Opinion Magazine
Number of visits: 9961919
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વર્લ્ડ બૉક્સિન્ગ ચૅમ્પિયન નિખત ઝરીન

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|24 May 2022

નિખતની સિદ્ધિનો વિચાર અત્યારના ભારતીય મુસ્લિમ સમાજની સ્થિતિ અને સ્ત્રીઓ પરની સતત હિંસાના સંદર્ભમાં પણ થવો જોઈએ.

ભારતની યુવા બૉક્સર નિખત ઝરીન તાજેતરમાં વર્લ્ડ ચૅમ્પિયન બની.

પચીસ વર્ષની નિખત આ સિદ્ધિ હાંસલ કરનાર પહેલી મુસ્લિમ અને પાંચમી ભારતીય મહિલા છે.

માત્ર પંદર વર્ષની વયે જ્યુનિયર વર્લ્ડ ચૅમ્પિયનશીપની જીતથી શરૂઆત કરનાર નિખતે ગયા દાયકામાં દેશ અને દુનિયામાં અનેક મૅચોમાં જીત મેળવી છે.

હૈદરાબાદથી પોણા બસો કિલોમીટરે આવેલા કસબા નિઝામાબાદની નિખત અને તેની સિદ્ધિ વિશે કેટલીક નોંધપાત્ર બાબતો અહીં મૂકી છે.

• નિખત રૂઢિચુસ્ત સમાજમાંથી આવે છે. પણ કુલ ચાર દીકરીઓને સારી રીતે ઉછેરનારા પ્રગતિશીલ માતાપિતાનો ત્રીજા ક્રમની નિખતને ખૂબ ટેકો છે. તેના પિતા મોહમ્મદ જમીલ પોતે ફૂટબૉલના રાજ્ય કક્ષાના ખેલાડી અને ક્રિકેટર હતા. તે કહે છે : ‘ક્યારેક સંબંધીઓ અને મિત્રો અમને કહેતાં કે છોકરીઓએ એવી રમતો ન રમવી જોઈએ એક જેમાં તેમને શૉર્ટ્સ પહેરવી પડે. પણ અમે એના સપનાંને ટેકો આપ્યો. નિખતે મેળવેલી જીત મુસ્લિમ છોકરીઓ અને તમામ છોકરીઓ માટે પ્રેરણા બનશે.’

નિખતના પિતા પંદર વર્ષ સાઉદી અરેબિયામાં હતા. પણ દીકરીનો બૉક્સિન્ગ માટેનો લગાવ જોઈને તેઓ તેમના ઘરે નિઝામાબાદ પાછા આવ્યા અને સતત દીકરીની રમતની કારકિર્દીમાં સક્રિય ધ્યાન આપતા રહ્યા.

• નિખતને પહેલેથી જ રમતગમતમાં રસ હતો. તે કંઈક ટૉમબૉય પણ હતી. ટૂંકા વાળ રાખતી તેમ જ  જિન્સ-ટી શર્ટ પહેરતી, છોકરાઓની સાથે રમ્યા કરતી. શરૂઆતમાં તે અ‍થ્લેટિક્સમાં હતી, પણ તેના માટેની કોઈ  સગવડો અને તાલીમ ન હતાં. તેના પિતા તેને રમતોની સ્પર્ધાઓ જોવા માટે લઈ જતા. ત્યારે નિખતના ધ્યાનમાં આવ્યું કે બૉક્સિન્ગની એક જ રમત એવી છે કે જેમાં ક્યારે ય કોઈ છોકરી હોતી નથી. એટલે એણે એ વિશે પિતાને પૂછ્યું. ત્યારે તેમણે જવાબ આપ્યો : ‘ના બેટા. આમ તો છોકરીઓ પણ બૉક્સિન્ગ કરી જ શકે. પણ લોકો માને છે કે છોકરીઓમાં બૉક્સિન્ગ કરવાની હિમ્મત હોતી નથી. અને એટલે તેઓ છોકરીઓને બૉક્સિન્ગની રમતમાં જવા દેતા નથી.’

નિખત કહે છે  : ‘મને આ વાત એક પડકાર લાગી, મને એમ થયું કે લોકોને એમ શા માટે લાગે છે કે છોકરીઓ આ રમતમાં ભાગ લેવા જેટલી તાકાત ધરાવતી નથી ? લાવ, હું આનો અખતરો કરું, અને મેં બૉક્સિન્ગમાં જવાનું પસંદ કર્યું. પહેલાં તો સ્ટેડિયમમાં બધા છોકરાઓની વચ્ચે હું એકલી જ છોકરી બૉક્સિન્ગ પ્રૅક્ટિસ કરતી. સામેના છોકરા પાસેથી મને માર પણ ખૂબ  પડતો.

કદાચ આજુબાજુ બધા છોકરાઓ હોય તેવા માહોલમાં પ્રૅક્ટિસ કરવાના એ દિવસોએ મારું મનોબળ વધુ મજબૂત બનાવ્યું.’

• નિખતના માતા પરવીન સુલતાના પણ હંમેશાં તેને બળ આપતાં રહે છે. જો કે બૉક્સિન્ગમાં નિખતને જ્યારે પહેલી વાર ચહેરા પર મોટી ઇજા થઈ ત્યારે તે ખૂબ ડરી ગયાં. એક છોકરા સાથેની પ્રૅક્ટિસ બાદ  નિખત જ્યારે લોહીવાળા ચહેરે અને સૂજેલી આંખે ઘરે આવી ત્યારે તેઓ ધ્રૂજવાં લાગ્યાં. તેમણે દીકરીને કહ્યું : ‘બેટા, મૈંને તુમ્હેં બૉક્સિન્ગમેં ઇસલિએ નહી ડાલા કી તેરા ફેસ ખરાબ હો જાયે. ફિર  તુઝસે કોઈ શાદી નહી કરેગા.’ નિખતે જવાબ આપ્યો : ‘અરે અમ્મી ટેન્શન નકો લો. નામ હોગા તો દુલ્હોં કી લાઇન લગ જાયેગી.’ 

• જો કે પછી પરવીન ટેવાઈ ગયાં. હવે ઇજા થાય તો તેઓ નિખતને સહેજ બરફ ઘસી નાખવાનું સહજ  રીતે કહી દે છે. નિખત કહે છે કે , ‘હવે તો મારી મા જાણે મારી કોચ બની ગઈ છે. એ અને મારા પપ્પા મારી બધી મૅચો જોવે છે, અને મૅચ પૂરી થાય એટલે મને રમત દરમિયાન થયેલી મારી ભૂલો બતાવે છે ! લોકોને હવે બૉક્સિન્ગ શું છે તેનો બરાબર ખ્યાલ આવી ગયો છે. મને ખુશી છે કે મારી મા જૂનવાણી માનસમાંથી બહાર આવી ગઈ છે.'

• નિખત 2017ના વર્ષમાં ઇજાગ્રસ્ત થઈ. તેનો જમણો ખભો ઊતરી ગયો. એક તબક્કે તો એવું થયું કે તે ક્યારે ય રમી નહીં શકે પણ દૃઢ નિશ્ચયથી તેણે સારવાર લીધી. એક આખું વર્ષ એમાં ગયું, પણ તે એમાંથી બહાર આવીને ફરીથી રમતી થઈ.

• ભારતની બૉક્સિન્ગ ચૅમ્પિયન મેરી કૉમ નિખતની રોલ મૉડેલ છે. જો કે પોતાની ઊપર સતત  ઝળુંબતા મેરી કોમના પડછાયાથી યુવાન નિખતે અજંપો પણ અનુભવ્યો છે. ટોકિયો ઑલિમ્પિક્સમાં તેની પસંદગી થવાની છે તેની જાણ થતાં નિખતે સત્તાવાળાઓને પત્ર લખીને મેરી કૉમ સાથે મૅચ રમવા માટેની માગણી કરી. મેરી કૉમને આવી મૅચ રમવા માટે ખચકાટ હતો. નિખતની આ પ્રકારની માગણીને કારણે રમતજગતમાં ખાસી હલચલ મચી. એ મૅચ રમાઈ, તેમાં નિખત હારી. નિખતે મેરીને જીત માટે વિશ કરવા હાથ લંબાવ્યો. પણ મેરીએ તેને પ્રતિભાવ ન આપ્યો. જો કે હવે નિખત પેરિસ ઑલિમ્પિકના ધ્યેયથી તૈયારી કરી  રહી  છે. તેના માટે  તેને અત્યારની  52 કિલોગ્રામની  કૅટેગરીમાંથી 54 કિલોગ્રામની કૅટેગરીમાં પ્રવેશવું પડશે.

• સલમાન ખાનની ચાહક નિખત પોતાની પર બાયોપિક બને તો હિરોઇન તરીકે આલિયા ભટ્ટ હોય એમ ઇચ્છે છે ‘કારણ કે મને ખંજન છે અને એને પણ છે.’

• અત્યારે ચૅમ્પિયનશીપ ઉપરાંતનો નિખતનો બીજો આનંદ છે ‘ટ્વિટર પર ટ્રેન્ડ થવાનું મારું સપનું સાકાર થયું.’

• નિખત માને છે કે હિજાબ પહેરવો કે નહીં તે દરેકની સગવડ અને પસંદગીની બાબત છે. તે કહે છે : ‘મને વેસ્ટ અને શૉર્ટસમાં બૉક્સિન્ગ કરવી ગમે છે એટલે હું કરું છું. હું હિજાબ પહેરું તે માટે મારી પર  કોઈ દબાણ નથી કરી રહ્યું. એ દરેકની પસંદગીનો મામલો છે અને એ બાબતને આપણે માન આપવું જોઈએ.’

• સોમવારના ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના તંત્રીલેખના પાને The Meaning of Nikhat Zareen in Today’s Indiaમાં સિદ્ધાર્થ સક્સેના લખે છે કે નિખતે પુરુષપ્રધાન માનસને તો ધક્કો માર્યો જ છે, સાથે તેની હિમ્મત યુવા મુસ્લિમ વર્ગ માટે આશાનો સંદેશ પણ લઈને આવે છે.’

‘ટાઇમ્સ’નો આ લેખ નિખતની સિદ્ધિને અત્યારના ભારતમાં મુસ્લિમોની અત્યંત જોખમકારક પરિસ્થિતિના દૃષ્ટિકોણથી મૂલવે છે. ગયા શનિ-રવિએ નિખત જ્યારે ચૅનલ્સ અને પોર્ટલ્સને  ઇન્ટર્વ્યૂઝ આપી રહી હતી ત્યારે મધ્ય પ્રદેશમાં એક માણસની મુસ્લિમ હોવાના શક પરથી હત્યા કરવામાં આવી.

ત્રણ વર્ષ પૂર્વે નિખતે કહેલી વાત લેખકે ટાંકી છે : ‘જો મારા ખુદાએ મને રૂઢિચુસ્ત મુસ્લિમ પરિવારમાં મોકલી, તો પછી એ જ ખુદાએ મને છોકરાઓ સામે ડર્યા વિના ઝીક લેવાની જિદ પણ આપી, જેમાંથી આખરે મને સમજાયું કે મારી ટૅલેન્ટ, આંતરિક શક્તિ બૉક્સિન્ગમાં છે. હવે બધું બરાબર બેસે છે ને ?’

સૌજન્ય  : ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’, 20, 22, 23 મે 2022

https://indianexpress.com/article/idea-exchange/nikhat-zareen-world-champion-boxing-india-olympics-7930972/?fbclid=IwAR1BqRDCtLf0EM4xUThzHCamdydwlNDT-eCpvQv-oa81Z_Wr0587nwk1CWA

24 મે 2022

સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

પત્ની પતિ સામે દુષ્કર્મની ફરિયાદ કરી શકે કે કેમ?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|24 May 2022

સ્ત્રી સશક્તિકરણ :

12 મે, 2022ના સમાચારમાં એવું છે કે દિલ્હી હાઇકોર્ટની બે જજની બેન્ચે એક જ મુદ્દા પર જુદા જુદા ચુકાદા આપ્યા. આમ તો બે જજ મોટે ભાગે કોઈ ચુકાદા અંગે સંમત થતા હોય છે, પણ બંને જજને એક મુદ્દે લાગ્યું કે આ મામલે સુપ્રીમ કોર્ટે નિર્ણય આપવો જોઈએ. મતલબ કે હાઇકોર્ટ એક મુદ્દે સંમત ન થઈ ને એમ બે મત પડ્યા. વાત જ એવી હતી કે અસંમત થવાની તકો વધે. મુદ્દો એ હતો કે પત્નીની સંમતિ વિના પતિ શારીરિક સંબંધ બાંધે તો તે ગુનો ગણાય કે નહીં? આ મામલે જાહેર હિતની અરજી થઈ હતી, જેનો ચુકાદો આપવામાં બે જજો વચ્ચે સંમતિ બની ન હતી. એક જજનું માનવું હતું કે પત્નીની સંમતિ વિના પતિ સંબંધ બાંધે તો પતિને કાયદો રક્ષણ આપે છે. કલમ 375 અને 376(ઈ)માં અપવાદ-2 હેઠળ પતિને એ છૂટ અપાયેલી છે. એમાં બંધારણીય જોગવાઈઓનું ઉલ્લંઘન નથી એવું એક જજનું માનવું હતું. બીજા જજનું માનવું હતું કે પત્નીની સંમતિ વિના પતિ પરાણે સંબંધ બાંધે તો એ ગુનો છે ને પત્ની, પતિ સામે દુષ્કર્મની ફરિયાદ કરી શકે. બીજા જજ સાહેબે તો લિવ ઇન પાર્ટનર કે ગર્લફ્રેન્ડ પણ શારીરિક સંબંધનો ઇનકાર કરે ને તેને સંબંધ માટે મજબૂર કરાય તો તે પણ ગુનો છે એવું પણ ઉમેર્યું હતું. બંને જજે જુદા જુદા નિર્ણયો આપ્યા, પણ બંને એ વાતે સંમત હતા કે આ કેસમાં સુપ્રીમમાં અપીલ થવી જોઈએ, કારણ, આ મુદ્દો મહત્ત્વના કાયદા સાથે સંકળાયેલો છે. આ મામલે બીજી હાઇકોર્ટે પણ ચુકાદાઓ આપ્યા છે અને તે સુપ્રીમ કોર્ટમાં નિર્ણયની રાહ જોતાં પડેલા છે. આમ તો ઘણી સંસ્થાઓએ દુષ્કર્મ કાયદા હેઠળ પતિને અપાયેલી છૂટ દૂર કરવાનો અનુરોધ કર્યો છે, પણ આ બાબત એવી છે કે એમાં સર્વસંમતિ સાધવાનું મુશ્કેલ છે.

કાયદો તો મોડો વહેલો કોઈ ચુકાદો આપશે, પણ આપણે આ મામલે સામાજિક તેમ જ માનવીય દૃષ્ટિકોણ રાખીને વિચારવા જેવું છે. કોઈ કાયદા ન હતા, ત્યારે પણ સ્ત્રીપુરુષ તો હતાં જ ! ને એમની વચ્ચે શારીરિક સંબંધો પણ હતા. એ જૈવિક, કુદરતી જરૂરિયાત હતી. એ વખતે પણ સંમતિ, અસંમતિની વાતો ચર્ચાઇ જ હશે. જેને આજે સ્વૈચ્છાચાર કહીએ છીએ તે જ કદાચ ત્યારે સહજ બાબત હતી. સ્ત્રીપુરુષ સંબંધો પર કદાચ નિયંત્રણો પણ ઓછાં હતાં. એ પછી સમાજ અસ્તિત્વમાં આવ્યો, લગ્ન સંસ્થા અસ્તિત્વમાં આવી ને સ્ત્રીપુરુષ સંબંધોને માન્યતા આપવાની વાત આવી. બીજા શબ્દોમાં કહીએ તો એવું ઠરાવાયું કે જેનાં લગ્ન થયાં છે, એ સ્ત્રીપુરુષ વચ્ચેના શારીરિક સંબંધને જ સમાજ માન્ય ગણવા અથવા તો જેમણે સંબંધમાં મુકાવું છે તે સ્ત્રીપુરુષે લગ્નનાં બંધનમાં બંધાવું અનિવાર્ય છે. એ સિવાય કોઈ સંબંધમાં મુકાય છે તો તેને સમાજ માન્યતા નહીં આપે. એ સંબંધ અવૈધ ગણાશે. એને લગતા કાયદાઓ અમલમાં આવ્યા ને એમ એક વ્યવસ્થા ઊભી થઈ.

એક સમય હતો જ્યારે સ્ત્રી પરાવલંબી હતી. તે પિતા કે પતિનો બોજ હતી, જવાબદારી હતી. લગ્ન નિમિત્તે તે એક સંપત્તિની જેમ વ્યવહારમાં મુકાતી. તેના પર અધિકાર થઈ શકતો અને તે ગુલામ કે દાસીનું જીવન જીવતી હતી. તેની ઈચ્છા કે અનિચ્છાની તો કોઈ વાત જ ન હતી. તેણે કાયમી ધોરણે આજ્ઞાંકિત જ રહેવાનું હતું. પિયરમાં હોય તો પિતાની આજ્ઞા ને સાસરે જાય તો પતિની આજ્ઞા સર્વોપરિ ગણાતી. પરમેશ્વર પછી પતિ હતો એવું ન હતું, પતિ જ પરમેશ્વર હતો. તે ઈચ્છે ત્યારે ને ઈચ્છે તેમ પત્ની સાથે વ્યવહાર કરી શકતો. પત્ની સાથે સંબંધ બાંધવો હોય તો પત્ની રાજી છે કે કેમ તે પુછાતું ન હતું. તે તો રાજી જ હોય એમ મનાતું હતું અથવા તો તેણે રાજી જ રહેવાનું હતું એ એકદમ સ્પષ્ટ હતું. સ્ત્રીની મરજી દરેક કાળમાં ગૌણ હતી ને છે.

એટલું ખરું કે શિક્ષણ અને સમજ વધતાં સ્ત્રીનો મહિમા વધ્યો છે. તેની ઈચ્છા, અનિચ્છા જોવાતી થઈ છે. લગ્ન માટે પણ તે પોતાની પસંદગી જણાવતી થઈ છે. લગ્ન સાથે કે લગ્ન વગર પણ તે રહેતી થઈ છે, પણ બંને પ્રકારમાં શરીર સંબંધ માટે તેની ઈચ્છા ભાગ્યે જ પુછાતી હોય છે. તેમાં એક માન્યતા એવી છે કે તેની ના એટલે હા છે ને હા તો હા છે જ ! એનો લાભ પુરુષો લેતા હોય છે. એટલે કે સ્ત્રીની ના તો હોઈ શકે જ નહીં, એવી માન્યતાથી આખું જગત પીડાય છે. પણ, હવે વાત થોડી બદલાઈ છે. સ્ત્રી સ્પષ્ટ અને તીવ્ર નકાર ભણતી થઈ છે. એ નકાર છતાં દુષ્કર્મનો ભોગ સ્ત્રી બનતી આવી છે ને જીવ ગુમાવવા સુધી પણ ગઈ છે. લગ્ન સિવાયના સંબંધમાં બે શક્યતાઓ છે. એકમાં સ્ત્રીપુરુષ વચ્ચે પ્રેમ હોય અને પરણે ને સંબંધમાં મુકાય કે લગ્ન સિવાય સંબંધમાં મુકાય. આ બંને પરિસ્થિતિમાં બંને રાજી હોય એવી ઘણી બધી શક્યતાઓ છે. મતલબ કે બંને સંમતિથી જોડાય છે. બીજામાં, પરિચય હોય કે ન હોય, પણ સ્ત્રીની સંમતિ નથી અને તેને કોઈ પણ રીતે પુરુષ મેળવવા મથે છે ને તેને અનેક પ્રકારે હાનિ પણ પહોંચાડે છે. આ અપરાધ છે ને તે ક્ષમ્ય નથી.

રહી વાત લગ્નની. તો એમાં પ્રેમીઓ લગ્ન સુધી પહોંચે છે ને પરસ્પરની સંમતિથી સંબંધમાં મુકાય છે. એમાં પણ સમય જતાં એવી સ્થિતિ આવે છે કે એકની ઈચ્છા ન હોય ને બીજાની હોય. છતાં સંબંધ થાય ને કોઈ એક શરણાગતિ સ્વીકારી લે તો વાત જુદી, પણ એકનો તીવ્ર વિરોધ હોય ને સંબંધ થાય તો એ દુષ્કર્મ જ ગણાય. એવું એરેન્જ્ડ મેરેજમાં પણ બની શકે. એમાં પરિચય ઓછો હોય ને બેમાંથી કોઈ એક સંબંધ માટે તૈયાર ન હોય છતાં સંબંધ થાય તો એમાં પણ કોઈ એક શરણું સ્વીકારી લે ને સંબંધ થાય તો બહુ વાંધો કદાચ ન પડે, પણ પછી એ રોજનું થઈ પડે ને કોઈ એકને સમય જતાં રસ જ ન રહે ને સંબંધ થાય તો એ પણ દુષ્કૃત્ય જ ગણાય. ડિબેટ અહીં છે. ન્યાયતંત્રમાં પણ અહીં મતભેદ છે. એક વાત સ્પષ્ટ છે કે લગ્ન સંબંધની અપેક્ષાએ જ થતાં હોય છે. લગ્ન કરનાર જાણે છે કે લગ્ન દ્વારા સ્ત્રી અને પુરુષ એકબીજાને સંબંધની અનુમતિ આપે છે. એવું ન હોય તો લગ્નની જરૂર જ ક્યાં રહે છે? હવે જો લગ્ન પરસ્પરની સંમતિથી થતાં હોય તો તેમાં સંબંધની અનુમતિ આવી જ જાય છે. એટલે કે લગ્ન સ્ત્રીને કે પુરુષને એકબીજા સાથેના સહવાસનો અધિકાર સ્થાપી આપે છે. જો એ શક્ય હોય તો પછી એકની સંમતિ હોય કે ન હોય, બીજો  ભોગવટાનો અધિકાર આગળ કરીને સામાની ઈચ્છાને અવગણી શકે. સંબંધની અનિવાર્યતા પ્રમાણવાને લીધે જ લગ્ન અસ્તિત્વમાં આવતાં હોય તો સંમતિ એમાં આપોઆપ જ વણાયેલી છે, એવું નહીં? એક વાત એ પણ છે કે લગ્ન સંમતિ હોવાને લીધે જ શક્ય બને છે અથવા સંમતિ છે એવું માની લેવામાં આવે છે. એમાં પણ સમય જતાં કંટાળાનો, અણગમાનો, ત્રાસનો અનુભવ થાય છે. એવે વખતે એકને ન ગમે ને તે સંમત ન થાય તો બીજો લગ્ને તેને ભોગવટાનો અધિકાર આપ્યો છે એવો દાવો કરીને અધિકાર ભોગવતો જ રહે તો તે શોષણ જ છે, દુષ્કર્મ જ છે. તેની સામે ફરિયાદ એટલે ન થાય કે લગ્ને અધિકાર આપ્યો છે? લગ્ન જો પવિત્ર બંધન હોય તો તે શોષણનો અધિકાર કેવી રીતે આપી શકે? આમાં સમજૂતી કામ આવી શકે. એટલે કે અમુક પ્રસંગે કોઈ એકની ઈચ્છા ન હોય તો પણ સમયની ઈચ્છાને માન આપીને કોઈ એક એડજસ્ટ કરે તો માત્ર સંમતિને નામે લગ્નને દાવ પર લગાવવાનું ન બને.

બનવું તો એવું જોઈતું હતું કે કોઈ એક બદઇરાદાથી સંમતિ ન આપતું હોય તો, પોતાનાં જ પાત્રની ઈચ્છા નથી તો તેને માન આપીને તેટલા પૂરતું પૂર્ણવિરામ બીજો મૂકે અથવા તો પોતાની જરૂરિયાત સમજાવીને સંબંધ માટે રાજી કરે. કોઈ એક જો એક વખતે થોડું જતું કરે તો બીજું, બીજી વખત જતું કરે ને એમ એકબીજાને અનુકૂળ થવાનો પ્રયત્ન કરે એ લગ્નમાં સંભવિત છે. જો બે વચ્ચે લાગણી હોય, પ્રેમ હોય તો એટલું જતું કરવાનું કોઈને ય અઘરું ન બનવું જોઈએ ને જો પ્રેમ જ નથી, તો સંમતિ હોય કે ન હોય, ક્યાંકથી તો કોઈ કાયદો પોતાનો હક કરવા આગળ આવશે જ. પ્રેમ કે લાગણી હશે ત્યાં કાયદાની જરૂર નહીં પડે ને પ્રેમ જ ન હોય તો કાયદાની તો ખોટ જ ક્યાં છે? અનિવાર્ય છે તે સ્નેહ. એ હશે તો સંમતિ કોઈ એકની કદી નહીં હોય, બંનેની જ હશે ને કોઈ એકની હોય તો બીજો સમજૂતીથી અથવા સમાધાનથી કામ લે એ વધારે મહત્ત્વનું છે. સ્નેહ નહીં હોય તો ને ત્યાં જ કાયદો યાદ આવશે. કાયદો યાદ કરવો પડે એ જ બતાવે છે કે સ્નેહની બાદબાકી થઈ ગઈ છે …

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

કુંભાર કરતાં ગધેડાં ડાહ્યાં …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|23 May 2022

સુરતની નવી સિવિલના ઓર્થોપેડિક વિભાગના એક ડોક્ટરે દરદીના સગાને ધમકી આપી કે સાંજ સુધીમાં બીજા ત્રણ હજાર નહીં મળે તો ઓપરેશન કરીને જે સળિયો નાખેલો છે તે કાઢી લઈશું. દરદી પાસે બી.પી.એલ. કાર્ડ હતો ને તેની પાસેથી પૈસા લેવાના ન હતા, છતાં પૈસાની માંગણી થઈ. આ અગાઉ એ દરદી પાસેથી પાંચ હજાર તો લઈ જ લેવાયા હતા ને બીજા ત્રણ હજારની માંગણી તો ઊભી જ હતી. આ મામલે હવે સમિતિ રચાઇ છે ને એ નાટક તો ચાલશે રાબેતા મુજબ, પણ પૈસા માંગવાની ને દરદીને મારવાની વાત સિવિલમાં નવી નથી. મુદ્દો વર્તણૂકનો છે. ડૉક્ટર કક્ષાનો માણસ સળિયો કાઢી લેવાની વાત કરે તે આઘાતજનક છે. આમ તો માણસાઈ માણસમાં જ હોય છે ને તે ત્યાં ન હોય તો બીજે ક્યાં ય હોતી નથી. એ માણસાઈ ડૉક્ટર ન દાખવે તો કોણ દાખવશે? ડૉક્ટર હોય તો સાવ અભણ તો ન જ હોય. ડૉક્ટર હોય તો સાવ નિર્દયી પણ ન જ હોય. એ પણ એટલું જ સાચું કે ધારો કે દરદી પૈસા ન આપે તો ડૉક્ટર સળિયો નહીં જ કાઢે, કારણ તે ડૉક્ટર છે, કસાઈ નથી. કસાઈ પણ આવું ન કરે, પણ જે ઉદ્ધતાઈ ને બેશરમી આજના લોકોમાં દાખલ પડી ગઈ છે તે આઘાતજનક છે. નાલાયકી જ જાણે લાયકાત હોય તેમ મોટે ભાગના લોકો વર્તે છે. ગમે એટલી પ્રગતિ થઈ હોય ને ગમે એટલો વિકાસ થયો હોય, તો પણ માનવીય અભિગમ બચે નહીં તો એ વિકાસ નથી, એનો છેડો વિનાશમાં જ નીકળે છે તે સમજી લેવાની જરૂર છે.

બીજી એક ઘટના એવી છે જેમાં ચૌદ વર્ષની દીકરી સાથે સગો બાપ જ મહિનાઓથી છેડછાડ કરે છે. દીકરીને લાગ્યું કે માને કહીશ તો તે સાચું નહીં માને એટલે તેણે ચાઇલ્ડ હેલ્પ લાઇનની મદદ લીધી. બાપ સગી દીકરીને પરાણે ભોગવે એવી ઘટનાઓ પણ પ્રકાશમાં આવી છે એટલે લાગણી, વાત્સલ્ય કઇ હદે દાવ પર લાગ્યાં છે તે સમજી શકાય એવું છે. આમન્યા, મર્યાદા ન જાળવવાથી જ સુધરેલા ગણાઈએ એવું ચિત્ર ઘણા સમાજમાં ઉપસે છે. બાપ-દીકરી કે મા-દીકરાનો પ્રેમ હજી નિર્મૂળ થયો નથી, પણ આવી ઘટનાઓ આવનાર ભવિષ્ય માટે દહેશત જગાવે તેવી છે. જગતમાં સારું હજી છે, પણ જે ગતિથી નિર્લજ્જતા, નાલાયકી અને નફફટાઈનો વધારો થઈ રહ્યો છે તે ચિંતા ઉપજાવનારો છે.

એક ઘટના મધ્ય પ્રદેશના મનાસાના નિમચની છે. રતલામ જિલ્લાના સૌથી વૃદ્ધ સરપંચનો આખો પરિવાર 15 મેના રોજ પૂજા માટે ચિત્તોડગઢ ગયો હતો. ત્યાં સરપંચનો 65 વર્ષનો અસ્થિર મગજનો દીકરો ભંવરલાલ જૈન 16 મેએ પૂજા પછી ગુમ થઈ ગયો. એનો ગયા ગુરુવારે, મનાસા પોલીસ સ્ટેશનથી અડધો કિલોમીટરને અંતરે, મૃતદેહ મળી આવ્યો. આ વૃદ્ધનો એક વીડિયો વાયરલ થયો છે. એમાં ભંવરલાલને એક માણસ ધડાધડ તમાચાઓ ઠોકે છે. વૃદ્ધ તેને રોકવાની કોશિશ કરે છે, પણ પેલો માણસ માર્યે જ જાય છે. એવો આરોપ એ માણસ પર છે કે એના મારથી વૃદ્ધનું મૃત્યુ થયું છે. પોલીસ ફરિયાદ થઈ છે. આ આરોપી બી.જે.પી. નેતા છે ને મરનાર ભંવરલાલ પણ બી.જે.પી. નેતાનો ભાઈ છે. આરોપીએ ભંવરલાલને ધડાધડ તમાચાઓ એટલે માર્યા કે તેને શક હતો કે તે મુસલમાન છે. તેણે ભંવરલાલ પાસેથી આધારકાર્ડની માંગણી કરી, પણ અસ્વસ્થ મનોદશાને કારણે ભંવરલાલ સાચી ઓળખ ન આપી શકયો. મારનાર બી.જે.પી. નેતાની ઓળખ દિનેશ કુશવાહા તરીકે થઈ છે. તે ભા.જ.પ. યુવા મોરચા અને જિલ્લા નિગમમાં પદાધિકારી છે. તેની પત્ની મનાસા નગરપરિષદમાં ભા.જ.પ.ની જિલ્લાધિકારી છે. આરોપીએ જ વીડિયો વાયરલ કર્યો જે ભંવરલાલના સંબંધીઓની નજરે ચડયો ને એને આધારે પોલીસે દિનેશની ધરપકડ કરી છે. જૈન સમાજ અને પરિવારજનોની ફરિયાદને ધ્યાને લઈને પોલીસે કલમ 302 અને 403 આરોપી પર લગાવી છે.

એ ખરું કે સચ્ચાઈ, અચ્છાઈ હજી બચી છે, પણ આ અને આવી ઘટનાઓ પરથી એમ લાગે છે કે હોદ્દાની, ઉંમરની કોઈને જરા જેટલી પણ શરમ નડતી નથી. ખબર નહીં, પણ કેમ, કારણ વગરની તુમાખી, બદમાશી, હલકટાઈ બતાવવાનું ઝનૂન હાલની પ્રજામાં સામાન્ય થઈ પડયું છે. પૈસાનો, સત્તાનો છાક એવો છવાયો છે કે રાઈ, રસોઈમાં વપરાવાને બદલે મગજમાં ભરાઈ ગઈ છે. એક રેસિડેન્શિયલ ડૉક્ટર પણ હોસ્પિટલ પોતાને નામે ચડી ગઈ હોય તેમ ગમે તેને દબડાવતો થઈ જાય છે. એને એ ખબર જ નથી પડતી કે પોતે સિવિલનો એક ડૉક્ટર છે ને તેને કોઈ અધિકાર નથી પહોંચતો, દરદીને એમ ધમકાવવાનો કે પૈસા નહીં મળે તો નાખેલો સળિયો પગમાંથી ફરી કાઢી લેવાશે. એક ડૉક્ટર આવી વાત કરી જ કઇ રીતે શકે? ડૉક્ટર આટલો બધો પોતાના ધંધાથી ડિટેચ્ડ ને મતલબી હોઈ શકે? એનામાં સંવેદના જેવું કૈં હોય જ નહીં એ કેવું? એનામાં ને ટપોરીમાં કોઈ ફેર જ નહીં? જો કે, બધા એવા નથી તે આશ્વાસન છે, પણ ચિંતા પણ છે જ કે બધા આવા થઈ રહ્યા છે. ડોકટરોને દરદીઓ પણ ધાકધમકી આપે છે ને તેમના પર હુમલાઓ પણ કરે છે, એ જો ખરાબ હોય તો ડોકટરો ધમકી આપે એ પણ એટલું જ ખરાબ છે.

સ્ત્રીઓ અનેક રીતે શોષણનો ભોગ થતી આવી હોય ત્યાં બાપ જ ઊઠીને દીકરીને બગાડે એ તો બધી રીતે અક્ષમ્ય છે. તેને થઈ શકે તેવી મહત્તમ સજા થવી જ જોઈએ. જે દીકરી માટે સૌથી મોટું આશ્વાસન હોય, જેની છાયામાં દીકરી સૌથી વધુ નિર્ભય હોય એ છાયા આટલી દાહક કેવી રીતે હોય? બીજાના ત્રાસથી થાકીને જે દીકરી બાપની છાયામાં દોડી આવતી હોય એ જ છાયા અગ્નિસંસ્કારની ગરજ કેવી રીતે સારી શકે? સામાજિક સંબંધો ને વાત્સલ્ય દાવ પર લાગ્યાં હોય એવા દિવસોમાં આપણે જીવી રહ્યાં છીએ. એમ લાગે છે કે બહારથી બધું ટાપટીપવાળું છે, પણ અંદરથી બધું સડી ગયું છે.

દેખાડાનો યુગ ચાલે છે. એમ લાગે છે કે બધાં જ પોતાની વેચાણકિંમત લગાવીને બજારમાં વેચાવા ઊભાં છે. બધાં જ પોતાનો ભાવ ઉપજાવવા બોલી લગાવી રહ્યા છે. આમ જેનું કૈં ઉપજે એમ નથી તે વધારે બૂમાબૂમ કરે છે. આવી હલકટાઈનો મોટો ફાલ ઊતરી રહ્યો છે. સાધારણ નેતા, જે કોઈ મોટા હોદ્દે પણ નથી ને હોય તો પણ તેને, તેનાથી મોટી ઉંમરના વૃદ્ધને તમાચા મારવાનો શો અધિકાર છે ને તે પણ કઇ વાત પર? ભા.જ.પ.ના દિનેશ કુશવાહાને શક હતો કે ભંવરલાલ મુસલમાન છે. તેની પૂછપરછ કરવાનું દિનેશ કુશવાહાને કયું કારણ હતું તે નથી ખબર. એવી પૂછપરછ વાતચીત પૂરતી સીમિત હોય ત્યાં સુધી તો ઠીક છે, પણ તે ધડાધડ તમાચા મારવા સુધી પહોંચે એ કોઈ રીતે ક્ષમ્ય નથી. ધારો કે કુશવાહાને  કોઈ વાતે શંકા હોય તો તે પોલીસને સોંપી શકે, પણ તે પોતે હિંસક ન્યાય કરવા બેસે એ જંગાલિયતનો નિર્લજ્જ નમૂનો છે. ભંવરલાલ કોણ છે એ નક્કી કરવાનું કોઈકે એને સોંપ્યું હતું કે એને એમ જ શૂરાતન છૂટ્યું હતું ને તેણે વૃદ્ધનો જીવ લીધો એ નથી ખબર. કોઈ મુસ્લિમ હોય એટલી શંકા પરથી તેને મારવા કેમ લેવાય? એ હિન્દુ હોય કે મુસલમાન કે કોઈ પણ કોમનો જ કેમ ન હોય, એની સાથે દિનેશને લેવાદેવા જ શી હતી? એ મુસલમાન હોય તો પણ એને શું દુખતું હતું તે નથી સમજાતું. મુસ્લિમ સમજીને ભંવરલાલને દિનેશે માર્યો ને એ ભા.જ.પ.નો જ સંબંધી નીકળ્યો તો એને એ હવે જીવતો કરી શકે એમ છે? જો નહીં, તો એનો જીવ લેવાનો એ નેતાને શો અધિકાર હતો? એ અધિકાર એને આપ્યો કોણે? એ આપનારે એને જીવ લેવાની સત્તા પણ આપી હતી કે શું?

છેલ્લા થોડા સમયથી એવું જોવા મળી રહ્યું છે કે અમુકતમુક પક્ષના હોવા માત્રથી ઉદ્ધતાઈથી, બેશરમીથી, તુમાખીથી વર્તવાનું જાણે લાઇસન્સ મળી ગયું હોય તેમ પક્ષના કાર્યકરો વર્તી રહ્યા છે. એમાં હોદ્દો જેટલો નાનો તેટલો રુઆબ મોટો. ઉચ્ચ હોદ્દે બિરાજનારા આટલા છીછરા ભાગ્યે જ કોઈ હશે, પણ નાનાં હોદ્દે બેસનાર વધારે વહેમથી પીડાતા હોય છે. બધું સુધારી દેવાનું એમને જ કહી દેવાયું હોય તેમ અમસ્તા જ આ સજ્જનો કોલર ઊંચા રાખતા થઈ જાય છે ને ઘાટ ગાડાં નીચે ચાલતાં કૂતરાથી બહુ જુદો હોતો નથી. એમને એમ જ લાગે છે કે પક્ષ એને લીધે જ છે. આ સારું નથી. એમાં એમનું તો ખાસ બગડતું નથી, પણ પક્ષની ઇમેજને એથી ધોકો જરૂર પહોંચે છે. પક્ષના મોવડી મંડળે પણ આવાં છીછરાં તત્ત્વોને ઓળખીને તેમને  નિયંત્રિત કરવા જોઈએ. વાત, દિનેશ કુશવાહા પૂરતી કે અહીં નિર્દેશી એટલી ઘટનાઓ પૂરતી જ સીમિત નથી, એવા ઘણાં છે જેમને એમ જ લાગે છે કે પક્ષે તેમને હિટલર બનવાનો પરવાનો આપી દીધો છે ને હવે એ ધારે તેને ગેસ ચેમ્બરમાં ધકેલી શકે એમ છે. આવાં માણસો ન્યાય ગજવામાં લઈને ફરે છે ને ગમે તેનો ન્યાય રસ્તામાં જ કરી નાખે છે. ભંવરલાલનું મોત એનો તાજો દાખલો છે. રાજકીય પક્ષોએ એ જોવાની જરૂર છે કે તેના કાર્યકરો બેફામરીતે ન વર્તે.

ને પક્ષ કે કોઈ કહે તો જ આપણને સમજાય એ કેવું? એક સાધારણ માણસ પોતે ન સમજી શકે એવી અઘરી બાબત છે આ? ડૉક્ટરને એ ભણાવવું પડે કે દરદી એને ભગવાન માને છે તો એ ભગવાન પાસે મોકલી આપવા જેવી અભદ્રતા ન જ દાખવે કે બાપને એ કહેવું પડે કે કમ સે કમ દીકરીને તો દીકરી રહેવા દે ! સામેનો માણસ હિન્દુ છે કે મુસ્લિમ એ નક્કી કરવાનું ફરજમાં ન આવતું હોય તો કોઈ પક્ષના હોવા માત્રથી કોઈ પણ એવી દાદાગીરી કે ગુંડાગીરી ન જ કરી શકે જે તેને ને તેના પક્ષને જોખમમાં મૂકે.

ખરેખર, સારા થવું આટલું ખરાબ તો ક્યારે ય ન હતું !

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 23 મે 2022

Loading

...102030...1,5941,5951,5961,597...1,6001,6101,620...

Search by

Opinion

  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …
  • અપેક્ષા                                                 

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved