Opinion Magazine
Number of visits: 9459037
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—135

દીપક મહેતા|Opinion - Opinion|5 March 2022

બોમ્બેનો એકમાત્ર બોલ ટાવર જોયો છે?

પોર્તુગીઝ ચર્ચના ઘંટ હિંદુ મંદિરોમાં કઈ રીતે પહોંચ્યા?

તમે બોમ્બેનો બોલ ટાવર જોયો છે? આપણા આખા દેશમાં માત્ર બે જ બોલ ટાવર છે અને તેમાંનો એક આપણી આ મુંબઈ નગરીમાં છે. અને એ આવેલો છે પ્રિન્સિસ ડોક ખાતે, જેનું હાલનું નામ છે ઇન્દિરા ડોક. આવા બોલ ટાવર હંમેશાં દરિયા કિનારે જ બાંધેલા હોય છે. કારણ એક જમાનામાં વહાણો અને જહાજો માટે એ ખૂબ ઉપયોગી હતા. આજે તો સ્ટીમર કે વિમાનમાં ચાલક પાસે ચોક્કસ ટાઈમ જાણવા માટે બહુ સોફેસ્ટિકેટેડ સાધનો હોય છે. અને મારા-તમારા જેવા પણ હવે રિસ્ટ વોચ વગર ફરે છે, કારણ મોબાઈલ સતત સાચો ટાઈમ બતાવવાનું કામ પણ કરે છે. પણ એ વખતે દરિયાઈ સફર વખતે ચોક્કસ ટાઈમ જાણવાનું ખૂબ જરૂરી હોવા છતાં એ માટે આજના જેવું કોઈ સાધન નહોતું.

કોલાબા વેધશાળા, બંધાઈ ત્યારે

એ ખોટ પૂરી કરવા બંધાયા બોલ ટાવર. દરિયા કિનારે ઠીક ઠીક ઊંચો ટાવર. તેના પર આજે ઝંડો ફરકાવવા માટે હોય છે તેવી કાઠી. તેના પર એક મોટો ગોળો કહેતાં બોલ, મોટે ભાગે લાલ રંગનો. ઝંડો ફરકાવવા માટે જેમ ગરગડીની વ્યવસ્થા હોય છે તેમ અહીં બોલને ઉપર-નીચે લઈ જવા માટે વધુ વિકસિત સગવડ. આ લાલ બોલને ૨૪ કલાકમાં ફક્ત એક જ વખત ઉપર ચડાવવામાં આવે : બપોરે એક વાગે (અમેરિકામાં બપોરે બાર વાગે). એક વાગવામાં પાંચ મિનિટ બાકી હોય ત્યારે બોલને અડધી કાઠી સુધી ઉપર ચડાવવામાં આવે. બારામાં ઊભેલાં બધાં જહાજોના કેપ્ટનની નજર એ બોલ પર ખોડાયેલી હોય. અઢી મિનિટ પછી બોલને કાઠી પર પૂરેપૂરો ઉપર ચડાવાય. અને બરાબર એક વાગે ધડામ દઈને બોલ કાઠીની નીચે. એ જ ઘડીએ વહાણોના કેપ્ટન પોતપોતાના મરીન ક્રોનોમિટરમાં બપોરના એક વાગ્યાનો ટાઈમ ગોઠવી દે.

આ બોલ ટાવરનો વિચાર આવ્યો ગ્રેટ બ્રિટનના રોયલ નેવીના કેપ્ટન રોબર્ટ વોચોપને. દુનિયાનો પહેલો બોલ ટાવર તેણે પોતે જ બ્રિટનના પોર્ટસમાઉથ ખાતે ઊભો કર્યો. એ પછી માત્ર બ્રિટનમાં જ નહિ, પણ તેની હકૂમત નીચેના દેશોમાં પણ ઝડપથી બોલ ટાવર બંધાવા લાગ્યા. લંડનની ગ્રીનવિચ ઓબ્ઝર્વેટરી ખાતે ૧૮૩૩માં બોલ ટાવર ઊભો કરવામાં આવ્યો. બ્રિટિશ પ્રજા પોતાની પરંપરાઓને બહુ ચુસ્ત રીતે વળગી રહે છે. આજે હવે કોઈ વહાણ ટાઈમ બોલને જોઈને પોતાની ઘડિયાળમાં ટાઈમ એડજસ્ટ કરતું નથી. છતાં આજે પણ રોજ બપોરે એક વાગે ગ્રીનવિચ બોલ ટાવર પરના બોલને નીચે ઉતારવામાં આવે છે.

મુંબઈનો એકમાત્ર બોલ ટાવર, ઇન્દિરા ડોક

અમેરિકામાં પહેલો બોલ ટાવર ૧૮૪૫માં કામ કરતો થયો. પણ મુંબઈમાં તે પહેલાં દેશનો પહેલો બોલ ટાવર કામ કરતો થઈ ગયો હતો. આજે પણ જે કાર્યરત છે તે કોલાબા વેધશાળાની સ્થાપના છેક ૧૮૨૬માં થઈ હતી. અને તેની ઈમારત પર ૧૮૪૦માં દેશનો પહેલો બોલ ટાવર ઊભો કરવામાં આવ્યો હતો. એ વખતે આકાશી ગ્રહ-નક્ષત્રો, સૂર્ય-ચંદ્ર વગેરેનાં સ્થાનને આધારે વેધશાળા ચોક્કસ સમય નક્કી કરતી અને બોલ ટાવરની મદદથી વહાણોને તે જણાવતી. ૧૮૬૫માં આ બોલ ટાવરને બોમ્બે કાસલ ફ્લેગ સ્ટાફ ટાવર ખાતે ખસેડવામાં આવ્યો. આ બોમ્બે કાસલ એટલે આજના આઈ.એન.એસ. આંગ્રેનો વિસ્તાર. અને ૧૮૯૧માં મુંબઈનો બીજો બોલ ટાવર બંધાયો પ્રિન્સિસ ડોક ખાતે. એને કારણે સ્થાનિક લોકો આ ડોકને ‘ઘડિયાળ ગોદી’ તરીકે ઓળખાતા થયા. બીજા ઘણા બોલ ટાવરની જેમ વખત જતાં આ ટાવર પર પણ મોટા ડાયલવાળી ઘડિયાળ મૂકવામાં આવી છે. આજે તો હવે મુંબઈનો આ એકમાત્ર બોલ ટાવર બિસમાર હાલતમાં છે. વળી સમગ્ર ડોક એરિયા ‘પ્રતિબંધિત ક્ષેત્ર’ હોવાથી આમ આદમી માટે ત્યાં જવાનું શક્ય નથી.

ટાવરનો બીજો પ્રકાર તે બેલ ટાવર. મિનારા પર અથવા ઈમારતના સૌથી ઊંચા સ્થાને ઘંટ મૂકવામાં આવ્યો હોય તે બેલ ટાવર. હિન્દીમાં તેને ઘંટાઘર કહે છે. આવા ટાવર સૌથી વધુ ચર્ચમાં જોવા મળે છે. પ્રાર્થનાના સમયની શ્રદ્ધાળુઓને જાણ કરવા માટે નિયત સમયે ચર્ચનો ઘંટ વાગે. ઉપરાંત, લગ્નવિધિ ચર્ચમાં થતી હોય તે વખતે, કોઈનું અવસાન થાય ત્યારે, અને ૩૧મી ડિસેમ્બરની મધરાતે નવા વરસને વધાવવા ઘંટ વાગે. આ દરેક વખતે ઘંટ અમુક ચોક્કસ રીતે વાગે એટલે તે શા માટે વાગી રહ્યો છે તે શ્રદ્ધાળુઓ સમજી જાય. હોર્નિમન સર્કલ પર આવેલા અને ખૂબ જાણીતા એવા સેન્ટ થોમસ ચર્ચનો ઘંટારવ આજે પણ દૂર સુધી સંભળાય છે.

પણ ચર્ચના ઘંટ અંગે એક ખાસ વાત માત્ર મહારાષ્ટ્રમાં જ જોવા મળે છે. આપણે જાણીએ છીએ કે અંગ્રેજો પહેલાં મુંબઈ અને તેની આસપાસનો ઘણો પ્રદેશ પોર્ટુગીઝ હકૂમત હેઠળ હતો. પોર્ટુગીઝોએ ઘણાં ચર્ચ બાંધેલાં અને તે દરેકમાં ઘંટ હતા. મુંબઈમાં દાદર, ગિરગામ જેવી કેટલીક જગ્યાએ પોર્ટુગીઝ ચર્ચ આજે પણ છે. પણ મુંબઈની બહાર વસઈ, ઠાણે, અને બીજા પ્રદેશોમાંનાં પોર્ટુગીઝ ચર્ચ આજે ખંડિયેર બની ગયાં છે. પણ આજે તેમાં ઘંટ જોવા મળતા નથી. કેમ? પહેલાં તો માની લીધેલું કે નધણિયાતા ખંડેરોમાંથી ઘંટ ચોરાઈ ગયા હશે. પણ ના. એમાંના ઘણા ઘંટ આજે મહારાષ્ટ્રના કોઈ ને કોઈ હિંદુ મંદિરમાં જોવા મળે છે! જો કે કેટલાક મંદિર એ ઘંટ વાપરતા નથી, માત્ર લટકાવી રાખે છે.

એમ કેમ? કારણ ખ્રિસ્તી ચર્ચ અને હિંદુ મંદિર, બંનેમાં ઘંટનો ઉપયોગ જુદી રીતે થાય છે. ચર્ચમાં તેનો ઉપયોગ આસપાસના શ્રદ્ધાળુઓને સંદેશો પહોંચાડવા માટે થાય છે. જ્યારે મંદિરોમાં આરતી ટાણે, આરતીના ભાગ રૂપે, ઘંટારવ થાય છે. એ ઉપરાંત ભક્તો આવતાં-જતાં ઘંટ વગાડે છે. એટલે ચર્ચના ઘંટ ઘણા મોટા હોય છે જેથી અવાજ પડઘાય અને દૂર સુધી જાય. તેની જીભ પણ એવી રીતે બનાવેલી હોય છે કે બને તેટલો મોટો અવાજ થાય. જ્યારે મંદિરના ઘંટમાં બહુ મોટો અવાજ જરૂરી નથી. કારણ મંદિર બહાર કોઈને સંદેશો મોકલવાનો નથી. આરતી વખતે નગારાં, ઝાંઝ, પખાજ વગેરેનો ઉપયોગ પણ ઘણાં મંદિરમાં થાય છે. ત્યારે એનો અવાજ દબાઈ જાય એટલો મોટો ઘંટનો અવાજ ન હોવો જોઈએ. એટલે કેટલાંક મંદિરોમાં ઘંટની જીભ કાઢી અથવા બાંધી દેવામાં આવે છે, જેથી કોઈ એ ઘંટ વગાડે નહિ. પણ આગુ સે ચલી આઈ હૈ એ ન્યાયે ઘંટ મંદિરમાં બંધાયેલો રહે છે.

નાશિકના મંદિરમાં પોર્ટુગીઝ ચર્ચનો ઘંટ

ચર્ચના ઘંટ મંદિરમાં કઈ રીતે પહોંચ્યા એનો પણ રસિક ઇતિહાસ છે. એક શબ્દમાં કહેવું હોય તો એનું કારણ છે યુદ્ધ. ૧૭૩૭ના માર્ચની ૨૮ તારીખથી ૧૭૩૯ના મે મહિનાની ૨૩મી તારીખ સુધી ચાલેલું પોર્ટુગીઝો અને મરાઠા વચ્ચેનું યુદ્ધ. બાજીરાવ પેશ્વાના નાના ભાઈ ચીમાજી આપ્પાની સરદારી નીચે મરાઠા સેનાએ વસઈ અને તેની આસપાસના પ્રદેશ પર આક્રમણ કર્યું, અને અંતે પોર્ટુગીઝ હાર્યા. પોતાનાં કિલ્લા, ચર્ચ, કોઠી (ઓફિસ) વગેરે રેઢાં મૂકીને પોર્ટુગીઝ ભાગ્યા. એ વખતે ચૌલ, વસઈ, દહાણુ, પાલઘર, દમણ, સાલસેટ, મુંબઈમાં બધું મળીને લગભગ ૧૦૦ પોર્ટુગીઝ ચર્ચ હતાં. તેમાંના કેટલાક ચર્ચના ઘંટ કઢાવીને પોતાના સૈન્યના સરદારોને વિજયની ખુશાલીમાં ચીમાજીએ ભેટ આપ્યા! પણ આવી મસ મોટી, ભારે, ભેટ ઘરમાં તો સાચવવી મુશ્કેલ. એટલે સરદારોએ એ ઘંટ પોતાના વિસ્તારના કોઈ ને કોઈ મંદિરને ભેટ આપી દીધા! નાશિકના રામેશ્વર મંદિરમાં, ઓસ્માનાબાદના તુળજાભવાની મંદિરમાં, પૂણેના ભીમાશંકર મંદિરમાં, કોલ્હાપુરના મહાલક્ષ્મી મંદિરમાં, આજે પણ આવા ચર્ચના ઘંટ જોવા મળે છે.

સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ચીરા બજાર

પણ આ ઘંટ અગાઉ પોર્ટુગીઝ ચર્ચમાં હતા એમ ખાતરીપૂર્વક કઈ રીતે કહી શકાય? એક, એમાંના કેટલાક ઘંટ પર Made in Portugal કે Made in Goa એવું કોતર્યું છે. બીજું, ખ્રિસ્તી ધર્મના બે મુખ્ય ફાંટા છે, રોમન કેથલિક અને પ્રોટેસ્ટન્ટ. તેમાં રોમન કેથલિક સંપ્રદાયમાં મધર મેરી પૂજાય છે, પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયમાં નહિ. એટલે કેથલિક સંપ્રદાયના ચર્ચના ઘંટ પર AM અક્ષરો કોતર્યા હોય છે, જે લેટિન Ave Mariaના સંક્ષેપાક્ષરો છે. જ્યારે પ્રોટેસ્ટન્ટ ચર્ચના ઘંટ પર IHS અક્ષરો કોતર્યા હોય છે જે ઈશુ ખ્રિસ્તના નામના સંક્ષેપાક્ષરો છે. આ ઉપરાંત ઘણાખરા ઘંટ પર ક્રોસ પણ કોતરેલો હોય છે. હવે, જો મંદિરના ઘંટ પર આમાંની કોઈ નિશાની હોય તો દેખીતું છે કે એ ઘંટ પહેલાં કોઈ પોર્ટુગીઝ ચર્ચમાં હતો. અને હા, આ યુદ્ધ પહેલાં જે ઘંટ વસઈના પોર્ટુગીઝ ચર્ચમાં હતા તેમાંનો એક ઘંટ મુંબઈમાં પણ જોવા મળે છે. ક્યાં? ગિરગામ રોડ પરના ચીરા બજાર વિસ્તારમાં ૧૮૭૨માં  બંધાયેલા  અને આજે પણ અડીખમ ઊભેલા સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર્સ ચર્ચમાં. પણ ૧૮૭૨ પહેલાં આ ઘંટ ક્યાં હતો, અને અહીં કેવી રીતે આવ્યો એ એક કોયડો છે. પણ એક રીતે તો આખી મુંબઈ નગરી જ કોયડાઓની નગરી છે ને!

પ્રીતમ લખલાણી

પ્રતિભાવ:

જિંદગી પણ કેવી છે? મુંબઈમાં જન્મ્યો અને અમેરિકા આવ્યો ત્યાં સુઘી ઘાટકોપરમાં જ રહ્યો/જીવ્યો. આજે અમેરિકામાં ૪૫ વરસ વીતી ગયા પછી પણ હું મુંબઈથી દૂર જઈ શકયો નથી. તમારો પ્રત્યેક લેખ વાચું છું અને જાણે મુંબઈમાં છું એમ વાંચતાં વાંચતાં પ્રત્યેક ક્ષણે જીવું છું, મેં માણેલું, જીવેલું મારું મુંબઈ. ખૂબ ખૂબ આભાર સાથે આવતા લેખની રાહ જોતો અરબી સમુદ્રનો છોરો … પ્રીતમ લખલાણી

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 05 માર્ચ 2022

Loading

રંગ ‘રશિયા’ હવે આટલેથી અટકો …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|4 March 2022

એ વખતે હિટલર એક જ હતો, ને આજે અનેક છે, એટલે યુદ્ધમાં અને યુદ્ધ વગર પણ અનેક નિર્દોષોના ભોગ લેવાય છે. યુદ્ધમાં તો મરનારના આંકડા હાથ લાગતા હશે, પણ યુદ્ધ વગર જે મરે છે તેની સંખ્યા યુદ્ધમાં મરતા લોકો કરતા વધી જતી હોય તો નવાઈ નહીં ! યુક્રેનના નાટોમાં જોડાવાની વાત માત્રથી રશિયાએ યુદ્ધ છેડી દીધું છે. નાટોમાં તો એ હજી જોડાયું પણ નથી, ત્યાં યુક્રેને ભીષણ યુદ્ધનો સામનો કરવાનો આવ્યો છે. અમેરિકા અને નાટો યુક્રેનને મદદ કરે છે, પણ લડવાનું તો તેણે જ છે. કિવ અને ખારકિવ મળીને આઠેક શહેરોને રશિયાએ તબાહ કરી દીધાં છે. આટલું ઓછું હોય તેમ તેણે ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત પરમાણુ શસ્ત્રો વડે કરવાની જાહેરાત પણ કરી દીધી છે. મીડિયા કોઈ ફિલ્મનાં દૃશ્યો બતાવતું હોય તેમ ભારે ઉત્સાહથી યુક્રેનનાં શહેરોનાં દૃશ્યો બતાવીને ફરજ બજાવી રહ્યું છે. આમાં મીડિયાની ભૂમિકા બહુ સંદિગ્ધ છે. તે જાણે કોઇની દલાલી કરતું હોય તેમ વર્તે છે.

યુદ્ધ ચાલે છે તેનો જાણે લાભ ઉઠાવતું હોય તેમ મીડિયા મોંઘવારી વધવાની આગાહી કરતું રહે છે. ખાસ કરીને પેટ્રોલના ભાવ લિટરે 30 રૂપિયા સુધી વધી જવાની વાત મીડિયા એ રીતે કરે છે કેમ જાણે સરકાર ભાવ વધારવાનું ભૂલી જવાની હોય ! આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ 110 ડોલર થયો છે તે યાદ અપાવીને મીડિયા કહેતું ફરે છે કે જોજો, હં ! ભાવ વધારવાનું ભુલાય નહીં ! મીડિયા નથી જાણતું કે દુનિયામાં ક્રૂડના ભાવ તળિયે હતા ત્યારે પણ ભારતમાં પેટ્રોલ-ડિઝલના ભાવ વધતા હતા? તો, દુનિયામાં ભાવ વધ્યા હોય ને સરકાર ભાવ વધારવાનું ભૂલી જાય એટલી ભોળી નથી.

એક તમાશો ચાલે છે, જાણે ! જેના પર વીતે છે તે સિવાયનું જગત તેમાં ભારે રસ લઈ રહ્યું છે. જગત આખાને યુક્રેન માટે સહાનુભૂતિ છે, પણ સહાનુભૂતિથી વિનાશ રોકાતા હોત તો જોઈતું જ શું હતું? અત્યારે તો કોઈ એવું નથી જે રશિયાને સંહારકની ભૂમિકામાંથી બહાર કાઢે. ગંધ તો એવી પણ આવે છે કે કહેવાતી મહાસત્તાઓ ઈચ્છે છે કે વિશ્વયુદ્ધ થાય. આમાં સૌથી ભૂંડી ભૂમિકા અમેરિકાની છે. તેનો કોઈ જ સીધો પ્રભાવ રશિયા પર પડતો જણાતો નથી. રશિયા પર પ્રતિબંધો મુકાયાં છે, પણ તેથી તે લાજવાને બદલે ગાજ્યું છે. પ્રતિબંધો પછીનું પહેલું રિએક્શન પરમાણુ હથિયારોના ઉપયોગનું આવ્યું છે અને ભૂલેચૂકે જો રશિયા પરમાણુ યુદ્ધ છેડે તો બીજાં રાષ્ટ્રો પણ કૈં દાંડિયા રાસ તો નહીં જ રમે, એ પણ પરમાણુ, પરમાણુના મણકા ફેરવશે જ ! એનાં પરિણામો દૂરગામી કે નજીકગામી નહીં જ હોય, કદાચ કહેવા-જોવા જેટલો સમય પણ કોની પાસે બચે, તે વિચારવાનું રહે. સાચું ખોટું તો ખબર નહીં, પણ એમ કહેવાય છે કે અનેક વખત આ પૃથ્વીનો સર્વનાશ કરી શકાય એટલાં પરમાણુ શસ્ત્રો જગતે વિકાસાવ્યાં છે ને તેમાંના થોડાનો પણ ઉપયોગ થાય તો કોઇની પાસે એટલું રડવાનો વખત પણ નહીં રહે કે આટલાં શસ્ત્રો તો ફાજલ જ પડી રહ્યાં, કારણ પૃથ્વી જ બચી નહીં હોય કે તેને બીજી વાર ખતમ કરવા અણુબોમ્બ નાખવો પડે ! એ સાચું લાગે છે કે ચોથું વિશ્વયુદ્ધ પથ્થરથી લડાશે, કારણ નવેસરથી જ શરૂ કરવું પડશેને બધું !

સાચું તો એ છે કે આપણને ટી.વી.માં દેખાય છે તે કોઈ ફિલ્મનાં દૃશ્યો જેવું લાગે છે, પણ એ ફિલ્મનું શૂટિંગ નથી, એમાં તૂટતી ઇમારતો ખરેખર તૂટે છે ને હજારો લોકો મર્યાં છે તે હકીકત છે. તે કૈં શૂટિંગ પૂરું થતાં ફરી કામે લાગવાના નથી. એ ઊઠવાના જ નથી, ‘ઊઠી ગયા’ છે. આખા વિશ્વે યુદ્ધની વિનાશકતા પ્રમાણવાની જરૂર છે, સાથે જ રશિયાથી ચેતવાની પણ જરૂર છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુદ્ધમાં વચ્ચે પડનાર કોઈ પણ દેશ સામે અણુશસ્ત્રોના ઉપયોગની ધમકી આપી છે. આટલું ઓછું હોય તેમ અમેરિકી પ્રમુખ બાઈડન એ જ જૂનો રાગ આલાપે છે કે રશિયન પ્રમુખે કોઈ પણ ઉશ્કેરણી વિના યુક્રેન પર આક્રમણ કર્યું છે તે બદલ તેણે કિંમત ચૂકવવી પડશે. આવું બોલવાથી રશિયન પ્રમુખનું તો કૈં બગડતું નથી, પણ યુદ્ધનો સામનો કરી રહેલા દેશનું ઘણું બગડી રહ્યું છે. રશિયન પ્રમુખે અત્યાર સુધીમાં કોઈ કિંમત ચૂકવી હોય એવું પણ બહુ જણાતું નથી, હા, યુક્રેનની પ્રજા ને તેનાં સૈનિકો અત્યારે તો કોઈ વાંક વગર લોહીથી કિંમત ચૂકવી રહ્યાં છે તે નકરું અને નકટું સત્ય છે. અમેરિકી પ્રમુખે એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે તે યુક્રેનને પક્ષે છે, પણ યુદ્ધ તો યુક્રેને જ લડવાનું રહે છે.

ભારતના વડા પ્રધાન મોદી રશિયન પ્રમુખ સાથે વાતો કરે છે ને યુદ્ધવિરામની અપીલ પણ કરે છે, પણ તેમની ભૂમિકા કોઈ પણ પક્ષે મત આપવાની નથી. એક કાળે યુક્રેને જરૂર હતી ત્યારે ભારતને પક્ષે રહેવાનું સ્વીકાર્યું ન હતું, એટલું જ નહીં, ભારતની વિરુદ્ધ પણ મત આપ્યો હતો, એ સ્થિતિમાં ભારતનું તટસ્થ રહેવું જ ડહાપણ ભરેલું છે, પણ તેનો ભોગ યુક્રેનમાં રહેતી ભારતીય પ્રજા બની રહી છે તે ચિંતા ઉપજાવનારું છે. યુક્રેનના સૈનિકો ને ત્યાંના પોલીસો ભારતીય વિદ્યાર્થીઓ સાથે સહયોગ કરી રહ્યા નથી. ખારકિવ સ્ટેશનેથી ટ્રેનમાં ચડીને શહેર છોડવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓને તેમ કરવાની છૂટ અપાઈ નથી ને કોઈ ટ્રેનમાં ચડવાની કોશિશ કરે તો તેને ગોળી મારી દેવાની ધમકી પણ અપાઈ છે. ભારતીય વિદ્યાર્થીઓ અનેક મુશ્કેલીઓ વચ્ચે ત્યાં બંકરોમાં આશરો લઈ રહ્યાં છે, તો ઘણા દૂર દૂર સુધી પગપાળા ચાલીને, ભારત આવવા મથી રહ્યા છે. કેટલા ય ત્યાં ફસાયા છે તો ઘણાંને ભારત લાવવામાં સરકારને સફળતા પણ મળી છે. આખા ભારતમાંથી હજારો વિદ્યાર્થીઓ યુક્રેન ભણવા ગયા છે ને એ જ રીતે બીજા દેશોમાં પણ ગયા છે, જાય છે. ગુજરાતની જ વાત કરીએ ને યુક્રેન પૂરતી જ કરીએ તો મેડિકલ એજ્યુકેશન મેળવવા દર વર્ષે 5 હજારથી વધુ વિદ્યાર્થીઓ યુક્રેન જાય છે. દેશ પૂરતો આ આંકડો વર્ષે અઢાર હજારથી વધુ વિદ્યાર્થીઓનો છે. આ વર્ષે ગુજરાતથી 5,600 વિદ્યાર્થીઓ તબીબી શિક્ષણ મેળવવા યુક્રેન ગયા છે ને વર્ષે દા’ડે ત્યાં અંદાજે 1,100 કરોડ ખર્ચે છે. ઘણી વાર તો એવો વહેમ પડે છે કે ડૉક્ટર બનવા માંગતા વિદ્યાર્થીઓ ભારતમાં રહીને ભણે છે કે બધા જ વિદેશ જાય છે? સરકારે યુક્રેનથી વિદ્યાર્થીઓને પરત લાવવાનું શરૂ કર્યું ત્યારે જ ઘણાને ખબર પડી કે તબીબી શિક્ષણ મેળવવા હજારો ભારતીય વિદ્યાર્થીઓ દેશ છોડીને ત્યાં રહે છે.

આવું કેમ? સરકારને એ ખબર તો હશે જ કે ભારતનું યુવાધન વિદેશ દોડી રહ્યું છે. એ ભણીને પાછા આવશે કે કેમ તે નથી ખબર. ઘણા તો વિદેશમાં જ સેટલ થઈ જતા હોય છે. એક તરફ આવા વિદ્યાર્થીઓને અહીં સાચવવાની વાત નથી ને કોઈ ભારતીય મૂળની વ્યક્તિ અમેરિકામાં સાંસદ શોભાવે છે તો આપણે છાતી ફુલાવીએ છીએ કે એક ભારતીયે વિદેશમાં નામ રોશન કર્યું. એ અહીં નામ રોશન કરે એવી સગવડ આ દેશ કેમ આપી શકતો નથી, તેનું આશ્ચર્ય છે. બીજી તરફ એ પ્રશ્ન પણ થાય છે કે અહીંનો વિદ્યાર્થી આ દેશમાં રહેવાને બદલે વિદેશ ભણવા જાય છે કે ત્યાં જ વધુ કમાવાની લાલચે ગોઠવાઈ જાય છે ને યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાય છે તો ભારત સરકાર પાસેથી અપેક્ષા રાખે છે કે પોતાને જોખમમાંથી બહાર કાઢે. આ યોગ્ય છે? સવાલ તો એ પણ થાય કે ગુજ્જુઓ દાકતર થવા વિદેશ કેમ જાય છે? એનું સાદું કારણ એ છે કે અહીંની ફી એટલી વધારે છે કે યુક્રેન જેવાની ફીથી ચાર વખત ડૉક્ટર થવાય. ગુજરાતની જ વાત કરીએ તો અહીં મેડિકલની સીટ ઓછી છે ને સ્ટુડન્ટ્સ અને તેની ફી વધારે છે. અહીં એમ.બી.બી.એસ. થવું હોય તો એક કરોડ જોઈએ, જ્યારે યુક્રેન જેવામાં 22 લાખમાં ડોક્ટરનું ભણી શકાય. ડૉક્ટરોનો જ મત છે કે યુક્રેનનો તબીબી કોર્સ સરળ છે ને અપડેટેડ છે, જ્યારે ભારતનો તબીબી કોર્સ એ જ વરસો જૂનો ચાલે છે.

આ સ્થિતિ હોય તો અહીંના વિદ્યાર્થીઓ બહાર ન જાય તો શું કરે? અહીંની સરકારને એ ચિંતા નથી કે અહીનું યુવાધન અહીં જ રહે, એ માટે એવી વ્યવસ્થા કરે કે વિદ્યાર્થીઓને બહાર જવાની લાલચ જ ન રહે. અહીં પરત લવાયેલ વિદ્યાર્થીઓની વ્યવસ્થા કરવા સરકાર તૈયાર થઈ છે, પણ અહીંથી બહાર દોડતા વિદ્યાર્થીઓને અહીં જ રહીને ભણવાનું મન થાય એવું કરવા સરકાર તૈયાર નથી. યુદ્ધનાં વાતાવરણમાં સરકાર થાય તે બધું જ કરે છે, પણ આખા વિશ્વમાં ભારતના વિદ્યાર્થીઓ ભણવા કે નોકરી કરવા જાય ને સરકારને એ યુવાનોને સાચવવાનું મન ન થાય તો આ દેશ વૃદ્ધો ને બાળકોને ભરોસે જ રાખવાનો છે કે કેમ એ પ્રશ્ન મૂંઝવે છે. એ વિદ્યાર્થીઓને પણ ફિટકાર છે જે અહીં મોટા થાય છે ને વધુ કમાણીની લાલચે દેશને લાત મારીને વિદેશનો વાવટો ફરકાવે છે ને એ દેશને શું કહેવું જે પોતાનાં યુવાધનને પોતાને માટે સાચવવાને બદલે બીજાને ભરોસે છોડી દે છે ને એનો સંકોચ પણ નથી.

જો કે, ગુજરાતે કાલના બજેટમાં યુક્રેન પરથી બોધપાઠ લઈને ત્રણ નવી મેડિકલ કોલેજ શરૂ કરવાની જાહેરાત કરી છે એ આશ્વસ્ત કરનારી ઘટના છે …

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 04 માર્ચ 2022

Loading

આપણી તાળીનાં આંદોલનો આકાશગંગા સુધી પહોંચે છે : તિક નાટ હાન

સોનલ પરીખ|Opinion - Opinion|4 March 2022

પ્રત્યેક સંવેદના ઊર્જાથી ભરપૂર હોય છે. આનંદની લાગણી પોષણ આપતી ઊર્જા છે તો દુ:ખની લાગણી વિનાશ કરતી ઊર્જા છે. જાગૃતિના શાંત પ્રકાશમાં વિનાશક ઊર્જાને પોષક ઊર્જામાં ફેરવવાની તાકાત રહેલી છે.

મૌન અનિવાર્ય છે. જેમ શ્વાસને હવાની, જેમ છોડને સૂર્યપ્રકાશની, તેમ મનને મૌનની જરૂર હોય છે. શબ્દો અને વિચારોથી ભરેલા મનમાં પોતાના માટે જ જગ્યા બચતી નથી. 

— તિક નાટ હાન

‘સંવાદી રીતે ચાલવું કે બોલવું એ પણ ધર્મ છે. એનાથી સર્જાતાં વાતાવરણની સુગંધ દૂર સુધી પહોંચે છે.’ જેવી સૂક્ષ્મ અને ‘આપણે એક તાળી પણ પાડીએ તો એનાં આંદોલનો છેક આકાશગંગાને સ્પર્શે છે.’ જેવી વિરાટ અપીલ ધરાવતા વિયેતનામના બૌદ્ધ સાધુ ટિક નાટ હન પંદર દિવસ પહેલા 95 વર્ષની વયે મૃત્યુ પામ્યા.

જન્મ 1926માં. વિશ્વપ્રવાસીની જેમ જીવ્યા. 16માં વર્ષે તુ-હ્યુ મંદિરમાં દીક્ષા લીધી હતી, 88માં વર્ષે ત્યાં જ પાછા ફર્યા અને 22 જાન્યુઆરી 2022ના દિવસે મૃત્યુ પામ્યા ત્યાં સુધી ત્યાં જ રહ્યા. સાયગોન યુનિવર્સિટીમાં બિનસાંપ્રદાયિક વિષયો ભણનારા અને સાયકલ પર ફરનારા તેઓ પહેલા સાધુ હતા. માર્ટિન લ્યૂથર કિંગ જૂનિયરે ‘શાંતિ અને અહિંસાના દૂત’ તરીકે નોબેલ શાંતિ ઈનામ માટે એમની ભલામણ કરી. વિયેતનામમાંથી 40 વર્ષના દેશવટા દરમ્યાન એમણે પશ્ચિમને બુદ્ધિઝમ અને માઈન્ડફૂલનેસનો પરિચય આપ્યો હતો અને 21 સદીના વિશ્વને એંગેજ્ડ બુદ્ધિસ્ટ કૉમ્યુનિટીની ભેટ આપી.

વિયેતનામમાં યુદ્ધ થયું ત્યારે સાધુઓ-સાધ્વીઓ સમક્ષ સવાલ હતો કે ધ્યાન અને ચિંતનમનનમાં મગ્ન રહેવું કે પછી ઘવાયેલાઓની સેવા કરવી. તિક નાટ હાને બંને કર્યાં. આ જ હતું એમનું એંગેજ્ડ બુદ્ધિઝમ. ‘વિયેતનામ : લોટસ ઈન અ સી ઑફ ફાયર’ પુસ્તકમાં એમણે આ શબ્દ વાપર્યો છે. એ વખતથી તેઓ આંતરિક પરિવર્તનને વ્યક્તિ અને સમાજના કલ્યાણ માટે પ્રયોજતા રહ્યા છે.

પુષ્કળ કામ કર્યું છે એમણે. 1961માં તેમણે અમેરિકા જઈ કમ્પેરિટિવ રિલિજિયનનો અભ્યાસ કર્યો, બુદ્ધિઝમ ભણાવ્યું, સંશોધન કર્યું. વિયેતનામમાં અહિંસા અને કરુણા માટે કામ કરતા 10,000 સ્વયંસેવકોવાળી સ્કૂલ ઑફ યુથ એન્ડ સર્વિસિઝની સ્થાપના કરી. સાયગોનમાં બૌદ્ધ યુનિવર્સિટી સ્થાપી, પબ્લિશિંગ હાઉસ અને સામયિક શરૂ કર્યાં, યુ.એસ. અને અમેરિકામાં પ્રવાસો કરી વિયેતનામમાં શાંતિ સ્થાપવાની અપીલ કરી. પણ જે શાંતિપ્રયાસો માટે માર્ટિન લ્યૂથર કિંગ જૂનિયરે નોબેલ કમિટીને એમની ભલામણ કરી હતી, એ જ શાંતિપ્રયાસો માટે યુદ્ધરત વિયેતનામે એમને દેશવટો આપ્યો.

ફ્રાંસમાં એમણે સ્થાપેલું નાનું એવું પ્લમ વિલેજ આજે પશ્ચિમનો સૌથી મોટો સક્રિય મઠ છે અને દુનિયાભરમાંથી હજારો લોકો જાગૃત જીવનની કલા શીખવા ત્યાં આવે છે. એમાં ખાવા, બેસવા, બોલવા, ચાલવા, કામ કરવા અને અટકવાનું ધ્યાન તેમ જ શ્વાસનું અને સ્મિતનું ધ્યાન શીખવવામાં આવે છે. એનાથી અનુભવાતી પૂર્ણ શાંતિ જિંદગીના પડકારોમાં સ્વસ્થ અને સ્થિર રહેવાની કલા શીખવે છે. એમની એક મૂવમેન્ટનું નામ ‘વેક અપ’ છે જેમાં યુરોપ, અમેરિકા અને એશિયાની શાળાઓનાં બાળકો અને શિક્ષકોને માઈન્ડફૂલનેસ શીખવાય છે.

તિક નાટ હાન કેલિગ્રાફી નિષ્ણાત હતા. તેમના આલેખેલા નાના સંદેશાઓનાં અનેક પ્રદર્શનો થયાં છે. ‘નો મડ, નો લોટસ’ પુસ્તકમાં એમણે પીડાનું રૂપાંતરણ શીખવતાં સૂત્રો આપ્યાં છે, જેનાથી માનવી પ્રેમ અને કરુણા વ્યક્ત કરી પીડાની બાદબાકી અને આનંદની પ્રાપ્તિનો અનુભવ કરે છે. તેઓ કહે છે, આ સૂત્રો જાદુઈ છે. બોલતાંની સાથે પરિવર્તન શરૂ થઈ જાય છે. બસ શીખી લો અને યોગ્ય સમયે યાદ કરો. જાગૃતિ જેટલી વધારે, તેટલી તેની અસર વધારે.

હું તમારી સાથે છું : પ્રેમ અર્થ જ સાથે હોવું. પણ સાચા અર્થમાં સાથે હોવું એ એક અભ્યાસ માગતી કલા છે. જે જાગ્રત કે એકાગ્ર ન હોય એ પોતાની કે અન્યની સાથે પૂર્ણપણે ન હોય. જાગ્રતપણે શ્વાસ લેવા, ચાલવા, બેસવાથી શરીર અને મન વચ્ચે એકતા સ્થપાય અને તો તમે સાચા અર્થમાં અને પૂર્ણપણે એ ક્ષણમાં હોઈ શકો. પહેલા પોતાની સાથે હોવાનો અભ્યાસ કરો. શ્વાસ લેવા અને છોડવાની ક્રિયાથી સભાન થાઓ. મન અને શરીરના લયને સંવાદી બનવા દો. જે વ્યક્તિ પોતાની સાથે હોય, એની ઊર્જા અન્ય વ્યક્તિને પણ પોતાની સાથે હોવાનું શીખે છે. ‘હું તમારી સાથે છું’ કહેવું એટલે આ અર્થમાં સાથે હોવું.

હું જાણું છું કે તમે મારી સાથે છો. મને એનો ઘણો આનંદ છે : આ મંત્ર પણ ખૂબ શક્તિશાળી છે અને પોતાને તેમ જ બીજાને ઊર્જાથી ભરી દે છે. સાચા અર્થમાં સાથે હોય એ વ્યક્તિ એ જાણી શકવા સમર્થ હોય છે કે સામી વ્યક્તિ પણ સાચા અર્થમાં હાજર છે.

પણ પહેલું પગલું ભર્યા પહેલાં બીજું ભરી શકાતું નથી. ‘હું સાથે છું’ એ ‘તમે સાથે છો’ની પૂર્વશરત છે. ગમે તેટલો ખર્ચ કરો, પ્રિય વ્યક્તિને તમારી સાચી હાજરીથી વધારે કિંમતી ચીજ તમે નહીં આપી શકો. માઈન્ડફૂલ પ્રેઝન્સ – જાગૃતિ સાથેની હાજરી વધુ તાજગીપૂર્ણ, વધુ આનંદપૂર્ણ, વધુ પ્રેમપૂર્ણ હોય જ છે.

હું જાણું છું કે તમને તકલીફ થાય છે. હું એટલે જ તમારી સાથે છું : પ્રિય વ્યક્તિ તકલીફમાં હોય ત્યારે આ જાદુઈ શબ્દો તેની તકલીફને તત્ક્ષણ ઓછી કરે છે. આ શબ્દોના ઉચ્ચાર માત્ર રાહતનો અનુભવ આપે છે. પ્રિયજન પીડાને સમજે ને પીડાની ક્ષણોમાં સાચા અર્થમાં હાજર રહે ત્યારે પીડા ઘટી જાય એ કુદરતી છે. એટલે આ મંત્ર સમજપૂર્વક, જાગૃતિપૂર્વક બોલાય ત્યારે એની અસરકારકતા ખૂબ વધી જાય છે.

મને પીડા થાય છે. મદદ કરો, પ્લીઝ : આ મંત્ર થોડો અઘરો છે. દરેક માણસમાં ઓછોવત્તો અહમ્‌ તો હોય જ છે. આ મંત્ર બોલવા માટે અહમ્‌ને ઓગાળવો પડે. તમે પીડામાં હો અને એ પીડા જે પ્રિયજને આપી છે એને જ આ શબ્દો કહી શકો એ ક્ષણથી આ સૂત્રની અસર શરૂ થાય છે. થાય છે શું કે આપણે ઊંધું જ કહીએ છીએ, ‘મારી પીડાનું કારણ તું છે. પણ મને ય તારા વિના ચાલશે.’ જો ખરેખર તેમ હોત તો પીડા ન થાત.

પણ, સંબંધની શરૂઆત સુખદુ:ખમાં સાથે હોવાના જે ભાવથી થઈ હતી, એ ભાવને યાદ કરો અને પ્રિયપાત્રને યાદ કરાવો. અધિકારથી કહો કે ‘મને પીડા થાય છે. મદદ કર.’ સરળ છે ને? પણ એટલું જ અઘરું પણ છે.

આ સુખની ક્ષણ છે : આ કોઈ ઓટોસજેશન કે વિશફૂલ થિંકિંગ નથી. જાગ્રત મનને પ્રસન્ન ક્ષણો મળતી જ રહે છે. આ સૂત્ર એની કદર માટે છે. એકલા ચાલતા હો ને સુંદર પુષ્પો દેખાય, તો પોતાને આ કહો. પ્રિયજનની સાથે ચાલતા હો ત્યારે તેને આ કહો. ભૂતભવિષ્યના અકળામણ-અજંપાઓ લઈને ચાલતા મનને સુખની ઢગલો ક્ષણો પણ દેખાય નહીં, પણ એકાગ્ર અને જાગ્રત મન હવાની આછી લહેરને પણ માણે છે. આ મંત્ર ભરપૂર સર્જનાત્મકતા આપે છે. 

તમે થોડા સાચા છો :  કોઈ તમારી સિદ્ધિ માટે અભિનંદન આપે અને ઢગલો વખાણ કરે. કોઈ ગુસ્સે થઈને આવે. કોઈ વળી આક્ષેપો પણ મૂકે. હવે રાજી થવું, ગુસ્સે થવું કે દુ:ખી થવું નકામું છે કેમ કે વખાણ કે ટીકા પૂરેપૂરા સાચા ભાગ્યે જ હોય છે. કોઈ વખાણ કરે ત્યારે કહો, ‘તમે થોડા સાચા છો, પણ મારામાં દોષો પણ છે.’ અને કોઈ ટીકા કરે તેને પણ કહો, ‘તમે થોડા સાચા છો, પણ મારામાં ગુણો પણ છે.’ બન્ને સ્થિતિમાં તમારી નમ્રતા અને સ્થિરતા બરકરાર રહે છે અને સારા હોવું, ખરાબ હોવું વગેરે સાપેક્ષ બાબતો છે, નિર્ણાયક નહીં.

દુનિયાના દસ દેશોમાં એમના મઠો છે. 100થી વધારે પુસ્તકો લખ્યાં છે. એમણે કહ્યું છે, ‘ધ્યાન એટલે જાગૃત હોવું. પોતાના શરીરમાં, પોતાના મનમાં, પોતાની બહાર અને વિશ્વમાં જે પણ ચાલી રહ્યું છે તેના પ્રતિ જાગ્રત હોવું.’ આ વ્યાખ્યા જેટલી સાદી-સરળ છે તેટલી જ ગહન અને વિસ્તૃત છે.

e.mail : sonalparikh1000@gmail.com

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 06 ફેબ્રુઆરી 2022 

Loading

...102030...1,4781,4791,4801,481...1,4901,5001,510...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved