Opinion Magazine
Number of visits: 9456315
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ટાગોર જયંતીએ રાષ્ટ્રવાદનાં વ્યાખ્યાનોનો અભ્યાસ કેમ નહીં?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|7 May 2025

રવીન્દ્રનાથ રાષ્ટ્રવાદના કેટલા મોટા આલોચક હોઈ શકતા હતા! રાષ્ટ્રવાદ આશીર્વાદ ને અભિશાપ બેઉ હોઈ શકે તે એ સુપેરે જાણતા હતા

રવીન્દ્રનાથ ટાગોર

જન્મ : 7 મે, 1861 — મૃત્યુ : 7 ઓગસ્ટ, 1941

ચિદાકાશમાં રમતું ઓઠું અલબત્ત આજે રવીન્દ્ર જયંતી છે, એનું છે. હૃદયસ્થ રવીન્દ્રનાથ 164 વર્ષ પૂરાં કરી 165મે પ્રકાશી રહ્યા છે, ત્યારે વાનાં તો ઘણાં ઉભરે છે – પણ આજે એક-બે મુદ્દા પૂર્વ સાંસદ ને હાર્વર્ડ ઇતિહાસવેત્તા સુગત બોઝના સહારે કરવા ધારું છું.

સુગત પાછા નેતાજીના પરિવારના, સુભાષબાબુના ભાઈ શરતચંદ્ર બોઝના પૌત્ર એટલે રાષ્ટ્રીય ચળવળનો સંસ્કાર, અને અલબત્ત બંગાલ રિનેસાંસનો પણ.

હવે તો ખાસાં નવ વરસ અને લટકામાં ત્રણ મહિના થયા એ વાતને પણ સુગત બોઝે, પોતે જાદવપુરથી ચુંટાયેલા સાંસદ તરીકે ફેબ્રુઆરી 2016માં લોકસભામાં વ્યક્ત કરેલા વિચારોમાં આપણાં ઉચ્ચતમ શિક્ષણકેન્દ્રોમાં અને બૌદ્ધિક વિમર્શમાં આ શું ચાલી રહ્યું છે એને અંગેની અંતરતમની ચિંતા વ્યક્ત થથી હતી. નિમિત્ત હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીમાં તેજસ્વી દલિત છાત્ર રોહિત વેમુલાએ વિષમ સંયોગમાં કરેલ આત્મહત્યાનું હતું. 

સુગત બોઝ

સુગત બોઝે અગાઉના થોરાત સમિતિના તપાસ હેવાલનો જે હવાલો આપ્યો એ હૃદયવિદારક હતો. ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં નોંધાયેલી 23 આત્મહત્યા પૈકી 19 દલિત, 2 આદિવાસી અને 1 મુસ્લિમ છાત્રની હતી.

કેમ કે મને સુગતની રવીન્દ્રપ્રીતિનો કંઈક અંદાજ છે, મને હતું કે એ ‘દુર્ભાગી દેશ’ને સંભારશે : ‘હે મુજ દુર્ભાગી દેશ! જેઓનું તેં અપમાન કર્યું છે તેમના જેવું જ અપમાન તારે વેઠવું પડશે … તું જોતો નથી કે તારે બારણે મૃત્યુદૂત આ‌વીને ઊભો છે, તેણે તારા જાતિના અહંકાર પર અભિશાપ ચોડી દીધો છે. હજીયે જો તું દૂર ખસીને ઊભો રહીશ, જો તું બધાંને નહીં બોલાવે, અને તારી ચારે કોર અભિમાનનો કોટ રચી પોતાની જાતને બાંધી રાખીશ તો તારે મૃત્યુ સમયે ચિતાભસ્મમાં તો સૌના સરખા થવું જ પડશે.’

ખેર, સ્પીકર સુમિત્રા મહાજનની અધ્યક્ષતામાં બોલતાં સુગતે કહ્યું હતું કે રોહિતની કારુણિકાથી આપણા ‘કલેક્ટિવ કોન્શ્યન્સ’માં કંઈક તો થવું જોઈએ. પણ અહીં તો એક હૃદયશૂન્ય સરકાર છે જેને છેવાડાના જણનો ચિત્કાર સંભળાતો નથી. જણે જણને સારુ સામાજિક ન્યાય શક્ય બનાવવાને બદલે સત્તા પક્ષ યુનિવર્સિટી છાત્રોના અજંપાને ઓઠે પોતાના ખાસ પ્રકારના રાષ્ટ્રવાદનું રોલર ફેરવે છે અને ટીકાકારમાત્રને રાષ્ટ્રવાદ વિરોધી કૂચડે રંગે છે. માદામ સ્પીકર, હું કોઈ કોમ્યુનિસ્ટ નથી. હકીકતે એક સુપ્રતિષ્ઠ સામ્યવાદી ઉમેદવારને હરાવીને આ ગૃહમાં આવ્યો છું, પણ આપણા તરુણ છાત્રો માર્ક્સ અગર આંબેડકરથી પ્રેરાઈ અભિવ્યક્ત થતા હોય તો હું એમના સ્વાતંત્ર્યનો આદર કરું છું … અસંમતિને ગુનાઈત લેખવાનું વલણ દુરસ્ત નથી. આ ધોરણે તો આપણે ટાગોરને પણ રાષ્ટ્રદ્રોહી ઠરાવીશું.

સુગતે ઉમેર્યું હતું કે સ્વરાજની ચળવળમાં આપણે મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને સુભાષચંદ્ર બોઝ પાસે રાષ્ટ્રવાદના પાઠ શીખ્યા છીએ. એમાં પણ બંગાળમાં તો અમે વિવેકાનંદ, ટાગોર, દેશબંધુ દાસ, બિપિનચંદ્ર પાલ અને અરવિંદ ઘોષથી પ્રેરિત થયા છીએ. અનુરાગ ઠાકુરને કહું કે અરવિંદે મહાભારતની ચર્ચા કરતા ‘ચક્રવર્તી’ની વિભાવના કેવી રીતે સમજાવી છે તે જરી વાંચો-વિચારો. ચક્રવર્તીનું સુવાંગ રાજ નહોતું – રાજ્ય, રાજ્ય સ્વાયત્ત હતાં, એના પર એની આણ (સુઝરેનટી) હતી, એટલું જ. જેઓ, સરકારી પાટલીઓ પરથી, ‘સેન્ટ્રલાઈઝ્ડ ડેસ્પોરિઝમ’ની જેમ રાષ્ટ્રવાદની વાત કરે છે એમને અરવિંદના શબ્દોની યાદ આપું કે પ્રાદેશિક પ્રજાઓના મુક્ત જીવનને ભોગે ‘એકતા’ની વાત બરાબર નથી.

હમણાં મેં ટાગોરને યાદ કર્યા, સુગતે ઉમેર્યું હતું, એમણે આપણું રાષ્ટ્રગીત રચ્યું છે, પણ એ રાષ્ટ્રવાદના કેટલા મોટા આલોચક પણ હોઈ શકતા હતા! રાષ્ટ્રવાદ આશીર્વાદ ને અભિશાપ બેઉ હોઈ શકે તે એ જાણતા હતા. અનુરાગ ઠાકુર નેતાજીનો હવાલો આપીને વાત કરે છે પણ એમને યાદ આપું કે 1933-1936નાં વર્ષો યુરોપમાં ગાળ્યા તે પછી વતન પરત થતાં એમણે કરેલી ને દોહરાવેલી એક ટિપ્પણી એ હતી કે યુરોપમાં જે નવો જર્મન રાષ્ટ્રવાદ હું જોઈને આવ્યો છું તે ‘સંકુચિત, સ્વાર્થી અને ઉછાંછળો’ છે. તો, એક પા રાષ્ટ્રવાદનું મુક્તિદાયી સ્વરૂપ અને બીજી પા રાષ્ટ્રવાદની જુલમી તાસીર, બેઉ આપણને સમજાવાં જોઈએ તેમ વિશ્વ ઇતિહાસના એક છાત્ર તરીકે હું આ ગૃહને કહેવા માંગું છું.

વિવેકાનંદ, ચિત્તરંજનદાસ, અરવિંદ, સુભાષ, લાલ ને બાલ સાથેના પાલ, આ સૌની સ્વાધ્યાયસાખે સુગતે કહેલી વાતો, રાષ્ટ્રવાદને સામાજિક ન્યાય ને સ્વાતંત્ર્યના સંદર્ભમાં જોવા અને સમજવાની એમની એક ઇતિહાસવિદ તરીકેની અપીલ રવીન્દ્ર જયંતીએ આપણને દિલને દરવાજે દસ્તક દે છે.

સુગતનું ભાષણ સમેટતાં હું એક સંભારણું વળીને દોહરાવ્યા વગર રહી શકતો નથી. રાષ્ટ્રવાદના મુદ્દે ગાંધી-ટાગોર વિવાદ સુપ્રતિષ્ઠ છે. એક તબક્કે રોમાઁ રોલાઁએ સૂચવ્યું હતું કે ભારતના રાષ્ટ્રીય આંદોલનમાં રવીન્દ્રનાથનાં રાષ્ટ્રવાદનાં વ્યાખ્યાનોનો અભ્યાસ થવો જોઈએ. સવાઈ ગુજરાતી કાકા કાલેલકરે ઠાવકા શબ્દોમાં વળતી બાતમી આપી હતી કે એ અમારા અભ્યાસક્રમમાં છે!

સત્તા-પ્રતિષ્ઠાન, સ્વાતંત્ર્ય આંદોલન દરમ્યાન રાષ્ટ્રવાદના મુદ્દે ઊભી થયેલી એકંદરમતીને આ ચળવળના નેતાઓમાંથી કેટલાકને ખાસ ‘પોતાના’ તરીકે આગળ કરી જે એક કથિત વૈકલ્પિક વિચારની રાજનીતિ ખેલવા ચાહે છે એના સંદર્ભમાં ઇતિહાસજ્ઞ સુગત બોઝની આ માંડણી આપણે સારુ પથ્ય ખાણદાણ શી બની રહે છે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 07 મે 2025

Loading

‘અકૂપાર’ : પૃથ્વીતત્ત્વની વિશાળતાનો અસલી અનુભવ 

સોનલ પરીખ|Opinion - Literature|6 May 2025

… અને નાયકનું મનોજગત નવો સ્પર્શ, નવું રૂપાંતર પામે છે. હવે એ જે જે દૃશ્યો રેખાંકિત કરે છે, તેમાં તેને એક અવર્ણનીય, અજાણ્યા લયનો પડઘો સંભળાય છે. તેને થાય છે, ‘એ ક્યા લયનો પડઘો હશે? અગોચર અંતરીક્ષમાં ધબકતા બ્રહ્માંડના સ્પંદનોનો કે પછી માતાના ગર્ભમાં અનુભવેલા સર્વવ્યાપી હિલ્લોળનો?’ 

પૃથ્વી દિન 22 એપ્રિલે છે અને પુસ્તક દિન 23 એપ્રિલે. આ બંનેને એક દોરમાં પરોવી શકાય એવાં પુસ્તકની વાત આજે કરવી છે. આ પુસ્તક છે ‘અકૂપાર’ નામની નવલકથા. 

વાચકમિત્રોને યાદ હશે કે ધ્રુવ ભટ્ટની અન્ય વિશિષ્ટ પ્રકારની નવલકથાઓની જેમ ‘અકૂપાર’ પણ પ્રશિષ્ટ સામયિક ‘નવનીત સમર્પણ’માં હપ્તાવાર પ્રગટ થઈ હતી. ‘અકૂપાર’ની પુસ્તક રૂપે પહેલી આવૃત્તિ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયે 2010માં પ્રગટ કરી હતી. જાણીતાં નાટ્યકાર અદિતિ દેસાઇએ તેનું સુંદર નાટ્ય-રૂપાંતર કર્યું છે અને યુવા પ્રતિભા ડૉ. વિશાલ ભાદાણીએ ‘ધ બ્લ્યૂ માર્બલ’ નામે તેનો અંગ્રેજી અનુવાદ કર્યો છે. વાચકો-વિવેચકોમાં પણ તે ખૂબ આવકાર પામી છે. 

આટલું કહેવાથી કઈં ન નીપજે. આ પુસ્તક વિષે ગમે તેટલું લખીએ કે બોલીએ તો પણ કઈં ન નીપજે. અલબત્ત એના વિષે ઘણું લખાયું અને બોલાયું છે, એથી ય થોડી જાણકારી વધવા સિવાય ખાસ કઈં ન થાય. પણ જો ‘અકૂપાર’માંથી પસાર થવાનો અનુભવ લઈએ અને એમ કરતાં જો એ પણ આપણામાંથી પસાર થઈ જાય તો વળી કઈંક બને તો બને. 

પુરાણોમાં અકૂપાર એ ઇંદ્રધુમ્ર સરોવરમાં રહેતા પ્રસિદ્ધ કાચબાનું નામ છે, જેણે પૃથ્વીને ધારણ કરી છે. અકૂપાર શબ્દ ‘સારા અંત’ને વ્યક્ત કરે છે અને સમુદ્રને માટે પણ, એ સીમારહિત હોવાથી વપરાયો છે. પથ્થર, ખડક, સૂર્ય એવા ય એના અર્થ મળે છે. ‘અકૂપાર’નો નાયક એક એસાઈન્મેન્ટ રૂપે પૃથ્વી તત્ત્વને લાગતાં થોડાં ચિત્રો દોરવા ગીરમાં આવ્યો છે. ગીર એટલે આમ તો મિશ્ર પાનખર વૃક્ષો અને સિંહની વસ્તી ધરાવતું, જૂનાગઢ, અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં વહેંચાયેલું 64 કિલોમીટર લાંબુ અને 32 કિલોમીટર પહોળું જંગલ. આ જંગલમાં માલધારીઓના નેસડા છે. વાંદરા, સિંહ, દીપડા, ચીતળ, નીલગાય, જંગલી ડુક્કર, નાર, શિયાળ, લોંકડી, શાહુડી, જરખ, સિંકારા, સાબર, ચૌસિંગાં હરણ વગેરે પ્રાણીઓ છે. છસાત નદીઓ એમાંથી વહે છે, થોડાં તીર્થો છે અને એનો અમુક ભાગ અભયારણ્ય-પ્રવાસન તરીકે પણ ઘણો વિકસ્યો છે. 

જો કે ગીરને નજીકથી પામી શકનારાઓ જાણે છે કે ગીર એક સ્થાનવિશેષથી ઘણું વધારે કશુંક છે. ગીર એક સંસ્કૃતિનું નામ છે, ગીર એક શ્રદ્ધાનું નામ છે, ગીર જડચેતન સૃષ્ટિની પરસ્પર સંવાદિતાનું નામ છે. ગીરનો તાર સમસ્ત બ્રહ્માંડના રહસ્યો સાથે જોડાયેલો છે. આ ગીરમાં ધ્રુવભાઈ રહ્યા છે, એને નિકટથી ઓળખી છે અને એટલે જ એમના નાયકે એટલે જ પૃથ્વીતત્ત્વના આલેખન માટે ગીરની પસંદગી કરી છે.

ધ્રુવ ભટ્ટ

નાયકના મનમાં એમ છે કે પહેલા અનુભવ, પછી આલેખન – એવું કરવું. શહેરનો એ જીવ, આને માટે ગીરમાં આવીને રહે છે. ધીરે ધીરે એ ગીર અને ઘેડ વિસ્તારના આંતરબાહ્ય જીવનને સમજે છે, એના પર તોળાઈ રહેલાં આધુનિક મૂલ્યોના આક્રમણને અને ગીરને સમજતા-રક્ષવા મથતા લોકોની નિસબતને પિછાણે છે. તેને પ્રતીતિ થાય છે કે માણસે એના પોતાના કલ્યાણ માટે પણ વિરાટના એક અંશ તરીકે રહેવાની નમ્રતા શીખવાની કેટલી જરૂર છે. એનું મનોજગત નવો સ્પર્શ, નવું રૂપાંતર પામે છે. હવે એ જે જે દૃશ્યો રેખાંકિત કરે છે, તેમાં તેને એક અવર્ણનીય, અજાણ્યા લયનો પડઘો સંભળાય છે. ‘એ ક્યા લયનો પડઘો હશે? અગોચર અંતરીક્ષમાં ધબકતા બ્રહ્માંડના સ્પંદનોનો કે પછી માતાના ગર્ભમાં અનુભવેલા સર્વવ્યાપી હિલ્લોળનો?’ 

પાત્રોથી, પ્રસંગોથી આ અનુભવ ઊઘડતો આવે છે. આફ્રિકાથી સિંહોના જીવન પર સંશોધન કરવા આવેલી ડોરોથી, વહાલી ગાયનો ભક્ષ કરનાર સિંહને માફ કરતી લાજો, ગીરને પચાવીને બેઠેલાં આઈમા, ગીર પ્રત્યે સાચી ખેવના ધરાવતી અને ગાયોને વેચી દેતા પતિને ત્યાગી દેતી ઉગ્ર સાંસાઈ, ગીર પ્રત્યે મમત્વ જગાડે તેવા કેમ્પ કરનાર રવિ અને ગોપાલ, ‘કાંક હોય તો જ કાંક આવે’ કહેતો અલગારી કિશોર વિક્રમ, પોતાના પર હુમલો કરનાર સિંહ માટે હોસ્પિટલના ખાટલા પરથી પણ ‘ઈનો મને મારવાનો વિચાર નહીં’ કહેતો ધાનુ, ગીરના માલધારીઓને ‘તમે માણહજાત કેવાવ, તમને બળ તો નો દેવાય. પણ તમારી વા’ર (રક્ષા) તમારી ભેંહું કરસે’ એવું વચન આપતાં આવડમા, વહેલ માછલીનો શિકાર કરતા માછીમારોને ‘ઈ દીકરિયું આંઈ બચોળિયાંને જનમ આપવા હાટુ આવે છે’ કહી અટકાવતી સરપંચ રાણી, એન્જિનની બાધા રાખતી ને તેને નાળિયેર ચડાવતી સાબા, તેને મદદ કરતો અને ‘માનતામાં તો માણાંની સ્રધા જ જોવાની. બાકી આમ જુઓ તો મંદિરની મૂરતી ય અંતે તો પાણા સિવાય બીજું શું છે?’ કહેતો ડ્રાઈવર – આ બધાં પાત્રો માટે ગીર મા છે અને એમાં વસતા તમામ જીવો પોતીકા છે. એમનું સિંહણને ‘જણી’ કહેવું, સિંહની આમન્યા રાખવી, ટેકરીઓનાં-નદીઓનાં નામ રાખવા, બે પર્વતના લગ્નની વાત, કેરળથી આવેલા સ્ટેશન માસ્તરની વાત, સાંસાઈના ગઢવીની ગાયોની વાત, સિંહનો શિકાર અટકાવવા અંગ્રેજ અમલદાર સુધી પહોંચેલા અંધ રવાઆતા આપણી આસપાસ ફરતા હોય એવાં જીવંત છે. 

આ બધા પ્રત્યે આશ્ચર્યના ભાવથી ખાસ આગળ ન વધવા છતાં ‘પ્રકૃતિના મૂળભૂત સત્યને-ઋતને પામનારો હું પણ એક છું’ એવી અનુભૂતિ નાયક મેળવતો રહે છે. તેને ખ્યાલ આવે છે કે પંચમહાભૂતો, પ્રકૃતિ વગેરેને હું જે જોતો-સમજતો હતો તે માત્ર શિક્ષણ હતું, અહીં આ બધું સમજના સ્તરે પહોંચ્યું છે. આપણને પણ પ્રતીતિ થયા વિના રહેતી નથી કે જે મૂળભૂત તત્ત્વને કારણે આટઆટલાં પાપોનો ભાર ઉપાડીને પણ પૃથ્વી ટકી રહી છે, એ તત્ત્વ અહીં છે. ગીર માત્ર એક પ્રદેશ નથી, એ જીવનને ધારણ કરતા સૂક્ષ્મ અને વિરાટ સત્યથી ધબકતું અસ્તિત્વ છે. આ ધબકાર પણ વાચક સુધી પહોંચે છે.

‘ખમ્મા ગર્યને’ આ છે નવલકથાનું પહેલું વાક્ય. એક નેસમાં બધા બેઠા છે, રાતનો વખત છે. અચાનક આખું જંગલ જાતજાતના અવાજોથી ખળભળી ઊઠે છે. કોઈ શિકારી પ્રાણીએ કદાચ એકાદ પ્રાણીને પાડી દીધું છે. આઈમા કહે છે, ‘ખમ્મા ગર્યને’ નાયકને સમજાતું નથી કે આઈમા આખી ગીરને ખમ્મા શું કામ કહે છે? ઘણા વખત પછી એને સમજાય છે કે જે કઈં પણ બને છે તેનો ભાર છેવટે તો પૃથ્વી પર જ આવે છે. 

બીજા એક પ્રસંગે પ્રદર્શન માટે અમદાવાદ ગયેલાં આઈમાને અમદાવાદ ગમતું નથી ને ગીર યાદ આવે છે એ જાણીને સાંભળનાર પૂછે છે, ‘અહીં અમદાવાદ કરતાં વધારે તમને જંગલમાં ગમે?’ બીજું કોઈ પણ બોલ્યું, ‘ફરવા જવાનું ઠીક છે, પણ કોઈ સગવડો વગર, સિંહ-દીપડા વચ્ચે, મર્યા કે મરશું એવી બીકમાં રહીને શું કરવાનું?’

ધ્રુવ ભટ્ટ લખે છે, આઈમા ખુરશીમાં ટટ્ટાર થયાં અને વળતો ઘા કરતાં હોય તેવી અદાથી બોલ્યાં, ‘એવું સે તોય, આંયાં રેય સે ઇના કરતાં ઝાઝાં જીવ ન્યાં રેય સે. ક્યાં રઈં તો ભે નઈં ઈ સ્હંધા જીવ-જનાવર જાણતાં હસે તંયે જ હય્સે ને?’ પછી બધાને ઉદ્દેશીને બોલ્યાં, ‘મારા દીકરાઉં, સ્હૌ સ્હમજી લ્યો કે આંઈ પાકા ઘર્યમાં રંઈ ઈ વાત્યે કોઈ અમર નથ્ય થૈ જાવાનો. આ રોડ માથ્યે મોટરું, ખટારા ને ફટફટિયાં જેટલાંને મારે છે એટલાંને ન્યાં સ્હાવજ દીપડે કે નાગ-વીંસીએ માર્યા કોઈ દી સ્હાંભળ્યા નથ્ય.’ 

અને પછી કુદરતના શોષણને સાક્ષીભાવે જોતા આપણા જેવા લોકોને આટલું તો થાય – ‘એમ સાવ આપડે સું કરીયે કરીને સૂટી તો નો જ પડાય, બાપ, બીજું નોં કરીયેં, પણ આવડો બધો વાંક સે ઈ તો માથે લેવો પડે.’  

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 20 ઍપ્રિલ  2025

Loading

બાપુ અને બડેદાદા

——|Gandhiana|6 May 2025

બડેદાદા ગુરુદેવ રવીન્દ્રનાથના સૌથી મોટાભાઈ. એટલે કુટુંબ-પરિવારમાં, મિત્રમંડળમાં અને શાંતિનિકેતનમાં સહુ તેમને ‘બડો દા'(બડેદાદા)ના વહાલસોયા નામે બોલાવતા. બાળક જેવું નિર્દોષ, નિર્મળ, પવિત્ર અને ભોળું એમનું હૃદય; એમની ચેતના સમુદ્ર જેવી શાંત ગંભીર હતી. બડેદાદા સાચે જ પ્રજ્ઞાવાન પુરુષ હતા. હિન્દુ ધર્મશાસ્ત્રો, દર્શનશાસ્ત્રોનો એમનો અભ્યાસ તલસ્પર્શી અને ઊંડો હતો. પ્રકાંડ પંડિત હોવા છતાં હંમેશાં ફૂલ શા હળવા અને પ્રફુલ્લ રહેતા. જ્ઞાન ગુમાનની ગાંસડી એમણે ક્યારે ય શિરે નહોતી ઉપાડી. એમનું વ્યક્તિત્વ પ્રાચીન ઋષિઓ જેવું હતું. પ્રકૃતિનાં લાડકવાયાં પંખીઓ એમના હેતાળ હૈયાને પારખી ગયેલાં – ચકલાં, ખિસકોલાં તો નિર્ભયતાથી પોતાના માળામાં રમતાં હોય એમ, બડેદાદાના શરીર પર આવીને બેસતાં, ગેલ કરતાં!

બડો દા’નું પૂરું નામ દ્વિજેન્દ્રનાથ ઠાકુર (ટાગોર). બાપુ પ્રત્યે એમને ખૂબ જ પ્રેમ અને આદર હતો. બાપુના અવતારકાર્યને એ દૃષ્ટા ઋષિએ ઓળખી લીધું હતું. ભારતની જ નહીં, પણ સમસ્ત માનવજાતની મુક્તિનો મંત્ર બાપુની સાધનામાં એમણે જોઈ લીધો હતો.

બાપુ પ્રથમ વાર શાંતિનિકેતન ગયા ત્યારે એમણે પહેલી જ વાર બડેદાદાના દર્શન કર્યાં. ત્યારે બાપુએ કહેલું : ‘ભારતવર્ષના પ્રાચીન ઋષિની જીવન્ત મૂર્તિ આજે મને જોવા મળી ! આજ સુધી મેં કેવળ પુસ્તકોમાં જ વાંચેલું. જે પશુ પંખીઓ માત્ર અવાજ સાંભળીને ભયથી નાસી છૂટે છે તેઓ બડેદાદા પાસે પ્રેમથી આવીને ખેલકૂદ કરે છે! મૈત્રી અને પ્રેમની જ આ લીલા છે!’

બાપુએ જ્યારે એમને ‘બડો દા’ !’ કરીને બોલાવ્યા ત્યારે તેઓ ખૂબ હસ્યા. પછી બાપુને કહ્યું : “તમે વયમાં મારાથી નાના છો પણ કર્મે મારાથી શ્રેષ્ઠ છો. તમે તો અનંત ગુણવાળા મોહન કૃષ્ણ છો, જ્યારે હું તો તમારો ગુણહીન ગાંડો બલરામ દાદા છું! પણ હું તમને ચાહીશ. દુઃખની વાત છે કે હવે હું ઘરડો થવા લાગ્યો છું. તમારી સાધનાની સિદ્ધિ જોવાનું મારા નસીબે નથી લખાયું, એટલે નહીં જોઈ શકું. પણ એટલું તો હું આજે અત્યારે ય જોઈ શકું છું; કે દરેક યુગમાં જે મહાન ઋષિમુનિઓ થઈ ગયા છે તેમની જ પરંપરામાં તમે આવો છો. ભીષ્મ, વિદુર, મહાવીર, બુદ્ધ, કબીર, તથા નાનક જેવા મહાપુરુષો આ જ રસ્તે ગયા છે. આ સાધકોની ધારા લાંબા કાળથી અણખૂટ વહી છે. એ ધારા સુકાવા આવી હતી ત્યાં તમે આવી એને ઝડપથી વહેતી કરી દીધી છે. ભારતની એ શાશ્વતધારાને અખંડિત રાખવાનો પુરુષાર્થ એ જ તમારું અવતારકાર્ય છે.

આમ શ્રેષ્ઠ તો તમે જ છો. પણ જ્યેષ્ઠ તો હું જ છું. તમે મને ‘બડેદાદા’ કહો છો એટલે મોટાભાઈના નાતે આશીર્વાદ આપું છું કે તમારી સાધના અમર તપો! ભારત આઝાદ થશે તે પછી પણ તમારી સાધનાની દેશને જરૂર રહેશે જ.”

દ્વિજેન્દ્રનાથ અને રવીન્દ્રનાથ ઠાકુર

બડેદાદાને સૌથી નાનાભાઈ રવિ – રવીન્દ્રનાથ ઠાકુર પર ખૂબ જ વહાલ. કવિ વિશ્વપ્રેમના સિદ્ધાંતનો પ્રચાર કરતાં તેની તેમને જાણ હતી. છતાં બાપુની જીવનદૃષ્ટિ અને યુગકાર્યમાં બડો દા’ને અનન્ય શ્રદ્ધા-ભક્તિ હતી. કવિ જ્યારે સિદ્ધાંતની બાબતમાં બાપુથી જુદા પડતા ત્યારે બડેદાદાને દુઃખ થતું. બાપુના અસહકાર આંદોલન સાથે જ્યારે કવિ સંમત ન થયા ત્યારે બડેદાદાને ખૂબ જ દુઃખ થયેલું. એમણે તો બાપુને એક ગુપ્ત કાગળ પણ લખ્યો : “રવિ ખોટે માર્ગ જઈ રહ્યો છે. જ્યારે ભારતમાતા પોતાના નવા પુત્ર ‘સ્વરાજ’ને જન્મ આપવા પ્રસૂતિ પહેલાંની પીડા સહન કરી રહી છે; ત્યારે રવિ ગાવા-બજાવવામાં રત છે. તે વિશ્વબંધુત્વના વૃક્ષની ડાળો પર પાણી છાંટી રહ્યો છે, પણ એનાં મૂળ તો પાણીના અભાવે સૂકાઈ રહ્યાં છે ! હું હાર્દિક રીતે દુઃખી છું. તમે જ મારી આશાના ધ્રુવતારક છો. ઈશ્વર તમારા પર અહોર્નિશ આશીર્વાદ વરસાવતા રહો!”

બાપુ ગુરુદેવની વિશ્વવ્યાપી પ્રતિભાને બરાબર જાણતા હતા. ક્ષુદ્ર રાગદ્વેષથી પર એવા એમના ઉદાર હૃદયને ઓળખતા હતા. તેથી એમણે બડેદાદાને વળતા જવાબમાં લખ્યું કે, “આપ રવિબાબુ વિશે ચિંતા ન કરશો. તેઓ જે કંઈ લખે છે તે સદ્ભાવથી લખે છે. હું તેમને મળીશ ત્યારે આ અંગે વાતચીત કરીશ.”

સ્વાભાવિક ભોળપણને કારણે બડેદાદા એમ જ માનતા કે નાના રવિમાં જરૂરથી વધારે ઉત્સાહ અને કલ્પનાશક્તિ છે; અને તેને પ્રસંગોપાત નિયંત્રણમાં રાખવાની જરૂર છે! એક દિવસ સવાર સવારમાં કવિને બોલાવીને ઠપકો આપતા કહેવા લાગ્યા : “રવિ, તારી સંસ્થાને ગાંધીજીને કેમ સોંપતો નથી? ભારતને એમણે જે રીતે જાગ્રત કર્યું છે તેમ તો તું ક્યારે ય કરી શકવાનો નથી.” એ જ દિવસે સાંજે વળી એમને ડંખવા લાગ્યું કે રવિને સવારમાં નકામો ઠપકાર્યો! એમણે વિચાર્યું કે સમસ્ત સંસ્કૃતિઓનું આતિથ્ય કરવાનો રવિનો આદર્શ તો બહુ જ ઊંચો છે, પણ એ આદર્શને સમજનારાં કેટલાં? એ આદર્શ સુધી પહોંચતા દેશને યુગો લાગશે. વળી રવિની તબિયત પણ હમણાં સારી રહેતી નથી. એ પ્રવૃત્તિનો ભાર ઉપાડી શકે એમ નથી એ જ વસ્તુ ચિંતાજનક છે.

26મી નવેમ્બર 1925ના રોજ બડેદાદાનું અવસાન થયું ત્યારે બાપુએ ‘યંગ ઈન્ડિયા’માં એમને શ્રદ્ધાંજલિ આપતાં લખ્યું : ‘બડેદાદા ચાલ્યા ગયા.’

આવા હતા બાપુના બડેદાદા.

06 મે 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક – 304

Loading

...102030...160161162163...170180190...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved