સ્ત્રી સશક્તિકરણ :
12 મે, 2022ના સમાચારમાં એવું છે કે દિલ્હી હાઇકોર્ટની બે જજની બેન્ચે એક જ મુદ્દા પર જુદા જુદા ચુકાદા આપ્યા. આમ તો બે જજ મોટે ભાગે કોઈ ચુકાદા અંગે સંમત થતા હોય છે, પણ બંને જજને એક મુદ્દે લાગ્યું કે આ મામલે સુપ્રીમ કોર્ટે નિર્ણય આપવો જોઈએ. મતલબ કે હાઇકોર્ટ એક મુદ્દે સંમત ન થઈ ને એમ બે મત પડ્યા. વાત જ એવી હતી કે અસંમત થવાની તકો વધે. મુદ્દો એ હતો કે પત્નીની સંમતિ વિના પતિ શારીરિક સંબંધ બાંધે તો તે ગુનો ગણાય કે નહીં? આ મામલે જાહેર હિતની અરજી થઈ હતી, જેનો ચુકાદો આપવામાં બે જજો વચ્ચે સંમતિ બની ન હતી. એક જજનું માનવું હતું કે પત્નીની સંમતિ વિના પતિ સંબંધ બાંધે તો પતિને કાયદો રક્ષણ આપે છે. કલમ 375 અને 376(ઈ)માં અપવાદ-2 હેઠળ પતિને એ છૂટ અપાયેલી છે. એમાં બંધારણીય જોગવાઈઓનું ઉલ્લંઘન નથી એવું એક જજનું માનવું હતું. બીજા જજનું માનવું હતું કે પત્નીની સંમતિ વિના પતિ પરાણે સંબંધ બાંધે તો એ ગુનો છે ને પત્ની, પતિ સામે દુષ્કર્મની ફરિયાદ કરી શકે. બીજા જજ સાહેબે તો લિવ ઇન પાર્ટનર કે ગર્લફ્રેન્ડ પણ શારીરિક સંબંધનો ઇનકાર કરે ને તેને સંબંધ માટે મજબૂર કરાય તો તે પણ ગુનો છે એવું પણ ઉમેર્યું હતું. બંને જજે જુદા જુદા નિર્ણયો આપ્યા, પણ બંને એ વાતે સંમત હતા કે આ કેસમાં સુપ્રીમમાં અપીલ થવી જોઈએ, કારણ, આ મુદ્દો મહત્ત્વના કાયદા સાથે સંકળાયેલો છે. આ મામલે બીજી હાઇકોર્ટે પણ ચુકાદાઓ આપ્યા છે અને તે સુપ્રીમ કોર્ટમાં નિર્ણયની રાહ જોતાં પડેલા છે. આમ તો ઘણી સંસ્થાઓએ દુષ્કર્મ કાયદા હેઠળ પતિને અપાયેલી છૂટ દૂર કરવાનો અનુરોધ કર્યો છે, પણ આ બાબત એવી છે કે એમાં સર્વસંમતિ સાધવાનું મુશ્કેલ છે.
કાયદો તો મોડો વહેલો કોઈ ચુકાદો આપશે, પણ આપણે આ મામલે સામાજિક તેમ જ માનવીય દૃષ્ટિકોણ રાખીને વિચારવા જેવું છે. કોઈ કાયદા ન હતા, ત્યારે પણ સ્ત્રીપુરુષ તો હતાં જ ! ને એમની વચ્ચે શારીરિક સંબંધો પણ હતા. એ જૈવિક, કુદરતી જરૂરિયાત હતી. એ વખતે પણ સંમતિ, અસંમતિની વાતો ચર્ચાઇ જ હશે. જેને આજે સ્વૈચ્છાચાર કહીએ છીએ તે જ કદાચ ત્યારે સહજ બાબત હતી. સ્ત્રીપુરુષ સંબંધો પર કદાચ નિયંત્રણો પણ ઓછાં હતાં. એ પછી સમાજ અસ્તિત્વમાં આવ્યો, લગ્ન સંસ્થા અસ્તિત્વમાં આવી ને સ્ત્રીપુરુષ સંબંધોને માન્યતા આપવાની વાત આવી. બીજા શબ્દોમાં કહીએ તો એવું ઠરાવાયું કે જેનાં લગ્ન થયાં છે, એ સ્ત્રીપુરુષ વચ્ચેના શારીરિક સંબંધને જ સમાજ માન્ય ગણવા અથવા તો જેમણે સંબંધમાં મુકાવું છે તે સ્ત્રીપુરુષે લગ્નનાં બંધનમાં બંધાવું અનિવાર્ય છે. એ સિવાય કોઈ સંબંધમાં મુકાય છે તો તેને સમાજ માન્યતા નહીં આપે. એ સંબંધ અવૈધ ગણાશે. એને લગતા કાયદાઓ અમલમાં આવ્યા ને એમ એક વ્યવસ્થા ઊભી થઈ.
એક સમય હતો જ્યારે સ્ત્રી પરાવલંબી હતી. તે પિતા કે પતિનો બોજ હતી, જવાબદારી હતી. લગ્ન નિમિત્તે તે એક સંપત્તિની જેમ વ્યવહારમાં મુકાતી. તેના પર અધિકાર થઈ શકતો અને તે ગુલામ કે દાસીનું જીવન જીવતી હતી. તેની ઈચ્છા કે અનિચ્છાની તો કોઈ વાત જ ન હતી. તેણે કાયમી ધોરણે આજ્ઞાંકિત જ રહેવાનું હતું. પિયરમાં હોય તો પિતાની આજ્ઞા ને સાસરે જાય તો પતિની આજ્ઞા સર્વોપરિ ગણાતી. પરમેશ્વર પછી પતિ હતો એવું ન હતું, પતિ જ પરમેશ્વર હતો. તે ઈચ્છે ત્યારે ને ઈચ્છે તેમ પત્ની સાથે વ્યવહાર કરી શકતો. પત્ની સાથે સંબંધ બાંધવો હોય તો પત્ની રાજી છે કે કેમ તે પુછાતું ન હતું. તે તો રાજી જ હોય એમ મનાતું હતું અથવા તો તેણે રાજી જ રહેવાનું હતું એ એકદમ સ્પષ્ટ હતું. સ્ત્રીની મરજી દરેક કાળમાં ગૌણ હતી ને છે.
એટલું ખરું કે શિક્ષણ અને સમજ વધતાં સ્ત્રીનો મહિમા વધ્યો છે. તેની ઈચ્છા, અનિચ્છા જોવાતી થઈ છે. લગ્ન માટે પણ તે પોતાની પસંદગી જણાવતી થઈ છે. લગ્ન સાથે કે લગ્ન વગર પણ તે રહેતી થઈ છે, પણ બંને પ્રકારમાં શરીર સંબંધ માટે તેની ઈચ્છા ભાગ્યે જ પુછાતી હોય છે. તેમાં એક માન્યતા એવી છે કે તેની ના એટલે હા છે ને હા તો હા છે જ ! એનો લાભ પુરુષો લેતા હોય છે. એટલે કે સ્ત્રીની ના તો હોઈ શકે જ નહીં, એવી માન્યતાથી આખું જગત પીડાય છે. પણ, હવે વાત થોડી બદલાઈ છે. સ્ત્રી સ્પષ્ટ અને તીવ્ર નકાર ભણતી થઈ છે. એ નકાર છતાં દુષ્કર્મનો ભોગ સ્ત્રી બનતી આવી છે ને જીવ ગુમાવવા સુધી પણ ગઈ છે. લગ્ન સિવાયના સંબંધમાં બે શક્યતાઓ છે. એકમાં સ્ત્રીપુરુષ વચ્ચે પ્રેમ હોય અને પરણે ને સંબંધમાં મુકાય કે લગ્ન સિવાય સંબંધમાં મુકાય. આ બંને પરિસ્થિતિમાં બંને રાજી હોય એવી ઘણી બધી શક્યતાઓ છે. મતલબ કે બંને સંમતિથી જોડાય છે. બીજામાં, પરિચય હોય કે ન હોય, પણ સ્ત્રીની સંમતિ નથી અને તેને કોઈ પણ રીતે પુરુષ મેળવવા મથે છે ને તેને અનેક પ્રકારે હાનિ પણ પહોંચાડે છે. આ અપરાધ છે ને તે ક્ષમ્ય નથી.
રહી વાત લગ્નની. તો એમાં પ્રેમીઓ લગ્ન સુધી પહોંચે છે ને પરસ્પરની સંમતિથી સંબંધમાં મુકાય છે. એમાં પણ સમય જતાં એવી સ્થિતિ આવે છે કે એકની ઈચ્છા ન હોય ને બીજાની હોય. છતાં સંબંધ થાય ને કોઈ એક શરણાગતિ સ્વીકારી લે તો વાત જુદી, પણ એકનો તીવ્ર વિરોધ હોય ને સંબંધ થાય તો એ દુષ્કર્મ જ ગણાય. એવું એરેન્જ્ડ મેરેજમાં પણ બની શકે. એમાં પરિચય ઓછો હોય ને બેમાંથી કોઈ એક સંબંધ માટે તૈયાર ન હોય છતાં સંબંધ થાય તો એમાં પણ કોઈ એક શરણું સ્વીકારી લે ને સંબંધ થાય તો બહુ વાંધો કદાચ ન પડે, પણ પછી એ રોજનું થઈ પડે ને કોઈ એકને સમય જતાં રસ જ ન રહે ને સંબંધ થાય તો એ પણ દુષ્કૃત્ય જ ગણાય. ડિબેટ અહીં છે. ન્યાયતંત્રમાં પણ અહીં મતભેદ છે. એક વાત સ્પષ્ટ છે કે લગ્ન સંબંધની અપેક્ષાએ જ થતાં હોય છે. લગ્ન કરનાર જાણે છે કે લગ્ન દ્વારા સ્ત્રી અને પુરુષ એકબીજાને સંબંધની અનુમતિ આપે છે. એવું ન હોય તો લગ્નની જરૂર જ ક્યાં રહે છે? હવે જો લગ્ન પરસ્પરની સંમતિથી થતાં હોય તો તેમાં સંબંધની અનુમતિ આવી જ જાય છે. એટલે કે લગ્ન સ્ત્રીને કે પુરુષને એકબીજા સાથેના સહવાસનો અધિકાર સ્થાપી આપે છે. જો એ શક્ય હોય તો પછી એકની સંમતિ હોય કે ન હોય, બીજો ભોગવટાનો અધિકાર આગળ કરીને સામાની ઈચ્છાને અવગણી શકે. સંબંધની અનિવાર્યતા પ્રમાણવાને લીધે જ લગ્ન અસ્તિત્વમાં આવતાં હોય તો સંમતિ એમાં આપોઆપ જ વણાયેલી છે, એવું નહીં? એક વાત એ પણ છે કે લગ્ન સંમતિ હોવાને લીધે જ શક્ય બને છે અથવા સંમતિ છે એવું માની લેવામાં આવે છે. એમાં પણ સમય જતાં કંટાળાનો, અણગમાનો, ત્રાસનો અનુભવ થાય છે. એવે વખતે એકને ન ગમે ને તે સંમત ન થાય તો બીજો લગ્ને તેને ભોગવટાનો અધિકાર આપ્યો છે એવો દાવો કરીને અધિકાર ભોગવતો જ રહે તો તે શોષણ જ છે, દુષ્કર્મ જ છે. તેની સામે ફરિયાદ એટલે ન થાય કે લગ્ને અધિકાર આપ્યો છે? લગ્ન જો પવિત્ર બંધન હોય તો તે શોષણનો અધિકાર કેવી રીતે આપી શકે? આમાં સમજૂતી કામ આવી શકે. એટલે કે અમુક પ્રસંગે કોઈ એકની ઈચ્છા ન હોય તો પણ સમયની ઈચ્છાને માન આપીને કોઈ એક એડજસ્ટ કરે તો માત્ર સંમતિને નામે લગ્નને દાવ પર લગાવવાનું ન બને.
બનવું તો એવું જોઈતું હતું કે કોઈ એક બદઇરાદાથી સંમતિ ન આપતું હોય તો, પોતાનાં જ પાત્રની ઈચ્છા નથી તો તેને માન આપીને તેટલા પૂરતું પૂર્ણવિરામ બીજો મૂકે અથવા તો પોતાની જરૂરિયાત સમજાવીને સંબંધ માટે રાજી કરે. કોઈ એક જો એક વખતે થોડું જતું કરે તો બીજું, બીજી વખત જતું કરે ને એમ એકબીજાને અનુકૂળ થવાનો પ્રયત્ન કરે એ લગ્નમાં સંભવિત છે. જો બે વચ્ચે લાગણી હોય, પ્રેમ હોય તો એટલું જતું કરવાનું કોઈને ય અઘરું ન બનવું જોઈએ ને જો પ્રેમ જ નથી, તો સંમતિ હોય કે ન હોય, ક્યાંકથી તો કોઈ કાયદો પોતાનો હક કરવા આગળ આવશે જ. પ્રેમ કે લાગણી હશે ત્યાં કાયદાની જરૂર નહીં પડે ને પ્રેમ જ ન હોય તો કાયદાની તો ખોટ જ ક્યાં છે? અનિવાર્ય છે તે સ્નેહ. એ હશે તો સંમતિ કોઈ એકની કદી નહીં હોય, બંનેની જ હશે ને કોઈ એકની હોય તો બીજો સમજૂતીથી અથવા સમાધાનથી કામ લે એ વધારે મહત્ત્વનું છે. સ્નેહ નહીં હોય તો ને ત્યાં જ કાયદો યાદ આવશે. કાયદો યાદ કરવો પડે એ જ બતાવે છે કે સ્નેહની બાદબાકી થઈ ગઈ છે …
000
e.mail : ravindra21111946@gmail.com