Opinion Magazine
Number of visits: 9570817
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘શુદ્રા’થી ‘જય ભીમ’ અને ‘ભવની ભવાઈ’: શોષણનાં બદલાતાં રૂપ

સોનલ પરીખ|Opinion - Opinion|20 January 2022

વર્ણવ્યવસ્થા અને જ્ઞાતિવાદ આપણા દેશની લાક્ષણિકતા છે. દેશ એનાથી બંધાયેલો છે ને એનાથી તૂટતો રહ્યો છે. શોષણ અને અન્યાયના આ સળગતા ખેલની જ્વાળાઓ પર સત્તાવાળાઓ પોતાની રોટલી શેકતા રહ્યા છે. આ સમસ્યાને કેન્દ્રમાં રાખીને અનેક અસરકારક ફિલ્મો બની છે. એમાંની અમુક અહીં ચર્ચવામાં આવી છે …

થોડા વખત પહેલા કેરળમાં એક નીચી જ્ઞાતિનો છોકરો 200 રૂપિયાની કિંમતના ચોખા ચોરતાં પકડાયો. લોકોએ તેને ખૂબ માર્યો અને પોલિસને સોંપ્યો. પોલિસે પણ મારપીટ કરી. એ ભૂખ્યો હતો, માનસિક રીતે અસ્વસ્થ હતો એમાં આટલો માર. છોકરો મરી ગયો એટલે આખી વાત છાપામાં આવી, બાકી આવા કેટલા બનાવ આ દેશમાં બનતા હશે, તેનો કોઈ હિસાબ નથી. એક તારણ મુજબ રોજની ચાર દલિત સ્ત્રીઓ બળાત્કારનો ભોગ બને છે, એ જાણીને એક પત્રકારના મોંમાંથી નીકળી ગયું, ‘બસ?’ આ પ્રતિભાવના અનેક અર્થ છે અને એ દરેકના પડછાયા ઘેરા અને લાંબા છે.  

વર્ણવ્યવસ્થા અને જ્ઞાતિવાદ આપણા દેશની લાક્ષણિકતા છે. દેશ એનાથી બંધાયેલો છે ને એનાથી તૂટતો રહ્યો છે. શોષણ અને અન્યાયના આ સળગતા ખેલની જ્વાળાઓ પર સત્તાવાળાઓ પોતાની રોટલી શેકતા રહ્યા છે. આ સમસ્યાને કેન્દ્રમાં રાખીને અનેક ફિલ્મો બની છે. તાજેતરમાં આવેલી ફિલ્મ ‘જય ભીમ’ આ જ વિષયવસ્તુ પર બની છે અને ખૂબ ચર્ચાઈ રહી છે ત્યારે વાત કરીએ થોડી ઉદાહરણરૂપ ફિલ્મોની.

‘જય ભીમ’ સત્યઘટના પરથી બની છે. નેવુંના દાયકામાં તમિલનાડુના એક નાના ગામનો આદિવાસી પોલિસના મારથી મૃત્યુ પામ્યો. આ અન્યાય બદલ યુવાન ધારાશાસ્ત્રી ચંદન પોલિસ વિરુદ્ધ લડ્યો હતો. આ ઘટના પરથી બનેલી ‘જય ભીમ’ અસરકારક રીતે એ બતાવે છે કે આપણા મહાન ભારતમાં માણસ કોઈ ખાસ જ્ઞાતિનો હોય અને ગરીબ હોય એટલે એને ગુનેગાર સમજવાનું ને સજા કરવાનું લાયસન્સ એના શેઠને અને પોલિસને આપોઆપ મળી જાય છે. એ લોહીલુહાણ, હલીચલી પણ ન શકે એવી સ્થિતિમાં હોય છતાં એ ‘ભાગી ગયો’ એમ પુરવાર કરી શકાય છે. ખૂબ જોખમ ઉઠાવીને એ માણસની સગર્ભા પત્નીને મદદ કરતો અને એ પોલિસના મારથી મરી ગયો હતો એમ સાબિત કરતો વકીલ સાચું જ કહે છે, ‘કૉર્ટનું મૌન સૌથી વધુ જોખમી છે.’

જ્ઞાતિવાદની ભયંકરતા 2012ની ફિલ્મ ‘શૂદ્રા’માં પણ અસરકારક રીતે બતાવાઈ હતી. દલિતોને વહેતી નદીમાંથી પાણી ન મળે. એમને ગળે કુલડી અને પાછળ સાવરણી બાંધીને ફરવું પડે, એના બાળકને ભગવાનનું નામ લેવા બદલ સજા થાય, એમની સ્ત્રીઓને જમીનદારની વાસનાનો શિકાર બનવું પડે – દલિતો સાથે ભૂતકાળમાં જે થતું તેનો દસ્તાવેજી નમૂનો જ જોઈ લો. અંતે દલિતો જાગે છે, વિદ્રોહ કરે છે, પણ એ કરુણાન્ત નીવડતો બતાવાયો છે. આખી ફિલ્મ ડિસ્ટર્બ થઈ જવાય તેવા અત્યાચારોથી ભરેલી છે. વિ.હિ.પ. અને બજરંગ દળે આ ફિલ્મ પર પ્રતિબંધ મુકાવ્યો હતો.

2019ની ફિલ્મ ‘આર્ટિકલ 15’માં યુરોપમાં રહેલા અને દિલ્હીમાં ભણેલા એક આઈ.પી.એસ. અફસરનું પોસ્ટિંગ ગ્રામીણ ભારતમાં થાય છે તેના થોડા જ દિવસમાં ત્રણ દલિત છોકરીઓ ગુમ થઈ જાય છે, બેની લાશ બીજા દિવસે ઝાડ પર લટકતી મળે છે, ત્રીજી ક્યાં છે કોઈને ખબર નથી. કેસ બંધ કરવાના ખૂબ દબાણ વચ્ચે અફસર પોતાની ફરજ બજાવતો રહે છે. આખરે સત્ય બહાર આવે છે. છોકરીઓનો ગુનો એ હતો કે એમણે ત્રણ રૂપિયાનો પગારવધારો માગ્યો હતો. ‘આ હિંમત? એ લોકોને એમની જગ્યાએ રાખવા જ પડે.’ માલિક કહે છે અને છોકરીઓને ઉપાડી જવાય છે. એમની સાથે શું થયું હશે એ કહેવાની જરૂર નથી. ભારતના બંધારણની પંદરમી કલમ કહે છે કે સૌ સમાન છે. … છે?

1959ની ‘સુજાતા’માં ઊંચનીચના ભેદભાવનું ગાંધીઅન સૉલ્યુશન હતું. ‘સુજાતા’, મૂળ તો સુબોધ ઘોષની બંગાળી વાર્તા. અનાથ અછૂત સુજાતા(નૂતન)ને એન્જિનિયર ઉપેન અને એની પત્ની(તરુણ બૉઝ, સુલોચના)એ એમની ઉછેરી છે. સમજણી થયા પછી સુજાતા અનુભવે છે કે આ ઘરમાં પોતે ‘દીકરી જેવી’ છે ખરી, પણ ‘દીકરી’ નથી. સંબંધોમાં રહેલું આ એક હાથનું અદૃશ્ય અંતર સુજાતાને સમજાયું હોવા છતાં એ એક બ્રાહ્મણ યુવક અધીર(સુનીલ દત્ત)ને ચાહી બેસે છે અને પછી … પછી સમીકરણો ઝડપથી બદલાય છે. અમુક જ્ઞાતિ કે વર્ણમાં જન્મ લેવાથી માણસ મોટો કે નાનો નથી થઈ જતો એ ગાંધીપ્રેરિત વિચાર ખૂબ સુંદર અને કલાત્મક રીતે ફિલ્મમાં વણી લેવાયો છે.

એક ગુજરાતી ફિલ્મ ‘ભવની ભવાઈ’ આ સંદર્ભે ખાસ યાદ કરવા જેવી છે. 1980માં બનેલી આ ફિલ્મને અનેક ઍવૉર્ડ મળ્યા હતા અને ઓમ પુરી, સ્મિતા પાટિલ, નાસિરુદ્દીન શાહ, મોહન ગોખલે, સુહાસિની મૂળે અને દીના પાઠક જેવાં કલાકારોએ અભિનય કર્યો હતો. આઝાદીની લડત દરમિયાન ભૂગર્ભ રેડિયો ચલાવનાર ઉષાબહેન મહેતાના ભત્રીજા અને એમના પર ફિલ્મ બનાવવા માટે અત્યારે કરણ જોહર સાથે જેની સ્પર્ધા ચાલે છે, એ કેતન મહેતા ત્યારે એફ.ટી.આઈ.આઈ.માંથી તાજા સ્નાતક થયા હતા. એમની આ પહેલી ફિલ્મ હતી.

ચક્રસેન રાજા(નાસીરુદ્દીન શાહ)ના દરબારમાં એક દિવસ ખૂબ દુર્ગંધ આવે છે. ખબર પડે છે કે આજે ભંગીઓ લગ્ન હોવાથી સફાઈ કરવા નથી આવ્યા. રાજા એમને પકડી મંગાવી માર મરાવે છે. આ રાજાને બે રાણી છે. મોટી રાણીને પુત્ર અવતરે છે ત્યારે નાની રાણી જ્યોતિષીને લાંચ આપી ‘આ છોકરો તમારો જીવ લેશે’ એવું કહાવે છે, રાજા નવજાત બાળકનો વધ કરવાનો હુકમ આપે છે, સિપાઈ એને પેટીમાં તરતો મૂકી દે છે, અને એ ભંગી દંપતી માલો અને ધોળી(ઓમ પુરી, દીના પાઠક)ના હાથમાં આવે છે. બન્ને એને દીકરો ગણી ઉછેરે છે. રાજા પુત્રપ્રાપ્તિ માટે વાવ ચણાવવાનું શરૂ કરે છે. વાવ ચણાઈ રહે છે ત્યાં આ છોકરો જીવો યુવાન થઈ જાય છે. જીવો એ જ પેલો રાજકુમાર, એ જાણી ગયેલા જ્યોતિષી ગતકડું કરે છે, ‘વાવ બત્રીસલક્ષણાનો ભોગ માગે છે.’ અને ‘માલાનો દીકરો જીવો બત્રીસલક્ષણો છે.’ એનો ભોગ આપવાનું નક્કી થાય છે. રાજા, ગામમાંથી આભડછેટ દૂર કરવાની જીવાની છેલ્લી ઈચ્છા પૂરી કરવાનું વચન આપે છે.

ફિલ્મના અંત બે છે. એક તો વાર્તાનો હોય એવો સુખદ. જીવો બચી જાય છે, રાજા દીકરાને ભેટે છે, વાવમાં પાણી આવે છે ને ભંગીઓ કુલડીઓ અને ઝાડુ ફગાવીને નાચે છે ‘સુખનો સૂરજ ઊગ્યો’. એ ક્ષણે બ્રેકિંગ ધ ફૉર્થ વૉલ ટૅકનિકથી રંગલો સીધો પ્રેક્ષકો સાથે સંવાદ માંડે છે. જીવો કહે છે, ‘વાહ તમારો સુખનો સૂરજ, વાહ તમારું ગાણું, વાતોની તાંતોથી ગૂંથ્યું કરોળિયાનું જાળું … અંત કહું મારા મનનો, સાર અમારા જીવનનો … હવે માગીએ છોળ પ્રલયની કાળઝાળ વિકરાળ’ અને બીજા અંતનું દૃશ્ય ઊઘડે છે. જીવાનો શિરચ્છેદ થાય છે. માલો વાવમાં પડતું મૂકે છે, પાણીની છોળો ઊડતી આવે છે ને રાજા સહિત બધા તણાઈ જાય છે. આ દૃશ્યો સાથે આઝાદીની લડતનાં દૃશ્યોનું જક્સ્ટાપૉઝિશન રચાય છે. આ બધું જોઈ-સાંભળી રહેલી પૃથ્વી એ પણ જુએ છે કે રાજાઓ ગયા, ભેદો ગયા. ધુમાડા ફૂંકતી ચીમનીઓ સામે સૌની હાલત સરખી છે.

આ ફિલ્મ ધીરુબહેન પટેલના નાટક ‘ભવની ભવાઈ’ પરથી બની હતી અને ભવાઈના જનક અસાઈત ઠાકોરને અર્પણ થઈ હતી. એન.એફ.ડી.સી.એ આપેલા સાડાત્રણ લાખ રૂપિયામાંથી જ એ બની હતી. મોટા ભાગના કલાકારોએ વગર મહેનતાણે અભિનય કર્યો હતો.

અકબર ઈલાહાબાદીનો જુદા સંદર્ભે લખાયેલો આ શેર અહીં લાગુ પડે છે, ‘હમ આહ ભી ભરતે હૈં તો હો જાતે હૈં બદનામ, વો કત્લ ભી કરતે હૈં તો ચર્ચા નહીં હોતી …’

e.mail : sonalparikh1000@gmail.com

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 21 નવેમ્બર 2021 

Loading

સાથી ન કારવાં હૈ, યે તેરા ઇમ્તિહાં હૈ …

રાજ ગોસ્વામી|Opinion - Opinion|20 January 2022

હોલિવૂડની ફિલ્મોના અશ્વેત હિરોમાં દંતકથા બની ગયેલા સિડની પૉટિયે[Sidney Poitier]નું ૭મી જાન્યુઆરીના રોજ, ૯૪ વર્ષની વયે, લોસઍન્જલ્સના બેવરલી હિલ્લસ ખાતે અવસાન થઇ ગયું. ૧૯૬૪માં, 'લિલીઝ ઓફ ધ ફિલ્ડ' નામની ફિલ્મમાં તેના શાનદાર અભિનય માટે ઓસ્કાર એવોર્ડ જીતનારો સિડની પહેલો અશ્વેત અભિનેતા હતો.

એક અભિનેતા તરીકે, નાગરિકતા અધિકાર અંદોલન દરમિયાન સિડનીએ એક આખી પેઢીને પ્રેરણા આપી હતી. ૫૦ અને ૬૦ના દાયકામાં જ્યારે અમેરિકમાં નસ્લભેદની લઈને તનાવની સ્થિતિ હતી, ત્યારે સિડનીએ કટ્ટરતા અને રૂઢિવાદને પડકારતી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમાં ૧૯૬૭માં આવેલી 'ગેસ હુઝ કમિંગ ટૂ ડિનર' અને 'ઇન ધ હીટ ઓફ ધ નાઈટ' મહત્ત્વની ફિલ્મો હતી.

એ જ વર્ષે, તેની ત્રીજી એક મહત્ત્વની ફિલ્મ, 'ટૂ સર, વિથ લવ' આવી હતી. એ ફિલ્મમાં, સામાજિક અને નસ્લીય મુદ્દાઓથી ખદબદતી લંડનની એક સ્કૂલમાં ભણતાં ઉદ્દંડ છોકરાઓને એક આદર્શવાદી શિક્ષક કેવી રીતે સીધા રસ્તે લાવે છે, તેની કહાની હતી. એ ફિલ્મમાં 'ટૂ સર, વિથ લવ' નામનું થીમ સોંગ ગાનારી સ્કોટિશ ગાયિકા લુલુ કહે છે કે, "સિડની મારા મિત્ર, મારા શિક્ષક અને મારા પ્રેરણામૂર્તિ હતા."

આપણે ત્યાં અને બહાર, શિક્ષકોના વિષયને લઈને બહુ ઓછી ફિલ્મો બને છે. 'ટૂ સર, વિથ લવ' એવી એક અનોખી ફિલ્મ હતી, જેમાં સિડનીએ એક સંવેદનશીલ શિક્ષક તરીકે સ્કૂલના વિધાર્થીઓ અને અભિનેતા તરીકે દર્શકોનો આદર મેળવ્યો હતો.

એ ફિલ્મ પ્રેમમાં પડી જવાય તેવી હતી. આપણો વિનોદ ખન્ના પણ પડી ગયો હતો. તેની 'ઇમ્તિહાં' યાદ છે? જો ફિલ્મ યાદ ન હોય, તો કિશોર કુમારનું સદાબહાર ગીત 'રુક જાના નહીં, તું કહીં હાર કે' તો યાદ હશે જ. 'ઇમ્તિહાં'નું એ ગીત એટલું જ લોકપ્રિય થયું હતું, જેટલું 'ટૂ સર, વિથ લવ' થયું હતું. ૧૯૭૪માં આવેલી અને તમિલ ફિલ્મ 'નૂતૃક્કુ નૂરુ'ની રિમેક, 'ઇમ્તિહાં'નો મૂળ પ્રેરણાસ્રોત સિડની  પૉટિયેની 'ટૂ સર, વિથ લવ' હતી.

જેમ 'ટૂ સર, વિથ લવ' સિડની  પૉટિયેની કારકિર્દીમાં એક માઈલસ્ટોન ફિલ્મ ગણાય છે, તેવી રીતે વિનોદ ખન્નાની ફિલ્મી સફરમાં ત્રણ ફિલ્મો તેને એક અપવાદરૂપ અભિનેતાના રૂપમાં સ્થાપિત કરે છે; ૧૯૭૧માં આવેલી રાજ ખોસલાની 'મેરા ગાંવ મેરા દેશ,' ૧૯૭૩માં આવેલી ગુલઝારની 'અચાનક' અને ૧૯૭૪માં આવેલી મદન સિન્હાની ‘ઇમ્તિહાં'.

'દસ નંબરી,' 'રાજા જાની,' 'શરાફત,' 'રાત ઔર દિન' અને 'બંદિશ' જેવી ફિલ્મોમાં સિનેમેટોગ્રાફી કરનાર મદન સિન્હાએ બે જ ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું; નૂતન અને મોહનિસ બહેલની 'યેહ કૈસા કર્ઝ' અને વિનોદની ‘ઇમ્તિહાં'.

ઉપર વાત કરી તેમ, આપણે ત્યાં સ્કૂલ-કોલેજના વિષયને લઈને બહુ ઓછી ફિલ્મો બની છે, અને એમાં ય, વિધાર્થીઓનાં જીવનની સંવેદનશીલતા અને શિક્ષકના બોધપાઠ વચ્ચેના નાજુક સંબંધને ઉજાગર કરતી હોય તેવી ફિલ્મો તો એથી ય ઓછી છે. થોડાં નામો :

સત્યન બોઝ નિર્દેશિત, અભી ભટ્ટાચાર્ય અભિનિત ‘જાગૃતિ’ (“આઓ બચ્ચો તુમ્હે દિખાયે ઝાંખી હિન્દુસ્તાન કી”), રાજ કપૂરની ‘શ્રી ૪૨૦’ (“ઈચક દાન બીચક દાના”), શમ્મી કપૂરની ‘પ્રોફેસર’ (“આવાજ દે કે હમે બુલા લો”), ગુલઝાર-જીતેન્દ્રની ‘પરિચય’ (“મુસાફિર હું યારો, ના ઘર હૈ ના ઠીકાના”), મહેશ ભટ્ટ-નસીરુદ્દીન શાહની ‘સર’ (“આજ હમને દિલ કા કિસ્સા તમામ કર દિયા”) અને આમિર ખાનની ‘તારે જમીં પર’ (“દેખો ઇન્હેં યે હૈ ઓંસ કી બુંદે”).

આ બધામાં, 'ટૂ સર, વિથ લવ'ની પ્રેરણાને ભૂલી જઈએ તો પણ, ‘ઇમ્તિહાં’ ઘણા બધા અર્થમાં કોલેજની વાસ્તવિકતાને મૌલિક રીતે પેશ કરવામાં સફળ રહી હતી. એ વર્ષે બોક્સ ઓફિસ પર તોતિંગ ફિલ્મોની સ્પર્ધા હતી. જેમ કે, મનોજ કુમારની ‘રોટી, કપડાં ઔર મકાન,’ રાજેશ ખન્નાની ‘પ્રેમ નગર,’ ‘આપ કી કસમ,’ અને ‘રોટી,’ અમિતાભની ‘મજબૂર,’ દેવ આનંદની ‘અમીર ગરીબ,’ શશી કપૂરની ‘ચોર મચાયે શોર’ અને ધર્મેન્દ્રની ‘દોસ્ત.’ એ બધા વચ્ચે ‘ઇમ્તિહાં’ પહેલા નંબરે ઇમ્તિહાં પાસ કરી હતી!

તેની વાર્તા કંઇક આવી હતી : પ્રમોદ શર્મા (વિનોદ ખન્ના) એક સમૃદ્ધ બિઝનેસમેન(મુરાદ)નો આદર્શવાદી દીકરો છે. સમાજ માટે કશું કરી છૂટવાની ભાવનાથી તે પિતાનો ધંધો સંભાળવાને બદલે આદર્શ મહાવિદ્યાલય નામની કોલેજમાં ઇતિહાસ ભણાવવાનું કામ સ્વીકારે છે. પ્રમોદનું કામ એટલે અઘરું છે કારણ કે ત્યાંના વિધાર્થીઓ તોફાની અને અસભ્ય છે. છોકરાઓનો નેતા રાકેશ (રણજીત) છે. ક્લાસમાં પહેલા જ દિવસે રાકેશ તોફાન કરે છે અને પ્રમોદ તેનું સખત અપમાન કરે છે.

પ્રમોદ છોકરાઓને સુધારવા પ્રયાસ કરે છે. એમાં, કોલેજના ચેરમેનની દીકરી રિટા (બિંદુ) પ્રોફેસર તરફ આકર્ષાય છે. બીજી બાજુ, પ્રમોદનો ભેટો કોલેજના પ્રિન્સિપાલની અપંગ દીકરી મધુ (તનુજા) સાથે થાય છે. મધુ એક પાયલોટના પ્રેમમાં હતી અને લગ્ન કરવાની હતી, પરંતુ વિમાન અકસ્માતમાં છોકરાનું મૃત્યુ થઇ ગયું હતું. એ આઘાતમાં મધુ ઘરની સીડીઓ પરથી ગબડી પડી હતી અને તેનો એક પગ કાયમ માટે તૂટી ગયો હોય છે.

પ્રમોદ મધુના જીવનમાં પ્રેરણા અને સકારાત્મકતા લાવે છે, એટલે મધુ તેના પ્રેમમાં પડે છે. રિટાને બંનેનો સંગાથ પસંદ નથી, એટલે તે ઈર્ષ્યામાં આવીને પ્રમોદ પર જાતીય સતામણીનો આરોપ મૂકે છે. રાકેશ એમાં રિટાને સાથ આપે છે. કોલેજના વિધાર્થીઓને અચ્છા ઇન્સાન બનાવવા આવેલા પ્રોફેસર પ્રમોદના ચારિત્ર્યની જ ઇમ્તિહાં શરૂ થાય છે. તેને હવે સર્વેની નજરમાં નિર્દોષ સાબિત થવાનું હોય છે. એમાં તે પાર ઉતરે છે અને ફિલ્મના અંતે, મધુ સાથે જીવન વિતવા માટે તે કોલેજ છોડીને ચાલ્યો જાય છે.

રિટા અને મધુ જ નહીં, દર્શકો પણ આ પ્રોફેસરના પ્રેમમાં પડી ગયા હતા. ઊંચો-પડછંદ વિનોદ ખન્ના કાળી ફ્રેમનાં ચશ્માં અને કોટ-ટાઈમાં સાચે જ આકર્ષક પ્રોફેસર લાગતો હતો. રાજ કપૂર, દિલીપ કુમાર, દેવ આનંદ અને રાજેશ ખન્ના-અમિતાભ બચ્ચન વચ્ચે વિનોદ ખન્ના સેન્ડવિચ થઇ ગયો એટલે, બાકી તેનામાં સ્ટારડમ અને એક્ટિંગ બંનેનું જબરદસ્ત મિશ્રણ હતું. એ સંસ્કારી પણ એટલો જ હતો. એટલે જ બોલીવુડની ઉંદર-દૌડથી ત્રાસીને મનની શાંતિ માટે રજનીશના આશ્રમમાં જતો રહ્યો હતો. તેની સહકલાકાર તનુજા એક જગ્યાએ કહે છે, “એ આલતુ-ફાલતું ન હતો. એની વાતોમાં કચરો ન હતો. માનસિક રીતે મળતો આવતો હોય તેવા સહકલાકાર સાથે સંવાદ કરવાની અલગ જ મજા છે.”

‘ઇમ્તિહાં’ની બીજી યાદગાર ચીજ તેનું ગીત “રુક જાના નહીં તું કહીં હાર કે’ હતું. લક્ષ્મીકાંત-પ્યારેલાલના કર્ણપ્રિય સંગીતમાં, એમ તો લતા મંગેશકરના કંઠે ગવાયેલું શૃંગારરસથી ભરપૂર ‘રોજ શામ આતી થી મગર ઐસી ન થી’ પણ બેહદ મધુર હતું, પણ કિશોર કુમારના અવાજમાં ગવાયેલું મોટિવેશનલ ગીત આજે પણ એટલું જ લોકપ્રિય છે. કિશોરનાં ઘણાં ગીતો બેહદ પ્રેરણાદાયી સાબિત થયાં છે. એમાં આ તો વિશેષ હતું, કારણ કે એમાં જીવનના વિવિધ સંઘર્ષોમાં થાક્યા-હાર્યા વગર આગળ વધતા રહેવાની વાત હતી.

ગીત એકદમ સાદું હતું, પણ શ્રોતાઓને તેમાં ખુદની જિંદગી નજર આવતી હતી, એટલે તે પેઢી દર પેઢી લોકપ્રિય રહ્યું છે. શાયર-ગીતકાર મજરૂહ સુલતાનપૂરી મોટા ભાગે સામાજિક નિસ્બતવાળાં ગીતો માટે જાણીતા છે, પણ ‘ઇમ્તિહાં’માં તેમણે જીવનની અત્યંત વ્યક્તિગત ફિલોસોફી પેશ કરીને ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા.

ફિલ્મની શરૂઆત પ્રમોદ કોલેજ જોઈન કરવા માટે જતો હોય છે ત્યાંથી થતી હોય છે. તે અમીર બાપની ઈચ્છા વિરુદ્ધ, તેમની દોલતને ઠુકરાવીને, ૫૦૦ રૂપિયાની નોકરી કરવા નીકળ્યો હોય છે. પ્રમોદ કહે છે, “મેં કિસી ભી એસે પૈડ કી છાયા મેં નહીં રહે શકતા, જિસકી છાયા મુજે ધૂપ સે દૂર રખને સે બજાય ઉજાલો સે દૂર રખે.” બાપ તેને રોકવા માટે પ્રયાસ કરે છે, પણ પ્રમોદ ઘર છોડીને નીકળી જાય છે. તેની પીઠ પાછળ બાપ બોલે છે, ‘રુક જાઓ, પ્રમોદ … લૌટ આઓ, બેટે.”

એ ઓપનિંગ દ્રશ્યમાં વિનોદ ખન્ના મહાભારતના અર્જુન જેવો લાગે છે, જેની પીઠ પાછળ બાપનું આક્રંદ છે અને જેની નજર સામે આદર્શ મહાવિદ્યાલયનો રસ્તો છે. એમાં મજરૂહ સુલ્તાનપૂરી જાણે અર્જુનના કૃષ્ણ હોય તેમ લખે છે :

સાથી ન કારવાં હૈ
યે તેરા ઇમ્તિહાં હૈ
યૂં હી ચલા ચલ દિલ કે સહારે
કરતી હૈ મંજિલ તુજકો ઈશારે
દેખ કહીં કોઈ રોક નહીં લે તુજ કો પુકાર કે
ઓ રાહી, ઓ રાહી …

પ્રગટ : ‘બ્લોકબસ્ટર” નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 15 જાન્યુઆરી 2022

સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

ચિત્તરંજન વોરાને જ્ન્મદિવસની શુભેચ્છા ….

સંજય સ્વાતિ ભાવે|Gandhiana|19 January 2022

પ્રશિષ્ટ પુસ્તકોના પ્રચ્છન્ન અનુવાદક ચિત્તરંજન વોરા આજે સિત્યોતેર વર્ષ પૂર્ણ કરી ઇઠ્યોતેરમા વર્ષમાં પ્રવેશે છે.

ગૂજરાત વિદ્યાપીઠના સાદરા ખાતે આવેલા મહાદેવ દેસાઈ ગ્રામસેવા મહાવિદ્યાલયના પૂર્વ આચાર્ય અને અર્થશાસ્ત્રના અધ્યાપક ચિત્તરંજનભાઈએ પશ્ચિમના ચાર મહત્ત્વનાં પુસ્તકોના ગુજરાતીમાં સંતોષકારક  અનુવાદ આપ્યા છે.

આ પુસ્તકો છે : 'અન્ ટુ ધિસ્ લાસ્ટ' (જૉન રસ્કિન), 'ધ્ કિન્ગડમ ઑફ ગૉડ ઇઝ વિધિન યૂ' (લીઓ ટૉલ્સ્ટૉય), 'સૉક્રેટિક ડાયલૉગ્ઝ' (પ્લેટો) અને 'પૅરલલ લાઇવ્ઝ' (પ્લુટાર્ક).

આ ચારેય પુસ્તકોની મહત્તા એવી છે કે વૈચારિક વાચનમાં રસ ધરાવનાર વાચકને તે પોતાની ભાષામાં આવ્યાં છે એ જાણીને આનંદ અને ગૌરવ થાય. જો કે આ કૃતિઓના ગુજરાતી અનુવાદક લગભગ પ્રચ્છન્ન એટલે કે અજાણ્યા છે.

ચિત્તરંજનભાઈએ અંગ્રેજીમાંથી ઊતારેલાં આ પુસ્તકોનાં પાનાં સહેજ ધ્યાનથી ફેરવતાં અનુવાદો પાછળની તેમની દૃષ્ટિ અને તેમના પરિશ્રમની વારંવાર પ્રતીતિ થાય છે. પ્રાચીન ગ્રીસના લેખક પ્લુટાર્કના પુસ્તક સિવાયનાં પુસ્તકોમાં તેમણે એકંદરે શબ્દશ: અનુવાદ આપ્યો છે. પ્લુટાર્કમાં તેમણે ચોક્કસ સમજ સાથે સંક્ષેપનો માર્ગ લીધો છે.

રસ્કિન, ટૉલ્સ્ટૉય અને પ્લેટોનાં પુસ્તકોના અંગ્રેજી પાઠ સાથે ગુજરાતી અનુવાદની થોડીક નમૂનારૂપ સરખામણી કરતાં અનુવાદ વિશ્વસનીય અને ધોરણસરની ગુણવત્તાવાળો જણાય છે. દરેક પુસ્તકમાં અનુવાદ પહેલાંનાં પાનાંમાં ચિત્તરંજનભાઈ અનુવાદ પાછળની તેમની ભૂમિકા સમજાવે છે, તેમ જ લેખક અને કૃતિ વિશે અભ્યાસપૂર્ણ માહિતી આપે છે.

****

'અન્ ટુ ધિસ્ લાસ્ટ' (Unto This Last, 1862)) અને 'ધ્ કિન્ગડમ ઑફ ગૉડ ઇઝ વિધિન યૂ' (The Kingdom of God is Within You,1893) પુસ્તકોનો ગાંધીજી પર મોટો પ્રભાવ હતો એ વાત આત્મકથા થકી જાણીતી છે.

ચિત્તરંજન ગાંધીવિચારને વરેલા પરિવારના છે. તેમના પિતા, બે ભાઈઓ અને પત્ની ગાંધીવિચાર સાથે કામ કરતી સંસ્થાઓ સાથે આજીવન સંકળાયેલાં રહ્યાં છે.

ગાંધીજીએ સમાનતાવાદી અર્થવ્યવસ્થાને લગતાં ચાર નિબંધોના સંચય 'અન ટુ ધિસ લાસ્ટ'નો સાર ખાસ તેમની એ વખતની ગુજરાતી ભાષામાં 'સર્વોદય’ નામની ચાળીસેક પાનાંની પુસ્તિકામાં 1922માં આપ્યો હતો. પછીનાં વર્ષોનાં ગાળામાં રસ્કિનના પુસ્તક વિશે આપણે ત્યાં વાત થતી રહી, પણ તે પુસ્તક ચિત્તરંજનભાઈની કલમે છેક 1995માં આવ્યું.

તેને પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી એમ.એલ. દાંતવાલાની લાંબી વિદ્વત્તાપૂર્ણ પ્રસ્તાવના મળી જેનું મથાળું છે – ''અન્ ટુ ધિસ્ લાસ્ટ’ નો કોઈ વિકલ્પ નથી'.

મનુભાઈ પંચોળી દર્શકે 'એક રૂડું કામ' નામે મનભર આવકારલેખ આપતાં લખ્યું: 'ભાઈ ચિત્તરંજને અક્ષરશ: અનુવાદ કરીને મોટી ખોટ પૂરી છે. આ મહાન કલાવિવેચક અને સાહિત્યસ્વામીનો સફળ અનુવાદ કરવો એ ખાંડાના ખેલ છે. છતાં તેને ઉતારવાનો પ્રયત્ન ભારે પ્રશસ્ય છે.'  

અંગ્રેજી સાહિત્યના વિક્ટોરિયન યુગના મેકૉલે અને કાર્લાઇલ જેવા ગદ્યકારોના લખાણોની જેમ રસ્કિનના ગદ્યના અનુવાદનો પડકાર ચિત્તરંજનભાઈએ ઠીક ઝીલ્યો છે.

પુસ્તકની બીજી સંવર્ધિત આવૃત્તિ 2013માં થઈ. તેમાં અનુવાદની ઉત્તમ ગુણવત્તા અંગેના જાણકારોના અભિપ્રાયો વાંચવા મળે છે.

અનુવાદકે રસ્કિનના જીવન અને વિચારદર્શન વિશે સંતર્પક લેખ લખ્યો છે. પુસ્તકનો શિરમોર હિસ્સો છે: ''અન્ ટુ ધિસ્ લાસ્ટ' વિશે અર્થશાસ્ત્ર અને ગાંધીવિચારના સંદર્ભમાં સમજૂતી'. અહીં ચિત્તરંજનભાઈએ ચારેય નિબંધોમાં રસ્કિને ક્રમવાર લખેલા તમામ 307 મુદ્દામાંથી લગભગ દરેકનો સરેરાશ દસથી ત્રીસ જેટલા શબ્દોમાં સાર આપ્યો છે !

બીજી આવૃત્તિમાં 'અન્ ટુ ધિસ્ લાસ્ટ'ના અનુવાદની સાથોસાથે  રસ્કિનની પરીકથા  'ધ્ કિન્ગ ઓફ ધ ગોલ્ડન રિવર'નો ચિત્તરંજનભાઈએ 'સોનેરી નદીના રાજા' નામે કરેલો અનુવાદ બન્સી વર્મા 'ચકોર'ના ચિત્રો સાથે મળે છે. આ બાળવાર્તા 'અન્ ટુ ધિસ્ લાસ્ટ'ના 'સારરૂપ' હોવાનું દર્શક અનુવાદની ટૂંકી પ્રસ્તાવનામાં નોંધે છે. ગંભીર પુસ્તકોના અનુવાદક બાળકો માટેનું મજાનું ગુજરાતી પણ લખી શક્યા છે.

'અન્ ટુ ધિસ્ લાસ્ટ'ની બંને આવૃત્તિઓ કોઈ જાણીતા પ્રકાશકે નહીં પણ સંભવત: અનુવાદકના પોતે ‘વિચારધારા પ્રકાશન’ થકી પ્રસિદ્ધ કરી છે,  તે નવાઈની વાત લાગે છે.

***

ટૉલ્સ્ટૉયના 'ધ્ કિન્ગડમ ઑફ ગૉડ ઇઝ વિધિન યૂ' પુસ્તકની બાબતમાં નવાઈની વાત એ કે તે ગાંધીજીએ આત્મકથામાં તેનો 'વૈકુંઠ તારા હૃદયમાં છે' એવા કાવ્યાત્મક નામ સાથે ઉલ્લેખ કર્યો. એટલે પછી આત્મકથાના વિસ્તરતાં વાંચન સાથે એવી ગેરસમજ ફેલાતી ગઈ કે આ આખું પુસ્તક પણ ગુજરાતીમાં છે. પણ એ જ નામ સાથે પ્રત્યક્ષ પુસ્તક છેક 2017માં ‘નવજીવન પ્રકાશન’ થકી આવ્યું.

દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ દરમિયાન ઊભું કરેલ ટૉલસ્ટૉય ફાર્મ એ અગ્રણી રશિયન ચિંતકના ગાંધીજી પરના પ્રભાવનો પૂરાવો છે. અનુવાદક નોંધે છે : 'મહાત્મા ટૉલ્સ્ટૉયના આ ગ્રંથે ['કિન્ગડમ ઑફ ગૉડ…'] મહાત્મા ગાંધીના અહિંસક સત્યાગ્રહની શોધ વખતે તેમની વિચારણાના પાયાને મજબૂત કર્યા. આ ગ્રંથ પ્રેમ, ક્ષમા, ભાઈચારો અને વિશ્વનાં આદિકારણને સમર્પિત જીવનનિષ્ઠાનો ગ્રંથ છે. તેથી આ ગ્રંથ માત્ર ખ્રિસ્તી ધર્મ પૂરતો જ નહીં પણ જગત આખાની માનવતાનો અમૂલ્ય વારસો છે. ગાંધીજીએ તેને ધાર્મિકતાની સંકુચિત સાંપ્રદાયિકતાથી ઊપર ઊઠીને વાંચ્યો અને તેમાંથી પોતાને માટે સાર હતું તે ગ્રહણ કરી લીધું.'

અનુવાદકના નિવેદનમાં પુસ્તકની મહત્તા ઉપરાંત ટૉલસ્ટૉયનાં જીવનકાર્ય અને ગાંધી-ટૉલ્સ્ટૉય સંબંધો વિશેની રસપ્રદ માહિતી મળે છે. મૂળ પુસ્તકમાંથી 'પુનરુક્તિના અને ક્ષેપક જેવા કેટલાક અંશો જતા કર્યા છે' એમ પણ અનુવાદક નોંધે છે. પુસ્તકમાં મહેનતથી તૈયાર કરેલી પંદરેક પાદટીપો ખ્રિસ્તી ધર્મ, બાઇબલ, ઇતિહાસ જેવાં ક્ષેત્રોને લગતી છે.

***

ગ્રીક તત્ત્વચિંતક સત્યવીર સૉક્રેટિસ ઇસવી સન પૂર્વે પાંચમી સદીમાં થઈ ગયા. તેમણે વિવિધ વ્યક્તિઓ સાથે કરેલા પાંત્રીસ સંવાદો તેમના ફિલસૂફ શિષ્ય પ્લેટોએ લખ્યા છે. તેમાંથી યૂથીફ્રો, ક્રીટો અને ફીડો સાથેના સંવાદો ચિત્તરંજન ગુજરાતીમાં લાવ્યા છે.

અલબત્ત, સહુથી પ્રેરણાદાયી તો ‘એપોલોજી’ એટલે કે 'સૉક્રેટિસનું બચાવનામું' છે. તેનો સાર ગાંધીજીએ 'એક સત્યવીરની કથા અથવા સૉક્રેટીસનો બચાવ’ નામે 'ઇન્ડિયન ઓપીનિયન' પત્રિકામાં 1908માં લખ્યો છે. એમાંથી અવતરણ સાથેની એક ખૂબ રસપ્રદ પાદટીપ અનુવાદકે મૂકી છે. પોતાના નિવેદનને અંતે તેઓ નોંધે છે : 'આ ગ્રંથ મુજબ સૉક્રેટિસની વિચારપદ્ધતિ શીખનાર પ્રજા પોતાની અંધશ્રદ્ધાઓને તપાસીને તેમાંથી મુક્ત બની શકે છે …'

****

ચિત્તરંજનભાઈના ચારેય પુસ્તકોમાં આકર્ષક પાત્રો અને કથારસ ધરાવતો અનુવાદ (બાળકથા ઉપરાંત) એટલે 'પ્લુટાર્કની વીરકથાઓ' (નવજીવન, 2021). પ્લુટાર્ક (ઇ.સ. 45-120) ગ્રીક ઇતિહાસકાર, ગદ્યલેખક અને  ધર્મોપદેશક હતો. તેણે પચાસ ગ્રીક અને રોમન પ્રતિભાઓ વિશે લાંબા ચરિત્રલેખો કર્યા છે. તેમાંથી 'વીરકથાઓ' પુસ્તકમાં દસ વ્યક્તિઓ વિશે વાંચવા મળે છે. શેક્સપિયરના 'જ્યુલિયસ સીઝર' અને 'ઍન્ટની ઍન્ડ ક્લિઓપાત્રા' નાટકો માટેનો સ્રોત પ્લુટાર્ક છે. આ પાત્રો ઉપરાંત ગ્રીક સમ્રાટો પેરિક્લીઝ અને ઍલેક્ઝાંડર, રાજદ્વારી મુત્સદ્દી સિસેરો, વક્તા ડેમોસ્થેનીસનાં વ્યક્તિચિત્રો પણ ચિત્તરંજનભાઈએ પસંદ કર્યા છે.

નિવેદનમાં તેઓ સ્પષ્ટતા કરે છે કે આ ‘પદ્ધતિ મુજબનો અક્ષરશ: તરજૂમો નથી'. તેમણે 'વાચનરસ માટે પ્રસ્તુત ન હોવાથી' દૂર કરેલ બાબતો જણાવી છે તેમ જ ક્યાંક 'નવું લખાણ ઉમેરવાનો ખ્યાલ પણ રાખ્યો છે.'  જેમ કે, ઍલેક્ઝાંડરના પાત્રમાં અનુવદક વિજયગાથાઓ વિશેના પ્લુટાર્કના શબ્દો પછી પોતાના વતી ઉમેરે છે : ' … તે આજના એકવીસમી સદીના સ્વતંત્ર દેશવાસીએ ખાસ સમજવાનું રહે.' 

ચિત્તરંજનભાઈ આ અનુવાદને મૂળ પુસ્તકની ‘કેવળ ઝાંખી માત્ર’ ગણાવે છે. પુસ્તકનો ઉદ્દેશ 'વીતેલા જમાનાની માનવતાએ ભોગવેલ મહાત્ત્વાકાંક્ષા અને સંહાર જેવાં આત્મઘાતક પુનરાવર્તનોમાંથી ભાવિના ઉગારા માટે' 'ધર્મમય માર્ગ'  ચીંધવાનો છે એ મતલબનું અનુવાદક લખે છે.

***

ગયાં દોઢસો જેવાં વર્ષ દરમિયાન ગ્રીક સાહિત્યમાંથી કેટલાક અક્ષરગ્રંથો ગુજરાતીમાં આવ્યા છે. તેમાં સૉકેટીસ-પ્લેટો અને પ્લુટાર્કના ચિત્તરંજનભાઈ પાસેથી મળેલાં અનુવાદો મહત્ત્વનું ઉમેરણ છે.

ચિત્તરંજનભાઈના મૂલ્યવાન અનુવાદોને વધુ અભ્યાસીઓ મળે અને તેમને વધુ નિરામય વર્ષો મળે તેવી શુભેચ્છા !

(તસવીર સૌજન્ય : નીતિન કાપૂરે)

19 જાન્યુઆરી 2022

સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

...102030...1,6271,6281,6291,630...1,6401,6501,660...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved