Opinion Magazine
Number of visits: 9456364
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધી અને લાદેન વચ્ચેનો કાલ્પનિક સંવાદ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|21 May 2025

પ્રકાશ ન. શાહ

અલબત્ત, જોગાનુજોગ, પણ બે વાત લગભગ એક સાથે બની : પહેલગામની આતંકી ઘટનાના હેવાલો હવામાં હશે અને કુરિયર વાટે ‘લોર્ડ ભીખુ પારેખ : પરિચય અને પરીક્ષણ’ એ પુસ્તક આવી મળ્યું. નેવું નાબાદ ભીખુ પારેખ બ્રિટનના જાહેર જીવનનું એક જાણવાજોગ જણ છે, અને રાજ્યશાસ્ત્ર તેમ રાજકીય ફિલસૂફી સહિતનાં ક્ષેત્રોમાં અમલસાડનું આ સોની સંતાન પોતાના નિકષ સાથે સક્રિય છે.

નાગરિક નિસબત સાથેની એમની સ્વાધ્યાય સક્રિયતાનું એક વિલક્ષણ ઉદાહરણ મને હંમેશ એમણે નાઈન / ઈલેવન ખ્યાત બિન લાદેન અને મહાત્મા ગાંધી વચ્ચે યોજેલ કાલ્પનિક સંવાદરૂપે વરતાતું રહ્યું છે. એટલે આતંકી ઘટનાના દિવસોમાં ભીખુભાઈ વિષયક પુસ્તક આવી મળે ત્યારે સ્વાભાવિક જ પહેલું સ્મરણ બે’ક દાયકા પરના એમના આ કાલ્પનિક સંવાદનું થાય.

ઇતિહાસકાર મકરંદ મહેતા આ પુસ્તક પર એમના અંતિમ પર્વમાં કામ કરી રહ્યા હતા. એમના નિધન પછી શીરીન મહેતા ને સિતાંશુ યશશ્ચંદ્રની વિદ્યાવત્સલ માવજત પામીને આ પુસ્તક આપણી પાસે આવ્યું છે અને એમાં ઉક્ત સંવાદનીયે ઝાંખી છે. જો કે આ સંવાદ તો પાછળથી ‘ડિબેટિંગ ઈન્ડિયા’(2015)માં ગ્રંથસ્થ થયો એનાયે દસ-અગિયાર વરસ પહેલાં ‘પ્રોસ્પેક્ટ’ સામયિકમાંથી વિપુલ કલ્યાણી વાટે ‘ઓપિનિયન’ ને ‘નિરીક્ષક’માં ગુજરાતી અનુવાદમાં સુલભ થયો હતો.

એક રીતે જુઓ તો મામલો બેઉ પક્ષે નાઈન / ઈલેવનનો છે. ન્યૂયોર્ક સ્થિત વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વિન ટાવર્સ ધરાશાયી થઈ ગયા એ ઘટના જો 2001ના સપ્ટેમ્બર મહિનાની અગિયારમી તારીખની હતી તો દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહનો ઉદ્દભવ થયો એ ઘટના 1906ના સપ્ટેમ્બર મહિનાની અગિયારમી તારીખની હતી.

એપ્રિલ 2004ના ‘પ્રોસ્પેક્ટ’માં ‘ગાંધી અને લાદેન વચ્ચે એક કાલ્પનિક સંવાદ’ પ્રગટ કરતી વેળાએ ભીખુભાઈએ જે મુખડો બાંધ્યો હતો તે અહીં સાંભરે છે. એમણે લખ્યું હતું કે જગતભરના કરોડો લોકોની જેમ નાઈન-ઈલેવનની ઘટનાથી આતંકવાદનો જે ભય પેદા થયો છે તેનો હું પણ ટીકાકાર છું. આવા હિંસાચારના વિષચક્રનો કોઈ વિકલ્પ જ નહીં હોય? અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીથી ‌વિશેષ બીજી કોઈ વ્યક્તિ પાસેથી આના જવાબો મળી શકે જ નહીં. એમની અને બિન લાદેન વચ્ચે કાલ્પનિક વાદ-વિવાદ જગવવા પાછળ મારા બે હેતુઓ છે. એક, જગતભરમાં ફરી વળેલ વિકૃત વિચારને સમજવાનો આશય છે, કેમ કે તે સમજ્યા વગર તેને પરાજિત કરી શકાય તેમ નથી. બે, અવગણાયેલા અહિંસક વિકલ્પ વિશે દુનિયાને જાગૃત કરવી જરૂરી છે.

ભીખુ પારેખ

‘પ્રોસ્પેક્ટ’માં 2004માં છપાયેલો લેખ 2015માં ‘ડિબેટિંગ ઈન્ડિયા’માં ગ્રંથસ્થ થયો તેના વચગાળાનાં વર્ષો સંભારીને ભીખુ પારેખે કહ્યું છે કે ભલે આ સંવાદ કાલ્પનિક છે, પણ તે કોઈ રાજકીય શૂન્યાવકશામાં થઈ રહ્યો છે એમ કૃપા કરીને માનશો નહીં. લાદેન રૂપે કે ગાંધી રૂપે કરેલી રજૂઆત માત્ર બે વ્યક્તિની જ વાત નથી. લાદેનની હિલચાલ સાથે આરબો સહિત મુસ્લિમ સમાજને સંકળાયેલ ગણીએ તો તાજા ઘટનાક્રમમાં યાદ રાખવાજોગ વિગત 2009-2012ની ‘આરબ સ્પ્રિંગ’ની પણ છે. જુઓ કે ગાંધીના આચારવિચારથી પ્રભાવિત થઈ પશ્ચિમ એશિયાના હજારો મુસ્લિમોએ ટ્યુનિસિયા, ઈજિપ્ત અને યમનના સરમુખત્યારો સામે અહિંસક આંદોલનો કર્યાં હતાં. ઊલટ પક્ષે, 1906થી દક્ષિણ આફ્રિકામાં મંડાયેલ સવિનય કાનૂનભંગની ચળવળ સંભારો. (અને, એમ તો, ભારતમાં દાંડીકૂચ પ્રકારના વામન પણ વિરાટ અભિક્રમો ક્યાં નથી?)

ગાંધી ને લાદેન વચ્ચે કેટલુંક સામ્ય છે. બંને ધાર્મિક છે, પોતપોતાને સમજાયેલ નૈતિક મૂલ્યો માટે જાન આપવા તૈયાર છે. બંને પશ્ચિમની ભોગવાદી, ભૌતિકવાદી, લશ્કરવાદી સંસ્કૃતિના આકરા ટીકાકાર છે. પણ માનવ ઇતિહાસ અને માનવ સમસ્યાઓને જોવાનો બંનેનો અભિગમ ભિન્ન છે. ધર્મની બાબતમાં ગાંધી સમાવેશી (ઈન્ક્લુઝિવ) છે, લાદેન મુસ્લિમ કોમ પૂરતો એકાંગી (એક્સ્ક્લુસિવ) છે. નેલ્સન મંડેલા, ડેસમન્ટ ટુટુ, માર્ટિન લ્યુથર કિંગની ચળવળો એક બાજુ અલ કાયદા, લશ્કરે તૈયબા, જેશે મહમદ બીજી બાજુ – આ બેઉ અભિગમો વચ્ચેનો ભેદ સ્ફુટ કરે છે.

લાદેન ગાંધી પાસે ધારો કે સહકાર માગે તો શું કહે? મહાન ઈસ્લામે તેરમા સૈકામાં દક્ષિણ યુરોપ, પશ્ચિમ એશિયા અને ઉત્તર આફ્રિકામાં રાજ કર્યું હતું. પશ્ચિમે ઔદ્યોગિક ક્રાંતિ કરી અમારા સામ્રાજ્યનો નાશ કર્યો, પેલેસ્ટાઈનનું વિભાજન કર્યું. યુરોપ-અમેરિકાને ફક્ત હિંસાની જ ભાષા આવડતી હોવાથી અમે પણ તેમ કરીશું. મારે મુસ્લિમ દેશોને અમેરિકાની પકડમાંથી છોડાવવા છે. ભૌતિકવાદ સામેના જંગમાં તમારો સાથ માંગું છું.

અને ગાંધી શું કહે? હું પણ છેક 1908થી સાવરકર, ઢીંગરા, શ્યામજી કૃષ્ણવર્મા જેવા હિંસામાં માનતા ક્રાંતિકારીઓના પરિચયમાં હતો. મને તે જચતું નહોતું અને દક્ષિણ આફ્રિકાથી શરૂ કરી મેં અહિંસાના અસરકારક પ્રયોગો કર્યા. બહાદુરી અને બલિદાની તૈયારીનો હું પ્રશંસક છું, પણ હિંસા કરતાં અહિંસાથી સામાનું મન જીતી લેવું તે વધારે ટકાઉ અને નૈતિક દૃષ્ટિએ શ્રેષ્ઠ છે. તમે સામ્રાજ્યવાદનો વિરોધ કરો છો, પણ તમે પણ સામ્રાજ્યવાદી જ છો, કેમ કે તમારે ઈસ્લામી સામ્રાજ્ય સ્થાપવું છે. જેમ મેં મારા ધર્મની મર્યાદાઓ જોઈ તેની ઊણપો દૂર કરવાના પ્રયાસ કર્યા, પણ ઈસ્લામના સામાજિક કલેવરમાં સુધારો કરવાની તમારી કોઈ યોજના નથી. સમજો કે આત્મભોગ અને નૈતિક દબાણ દ્વારા જે શક્ય છે તે દમનનીતિ દ્વારા નથી.

ખરું જોતાં આખી જ ચર્ચા વાંચવી જોઈએ, પણ અહીં તો એક આછી ઝલક કે ઝાંખી જ, નેવું નાબાદ ભીખુ પારેખની સાખે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 21 મે 2025

પુરવણી :

Loading

ધરપકડ માટે કારણભૂત બનેલી *પ્રો.અલી ખાન મહેમૂદાબાદની પોસ્ટ:*

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|20 May 2025

અલી ખાન મેહમૂદાબાદ

પાકિસ્તાનમાં લશ્કર અને આતંકવાદી (એટલે કે બિન-રાજ્ય કર્તાઓ) વચ્ચે વિલય પામતા રહેલા તફાવતના સંદર્ભમાં ભારતે વાસ્તવમાં વ્યૂહાત્મક રીતે નવા તબક્કાનો આરંભ કર્યો છે. હકીકતમાં કોઈ પણ આતંકવાદી પ્રવૃત્તિઓ સામેનો પ્રતિભાવ પરંપરાગત ઉત્તરને જ આમંત્રે, અને તેથી તેની જવાબદારી પાકિસ્તાની લશ્કરની છે કે તે હવે આતંકવાદીઓ અને બિન-રાજ્ય કર્તાઓની પાછળ સંતાય નહીં. 

પાકિસ્તાન ઘણા લાંબા સમયથી લશ્કરીકૃત બિન-રાજ્ય કર્તાઓનો ઉપયોગ આ પ્રદેશને અસ્થિર કરવા માટે કરી રહ્યું છે અને છતાં તે આતંકવાદથી અસરગ્રસ્ત છે તેવું વૈશ્વિક મંચ પર દાવા સાથે કહે છે. તેણે એ જ લોકોનો ઉપયોગ પાકિસ્તાનમાં સંપ્રદાયવાદી તનાવ ઊભો કરવા માટે પણ કર્યો છે અને તેમાંના કેટલાક પર તાજેતરમાં હુમલા કરવામાં આવ્યા છે. 

ઓપરેશન સિંદૂર ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોના તમામ પ્રસ્થાપિત સિદ્ધાંતોને પુન: ગોઠવે છે, અને તે એમ કહે છે કે આતંકવાદી હુમલાનો જવાબ લશ્કરી પ્રતિભાવ તરીકે આપવામાં આવશે,  અને તે બે વચ્ચેના કોઈ પણ લવારિયા તફાવતને નેસ્તનાબૂદ કરે છે. 

આ તફાવત તૂટ્યો તેમ છતાં, ભારતના લશ્કર દ્વારા એની કાળજી લેવાઈ છે કે લશ્કરી કે નાગરિક મથકો પર કે માળખાગત સવલતો પર હુમલા ન થાય કે જેથી ખોટો બિન-જરૂરી ભડકો ન થાય. આમ, સંદેશ બહુ સ્પષ્ટ છે : જો તમે તમારે ત્યાંના આતંકવાદની સમસ્યા નહીં ઉકેલો તો અમે એ ઉકેલીશું! નાગરિકોની જિંદગીની નુકસાની બંને પક્ષે દુઃખદાયી છે અને તે જ એક મુખ્ય કારણ છે કે યુદ્ધ ટાળવું જોઈએ.

કેટલાક લોકો બેફામપણે યુદ્ધની વકીલાત કરે છે પરંતુ તેમણે કદી પણ સંઘર્ષનો પ્રદેશ જોયો હોતો જ નથી, ત્યાં રહેવાની કે તેની મુલાકાત લેવાની વાત તો સાવ જ બાજુ પર. મોક સિવિલ ડિફેન્સ ડ્રીલના ભાગ બનવાથી તમે સૈનિક નથી બની જતા અને તમે કદી એ જાણતા પણ નથી કે સંઘર્ષને કારણે જે સહન કરે છે એની શી પીડા હોય છે. યુદ્ધ ઘાતકી છે. ગરીબોને ખૂબ સહન કરવું પડે છે અને જેમને લાભ થાય છે તે છે રાજકારણીઓ અને શસ્ત્રો પેદા કરનારી કંપનીઓ. રાજકારણનું મૂળ મુખ્યત્વે હિંસા હોય છે તેથી યુદ્ધ અનિવાર્ય બની જાય છે, માનવજાતનો ઇતિહાસ તો કમ-સે-કમ આ જ શીખવે છે. આપણે એ સમજવું પડશે કે રાજકીય સંઘર્ષો ક્દી પણ લશ્કરી માર્ગે ઉકેલાયા નથી.

છેલ્લે, મને એ વાતની ખુશી છે કે ઘણા જમણેરી વિવેચકોએ પણ કર્નલ સોફિયા કુરેશીની પ્રશંસા કરી છે. પરંતુ તેમણે એટલા જ બુલંદ અવાજે એવી માગણી કરવી જોઈએ કે મોબ લિન્ચિંગ, સ્વચ્છંદી રીતે ચલાવાતાં બુલડોઝર અને ભા.જ.પ.ના નફરતનાં પીપૂડાંના અસરગ્રસ્તોનું પણ ભારતના નાગરિકો તરીકે રક્ષણ થાય. 

બે મહિલા સૈનિકોને લશ્કરની વાત કહેવા માટે રજૂ કરવાના દેખાડા મહત્ત્વના છે, પણ હકીકતમાં તે જમીની સ્તરે વાસ્તવિકતા બનવું જોઈએ, નહીં તો તે દંભ માત્ર બની રહે છે. જ્યારે અગ્રણી મુસ્લિમ રાજકારણીઓ ‘પાકિસ્તાન મુર્દાબાદ’ કહે છે અને તેમને તેથી પાકિસ્તાનીઓ દ્વારા ટ્રોલ કરવામાં આવે છે; ત્યારે ભારતના જમણેરી વિવેચકો તેમનો એમ કહીને બચાવ કરે છે કે “એ તો અમારા મુલ્લા છે.” અલબત્ત, આ રમૂજી બાબત છે, પણ તે એ બાબત પ્રત્યે પણ ધ્યાન ખેંચે છે કે કોમવાદ ભારતના રાજકીય દેહમાં કેટલો ઊંડે સુધી ઘૂસી ગયો છે.

મારા માટે એ પત્રકાર પરિષદ એ તો એક ક્ષણિક આવેશ હતો, એ કદાચ પાકિસ્તાનનું નિર્માણ જેના પર થયું છે તે તર્કને નકારતો ભ્રમ પણ હતો અને અછડતો સંકેત પણ. મેં કહ્યું તે પ્રમાણે સામાન્ય મુસ્લિમો જેનો સામનો કરે છે તે જમીની સ્તરની વાસ્તવિકતા સરકાર જે બતાવવા માગે છે તેના કરતાં જુદી જ છે. પરંતુ તેની સાથે સાથે પત્રકાર પરિષદ એમ દર્શાવે છે કે ભારત તેની વિવિધતામાં એક છે અને તેની વિભાવના સાવ મારી પરવારી નથી.

જય હિન્દ 

*ઉપરોક્ત પોસ્ટ હરિયાણાની વિશ્વ વિખ્યાત અશોક યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્રના અધ્યાપક પ્રો. અલી ખાન મહેમૂદાબાદ દ્વારા FB પર જય હિન્દ અને રાષ્ટ્રધ્વજ સાથે તા. ૦૮-૦૫-૨૦૨૫ના રોજ મૂકાઈ હતી અને તેમના પર FIR કરીને તેમની ધરપકડ કરવામાં આવી છે.*

*હું આ ધરપકડનો સખત વિરોધ કરું છે કારણ કે તે બંધારણમાં લખવામાં આવેલા વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યના અધિકારના ભંગ સમાન છે.* 

હું મારા એ જ અધિકારનો ઉપયોગ કરીને એ પોસ્ટનો અનુવાદ ગુજરાતી વાચકો માટે પ્રસ્તુત કરું છું. 

તા. ૧૯-૦૫-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

મને જવા દો

આશા વીરેંદ્ર|Opinion - Short Stories|20 May 2025

રથિનનાં માતા-પિતાને શહેરની મોટામાં મોટી અને મોંઘામાં મોંઘી શાળામાં પોતાના એકના એક દીકરાને ભણાવવાની હોંશ હતી. રથિન આ શાળામાં ભણે છે એમ તેઓ સૌને ગર્વભેર કહેતાં, પણ રથિન ખુશ નહોતો. શાળામાં શિસ્તને નામે કરવામાં આવતી કડકાઈ, પરાણે થોપવામાં આવતા નિયમો અને બોર્ડમાં શાળાનું સો ટકા પરિણામ આવે એ માટે વિદ્યાર્થીઓ સાથે થતી સખતાઈથી એ ત્રાસી જતો. પણ મા-બાપ જ સાંભળવા નહોતાં માગતાં ત્યાં બીજા કોને ફરિયાદ કરે?

“તમે હવે નવમા ધોરણમાં આવ્યા છો. આ વર્ષે જો ઊંધું ઘાલીને મહેનત નહીં કરો તો બોર્ડની પરીક્ષામાં શું ઉકાળશો?” ગણિતના શિક્ષક કહેતા.

“બીજું બધું હવે ભૂલી જવાનું. અર્જુને જેમ પક્ષીની આંખ પર જ નજર રાખી હતી તેમ તમારું પૂરું ધ્યાન દસમાની પરીક્ષા પર જ હોવું જોઈએ.” – અંગ્રેજીના શિક્ષકની શિખામણ.

નવમા ધોરણની વાર્ષિક પરીક્ષા શરૂ થઈ. આજે બંને ભારે વિષયો – ગણિત અને વિજ્ઞાનનાં ત્રણ ત્રણ કલાકનાં પેપર હતાં. ભલે નવમાની પરીક્ષા હતી પણ શાળાનું વાતાવરણ એવું ભારેખમ હતું કે, જાણે વિદ્યાર્થીઓ પરીક્ષાખંડમાં નહીં પણ યુદ્ધભૂમિ પર જતા હોય. બોર્ડની પરીક્ષા કેવી રીતે લેવાશે એનો વિદ્યાર્થીઓને ખ્યાલ આપવા બહારથી સુપરવાઈઝરને બોલાવવામાં આવેલા, જે હંમેશાં સખત ચહેરો રાખીને ફરતા. પહેલો બેલ પડી જાય પછી શાળાનો મુખ્ય દરવાજો બંધ કરી દેવામાં આવશે. મોડા આવનારને પરીક્ષામાં બેસવા નહીં મળે એવો સરક્યુલર અઠવાડિયા પહેલાં આવી ગયેલો.

પ્રથમ ગ્રાસે મક્ષિકાની જેમ બરાબર આજે જ રથિનની સાઈકલમાં પંચર પડ્યું. કોઈ ઓળખીતાની દુકાને સાઈકલ મૂકીને પસીનાથી રેબઝેબ થતો એ પહોંચ્યો ત્યારે દરવાન ગેટ બંધ કરી રહ્યો હતો. એને હાથ જોડીને વિનંતી કરી ત્યારે માંડ અંદર આવવા દીધો.

“કેમ, અત્યારથી જ પરસેવો છૂટવા માંડ્યો? છેલ્લી ઘડી સુધી રખડી ખાઈએ તો આવું જ થાય.” ઉત્તરવહી આપતાં સુપરવાઈઝરે વ્યંગમાં હસીને કહ્યું. રથિનને લાગ્યું કે, જાણે પોતાને કંઈ આવડતું જ નથી. એ પરીક્ષામાં કંઈ લખી નહીં શકે, પણ એ બે મિનિટ આંખો બંધ કરીને બેઠો, મન શાંત કર્યું પછી પ્રશ્નપત્ર જોયું ત્યારે થયું કે, ના, ઘણું આવડે છે. એણે સડસડાટ દાખલા ઉકેલવા માંડ્યા, પણ હજી તો માંડ દોઢ કલાક પૂરો થયો ત્યાં સાહેબની રનીંગ કોમેંટ્રી ચાલુ થઈ.

“હવે માત્ર દોઢ કલાક જ બાકી છે. એક વાગ્યા પછી એક મિનિટ પણ વધારે નહીં મળે.”

વિદ્યાર્થીઓ જેમતેમ ધ્યાન કેંદ્રિત કરવા જાય ત્યાં વળી બીજી સૂચના.

“છેલ્લી ઘડીએ કહેશો કે, સપ્લીમેંટ્રી બાંધવાની રહી ગઈ તો નહીં ચાલે. પેપર પૂરું થવાનો બેલ વાગે એટલે તરત મને પેપર આપી દેવાનું.”

એમની તાકીદ મુજબ રથિને એક વાગવામાં બે મિનિટ બાકી હતી ત્યાં જ પોતાનું પેપર આપી દીધું. રિસેસમાં દોસ્તો એક જ વાત કરતા હતા,

“યાર, સાહેબ કેટલું બોલતા હતા! માંડ માંડ પેપર પૂરું કર્યું. અત્યારે બીજા કોઈ સુપરવાઈઝર આવે તો સારું!”

થોડુંઘણું ખાઈને ક્લાસમાં ગયા તો એ જ સાહેબ સત્કાર કરવા બારણામાં ઊભા હતા. રથિન હજી તો વર્ગમાં દાખલ થવા જાય ત્યાં એમણે એને રોક્યો. “ક્યાં છે તારી ગણિતની ઉત્તરવહી? મારી સાથે જરા પણ ચાલાકી કરી તો તારી વાત તું જાણજે.”

“સાહેબ, મારું પેપર મેં તમારા હાથમાં જ તો આપેલું.”

“એમ? બહુ સ્માર્ટ બનવા જાય છે? યાદ રાખજે આ પેપર પતે ત્યાં સુધીમાં તારો ગુનો નહીં કબૂલે તો તને ફેલ કરવામાં આવશે.”

રથિને જેમતેમ કરીને વિજ્ઞાનના પેપર પર ધ્યાન આપવાની કોશિશ કરી, પણ વાત પ્રિંસિપલ સાહેબ સુધી પહોંચી હતી અને એમણે સુપરવાઈઝરને ઠપકો આપતાં કહ્યું હતું કે, “તમારી લાપરવાહીને કારણે આમ બન્યું એ માટે તમે જવાબદાર છો. મને કોઈ પણ હિસાબે બધાં પેપર જોઈએ.”

સુપરવાઈઝરના મગજ પર ખુન્નસ સવાર થઈ ગયું હતું, ‘આ છોકરો સમજે છે શું પોતાની જાતને? એને સીધો કરવો પડશે.’

વિજ્ઞાનનું પેપર પત્યું ને બધા વિદ્યાર્થીઓ નીકળી ગયા પછી એ રથિનને ખેંચીને બાજુના રૂમમાં લઈ ગયા. એમને ડર હતો કે, રખેને પ્રિંસિપલ ખૂટતા પેપરની તપાસ કરવા આ વર્ગમાં ન આવી જાય! બીજા રૂમમાં લઈ જઈને એમણે રથિન સામે એક ઉત્તરવહી મૂકીને કહ્યું, “ચાલ, ગણિતનું પેપર લખવા માંડ!”

અત્યાર સુધીમાં રથિન તન-મનથી એવો તો નિચોવાઈ ગયો હતો કે, એને સમજાયું જ નહીં કે એણે શા માટે અને શું કરવાનું છે? એણે ધીમેથી કહ્યું, “સાહેબ, હું ખૂબ થાકી ગયો છું અને મને સખત ભૂખ પણ લાગી છે. પેપર તો શું, હું એક અક્ષર પણ નહીં લખી શકું.”

એના મોંમાં પાર્લે જી બિસ્કીટ ઠોસતાં એમણે કહ્યું, “ચાલ, હવે નખરાં કર્યા વિના લખવા માંડ.”

બરાબર એ જ સમયે પ્રિંસિપલ પરીક્ષા ખંડમાં પહોંચ્યા અને પ્યુનને બોલાવીને કહ્યું, “આજે આ રૂમની સફાઈ નથી કરી? ખૂણામાં કાગળિયાનો આટલો ઢગલો કેમ પડ્યો છે? ચાલ, હમણાં ને હમણાં સાફ કર!”

પ્યુને કાગળો તરફ નજર કરીને કહ્યું કે, “સાહેબ, આ તો પાછલી પરીક્ષાનાં નકામાં પેપરો લાગે છે.”

“લાવ જોઉં!” એમણે ઝીણી નજરે જોતાં કહ્યું, “અરે, પણ આ પેપર પર તો આજની તારીખ અને ગણિતનો વિષય લખેલો છે. પરીક્ષાર્થીનું નામ રથિન વોરા લખેલું છે. આ તો પેલા વિદ્યાર્થીનું જ પેપર! ક્યાં ગયા સુપરવાઈઝર સાહેબ?” ગુસ્સાથી ધમધમતા એ વર્ગમાંથી નીકળીને જવા ગયા ત્યારે બાજુના વર્ગમાં જે દૃશ્ય દેખાયું એ જોઈને એમના પગ થંભી ગયા. સુપરવાઈઝર રથિનનું માથું પકડીને, હાથમાં પેન પકડાવીને જબરદસ્તીથી પેપર લખાવવાની મહેનત કરતા હતા અને રથિન આજીજી કરતો હતો, “હું પેપર નહીં લખી શકું સાહેબ, મને જવા દો!”

ધીમા પગલે ત્યાં જઈને પ્રિંસિપલે રથિનને જવા માટે ઈશારો કર્યો અને સુપરવાઈઝરને કહ્યું, “સાહેબ, આ જ પેપર નહોતું મળતું ને? તમારા વર્ગના ખૂણામાંથી એ મળી ગયું છે ને હવે કાલથી તમારે આવવાની જરૂર નથી.”

(શિવનારાયણની કન્નડ વાર્તાને આધારે)
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 ઍપ્રિલ 2025; પૃ. 24  

Loading

...102030...145146147148...160170180...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved