રશિયાને મામલે ભારતના વલણ પર યુરોપિયન દેશોના મનમાં રહેલી સંદિગ્ધતા દૂર કરવામાં આ પ્રવાસ દરમિયાન પૂરો પ્રયાસ કરાયો
આ વંચાતું હશે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી યુરોપના પ્રવાસેથી પાછા ફરી ચૂક્યા હશે. તેમનો કહેવાતો જેટ લેગ પણ ઘટી ગયો હશે. જો કે ભારત પહોંચીને તરત જ કામે ચઢી જવાના હતા એવા રિપોર્ટ્સ પણ હતા કારણ કે ગરમી અને વરસાદને લગતી કામગીરીની બેઠકો યોજાવાની હતી. આપણે વાત કરવાની છે તેમના યુરોપના પ્રવાસની મહત્તા અને કારણો અંગે જેમાં સ્વાભાવિક રીતે જ યુદ્ધમાં સપડાયેલા યુરોપનો મુદ્દો પણ હોય. જર્મની, ડેનમાર્ક અને ફ્રાન્સ – આ ત્રણ રાષ્ટ્રોની મુલાકાતે ગયેલા વડા પ્રધાનનો આ વર્ષનો આ પહેલો વિદેશ પ્રવાસ હતો.
૬૫ કલાકની આ મુસાફરીમાં વડા પ્રધાને યુરોપિયન નેતાઓ સાથે લગભગ ૨૫ જેટલી બેઠક કરી. યુરોપીય નેતાઓ પણ ભારતની મુલાકાતે આવી ચૂક્યા છે જેની પૃષ્ઠભૂમિમાં આ યુરોપનો પ્રવાસ નિયત કરાયો. યુરોપીય આયોગનાં અધ્યક્ષ ઉર્સુલા વૉન ડેલ લેયન પણ આ પ્રવાસમાં સામેલ હતાં. તેમણે જ રશિયાના આક્રમક વલણ સામે મોરચો ઘડવાની વાત મૂકી હતી. ભારતે તેમની વાત શાંતિથી સાંભળી પણ ખરી. મોદીએ રશિયન પક્ષના આકલન માટે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઇ લાવરોવની આગેવાની પણ કરી. ભારતે યુદ્ધને મામલે પોતાની પ્રતિક્રિયા યુનાઇટેડ નેશનમાં પણ સ્પષ્ટ જ રાખી હતી. એ સમજવું રહ્યું કે આ પ્રવાસમાં મોદીએ પૂરેપૂરો પ્રયાસ કર્યો કે જે રીતે કેન્દ્ર સરકારે યુક્રેનને મામલે રશિયાની સીધે સીધી આકરી ટીકા ન કરીને વિશ્વ નેતાઓની નારાજી વહોરી લીધી હતી તે મામલે બધું જરા થાળે પાડી શકાય.
જર્મનીની વાત કરીએ તો યુરોપના અન્ય રાષ્ટ્રોની સરખામણીએ યુરોપ ભારત માટે બહુ અગત્યનો ભાગીદાર છે. દ્વિપક્ષી સંબંધોની દૃષ્ટિએ જર્મનીનું આગવું મહત્ત્વ છે, વળી યુરોપિયન યુનિયનમાં પણ તેની ચાવીરૂપ ભૂમિકા છે. ૨૦૦૦ મેની સાલથી ભારત અને જર્મની વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી ચાલતી આવી છે. ૨૦૧૧માં આ ભાગીદારી વધુ ઘનિષ્ઠ થઇ કારણ કે સરકારી વડાઓએ મળીને ઇન્ટર ગવર્મેન્ટલ કાઉન્સિલ લૉન્ચ કરી. જર્મનીએ આ પ્રકારની સંવાદની શક્યતા બહુ ઓછા રાષ્ટ્રો સાથે ખડી કરી છે, અને ભારત તેમાંનો એક દેશ છે. વડા પ્રધાન ત્યાં હતા તે દરમિયાન છઠ્ઠી ઇન્ટર ગવર્મેન્ટલ કાઉન્સિલનું આયોજન થયું જેમાં જર્મન ચાન્સેલર ઓલાફ શૉલ્ઝ સાથે વાતચીત થઇ. ભારતની રશિયા પરની આધિનતા અંગે પણ આ બેઠકમાં ચર્ચા થઇ કારણ કે જર્મનીએ રશિયાના આક્રમક વલણ સામે વ્યૂહાત્મક પસંદગી કરી છે તથા એનર્જીને મામલે પોતે રશિયા પર આધાર ઘટાડવાનો નિર્ણય કર્યો છે. વડા પ્રધાન વિદેશ પ્રવાસે જાય અને ત્યાં જેટલી પણ સંખ્યામાં ભારતીયો હોય તેમને સંબોધવાનું ચૂકી જાય તે શક્ય નથી. વળી ભા.જ.પ.ની લીટી લાંબી કરવાનું તો ઠીક પણ કાઁગ્રેસ (પક્ષનું નામ લીધા વિના) પર આકરા પ્રહાર કરી તેમની લીટી ભૂંસવાનું તે ભૂલે તેમ નથી. જર્મનીમાં પણ તેમણે એ જ કર્યું. કઇ રીતે ભા..જપા.એ રાજકીય અસ્થિરતાને એક બટન દબાવીને જ ગાયબ કરી દીધી છે તે વાત તેમણે કરી અને ભારતીય મતદારોની શક્તિની વાહવાહી કરી. જર્મનીની મુલાકાત પછી G-7માં ભારતની ગણતરી જર્મની કરશે કે નહીં તે જોવું રહ્યું.
ડેનમાર્કના ડેનિશ વડા પ્રધાન મેટ ફ્રેડરિક્સન સાથે નરેન્દ્ર મોદીને ૨૦૨૦ના સપ્ટેમ્બરમાં યોજાયેલા વર્ચ્યુઅલ સમિટી પછી સારા સારી જ રહી છે. ફ્રેડરિક્સન પણ ભારતની મહેમાનગતિ માણી ચૂક્યા છે. ભારત નોર્ડિક સમિટના કેન્દ્રમાં નાટો સાથે જોડાવા માગતા બે નોર્ડિક દેશનું વલણ પણ અગત્યનું ગણાય. નોર્ડિક દેશો સંશોધન, ક્લીન એનર્જી, ગ્રીન ટેક્નોલોજિ માનવાધિકાર, સ્વાસ્થ્ય અને શિક્ષણ જેવાં ક્ષેત્રોમાં બહુ પાયારૂપ કામ કરતા હોય છે. ભારત જો તેમની સાથે હાથ મિલાવે તો આ તમામ પાસાઓ મજબૂત કરવાનું તેને માટે આસાન થઇ જાય. વળી ભારતમાં આ તમામ ક્ષેત્રે પૂરતી તકો છે અને મેક ઇન ઇન્ડિયા, સ્માર્ટ સિટી, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, ક્લીન ગંગા જેવી યોજનાઓમાં આ દેશોનું યોગદાન બન્ને તરફી રાષ્ટ્રો માટે લાભદાયી હોઇ શકે છે.
મોદીની માફક મેક્રોન પણ ફ્રાંસમાં ફરી વડા તરીકે ચૂંટાઇ આવ્યા અને તેમને માટે પણ બીજીવારની જીત અઘરી હતી. ભારત અને ફ્રાંસ વચ્ચેની દોસ્તી હંમેશાં સારી રહી છે અને ૧૯૯૮થી બંન્ને વ્યૂહાત્મક ભાગીદારીમાં રહ્યા છે. પોખરણ પરીક્ષણ બાદ ભારતની ટીકા ન કરનારા ગણતરીના રાષ્ટ્રોમાંથી એક ફ્રાંસ પણ હતું. પુલવામા હુમલા પછી પાકિસ્તાન સ્થિત હાફીઝ સઇદને વૈશ્વિક આતંકીની યાદીમાં મુકવામાં ફ્રાંસે જરા ય વાર નહોતી લગાડી. રશિયા અને યુક્રેન બન્નેના વડા સાથે વાતચીતનો દોર જાળવવામાં પણ મોદી અને મેક્રોને સરખો જ અભિગમ રાખ્યો છે. યુરોપિયન યુનિયનની પ્રેસિડન્સી આ વર્ષે થવાની છે ત્યારે ભારત અને ફ્રાંસ વચ્ચેની વાતચીત અગત્યની હોય તે સ્વાભાવિક છે.
મૂળે તો યુરોપિયન દેશોનો હંમેશાંથી એમ લાગ્યું છે કે મોદી સરકારે યુ.એસ., જાપાન, ઑસ્ટ્રેલિયા જ નહીં પણ યુ.એ.ઇ. જેવા યુરોપથી નાના અને ભૌગોલિક રાજનીતિમાં ઓછા મહત્ત્વના કહેવાય એવા રાષ્ટ્રોની સાથે સંબંધ જાળવવા પર વધારે ભાર મૂક્યો છે. યુરોપિયન દેશોની આ અલગાવની લાગણી દૂર કરવા માટે નરેન્દ્ર મોદીએ આ બેઠક કરવી અનિવાર્ય હતી. ભારતે યુરોપ સાથેના સંબંધોમાં વ્યાપર વાણિજ્ય પર જ ભાર મૂક્યો હતો. નેવુંના ઉત્તરાર્ધમાં યુરોપિયન દેશો સાથે રાજકીય સંવાદ અને મંત્રી સ્તરીય બેઠકોને પણ શરૂ કરાયા. પર્યાવરણના બદલાવ, સુરક્ષા અને રાજકારણ, સ્વાસ્થ્ય, સ્પેસ અને પરમાણુ નિર્ણયો, આઇ.ટી. અને કોમ્યુનિકેશનને મામલે ભારત અને યુરોપના સંબંધો વિસ્તર્યા છે. ભારત માત્ર યુ.એસ.એ. કે જાપાનને જ મહત્ત્વ નથી આપતો તે સાબિત કરવા માટે પણ વડા પ્રધાનની આ યુરોપ યાત્રા બહુ અગત્યનું પગલું હતી.
બાય ધી વેઃ
ગુજરાતીઓને માટે અર્થતંત્ર બહુ જરૂરી હોય છે. આપણે બોલીને બગાડવું નથી પણ ધંધો અટકે તે ન પોસાય. યુરોપિયન દેશો સાથે ભારતનો સંબંધ સચવાય તે જરૂરી છે અને રશિયાને વાંકુ ન પડે તે પણ જરૂરી છે. રશિયાના આક્રમક વલણને મામલે સાવચેતી ભર્યાં પગલાં તો લેવાશે પણ યુરોપિયન દેશોના વડાઓને માઠું ન લાગે અને ત્યાં જે દિશામાં વિકાસ થઇ રહ્યો છે તેની સાથે પગલાં મેળવવામાં ભારત કોઇ ગફલત નથી કરી રહ્યો તે દર્શાવવું આ પ્રવાસનો હેતુ હતો. સ્વાભાવિક છે કે યુક્રેઇન કટોકટીની ચર્ચા વિના આ પ્રવાસનો અંત ન જ આવ્યો હોય. સ્માર્ટનેસ એમાં છે કે ઘોંઘાટ કર્યા વિના બાવાના એકે ય ન બગડે તેની તકેદારી રાખવાની વડા પ્રધાને કોશિશ કરી છે. પણ આપણે એ ન ભૂલવું જોઇએ કે યુરોપિયન દેશો પણ આજકાલના રાજનીતિ નથી ખેલી રહ્યા. ભારતે રશિયાને મામલે રાખેલી જાહેર ચૂપકીદી તેમને નડી હોવાની વાત યુરોપિયન મીડિયામાં ચર્ચાઇ છે. જર્મન મીડિયાએ મોદીની ટીકા કરી છે, તો ડેનમાર્કની મુલાકાત બે રાષ્ટ્રો વચ્ચેની દોસ્તી માટે અગત્યની ગણાઇ છે. બીજું, બાય ધી વે ,એ કે આ પ્રવાસ દરમિયાન પણ ‘સાહેબે’ પ્રેસના સવાલોના જવાબ આપવાની સાફ ના પાડી દીધી. ઓહ માય ગૉડ! (ખબર ન પડે તો ગૂગલ, ટ્વિટર વગેરે પર જરા તપાસી લેવું.)
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 08 મે 2022
![]()



Students of modern Indian literature and of modern Indian history would have identified both the writer of the letter and its intended recipient. They were, respectively, Nayantara Sahgal (formerly Pandit), who was to become an acclaimed novelist, and Vijaya Lakshmi Pandit (formerly Nehru), an Indian nationalist who spent time in the jails of the raj and, after Independence, represented her country with distinction in Moscow, Washington, and London.
In the course of our friendship, Nayantara Sahgal has given a great deal to me and I have given back just a little, mostly fragments that I have found in the archives pertaining to her remarkable father, Ranjit Sitaram Pandit, a scholar and patriot who died when his daughter was just sixteen. I discovered, for example, that while most Congressmen were hostile to B.R. Ambedkar, Ranjit Pandit admired him, and even sought to meet him when (I like to think) their conversation may have moved seamlessly from English to their native Marathi. It was also Ranjit Pandit who persuaded his father-in-law, Motilal Nehru, and his brother-in-law, Jawaharlal Nehru, to help raise money for the defence of the communists convicted for life in the Meerut Conspiracy Case. One of the prisoners, Muzaffar Ahmed, was to feelingly describe Pandit as a person “of large and liberal sympathies”.
જુનવાની ખરાં મારાં મા. ને એમની રીતરસમ પણ જુનવાણી જ. શરૂ શરૂમાં ગાંધી એમને ગમે નહિ. ‘એમ કંઈ સરકાર જેવો સરકાર આવી ટૂંકી પોતડીવાળાથી ભાગી જશે કંઈ?’ એવું એવું ગામની સ્ત્રીઓ સાથે હંમેશાં બોલે. હું ગાંધીવાળાઓમાં ભળું એ એમને ગમે નહિ. મને વારે પણ ખરાં. પણ ન માનીને અમારા ગામના કાપડના મોટા વેપારીની દુકાન આગળ સત્યાગ્રહ કરવા જ્યારે હું બીજા સાથીદારોની સાથે લાંબો થઈને સૂઈ ગયો ત્યારે એ ખબર પડી હશે એટલે, બધાને ખૂંદતાં ખૂંદતાં મારી પાસે આવી પહોંચ્યાં. બધા આગળ મને પાછો લઈ જવાનો ભવાડો ન કરે તો સારું, મને થયું. એ મારી પાસે નીચાં નમી ગયાં. મારા કાન આગળ મોઢું લાવીને કહે : ‘હવે જો જે હોં દીકરા, જે થાય તે. તારા બાપનું નામ નહિ બગાડતો.’ બસ, તેમના મનમાં જિંદગીભર રમતું કોઈ પાત્ર હોય તો તે આ, ‘તારા બાપ.’
બાને એક બહુ મોટો સંતોષ હતો કે એમના ત્રણે છોકરા હોશિયાર હતા. હું પણ દરમિયાનમાં ‘મશહૂર’ લેખક થઈ ગયો હતો. મારો અલકા સ્ટોર્સ બહુ સરસ ચાલતો હતો. એકાદ બે વાર બાએ મારી બે નવલકથાઓ વાંચીને મને કહ્યું હતું કે તું બહુ બેફામ લખે છે! મારી પ્રતિષ્ઠા પર એ ખુશ હતાં, પણ મારું લખાણ એમને ગમતું ન હતું. પણ હું હસ્યા કરતો, રમૂજો કરતો – બા સમજતાં, કહેતાં : ‘તું પહેલેથી જ આડો છે. નાનો હતો ત્યારે પણ ગદ્દીમાં દોડી જતો અને બાપાજીનું ધોતિયું પકડીને કહેતો : બાપાજી! આજે બજારમાં જાઓ ને ત્યારે બે પૈસાની બીજી બા લેતા આવજો! આ બા બડી ખરાબ છે.’ બાપાજી હસતા, પછી પૂછતા : ‘આજે શું કર્યું બાએ?’ હું કહેતો : ‘આજે બાએ મને થપ્પડ મારી.’ અને બાપાજી મને પ્યારથી કહેતા : ‘અચ્છા બેટા! આજે બજારમાં જઈશ ત્યારે બે પૈસાની બીજી બા લઈ આવીશ. જાઓ – રમો.’
અમારું ઘર એક મોટા ડેલામાં હતું. મુંબઈમાં જેને ચાલી કહેવામાં આવે છે તેવી ત્યાં હારબંધ કેટલીયે ઓરડીઓ હતી. એવા પ્રકારની ઓરડીઓમાં એક-એક કુટુંબ વસતું હતું. અમે પણ એમાં રહેતાં, ને મેઘાણીભાઈ, કરસનદાસ માણેક, તથા બીજા સાથીઓ પણ ત્યાં જ વસતા. એ હતું ‘સૌરાષ્ટ્ર’નું કુટુંબ. છાપખાનામાં કામ કરતા ભાઈઓનું કુટુંબ. સૌ સાધારણ સ્થિતિનાં. કોઈક સેવાભાવથી પોતાનાં ઘર છોડી ત્યાં આવેલા. એ બધાંની બા સંભાળ રાખતાં. સાથે સાથે એમનાં ‘બા’ થઈને રહેતાં. કોઈને ત્યાં કોઈ માંદું હોય, ખાસ કોઈ પ્રસંગ હોય, કશી તકલીફ હોય તો તેઓ બા પાસે દોડી આવતાં ને બા એટલી જ ત્વરાથી એમની મદદે પહોંચી જતાં. ગામમાં પણ બાનાં ઘણાં ‘કુટુંબીજનો’ હતાં. બાએ જેમને જોયાં ન હોય, પણ ક્યાંકથી સાંભળ્યું હોય કે એના ઘરમાં અનાજના વાખા છે, આબરૂને કારણે હાથ લાંબો કરી શકે તેમ નથી, તો બા પાછલે બારણેથી એને ઘેર અનાજ પહોંચડાવી દેતાં. અરે, આંગણામાં, કે દૂર ખેતરમાં કૂતરી વિયાઈ હોય તો તેને પણ શીરો કરીને ખવડાવી આવતાં. એમ ઘરનાં, ને ગામનાંયે બા થઈને રહેતાં.
બાની કઈ છબી પહેલી સાંભરે છે? અપૂર્વ સૌન્દર્ય, છેલ્લી ઢબનાં ફેશનેબલ વસ્ત્રો. ઘટ્ટ કાળા લાંબા વાળના અંબોડામાં સુગંધી વેણી. સાયગલ, પંકજ મલિક, જગમોહન, અને જ્યુથિકા રેની રેકર્ડ એની ખૂબ પ્રિય. સંગીતનો ખૂબ શોખ. આત્મારામજી એમના અંધ શિક્ષક. હાર્મોનિયમ પર બા અત્યંત મધુર કંઠે ભજન ગાય. ત્યારે કશું સમજાય નહિ, છતાં આંખો છલકાઈ જાય. બાર વર્ષની ઉંમરે મારો રંગમંચ-પ્રવેશ બાએ જ કરાવ્યો. માટુંગામાં ત્યારે અમે રહેતાં. મકાનની બધી ગૃહિણીઓને ભેગી કરી એમણે મહિલા મંડળ સ્થાપ્યું હતું. એ સમયે આ વિચાર જ ક્રાંતિકારી લાગતો હતો. નવરાત્રીના ગરબા, પિકનિક, મકાનની સફાઈ, ચળવળ વખતે સ્વયમ્સેવિકાઓની ટુકડીની રચના, ભાગલા પડ્યા ત્યારે નિરાશ્રિતોની ખાવાની-રહેવાની વ્યવસ્થા – કેટલાંયે રચનાત્મક કાર્યો ત્યારે બાએ હાથ ધરેલાં. દેશપ્રેમ વિષે કૈંક નાટક બાએ તૈયાર કરેલું. પોતે અંગ્રેજ સોલ્જર બની હતી. અને હું ખૂબ નાની હતી ત્યારે મારી પાસે કશીક ભૂમિકા કરાવી હતી. રંગભૂમિનો પહેલો પાઠ બાએ ભણાવ્યો હતો : પ્રેક્ષકોથી કદી ડરવાનું નહિ. જેમ લોકો વધારે તેમ અભિનયની રંગત જામે. આજે મને પ્રશ્ન થાય છે : બા આ બધું ક્યાંથી શીખેલી? આ સંસ્કાર, આ કળારુચિ, નૈતિક હિંમત – ક્યાંથી બાએ મેળવ્યું હતું આ બધું?
મનુષ્ય પાસે વાણી છે, ભાષા છે એટલે માતાના પ્રેમની ઉષ્મા અને સુષમાને પ્રગટ કરી શકે છે, એ એનું સદ્ભાગ્ય છે. મારી માતાને અમે ભાભી કહેતાં. અનેક પ્રસંગોમાંથી એક પ્રસંગ મારી આંખ સમક્ષ સતત તરવર્યા કરે છે. હું સાતેક વર્ષનો હોઈશ. વિશ્વયુદ્ધનો સમય હતો. મુંબઈ ખાલી થતું હતું. શહેરની સડકો પર માણસો કરતાં ‘To be let’નાં પાટિયાં વધારે દેખાતાં હતાં. અમારું બધું જ મુંબઈમાં. તે વખતે અમારા ઘરધણીએ મારાં માબાપને સમજાવ્યાં, ને કહ્યું કે અમે ખંભાત જઈએ છીએ અને મુંબઈમાં ગમે ત્યારે બોમ્બમારો થશે, કોણ રહેશે, કોણ નહિ રહે એની કાંઈ ખબર નથી. તો તમે નાના દીકરા લલિતને તમારી પાસે અહીં મુંબઈ રાખો અને અરવિંદ ને સુરેશને અમારી જોડે ખંભાત મોકલો. એમણે આનાકાની કરતાં સંમતિ આપી. કદાચ સાંજની ટ્રેન હશે. મારા પિતા, જેમને અમે ‘ભાઈ’ કહેતાં, એ ઓફિસ ગયા હતા. અને મારી માતા અમને નીચે સુધી મૂકવા આવી. એ એવી રીતે અમારી સામે જોતાં હતાં, જાણે એ અમને છેલ્લી વાર આંખ ભરી ભરીને ન જોતાં હોય! એમનો એ ચહેરો આજે પણ મારી આંખ સામે એવો ને એવો ઉપસી આવે છે.
આપણે કલાકોના કલાકો જીવનની, વ્યવસાયની, ઈશ્વરની, અધ્યાત્મની વાતો કર્યા કરીએ છીએ. કોઈ ક્ષણે મા વિષે અનાયાસ વાત કરીએ ત્યારે એ પવિત્ર ઘડી આવે છે. માનો લય વાતચીતમાં ભળે ત્યારે એ વાત અમૃતત્ત્વ પામે છે. ‘મા’ શબ્દ ઉચ્ચારાય અને એક ઉજાસ પથરાય છે. માનો ખ્યાલ આવે કે ચિત્ત મંજાઈને ઝળાંહળાં થઈ ઊઠે છે. ચમત્કારના અનુભવ માટે બહુ દૂર જવાની જરૂર નથી. ‘મા’ શબ્દ ઉચ્ચારીએ અને ચમત્કાર થાય છે.
અમારા ઘરમાં કોઈને પણ માટે તુંકારો ભાગ્યે જ વપરાતો. નાગર કુટુંબોની રસમ પ્રમાણે આખી જિંદગી માએ મને તો ‘તમે’ કહી બોલાવ્યો, પણ મારા દીકરા માટે પણ ક્યારે ય તુંકારો વાપર્યો નહોતો. સિત્તેર વરસનાં મા એ નાના છોકરાને પણ ‘તમે’ જ કહે. પોતાની જિંદગીમાં માએ મારી અનેક ઈચ્છાઓ પૂરી કરી, પણ માને મોઢેથી તુંકારો ક્યારે ય સાંભળવા ન જ મળ્યો. બીજો જન્મ હોય છે કે નહિ એની મને ખબર નથી. પણ જો હોય તો આવતે જન્મે મારી માને મોઢે તુંકારો સાંભળવા મળે એટલું હું ઇચ્છું. અને બીજી પણ એક ઇચ્છા છે આ જન્મની છેલ્લી ઘડીઓ માટે. મારી આંખ છેલ્લી વાર મિચાવાની હોય ત્યારે કોઈ જરીપુરાણું રેકોર્ડિંગ શોધી કાઢે અને મારાં માના અવાજમાં ગવાયેલું પેલું ગીત સાંભળતાં સાંભળતાં હું આંખો મીચું :