Opinion Magazine
Number of visits: 9663876
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?

રમેશ સવાણી|Opinion - Opinion|11 September 2025

રમેશ સવાણી

હિટલરનું પતન થયું અને જર્મનીએ મે-1945માં આત્મસમર્પણ કર્યું, ત્યારે નાઝી રાજ્યના કેન્દ્રિય પોલીસ માળખાને નાબૂદ કરવામાં આવ્યું હતું. નાઝી ગુપ્ત પોલીસને ગુનાહિત સંગઠન જાહેર કરવામાં આવ્યું હતું. તેના ઘણા ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી અને તેમને સજા કરવામાં આવી હતી. જ્યારે પણ તાનાશાહ / સરમુખત્યાર સત્તા પરથી હટે ત્યારે પોલીસનું આવી બને !

9 સપ્ટેમ્બર 2025ના રોજ નેપાળના કાઠમંડુમાં પોલીસ Riot shieldsની પાછળ છુપાઈને લોકોનો માર સહન કરી રહી છે. લોકો ઊછળી ઊછળી પોલીસ પર પ્રહાર કરે છે. નેપાળમાં ઠેરઠેર આ સ્થિતિ થઈ છે. પોલીસની આ સ્થિતિ એટલે થાય છે તેમણે લોકાની સેવા કરવાને બદલે સત્તાપક્ષની ચાપલૂસી કરી હોય છે. 

લોકતંત્ર હોય કે તાનાશાહી જ્યારે પોલીસ સત્તાપક્ષના એજન્ટ તરીકે ભૂમિકા ભજવે છે, ત્યારે લોકોના ગુસ્સાનો ભોગ સૌ પ્રથમ પોલીસ બને છે. 

પોલીસે કાયદા મુજબ કામ કરવાનું હોય છે, પણ સત્તાપક્ષની ઇચ્છા મુજબ કામ કરે છે. સત્તાના ઈશારે ભ્રષ્ટાચારી / બળાત્કારી / હત્યારાને છાવરે છે અને સત્તાનો વિરોધ કરનારાઓને ખોટા કેસમાં જેલમાં પૂરે છે. 

મોટાભાગે પોલીસ સત્તાપક્ષની કઠપૂતળી જેવી બની જાય છે. કાયદાને વફાદાર પોલીસ અધિકારી જૂજ હોય છે, જેઓ સત્તા માટે નહીં પણ લોકોના હિત માટે કામ કરતા હોય. આવા પોલીસ અધિકારીઓને સાઈડ પોસ્ટિંગ મળે છે, પ્રમોશનમાં વિલંબ થાય છે, તુચ્છ બાબતોમાં ખાતાકીય તપાસ કરવામાં આવે છે. 

સૌથી ખરાબ બાબત એ છે કે સરકાર જેમને સાઈડ પોસ્ટિંગમાં મૂકે તે પોલીસ અધિકારી સાથે સત્તાનાં ચાટુકાર પોલીસ અધિકારીઓ અસ્પૃશ્યતા રાખે છે ! તેમને હલકી નજરે જોવામાં આવે છે. મોદીજીએ ગુજરાતના IPS અધિકારી સતીષ વર્મા / રાહુલ શર્મા / રજનીશ રાય / આર.બી. શ્રીકુમારને અસહ્ય ત્રાસ એટલે આપેલ કે તેમણે સત્તા સામે ઝૂકવાનો ઈનકાર કર્યો હતો. આ અધિકારીઓથી બીજા IPS અધિકારીઓ દૂર રહેતા હતા ! IPS સંજીવ ભટ્ટે મોદીજીની વિરુદ્ધ બોલવાને બદલે તેમની ચાપલૂસી કરી હોત તો તેઓ જેલમાં હોત?

લોકશાહીમાં દર પાંચ વરસે સત્તા બદલે છે, ત્યારે પોલીસ અધિકારીઓ પણ રાતોરાત પાટલી બદલી નાખે છે. નવા સત્તાપક્ષની ચાપલૂસી શરૂ કરે છે. પરિણામે લોકોને કાયદા મુજબ કામ કરતી પોલીસ મળતી નથી ! ગુજરાતમાં કેટલાક IPS અધિકારીઓ કાઁગ્રેસના શાસન વેળાએ તથા ભા.જ.પ.ના શાસન વેળાએ પણ મલાઈદાર પોસ્ટિંગ મેળવી શકતા હતા; તે તેમની લાયકાતના કારણે નહીં પણ ચાપલૂસીના કારણે ! સત્તા દર 5 વરસે બદલવી જોઈએ. કોઈ મુખ્ય મંત્રી / વડા પ્રધાનને ‘અવતારી’ માનવા તે લોકશાહીનું અપમાન છે. 

પોલીસ સત્તાપક્ષની ચાપલૂસી કરે તો લોકો પાસે કોઈ વિકલ્પ નથી. લોકો પોલીસનું ગેરવર્તન / નાલાયકી જોતા હોય છે. સત્તાના કારણે લોકો ચૂપ રહે છે. પરંતુ જો લોકોને મોકો મળે તો પોલીસને સસલા જેવી કરી મૂકે. જ્યારે લોકો બળવો કરી શાસક / તાનાશાહ બદલી નાખે ત્યારે લોકો પોતાની દાઝ કાઢતા હોય છે. કદાચ, એટલા માટે નેપાળના લોકો પોલીસને ઠમઠોરી રહ્યા છે ! 

10 સપ્ટેમ્બર 2025. 
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 

રાજ ગોસ્વામી|Opinion - Opinion|11 September 2025

રાજ ગોસ્વામી

બાસુ ચેટર્જી (1927-2020) મધ્યમ વર્ગના દર્શકો માટે, મધ્યમ વર્ગના વિષયો પર અને ‘મધ્યમ કક્ષા’ના કલાકારો સાથે ફિલ્મો બનાવવા માટે જાણીતા હતા. છોટી સી બાત, ચિત્તચોર, રજનીગંધા, પિયા કા ઘર, ખટ્ટા-મીઠા, અને બાતો બાતો મેં જેવી શહેરી બેકગ્રાઉન્ડવાળી તેમની ફિલ્મોમાં પ્રેમ અને વૈવાહિક સંબંધોનાં તાણાવાણાની પેશકશ રહેતી હતી. 

એક ફિલ્મ તેમાં અપવાદ હતી. જે વર્ષે, 1986માં, તેમણે અનિલ કપૂર અને અમૃતા સિંહની કોમેડી ફિલ્મ ‘ચમેલી કી શાદી’ અને મિથુન ચક્રવર્તી-મૂન મૂન સેનની કોર્પોરેટ દુનિયામાં મહિલાના શોષણ પર ફિલ્મ ‘શીશા’ આપી, તે જ વર્ષે તેમણે ‘એક રુકા હુઆ ફેંસલા’ નામની એક અસાધારણ લીગલ થ્રિલર ફિલ્મ આપી હતી. 

બે વર્ષ પહેલાં, આ ફિલ્મની રીમેક બનાવાની પણ જાહેરાત થઇ હતી. ‘એક રુકા હુઆ ફેંસલા’ને હિન્દી સિનેમાના ઇતિહાસમાં એક દિલચશ્પ કોર્ટરૂમ ડ્રામા ગણવામાં આવે છે. બોલિવૂડમાં એવી ઘણી ફિલ્મો છે જે ચોક્કસ હેતુ માટે બનાવવામાં આવે છે. બાસુ ચેટર્જી એક પ્રતિભાશાળી નિર્દેશક હતા અને ફિલ્મોમાં પ્રયોગો કરવાનું પસંદ કરતા હતા. તેમણે હોલીવુડની ’12 એન્ગ્રી મેન’ ફિલ્મને હિન્દીમાં બનાવવાનું નક્કી કર્યું. 

આ તે સમય હતો જ્યારે હિન્દી ફિલ્મો ગીતો પર ચાલતી હતી અને તેને દેશ-વિદેશમાં શૂટ કરવામાં આવતી હતી. આ ફિલ્મમાં એવું નહોતું. આખી ફિલ્મ એક જ રૂમમાં શૂટ કરવામાં આવી હતી. આ ફિલ્મ મલ્ટી-સ્ટારર હતી જેમાં બોલિવૂડના ઘણા કલાકારોએ એક જ રૂમમાં અભિનય કર્યો હતો, જેમ કે – પંકજ કપૂર, એસ.એમ. ઝહીર, હેમંત મિશ્રા, એમ.કે. રૈના, કે.કે. રૈના, અનુ કપૂર અને બીજા છ અન્ય કલાકારો. 

આખી ફિલ્મ 117 મિનિટ લાંબી, એટલે કે 2 કલાકની હતી. કલ્પના કરો કે એક જ રૂમમાં 12 લોકો સાથે આટલી લાંબી ફિલ્મનું શૂટિંગ કરવું કેટલો અલગ અનુભવ રહ્યો હશે. એમાં કોઈ જ ગીત નહીં, કોઈ રોમાન્સ નહીં, માત્ર 12 લોકો જ્યુરી તરીકે બંધ રૂમમાં એક હત્યાના રહસ્યને ઉકેલી રહ્યા છે.

તેમની સામે ઝૂંપડપટ્ટીના 18 વર્ષના એક કિશોરનો કેસ છે. કિશોર પર તેના પિતાની હત્યાનો આરોપ છે. જજ સામે દલીલો-પ્રતિદલીલો થઇ ચુકી છે અને હવે આ કિશોર દોષિત છે કે નહીં તે નક્કી કરવાનું કામ 12 જણાની જ્યુરી પર છોડવામાં આવ્યું છે. કિશોર દોષિત સાબિત થાય તો તેને મૃત્યુદંડની જોગવાઈ છે.

જ્યુરી ચર્ચા-વિચારણા શરૂ કરે છે ત્યાં જ સ્પષ્ટ થઇ જાય છે કે આઠ નંબરના જ્યુરી (કે.કે. રૈના, જેને તમે છેલ્લે પ્રતિક ગાંધીની ‘સ્કેમ 1992’માં બેન્કર મનોહર ફેરવાણીના કિરદારમાં જોયો હતો) સિવાય બીજા તમામ જ્યુરીએ મન બનાવી લીધું છે કે કિશોર દોષિત છે. એ લોકો ઝડપથી ફેંસલો આપીને છૂટી જવા ઈચ્છે છે. સામાન્ય રીતે જ્યુરીના ફેંસલા બહુમતીમાં હોય છે, પણ આઠ નંબરના જ્યુરીનો ‘નકરાત્મક’ વોટ બાકીના લોકોને નડી જાય છે – ફેંસલો રોકાઈ જાય છે. એ જ્યુરી બાકી અગિયારને તેમનો ફેંસલો બદલવા માટે ફરજ પાડે છે. 

કિશોર દોષિત છે કે નહીં તેનો તેમનો વિવાદ વધુ એટલા માટે રસપ્રદ બને છે કારણ કે દરેક જ્યુરી શહેરના સામાન્ય નાગરિક છે, તેઓ તેમના રોજીંદા જીવનના સંઘર્ષ કરે છે, તેમનામાં લાગણીઓના ઉતાર-ચઢાવ છે, તેમનામાં પૂર્વગ્રહો છે. એ બધા વચ્ચે, આઠ નંબરનો જ્યુરી એવો મુદ્દો ઊભો કરે છે કે કેસમાં જે પુરાવા પેશ કરવામાં આવ્યા છે તે સંયોગિક છે અને છોકરા અંગે ઉતાવળે ન્યાય ન કરવો જોઈએ. તે હત્યાના માત્ર બે જ સાક્ષીઓની વિશ્વનીયતા અને આધાર અંગે પ્રશ્નો ઊભા કરે છે, તેને હત્યાના સાધનની ગેરહાજરી પણ શંકાસ્પદ લાગે છે.

તે કહે છે કે છોકરો દોષિત હોવા અંગે વાજબી શંકા છે ત્યારે તેનો આત્મા તેની વિરુદ્ધ વોટ આપવાની ના પાડે છે. તે બાકી જ્યુરીને પડકાર ફેંકે છે કે તેઓ નિશંકપણે સાબિત કરે કે છોકરો દોષિત છે. તે તેની તાર્કિક દલીલોથી બાકી જ્યુરીનાં મન બદલવામાં સફળ થાય છે. 

ફિલ્મમાં, આપણે કેવી રીતે વિચારીએ છીએ અને કેવી રીતે તથ્યોને માનીએ છીએ (અથવા અમાન્ય રાખીએ છીએ) તેનું માનવીય મનોવિજ્ઞાનને સુંદર રીતે પેશ કરવામાં આવ્યું હતું. આ બારે જ્યુરીએ એકમત પર આવવું જરૂરી હતું અને જ્યુરી નંબર આઠ તેના માટે કેવી મહેનત કરે છે તેને બાસુ’દાએ ખૂબસૂરત રીતે બતાવ્યું હતું. 

દિલ્હીના નાટ્ય નિર્દેશક અને લેખક રણજીત કપૂરે, નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના નવશિખિયા અભિનેતાઓને લઈને, 1954ના ટેલીવિઝન નાટક ’12 એન્ગ્રી મેન’(જેના પરથી હોલીવૂડની ફિલ્મ બની હતી)નું એક નાટક ભજવ્યું હતું.

દિલ્હીમાં આ નાટકની ઘણી વાહ વાહ થઇ હતી. પછી તેને મુંબઈમાં પૃથ્વી થિયેટરમાં ભજવવામાં આવ્યું હતું. બાસુ ચેટર્જીએ ત્યાં આ નાટક જોયું હતું અને એ જ નાટકના કલાકારોને લઈને ફિલ્મ બનાવાનું નક્કી કર્યું હતું. જુહુના એક બંગલામાં એક જ અઠવાડિયામાં તેનું શૂટિંગ પૂરું કરવામાં આવ્યું હતું. તેમણે દરેક કલાકારને મહેનતાણા તરીકે 5,000 રૂપિયા આપ્યા હતા. 

બાસુ ચેટર્જી

આ ફિલ્મ નોંધપાત્ર છે કારણ કે જ્યાં સુધી ફેંસલો ન આવે ત્યાં સુધી જ્યુરીએ રૂમની બહાર નીકળવાનું નથી. રૂમમાં લગભગ ખાલી છે, જેથી દર્શક તરીકે આપણું ધ્યાન જ્યુરીની ચર્ચા-વિચારણા પર જ રહે. રૂમમાં પંખાનો ઘોંઘાટ, બહારથી આવતા ટ્રાફિકનો અસ્પષ્ટ અવાજ અને પાત્રો વચ્ચે ભારેખમ મૌન તનાવમાં વધારો કરે છે અને દર્શક તરીકે આપણે પણ રૂમ કેદ હોવાનો અનુભવ કરીએ છીએ.

ચર્ચા-વિચારણાની તાર્કિક પ્રક્રિયા કેવી રીતે જ્યુરીની (અને દર્શકોની) ધારણાઓમાં પરિવર્તન લાવી શકે છે તે આ ફિલ્મ દર્શાવે છે. આ પ્રક્રિયા દરમિયાન, પ્રેક્ષકોને દરેક જ્યુરીનાં વ્યક્તિત્વ, તેમની ધારણાઓ, પૂર્વગ્રહો, અર્થઘટન અને તારણોનું નિરીક્ષણ કરીને તેમની ખુદની ધારણાઓ અંગે પુનર્વિચાર કરવા માટે ફરજ પાડે છે.

ભારતની ધરતી પર વિદેશી વાર્તાને સ્થાપિત કરવી એ એક મોટો પડકાર છે. બાસુ ચેટર્જીએ માત્ર અમેરિકન વાર્તાનું ભાષાંતર જ કર્યું ન હતું, તેમણે ભારતીય વાતાવરણમાં તેની ભાવનાને જીવંત કરી હતી. મૂળ ફિલ્મમાં છૂપો વંશીય તનાવ પણ એક વિષય હતો. બાસુ’દાએ તેને ભારતના વર્ગ સંઘર્ષ અને શહેરી-ગરીબ વિભાજનમાં સુંદર રીતે પરિવર્તિત કરી દીધો હતો. છોકરો ‘બસ્તી’ એટલે કે ઝૂંપડપટ્ટીનો હોવાનું ઘણા જ્યુરી સભ્યો માટે તેની ગુનાહિતતાનો સૌથી મોટો પુરાવો બને છે. તે બાસુ’દામાં રૂપાંતરણની કમાલ હતી કે દર્શકો એક ક્ષણ માટે પણ ભૂલતા નથી કે આ વાર્તા તેમની અને તેમના સમાજની છે, જેના પૂર્વગ્રહો તેઓ રોજ અનુભવે છે. 

આ ફિલ્મ જોયા પછી આપણને એવું જરૂર થાય કે આપણે રોજિંદા જીવનમાં કેટલી વાર ‘જ્યુરી’ બનીએ છીએ. સોશિયલ મીડિયા પર, ઓફિસમાં, મિત્રો વચ્ચે, આપણે કેટલી સરળતાથી અફવાઓ અથવા આપણા પૂર્વગ્રહોના આધારે કોઈના વિશે અભિપ્રાય બનાવીએ છીએ અને ચુકાદો આપીએ છીએ. આ ફિલ્મ આપણને ઉતાવળા અભિપ્રાયો બાંધતા અટકાવે છે. અને એટલે આજે પણ આ ફિલ્મ એટલી જ પ્રાસંગિક છે.

(પ્રગટ : ‘સુપરહિટ’ નામકલેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 10 સપ્ટેમ્બર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|10 September 2025

હેમન્તકુમાર શાહ

ક્રૂર અને નિર્દય તાનાશાહો – પછી ભલે ને એ લોકશાહી વ્યવસ્થામાં ચૂંટણીમાં ચૂંટાયેલા હોય – પોતે અકલ્પનીય હિંસા લોકો પર આચરે છે, પણ લોકો એમની સામે અહિંસક જ બની રહે એમ ઇચ્છે છે! શું એ લાંબા ગાળા સુધી શક્ય બને? 

નેપાળમાં લોકોની હિંસા બધાની નજરે ચડે છે, ઊડીને આંખે વળગે છે, હાહાકાર મચી જાય છે. લોકોએ આવું ન કરવું જોઈએ એમ પણ અહિંસાપ્રેમીઓ કહે છે. 

પરંતુ નેપાળના રાજકર્તાઓએ કેટલા ય સમયથી પ્રત્યક્ષ અને પરોક્ષ હિંસા આચરી એનું શું? એ કેમ દેખાતી નથી? નેપાળની ગરીબી અને બેકારી તેમ જ ભ્રષ્ટાચાર એ પરોક્ષ હિંસા છે, એ રાજકીય અને આર્થિક હિંસા છે, કે જે રાજકીય સત્તા દ્વારા થાય છે અથવા સત્તા એની સામે આંખ આડા કાન કરે છે. 

આધુનિક યુરોપિયન દાર્શનિક સ્લાવોજ ઝિઝેક એને વ્યવસ્થાજન્ય હિંસા (systemic violence) કહે છે. નોર્વેના મહાન વિદ્વાન જોહાન ગાલ્ટુંગ (૧૯૩૦-૨૦૨૪) એને માળખાગત હિંસા (structural violence) કહે છે. રાજકીય, ધાર્મિક, સામાજિક અને આર્થિક માળખું જ એવું ઊભું કરવામાં આવ્યું હોય છે, વ્યવસ્થા જ એવી હોય છે કે જેમાં શોષણ થયા જ કરે, તરત નજરે ન દેખાય તેવી હિંસા થયા જ કરે.

લોકો પોતાનો અવાજ સોશ્યલ મીડિયામાં રજૂ ન કરી શકે માટે તેમના પર સરકાર દ્વારા પ્રતિબંધ મૂકી દેવો અથવા એવા કાયદા કરવા એ રાજ્યની નાગરિકો પર આચરવામાં આવેલી પરોક્ષ હિંસા છે. કારણ કે મનુષ્ય પાસે ભાષા છે અને એના દ્વારા એ પોતાની અભિવ્યક્તિ ઇચ્છે છે. ભલે કોઈ એ ન સાંભળે કે ન જુએ. 

લોકશાહીમાં સરકારોનું એ કર્તવ્ય છે કે તેઓ લોકોની ઇચ્છાઓ અને ફરિયાદોને સાંભળે તેમ જ લોકકલ્યાણ માટે કામ કરે અને લોકોને અભિવ્યક્તિ કરવાની મોકળાશ આપે. લોકોનો અવાજ લોકશાહી દેશમાં સરકાર દ્વારા રુંધાઈ જાય તો લોકો ક્યારેક હિંસા પર ઊતરી આવે, કારણ કે તેમની અભિવ્યક્તિને કે તેમની અહિંસક રજૂઆતોને સરકાર દ્વારા ધ્યાનમાં લેવામાં આવી નહીં. 

ચૂંટાયેલા નેતાઓ રાજાની જેમ વર્તે એ ચાલે? એ બેફામ ખર્ચા કરે એ ચાલે? એ ગમે તેટલો ભ્રષ્ટાચાર કરે કે અન્યાય કરે અને બોલવા પણ ન દે, સરઘસ પણ કાઢવા ન દે, જેલમાં પૂરે એ ચાલે? એ લોકોના ભોગે દેશનો વિકાસ કરે તો ચાલે? એ પોતાને કાયદાથી પર સમજે તો ચાલે? આવું બધું થાય છે એ રાજકર્તાઓએ લોકશાહીમાં આચરેલી અદૃશ્ય હિંસા છે. 

આવી પરોક્ષ કે માળખાગત કે વ્યવસ્થાજન્ય હિંસામાંથી બહાર નીકળવા માટે એટલે કે અન્યાય સામે જે હિંસા લોકો આચરે તેને જર્મન દાર્શનિક વોલ્ટર બેન્જામિન (૧૮૯૨-૧૯૪૦) દૈવી હિંસા (divine violence) કહે છે. દૈવી એટલા માટે કે ઈશ્વર તો બધા મનુષ્યોમાં સમાનતા ઇચ્છે છે પણ ધાર્મિક, આર્થિક, સામાજિક અને રાજકીય સત્તા ક્યારેક જાતે અથવા બધી સત્તાઓ ભેગા મળીને એ સમાનતા ઊભી થવા દેતી નથી. એટલે એ સમાનતા આણવા માટે જે હિંસા થાય તેને દૈવી હિંસા કહેવાય! 

શું નેપાળના યુવાનોની હિંસા આવી દૈવી હિંસા કહેવાય? જરા વિચારો, દુર્યોધન પાંચ ગામ પાંચ પાંડવોને આપવા તૈયાર થયો નહોતો ત્યારે જ મહાભારતનું યુદ્ધ થયું હતું એમ કહેવાય છે. ભગવાન કૃષ્ણનું પણ દુર્યોધને સાંભળ્યું નહોતું! અન્યાય સામે સમજાવટ કરો, આજીજી કરો, રજૂઆતો કરો, અરજીઓ કરો, અહિંસક પ્રતિકાર કરો, પણ સરકાર સાંભળે જ નહીં તો શું? 

અહિંસાના પૂજારી મહાત્મા ગાંધી પણ અહિંસાની મર્યાદાઓ સમજ્યા તો હતા જ. અહિંસા પરમ ધર્મ છે પણ, શું એ ઘણી વાર નરમ અધર્મ બની જતો નથી?

તા.૧૦-૦૯-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...145146147148...160170180...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved