ એમનું ગાયન મને વધારે તો એ કારણે ગમે છે કે તેઓ હમેશાં સ્મિતવદને ગાય છે.

૪ :

અધ્યાપકનું સોગિયું મૉઢું ન ચાલે. સાહિત્યનું જ્ઞાન મૉજથી પ્રગટવું જોઈએ. વિદ્વાન સાહિત્યકારોની વાત જુદી છે. એમના દાખલામાં ગામ્ભીર્ય રસાયન છે. એમનાંમાં, એઓ ગમ્ભીર થાય પછી જ વિચારો દ્રવે.

૫ :

સૌને સમ્બોધન કરવું. હા, વિદ્યાર્થીઓને પણ. કેમ છો બધાં – કરીને શરૂ થવું. હું એક મોટા સાહિત્યકારને જાણું છું – મોટાઇ એવી કે કદી કોઈને સમ્બોધન જ ન કરે ! હવે સુધર્યા છે.

૬ :

અધ્યાપકે કોઇ વિદ્યાર્થીની કદી મશ્કરી ન કરવી. વર્ગમાં ધાક બેસાડવા એકાદ-બેને કારણ વગર ધમકાવી કાઢવા કે ઉતારી પાડવા, ઠીક નથી. સાહિત્યકાર, અધ્યાપક કે કોઇ પણ વક્તા આવુંતેવું કરે એટલે તોછડો લાગવાનો. સભાથી હાથે કરીને છેટો પડી જવાનો. વિદ્યાર્થીઓ કે સભાજનો બોલે નહીં, પણ મનમાં જરૂર બબડે કે – પોતાને આ શું સમજતો હશે !

૭ :

ભારતીય પરમ્પરા પ્રમાણે વ્યાખ્યાન પલાંઠીએ બેસીને કે પદ્માસન લગાવીને કરાય. ટેબલ-ખુરશી હોય તો પણ વ્યાખ્યાન ખુરશીમાં બેસીને કરી જ શકાય છે. તક હોય તો હું તો ખુરશી-ટેબલ છાંડીને વ્યાખ્યાન પલાંઠી વાળીને કરું છું. મૅકોલેના જમાનાથી શરૂ થયેલી સિસ્ટમે શીખવ્યું કે લૅક્ચરરે ઊભા ઊભા બોલવાનું હોય, તો જ પ્રભાવ પડે. રાજકારણીએ એમ કરવું જરૂરી છે કેમ કે ત્યાં ‘વ્યાખ્યાન’ નથી હોતું, તત્કાળ અસર કરે એવું ‘ભાષણ’ હોય છે.

૮ :

બન્યું છે એવું કે આપણે આસન-માંથી ઊભાં-ઊભાં અને ઊભાં-ઊંભાં-માંથી હરતાં-ફરતાં વ્યાખ્યાનો કરવાની નવતર રીતો નીપજાવી લીધી છે. સ્ટેજ ઊંચું હોય ને વક્તાશ્રી પણ ઊંચા હોય તો સભાએ ડોકાં ઊંચાં રાખવાં પડે છે. બધાં ‘જ્ઞાનાય (!) ઉત્કણ્ઠ’ દીસે ! આ છેડેથી પેલે છેડે લટારતા લટારતા બોલતા અધ્યાપક સામે વિદ્યાર્થીનાં ડોકાં ઘડિયાળના લોલક જેમ આમથી તેમ ફરતાં થઈ જાય છે. વર્ગ ‘સક્રિય’ લાગે !

૯ :

લૅક્ચર-મૅથડની જોડે, આપણે ત્યાં પોડિયમ આવ્યું. પોડિયમને હું વ્યાસપીઠ ન ગણું. દીવાલ ગણું – ઠૉડું ! પ્રાચીન ઍમ્ફિ-થીએટરમાં સંગીતના કન્ડક્ટર માટે એક નાની દીવાલ હોય – ટેકો; એને પોડિયમ કહેતા.

પોડિયમની વક્તાને સગવડ એ કે એના ધ્રૂજતા પગની સભાને ખબર ન પડે. સભાને અગવડ એ કે વક્તા પાસે કાગળિયાં કેટલાં છે એ દેખાય નહીં. રાહ કેટલી જોવી પડશે એનો અંદાજ ન આવે.

કેટલીક જગ્યાએ પોડિયમ અક્કલ વગરનાં એવાં કે સભાજનોને વ્યાખ્યાતાનું માત્ર મસ્તક દેખાય. સભાને થાય, કશા દેખીતા વાંક વગર બાપડાને અનાજ ભરવાની કોઠીમાં ખડો કીધો છે.

બૅકેટના ‘એન્ડ ગેમ’ નાટકમાં પાત્રોને એવી કોઠીઓમાં, urns-માં, રાખ્યાં છે, પણ એ તો, જીવનનાં મહા રહસ્યોનાં સંકેત રૂપે ! આમાં તો આયોજન, વ્યાખ્યાતાને હાથપગ સમેત ગળી ગયું લાગે છે.

પોડિયમ, પૂરતાં નીચાં હોવાં જોઇએ જેથી વ્યાખ્યાતા બન્ને હાથના સહજ સેલારા મારી શકે. ત્યાં ફ્લૅક્સિબલ માઇક, ફોકસ લાઇટ, પાણી-ભરેલો પણ ઢાંકેલો ગ્લાસ, બુક્સ અને પેપર્સ રાખી શકાય એવી ખાસ્સી બધી મૉકળાશ હોવી જોઇએ. ટૂંકમાં, આશય એ છે કે કોઇ પણ વક્તા સભાને એની તમામ બૉડિ-લૅન્ગ્વેજ સાથે દેખાવો જોઇએ. વક્તાએ પણ એ લૅન્ગ્વેજનો જરૂરી વિનિયોગ કરવાનો હોય છે.

Pic Courtesy : iStock

કેટલીક હમેશાં યાદ રાખવા જેવી ટિપ્સ :

૧૦ :

માઇક અને મૉં વચ્ચે એકાદ વૅંતનું અન્તર રાખવું – ન ઓછું, ન વત્તું. કેટલા ય વક્તાઓ ગૅલમાં આવી જઈને માઇકથી મૉં ફેરવી લે છે. બોલ્યે રાખે. માઇક નિર્જીવ છે. એની જોડેની દૃષ્ટોદૃષ્ટ, માણસે ટકાવી રાખવી જોઇશે. એ તમારો વ્યાખ્યાન-સાથી છે. સારા વક્તાને માઇક ને મસ્તકનો વિ-યોગ નથી પાલવતો.

૧૧ :

અધ્યાપકમિત્રો ! વર્ગને ઇન્ટર-ઍક્ટિવ બનાવો. આપણે ઇન્ટરનેટ-યુગમાં છીએ. સામે બેઠેલા વિદ્યાર્થીને જીવન્ત વ્યક્તિ સમજીને એને પ્રશ્નો કરતો કરો, બોલતો કરો. કોઇ વાર એને નાનું વ્યાખ્યાન કરવા કહો.

૧૨ :

કચવાઇને વેઠ વાળવા વ્યાખ્યાન કદ્દી ન કરવું. હમેશાં જીવ રેડીને વાત કરવી. મેં એકપણ વાર દિલચોરીથી નથી ભણાવ્યું.

૧૩ :

નોટ્સ રાખવી – પાનાં નમ્બર નાખેલી – પણ એમાં ને એમાં જોયા કરવું પડે તો તમને તો ઠીક પણ વર્ગને ત્રાસ થશે. જો કે હાથ નવરા રાખી મનફાવે બોલવું દુ:સાહસ ઠરશે. નોટ્સ હોય કે ન હોય, વક્તવ્ય આત્મસાત્ થયેલું હોવું જોઇએ.

૧૪ :

ખોટો શબ્દ વપરાઇ ગયો હોય, તો ‘સૉરિ’ કહી ખરો આપો.

૧૫ :

જરૂરી માહિતી ભરપૂર આપો. મસ્તકવગી ન હોય તો કહો કે – કાલે કહીશ.

૧૬ :

તબિયત સારી હોય છતાં, રજા ન લેવી; સ્વાધ્યાય માટે જરૂર લેવી. ‘સાહિત્યિક સંશોધન’ પુસ્તિકા લખવા યુનિવર્સિટીને મેં એ કારણ દર્શાવીને સી.ઍલ. રજાઓ માગેલી. રજિસ્ટ્રાર હસી પડેલા.

૧૭ :

ઠોઠ કે જડસુ વિદ્યાર્થીને ન-ગણ્ય ગણી કાઢવો ઠીક નથી. અધ્યાપક તો હમેશાં માતાની જેમ વિદ્યાર્થીને સમજાવે – પર્સ્યુસન, અનુનય.

૧૮ :

જો કે જોક્સ વગેરેથી વિદ્યાર્થીની ખુશામત પણ ન કરવી. વર્ગમાં ગામ્ભીર્યનું વહન હળવાશથી કરવું. વાતાવરણ હઁસી-મજાકભર્યું જોઈએ. મને યાદ છે, મારા વર્ગમાં એકાદ વાર તો હાસ્યનું મોજું ફરી વળતું.

૧૯ :

શિસ્તનો આગ્રહ રાખવો એમ કહેવા કરતાં હું એમ કહું કે અ-શિસ્તને ખમી ખાનારો અધ્યાપક વ્યર્થ સહિષ્ણુ છે. વાતો ન જ કરવા દેવાય. બગાસાં ન જ ચાલે.

૨૦ :

વર્ગમાં શારીરિક અને માનસિક એમ બે જાતના ગેરહાજરો હોય છે. શરીરથી ગેરહાજરને વીસરી જવા. મગજથી ગેરહાજરને જગાડવા. કોઈ બાળા ઊંઘી જાય તો વ્યાખ્યાનને પરમ સફળ ગણવું. જાગતાંઓને કહેવું કે જુઓ ને, ઊંઘ બાપડી કેવી નિર્દોષ પ્રવૃત્તિ છે …

૨૧ :

કેટલાક સાહિત્યકારો ઑડિયન્સને પટાવતા હોય છે – મારી પાસે કહેવાનું તો ઘણું છે પણ સમયનું બન્ધન છે, ત્રણ વક્તાઓ બાકી છે, હું સભાને સમયદાન કરું છું, એમ કહીને એ 'વિવેકી મહાપુરુષ' બેસી જાય છે ! આ છેતરામણ જાત-છેતરામણ પણ છે — આત્મપ્રતારણા. એવી ટેવ પોતાને ન પડે એ માટે અધ્યાપકે સાવધ રહેવું.

૨૨ :

વ્યાખ્યાનને પતાવવાની લ્હાય ન રાખવી. સાવધ બેફિકરાઇ રાખવી કે રહી જશે તો ભલે રહી જશે, કાલે વાત!

૨૩ :

આપણે ત્યાં સાહિત્યકાર-વક્તાઓને અધ્યાપકો રોલ-મૉડેલ ગણતા હોય છે. સારી વાત, પણ એમાં સિલૅક્ટિવ રહેવું.

સ્વીકારો કે સામ્પ્રતમાં મોટા ભાગનાં મૉડેલો રોલિન્ગ છે – ગગડતાં, ગબડતાં, આઇ મીન, અનનુસરણીય છે.

= = =

(January 16, 2022: Ahmedabad)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

શૂન્યાવકાશ ક્યારે ય ભરાયા વિના રહેતો નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|16 January 2022

ચૂંટણીઓ માટે રણનીતિ ઘડનારા પ્રશાંત કિશોર આજકાલ તેમની દરેક મુલાકાતમાં વારંવાર કહે છે કે રાષ્ટ્રીય સ્તરે ભારતીય જનતા પક્ષને પરાજીત કરવો હોય કે પછી બી.જે.પી.ને અન્ય પક્ષોનો ટેકો લઈને સરકાર રચવી પડે એ હદે લોકસભામાં લઘુમતીમાં ધકેલી દેવો હોય, તો વિપક્ષી એકતા કામમાં આવવાની નથી. વિપક્ષી એકતાનાં ગણિતની એક મર્યાદા હોય છે. જે તે પ્રદેશમાં જે તે પક્ષોના મતોનો સરવાળાઓ કરવાથી રાજકીય ચિત્ર નિર્ણાયક પ્રમાણમાં બદલી શકાતું નથી.

પ્રશાંત કિશોરની વાત સાચી છે અને એનાં મુખ્ય ત્રણ કારણ છે. એક તો એ કે જે તે રાજ્યમાં સૌથી પ્રભાવી વિરોધ પક્ષ હોય એની તરફેણમાં બીજા નાના પક્ષો પોતાનો રાજકીય સ્વાર્થ છોડીને કહેવાતા રાષ્ટ્રીય હિત માટે પોતાની દુકાન સંકેલી લે એમ બનવાનું નથી. આવી અપેક્ષા રાખવી એ ભોળપણ છે. બીજું કારણ એ છે કે સંસદીય લોકતંત્રમાં જે તે પક્ષના રાજકીય નેતાઓ પોતાના સંસદીય ક્ષેત્ર(કે વિધાનસભા ક્ષેત્ર)ને કેળવતા હોય છે, જે રીતે ખેડૂત પોતાના ભાગમાં આવેલી જમીનને કેળવતો હોય છે. વિપક્ષી એકતાના નામે પક્ષનો નેતા પોતે કેળવેલી જમીન કોઈ બીજા પક્ષના ઉમેદવારને ખેડવા માટે આપી દે તો એ સ્થાનિક દાવેદાર તેને દિલથી સ્વીકારવાનો નથી. પક્ષનું હિત અને દાવેદાર નેતાઓનું અંગત હિત ટકરાય છે. ત્રીજું કારણ એ છે કે જે તે પક્ષનો મતદાતા પોતાનાં ક્ષેત્રમાં આવેલા અન્ય પક્ષના આગંતુક ઉમેદવારને રાજકીય સમજૂતીના નામે સ્વીકારતો નથી અને તેને મત આપતો નથી. ઘણાં કિસ્સામાં એ મત એ પક્ષને જાય છે જેની વિરુદ્ધ રાજકીય સમજૂતી કરવામાં આવી હોય. આવું વખતોવખત જોવા મળ્યું છે.

પ્રશાંત કિશોર કહે છે કે રાષ્ટ્રીય સ્તરે જો નિર્ણાયક રાજકીય પરિવર્તન કરવું હોય તો એને માટે વિરોધ પક્ષોના મતદાતાઓ ઉપર ભરોસો રાખવાની જગ્યાએ બી.જે.પી.નો વિરોધ કરનારા મતદાતાઓ ઉપર સીધો ભરોસો રાખીને એને જેવું જોઈએ છે, એવું રાજકારણ કરવું જોઈએ. એવા મતદાતાની સંખ્યા ઓછી નથી, લગભગ ૫૦ ટકા છે. અડધોઅડધ. બી.જે.પી.નો વિરોધ કરનારા નાગરિકોના મત હિમાલય જેટલા અચલ છે અને એમાં એક મતનો પણ ઘટાડો થવાનો નથી, એમાં વધારો થઈ શકે છે. જે મતદાતા બી.જે.પી.નો વિરોધ કરે છે એ બી.જે.પી.ની વિરુદ્ધ મત આપતો રહે છે, જ્યારે કે તેને ખબર હોય છે કે તેનો મત નિર્ણાયક પરિવર્તન કરી શકવાનો નથી અને વેડફાવાનો છે.

વારંવાર ભારતના પચાસ ટકા મતદાતાઓ રૂઢ અર્થમાં પોતાનો મત વેડફે છે. તેને ખબર છે કે તે નિર્ણાયક પરિવર્તન કરી શકતો નથી અને તે વિરોધ પક્ષોથી નિરાશ અને અને નારાજ પણ છે; પણ એ છતાં ય તે બી.જે.પી.ને મત આપતો નથી, કારણ કે તેને બી.જે.પી.ની કલ્પનાનું ભારત સ્વીકાર્ય નથી. એ વારંવાર બી.જે.પી.ની કલ્પનાનું ભારત તેની વિરુદ્ધ મત આપીને નકારતો રહે છે, પછી ભલે એ વાંઝિયો પ્રયાસ હોય.

એને કંઈક જોઈએ છે. એવું કાંઈક જોઈએ છે જે બી.જે.પી. આપી શકે એમ નથી. ઊલટું તેને એમ લાગે છે કે બી.જે.પી.એ તેને જે જોઈએ છે એ ઝુંટવી લીધું છે. તેની પાસે અત્યાર સુધી જે હતું એ બી.જે.પી.એ ઝૂંટવી લીધું છે. એ એને પાછું જોઈએ છે. શું જોઈએ છે એને? સહિયારું ભારત. દરેક ધર્મોને સમાન આદર આપનારું સેક્યુલર ભારત. દરેક અવાજને વાચા આપનારું મુક્ત લોકતાંત્રિક ભારત. સ્ત્રીઓને અને શોષિત-વંચિતને ન્યાય તેમ જ માનવીય ગરિમા આપનારું સમાનતાયુક્ત ભારત. જ્યાં કાયદો અને વ્યવસ્થાનો લાભ દરેકને એક સરખો મળતો હોય એવું કાયદાના રાજવાળું બંધારણીય ભારત. સંખ્યાના જોરે કોઈ કોમવિશેષની દાદાગીરી ચલાવી લેવામાં ન આવતી હોય એવું સભ્ય ભારત. જ્યાં ખોટો ઇતિહાસ ભણાવવામાં ન આવતો હોય, જ્યાં ખોટા ગૃહિતો સ્થાપિત કરવામાં ન આવતા હોય, જેમાં લોકોને ભાવનાઓના પૂરમાં વહાવવામાં ન આવતા હોય, જ્યાં લોકોને ડર બતાવવામાં ન આવતો હોય, એવું બુદ્ધિપ્રધાન વિવેકી ભારત. જ્યાં વિજ્ઞાન અને વિકાસ કેન્દ્રમાં હોય એવું ઊર્ધ્વગામી ભારત. ભારતના ૫૦ મતદાતાઓને આવું ભારત જોઈએ છે. વિરોધ પક્ષોના મતદાતાઓને આવું ભારત અભિપ્રેત છે કે નહીં, એ ખાતરીપૂર્વક કહેવું મુશ્કેલ છે, પણ જેમને આવું ભારત જોઈએ છે એ બી.જે.પી.નો વિરોધ કરે છે. તેઓ બી.જે.પી.નો વિરોધ કરતા હતા, કરે છે અને કરવાના છે; કોઈ રાજકીય પક્ષ તેના મતને ઝીલવા સક્ષમ હોય કે ન હોય.

ભારતનો પ્રત્યેક બીજો નાગરિક બી.જે.પી.નો વિરોધી છે અને એમાં એક મતનો પણ ઘટાડો થવાનો નથી. આવનારાં વરસોમાં એમાં વધારો થવાની શક્યતા ખરી, પણ ઘટાડો થવાની કોઈ શક્યતા નથી. ટકોરાબંધ પ્રતિબદ્ધ મતદાતાઓ ઉપલબ્ધ છે, પણ તેના સુધી પહોંચવું કેમ અને પહોંચશે કોણ? આ લાખ રૂપિયાનો સવાલ છે. વિપક્ષી જોડાણની કસરત કરવા તૈયાર છે, તેમાં ઓછી બેઠકો મેળવીને અપમાનિત થવા તૈયાર છે, પણ સહેજે ઉપલબ્ધ પ્રતિબદ્ધ મતદાતા પાસે રાજકીય વિકલ્પ બનીને પહોંચવાની કોઈ કોશિશ કરતું નથી.

કારણ? ૧. ભારતમાં કાઁગ્રેસને છોડીને અખિલ ભારતીય સ્તરે કોઈ પક્ષ હાજરી ધરાવતો નથી અને કાઁગ્રેસ દિશાહિન તેમ જ પુરુષાર્થહિન છે. ૨. બે-ચાર પક્ષોને છોડીને બાકીના બધા જ પક્ષો પારિવારિક પક્ષો છે. ૩. આમ આદમી પાર્ટીનો એક ધૂમકેતુની માફક ઉદય થયો હતો, પણ અત્યારે તેમાં તેના નેતા અરવિંદ કેજરીવાલ પોતે તાનાશાહ છે અને બી.જે.પી.ના આકરા હિન્દુત્વ સામે સોફ્ટ હિન્દુત્વની નકલ કરે છે. જે હિંદુઓથી ડરીને હિંદુઓને રીઝવવાનું રાજકારણ કરશે તે ક્યારે ય ફાવવાના નથી.

આમ સ્થિતિ નિરાશાજનક છે, પણ આશાનું કિરણ એ છે કે શૂન્યાવકાશ ક્યારે ય ભરાયા વિના રહેતો નથી. જ્યારે જેની જરૂરિયાત હોય તેનો ઉદય થતો હોય છે. કુદરતનો આ નિયમ છે અને તે અટલ છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 16 જાન્યુઆરી 2022

Loading

...102030...1,6311,6321,6331,634...1,6401,6501,660...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved