Opinion Magazine
Number of visits: 9552512
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્ફુલ્લિન્ગ (4) સાંસ્કૃતિક – સાહિત્યિક સ્મૃતિલોપ  

સુમન શાહ|Opinion - Literature, Opinion - Opinion|25 November 2025

સુમન શાહ

સ્મૃતિ ન હોય તો શું થાય? તમને યાદ જ ન આવે કે ગઇ કાલે રાત્રે શું જમેલા, કે મને યાદ જ ન આવે કે મારું નામ શું છે. લગભગ ગભરાઇ જવાય. 

આજકાલ આપણે ત્યાં બે અંગ્રેજી શબ્દ ખાસ જાણકારી વિના અને એના ગુજરાતી પર્યાય વિના બહુ સાંભળવા મળે છે : dementia અને alzheimer. સમજ્યા વિના પર્યાય શોધવા નીકળવું એ ભદ્રંભદ્ર જેવા પણ્ડિતનું કામ છે. આ બન્ને વચ્ચે ભેદ છે, પણ એમ પણ ખરું કે સરવાળે ભેદ નથી. 

dementia એક umbrela term છે. એ શબ્દગુચ્છની છત્રી હેઠળ સ્મૃતિભંશ, ચિત્તભ્રમ, ભૂલી જવાનો રોગ, વગેરેનો સર્વગ્રાહી નિર્દેશ છે.

alzheimer વિશિષ્ટ છે. મગજની અવ્યવસ્થિત દશા સૂચવે છે. એમાં ધીમે ધીમે સ્મૃતિનો ક્ષય થવા માંડે છે, વિચારવાની આવડત ઓછી થવા માંડે છે, ઉપરાન્ત, સાદામાં સાદાં કામો કરવાની ક્ષમતા પણ ઘટી જાય છે.

સામ્પ્રત ગુજરાતમાં અને ગુજરાતી સાહિત્યમાં dementia અને alzheimer બન્નેનાં રોગચિહ્નો જોવા મળે છે. 

ભારતીય જ્ઞાનવારસાની યાદ નથી રહી એવી જણસો ઘણી છે : ગણિત જ્યોતિષ સ્થાપત્ય કે રાજનીતિવિષયક શાસ્ત્રો, અસ્તિત્વ ચેતના અને તર્કના વિષયમાં વેદાન્ત ન્યાય અને સાંખ્ય, વેદકાલીન ઋષિમુનિઓથી માંડીને ઉપનિષદો લગી પાંગરેલું ભારતીય દર્શન, અધ્યાત્મવિદ્યા, ભાષાના વૈજ્ઞાનિક સ્વરૂપનું પાણિનિનું વ્યાકરણ કે સાહિત્યકાર અને સાહિત્યસમાજને જેની સાથે ઘણી લૅણદેણ હોવી ઘટે એ સ્વયંસમ્પૂર્ણ સંસ્કૃત કાવ્યશાસ્ત્ર — આ વારસો ભારતીય જ્ઞાન-પદ્ધતિઓ છે – indian knowledge systems; પણ આજે આપણે એથી વિચ્છિન્ન છીએ. 

હેમચન્દ્રાચાર્યથી માંડીને દયારામ, અને દલપત-નર્મદથી માંડીને ૨૦મી અને ૨૧મી સદીના વર્તમાન દાયકાઓની સ્મૃતિનો ખાસ્સો લોપ થયો છે. પૂછી શકાય કે – નર્મદના ઉત્તરજીવનમાં કેવાંક પરિવર્તન હતાં. બળવન્તરાય અગેય પ્રવાહી પદ્યરચનાથી શું કહેવા માગતા હતા. ગોવર્ધનરામે કેવા સ્વરૂપે પૂર્વીય અને પાશ્ચાત્ય સંસ્કૃતિઓનો સમન્વય કલ્પ્યો હતો. ગાંધીજીના વિચારો અનુસારનું ચિન્તન કોણે કર્યું હતું. કિશોરલાલ મશરૂવાળાએ સમૂળી ક્રાન્તિનું કેવુંક સ્વરૂપ કલ્પ્યું હતું. આધુનિક યુગના કયા કવિઓએ અને વાર્તાકારોએ પ્રયોગશીલતાનો આશ્રય કરીને કાવ્ય અને વાર્તાસર્જનની દિશા બદલી હતી, ઘટનાતત્ત્વનો હ્રાસ શબ્દગુચ્છથી સુરેશ જોષી ખરેખર શું સૂચવતા હતા. પૂછી શકાય કે – અધ્યાપકોને ગુજરાતી સાહિત્યના ઇતિહાસની પૂરેપૂરી જાણકારી છે ખરી? એટલે કે નૉંધનીય કૃતિઓ અને કર્તાઓ તેમ જ જે તે યુગની વિશેષતાઓની ચૉક્કસ છાપ ચિત્તમાં છે ખરી? વગેરે વગેરે.  

તાજેતરમાં જ બનેલી મહત્તાપૂર્ણ ઘટનાઓની મહત્તાનું સ્મરણ નથી રહ્યું. પ્રસિદ્ધિની ઉતાવળમાં એકધ્યાન નથી થવાતું, અમૂર્ત વિચારો જોડે પાનું પાડી શકાતું નથી. આ લેખક અઘરો છે એમ લેબલ મારીને ભાગી જઈ શકાય છે. સામાજિક અને સાહિત્યિક પરિવેશમાં જે કંઈ નિર્ણયો લેવાય છે એ ઘણા પછાત અને માયકાંગલા હોય છે. આયોજનોમાં પૂર્ણતાનો અભાવ હોય છે. દીપપ્રાગટ્ય જેવી પરમ્પરા એના સ્વ રૂપમાં નથી સચવાતી, ભલે, પણ એના સ્થાને કશું નવું પણ નથી સૂઝતું. પોતે લેખક કે સાહિત્યનો માણસ હોય તેમછતાં યોગ્ય શબ્દ બોલી કે લખી શકતો ન હોય એવા જનોની સંખ્યા મોટી થવા માંડી છે. રુચિનો વિકાસ થવાને બદલે એ-નું-એ જ ગમ્યા કરે છે, રૅક્ગનિશન માટેની ચિન્તા અહીંથી તહીં દોડાવતી હોય છે.

ઉપરના ફકરામાં વર્ણવેલાં બધાં વર્તનોમાં સાંસ્કૃતિક અને સાહિત્યિક dementia અને alzheimerનાં લક્ષણો છે એમ કહી શકાય પણ ગ્રહણ કરનારા છે ખરા? 

= = = 

(241125A’bad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ધરમથી ધર્મેન્દ્ર : લુધિયાણાના યુવાનની મુંબઈમાં ‘હી-મેન’ બનવાની દિલચસ્પ સફર

રાજ ગોસ્વામી|Opinion - Opinion|24 November 2025

રાજ ગોસ્વામી

ધરમ સિંહ કેવલ કિશન દેઓલે આઠમા ધોરણમાં, લુધિયાણાના મિનરવા થિયેટરમાં, દિલીપ કુમારની ‘શહીદ’ ફિલ્મ જો ન જોઈ હોત, અને એ ફિલ્મનો રાષ્ટ્રવાદી કિરદાર ‘રામ’ તેના દિલમાં ઉતરી ગયો ન હોત, તો તેણે ત્યાં ખેતરમાં ટ્રેક્ટર ચલાવીને જિંદગી પૂરી કરી નાખી હોત. પણ એવું ન થયું. દિલીપ કુમાર અને તેમના ‘રામ’નો એવો જબ્બર પ્રભાવ પડ્યો હતો કે ફિલ્મ પૂરી થતાં સુધીમાં તો મનમાં એક વિચાર વીજળીની જેમ ચમકી ગયો હતો – મુંબઈ જઈને દિલીપ કુમાર જેવા એક્ટર બનવું છે. તે એક્ટર બન્યો એટલું જ નહીં, યુસૂફ સા’બનો લાડકો નાનો ભાઈ પણ બની ગયો.

શાયર-ગીતકાર મજરૂહ સુલતાનપુરીએ એક વાર કહ્યું હતું – ધર્મેન્દ્ર વગર ભારતીય સિનેમાનો સંસાર અધૂરો હોત. ધર્મેન્દ્ર હિન્દી સિનેમાના આકાશમાં ધ્રુવના તારા જેવા હતા. નાના ગામડાઓમાંથી મોટા શહેરમાં જઈને મીર મારવાની ધુઆઁધાર કહાનીઓ જેટલી હિન્દી સિનેમામાંથી આવી છે, એટલી બીજા કોઈ વ્યવસાયમાંથી નથી આવી. ધર્મેન્દ્ર આવી જ એક ‘જવાંમર્દ’ વારતા છે, જે ફિલ્મ પત્રકાર રાજીવ વિજયકરના તાજા જીવનચારિત્ર્ય ‘ધર્મેન્દ્ર : નોટ જસ્ટ હી-મેન’માં વિસ્તારથી માંડવામાં આવી છે.  

નસરાલી ગામમાં ૮ ડિસેમ્બર, ૧૯૩૫માં એનો જન્મ. નજીકમાં ૧૭ હજારની વસ્તીવાળા સાહનેવાલ ગામમાં પિતા કેવલ કિશન સિંહ સ્કૂલના ટીચર. માતા સતવંત કૌર ગૃહિણી. ધરમ લાલ્ટન કાલન ગામની સેકન્ડરી સરકારી સ્કૂલમાં પ્રાથમિક અને ફગવારાની રામગઢિયા કોલેજમાં ઇન્ટરમીડીએટ ભણેલો. હિન્દુસ્તાનનાં લાખો ગામડિયા છોકરાઓને જેમ ફિલ્મ સ્ટાર બનવાની ખ્વાહીશ હોય છે, એમ ધરમને પણ ‘શહીદ’ ફિલ્મ જોયા પછી ફિલ્મો અને ફિલ્મી સામયિકોનો ચસ્કો લાગી ગયો હતો અને દિલીપ કુમાર, રાજ કપૂર, નરગીસ, મધુબાલા અને વૈજયન્તીમાલાના મુંબઈમાં જવું હતું. 

તે સમયના અનેક છોકરાના પિતાઓની જેમ ધરમના પિતાને પણ આ સિનેમાના કામનો ભરોસો ન હતો. માતાને ધરમની વાતમાં સહાનુભૂતિ. દરેક છોકરાની મા પણ આવી જ હોય છે – એનો લાડ સિનેમાના પડદે આવે એવી ઇચ્છા એ પણ દિલમાં દબાવીને બેઠી હોય. 

એ દરેક છોકરાનું નજીકમાં એક શહેર પણ હોય, જ્યાં દોસ્તો સાથે એ સિનેમા જોવા જાય. ધરમનું લુધિયાણા હતું, જ્યાં એ સિનેમા હોલમાં જઈને ખુદને પડદા પર કલ્પના કરતો. આ છોકરામાંથી ઘણા પરણી પણ ગયા હોય. ધરમને પણ ૧૯માં વર્ષે પ્રકાશ કૌર સાથે પરણાવી દેવામાં આવ્યો હતો. પિતાએ એટલા માટે જ નાની ઉંમરે ધરમને પરણાવી દીધો હતો કારણ કે તેમને તેની ફિલ્મ સ્ટાર બનવાની ઇચ્છાની અને ફિલ્મી દુનિયાની અનિશ્ચિતતાઓની ખબર હતી. ૩૫ વર્ષ પછી ધરમે હેમા માલિની સાથે બીજા લગ્ન કર્યા, ત્યારે એ હિન્દી સિનેમાનો હી-મેન સ્ટાર ધર્મેન્દ્ર હતો. 

ગામડામાંની ઉબડખાબડ જમીનમાંથી મુંબઈ આવતા લાખો છોકરાઓમાંથી, બધાના ઘોડા માયાનગરીની આસ્ફાલ્ટની સડકો પર સડસડાટ દોડતા નથી. ઘણાના ગડથોલિયાં ખાઈ જાય છે. ધર્મેન્દ્ર એમાંથી બચી ગયો, અને એટલે જ એ ‘જવાંમર્દ’ સ્ટારડમ સુધી પહોંચ્યો. એનો પહેલો જ અકસ્માત મીના કુમારી. 

રાજીવ વિજયકરના પુસ્તકમાં ધર્મેન્દ્રના જીવનનો આ હિસ્સો રસપ્રદ છે, જે આમ પણ બહુ જ વગોવાયેલો છે. ‘વગોવાયેલો’ એ અર્થમાં કે, ટ્રેજેડી-ક્વીન પ્રત્યેની સહાનુભૂતિ કહો કે પછી ‘પુરુષો તો આવા જ હોય’વાળી માનસિકતા કહો, એવી એક લોકપ્રિય માન્યતા છે કે ધર્મેન્દ્રએ, વ્યવસાયિક અને અંગત રીતે, મીનાનો ઉપયોગ કર્યો હતો. આ પુસ્તક એનો છેદ ઉડાડે છે. 

‘પૂર્ણિમા’ (૧૯૬૫) મીના સાથેની ધર્મેન્દ્રની પહેલી ફિલ્મ. એ નર્વસ હતો કારણ એ નવો હતો. મીના એકદમ ટોચની સ્ટાર. એણે કોઈ દોસ્તને પૂછ્યું પણ હતું કે, “મીના કેવી છે?” પેલાએ એને વધારે ગભરાવ્યો,”એ તો નજર ફેરવીને, હોઠોને કે સંવાદને ટ્વીસ્ટ કરીને તને મ્હાત કરી દેશે.” સલાહ પણ આપી કે મીના સામે આવે તો ચરણસ્પર્શ કરજે. 

ચાંદીવલી સ્ટુડીઓમાં ધરમ પૂરા સન્માન, નમ્રતા અને શિષ્યભાવથી મીનાને મળેલો. પગે લાગ્યો કે નહીં, એ ખબર નથી પણ મીનાએ એવું જરૂર કહેલું કે, “એ લડકા આગે જાયેગા. એ રૂટીન એન્ટ્રી નહીં હૈ.” મીનાને એ વખતે સ્થિર અને સમર્પિત વ્યક્તિની જરૂર હતી. યુવાન ધર્મેન્દ્ર ખરા વખતે જ મળ્યો હતો.

અંગત જીવનમાં સંબંધો અને શરાબની અનેક તકલીફોમાંથી પસાર થઇ રહેલી મીના, શોહરત અને સફળતાની ટોચ પરથી નીચે ગબડી રહી હતી અને ધર્મેન્દ્ર ઉપર ચઢી રહ્યો હતો. વચ્ચે બંનેનો ભેટો થઇ ગયો. મીના ફૂલની જેમ નાજૂક અને કરમાયેલી હતી. ધર્મેદ્ર જીવનની કરુણતાઓથી અછૂતો હતો. મીના કુમારીને જે પ્રેમની તલાશ હતી તે જીવનમાં મળ્યો નહોતો, પરંતુ ધર્મેન્દ્રના રૂપમાં તેને એક એવો સહારો મળ્યો હતો, જેના ટેકે તેને સારું લાગતું હતું. 

૧૯૬૬માં ‘ફૂલ ઔર પથ્થર’માં બંનેની કહાની ભેગી થઇ ગઈ હતી. ફિલ્મમાં વિધવા અને બીમાર દેવી તરછોડાયેલી હતી. તેને સહારાની જરૂર હતી અને તારણહારના રૂપમાં તેને એક ચોર શાકા ભટકાઈ ગયો હતો. આ એ ફિલ્મ હતી, જ્યાંથી ધર્મેન્દ્રની ‘હી-મેન’ ઈમેજ બની. 

ધર્મેન્દ્રએ આગળ વધવા મીનાનો સહારો લીધો એવી ગોસિપ એટલા માટે ખોટી છે કે કારણ કે ‘પૂર્ણિમા’ પછી પાછળ પાછળ જ ‘ મૈં લડકી હું,’ ‘કાજલ’ અને ‘ફૂલ ઔર પથ્થર’ ફિલ્મો આવી હતી. બધી જ ફિલ્મોએ ધૂમ મચાવી હતી. એમાં ધર્મેન્દ્ર ટોપ બ્રેકેટમાં આવી ગયો હતો. એ પછી આવેલી બીજી ત્રણ ફિલ્મો ચંદન કા પાલના,’ ‘મજલી દીદી’ અને ‘બહારોં કી મંજિલ’ પીટાઈ ગઈ. 

‘ફૂલ ઔર પથ્થર’ ધરમના કામ અને જવાંમર્દ દેખાવના કારણે હીટ ગયેલી. ‘મૈં લડકી હું’ વાળા મોટા ગજાના એ.વી.એમ. પ્રોડક્શન કે ‘ફૂલઔર પથ્થર’ વાળા ઓ.પી. રાલ્હન કે ‘મજલી દીદી’ વાળા ઋષિકેશ મુખરજી મીના કુમારીના કહેવાથી ધરમને કામ આપે એવા ન હતા. ધર્મેન્દ્રને બહુ ઝડપથી ઉડવાનું મળ્યું હતું, અને તેણે કૌવત પણ એવું જ બતાવ્યું હતું.

કેવો યોગાનુયોગ કહેવાય કે ધરમ લુધિયાણામાં ભણતો હતો અને રેલવે સ્ટોલ પરથી ફિલ્મફેર સામયિક ખરીદતો હતો, ત્યારે ૨૫ ઓક્ટોબર, ૧૯૫૭ના અંકમાં કવર પેજ પર સૌન્દર્યમૂર્તિ મીના કુમારીનો ફોટો હતો અને અંદર એક્ટરો માટે ‘ઓલ ઇન્ડિયા ટેલેન્ટ કોન્ટેસ્ટ’ની જાહેર ખબર હતી! કોન્ટેસ્ટમાં ફિલ્મકાર બિમલ રોય અને ગુરુ દત્ત જજ હતા. 

ધરમની માતાની છુપી પ્રાર્થના ભગવાને સાંભળી હોય તેમ માતાએ તેને સરળ રીતે કહ્યું – તું દેખાવડો છે, ફોર્મ ભરીને મોકલ, તને બોલાવશે! માલેર કોટલામાં રહેતા તેના એક ફોટોગ્રાફર મિત્ર જાન મહોમ્મદે ધરમના સરસ ફોટા પાડી આપ્યા હતા. ફોટા સાથે તેણે ફોર્મ ભરીને ફિલ્મફેરમાં મોકલી આપ્યું. બે મહિના પછી કાગળ આવ્યો – મુંબઈ આવો. 

પિતા અને એક મિત્રએ ભારે હૃદય સાથે લુધિયાણા રેલવે સ્ટેશન પર ધરમને ફ્રન્ટીઅર મેઈલમાં વિદાઈ આપી હતી. મુંબઈમાં ફિલ્મફેરની એ કોન્ટેસ્ટમાં ભારતમાંથી અનેક યુવાઓ આવ્યા હતા. તેમાંથી અંતિમ રાઉન્ડમાં પાંચની પસંદગી થઇ : સુરેશ પૂરી, નિમ્મા જયસિંઘાની, આશા રાની, ઈવા અને ધરમ દેઓલ. 

મુંબઈના તારદેવમાં સેન્ટ્રલ સ્ટુડીઓમાં પાંચેનું ઓડિશન થયું. ગુરુ દત્તના મિત્ર અને લેખક અબ્રાર અલ્વીએ એ ટેસ્ટ લીધો. બિમલ રોય ત્યારે ‘બંદિની’ ફિલ્મ બનાવી રહ્યા હતા. તેમણે ધરમને કહ્યું કે હું તને બોલાવીશ, અત્યારે પાછો ઘરે જા. મુંબઈમાં સાત દિવસ અને એક મૌખિક ખાતરી પછી ધરમ ગામ પાછો આવ્યો.

એ પછી, ફિલ્માલય સ્ટુડીઓના માલિક શસધર મુખર્જી માટે એક સ્ક્રીન ટેસ્ટ માટે ધરમ પાછો મુંબઈ ગયો. એ ફિલ્મ તો ન મળી અને બીજા બે વર્ષ સુધી તે સ્ટુડીઓ અને નિર્માતાઓનાં ચક્કર કાપતો રહ્યો. એ વખતે, ભારતની પહેલી સિંધી ફિલ્મ બનાવનારા અર્જુન હિંગોરાની એક હિન્દી ફિલ્મનું આયોજન કરી રહ્યા હતા. તે એકવાર બસમાં ધરમને ભેગા થઇ ગયા. ધરમ કામ માટે વધુ એક ચક્કર મારવા જતો હતો. હિંગોરાનીએ ત્યારે ધરમને કહ્યું હતું કે તેમના નિર્માતા, ટી.એમ. બિહારી, માનશે તો તે ચોક્કસ તેમની ફિલ્મમાં લેશે. 

બિહારીએ ‘ફિલ્મફેર’ના એડિટર એલ.પી. રાવને ફોન કર્યો અને આ નવા છોકરા વિશે પૂછ્યું. રાવે પણ ધરમની જોરથી ભલામણ કરી. તે વખતે ધરમ તેના ગામની છોકરી અને તેની ધરમની બહેન સાથે માટુંગા રેલવે ક્વાટર્સમાં રહેતો હતો અને પાછો ગામ જતો રહેવાની તૈયારીમાં હતો. મનોજ કુમાર પણ ત્યારે સંઘર્ષરત હતા અને ધરમના દોસ્ત હતા. તેમણે માટુંગાના ઘરે જઈને ધરમને ફિલ્મકાર રમેશ સાઈગલ માટે કામ કરતા રાજ ગ્રોવરને મળવા મનાવ્યો. ગ્રોવરે ધરમને સાઈગલને મળાવ્યો. સાઈગલ એ વખતે ‘ફિર સુબહ હોગી’ ફિલ્મ માટે હીરોની તલાશમાં હતા. 

એ પછી પાંચ સાધારણ ફિલ્મો આવીને ગઈ, પણ અસલી જાદુ આવ્યો 1963માં ‘બંદિની’ ફિલ્મમાં. ફિલ્મ આમ તો હિરોઈન (નૂતન) કેન્દ્રિત હતી, પણ તે વર્ષની એ સૌથી હિટ સાબિત થઇ. એ ધરમની ધર્મેન્દ્ર બનવાની શરૂઆત હતી.

(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 19 નવેમ્બર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

પ્રજ્ઞાચક્ષુ (અંધ) મહિલાઓની ક્રિકેટ ટીમ T20 World Cup જીતી

સંકલન : સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|24 November 2025

ભારતની પ્રજ્ઞાચક્ષુ (અંધ) મહિલાઓની ક્રિકેટ ટીમે રવિવારે (23 નવેમ્બર) T20 World Cupમાં વિશ્વવિજેત્રી બનીને ઇતિહાસ સર્જ્યો છે. તેણે ફાઇનલમાં નેપાળની ટીમને સાત વિકેટે હરાવી. કપ્તાન દીપિકાએ શનિવારે કહ્યું હતું : ‘We want to make it a double this month.’

આ જીત એટલા માટે પણ મહત્ત્વની છે કે આપણા દેશના સમાજનો મોટો હિસ્સો દૃષ્ટિની (કે કોઈપણ પ્રકારની શારિરીક કે માનસિક) ઊણપ ધરાવનારી વ્યક્તિઓ તરફ સહજસાધ્ય હોય તો અહંપોષક દયાનું, અન્યથા ઉપેક્ષા-નિષ્ક્રિયતાનું વલણ ધરાવે છે.

તેનો આ વર્લ્ડ કપ બિલકુલ તરતનો દાખલો છે – ચાર વાગ્યાના સુમારે આપણે વર્લ્ડ કપ જીત્યા. તે દરમિયાન, તેના પહેલાં અને તરત પછી, માધ્યમોમાં તેનું કવરેજ તો લગભગ ન હતું; અને આવી ઇવેન્ટ બની રહી છે, હોય છે, તેની ખબર પણ કેટલાક લોકોને હતી ? સોમવાર અને તે પછીનું કવરેજ જોતા રહીએ !

પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ પ્લાસ્ટિકના બનેલા અને અંદર નાખેલા છરાને કારણે અવાજ કરનારા સફેદ દડાથી અન્ડરઆર્મ બૉલિંગથી રમે છે.

દુનિયામાં સહુ પહેલી વાર યોજાયેલા T20 World Cupની ફાઇનલ રવિવાર 23 નવેમ્બરની બપોરે શ્રીલંકાના કોલંબોમાં રમાઈ હતી.

ભારતની ટીમે પહેલી બૉલિન્ગ પસંદ કરીને નેપાળની ટીમને વીસ ઓવરમાં પાંચ વિકેટ ખેરવીને 114 રનમાં અટકાવી દીધી. ભારતે આ લક્ષ્ય માત્ર 12.5 ઓવરમાં ત્રણ વિકેટે હાંસલ કર્યું.

ભારતીય ખેલાડીઓની મોટી સિદ્ધિ એ પણ છે કે તેણે શ્રેણીમાં ભાગ લેનાર દરેક ટીમને હરાવી છે. તેમણે પહેલાં શ્રીલંકા, ઑસ્ટ્રેલિયા, નેપાળ, યુનાઈટેડ સ્ટેટ્સ અને પાકિસ્તાનની ટીમોને પરાસ્ત કરી. ત્યાર બાદ આપણી ટીમે સેમિ-ફાયનલમાં ઑસ્ટ્રેલિયા પર નવ વિકેટે જીત મેળવી, જ્યારે નેપાળે સેમિ-ફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યું.

ભારત અને શ્રીલંકાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા, અંધ મહિલાઓ માટેનો આ સહુ પ્રથમ T20 World Cup, 11 નવેમ્બરે નવી દિલ્હીમાં શરૂ થયો, અને તેની મૅચો બંગલુરુ અને કોલમ્બોમાં પણ રમાઈ.

ખેલાડીઓને ત્રણ વર્ગમાં વહેંચવામાં આવે છે. B1 વર્ગમાં fully blind એટલે કે પૂર્ણ અંધ અને B2, B3માં અંધાપાના પ્રમાણ મુજબના partially blind એટલે આંશિક અંધ ખેલાડીઓનો સમાવેશ થાય છે. B1 બૅટર રન લેવા માટે રનર રાખી શકે છે અને દોડીને કરેલા દરેક રન માટે સ્કોરમાં બે રન ગણવામાં આવે છે.

ભારતની પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ ગામડાં કે કસબાની છે, તે મોટે ભાગે ખેતી પર આધારિત કુટુંબોની છે અને છાત્રાલયોમાં રહીને ભણતર સાથે હજુ ગયાં બે-ત્રણ વર્ષમાં જ ક્રિકેટ રમતી થઈ છે. ઘણી ખેલાડીઓને ક્રિકેટ રમતી થઈ તેનો યશ શાળાનાં શિક્ષકો, સંસ્થાઓ અને રમતશિબિરોને આપી શકાય.

ખેલાડીઓ આ મુજબના રાજ્યોમાંથી આવે છે : આસામ, આંધ્ર પ્રદેશ, ઓડીશા, કર્ણાટક, જમ્મુ-કાશ્મીર, દિલ્હી, બિહાર, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન. ટીમ મૅનેજર શિખા શેટ્ટી માહિતી આપે છે કે મોટા ભાગની ખેલાડીઓ ગ્રામીણ વિસ્તારોની છે. ઘણાં પરિવારો દીકરીઓનું રમતગમતમાં ભાગ લેવાનું પસંદ કરતા નથી. તદુપરાંત, પ્રજ્ઞાચક્ષુઓને બ્લાઈન્ડ ક્રિકેટના પાયાના નિયમો શીખવાડતા પણ સમય લાગે છે.

ટીમની કૅપ્ટન કર્ણાટકની દીપિકા ટી.સી. છે કે બાળપણમાં એક અકસ્માતમાં તેણે આંખો ગુમાવી હતી. ખેડૂત કુટુંબની આ દીકરી વિશેષક્ષમ બાળકો માટેની શાળામાં ભણી. ત્યાં તેને રમતગમતની બાબતે શરૂઆતમાં ખચકાટ હતો, પણ શિક્ષકોએ ધીરજ ન છોડી. પછી છેક ઉપલા તબક્કે જેમિમા રૉડરિગ્સ અને શુભમન ગિલે માર્ગદર્શન આપ્યું.

દીપિકાએ શનિવારે BBCને કહ્યું હતું : ‘This is the biggest moment of my and my team’s life. Earlier this month, the sighted Indian women’s cricket team won the World Cup in Navi Mumbai, and we want to make it a double this month.’

વાઇસ-કૅપ્ટન ગંગા કદમ મહારાષ્ટ્રની છે અને નવ ભાઈ-બહેનોમાંની એક છે. ખેડૂત પિતાએ તેને અંધશાળામાં મૂકી. ત્યાં તેને તદ્દન અમસ્તી જ ક્રિકેટ રમતી જોઈને સૂઝવાળા એક શિક્ષકે ક્રિકેટને ગંભીરતાથી લેવાનું તેને શીખવ્યું. તેની ગતિ ધીમી પણ મક્કમ હતી. અત્યારે ગંગા તેના પંથકની વિશેષક્ષમ છોકરીઓને રમતગમત તરફ દોરે છે.

જમ્મુ-કાશ્મીરની અનેખા દેવી જન્મજાત આંશિક દૃષ્ટિ ધરાવે છે. એવી જ ક્ષમતા ધરાવતા તેના કાકાએ અનેખાને શિક્ષણ પૂરું થયા બાદ દિલ્હીની એક તાલીમ શિબિરમાં મોકલી. ત્યાં શરૂઆતમાં તેણે અપાર મુશ્કેલી અને મૂંઝવણ અનુભવી. જો કે બે વર્ષ બાદ આખરે દેશની ટીમમાં સ્થાન પામી. તે ઇચ્છે છે કે તેને કોઈ રોલ-મૉડેલ મળી ન હતી, અને આ અભાવ બીજા માટે ખુદના થકી દૂર થાય.

ફુલા સરેન ઓડિશાના આદિવાસી સમુદાયની છે. અઢાર વર્ષની ફુલાએ પાંચ વર્ષની ઉંમરે આંખો અને મા બંને ગુમાવી. અંધશાળાના એક શિક્ષક થકી તે ક્રિકેટમાં પ્રવેશી. રમવાની મંજૂરી માટે પરિવારને સમજાવવો અને મૅચો માટે મુસાફરી કરવી બંનેમાં તેને પડકારોનો સામનો કર્યો. જે ટીમોમાં હતી તે ટીમોની જીત કરતાં દેશની ટીમમાં એને સ્થાન મળ્યું તેનું ફુલાને વધુ ગૌરવ છે.

મધ્ય પ્રદેશની સુનીતા સરાઠે શાળામાં ક્રિકેટ રમતી ન હતી, કૉલેજ પૂરી કર્યા પછી તે નોકરીઓ શોધતી હતી, તે દરમિયાન એક બહેનપણીના સૂચનને પગલે તે અંધજનો માટેના ક્રિકેટ કૅમ્પમાં જોડાઈ. આ રમત તેને ‘ઝડપી અને અટપટી’ લાગી, છતાં તે આમાં મોડી જોડાઈ હતી એટલે વધુ તાકાત લગાવીને તૈયાર થઈ અને સહુથી ભરોસાપાત્ર ફીલ્ડર બની.

પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટે 1996 સ્થપાયેલા World Blind Cricket Council(WBCC)નું મુખ્ય મથક લંડનમાં છે. તેમાં પચાસ ઓવરનો વર્લ્ડ કપ 1998માં, પહેલો T20 World Cup 2012માં અને હવે મહિલાઓ માટે T20 World Cup રમાયો.

ભારતમાં Cricket Association for the Blind in India (CABI)2011માં સ્થપાયું. તે મહિલા ક્રિકેટ માટે 2019માં સક્રિય બન્યું. મહિલા ટીમ 2023માં આંતરરાષ્ટ્રીય મૅચ રમી અને એ જ વર્ષે બર્મિન્ગહામ ખાતે IBSA World Gamesમાં સુવર્ણ ચન્દ્રક પણ લાવી.

CABIના વડા મહન્તેશે જણાવ્યું કે સંસ્થાને એમ થતું હતું કે પ્રજ્ઞાચક્ષુ મહિલા ખેલાડીઓને પણ પુરુષો જેટલી જ તક મળવી જોઈએ. તેમણે એ પણ માહિતી આપી કે, ‘ટુર્નામેન્ટ યોજવાનું બહુ જ કપરું હતું, પણ અમે કોશિશો ચાલુ જ રાખી. હવે બધેથી ટેકો મળવા લાગ્યો છે – રાજ્ય સરકારો અને કેન્દ્ર, સ્પોન્સર્સ, કૉર્પોરેટ વર્લ્ડ અને લોકો બધાં નોંધપાત્ર રસ લઈ રહ્યાં છે. ભવિષ્ય ઘણું ઊજળું છે.’ 

[કોલાજ સૌજન્ય : સંજના, પ્રાજક્તા]
24 નવેમ્બર 2025
e.mail : sanjaysbhave@yahoo.com

Loading

...10...14151617...203040...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved