Opinion Magazine
Number of visits: 9674101
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—133

દીપક મહેતા|Opinion - Opinion|19 February 2022

મુંબઈની વિક્ટોરિયા : યૂં તો હમને લાખ હસીને દેખે, તુમસા નહિ દેખા

યૂં તો હમને લાખ હસીને દેખે, તુમસા નહિ દેખા
ઐ દિલ, હૈ મુશ્કિલ, જીના યહાં
યે ક્યા કર ડાલા તુને
મૈ રંગીલા પ્યાર કા રાહી
હૌલે હૌલે સજના, ધીરે ધીરે બલમા
માંગ કે સાથ તુમ્હારા, મૈને માંગ લિયા સંસાર
બંદા પરવર, થામ લો જીગર
પિયા પિયા પિયા, મેરા જિયા પુકારે

સવાલ : જુદી જુદી ફિલ્મોનાં, જુદાં જુદાં ગાયક-ગાયિકાએ ગાયેલાં આ ગીતો વચ્ચે સમાનતા શી છે?

જવાબ : આ દરેક ગીતના મોટા ભાગ દરમ્યાન નાયક નાયિકા મુંબઈની વિક્ટોરિયામાં મહાલતાં હોય છે.

ભૂતકાળ બની ગયેલી વિક્ટોરિયા

એક વખત એવો હતો જ્યારે મુંબઈમાં નહોતી ટ્રામ, બસ, કે ટેક્સી. ત્યારે બે જ સાધન હતાં – પાલખી અને ઘોડા ગાડી. તવારીખમાં, સાલવારીમાં, વિગતોની જાળવણીમાં આપણને રસ ઓછો. એટલે મુંબઈમાં વિક્ટોરિયા ક્યારે દાખલ થઈ, કોણે કરી, એ ખાતરીપૂર્વક કહી શકાય નહિ. પણ ૧૯મી સદીમાં આપણે ઘણી બધી વસ્તુઓ, વ્યવસ્થા, ગ્રેટ બ્રિટન પાસેથી અપનાવી. આ વાહનનાં નામ અને ડિઝાઈન જોતાં કહી શકાય કે ગ્રેટ બ્રિટન પાસેથી આપણે વિક્ટોરિયા લઈ આવ્યા. એક જમાનામાં ચર્ની રોડ, ગ્રાન્ટ રોડ, બોમ્બે સેન્ટ્રલ જેવાં સ્ટેશનોની બહાર હારબંધ વિક્ટોરિયા ઊભી રહેતી. મોટા ભાગના ગાડીવાળા મુસ્લિમ બિરાદરો. માથે કાળા ફૂમતાવાળી લાલ ટોપી. એક હાથમાં લગામ, બીજા હાથમાં ચાબૂક. ગાડીની બે બાજુ કાચની ચોરસ ચીમનીમાં રાતે ઘાસલેટના દીવા કરવાના. ફોલ્ડિંગ હૂડ. ચોમાસામાં કે તડકામાં પેસેન્જરને થોડી રાહત આપે. પણ ગાડીવાને તો ટાઢ, તડકો, વરસાદ, બધું વેઠવું પડે. હા, વરસાદમાં સીધા હેન્ડલવાળી છત્રી પાઈપના ટુકડામાં ખોસી રાખી હોય તે વરસાદથી ચાલકને થોડો બચાવે.

બોમ્બે સેન્ટ્રલ સ્ટેશન ૧૯૩૭માં આવું દેખાતું હતું

આ લખનારને બાળપણની વિક્ટોરિયાની મુસાફરીઓ હજી યાદ છે. ખાસ તો બહારગામ જવાનું હોય ત્યારે બોમ્બે સેન્ટ્રલ જવા માટે વિક્ટોરિયા જ ભાડે કરાય. ટ્રેન ઉપડવાના ટાઈમ કરતાં બે-અઢી કલાક વહેલા નીકળી જવાનું ઘરેથી. બહારગામ જતી ટ્રેનમાં એ વખતે ચાર ક્લાસ : ફર્સ્ટ, સેકન્ડ, ઇન્ટર, અને થર્ડ. થર્ડ ક્લાસમાં એડવાન્સ બુકિંગ કે રિઝર્વેશનની સગવડ નહિ. સ્ટેશને પહોંચીને ટિકિટ લેવાની. એટલે ઘરેથી વહેલા નીકળી જવાનું. પહેલું કામ વિક્ટોરિયાના ચાલક સાથે ભાવ-તાલ. ત્યાર બાદ એક પછી એક ‘દાગીના’ વિક્ટોરિયામાં ગોઠવાતા જાય. પહેલાં આવે પતરાની ટ્રન્કો. નકૂચા પર પિત્તળનું તાળું. દરેક ટ્રંકના ઢાકણા પર કાકાનું (પિતાને અમે ‘કાકા’ કહેતા) નામ લાલ અક્ષરે લખેલું હોય. પછી આવે બિસ્તરો – ઠાંસી ઠાંસીને ભરેલો, ચામડાના જાડા પટ્ટાથી બાંધેલો. બે પટ્ટા વચ્ચેનો ભાગ કોઈ માલેતુજાર શેઠિયાની ફાંદની જેમ ફૂલેલો હોય. પિત્તળનો પાણીનો કુંજો. જર્મન સિલ્વરની પાનની પેટીને તો ‘કાકા’ ક્ષણભર પણ અળગી ન કરે. પછી આવે ભાતાની મોટી પેટી – ગૂંથેલા નેતરની. એમાં અંદર નાનાંમોટાં, આડાંઊભાં ખાનાં. આગલી રાતે મોડે સુધી જાગીને માએ બનાવેલી જાતજાતની વાનગીઓ છાપાના કાગળમાં બાંધીને ખાનાંઓમાં વ્યવસ્થિત ગોઠવાઈ હોય. ડબ્બાને બદલે કાગળ, જેથી એક તો વજન ઓછું થાય, અને બીજું, ખાલી વાસણ ધોવાની માથાકૂટ નહિ. મેથીનાં ઢેબરાં, જેને અમારા સુરતી-અમદાવાદી પડોશીઓ ‘થેપલાં’ કહેતાં. ટ્રેનમાં ઠંડાં ઢેબરાં ખાતી વખતે પેલું લોકગીત યાદ આવે :

મારે ઘેર આવજે માવા, ઊનાં ઊનાં ઢેબરાં ખાવા.

બટેટાંના તળેલા કટકા. ઉપરથી મીઠું-મરચું ખાતી વખતે ભભરાવી લેવાનું. ‘કપુરિયાં બટેટાં’ (આજની સૂકી ભાજીની ગોરી બહેન) બાફેલાં, એટલે જલદી બગડી જાય. એટલે એને બદલે તળેલાં બટેટાં. (બટાકા શબ્દ અમારા ઘરમાં ક્યારે ય વપરાતો નહિ.) બટેટાં વગર નાગરના ઘરમાં પાટલો પડે નહિ. એક નવી વહુ રસોઈ કરીને સાસુ પાસે આવી. ‘બેટા, આજે શેનું શાક કર્યું છે?’ ‘મા, બટેટાનું.’ ‘સારું, સારું, પણ એમાં બટેટાં ઉમેર્યાં કે નહિ? આપણા ઘરમાં દરેક શાકમાં બટેટાં તો જોઈએ જ.’ પછી હોય પૌઆનો ચેવડો. અમારું કુટુંબ ગિરગાંવકર, એટલે ચેવડો અસ્સલ મરાઠી ઇસ્ટાઈલનો. ગોળપાપડી, તીખા ગાંઠિયા, નાનખટાઈ, વગેરે. કાચની બાટલીઓમાં માએ બનાવેલાં મેથિયાં કેરી, ગળ્યો અને તીખો છૂંદો, કટકી કેરી, વગેરે અથાણાં. એક ખાનામાં પ્લેટ, ગ્લાસ, ચમચી વગેરે. બધાં તાંબા-પિત્તળનાં. સૌથી ઉપર બે-ત્રણ જૂનાં છાપાં.

મુસાફર અને મજૂર

બોમ્બે સેન્ટ્રલ પહોંચીને લાલ ખમીસ પહેરેલા મજૂર સાથે વાટાઘાટ શરૂ થાય. સામાન તો ડબ્બામાં ચડાવવાનો જ, પણ ચાર ‘બર્થ’ પણ અપાવવાની. આઠ-દસ રૂપિયાનો મામલો. ચાલતી ટ્રેને મજૂર કે તેનો સાથીદાર ટ્રેનમાં ચડી જાય અને ફાળિયું કે ચાદર પાથરીને ‘બર્થ’ અમારે માટે રોકી લે. એ વખતના થર્ડ ક્લાસના ડબ્બામાં બેસવા માટે લાકડાના બાંકડા. ઉપ્પર સૂવા માટે પાટિયું. પંખાની જરૂર ન રેલવે કંપનીને લાગતી, ન મુસાફરોને. બારીને સળિયા હોય, કે નયે હોય. ‘મારી માતાએ બેઉ જનમ્યા તેમાં હું નટવર નાનડો’ એટલે બારી પાસે બેસવાનો જન્મસિદ્ધ અધિકાર. પણ બેઠા પછી ઘણી વાર ઉમાશંકર જોશીની પેલી પંક્તિઓ જેવી દશા થાય :

સમાન પલ્લાં વિધિની તુલાનાં,
જયાજયો તે મનનાં જ બહાનાં.

એ જમાનો સ્ટીમ એન્જિનનો. ધૂમાડા ભેગી કોલસાની કરચો પણ ઊડતી હોય. એમાંની એકાદ આંખમાં આવીને બેસી જાય. આંખ રાતી ચોળ. થોડી વારે માંડ નીકળે. પણ તો ય બારી પકરી તે પકરી. છોડવાની નહિ.

આંખ ઠેકાણે આવે એટલે નજર સામે મકાનો, માણસો, ખટારા, ખખડધજ બસો, ઝાડ, નદી-નાળાં, ટેકરીઓ, બધું ઝડપભેર પસાર થતું રહે. દાદર, વાંદરા, બોરીવલી જેવાં સ્ટેશને બહારગામની ટ્રેનો ઊભી ન રહે. સીધું આવે પાલઘર. ત્યાં ચા પીવાની જ. ચા વેચવાવાળા બે જાતના : ‘ચાય, બામણિયા ચાય’ એવી બૂમો પાડનારા, અને બીજા ‘ચાય ગરમ, ચાય’ એમ બોલનારા. પહેલાના ઘરાકો ઉજળિયાત બામણ-વાણિયા. જ્યારે ચોથા વર્ણના અને પારસી, ખ્રિસ્તી, મુસ્લિમ વગેરે છડિયાં ‘ચાય, ગરમ ચાય’ના ઘરાકો. કાચનાં કપ-રકાબી. ઠીક ઠીક મોટાં. આજના કાગળના કપ જોઇને તો એમ લાગે કે હવે થોડા વરસમાં ગણીને રોકડાં દસ ટીપાં ચા ડ્રોપરથી સીધી મોઢામાં રેડશે. અમારા જેવા ઘણા મુસાફર પોતાનાં કપ-રકાબીમાં ચા લેવાનું પસંદ કરે. પિત્તળની કિટલીમાંથી ઉપરથી ધાર કરીને ચા કપમાં રેડાય, મિઠ્ઠી, કડક. ઉપર ફીણનું પડ બાઝી જાય.

જી.આઈ.પી. (આજની સેન્ટ્રલ) રેલવેમાં બહારગામ જઈએ તો વારે વારે નાનાં-મોટાં બોગદાં આવે. ‘રસિક’ મુસાફરો તો એ વખતે પણ હતા જ. આપણા કવિ નર્મદે લખ્યું છે :

ગાડી જ્યારે જાય ટનલમાં ચિંઇઈ કરીને,
તારે સહુ જન થાય અજબ બહુ,
એવી વેળા થોડી વારના અંધારામાં
નિજ પ્રિયજનને છાતીસરસું ખૂબ ચાંપવું,
એ સુખડું તો સ્વર્ગનું સાચે.

બી.બી.સી.આઈ. (આજની વેસ્ટર્ન) રેલવેમાં વચમાં વચમાં નદી પર બાંધેલા પૂલ પરથી ગાડી પસાર થાય. તાપી કે નર્મદા જેવી પહોળા પટની નદી પરથી ટ્રેન ધીમે ધીમે પસાર થાય ત્યારે ‘ભમભમ, ભભમભમ, એવો અવાજ આવે. આજની જેમ બે-ત્રણ મિનિટ નહિ, દરેક સ્ટેશને ટ્રેન ખાસ્સું રોકાય. નવાં પાણી-કોલસો ભરાય. ડ્રાઈવર બદલાય. એ વખતે બી.બી.સી.આઈ. રેલવેના બધા મોટા સાહેબો અંગ્રેજ કે એન્ગલો ઇન્ડિયન્સ. બાકીના સ્ટાફમાં પારસીઓ અને ભાઠેલાઓની બહુમતી.

રેલવે કંપની ટ્રેન ચલાવે છે તે આપણને રોજગારની તક આપવા માટે, એમ માનનારા ફેરિયાઓ બેધડક ડબ્બામાં આવે. દહાણુ સ્ટેશને ચણાની તળેલી દાળ વેચનારા. ગોલવડમાં ચીકુ અને સફેદ જાંબુ વેચનારી બાઈઓ. સંજાણ કે ઉદવાડા સ્ટેશને કસ્તી કે સુખડ વેચતો પારસી ફેરિયો પણ ક્યારેક દેખાઈ જાય. સુરત તો ફરસાણ અને મીઠાઈનું પાટનગર. માત્ર ફેરિયા જ નહિ, લારીઓ પણ પ્લેટફોર્મ પર દેખાય. અહીં ટ્રેન લાંબો વખત ઊભી રહે એટલે ઘણા મુસાફર ઊતરીને જોઈતી ખરીદી કરી લે. ભરૂચની ખારી સિંગ અને વડોદરાનો લીલો-સૂકો ચેવડો અને નડિયાદનું ભૂંસું તો લેવાનાં જ. ગળે હાર્મોનિયમ બાંધીને ગીતો ગાઈને પાઈ-પૈસો ઉઘરાવાનારાઓ, રોજિંદી જરૂરિયાતની વસ્તુ વેચનારા, નાનાં-મોટાં રમકડાં વેચનારા, ગળેથી લટકતા વાંસના ટોપલાવાળા પાન-પટ્ટીવાળા વગેરે ફેરિયાઓની આવન-જાવન ચાલતી ટ્રેને પણ થતી રહે.

BBCI રેલવે કંપનીની ટ્રેન

ટ્રેન અડધો પોણો કલાક અમદાવાદ સ્ટેશને રોકાય, અને પછી ઊપડે વિરમગામ તરફ. ત્યાંથી શરૂ થાય પીળી ભોમકા, એટલે કે દેશી રજવાડાંનો પ્રદેશ. વિરમગામ સુધી બ્રોડ ગેજ, પછી મિટર ગેજ ટ્રેક. એન્જિન, પાટા, ડબ્બા, બધું નાનું થઈ જાય. વિરમગામ સ્ટેશનના પ્લેટફોર્મની એક બાજુ બી.બી.સી.આઈ.ની બ્રોડ ગેજની મુંબઈથી આવેલી ટ્રેન ઊભી રહે. બીજી બાજુ મિટર ગેજની રજવાડી ટ્રેન ઊભી હોય. પણ એકમાંથી ઊતરીને બીજી ટ્રેનમાં સીધા બેસી ન જવાય. આખા પ્લેટફોર્મ પર વચ્ચોવચ જાળીવાળાં મોટાં પાંજરાં, લાઈન દોરી કે જકાતનાં. બધા મુસાફર સામાન સાથે એક બાજુથી પાંજરામાં દાખલ થાય. ઇન્સ્પેક્ટર સામે બેગ-બિસ્તરા ખોલવાના. જકાતના પૈસા માગે તો મૂંગે મોઢે આપી દેવાના. નહિતર ‘પછી જોશું’ કહી એક બાજુ બાંકડા પર બેસાડી દે તો તમારી ટ્રેન ઉપડી ગયા પછી જ સામે જુએ.    

વિરમગામથી મોટે ભાગે અમારી ટિકિટ ઇન્ટર ક્લાસમાં ‘અપગ્રેડ’ કરાવીએ. પાતળી ફાટેલી ગાદીવાળી સીટ. ચાલવું કે નહિ એ નક્કી ન કરી શકતો પંખો. વિરમગામ પછી રજવાડાની રેલવે લાઈન, ડબા, એન્જિન. દરેક બીજું સ્ટેશન ‘જંકશન.’ બે કે વધુ લાઈન ભેગી થાય. દરેક જંકશને બે-ચાર ડબ્બા કપાય ને બે ચાર નવા જોડાય. એટલે ટાઈમ ટેબલમાં ભલે દસ મિનિટ લખી હોય, ટ્રેન દરેક જંકશન પર અડધો કલાક તો રોકાય જ. બાપુની ગાડીની ઝડપ પણ ધીમી. ભાવનગર પહોંચતાં સુધીમાં અધમૂઆ થઈ જવાય. સ્ટેશનની બહાર આવીને રમકડાની હોય તેવી, દૂબળા ઘોડાવાળી ગાડી જોઈએ કે તરત યાદ આવે મુંબઈની બાદશાહી વિક્ટોરિયા. અને મન ગણગણવા લાગે : ‘ચલ મન મુંબઈ નગરી.’

E.mail  : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 19 ફેબ્રુઆરી 2022

Loading

લતા મંગેશકર : અવાજની ‘છોકરિયાળ’ યુવાની

રાજ ગોસ્વામી|Opinion - Opinion|19 February 2022

હિન્દી ફિલ્મોની એક સદાબહાર ગાયક કલાકાર તરીકે, લતા મંગેશકર વિશે બધાને ઘણું બધું ખબર છે. નહીં હોય તો ખબર પડી જશે, એટલું લખાયું છે અને લખાતું પણ રહેશે, પરંતુ સંગીતના જાણકારોને એક વાતનું વિસ્મય કાયમ રહેશે કે એક એકથી ચડિયાતી અનેક ગાયિકાઓ વચ્ચે, લતા દીદીના અવાજની એવી કઈ વિશેષતા હતી, જે તેમને સર્વેથી અલગ કરી ગઈ એટલું જ નહીં, ગાયિકીની દૃષ્ટિએ તેમને લાંબી ઉંમર આપી ગઈ? આ લેખ, લતા દીદીના અવાજની જવાનીનું રહસ્ય જાણવા માટે છે.

લતા મંગેશકરના અવાજની આવરદા બેમિસાલ છે. હિન્દી સિનેમાનું સુગમ સંગીત હોય કે પછી ભારતની શાસ્ત્રીય સંગીતની પરંપરા, કોઇ પણ ગાયિકાનો અવાજ આટલાં વર્ષો સુધી 'જવાન' રહ્યો નથી. નિયમિત રિયાઝથી ગળું ચોક્કસ એક સૂરમાં રહે, પરંતુ શરીરની બાયોલોજી બદલાય તેમ તેમ શરીરના અંગ-ઉપાંગોની કરામત પણ બદલાય. લતા દીદીના કિસ્સામાં તેમની વોકલ સિસ્ટમ ઘણાં વર્ષો સુધી એ જ ‘સૂર’માં રહી. લતાની બહેન આશા ભોંસલેનો અવાજ પણ હાઈ પિચ છે, એટલે એવું કહી શકાય કે મંગેશકર ખાનદાનની એ બાયોલોજીકલ ગીફ્ટ હતી કે સર્વે બહેનો અસાધારણ ઊંચા સ્વરમાં ગાઈ શકતી હતી.

લતા મંગેશકરના અવાજની વાત નીકળે ત્યારે, જ્ઞાની લોકો એક શબ્દ 'સોપ્રાનો'(એસ.ઓ.પી.આર.એન.ઓ.)નો ઉલ્લેખ કરે છે. સોપ્રાનો એટલે તાર સપ્તક અવાજ. સોપ્રાનો શબ્દ ઇટાલિયન 'સોપ્રા' (ઉપર, ઊંચું) પરથી આવે છે. ઇટાલિયન ઓપેરા સંગીતમાં ઊંચા અવાજે ગાતી સ્ત્રી ગાયિકાને 'સોપ્રાનો' કહેવાય છે. લતાને ભારતની સોપ્રાનો કહેવામાં આવે છે.

ભારતીય સંગીતશાસ્ત્રમાં સાત સૂરોના સમૂહને સપ્તક કહે છે; સા, રે, ગા, મા, પ, ધ અને ની. તેમાં પ્રત્યેક સ્વરની અંદોલન સંખ્યા તેના પાછળના સ્વરથી વધુ હોય છે. બીજી રીતે કહીએ તો, તમે જેમ જેમ 'સા'થી આગળ જાવ, તેમ તેમ સ્વરોના આંદોલનની સંખ્યા વધતી જાય. શાસ્ત્રીય સંગીતકારોએ આ સ્વરોને ત્રણ સપ્તકમાં વહેંચ્યાં છે; મન્દ્ર સપ્તક, મધ્યમ સપ્તક અને તાર સપ્તક.

પાર્શ્વગાયનમાં નીચેના સૂરમાં ગાવાનું અનિવાર્ય હોય છે, પણ તેમાં તમે ઉપરનાં સ્તર સર કરતા જાવ, તેમ તેમ ગાયનની ગુણવત્તામાં ઉમેરો થતો જાય. લતા મંગેશકરનો અવાજ આ ત્રણ સપ્તકની પણ ઉપર જઈ શકતો હતો.

પ્રસિદ્ધ ગાયિકા શોભા મુદગુલ કહે છે કે અવાજને ઊંચોને ઊંચો ફેંકતા (પિચિંગ) રહેવાની લતા મંગેશકરની ક્ષમતા અદ્વિતીય છે. ઉદાહરણથી સમજવું હોય તો એમ કહેવાય કે લતા નાળિયેરી જેવા સૂરોના ઊંચા-સીધા સપાટ ઝાડ પર ચઢી જઈને ત્યાં આરામથી બેસી શકતાં હતાં. બીજો ગાયક ત્યાંથી લપસી પડે. સૂર ગમે તેટલો અઘરો હોય, લતા તેને એ ઊંચાઈ પર પણ એટલી સરસ રીતે પકડી રાખે છે કે શ્રોતા તેમાં મંત્રમુગ્ધ થયા વગર ન રહે, અને અવાજની એ ગુણવત્તા કારકિર્દીના પહેલા ગીતથી લઈને છેલ્લા ગીત સુધી અખંડ રહી હતી તે લતાની લોકપ્રિયતાનું રહસ્ય છે.

મંગેશકર બહેનોના આગમન પહેલાં, હિન્દી ફિલ્મોમાં સુરૈયા અને શમશાદ બેગમ જેવી નાકમાંથી ગાતી અને લો પિચ અવાજવાળી ગાયિકાઓનો જમાનો હતો. કદાચ પરંપરાગત, રૂઢિચુસ્ત અને પુરુષોના આધિપત્ય હેઠળ રહેતી તે વખતની હિરોઈનોનાં સ્ત્રી પાત્રો માટે દબાયેલો, ભારેખમ અવાજ યોગ્ય હશે, પણ હિન્દી સિનેમામાં હિરોઈનો ઉન્મુક્ત થઇ, પુરુષ સમાન થઇ અને પોતાના આગવા વ્યક્તિત્વને નિખારતી થઇ તેમાં લતા મંગેશકરનો (અને પછી આશાનો) તીણો, ઊંચો અને નાજુક અવાજ આધુનિક સ્ત્રી પાત્રોનું પ્રતીક બની ગયો.

આ જ સંદર્ભમાં કહેવાય છે કે આશાએ લતાથી અલગ પાડવા માટે એ જ સમયની ‘સેક્સી’ અથવા વેસ્ટર્ન હિરોઈનોનો અવાજ બનવાનું નક્કી કર્યું. જેમ કે, કેબ્રે ડાન્સ નંબર માટે લતાનો અવાજ ‘યોગ્ય’ નહોતો ગણાતો, પણ ઓ.પી. નૈયર અને પાછળથી આર.ડી. બર્મને આશાને સેક્સી ગીતો ગાતી કરી દીધી. આશાજી એમાં એટલાં સફળ રહ્યાં હતાં કે લતાજી પર એવો આરોપ પણ છે કે ‘હું પણ આશાની જેમ ગાઈ શકું છું’ એવી જિદ્દમાં તેમણે ‘મૈ ક્યા કરું રામ મુજે બુઢ્ઢા મિલ ગયા’ કે ‘કૈસે રહું ચૂપ કે મૈને પી હી કયા હૈ’ જેવા ફાસ્ટ નંબર પણ કર્યા હતા.

લતા મંગેશકર સાથે સંગીતકારો અવાજની રેંજમાં નવા નવા પ્રયોગ કરતા થયા, કારણ કે ઉપર કહ્યું તેમ, તે નાળિયેરી જેવા ઊંચા સૂર પર પણ આસાનીથી સડસડાટ ચઢી જતાં હતાં એ જ વખતે એવી હિરોઈનો પણ આવવા લાગી (મીના કુમારી, મધુબાલા, નરગિસ, વહીદા રહેમાન, નૂતન, સાયરા બાનુ, ગીતા બાલી, રેખા, શર્મિલા ટાગોર જયા ભાદુરી, હેમા માલિની, વગેરે), જે હીરોની સમોવડી હતી, જે પોતાના સ્વતંત્ર અસ્તિત્વને ડંકાની ચોટ પર જાહેર કરતી હતી. લતાનો અવાજ આ હિરોઈનોની આઝાદીનો અવાજ હતો.

૨૦૧૬માં, એક ઇન્ટરવ્યૂમાં લતાને આ સવાલ પૂછવામાં આવ્યો હતો કે તમારા અવાજમાં રેંજ હતી એટલે સંગીતકારોએ બિનજરૂરી રીતે તમારી પાસે ઊંચા અવાજમાં ગવડાવતા હતા, ત્યારે તેમણે કહ્યું હતું, “એ વાત સાચી છે. બે ઉદાહરણ આપું. ‘જંગલી’માં અહેસાન તેરા હોગા મુજ પર અને ‘લવ ઇન ટોકિયો’માં ઓ મેરે શાહ-એ-ખૂબા બંનેને શંકર-જયકિશને સ્વરબદ્ધ કર્યાં હતાં. બંને ગીતો પહેલાં મોહમ્મદ રફી સાબે ગાયાં હતાં. એ પછી એવું નક્કી થયું કે એ જ ગીતો મારે પણ ગાવાં જોઈએ. ‘જંગલી’માં સાયરા બાનુ અને ‘લવ ઇન ટોકિયો’માં શર્મિલા ટાગોર પર ગીતો શૂટ કરીને તેમણે મને કહ્યું કે હવે આવી રીતે ગાવ. તેમણે રફી સા’બના અવાજમાં હિરોઈનો પર ગીત શૂટ કર્યું હતું!”

લતાના અવાજની બીજી એક વિશેષતા એ છે કે તે ‘છોકરિયાળ’ છે. અંગ્રેજીમાં તેને ગર્લિશ કહે છે. સામાન્ય રીતે છોકરી પુખ્તવયની થાય ત્યારે તેનો અવાજ થોડો ફાટે અને તેમાં હોર્મોનની ‘કર્કશતા’ આવે. લતા દીદીના અવાજમાં શરૂઆતથી ગર્લિશ હતો. ફિલ્મો ગીતો માટે તો એ અવાજ બાલિશ કહેવાય. ઇન ફેક્ટ, તેમણે જ્યારે પાર્શ્વગાયન માટે ૧૯૪૭માં ફિલ્મીસ્તાન સ્ટુડીઓનો સંપર્ક કર્યો હતો ત્યારે તે લોકોએ એવું કહીને લતાને ના પાડી દીધી હતી કે તારો અવાજ બહુ પાતળો છે.”

એ અવાજ એટલા માટે આજીવન ‘જવાન’ રહ્યો. અલગ-અલગ સમયની અલગ-અલગ હિરોઈનો આગ્રહ રહેતો હતો કે તેમનું ગીત લતા દીદી ગાય કારણ કે એક તો એ અવાજમાં ઉંમર વર્તાતી નહોતી, અને બીજું,  પ્રેમ હોય, પીડા હોય કે ખુશી હોય, લતા એ તમામ લાગણીઓને એક સરખી તાકાતથી અભિવ્યક્ત કરી શકતાં હતાં. હિરોઈનો જ નહીં, ભારતના કરોડો શ્રોતાઓને પણ એ અવાજમાં પોતાના ભાવ વ્યક્ત થતા જણાતા હતા.

પંડિત જશરાજે એક કિસ્સો જાવેદ અખ્તરને વર્ણવ્યો હતો. ૧૯૫૦માં પંડિતજી શાસ્ત્રીય ગાયક ઉસ્તાદ બડે ગુલામ અલી ખાનને મળવા અમૃતસર ગયા હતા. બંને ગપસપ મારતા હતા] અને અચાનક ખાન સા’બે પંડિતજીને ચૂપ રહેવા કહ્યું. તેમના કાનમાં ‘અનારકલી’નું લતાનું ગીત ‘યે જિંદગી ઉસી કી હૈ’ પડ્યું. ખાન સા’બ મંત્રમુગ્ધ થઇ ગયા. છેલ્લે બોલ્યા, “કમબખ્ત, કભી બેસૂરા હોતી હી નહીં.”

લતા મંગેશકર દેશનો સૂર હતી.

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 13 ફેબ્રુઆરી 2022

Loading

મકરંદભાઇ-કુંદનિકાબહેનનાં લગ્ન અને નંદિગ્રામ

રજનીકુમાર પંડ્યા|Opinion - Opinion|18 February 2022

1997માં નંદિગ્રામમાં મેં લીધેલા કુંદનિકાબહેનના રેકોર્ડેડ ઇંન્ટરવ્યુના આધારે, મકરંદ દવેની શતાબ્દી નિમિત્તે : રજનીકુમાર

લગ્ન કરવા વિષે કુંદનિકાબહેને કોઇ ચોક્કસ વિચાર નહોતો સેવ્યો, ત્યારે સાલ ૧૯૬૫ના એક દિવસે એકવાર કંઇક જાણીતા – કંઇક અજાણ્યા એવા અક્ષરોમાં એમના ઉપર એક પત્ર આવ્યો. પત્ર હતો તો વિનય-વિવેક ભર્યો પણ એ ડેસ્ટિનીનો કૉલ લેટર (વિધાતાનું વેણ) થઇ જશે એવી એમને ખબર નહોતી. પત્ર કવિ મકરંદ દવેનો હતો ! નવાઇ તો લાગી પણ નકારાત્મક ભાવ પેદા થાય તેવી કોઇ વાત એમાં નહોતી. એમનું નામ ખાસ્સું સાંભળેલું પણ હતું. વખાણ પણ સાંભળેલાં. ખાસ તો એમનાં ભાઇ સુરેન્દ્ર કાપડિયા અમદાવાદની એચ.કે. કૉલેજમાં લેક્ચરર હતા. એ વર્ષો સુધી અને વારંવાર મકરંદના કોઇ ને કોઇ નિમિત્તે વખાણ કર્યાં કરતા. ‘નવનીત’નાં તો કુન્દનિકાબહેન સંપાદિકા હતાં અને એમાં મકરંદભાઇનાં કાવ્યો પણ છપાતાં એટલે નામ પણ પરિચિત. અક્ષરો પણ જરા યાદ કરે તો લખનારની ઓળખ પડી જાય એવા પણ આમ એમનો પત્ર આવશે અને એમાં જોડાવા વિષે બહુ ધીમો સંકેત હશે એવી કલ્પના તો ક્યાંથી હોય ?  એટલે પહેલાં તો એમને થયું કે એમણે કોઈ બીજાને મોકલવાને બદલે ભૂલથી મને આ પત્ર મોકલી દીધો છે. પણ કોઇના પત્રનો જવાબ તો દેવો જ પડે. એટલે એ કાગળ જેમનો તેમ પાછો મોકલવાને બદલે માત્ર પોસ્ટકાર્ડથી જવાબ એ રીતે લખ્યો કે ભાઈશ્રી મકરંદભાઇ, તમારા કોઈ કાગળિયાં ભૂલથી અહીં આવી ગયાં લાગે છે. જો આપ જણાવો તો આપને પાછાં મોકલી આપું.

તરત એનો જવાબ તો ‘એવી જરૂર નથી, એ પત્ર તમારા માટે જ છે’ એવો આવી ગયો. અને પછી થોડો પત્રવ્યવહાર વધુ થયો. એમાં કુન્દનિકાબહેન પામી ગયાં  કે મકરંદભાઇને પક્ષે કંઇક એવી ગડભાંજ ચાલતી હતી. બિમાર બા ‘હવે તું લગ્ન કર’ એમ સીધું નહોતાં કહી શકતાં પણ ‘મારી આશા અધૂરી રહી જશે’ એમ તો રટ્યાં જ કરતાં હતાં. મકરંદભાઇ કાયમ જવાબ આપતા કે ‘ચિંતા ન કર, બા. મને યોગ્ય લાગશે ત્યારે લગ્ન કરીશ. કોઇ પાત્રને અને મને અમે એકબીજાને યોગ્ય છીએ એવું લાગશે ત્યારે હું એક દિવસ પણ મોડું નહીં કરું.’

કદાચ બાને સંતોષવાની એ માનસિકતાને કારણે જ આ પત્ર લખાયો હતો. પણ ત્રણ વર્ષ ચાલેલા એ પત્રવ્યવહારનો અંજામ છેલ્લે લગ્નમાં પરિણમ્યો.

અને સાલ ૧૯૬૮માં ૩૦મી એપ્રિલે પોતાનાથી પાંચ વર્ષ મોટા મકરંદભાઇ સાથે એ લગ્નથી જોડાયાં. એ દિવસ તે અખાત્રીજનો. મકરંદ રીતસરની જાન લઈને આવેલા હતા. પણ જાનમાં જાનૈયા બહુ ઓછાં હતાં. દીપકભાઈ વસાવા, બનેવી બાબુભાઈ વૈદ્ય, તેમનાં પત્ની દયાબહેન એટલે કે મકરંદભાઇનાં મોટાં બહેન. કુન્દનિકાબહેનને પક્ષે હતાં કાંતાબહેન, રતિભાઈ, નાનાભાઈ. મુંબઈમાં વિહાર તળાવને કિનારે માંડવો બાંધ્યા વગર જ સૂર્ય-ચંદ્રની સાક્ષીએ સાદો વિધિ થયો. (બા એ જોઇને પછી, સંતોષ પામીને ૧૯૭૫માં અવસાન પામ્યાં.)

મેં પૂછ્યું : ‘પણ આટલાં વર્ષ સુધી કેમ નહોતાં પરણ્યાં ?’

‘બસ,’ એ મરકીને બોલ્યાંઃ ‘મારે ન’તું પરણવું એટલે ન’તી પરણી.’

થોડી વાર અબોલ રહીને એ બોલ્યાં : ‘હું એક જ વાત કહીશ કે એ સાયુજ્ય પહેલાં મને ભગવાનની ઓળખ ન હતી.’

વાક્ય અધૂરું લાગે પણ એને પૂરું કરી આપનારા શબ્દો મારા મનમાં ઊગી ગયા.

‘તો એમણે તમને બદલી નાખ્યાં’ એવો જ અર્થ થયો. પણ એ કહો કે એવો તે કયો ધક્કો લાગ્યો? શું લાગ્યું એમને જોઈને ? કયાં કારણો મળ્યાં? વૈચારિક કે એથી વધુ ઊંચુ કે માત્ર બૌદ્ધિક? સાહિત્યિક ?

એમનો જવાબ : ‘સાહિત્ય શબ્દ એના માટે બહુ નાનો પડે. અવ્યક્તમાંથી આવતું કઈંક. આ અંતર શબ્દ અંતર જ પકડે છે. નકરાં બાહ્ય ઉપકરણોથી કાંઈ પ્રીતિ ઉત્પન્ન થતી નથી. મા ભગવતીનું એક પ્રખ્યાત વાક્ય છે. ‘દિલ કો ભા જાયે.’ જેની વ્યાખ્યા થતી નથી. પ્રેમને કારણો સાથે સંબંધ કાંઈયે નથી. કારણ છે કેવળ પ્રીતિનું !

પછી કહે : ‘પણ એ આપણે જાણતાં નથી કે આપણને આટલા બધા માણસોમાંથી કેમ આ એક જ માણસ ગમ્યો અથવા કેમ આની તરફ જ ખેંચાયાં? બીજા બધાં ઉપરનાં કારણો પણ છે પણ એ કંઈ એટલાં બધાં નક્કર નથી.’

હવે સ્વાભાવિક જ સવાલ જાગે કે નંદિગ્રામની કલ્પના કોના મનમાં પહેલાં આવી?  કુન્દનિકાબહેનના મનમાં કે મકરંદભાઇના મનમાં ?

તેમનો જવાબ : ‘એમને જુદી રીતે કલ્પના આવી અને મને પણ જુદી રીતે આવી. એમના મનમાં કામ કરવાની બ્લુપ્રિન્ટ પડી હશે તે એવું બધું એમણે પોતાના મિત્રો સાથે ઘડી રાખેલું અને મેં પણ એમને મળી તે પહેલાં કંઇક એવું વિચારેલું. એમ તો  છેક ૧૯૬૦થી મારા મનમાં આ વિચાર રમતો હતો કે આવું કશુંક હોવું જોઈએ. એ પછી જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ એ ‘કશુંક પણ’ બદલાતું રહ્યું. પણ એના મૂળમાં હતું બહુ નાનપણમાં કર્યું હોય તે વાચન. પણ જેનાથી આવા વિચારો આવ્યા હોય. એવું વાચન શું હતું તે અત્યારે તો મને યાદ આવતું નથી પણ આવું કંઈ અનોખું કરવું જ છે એવો વિચાર સૌ પ્રથમ આવ્યો સાલ ૧૯૮૦માં.’

એટલે કુન્દનિકાબહેને એ વિચારને વ્યક્ત કરતો સૌ પહેલાં એક લેખ લખ્યો ‘જન્મભૂમિ-પ્રવાસી’ની ‘પ્રવાસી’ પૂર્તિમાં. એ લખવાની પ્રેરણા મળી તેમને ‘અમેરિકન રિવ્યુ’માં આવેલા ઈરવિન વિલિયમ થોમસન નામના એક અમેરિકન સાહિત્યકાર, ના, માત્ર સાહિત્યકાર નહીં પણ ઇતિહાસકારનો, એક લેખ વાંચીને. તેમાં એ લેખકે ગ્લોબલ કલ્ચરની વાત કરેલી. ગ્લોબલ કલ્ચર એટલે વૈશ્વિક સંસ્કૃતિ, વૈશ્વિક ફીલિંગ ! મતલબ કે, આ મારું સૌરાષ્ટ્ર કે આ મારો દેશ જેવો વિચાર જ ન રહે મનમાં. પણ ‘આ મારો ગ્રહ એટલે કે પ્લેનેટ!’ એવા કલ્ચરનો વિકાસ થવો જોઈએ એવી એ લેખકે લેખમાં આવી વાત મુકેલી. કુન્દનિકાબહેનને એ પરિકલ્પના બહુ જ જચી ગઈ હતી. અને તેમના મનમાં ઘણા વખતથી જે ધુંધળા વિચારો કે ખયાલો રમતા હતા તેને આ વાંચીને નક્કર આકાર મળ્યો. એ લેખકે એક કોમ્યુન એટલે કે સરખી માન્યતાઓના એક દોરે બંધાયેલી સમૂહજીવન જીવતી એક વસાહતની કલ્પના કરેલી અને વાસ્તવમાં એવું કરેલું પણ ખરું અને બહુ સારા સારા લોકો એ કોમ્યુનના મેમ્બર્સ હતા. લિન્ડિશ ફાર્મ એટલે લૉન્ગ આઈલેન્ડ ન્યુયોર્ક પાસે એ લોકોનું કોમ્યુન હતું. એમાં એ લોકો આ વિચારોને અમલમાં મૂકવાનું કામ કરે છે. એણે તો પછી બીજા એક કોમ્યુનની વાત પણ  કરેલી, ફિન્ડફાર્મ જે સ્કોટલેન્ડમાં છે ત્યાં પણ આવા લોકો વસીને વનસ્પતિજગતમાં કાર્ય કરે છે. આવી બધી વસ્તુ કુન્દનિકાબહેન અને મકરંદભાઇના વિચારો સાથે એટલી મળતી આવતી હતી કે એમાંથી એમને એક નક્કર આકાર મળી ગયો અને એ તે નંદિગ્રામ.

પણ એનું સ્વરૂપ (કંસેપ્ટ) કેવું હોવું જોઇએ ? એના વિષે બે સમાંતર વિચાર મનમાં સમાંતરે જ ચાલી રહ્યા હતાઃ એક તો સાધના અને બીજી સેવા. એ બે એની પાંખો હોવી જોઇએ. એને પરંપરાગત ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી. સાધના એટલે કે મન જે આધ્યાત્મક સ્થિતિમાં હોય તેનાથી આગળની દિશામાં વધવું તે અને સેવા એટલે આપણે એકલાં નહીં પણ આપણું અમર્યાદ કુટુંબ છે તેવી સમજણ કેળવવી. હું મારું જ કરી લઉં એવું નહીં પણ આપણી આસપાસ રહેતા લોકો પણ આપણો જ પરિવાર છે, એમ માની તે લોકોને પણ આપણાપણામાં આવરી લેવા. જેમ આપણે આપણાં ભાઈબહેનો માટે શક્ય હોય તેટલું કરી છૂટીએ છીએ એમ બીજા લોકોને પણ આપણામાંના જ ગણીને એમને માટે શક્ય હોય તેટલું કરી છૂટવું. આમાં સાધના આને સેવા બંનેનો ત્યાં સમન્વય થવો જોઈએ. એટલે સાદી ભાષામાં કહીએ તો પોતાનું કલ્યાણ અને બીજાનું પણ કલ્યાણ. ખરા કલ્યાણનો એ જ સાચો માર્ગ હોવો જોઈએ એવી એક કલ્પના અને તેને મૂર્તિમંત કરવાનું સ્વરૂપ એમને આમાં દેખાયું જે એમણે પોતાના લેખમાં વ્યક્ત કર્યો હતો.

કુન્દનિકાબહેનના લેખનો બહુ બધા લોકોએ પડઘો પાડ્યો. અનેક કાગળો આવ્યા. તેમના લેખનો કન્સેપ્ટ જ એવો હતો કે આવું કોઈ કોમ્યુન હોવું જોઈએ કે જ્યાં આવા મિત્રો હળીમળીને રહે અને આવા વિચારોને મૂર્તિમંત કરવાનું કામ સાથે મળીને કરે. એમાં સર્વ જીવ પ્રત્યે આદર હોય, પ્રકૃતિને ખોળે જીવન હોય અને એક સમગ્ર જીવનશૈલી જેમાં વિકસિત થતી હોય. એ જીવનશૈલી પ્રદૂષણમુક્ત હોય, એમાં શોષણને સ્થાન ન હોય. વ્યવસાય પણ પોતે જે કરતાં હોય એ કરે પણ તેમાં લોભ ન હોય એટલે કે બીજાના ભોગે પોતે વધારે મેળવી લેવું અથવા તો વધારે મેળવી લેવું એવી જીવનની દિશા ન હોય. નિર્વાહ માટે જેટલું જરૂરી હોય તેટલું કમાવું પણ એ કમાવા માટેના વ્યવસાયો એવા નિર્દોષ હોય કે જે સમાજને પોષક હોય. એટલે આખી એક અલગ જ જીવનશૈલી હોય કે જેમાં સાદગી હોય. આવાં ઊંચાં મૂલ્યો અને વિજ્ઞાનનો જ્યાં સમન્વય થયો હોય તેવી રીતે જીવન જીવવાની કોશિશ કરવી અથવા તો એ રીતે વિક્સાવવાની કોશિશ કરવી. જો એમ થાય તો એમાં આ બધી વસ્તુઓ આપોઆપ આવી જાય એટલે કે સેવા અને સાધના આવી જાય.

કુન્દનિકાબહેનનો આ લેખ હિન્દીમાં પણ પ્રકાશિત થયો. એના પ્રતિભાવમાં ભવાની પ્રસાદ મિશ્રજી કે જે હિન્દીના બહુ મોટા કવિ હતા એમનો પ્રતિભાવ સૌથી પહેલા આવ્યો. હા, એમના પુત્રે એમને વાંચી સંભળાવ્યો હતો. જે વાંચીને એમનો સુંદર પત્ર આવ્યો હતો. જો કે પછી તો એ મધ્ય પ્રદેશ જતા રહ્યા અને ત્યાં તેમનું અવસાન થયું.

ગુજરાતમાંથી પણ ઘણા સાહિત્યકારો અને લેખકોના પ્રતિભાવોના પત્રો આવ્યા હતા.

આવા સરસ પ્રતિભાવો આવ્યા એટલે પછી એમણે જમીનની શોધ આદરી.

રૂપિયા-પૈસા માટે તો જે સાવ નજીકના મિત્રો હતા તેમની મદદ લીધી. એમાંથી દસ પંદર જણે પાંચસો પાંચસો રૂપિયા પ્રાથમિક તબક્કે આપી દીધાં એટલે જમીનની શોધે ગતિ પકડી. કાંતિભાઈ કાલાણી, પદ્માબહેન વિઠ્ઠલાણી, કવિ અનિલ જોશી, પછી કાંતાબહેન, મધુસૂદનભાઈ ઠક્કર, ભક્તજ્યોતિ કોઠારી, જગદીશભાઇ મહેતા અને મીનળબહેન મહેતા, બાબુભાઇ રાઠોડ, (કદાચ કોઇ નામ બોલતાં એ ચૂકી ગયાં હોય એમ પણ બને) એ બધાંએ પાંચસોથી પંદરસો રૂપિયા પ્રાથમિક તબક્કે આપ્યા.

પછી જમીનની વધારે સઘન શોધ, પત્રવ્યવહાર, ટ્રસ્ટડીડનું રજિસ્ટ્રેશન અને એ બધું ચાલ્યું. જમીન માટે તો એ લોકો છેક પાલીતાણાના શેત્રુંજ્ય સુધી પણ જઈ આવ્યાં. પહેલાં તો એમના મનમાં એમ હતું કે આમ ગુજરાતમાં રહેવું પણ મુંબઈની નજીક રહેવું. અને અને મુંબઈમાં વધુ મિત્રવર્તુળ, સંપર્કો હતા. એ રીતે નજીકની જમીન શોધવાનું સહેલું પડ્યું. એટલે ઉંમરગામથી શરૂઆત કરી હતી જમીનની. એ માટે બધા મિત્રોથી માંડીને દલાલોને પૂછતાં પણ હતાં. જાહેરખબરો પણ આપી હતી. એ વખતે તો એમને છથી આઠ દસ એકર જમીનની જ જરૂર હતી. એમાં આ વર્તમાન નંદિગ્રામ જ્યાં ઊભું છે તે ખાલી જમીનની ખબર પડી. દમણગંગાની આ જમીન આમ તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે સ્થળાંતરિત થયેલા લોકોને વસાવવા માટે ફાળવી હતી. પણ કંઇ ઉપયોગ થયો નહોતો અને ફાજલ જ પડી રહેલી. આમ તો એમાં થોડા સ્થળાંતરિત લોકોને વસાવ્યા હતા પણ સંજોગો એવા થયા કે પછી વસાવવાના રહ્યા નહીં. મકાન પણ પડી રહ્યું હતું. જમીન પહેલાં ૩૩ એકર હતી પણ ગામ લોકોને જવા-આવવાનો રસ્તો કરવાનો હતો એટલે પછી એમાંથી ૪ એકર પાછી આપી દેવાની થઇ. ત્રણ વર્ષના પત્રવ્યવહાર પછી એમને આ જમીન સડસઠ હજારના ભાવે મળી. એ વખતે જમીન ખૂબ જ ખરાબ હતી અને આટલાં વર્ષોની મહેનત પછી હજી પણ ઊગતું નહોતું. સૌથી પહેલો કબજો એમને ૧૯૮૪માં મળ્યો. ત્યાર પછી ચોમાસું બેઠું એટલે એમાં વાવેતર પણ શરૂ કર્યું. પણ તે પહેલાં કૂવાનાં પાણીની પણ વ્યવસ્થા કરી. શરૂઆતમાં વાંસના ૨,૦૦૦ વૃક્ષો વાવ્યાં. ત્યાં તો આજુબાજુનાં ગામડાંઓવાળાનો વિરોધ ઊભો થયો અને ચણભણ પણ શરૂ કરી કે આ લોકો મુંબઈથી અહીં શું કરવા આવ્યા છે? શો છૂપો સ્વાર્થ છે એમનો ? એ વિષે અનેક અનુમાનો લોકોમાં ચાલ્યાં. એટલે કશા દેખીતા કારણ વગર જ એક જાતના બેઝિક વિરોધના પ્રદર્શનરૂપે એ લોકોએ એવાં વાવેલાં ઝાડવાં ઉખાડી નાંખ્યા, થોરની વાડ કરી હતી એ તોડી નાંખી, રોપા લઈ ગયા, કુન્દનિકાબહેનની એક છાપરી હતી એ પણ તોડી નખાઇ. લાકડાં એકઠાં કર્યા હતા તે પણ ઉપાડી ગયા. આ બધા અનુભવે બધાંને એવો વિચાર આવ્યો ફેન્સિંગ કરાવી લેવી જોઈએ. પણ આટલી મોટી વિશાળ જગ્યા ફરતી ફેન્સિંગ કરવા માટે લગભગ પચાસ હજાર જેવી રકમ જોઈએ. એટલા બધા રૂપિયાની તાત્કાલિક વ્યવસ્થા તો થાય તેમ ન હતી અને અહીંયા તો ઊભું રહેવાય એમ પણ ન હતું. આ લોકો ઝાડ નીચે ઊભા રહેતાં હતાં. કંઈક ખાવું-પીવું હોય તો ઝાડ નીચે લઈ આવતાં અને ઝાડ નીચે બેસીને ખાતાં. અહીં તો કઈં જ ન હતું. મકાનમાં મોટાં મોટાં બાકોરાં અને મોટી મોટી તિરાડો હતી. બાવળનાં ઝુંડ હતાં.

પણ પછી થોડી વધુ રકમ એકઠી થઇ. ૧૯૮૪ના ઑક્ટોબરમાં કુન્દનિકાબહેન અને બીજાં સહવાસીઓએ મકાન બાંધવાની શરૂઆત કરી. પણ કામ કરનારા માણસો એટલા બધાં આળસુ અને કામચોર કે માત્ર એક રૂમ અને એક ઓસરી બાંધવામાં એ લોકોએ એક આખું વર્ષ કાઢી નાખ્યું. ને એમ છેવટ ઑક્ટોબર ૧૯૮૫માં આ મકાન તૈયાર કરાયું. એ દરમિયાન જૂનું મકાન તોડી પડાયું. એ પછી ૧૯૮૬-૮૭માં બીજાં મકાનો તૈયાર થયાં. જરા પગ મૂકી શકીએ તો સારું લાગે એવી વ્યવસ્થા તો છેક ૧૯૮૬માં થઈ. એ પહેલાં તો અહીયાં માત્ર પગારદાર માણસો જ કામ કરતાં હતાં. એ વર્ષની ઑક્ટોબરની ૬ તારીખે થોડા મિત્રો સાથે અહીંયા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો. એ પછી ૧૯૮૭માં તો કુન્દનિકાબહેન અને સહવાસીઓ જેવાં કે બાબુભાઇ રાઠોડ, જગદીશભાઇ અને મીનાક્ષીબહેન મહેતા, કાંતાબહેન મહેતા અને બીજાં બે-ત્રણ મિત્રો કાયમી ધોરણે અહીં રહેવા આવી ગયાં અથવા પ્રસંગોપાત રહેતાં થયાં પણ ખરી. મુશ્કેલી એમને વીજળીની પડી, જે એમને અહીં રહેવા આવ્યા પછી છેક છ-આઠ મહિને મળી. પાણી માટે પહેલા બોરિંગમાં તો પાણી આવ્યું જ નહીં, બીજું બોરિંગ કર્યું ત્યારે પાણી આવ્યું. પણ ત્યાં તો એ ગામવાળાઓએ ફરી વંટોળની જેમ સુસવાટાભેર ધસી આવીને સંસ્થાનાં તમામ વૃક્ષો ઉખેડી નાખ્યાં અને બીજી અનેક તોડફોડ પણ કરી. પણ કુન્દનિકાબહેન, મકરંદભાઇ અને સાથીઓએ હાર ન માની, ફરી મકાનોમાં બાંધવાનું શરૂ કર્યું, પણ એમાં પણ એમને બહુ જ આપદા પડી. કોન્ટ્રાક્ટર કોઈ દિવસ પૂરું કામ કરે નહીં. ગમે તેવો હલકો સામાન અને સામગ્રી બાંધકામમાં વાપરે. મજૂરો પણ આવે જ નહીં. અહીંના કામ કરનારા લોકોની એક ખાસ ખાસિયત જોવામાં આવી કે વાયદા આપીને પાળે નહીં. દિવસો સુધી એમની રાહ જોવી પડે. કુન્દનિકાબહેન અને ક્યારેક તો મકરંદભાઇ તો થોડો સમય વલસાડમાં રહ્યા. મિત્રો મુંબઈથી ક્યારેક ટ્રેનમાં આવતાં ક્યારેક બસમાં પણ આવતાં. સ્થાનિક અવરજવર રીક્ષામાં કરતાં. રહેવામાં પણ બહુ અગવડ ભોગવવી પડતી, ક્યારેક એ બધા પાંચ-છ જણ અહીં એક જ ઓરડામાં રહેતા અને એક ગોડાઉન જેવું હતું એમાં જમવાનું બનાવતાં. એક છાપરી હતી એમાં બધાં સાથે બેસીને જમતાં. ક્યારેક ઉપર ખપેડામાંથી વીંછી નીચે પડે. સાપ તો પહેલાં ઓસરીમાં ખુરશી પડી હોય તો આવીને બેઠા જ હોય. ઘણીવાર પગથિયાં પર બેઠા હોય. જીવડાંનો પાર નહીં, મચ્છરનો પાર નહીં. ૧૯૮૭થી અહીં વસવાટ શરૂ કર્યો હતો. એ પહેલાં મુંબઇથી આવ-જા કરતાં હતાં. ૧૯૮૭માં એકધારું લગભગ છ સાત મહિના રહ્યાં હતાં. જો કે મકરંદભાઈ તો કાયમી નિવાસ કરવાને બદલે મુંબઇથી અથવા વલસાડથી આવ-જા કરતા રહેતા હતા. 

નંદિગ્રામ નામ કેમ રાખ્યું ? જવાબ બહુ રસપ્રદ છે. કુન્દનિકાબહેન, મકરંદભાઇ અને કવિ અનિલ જોશી અમદાવાદના ઘરના કમ્પાઉન્ડમાં એકવાર બેઠાં હતાં અને વિચારતાં હતાં કે શું નામ પાડીશું આ સંસ્થાનું ? એકાએક ત્રણમાંથી કોઇ એકના મનમાં ‘નંદિગ્રામ’ નામ ઝબક્યું. પછી એના ઉપર સાગમટે વિચારવિમર્શ કરતાં ગયાં તેમ એ નામનાં ઘણા બધાં સૂચિતાર્થો મળતા ગયા. એક તો એ કે નંદિગ્રામ એ જગ્યા છે કે જ્યાં રહીને ભરતે રામના વનવાસ દરમિયાન રાજ કર્યું હતું. એટલે એવો અર્થ મનમાં ઊગ્યો કે જેમ ભરતે રામ વતી રાજ કર્યું. તો આ કામ આપણે આપણાં સ્વાર્થ માટે નહીં પણ બીજાં માટે આદર્યું છે. ભરતે રામની પાદુકા ગાદી પર મૂકીને રાજ-કાજ અને પ્રજાહિતનાં કામ કર્યાં જેથી એને સતત એવો અહેસાસ દૃઢ થાય કે એ કોઈના વતી રાજ કરે છે. બાકી તેણે નથી ગામડાંમાં રાજ કર્યું, નથી કર્યું શહેરમાં. એણે તો રાજકાજ ચલાવતા રહીને પણ નંદિગ્રામમાં સતત રામની જ રાહ જોઈ. એ રીતે આપણે પણ અહીં કામ કરતાં કરતાં ‘રામ’ની જ રાહ જોવાની છે. બીજું એક સબળ કારણ એ વિચારણા હતી કે રાજ્યશક્તિ કે સંઘશક્તિ એ ગામડામાં કેન્દ્રિત થવી જોઈએ, નહીં કે શહેરમાં. ગામડાની પ્રતીતિ તો આપણને નંદિગ્રામમાં જ થાય. જેને પોતાની જાતને આધ્યાત્મને માર્ગે વાળવી હોય તો તેના મનમાં કે વર્તનમાં કોઇ પણ પ્રકારના કામના ઊંચાનીચાપણાનો ભેદ ન હોવો જોઈએ, એ આ નંદિગ્રામમાં જ બની શકે. જો ગ્રામ સમાજ માટે કઈં કલ્યાણકારી કરવાની વૃત્તિ હોય, એના સમાજજીવનના તંદુરસ્ત પોષણ માટે માટે કઈંક કરી છૂટવાની ભાવના હોય, અને સામૂહિક જીવન જીવતાં જીવતાં બીજા માટે થોડુંઘણું જતું કરવાની ભાવના હોય તે જ નંદિગ્રામનો નિવાસી હોય. પરસ્પર પરત્વે સહિષ્ણુતાની વૃત્તિ હોય તો જ એક નંદિગ્રામ એક કોમ્યુન બની રહે, નહિં તો સામાન્ય ચીલાચાલુ સંસ્થા. અહીં ઈન્ડસ્ટ્રિયઅલ વાતાવરણ નથી. વિજ્ઞાન છે પણ એ આધ્યાત્મને માર્ગે આગળ વધે છે. પ્રકૃતિ સાથે એ દિશામાં હોલિસ્ટિક માર્ગે આગળ વધવાના પ્રયોગો નંદિગ્રામમાં થાય છે.

(લેખકના Zen Opus પ્રકાશનગૃહ દ્વારા પ્રકાશિત થનારા અને ૩૭ જેટલાં શબ્દસાધકોના જીવનચિત્રો અને સંસ્મરણોના પુસ્તક ‘શબ્દનાં સગાં’માંના એક પ્રલંબ લેખનો એક અંશ)

બી-૩, જી.એફ. ૧૧, આકાંક્ષા ફ્લેટ્‌સ, ઇસનપુર રોડ, અમદાવાદ – 380 050

e.mail : rajnikumarp@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2022; પૃ. 09 – 11

Loading

...102030...1,6271,6281,6291,630...1,6401,6501,660...

Search by

Opinion

  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved