Opinion Magazine
Number of visits: 9674299
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતી ભાષાના વિકાસ માટે સરકાર આટલું કરે

બાબુ સુથાર|Opinion - Opinion|2 March 2022

૧. સરકારે 'ગુજરાતી ભાષા નિયમન ધારો’ ઘડવો જોઈએ. અત્યારે ગુજરાતી ભાષા જે પ્રકારની કટોકટીમાંથી પસાર થઈ રહી છે એ કટોકટીને કેવળ પરિપત્રો દ્વારા પહોંચી નહીં વળાય.

૨. આ ધારા હેઠળ સૌ પહેલાં વહીવટી ભાષાનું આયોજન કરવું જોઈએ. અત્યારે ગુજરાત સરકાર વહીવટમાં જે ભાષા વાપરે છે એમાં કેવળ જોડણીની જ નહીં, વ્યાકરણની અને usageની પણ અપાર ભૂલો હોય છે. સરકારના મોટા ભાગના પરિપત્રો શબ્દાળુ અને ન સમજાય એવા હોય છે. જો વહીવટની ભાષાનું બરાબર આયોજન થાય તો કાગળ પણ બચે, શાહી પણ અને ભાષા પણ.

૨.૧ (દા.ત.) વહીવટી ભાષામાં સંક્ષિપ્તીકરણના ચોક્કસ એવા નિયમો હોવા જોઈએ. ગુજરાતી સિલેબિક ભાષા હોવાથી 'બાબુ સુથાર’નું 'બસ’ ન થાય. 'બાસુ’ જ થાય. એ નિયમ દરેક સ્તરે જળવાવો જોઈએ.

૩. આની સમાન્તરે ગુજરાત સરકારે જાહેર જીવનમાં (public domainમાં) ગુજરાતી ભાષાના ઉપયોગને લગતો પેટાધારો પણ ઘડવો જોઈએ. એ ધારાના ઉપક્રમે સરકારે જાહેર જીવનમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ ફરજિયાત કરવો જોઈએ. એમાં દુકાનોનાં બોર્ડની ભાષા પણ આવી જાય.

૩.૧ આ ધારો બનાવ્યા પછી સરકારે (અને કદાચ સામાજિક સંસ્થાઓએ પણ) એકાદ વરસ પૂરતા ગુજરાતી ભાષા માટે એક હૉટલાઇન શરૂ કરવી જોઈએ. આ હોટલાઇનના ઉપક્રમે આપણે ગુજરાતી ભાષાને લગતા કોઈ પ્રશ્નો હોય તો એના જવાબ આપવા જોઈએ. એ પ્રશ્નો કેવળ જોડણી કે વ્યાકરણને લગતા જ હોવા જોઈએ. જો આવું કરવામાં આવે તો સાઇનબોર્ડ વગેરે ચીતરનારાઓને શબ્દોની જોડણી કે વ્યાકરણના નિયમો અંગેની માહિતી મળી રહે.

૪. છેલ્લાં ત્રીસેક વરસમાં સરકારે ગુજરાતી ભાષાનું સંરચનાના સ્તરે અવમૂલ્યન કર્યું છે. વિજ્ઞાનના વિદ્યાર્થીઓએ ગુજરાતી ભાષા કેવળ પાસ કરવાની જ રહી એવો સરકારનો નિર્ણય આનું ઉદાહરણ છે. એ નિયમ બદલવો જોઈએ અને ગુજરાતી ભાષાના અભ્યાસને ગણિત તથા વિજ્ઞાનના અભ્યાસની સમકક્ષ મૂકવો જોઈએ.

૪.૧ અંગ્રેજી માધ્યમમાં ભણતાં બાળકો માટે પણ પાંચમા ધોરણ સુધી ગુજરાતી ભાષા ફરજિયાત કરવી જોઈએ. જો કે, એ બાળકોને ગુજરાતી બીજી (second) ભાષા તરીકે શીખવવી જોઈએ.

૫. પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી ભાષાના અભ્યાસનું સ્વરૂપ બદલવું જોઈએ. અત્યારે પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી ભાષાસાહિત્યના એક ભાગ રૂપે ભણાવવામાં આવે છે. એને બદલે સરકારે કેવળ લેખન અને વાંચન પર જ ભાર મૂકવો જોઈએ. બાળકો ગુજરાતી ભાષા આત્મસાત્‌ કરીને શાળામાં આવતાં હોય છે. શાળામાં એમણે કેવળ લેખન અને વાંચન જ શીખવાનું હોય છે.

૬. (૫)માં કરવામાં આવેલા સૂચનના એક ભાગ રૂપે પી.ટી.સી.નો અભ્યાસક્રમ પણ બદલવો જોઈએ. પી.ટી.સી.ના વિદ્યાર્થીઓને વાંચન/લેખન ભણાવવા માટે તૈયાર કરવા જોઈએ.

૭. ગુજરાતી ભાષાની જોડણીવ્યવસ્થા અંગે નવેસરથી વિચાર કરવો જોઈએ. સૌ પહેલાં તો ગુજરાતીમાં જોડણી કોને કહેવાય એ વિશે સ્પષ્ટતા કરવી જોઈએ. યાદ રાખો કે ગુજરાતી સિલેબિક ભાષા છે. આલ્ફાબેટિક નહીં. એમ હોવાથી ગુજરાતી જોડણીનું સ્વરૂપ પણ જુદું જ હોવાનું. ત્યાર બાદ, ગુજરાતી ભાષાનું કેટલું અને કયું ધ્વનિતંત્ર જોડણીમાં પ્રગટ થવું જોઈએ એ અંગેનો નિર્ણય લેવો જોઈએ. છેલ્લે, ગુજરાતી રૂપતંત્ર અને વાક્યતંત્રને પણ જોડણી સાથે જોડવાં જોઈએ.

૮. જોડણી અંગે વિચાર કરતી વખતે શિક્ષકો, પ્રિન્ટિંગ પ્રેસ, અને ભાષા સાથે કામ પાર પાડતા બીજા કેટલાક લોકોને પણ સાંકળવા જાેઈએ. કોઈ એક માણસ ર્નિણય લે એ ન ચાલે.

૯. કૉલેજોમાં દરેક ગુજરાતી વિભાગમાં ગુજરાતી ભાષાવિજ્ઞાનમાં ડિપ્લોમા કરેલો હોય એવો ઓછામાં ઓછો એક અધ્યાપક હોવો જોઈએ. આવા અધ્યાપકો તૈયાર કરવા માટે ગુજરાતી ભાષાવિજ્ઞાનમાં ડિપ્લોમાના કોર્સ શરૂ કરવા જોઈએ.

૧૦. યુનિવર્સિટીઓમાં દરેક ગુજરાતી વિભાગ બે વિભાગમાં વહેંચાયેલો હોવો જોઈએઃ સાહિત્ય વિભાગ અને ભાષાશાસ્ત્ર વિભાગ. એમ.એ. કરતા વિદ્યાર્થીઓએ કેટલાક core courses લીધા પછી કાં તો સાહિત્યનો અભ્યાસ કાં તો ભાષાશાસ્ત્રનો અભ્યાસ પસંદ કરવો જોઈએ. જો કે, આ કામ જરા અઘરું છે પણ મુશ્કેલ નથી.

૧૧. ગુજરાતી શબ્દકોશો શાસ્ત્રીય ઢબે તૈયાર થઈ શકે અને જે કંઈ શબ્દકોશો છે એમનો શાસ્ત્રીય ઢબે અભ્યાસ થઈ શકે એ માટે વધારે નહીં તો એક કે બે યુનિવર્સિટીએ Diploma in Lexicographyનો (શબ્દકોશશાસ્ત્રમાં ડિપ્લોમા) કોર્સ શરૂ કરવો જોઈએ.

નોંધઃ ગુજરાતી ભાષા/સાહિત્યના અધ્યાપકોને એક ખાસ સલાહઃ વાંચીને કે ગૂગલ મહારાજને પૂછીને કંઈ પણ ભણાવી શકાય એવા ખોટા ખ્યાલમાં રહેવું નહીં.

૧૨. આટલાં વરસોથી ગુજરાતીના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ પણ એમ.એ. અને પીએચ.ડી. કરે છે. એમ છતાં એકૅડેમિક ગુજરાતી કહી શકાય એવી ભાષાનાં ધોરણો આપણે નક્કી કર્યાં નથી. એને કારણે પણ મોટા ભાગના ગુજરાતી શોધનિબંધો અને સંશોધનનિબંધો પણ ઊતરતી કક્ષાના લાગતા હોય છે. ગુજરાતીના અધ્યાપક સંઘે અને સરકારે પણ આ બાબતમાં યોગ્ય પગલાં લેવાં જોઈએ. દરેક ગુજરાતી વિભાગે એકૅડેમિક ગુજરાતી ફરજિયાત કરવાનું કહેવું જોઈએ.

૧૩. જો કોઈ સમાજમાં એક કરતાં વધારે ભાષાઓ બોલાતી હોય તો એમાંની એક ભાષા કદાચ 'મોભાની ભાષા’ બની જાય. અત્યારે અંગ્રેજી મોભાની ભાષા છે. એ ભાષા પણ ભણાવવી જોઈએ. પણ, એ ભાષા પહેલી ભાષાને મદદ કરતી હોવી જોઈએ. મેં અમેરિકામાં અત્યાર સુધીમાં નહીં નહીં તો બસોથી પણ વધારે વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષા ભણાવી છે. એ બાળકો ગુજરાતીના કારણે અંગ્રેજી (એમની માતૃભાષા) નથી ભૂલ્યાં. પણ, ગુજરાતમાં, અને બીજે પણ, અંગ્રેજી ભાષા શીખતું બાળક આગળ જતાં અંગ્રેજી વધારે વાપરશે અને ગુજરાતી ઓછું. આ ઉદાહરણ સમજવા જેવું છે. પહેલા કેસમાં ગુજરાતી મોભાની ભાષા નથી. બીજામાં અંગ્રેજી મોભાની ભાષા છે. સરકાર ભાષા-આયોજન કરીને ભાષાનો મોભો વધારે નહીં તો થોડોક ઊંચો લાવી શકે. ભાષાશાસ્ત્રમાં આવું કામ કરનારાઓ ભાષા-આયોજકો તરીકે ઓળખાય છે. આપણે એવા ભાષા આયોજકોની પણ મદદ લેવી જોઈએ.

માતૃભાષાને મા સાથે જોડવી ને માને કરતા હોઈએ એવું વહાલ કરવું વગેરે વાતોને લાગણી સાથે સંબંધ છે. એમાં શાસ્ત્ર નથી હોતું. આવી લાગણી વ્યક્ત કરનારાઓમાં કેટલાક તો વિધિના (ritual) ભાગ રૂપે એમની લાગણી વ્યક્ત કરતા હશે. હું એવી લાગણીઓને બહુ માનથી જોતો નથી.

[ફેસબુક સૌજન્ય]

સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2022; પૃ. 16

Loading

ઉત્તર પ્રદેશનો વિકાસ

રમેશ બી. શાહ|Opinion - Opinion|1 March 2022

ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણી પહેલાં ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી આદિત્યનાથે ઉત્તર પ્રદેશને કેરળ, જમ્મુ અને કાશ્મીર અને પશ્ચિમ બંગાળને સમકક્ષ રાજ્ય બનાવવાની પોતાની મહેનતનો ઉલ્લેખ કર્યો હતો. એમણે મતદારોને ઉદ્દેશીને એવી અપીલ કરી હતી કે મતદારો ભા.જ.પ.ને નહીં ચૂંટે તો આ દિશાની પોતાની મહેનત માથે પડશે. આના આધારે અર્થશાસ્ત્રીઓએ આ ચાર રાજ્યોના વિકાસની તુલના કરી હતી. એમાંથી જે તારણ સાંપડ્યું તે નિરાશાજનક હતું. ઉત્તર પ્રદેશ દેશના અન્ય રાજ્યોની તુલનામાં કેટલું પછાત છે તે આ તુલનામાંથી દેખાઈ આવ્યું.

શરૂઆત માથાદીઠ આવકથી કરીએ. ૨૦૨૦-૨૧ ઉત્તર પ્રદેશની માથાદીઠ આવક રૂ. ૪૪,૬૧૮ હતી એની સરખામણીમાં કેરળની માથાદીઠ આવક રૂ. ૧,૪૯,૫૬૩ હતી. જમ્મુ અને કાશ્મીરની માથાદીઠ આવક રૂ. ૭૦,૧૭૬ હતી અને પશ્ચિમ બંગાળની માથાદીઠ આવક રૂ. ૭૧,૭૧૯ હતી. આમ, કેરળની માથાદીઠ આવક ઉત્તર પ્રદેશની સરખામણીમાં ૨૩૫ ટકા વધારે હતી. જમ્મુ અને કાશ્મીરની માથાદીઠ આવક ઉત્તર પ્રદેશની સરખામણીએ ૫૭ ટકા વધારે છે. અને પશ્ચિમ બંગાળની માથાદીઠ આવક ૬૦ ટકા વધારે છે. આનું પ્રતિબિંબ આ રાજ્યોમાં પ્રવર્તતી ગરીબીમાં પડે છે. ભારતમાં ૨૫ ટકા લોકો ગરીબ હતા. એની સરખામણીમાં ઉત્તર પ્રદેશમાં ૩૮ ટકા કેરળમાં, એક ટકો જમ્મુ અને કાશ્મીરમાં ૧૩ ટકા અને પશ્ચિમ બંગાળમાં ૨૧ ટકા લોકો ગરીબ હતાં.

બીજાં નિર્દેશક તરીકે ખેતમજૂરોનું વેતન છે. ભારતમાં ખેતમજૂરોનું વેતન સરેરાશ રૂ. ૩૧૦ હતું. એની સરખામણીમાં ઉત્તર પ્રદેશમાં રૂ. ૨૭૫, કેરળમાં રૂ. ૭૦૭, જમ્મુ અને કાશ્મીરમાં રૂ. ૫૦૧ અને. પશ્ચિમ બંગાળમાં રૂ. ૨૮૭ હતું.

આદિત્યનાથે પોતે ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થાપના કરી હોવાનો દાવો કર્યો હતો.એ આંકડા તપાસીએ. ભારતમાં એક લાખની વસ્તીએ ૨૭ ગુના બન્યા હતા. એ પ્રમાણ ઉત્તર પ્રદેશમાં ૨૯ ગુના બન્યા હતા. એ પ્રમાણ ઉત્તર પ્રદેશમાં ૨૯, કેરળમાં ૨૮ હતું. પશ્ચિમ બંગાળમાં અને જમ્મુ કાશ્મીરમાં કેટલાં ગુના બન્યા હતા એ આંકડા ઉપલબ્ધ નથી.

બીજા કેટલાક વિકાસના નિર્દેશકો લઈએ. ભારતમાં સરેરાશ આયુષ્ય ૬૯ વર્ષ હતું. એની સરખામણીમાં ઉત્તર પ્રદેશમાં ૬૫ વર્ષનું, કેરળમાં ૭૫ વર્ષનું, જમ્મુ અને કાશ્મીરમાં ૭૪ વર્ષનું અને પશ્ચિમ બંગાળમાં ૭૨ વર્ષનું સરેરાશ આયુષ્ય હતું. સ્ત્રીઓમાં શિક્ષણનો વિચાર કરીએ તો ૧૫થી ૪૯ વર્ષની સ્ત્રીઓમાં શિક્ષણનું પ્રમાણ ભારતમાં ૭૨ ટકા હતું. તેની સરખામણીમાં ઉત્તર પ્રદેશમાં ૬૬ ટકા, કેરળમાં ૯૮ ટકા, જમ્મુ-કાશ્મીરમાં ૭૭ ટકા અને પશ્ચિમ બંગાળમાં ૭૬ ટકા હતું. બાળમૃત્યુનું પ્રમાણ ભારતમાં ૩૫, ઉત્તર પ્રદેશમાં ૫૦, કેરળમાં ૪, જમ્મુ-કાશ્મીરમાં ૧૬ અને પશ્ચિમ બંગાળમાં ૨૦ છે. ભારતમાં પૂરતું પોષણ નહીં મેળવતાં બાળકોનું પ્રમાણ ૩૨ ટકા છે. તે ઉત્તર પ્રદેશમાં ૩૩ ટકા, કેરળમાં ૨૦ ટકા, જમ્મુ-કાશ્મીરમાં ૨૧ ટકા અને પશ્ચિમ બંગાળમાં ૩૨ ટકા છે.

ભારતમાં આર્થિક વિકાસની ચર્ચા કરતા અર્થશાસ્ત્રીઓમાં બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનનો ઉલ્લેખ “બિમારુ” રાજ્યો તરીકે કરવામાં આવે છે. વિકાસમાં આ રાજ્યો પાછળ રહેવાથી એમના માટે આ શબ્દપ્રયોગ ચાલુ રાખવામાં આવ્યો છે. મૂળમાં એ શબ્દપ્રયોગ વસ્તી વૃદ્ધિના ઊંચા દરને કારણે કરાયો હતો. આ રાજ્યોની વસ્તી ૨૦૨૨માં અંદાજે ૫૨.૮૬ કરોડ હતી. દેશની અંદાજીત વસ્તીના ૩૮ ટકા આ રાજ્યોમાં રહે છે. એ રાજ્યો નીતિ આયોગ દ્વારા તૈયાર કરવામાં આવેલા ગરીબીના સૂચક આંકમાં પહેલા ૧૦માં આવે છે. એની સરખામણી દક્ષિણનાં રાજ્યો સાથે કરવા જેવી છે. દક્ષિણનાં રાજ્યોમાં ગરીબીનું પ્રમાણ રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછું છે. દા.ત. તેલંગાણામાં ગરીબીનું પ્રમાણ ૧૩.૭૪ ટકા, કર્ણાટકમાં ૧૩.૧૩ ટકા આંધ્ર પ્રદેશમાં ૧૨.૩૦ ટકા, તામિલનાડુમાં ૪.૮૯ ટકા અને કેરળમાં ૦.૭૧ ટકા ગરીબીનું પ્રમાણ હતું. આમ વિકાસની રીતે ઉત્તરનાં હિન્દી ભાષી રાજ્યો અને દક્ષિણ ભારતનાં રાજ્યો બે વિભાગમાં વહેંચાઈ જાય છે. દેશની લગભગ ૪૦ ટકા વસતી ધરાવતાં બિમારુ રાજ્યો અને દક્ષિણના રાજ્યો વિકાસની બાબતમાં જુદા પડે છે. દક્ષિણના રાજ્યોમાં માનવ વિકાસ અને આર્થિક વિકાસ પ્રમાણમાં વધારે થયો છે. જ્યારે, બિમારું રાજ્યોમાં (એમાંથી છૂટાં પડેલા રાજ્યો સહિત) વિકાસ ઓછો થયો છે. ભારતને આપણે સમાન સંસ્કૃતિ ધરાવતો દેશ ગણીએ છીએ. તેની સાથે આ મુદ્દો સુસંગત નથી ઉત્તરનાં રાજ્યોમાં એકંદરે વિકાસ ઓછો થયો છે. તે તેમની સાંસ્કૃતિક પરંપરાનું પરિણામ હોવું જોઈએ. દક્ષિણના રાજ્યોમાં સધાયેલો વિકાસ એ તેમની જુદી સાંસ્કૃતિક પરંપરાનો નિર્દેશ કરે છે.

આપણે બજારના માધ્યમનો ઉપયોગ કરીને ચીન સહિતના પૂર્વે એશિયાના દેશોની સમકક્ષ વિકાસ સાધી શક્યા નથી. એના મૂળમાં કદાચ ઉત્તર ભારતમાં પ્રવર્તતી સાંસ્કૃતિક પરંપરા છે. વસ્તીનો મોટો ભાગ વિકાસની પ્રક્રિયામાં સામેલ ના થાય એનો અર્થ એ કે એની સાંસ્કૃતિક પરંપરા વિકાસને પોષક નથી.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2022; પૃ. 07-08

Loading

યુ.પી.માં યોગી ગયા?

ભરત મહેતા|Opinion - Opinion|1 March 2022

યુ.પી.માં ત્રણ ચરણની ચૂંટણી પૂરી થતાં જ વિસ્ફોટ થયો છે! લગભગ બધા જ સર્વેમાં યુ.પી.માં ભા.જ.પ.ની જીત પ્રત્યે શંકા સેવાઈ રહી છે. રાષ્ટ્રીય સ્તરે ૨૦૧૭માં ઉત્તર પ્રદેશમાં આમ જનતાએ સવા ત્રણસો બેઠકો આપી હતી! ત્યાં આજે પરિસ્થિતિ એવી થઈ છે કે ક્રિકેટની ભાષામાં કહીએ તો ભા.જ.પ. 'ડિફેન્સીવ’ રમી રહ્યું છે. કોરોનામાં ઑક્સિજન-દવાનો અભાવ, ગંગાનું શબવાહિની બનવું, પરીક્ષાના ગોટાળા, હાથરસમાં બળાત્કાર પીડિતાને મધરાતે બાળી દેવી, લખીમપુરમાં મંત્રીપુત્ર દ્વારા કિસાનો પર કાર ફરી વળવી અને કિસાનોની હત્યા થવી, હજ્જારો કિસાનો પર કેસ થવા – આ બધું જાણે પાપનો ઘડો ભરાયો હોય એમ ઊભરાયું છે.

સ્વભાવતઃ જ આક્રમક ભા.જ.પ. આક્રમક બનવા જાય છે ત્યાં હારની ગભરાટમાં લોચા મરાઈ જાય છે! યોગીનું ૮૦, ૨૦નું સૂત્ર હિંદુ-મુસ્લિમ સૂચવાતું હતું, પરંતુ એમને ફેરવી તોળવું પડ્યું કે વિકાસતરફી અને વિરોધી માટે બોલેલા! આ એક પ્રકારનાં ગલ્લાં-તલ્લાં છે. ટી. રાજાસિંહે ખુલ્લી સભામાં કહ્યું એમ બુલડોઝર મંગાવી રાખ્યાં છે, જે લોકો યોગીબાબાને વોટ નહીં આપે એ વિસ્તારમાં અમે બુલડોઝર ફેરવીશું. આમ, યોગીબાબા બુલડોઝરબાબા બની ગયા! અમદાવાદમાં આતંકીઓએ બૉમ્બબ્લાસ્ટમાં સાઇકલો વાપરેલી તેથી જેનું ચૂંટણીચિહ્ન સાઇકલ છે એ સમાજવાદી પક્ષનો દોરીસંચાર હોવો એમ કહેવું વડા પ્રધાનશ્રી મોદીજી માટે શોભાસ્પદ નથી! થોડાક દિવસ પહેલાં ખેડૂત આતંકવાદી હતો, હવે સાઇકલવાળા. મનમોહનસિંહે આ અર્થમાં જ કહ્યું કે તમે આવ્યા પછી પ્રજા સદ્ભાવ ઓછો થતો જાય છે. યોગીજી અને એમની નિકટ ગણાતા રણવેન્દ્રસિંહ (ધૂનીભૈયા) કહે છે કે ઊંચો અવાજ કાનમાં આવ્યો તો ૧૧ માર્ચ પછી વિપક્ષની ગરમી કાઢી નાંખશું – એ પણ ઘમંડી વિધાન છે. આ ધૂનીભૈયા હો કે મયંકેશ્વરસિંહ (અમેઠી-તિલોઈ) ધારાસભ્યો છે. એમની ભાષા સાંભળીને થાય છે કે ગુંડાગીરીની વાત ભા.જ.પ. કરી શકે? મયંકેશ્વરસિંહ કહે છે, 'હિંદુસ્તાનનો હિંદુ એક વાર જાગી ગયો ને તો દાઢી ખેંચી પાછળ ચોટલી બનાવી દેશે! હિંદુસ્તાનમેં રહેના હો તો રાધે રાધે કહેના હોગા. વિભાજન વખતે પાકિસ્તાન ગયા હતા એમ ચાલ્યા જાવ!’ વળી આ બધા રત્નો યોગીજીના નિકટતમ સાથીઓ ગણાય છે. ફરેંદાના ધારાસભ્યના ઉમેદવાર બજરંગ બહાદુર, યોગીના નિકટતમ. એમણે જાહેર સભામાં કહ્યું, ગયા વખતે ૭૩,૦૦૦ મત ભા.જ.પ. સિવાયનાને મળ્યા છે એ આ વખતે બન્યું તો હું ચૂપ નહીં રહું. સબકા સાથ મિલના ચાહિયે વરના સબકો વિકાસ (દૂબે) બના દેગે! પ્રજાને આમ ધમકાવવાથી કંઈ નહીં વળે, ડર કે આગે જીત હૈ એ પ્રજા જાણે છે. આનો પ્રભાવ એવો પડ્યો છે કે કાર્યકર્તાઓમાં આત્મવિશ્વાસ ઘટી જાય છે. ચૂંટણી સભામાં ખાલી ખુરશીઓ છે. નિયત ચૂંટણી સભાઓ ભા.જ.પે. રદ્દ કરવી પડી છે. રોડ શોમાં અમિત શાહ ગુસ્સે થાય છે, સ્મૃતિ ઈરાની રોડ શો છોડીને ચાલ્યાં જાય છે. હજુ બંગાળની કળ વળી નથી ત્યાં આ પડ્યા ઉપર પાટુ સમાન છે. અમે રામને લાવ્યા છીએ, હવે તમે અમને લાવો એમ કહેવું કેટલું અપમાનજનક છે. પ્રજાની સ્મૃતિ અને હૃદયમાં સદીઓથી રામ અંકિત છે. ભા.જ.પ.ના આ વિધાનની અસર પણ બૂમરેંગ થઈ છે.

હમણાં જ દીકરાના પ્રચારમાં કરહલ વિસ્તારમાં મુલાયમસિંહ આવ્યા એટલે અમિત શાહે કહ્યું કે – 'હારના ભયથી સમાજવાદીપક્ષે મુલાયમસિંહને લાવવાની ફરજ પડી.’ અરે! ભાઈ કરહલથી લડતા અખિલેશ એમના દીકરા છે. શું રાજનાથસિંહ દીકરાનો પ્રચાર નોઇડામાં નથી કરતા? બીજું, વિસ્તાર જ મુલાયમસિંહનો સંસદીય વિસ્તાર છે. હકીકતે તો આવાં વિધાનોમાં જ પરાજયનો પડછાયો વાંચી શકાય. આ વખતનું અને ૨૦૧૭નું પોસ્ટર જ જુઓ ત્યારે ખબર પડે કે ભા.જ.પ.માં આંતરકલહ પણ છે.

૨૦૧૭માં રાજનાથસિંહ, અમિત શાહ, યોગી, મોદી, સ્મૃતિ ઈરાની પોસ્ટરમાં હતા. આજે કેવળ મોદી-યોગી જ છે! રાજનાથસિંહ કે જેઓ યુ.પી.ના મુખ્ય મંત્રી હતા એમને ચૂંટણીમાં લગભગ ગેરહાજર રખાયા છે!

રામમંદિર સાથે યોગી કાયમ ન જોડાઇ જાય એવી ભીતિથી ભા.જ.પ.ની અંદરથી જ યોગીજીને અયોધ્યાના બદલે ગોરખપુર ખસેડવામાં આવ્યા હોય એવી શંકા પડે. જેમણે નગરપાલિકાનો પણ વહીવટ નથી કર્યો એવા યોગીજી સીધા મુખ્ય મંત્રી બન્યા ત્યારે આ વાત કહીને જ અમિત શાહે ટીકા કરી હતી. જેમણે અમિત શાહના દીકરા જય માટે BCCIમાં એમના મોટા ભાઈ હોઈને જોગવાઈ કરી આપી એ અનુરાગ ઠાકુર યુપીની ચૂંટણીમાં સર્વત્ર નજરે પડે છે.

રાજ્યનું ૭૦% બજેટ ન વાપરી શકનાર યોગીજી બિનકાર્યક્ષમ છે એ પ્રજામાં પુરવાર થઈ ગયું. જે  દલિત-જાટ વોટથી ૨૦૧૭માં ભા.જ.પ.માં ચૂંટાયેલા એ જાટ, દલિત, બ્રાહ્મણો હવે એમનાથી ભાગી રહ્યા છે. હિંદુ-મુસ્લિમનું ધ્રુવીકરણ મુઝ્ફ્ફરનગરની ૨૦૧૩ની ઘટના પછી કારગર નીવડેલું એ આજે નજરે પડતું નથી. સમાજવાદી પક્ષે યાદવાસ્થળી અટકાવીને સર્વસમાવેશી નીતિ અપનાવી એ એમને લાભદાયી નીવડી રહી છે. જે સમાજવાદી પક્ષ પર મોદી-યોગી-શાહ 'ગુંડાગરદી’, 'તમંચાવાદી’ આક્ષેપ કરે છે એ લોકો NCBના રિપોર્ટ વાંચતા જ નથી! કેન્દ્ર સરકારના રિપોર્ટમાં જ, અમિત શાહના ગૃહમંત્રાલયના આંકડા જ ગુનાખોરી વધી છે તે બતાવે છે! બારમા પછી ઇન્ટરમાં લૅપટૉપ જેવાં હસ્યાસ્પદ વિધાનો ચાણક્ય કરી રહ્યા છે.

શિવરાજસિંહ ચૌહાણ, વસુંધરા રાજે, નીતિન ગડકરી, રાજનાથસિંહને મોદી-શાહની જોડીએ હાંસિયામાં ધકેલી દીધાં છે. આ જ ક્રમમાં ભાવિ વડા પ્રધાન ગણાતા યોગી અદિત્યનાથનો વારો છે એવું લાગે! ભા.જ.પ. જીતે કે ન જીતે, યોગી સ્થાનભ્રષ્ટ થશે એમાં કોઈ શંકા નથી. વારંવાર અમિત શાહ યોગીજીનો પ્રશાસનિક અનુભવ શૂન્ય છે એમ કહેતા હતા. એ બધાનો સરવાળો ૧૦મી માર્ચ પછી થશે. પહેલાં મોદીજી કપડાંથી બધાને ઓળખી જતા, હવે સાઇકલ ચલાવવાવાળાને ઓળખી ગયા છે. હકીકત એ છે કે પ્રજા દેશ ચલાવવાવાળાને ઓળખી ગઈ છે. અહીં તો અમે બે, અમારાં બે-નો ઘાટ છે. અદાણી, અંબાણી, મોદી અને અમિત શાહ. આ એકહથ્થુપણાની નીતિને યુ.પી.ના મતદારોએ પડકારી છે એટલું નક્કી. યુ.પી.માં એકાએક પીચે ટર્ન લઈ લીધો છે એટલે ખેલાડીઓ નાસીપાસ થયા છે. પાંચ રાજ્યોનાં પરિણામો ક્યાંક ભા.જ.પ.ની ગરમી ઉતારી નાંખે તો નવાઈ નહીં!

સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2022; પૃ. 06

Loading

...102030...1,6161,6171,6181,619...1,6301,6401,650...

Search by

Opinion

  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved