Opinion Magazine
Number of visits: 9663878
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તમારી માતા મા અને બીજાની માતા જર્સી ગાય?

રમેશ સવાણી|Opinion - Opinion|3 September 2025

રમેશ સવાણી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2 સપ્ટેમ્બર 2025ના રોજ કહ્યું છે : “માતા આપણી દુનિયા છે. માતા આપણું સ્વાભિમાન છે. બિહારમાં રા.જ.દ., કાઁગ્રેસના મંચ ઉપરથી મારી માતાને ગાળો દેવામાં આવી. આ શબ્દો ખાલી મારી માતાનું અપમાન નથી. તે દેશની મા, બહેન, દીકરીનું અપમાન છે. મને ખબર છે કે આ જોઈને બિહારની દરેક મા, દીકરી, ભાઈને કેટલું ખરાબ લાગ્યું હશે.”

બિલકુલ સહમત. કોઈપણ ઝઘડામાં / વાતમાં માતા / બહેનને ગાળો આપવી તે નિંદનીય છે જ. માણસ તિરસ્કાર દર્શાવવા / ક્રોધાવેશમાં ગાળો બોલે છે. ગાળો ન બોલવી / ન લખવી તે સભ્યતા છે. માતા વડા પ્રધાનનાં હોય કે ગરીબનાં, તેમનું અપમાન એ દેશની મા, બહેન, દીકરીનું અપમાન છે.

પરંતુ રાષ્ટ્રીય સ્તરે શું જોઈએ છીએ? BJP IT Cell દ્વારા ગાંધીજીને / નેહરુને મુસ્લિમ તરીકે ચિતરે છે; આમ આ તેમની માતા માટે અભદ્ર ટિપ્પણી કહેવાય કે નહીં? સત્તાપક્ષને સમર્થન કરતા લાખો વોટ્સએપ ગ્રુપ, લાખો ફેસબૂક પેજ, લાખો ટ્વિટર હેન્ડલ દિવસ-રાત ગાળો લખે છે, બોલે છે. ટ્રોલ્સ સોશિયલ મીડિયામાં સતત મા-બહેનની ગાળો લખી રહ્યા છે. ટ્રોલ્સ સામે  ફરિયાદ કરનારાઓની FIR કેમ નોંધવામાં આવતી નથી? શા માટે ગાળો લખનારાઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે? શું BJP IT Cellએ, ગાળો આપવા / ચરિત્ર હનન કરવા ફેક્ટરી ખોલી નથી? ટ્રોલ્સની માફક, મોદીભક્ત લેખકો સોશિયલ મીડિયામાં છૂટથી મા-બે’નની ગાળો લખે છે અને એનો ગર્વ કરે છે !

વડા પ્રધાનનાં માતાને ગાળ આપનારને તરત જ એરેસ્ટ કરવામાં આવે છે, પરંતુ ગરીબ / વંચિત / મધ્યમ વર્ગની માતાને ગાળો આપનાર સામે FIR નોંધાતી નથી. શું તે દેશની માતા નથી? 

અરે, ખુદ મોદીજી માતા, બહેન, દીકરીનું અપમાન કરતા નથી? માનસી સોનીની જાસૂસી કરવી તે સભ્યતા કહેવાય? જાહેરમંચ પરથી લાખો લોકો સમક્ષ મોદીજીએ ‘જર્સી ગાય / કાઁગ્રેસની વિધવા / બારબાલા / 50 કરોડની ગર્લફ્રેન્ડ / સુર્પણખા / દીદી ઓ દીદી’ જેવા શબ્દનો પ્રયોગ કર્યા હતા, તો એ માતા / બહેનનું અપમાન ન કહેવાય? તે સમયે દેશની માતા-બહેનોનું અપમાન નહોતું થતું?

ગાંધીજી / સરદાર પટેલ / નેહરુ / ઇન્દિરાજી / મોરારજી દેસાઈ / રાજીવ ગાંધી / નરસિમ્હા રાવ / અટલ બિહારી વાજપેયી / મનમોહનસિંહ ક્યારે ય જાહેરમંચ પરથી કે સંસદમાં માતા-બહેનોનું અપમાન કરેલ હતું? ગાળો આપેલ? રાહુલ ગાંધીનાં માતાનું અપમાન મોદીજીએ કર્યું છતાં રાહુલ ગાંધી, મોદીજીની માતા વિશે કદી ય ઘસાતું બોલ્યા નથી. મોદીજીએ નોટબંધી વેળાએ પોતાની માતાને બેન્ક સમક્ષ લાઈનમાં ઊભા રખાવ્યાં હતા તે રાજનીતિ કહેવાય કે નહીં? 

મણિપુરની જે મહિલાઓની નગ્ન પરેડ થઈ / ગેંગ રેપ થયા તે કોઈની માતા કે બહેન હશે જ ને? મહિલા પહેલવાનોનું યૌન શોષણ થયું ત્યારે મોદીજીએ ભેદી મૌન ધારણ કરી યૌનશોષણ કરનારને છાવર્યો ! એ મહિલા પહેલવાનો કોઈની બહેન તો હશે જ ને? બળાત્કારીઓ / હત્યારાઓને જેલ મુક્ત કર્યા હતા; તે પીડિતા કોઈની દીકરી / બહેન તો હશે જ ને? સંસદમાં ભા.જ.પ.ના સભ્યો વિપક્ષના સભ્યોને ગાળો આપે છે તેમને ક્યારે ય રોક્યા? યુદ્ધમાં પરાજિત પક્ષની મહિલાઓ પર બળાત્કાર કરવાની સલાહ આપનાર સાવરકરને આદર્શ માનો છો, તેમાં મા-બહેન-દીકરીનું અપમાન નથી? જશોદાબહેન સાથે લગ્ન કરેલ છતાં ચૂંટણીપંચ સમક્ષ અપરણિત લખાવેલ તે કોઈની દીકરીનું અપમાન કહેવાય કે નહીં? કાયમ વિક્ટિમ-કાર્ડનો જ ઉપયોગ કરવાનો? મોંઘવારી / બેરોજગારી ઓછી કરો તેમાં કરોડો બહેન-દીકરીઓનું સન્માન જળવાય કે નહીં? મોદીજી ! તમારી માતા મા અને બીજાની માતા જર્સી ગાય? 

02 સપ્ટેમ્બર 2025. 
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

હજારો અવાજો મને ઘેરીને ઊભેલા છે – સ્વેતલાના એલેક્સિયેવિચ

સોનલ પરીખ|Opinion - Opinion|3 September 2025

યુદ્ધનો ઇતિહાસ પુરુષો લખે છે અને પુરુષો વિશે લખે છે – બટ વિમેન્સ સ્ટોરીઝ આર ડિફરન્ટ. યુદ્ધભૂમિ પર સ્ત્રીમાં રહેલી સ્ત્રી નાશ પામે છે. યુદ્ધમાં કોઈ વીરનાયક હોતો નથી. હોય છે માનવીય બાબતો પ્રત્યે અમાનવીય રીતે વર્તનારા માનવો

— સ્વેતલાના એલેક્સિયેવિચ

સ્વેતલાના એલેક્સિયેવિચ

‘આ પોડિયમ પાસે હું એકલી નથી ઊભી, હજારો અવાજો મને ઘેરીને ઊભેલા છે. આ અવાજો મારા ગામની સ્ત્રીઓના છે. એમાંની કોઈને ભાઈ, પતિ કે પિતા નહોતા. બીજા વિશ્વયુદ્ધ પછી અમારા ગામમાં એક પણ પુરુષ બચ્યો નહોતો. બેલારુસમાં દર ચોથો પુરુષ યુદ્ધમાં ખતમ થઈ ગયો હતો. અમે બાળકો સ્ત્રીઓ વચ્ચે ઊછરતાં. મને યાદ છે કે આ સ્ત્રીઓ પ્રેમની વાતો કરતી, મૃત્યુની નહીં.’

રશિયા-બેલારુસ યુદ્ધને સાડાત્રણ વર્ષ થયા છે ત્યારે બેલારુસની લેખિકા અને પત્રકાર, સાહિત્યનું નોબેલ ઈનામ જીતનાર રશિયન લેખિકા સ્વેતલાના એલેક્સિયેવિચનાના આ શબ્દો યાદ કરવા જેવા છે. સ્વેતલાના પોતાને ‘હિસ્ટોરિયન ઑફ ધ સોલ’ કહે છે. 1985માં પ્રગટ થયેલું એનું પુસ્તક ‘ધ અનવુમનલી ફેસ ઑફ વૉર’ વિશ્વયુદ્ધમાં લડવા ગયેલી મહિલાઓની સ્મૃતિઓનું ‘કોલાજ’ છે. બીજા વિશ્વયુદ્ધમાં સોવિયેત આર્મીમાં દસ લાખ સ્ત્રીઓ હતી. યુદ્ધ દરમ્યાન અને એ પછી આ સ્ત્રીઓનું શું થયું? સ્વેતલાનાએ એમને મળી, એમના અનુભવોનું રેકૉર્ડિંગ કરી, એનું લિપ્યાંતર કરી આ પુસ્તક તૈયાર કર્યું છે. 2015માં સ્વેતલાનાને નોબેલ મળ્યું અને 2017માં પુસ્તકનું અંગ્રેજી થયું. આ પુસ્તકની ગણતરી દુનિયાના સૌથી દુ:ખી-ઉદાસ પુસ્તકોમાં થાય છે. એનું પોત મહિલા સૈનિકોનાં આંસુ અને લોહી વડે વણાયેલું છે. આપણને હચમચાવી નાખે એટલું એ કરુણ છે. યુદ્ધની બિભિષિકામાંથી પસાર થયેલી સ્ત્રીઓના અવાજો એનાં પૃષ્ઠોમાંથી ઊઠે છે. 

આગળ એણે જે અવાજોની વાત કહી છે તે આ સ્ત્રીઓના અવાજો છે. એક અવાજ કહે છે, ‘તેણે મને પ્રપૉઝ કર્યું ત્યારે અમે યુદ્ધની વચ્ચે હતા. જમીન પર ગંદકી, હવામાં લોહીની વાસ. મેં કહ્યું, ‘કોની સાથે લગ્ન કરીશ? મારામાંની સ્ત્રી તો મરી ગઈ છે.’ એનો એક ગાલ આખો ઊતરડાઈ ગયો હતો. એ ગાલ પર ગરમ આંસુ સરી પડ્યાં. મારાથી જોવાયું નહીં. મેં એને હા પાડી. મારી હાને હું જ ઓળખી શકતી નહોતી. અમારી આસપાસ રાખ ઊડતી હતી, ઈંટો ભાંગી ભાંગીને પડતી હતી …’ પુસ્તકનું એક પાત્ર કહે છે, ‘આપણે વર્ષોથી એ સ્થિતિમાં છીએ કે કાં તો લડતાં હોઈએ, કે પછી લડાઈની યોજના બનાવતા હોઈએ.’

સ્વેતલાનાએ લખ્યું છે, ‘ફ્લુબર્ટ પોતાને ‘હ્યુમન પેન’ કહેતો. હું પોતાને ‘હ્યુમન ઈયર’ કહું છું. આ પોડિયમ સુધીનો રસ્તો ચાલીસ વર્ષ લાંબો છે. આ ચાલીસ વર્ષ મેં એક એક અવાજ સાંભળવામાં ગાળ્યા છે. અનેક વાર ભય પામી છું, આઘાત પામી છું અને કેટલીય વાર અવાજોને ભૂલી જવાનો પ્રયત્ન પણ કર્યો છે. હું એ સમયમાં જીવી છું જ્યારે નાનું બાળક પણ મૃત્યુને જાણતું. અમારી આસપાસની હવામાં ઝેર હતું અને અમે એ શ્વસતાં.’ 

સ્વેતલાનાએ એમને પૂછ્યું, ‘તમે યુદ્ધમાં શા માટે જોડાયા?’ એક સ્ત્રી તરત બોલી, ‘કારણ કે ત્યાં દિવસમાં બે વાર ખાંડવાળી ચા અને ટોસ્ટ મળતાં હતાં!’ તેણે નોંધ્યું છે, એક વાર બળાત્કારનો ભોગ બનેલી મહિલા સૈનિકોએ ગુનેગારોને ઓળખવા કરતાં ખાવાનું વધારે પસંદ કર્યું હતું! કેવી સ્થિતિ હશે? શાસકોને આ મહિલાઓના સ્ત્રી-અસ્તિત્વની પરવા નહોતી. કોઈ વાજબી માગણીના જવાબમાં પણ તેઓ બરાડતા, ‘શટ અપ, વી વૉન્ટ સૉલ્જર્સ, નોટ ગર્લ્સ.’ પણ સ્ત્રી પોતાની અસ્મિતાને, સુઘડતા અને સુંદરતા માટેના પ્રેમને ક્યાં મૂકવા જાય? એક સ્ત્રી કહે છે, ‘અમને એટલો માનસિક ત્રાસ થતો કે અમારામાંના કેટલાયના માસિક સ્રાવ બંધ થઈ જતા. અમે ડરી ગયા, અમે હવે સ્ત્રી નથી રહ્યા શું?’ અસ્તિત્વ પરના આ ઘાની કલ્પના પુરુષોને ન આવે.  

નોબેલ ભાષણમાં સ્વેતલાનાએ ચેર્નોબિલ ઘટનાનો ભોગ બનેલી સ્ત્રીઓની મુલાકાતનો ઉલ્લેખ કર્યો છે. ચેર્નોબિલનો કાટમાળ ખસેડતાં રેડિયેશનનો ભોગ બનેલા એક મજૂરને હૉસ્પિટલમાં લઈ જવાયો. તેની પત્નીએ સ્વેતલાનાને કહ્યું, ‘મને તેને મળવા ન દીધી. હૉસ્પિટલમાં જવા પણ ન દીધી, કહે કે તમે એને ઓળખી નહીં શકો. તમે જેને જાણો છો એ માણસ એ રહ્યો નથી.’ આ સ્ત્રી રાતે ચીમની દ્વારા હૉસ્પિટલમાં ઊતરે છે. ચોકીદારોને પૈસા ખવડાવી પતિને મળે છે. એને જોઈને સમજી જાય છે કે કદાચ આ છેલ્લી મુલાકાત છે. એ ક્ષણોને જીવી લેવા બંને ગાઢ પ્રેમ કરે છે. તેને ગર્ભ રહે છે અને રેડિયેશનને લીધે બાળકી મૃત જન્મે છે. એ સ્ત્રી કહે છે, ‘બંનેની કબર પર ફૂલ મૂકતાં હું આ જીવલેણ પ્રેમ વિશે વિચારું છું …’ 

સ્ત્રીઓ શારીરિક કામો માટે નાજુક ગણાય પણ એક મહિલા ઘાયલ સૈનિકોને હૉસ્પિટલમાં લાવવાની ડ્યુટી કરતી હતી તે એક દિવસમાં 481 ઘાયલ સૈનિકોને હૉસ્પિટલ લઈ આવી હતી. સ્વેતલાના કહે છે, ‘માનવું મુશ્કેલ છે.’ ‘મને પણ એવું જ લાગે છે.’ સ્ત્રી શાંતિથી કહે છે. 

એક સ્ત્રી કહે છે, ‘મારે બહુ બધું કહેવું છે. વર્ષો સુધી હું કશું બોલી નથી. મેં પ્રયત્ન કર્યો હતો, પણ કોઈ મારું સાંભળતું નહોતું. સારું થયું તમે આવ્યા, પૂછ્યું. આઈ ટેલ યુ, ઈટ ઈઝ ટેરિબલ ટુ રિમેમ્બર, બટ ઈટ ઈઝ ફાર મોર ટેરિબલ ટુ ફરગેટ – યાદ કરવું ભયાનક છે, પણ ભૂલી જવું એનાથી પણ ભયાનક છે.’ એણે એક એવી સૈનિકની વાત કરી હતી, જેણે પીછો કરતા જર્મન લશ્કરથી ટુકડીને બચાવવા પોતાના રડતા બાળકને પાણીમાં ડુબાડી દીધું હતું. ‘એનું બાળક રડતું બંધ થયું. ક્યાં ય સુધી અમે આંખો ઊંચી કરી એ સ્ત્રી સામે કે એકબીજા સામે જોઈ શક્યા નહીં.’

યુદ્ધ પૂરું થયું અને આ મહિલાઓ ઘેર પાછી ફરી ત્યારે ઘરના મોરચે પણ એક યુદ્ધ ખેલાયું. યુદ્ધમાંથી પાછા ફરતા પુરુષની રાહ જોવાય છે, એને વધાવી લેવાય છે. પણ મહિલાઓનું શું થાય છે? પતિઓ શહીદ થઈ ગયા છે. ગામો રાખ થઈ ગયાં છે. પાંચ છ મહિનાનાં હતાં તે બાળકો હવે મોટાં થઈ ગયા છે, માને ઓળખતાં નથી. કુંવારી હતી તેને કોઈ પરણતું નથી. એક મહિલા કહે છે, ‘ઓગણીસની ઉંમરે મને વીરતા માટે અવૉર્ડ મળ્યો ત્યારે મારા વાળ સફેદ થઈ ગયા હતા અને મારાં ફેફસાંની આરપાર ગોળી ચાલી ગઈ હતી.’ એક સ્ત્રીને માબાપે કહ્યું, ‘તારી બે નાની બહેનો સાથે કોઈ લગ્ન નહીં કરે કેમ કે તું આટલા પુરુષો સાથે રહીને આવી છે. તું ક્યાંક ચાલી જા.’ યુદ્ધમાંથી પાછી ફરેલી સ્ત્રીઓ માટે ‘આર્મી હોર્સ’ કે ‘મિલિટરી બિચિસ’ જેવા શબ્દો વપરાતા. આટલી ભયાનક પુરુષપ્રધાનતા?’

આ પુસ્તક સાથે જ સ્વેતલાનાનું ‘લાસ્ટ વિટનેસ’ પુસ્તક પ્રગટ થયું હતું. એમાં યુદ્ધગ્રસ્ત બાળકોની વાત હતી. 1997માં ‘વૉઈસિઝ ફ્રોમ ચેર્નોબિલ’ આવ્યું અને 2013માં ‘સેકન્ડહેન્ડ ટાઈમ’. નાની હતી ત્યારથી સ્વેતલાના જાણતી કે ‘વિમેન્સ સ્ટોરીઝ આર ડિફરન્ટ’. દર્દને એ માનવમાત્રની નિયતિ કહે છે. લખે છે કે યુદ્ધનો ઇતિહાસ પુરુષો લખે છે અને પુરુષો વિશે લખે છે, પણ મેં બાળપણમાં સ્ત્રીઓની જે વાતો સાંભળી હતી, એની પકડ જુદી જ છે. ‘વાસ્તવ મને ડરાવે છે અને આકર્ષે પણ છે.’ ‘યુદ્ધમાં કોઈ વીરનાયક હોતો નથી. હોય છે માનવીય બાબતો પ્રત્યે અમાનવીય રીતે વર્તનારા માનવો.’ 

સ્વેતલાનાના શરૂઆતના લખાણોમાં સામ્યવાદી રશિયામાં વધતા જતા ઔદ્યોગીકરણનો ચિતાર છે, પણ પછી એ બહુ જ નિર્ભયતાથી યુદ્ધના વિશ્વમાં પ્રવેશી ગઈ છે. ડઝનબંધ પ્રવાસો, સેંકડો મુલાકાતો અને અનેક રેકૉર્ડિંગ. ‘મારું ધ્યેય ચોક્કસ સમયખંડમાં જીવતા અને ચોક્કસ બનાવોનો હિસ્સો બનતા ચોક્કસ માણસોને સાંભળવા એ છે.’ ‘યુદ્ધ શાપ છે, પણ માણસ યુદ્ધથી મોટો છે.’ 

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 03 ઑગસ્ટ  2025

Loading

બોલો, એ કોણ છે?

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|3 September 2025

હેમન્તકુમાર શાહ

ભગવાન શ્રીકૃષ્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં દૈવાસુરસંપદવિભાગયોગ નામના સોળમા અધ્યાયમાં આસુરી વૃત્તિના મનુષ્યનાં લક્ષણો અર્જુનને આ મુજબ જણાવે છે :

(૧) એ શું કરવા જેવું અને શું ન કરવા જેવું છે તે જાણતો નથી.

(૨) એ ધર્મ અને અધર્મ શું છે તે જાણતો નથી.

(૩) ઊંધા વિચારો પકડીને એ અહિતકારી કર્મો કરે છે.

(૪) એ દંભ, મદ અને અભિમાનથી ભરેલો હોય છે. 

(૫) ભોગવિલાસ જ સર્વશ્રેષ્ઠ વસ્તુ છે એમ એ માને છે.

(૬) અન્યાય વડે ધન મેળવવાની એ આશા રાખે છે. 

(૭) મેં આ શત્રુનો નાશ કર્યો અને હવે બીજા શત્રુનો નાશ કરીશ એમ જ એ વિચાર્યા કરે છે. 

(૮) હું સિદ્ધ છું અને હું બળવાન છું એમ જ એ માને છે.

(૯) એ પોતાને વખાણ્યા કરે છે અને પોતાની મોટાઈ બતાવ્યા કરે છે. 

(૧૦) એ દ્વેષી અને અહંકારી હોય છે. 

(૧૧) એ સારા માણસોની નિંદા કરે છે. 

(૧૨) ખોટું કર્મ કરતાં જેને શરમ ન આવે. 

ભગવાન શ્રીકૃષ્ણ આસુરી વૃત્તિ ધરાવતી વ્યક્તિનું આવું બધું વર્ણન કર્યા પછી સોળમા અધ્યાયના ૧૯મા શ્લોકમાં એમ કહે છે કે આવા માણસને તેઓ નરક તરફ જવાના માર્ગમાં હડસેલે છે અને આસુરી યોનિમાં નાખે છે.

કોઈ મોટીવેશનલ સ્પીકરો કે કથાકારો આ લક્ષણો વિશે સીધેસીધી વાત રાજનેતાઓને  સંબોધીને કરે ખરા? કે પછી એ બધી શિખામણો સામાન્ય લોકોને જ આપ્યા કરે? 

બોલો, આજના ભારતના રાજનેતાઓમાં આસુરી વૃત્તિ વિશેનાં મોટા ભાગનાં લક્ષણો સૌથી વધુ કોને લાગુ પડે છે?

અને હા, આ સોળમા અધ્યાયના પ્રથમ શ્લોકમાં સત્પુરુષનાં લક્ષણો દર્શાવતાં ભગવાન શ્રીકૃષ્ણ પહેલું લક્ષણ ‘અભય’ છે એમ કહે છે. વિનોબા ભાવે અભય વિશે એમ કહે છે કે અભય એટલે કશાથી કે કોઈનાથી ડરવું નહીં અને કોઈને ડરાવવા પણ નહીં. બોલો, આજે સમાજમાં સરકાર દ્વારા કેટલો બધો ડર ઘૂસી ગયો છે કે ઘૂસાડી દેવામાં આવ્યો છે! સરકાર એટલે સરકારમાં બેઠેલા માણસો, સરકાર કંઈ પ્રેમ, દયા કે કરુણા જેવું ભાવવાચક નામ નથી. 

જે સત્ય અને અહિંસાનું પાલન કરે છે તે સત્પુરુષ છે એમ પણ શ્રીકૃષ્ણ કહે છે કે જે અર્જુનને યુદ્ધ કરવા માટે પ્રેરણા આપે છે! આ તો મહાત્મા ગાંધીની વાત થઈ! બંને મોહનની એક જ વાત! 

તા.૦૨-૦૯-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...155156157158...170180190...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved