ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણી પહેલાં ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી આદિત્યનાથે ઉત્તર પ્રદેશને કેરળ, જમ્મુ અને કાશ્મીર અને પશ્ચિમ બંગાળને સમકક્ષ રાજ્ય બનાવવાની પોતાની મહેનતનો ઉલ્લેખ કર્યો હતો. એમણે મતદારોને ઉદ્દેશીને એવી અપીલ કરી હતી કે મતદારો ભા.જ.પ.ને નહીં ચૂંટે તો આ દિશાની પોતાની મહેનત માથે પડશે. આના આધારે અર્થશાસ્ત્રીઓએ આ ચાર રાજ્યોના વિકાસની તુલના કરી હતી. એમાંથી જે તારણ સાંપડ્યું તે નિરાશાજનક હતું. ઉત્તર પ્રદેશ દેશના અન્ય રાજ્યોની તુલનામાં કેટલું પછાત છે તે આ તુલનામાંથી દેખાઈ આવ્યું.
શરૂઆત માથાદીઠ આવકથી કરીએ. ૨૦૨૦-૨૧ ઉત્તર પ્રદેશની માથાદીઠ આવક રૂ. ૪૪,૬૧૮ હતી એની સરખામણીમાં કેરળની માથાદીઠ આવક રૂ. ૧,૪૯,૫૬૩ હતી. જમ્મુ અને કાશ્મીરની માથાદીઠ આવક રૂ. ૭૦,૧૭૬ હતી અને પશ્ચિમ બંગાળની માથાદીઠ આવક રૂ. ૭૧,૭૧૯ હતી. આમ, કેરળની માથાદીઠ આવક ઉત્તર પ્રદેશની સરખામણીમાં ૨૩૫ ટકા વધારે હતી. જમ્મુ અને કાશ્મીરની માથાદીઠ આવક ઉત્તર પ્રદેશની સરખામણીએ ૫૭ ટકા વધારે છે. અને પશ્ચિમ બંગાળની માથાદીઠ આવક ૬૦ ટકા વધારે છે. આનું પ્રતિબિંબ આ રાજ્યોમાં પ્રવર્તતી ગરીબીમાં પડે છે. ભારતમાં ૨૫ ટકા લોકો ગરીબ હતા. એની સરખામણીમાં ઉત્તર પ્રદેશમાં ૩૮ ટકા કેરળમાં, એક ટકો જમ્મુ અને કાશ્મીરમાં ૧૩ ટકા અને પશ્ચિમ બંગાળમાં ૨૧ ટકા લોકો ગરીબ હતાં.
બીજાં નિર્દેશક તરીકે ખેતમજૂરોનું વેતન છે. ભારતમાં ખેતમજૂરોનું વેતન સરેરાશ રૂ. ૩૧૦ હતું. એની સરખામણીમાં ઉત્તર પ્રદેશમાં રૂ. ૨૭૫, કેરળમાં રૂ. ૭૦૭, જમ્મુ અને કાશ્મીરમાં રૂ. ૫૦૧ અને. પશ્ચિમ બંગાળમાં રૂ. ૨૮૭ હતું.
આદિત્યનાથે પોતે ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થાપના કરી હોવાનો દાવો કર્યો હતો.એ આંકડા તપાસીએ. ભારતમાં એક લાખની વસ્તીએ ૨૭ ગુના બન્યા હતા. એ પ્રમાણ ઉત્તર પ્રદેશમાં ૨૯ ગુના બન્યા હતા. એ પ્રમાણ ઉત્તર પ્રદેશમાં ૨૯, કેરળમાં ૨૮ હતું. પશ્ચિમ બંગાળમાં અને જમ્મુ કાશ્મીરમાં કેટલાં ગુના બન્યા હતા એ આંકડા ઉપલબ્ધ નથી.
બીજા કેટલાક વિકાસના નિર્દેશકો લઈએ. ભારતમાં સરેરાશ આયુષ્ય ૬૯ વર્ષ હતું. એની સરખામણીમાં ઉત્તર પ્રદેશમાં ૬૫ વર્ષનું, કેરળમાં ૭૫ વર્ષનું, જમ્મુ અને કાશ્મીરમાં ૭૪ વર્ષનું અને પશ્ચિમ બંગાળમાં ૭૨ વર્ષનું સરેરાશ આયુષ્ય હતું. સ્ત્રીઓમાં શિક્ષણનો વિચાર કરીએ તો ૧૫થી ૪૯ વર્ષની સ્ત્રીઓમાં શિક્ષણનું પ્રમાણ ભારતમાં ૭૨ ટકા હતું. તેની સરખામણીમાં ઉત્તર પ્રદેશમાં ૬૬ ટકા, કેરળમાં ૯૮ ટકા, જમ્મુ-કાશ્મીરમાં ૭૭ ટકા અને પશ્ચિમ બંગાળમાં ૭૬ ટકા હતું. બાળમૃત્યુનું પ્રમાણ ભારતમાં ૩૫, ઉત્તર પ્રદેશમાં ૫૦, કેરળમાં ૪, જમ્મુ-કાશ્મીરમાં ૧૬ અને પશ્ચિમ બંગાળમાં ૨૦ છે. ભારતમાં પૂરતું પોષણ નહીં મેળવતાં બાળકોનું પ્રમાણ ૩૨ ટકા છે. તે ઉત્તર પ્રદેશમાં ૩૩ ટકા, કેરળમાં ૨૦ ટકા, જમ્મુ-કાશ્મીરમાં ૨૧ ટકા અને પશ્ચિમ બંગાળમાં ૩૨ ટકા છે.
ભારતમાં આર્થિક વિકાસની ચર્ચા કરતા અર્થશાસ્ત્રીઓમાં બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનનો ઉલ્લેખ “બિમારુ” રાજ્યો તરીકે કરવામાં આવે છે. વિકાસમાં આ રાજ્યો પાછળ રહેવાથી એમના માટે આ શબ્દપ્રયોગ ચાલુ રાખવામાં આવ્યો છે. મૂળમાં એ શબ્દપ્રયોગ વસ્તી વૃદ્ધિના ઊંચા દરને કારણે કરાયો હતો. આ રાજ્યોની વસ્તી ૨૦૨૨માં અંદાજે ૫૨.૮૬ કરોડ હતી. દેશની અંદાજીત વસ્તીના ૩૮ ટકા આ રાજ્યોમાં રહે છે. એ રાજ્યો નીતિ આયોગ દ્વારા તૈયાર કરવામાં આવેલા ગરીબીના સૂચક આંકમાં પહેલા ૧૦માં આવે છે. એની સરખામણી દક્ષિણનાં રાજ્યો સાથે કરવા જેવી છે. દક્ષિણનાં રાજ્યોમાં ગરીબીનું પ્રમાણ રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછું છે. દા.ત. તેલંગાણામાં ગરીબીનું પ્રમાણ ૧૩.૭૪ ટકા, કર્ણાટકમાં ૧૩.૧૩ ટકા આંધ્ર પ્રદેશમાં ૧૨.૩૦ ટકા, તામિલનાડુમાં ૪.૮૯ ટકા અને કેરળમાં ૦.૭૧ ટકા ગરીબીનું પ્રમાણ હતું. આમ વિકાસની રીતે ઉત્તરનાં હિન્દી ભાષી રાજ્યો અને દક્ષિણ ભારતનાં રાજ્યો બે વિભાગમાં વહેંચાઈ જાય છે. દેશની લગભગ ૪૦ ટકા વસતી ધરાવતાં બિમારુ રાજ્યો અને દક્ષિણના રાજ્યો વિકાસની બાબતમાં જુદા પડે છે. દક્ષિણના રાજ્યોમાં માનવ વિકાસ અને આર્થિક વિકાસ પ્રમાણમાં વધારે થયો છે. જ્યારે, બિમારું રાજ્યોમાં (એમાંથી છૂટાં પડેલા રાજ્યો સહિત) વિકાસ ઓછો થયો છે. ભારતને આપણે સમાન સંસ્કૃતિ ધરાવતો દેશ ગણીએ છીએ. તેની સાથે આ મુદ્દો સુસંગત નથી ઉત્તરનાં રાજ્યોમાં એકંદરે વિકાસ ઓછો થયો છે. તે તેમની સાંસ્કૃતિક પરંપરાનું પરિણામ હોવું જોઈએ. દક્ષિણના રાજ્યોમાં સધાયેલો વિકાસ એ તેમની જુદી સાંસ્કૃતિક પરંપરાનો નિર્દેશ કરે છે.
આપણે બજારના માધ્યમનો ઉપયોગ કરીને ચીન સહિતના પૂર્વે એશિયાના દેશોની સમકક્ષ વિકાસ સાધી શક્યા નથી. એના મૂળમાં કદાચ ઉત્તર ભારતમાં પ્રવર્તતી સાંસ્કૃતિક પરંપરા છે. વસ્તીનો મોટો ભાગ વિકાસની પ્રક્રિયામાં સામેલ ના થાય એનો અર્થ એ કે એની સાંસ્કૃતિક પરંપરા વિકાસને પોષક નથી.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2022; પૃ. 07-08