Opinion Magazine
Number of visits: 9456203
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ટ્રમ્પ ‘દાદા’ હોય તો અમેરિકાના, દુનિયાના નહીં !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|26 May 2025

રવીન્દ્ર પારેખ

20 જાન્યુઆરી, 2025ને રોજ બીજી વખત અમેરિકી પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે કાર્યભાર સંભાળ્યો ત્યારથી તે ઠરીને બેઠા નથી. શપથ લેતાંની સાથે જ તેમણે જાહેર કર્યું કે હવેથી થર્ડ જેન્ડરની માન્યતા ખતમ ! આમ અમેરિકા તો ઠીક, દુનિયાને પણ તેમણે જંપવા દીધી નથી. તેમનાં ફરમાનોમાં ઠરેલપણું સંશોધનનો વિષય છે. તેમને બોલવાનો વાંધો નથી ને બોલીને ફરી જવાનો તો જરા પણ નથી. સનસનીખેજ રીતે વર્તવાનું તેમને ફાવે છે ને તેમને એવો વહેમ છે કે તેમની સનસનાટી દુનિયાને માફક આવે છે. ભારત સાથે તેમને મૈત્રી છે, એના કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમની સાથે મૈત્રી છે એમ કહેવું વધારે યોગ્ય છે. મોદી કોઈ પણ વડા પ્રધાન કરતાં વધુ, એવી નવ મુલાકાત અમેરિકાની લઈ આવ્યા છે, એમ જ ટ્રમ્પ પણ ભારત આવ્યા છે. મૈત્રી એટલી મજબૂત તો હતી જ કે અમેરિકી પ્રમુખ તરીકે સોગંદવિધિમાં ભારતને ઉપસ્થિત રહેવાનું આમંત્રણ હતું, પણ નરેન્દ્ર મોદીને ન હતું.

એમ પણ કહેવાય છે કે ટ્રમ્પ, મોદીથી એ મુદ્દે નારાજ હતા કે બીજા કાર્યકાળની ચૂંટણીમાં મોદી ટ્રમ્પને મળ્યા ન હતા. તેથી કદાચ મોદીને આમંત્રણ ન હતું. એ પછી પણ ટ્રમ્પ અને મોદી એટલા સ્પષ્ટ છે કે વેપારને મામલે મૈત્રી વચ્ચે લાવતા નથી. એટલે જ ટ્રમ્પ ઓવલ હાઉસમાં મોદીને મોઢામોઢ કહી શકે છે કે જે રીતે ભારત, અમેરિકા સાથે વર્તશે, એ રીતે અમેરિકા ભારત સાથે વર્તશે. મોદી રેસિપ્રોકલ ટેરિફને મામલે ટ્રમ્પ સામે ઝૂક્યા નથી તે પણ ટ્રમ્પની નારાજગીનું કારણ ખરું. ટ્રમ્પે પ્રમુખ તરીકે દુનિયા સામે ટેરિફિક ટેરિફ વોર છેડ્યું અને ચીન, ભારત તથા અન્ય દેશો સામે સોથી વધુ ટકા ટેરિફ વસૂલવાની ધમકી ઉચ્ચારી. સામે ભારત, ચીને પણ ટેરિફ અંગે ધમકીઓ આપી. જો કે, પછી ટેરિફ વોરની હવા નીકળતી ગઈ છે …

7 મેથી 11 મે, 2025 દરમિયાન ભારત પાકિસ્તાન સામે બાખડતું હતું, એ દરમિયાન અમેરિકા અને ચીન વચ્ચે પણ કશુંક રંધાઈ રહ્યું હતું ને ભારતે એ બંને મોરચા એક સાથે સંભાળવાના હતા. અમેરિકા અને ચીને જિનિવામાં એક બેઠક કરી. એમાં અગાઉના વાંધા ભૂલીને નવેસરથી ધંધો કરવાની વાત હતી. બંને દેશોએ ટેરિફ વોરને મામલે સમાધાન કરી લીધું. તે એટલે કે અમેરિકન કંપનીઓ મુશ્કેલી અનુભવતી હતી ને તેની સામે ચીનમાં લો કોસ્ટ પ્રોડકશનમાં જે માલ અમેરિકાને મોકલતી હતી તેની ખપતના પણ પ્રશ્નો હતા, એટલે અમેરિકા અને ચીને હાથ મેળવી લીધા. એ પછી આગળ શું થયું તે ખબર નથી, કારણ ટ્રમ્પ બોલવામાં માને છે, એટલું કરવામાં માનતા નથી.

એ પણ ખરું કે કોઈ પોતાની આગળ નીકળે એ પણ ટ્રમ્પને બહુ રૂચતું નથી. બાકી હતું તે એપલનાં CEO ટિમ કૂકે ભારતનાં વખાણ કર્યાં. પરિણામે ટ્રમ્પનું એવું ફરમાન છૂટ્યું કે એપલ કંપનીએ તેનાં ફોન અમેરિકામાં બનાવવા. જો એપલ કંપની ભારતમાં મોબાઈલ બનાવતી જ હોય, તો દેખીતું છે કે તે અહીં વાઈન્ડ અપ ન કરે. ટ્રમ્પે એપલ અને સેમસંગ કંપનીઓને બહાર ફોન બનાવવાની છૂટ તો આપી, પણ તેમને 25 ટકા ટેરિફ લગાવવાની વાત પણ કરી. આ ટેરિફ નથી, પણ પેનલ્ટી જ છે. એ જ રીતે અમેરિકાની બહાર બનતી ફિલ્મ પર પણ 100% ટેરિફ ઝીંકવાની વાત ટ્રમ્પે કરી છે. ટ્રમ્પ ભલે એપલને અમેરિકા ખેંચવાની કોશિશ કરે, પણ અમેરિકાની 9 મોટી કંપનીઓ વિદેશમાં 80થી વધુ ઉત્પાદનો કરે છે. આ મામલે ટ્રમ્પ સમજાતા નથી. 2002 સુધીમાં 77% ઉત્પાદનો મેઇડ ઇન યુ.એસ.એ. હતા. તે હવે 46 % પર છે. એ સૂચવે છે કે કેટલુંક ઉત્પાદન અમેરિકાનું નથી. એમ લાગે છે કે અમેરિકી પ્રમુખ પાસે લૉજિક સિવાય બધું જ છે.

ભારતે આતંકી થાણાંઓ પર એર સ્ટ્રાઈક કરી ને પાકિસ્તાને પણ જાત બતાવી. પરિણામે યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું. એમાં પાકિસ્તાનને વધુ નુકસાન થતાં, તેણે યુદ્ધ વિરામની વિનંતીઓ કરી ને ભારતે તે મંજૂર રાખી. દેખીતું છે કે તેની જાહેરાત ભારત કરે, પણ ડોનાલ્ડ ડકની જેમ ડોનાલ્ડ ટ્રમ્પે કરી. આખી દુનિયામાં ટ્રમ્પે ટ્રમ્પેડ વગાડ્યું કે યુદ્ધવિરામ એમને આભારી છે. પછી જ્યારે ભારતે ખુલાસો કર્યો ત્યારે એ બહાર આવ્યું કે ટ્રમ્પે રીતસરની દખલ જ કરી હતી. ટ્રમ્પે વ્હાલા થવા, પી.ઓ.કે. સંદર્ભે માથું મારવાની કોશિશ કરી, તો ભારતે કોઇની પણ દખલ વગર એ મામલો ઉકેલવાની વાત કરી.

પણ ટ્રમ્પ, બમ્પની ગરજ સારે એવા પરગજુ છે. તેમણે પોતાની મૌખિક તોપ અન્ય દેશો તરફ ફેરવી. રશિયા-યુક્રેન યુદ્ધ મામલે કાજી થવા ગયા. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીને અમેરિકા બોલાવીને પાણીથી પાતળા કર્યા, તો રશિયન પ્રમુખ પુતિનને પણ યુદ્ધ વિરામ અંગે વારંવાર સમજાવ્યા. બંને દેશોએ સૈનિકોની આપ-લે તો કરી, પણ યુદ્ધ ચાલુ રહેશે એવી જાહેરાત પણ કરી. ઝેલેન્સ્કી સાથેની તડાફડી પછી રાષ્ટ્રપ્રમુખના ઓવલ હાઉસમાં આમંત્રણથી રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા પણ ટ્રમ્પને મળવા ગયા, તેમને અપેક્ષા હતી કે અમેરિકા અને સાઉથ આફ્રિકાના સંબંધો મજબૂત બનશે, ત્યાં ટ્રમ્પે એવો ધડાકો કર્યો કે સાઉથ આફ્રિકામાં ગોરા ખેડૂતો પર અત્યાચાર થાય છે. દક્ષિણ આફ્રિકાનો વીડિયો બતાવી ટ્રમ્પે ગોરા ખેડૂતોનો નરસંહાર થઈ રહ્યો છે એમ બતાવ્યું. આ રીત અપમાનિત કરનારી હતી. રામફોસાએ કહ્યું કે દક્ષિણ આફ્રિકા ટ્રમ્પના આરોપોને નકારે છે. રામાફોસા ઉશ્કેરાયા નહીં, પણ ટ્રમ્પ તો ઉશ્કેરાયેલા જ રહ્યા. રામાફોસાએ માફીના સૂરમાં સંભળાવ્યું પણ ખરું કે તેમની પાસે આપવા માટે વિમાન નથી, તો ટ્રમ્પે પણ શરમ છોડીને કહ્યું કે કાશ ! તમે મને વિમાન આપી શકો. એ વાત પર એક પત્રકારે ટ્રમ્પને પૂછ્યું કે તમે વિમાન સ્વીકારો છો? ટ્રમ્પનો જવાબ હતો કે અમેરિકાની વાયુસેના માટે આપવામાં આવે તો સ્વીકારું છું. પત્રકારે વળતો સવાલ કર્યો કે તમને તો કતાર પાસેથી પર્સનલ ગિફ્ટમાં (3,400 કરોડનું) વિમાન મળ્યું છેને? તો, ટ્રમ્પ ભડક્યાને પત્રકારને ઝાટકતાં કહ્યું કે તું હવેથી આવતો નહીં. મારે તારા સી.ઇ.ઓ. સાથે વાત કરવી પડશે. એ ખરું કે ટ્રમ્પનાં આવાં વર્તનથી ઓવલની પ્રતિષ્ઠા જોખમાઈ છે.

આટલાથી સંતોષ ન હોય તેમ, ઈઝરાયેલ-ગાઝા યુદ્ધમાં પણ ટ્રમ્પ દખલ કરવાનું ચૂક્યા નથી. ટ્રમ્પ અને ઇઝરાયેલના નેતન્યાહૂ વચ્ચે હવે બારમો ચંદ્રમા છે. ઇઝરાયેલના નેતન્યાહૂ વૈશ્વિક દબાણ છતાં સાફ કહે છે કે ગાઝા પર હુમલો નહીં રોકાય. તેનું એક કારણ અમેરિકામાં ઇઝરાયેલી દૂતાવાસના કર્મચારી પતિ-પત્નીની હત્યા થઈ તે ! વળી ઈઝરાયેલ ઈરાન પર પરમાણુ હુમલો કરવાનું છે એ વાત પેટમાં ન રાખતાં ટ્રમ્પે ઈરાનને કહી પણ દીધી. આવા બફાટને કારણે અમેરિકા, ઈઝરાયેલ અને ગાઝા વચ્ચેનું યુદ્ધ રોકે એ શક્ય નથી. બીજી તરફ દેશ તરીકેની પહેલી માન્યતા ઇઝરાયેલને ભારતે આપેલી, એટલે બંને મિત્રો છે ને અમેરિકાનું ઈઝરાયેલ સાથે કટાયું છે, એટલે ભારતથી અમેરિકા ન કતરાય તો જ નવાઈ !

ટ્રમ્પ પ્રમુખ થયા પછી ફરી એક વાર ગલ્ફ કન્ટ્રીઝની મુલાકાત લઈ ચૂક્યા છે, તે દુનિયાભરમાં છવાઈ જવાની દાનતે. હેતુ એ કે ગલ્ફ કન્ટ્રીઝ અમેરિકામાં વધુ ઇન્વેસ્ટ કરે. એ તો ઠીક, પણ અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓ માટે ભણતરની મોકળાશ ઘટતી આવે છે તે પણ ખરું ! ટ્રમ્પ વિદેશી વિદ્યાર્થી ઇચ્છતા જ ન હોય તેમ, તેમના પ્રતિબંધને કારણે ભવિષ્યમાં હાવર્ડ યુનિવર્સિટીની વૈશ્વિક પ્રતિષ્ઠા પણ દાવ પર લાગી છે. અમેરિકી સરકારે 2.6 અબજ ડોલરની સહાય તો બંધ કરી જ, તે સાથે વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. એનો મેસેજ દુનિયામાં એવો ગયો છે કે અમેરિકાને વિદેશી ટેલન્ટની પડી જ નથી. વળી અમેરિકામાં કારકિર્દી બનાવવા જેવું વાતાવરણ પણ રહ્યું નથી, એવું હાવર્ડ બિઝનેસ સ્કૂલમાં ભણેલા ગુરુગ્રામના ઉદ્યોગ સાહસિક રાજેશ સાહની માને છે. એમ પણ લાગે છે કે અમેરિકામાં અન્ય મંત્રીઓ જ ન હોય, તેમ ટ્રમ્પનો ઘોંઘાટ જ વિશ્વમાં પડઘાયા કરે છે.

આ અને આવી અનેક ઘટનાઓ ટ્રમ્પનાં પાંચેક મહિનાના શાસનમાં સામે આવી છે. એમાં ટેરિફ, વેપાર અને અપમાન એટલું જ હાથ લાગે છે. સારા રાજનેતાને દેશ અથવા વિશ્વ સુધારવાની કે વિશ્વને ઉપયોગી થવાની ચિંતા હોય. ટ્રમ્પને દેશ જ નહીં, વિશ્વમાં અરાજકતા, અશાંતિ ફેલાવવાના અભરખા હોય એમ લાગે છે. વિવેક તેમનામાં શોધ્યો જડતો નથી. સૌથી મોટી મહાસત્તાનો પ્રમુખ ગૌરવ અને ગરિમા જાળવે જ નહીં, એ કેવું? આશ્ચર્ય તો એ વાતનું છે કે અમેરિકા તો વેઠી લે, પણ દુનિયાના અન્ય દેશો પણ તેમની જોહુકમી, ઉદ્ધતાઈ અને અસ્થિર મનોદશા વેઠી લે એ આશ્ચર્યજનક જ નહીં, આઘાતજનક પણ છે. વૈશ્વિક અસ્થિરતાના આ જનક માટે એક જ વાત બચાવમાં કહેવાની છે અને તે ખરી કે ખોટી, યુદ્ધને રોકવાની. કોઈ યુદ્ધ ચાલુ રહે એ એમને માન્ય નથી. એટલે જ એમણે રશિયા-યુક્રેન, ઈઝરાયેલ-ગાઝા, ભારત-પાકિસ્તાન માટે સમાધાન કરવાની કોશિશ કરી છે, એ માટે ઉદ્ધત થવું પડે, તો પણ તેમને તેનો વાંધો નથી. એ રીતે તે વિરલ છે ને વાઇરલ પણ !

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 26 મે 2025

Loading

માણસ આજે (૨૭) 

સુમન શાહ|Opinion - Opinion|25 May 2025

સુમન શાહ

આજકાલ દુનિયામાં એટલી બધી ઘટનાઓ અને એટલી બધી પરિસ્થતિઓ એટલી બધી ઝડપથી ઘટે છે કે દરેક માણસ કહે છે –મારે બહુ કામ છે — મારી પાસે જરા ય ટાઇમ નથી — નૉટ નાઉ, નો ટાઇમ! 

ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગને તાજેતરમાં એક મુલાકાતમાં પૂછવામાં આવ્યું તો એમણે કહ્યું કે – ઉત્પાદન બાબતે મેં ૮૦%-નો નિયમ રાખ્યો છે. એમ લાગે કે તેઓ પોતાના સમગ્ર સમયના ઍંશી ટકા ખરચે છે. પણ શેમાં? મીટિન્ગોમાં? એમણે કહ્યું, ના. 

આ ૮૦% -ના નિયમને સમજવાની જરૂર છે. ઉચ્ચ કોટીની સિદ્ધિ-સફળતા માટે મન્થન કરનારી વ્યક્તિઓ આ નિયમ અપનાવે છે. પહેલી વાત એ કે ઝુકરબર્ગે કહ્યું તેમ તેઓ એક પછી બીજી એમ મીટિન્ગોના યન્ત્રવત્ ટાઇમટેબલને નથી અનુસરતા. પોતાના સમયનો મહત્ત્વનો હિસ્સો ખુલ્લો – open – રાખે છે. શેને માટે? અગ્રતાક્રમે મુકાયેલી ચાલુ બાબતો માટે – dynamic priorities માટે. એને કારણે અત્યન્ત ધ્યાન આપવા લાયક એ બાબતો માટે તેઓ નિરાંતે વિચારી શકે છે.

ઝુકરબર્ગનો આ ઉત્પાદનપરક નિયમ Pareto Principleને મળતો આવે છે. એમાં પણ એમ સૂચવાયું છે કે ૨૦% ઇન્પુટથી ૮૦% જેટલો આઉટપુટ મળશે. તાત્પર્ય, ઉચ્ચ કોટીની સિદ્ધિ-સફળતાનું ધ્યેય હોય ત્યારે અગ્રતાક્રમે મુકાયેલાં કામો વિશે વધારે વિચારમન્થન કરવાથી વિશેષ લાભ થાય છે. જો કે એ ધ્યેય હાંસલ કરવા ઝુકરબર્ગથી જુદા અભિગમથી પોતાનો સમય ખરચનારા પણ હોય છે, તેઓ વિચાર પાછળ ઓછો અને કાર્ય પાછળ વધુ સમય ખરચતા હોય છે. 

પરન્તુ નૉંધ એ લેવાની છે કે એ બન્ને વર્ગના સ્વપ્નસેવીઓ માટે સૉંપેલું કામ કરનારા સંખ્યાબંધ લોકો હોય છે. 

આ તો થઈ ઝુકરબર્ગ કે બિલ ગેટ્સ કે ઇલોન મસ્ક જેવા ઉચ્ચ કોટીની સિદ્ધિ-સફળતાના આકાંક્ષુ અને ખાસ્સા સફળ થયેલા ઉદ્યોગવીરોની વાત. 

સામાન્ય માણસનું શું? એને કોઈ પૂછનાર નથી કે એ રોજ પોતાના સમયના કેટલા ટકા કામ પાછળ ખર્ચે છે. એની પાસે નથી કશી સિદ્ધિનું સપનું કે નથી સપનું સાચું કરી આપનારા કાર્યકરોની મોટી ફોજ!

ફિલસૂફો અને ચિન્તકો સમયને ઉત્પાદન અને સિદ્ધિ-સફળતાની ફ્રેમમાં નથી જોતા :  

વિલિયમ જેમ્સે (1842–1910) ચૈતસિક સમયની વિભાવના રજૂ કરી છે. ચિત્તની બહારનો જે સમય છે, ઘડિયાળનો, એ તો કૃત્રિમ છે. સાચું છે, સૅકન્ડ મિનિટ કે કલાક એવા સમયના ટુકડા તો માણસે કર્યા છે. તેઓ જણાવે છે કે સમયનો જ્ઞાનાનુભવ ધ્યાન ચેતના અને સ્મૃતિ પર આધારિત છે. ઘડિયાળમાં સમય આજની બપોરના ૧.૪૫ હોય, પણ ચિત્ત પ્હૉંચી ગયું હોય મહેનતના કામમાં ગાળેલી ગઈકાલની બપોરમાં કે એ પહેલાંની કશી મિલનરંગીન બપોરમાં અને પછી રાજેન્દ્ર શાહની શ્રાવણી મધ્યાહ્નમાં … અને ત્યારે સમયાનુભવમાં સ્થળો વ્યક્તિઓ અને પરિસ્થિતિઓ પણ ભળી ગયાં હોય છે. 

સિગ્મણ્ડ ફ્રૉઈડે (1856-1939) કહ્યું કે અસમ્પ્રજ્ઞાત મનમાં સમય સીધી લીટીનો નથી હોતો. દમિત સ્મૃતિઓ ભુંસાઈ જતી નથી, દાખલા તરીકે, પ્રેમ-પ્રણયમાં બેવફાઈ. પણ સ્મૃતિઓ પાછી આવે છે. પરિણામે વર્તમાન ચ્હૅરાઈ જાય છે, વ્યક્તિની વર્તણૂક બદલાઈ જાય છે. મનોરોગીના મનોવિશ્લેષણ માટે ફ્રૉઈડ નક્કી સમયના ઇન્ટર્વલ રાખતા હતા, તો પણ અનુભવોને પ્રક્રિયાગત કરવામાં એમને ફાવટ આવતી ન્હૉતી. એનું મોટું કારણ, અસમ્પ્રજ્ઞાત મન. સમયને એ નવા રૂપમાં ફેરવી નાખે છે, જેમાં ભૂત વર્તમાન કે ભવિષ્ય જેવા ભેદ બચતા નથી. 

ઍડમણ્ડ હ્યુસેર્લે (1859–1938) સમય-ચેતનાની વિભાવના રજૂ કરી છે. તેઓ દર્શાવે છે કે આપણે જ્ઞાનેન્દ્રિયોથી પામીને સમયને જીવીએ છીએ. તેઓ જણાવે છે કે વર્તમાનકાળ કદી શુદ્ધ હોતો નથી, હમેશાં ભૂતકાળને પોતામાં સંભરી રાખે છે, અને ભવિષ્ય-ની અપેક્ષાઓ સેવે છે. 

માર્ટિન હાઇડેગર (1889–1976) સમય-ચેતનાને મહત્ત્વ આપવાને બદલે સમયને સતની – beingની – ક્ષિતિજ રૂપે જુએ છે. એટલે કે સમય આપણને વિશ્વ સાથે કેટલે સુધી જોડી શકે છે એમ છે. એમણે દર્શાવ્યું છે કે સમય એક પાછળ બીજી એમ ક્ષણોનો ક્રમ માત્ર નથી પણ મનુષ્યના અસ્તિત્વથી સંયુક્ત એવો જટિલ પદાર્થ છે. ભૂતકાળ વર્તમાનકાળ અને ભવિષ્યકાળ એકબીજામાં ગૂંથાઈ કે ગૂંચવાઈ ગયેલા છે. સમય સમ્મિશ્ર કાળ છે. આપણા સ-અન્ત અસ્તિત્વને ઓળખીને ભવિષ્યને ભેટીએ એને કહેવાય કે અધિકૃત રીતિએ જીવીએ છીએ. 

સંસ્કૃત કવિ ભવભૂતિ કહે છે કે કાળ નિરવધિ છે અને પૃથ્વી વિપુલ છે, કોઇક સમાનધર્મા તો મળી રહેશે. પોતાની સાહિત્યસૃષ્ટિ વર્તમાનમાં ન ઝીલાતી હોય ત્યારે  સાહિત્યકારો ભવભૂતિની આ સમજનો પ્રયોગ કરીને જીવનભર આશ્વસ્થ રહી શકે છે. 

પણ સાર્ત્ર એમ કહેશે કે – મને મરણોત્તર કીર્તિમાં રસ નથી, પાકા કેળાની જેમ હું મારા જ સમયમાં ખવાઇ જવો જોઈએ એટલે કે સમજાઈ જવો જોઈએ. જો કે સાર્ત્રની મરણોત્તર કીર્તિ જ સવિશેષે પ્રસરી છે. 

માર્ક ઝુકરબર્ગ —

ઝુકરબર્ગ જેમ્સ ફ્રૉઈડ હ્યુસેર્લ હાઇડેગર ભવભૂતિ અને સાર્ત્ર સમય વિશે કહે છે એથી જુદું ગીતામાં કૃષ્ણ કહે છે —

कालोऽस्मि लोकक्षयकृत्प्रवृद्धो लोकान्समाहर्तुमिह प्रवृत्तः।

ऋतेऽपि त्वां न भविष्यन्ति सर्वे येऽवस्थिता: प्रत्यनीकेषु योधाः॥

કૃષ્ણ સ્વયં કાળ છે. લોકક્ષય કાજે છે. પણ અર્જુનને તેઓ થોડુંક જુદું પણ કહે છે : તું યુદ્ધમાં ભાગ નહીં લે તો પણ સામી સેનાના યોદ્ધાઓનું અસ્તિત્વ નથી રહેવાનું. 

કૃષ્ણના આ વચનમાં મારાથી એમ વંચાય છે કે સમય એટલે અવશ્યંભાવી અનિવાર્ય મૃત્યુ. સમય ગતિમન્ત છે અને એની ગતિ રોકી રોકાય નહીં એવી અનિરુદ્ધ અને નિરન્તરાય છે.

જો કે લોકોએ ઝુકરબર્ગને ફિલસૂફોને કે ચિન્તકોને કે અરે કૃષ્ણને પૂછવું જોઈએ કે સમય વિશે આટલું બધું કહ્યા પછી તમે સૌ સમયનું શું કરો છો. પણ એમ પૂછવા ય આજે કોઈ નવરું નથી. 

ખરેખર તો નવરાશ અને સમય વચ્ચે આપણા જમાનામાં અદૃશ્ય તંગ અવસ્થા પ્રવર્તે છે અને એનો મનુષ્ય પાસે કોઈ ઇલાજ નથી.  

= = =

(250525USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

તણાવનું ત્રિકોણઃ ભારત-પાકિસ્તાનને મામલે “મધ્યસ્થી” બનવું યુ.એસ.એ. માટે બે ધારી તલવાર

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|25 May 2025

ઑપરેશન સિંદૂરથી ઇમરાન ખાનની મુક્તિ સુધીનો ખેલ વૈશ્વિક રાજકારણને ધરમૂળથી બદલી શકે છે

ચિરંતના ભટ્ટ

2025નું વર્ષ અને દક્ષિણ એશિયા ફરી એકવાર વૈશ્વિક સત્તાના ત્રિકોણના કેન્દ્રમાં છે – એક એવી સ્થિતિ જ્યાં ઇતિહાસ હજી અધૂરો છે, જે પણ યુતિ કે સંગઠન છે તેનો આધાર વ્યવહારિક છે અને પરમાણુ શક્તિ દાવ પર લાગેલી છે.  

એક તબક્કે પાકિસ્તાન ક્રિકેટના મસિહા ગણાતા અને બાદમા લોકપ્રિય નેતા બનેલા ઇમરાન ખાન આમ તો જેલમાં છે, પણ તેમનું શું થશે અથવા તેમની સાથે શું થઈ રહ્યુ છે તેની અટકળો સતત ચાલુ છે. છેલ્લા સમાચાર અનુસાર અમેરિકાનું દબાણ, પાકિસ્તાનની વર્તમાન આંતરિક અરાજકતા અને ત્યાંની લશ્કરી ગણતરીઓને કોઈ ઊહાપોહ વગર પુનર્ગઠન કરવાના હેતુથી ઇમરાન ખાનને થ્રી પોઈન્ટ ડિપ્લોમસીની શરતી મુક્તિ મળે એવી ચર્ચા ચાલી રહી છે. દેશ લોકશાહીના ભ્રમ અને હળવા માર્શલ લૉની વચ્ચે ભીંસાઈ રહ્યો છે, ફુગાવો ફાટ્યો છે અને IMF માથે ધૂણે છે. અધૂરામાંપૂરું લશ્કરી તંત્ર ખંડિત છે ત્યારે પાકિસ્તાન આ સંજોગોમાંથી એ રીતે બહાર નીકળવાના પ્રયાસમાં છે, જે રીતે કોઈ સુરંગ પથરાયેલા મેદાનમાંથી સાવચેતી બહાર નીકળવા પ્રયત્નશીલ હોય. આ એક્ઝિટ એક રાજકીય વ્યૂહરચના સમી હોય તે પાકિસ્તાન માટે અનિવાર્ય છે, એ વાત અલગ છે કે એ સ્તરનું વૈચારિક કૌશલ જો પાકિસ્તાન પાસે હોત તો આ સંજોગો ખડા જ ન થયા હોત. 

પહલગામના આતંકવાદી હુમલાનો જવાબ ભારતે ઑપરેશન સિંદૂરથી આપ્યો. પાકિસ્તાનને આંચકો લાગ્યો પણ છતાં પણ મિયાં પડે પણ ટંગડી ઊંચી વાળો ઘાટ રહ્યો. પરમાણુ હુમલાનો ખતરો માથે તલવારની જેમ તોળાતો રહ્યો પણ નસીબજોગે એ નોબત ન આવી. દુનિયા આખીએ આ ઘટનાઓ ઝીણી નજરે જોઈ. સ્વાભાવિક છે કે કભી હાં, કભી ના કરતા યુ.એસ.એ.એ ફરી ભારત-પાકિસ્તાનના તણાવમાં મંચ પ્રવેશ કર્યો. ડૉનાલ્ડ ટ્રમ્પની સેકન્ડ સિઝન ચાલે છે ત્યારે વ્હાઇટ હાઉસે મધ્યસ્થી બનાવની વાત કરી જો કે એ બધું ટ્વીટ્સમાં હતું પણ વાસ્તવિકતામાં ટેરિફનો બોજ પણ હતો. સહેજ મરકીને અમેરિકાએ યુદ્ધવિરામને પોતાની સફળતા ગણાવી, જો કે ભારતે તો બિંધાસ્ત એમ કહ્યુ કે આ ડિ-એસ્કેલેશન તો એક પક્ષીય છે. યુ.એસ.એ.એ ભારત-પાકિસ્તાન વચ્ચેના વિરામ અંગે જે પણ કહ્યું એમાં પાકિસ્તાનને ધરપત થઇ હશે તો ભારતે ભવાં ચઢાવ્યા હશે. યુ.એસ.એ.નો આ મંચ પ્રવેશ પોતાના માર્કેટિંગનો એક કેમિયો હતો એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. ભારત-પાકિસ્તાન અને યુ.એસ.એ.નું આ ત્રિકોણ એવું છે કે એમા કોને શું જોઈએ છે તે કળવું સમય અને સંજોગો સાથે બદલાતું રહ્યું છે. ઘણીવાર આ ત્રિકોણમાં ઘટનાઓ એટલી નાટ્યાત્મક હોય છે કે નાટકની ભાષામાં કે બંધારણમાં તેને સમજવાનો પ્રયત્ન વધું સરળ થઈ પડે. જે ઉપર ચર્ચ્યો એ પહેલો અંક હોઈ શકે જે હાલની પરિસ્થિતિનો ચિતાર આપે છે.

આ ત્રિકોણમાં કોણ શું ઇચ્છે છે?

હવે આ આ ખેલના બીજા અંક પર નજર નાખીએ. પહેલાં આપણી જ વાત કરીએ તો આપણે ત્યાં મોદી સરકારની ત્રીજી સિઝન ચાલે છે. આપણને વિશ્વગુરુ બનવું છે એટલું જ નહીં પણ દક્ષિણ એશિયામાં આપણી જે ભૌગોલિક સ્થિતિ છે, આપણા જે સંજોગો અને ક્ષમતાઓ છે તેના આધારે આપણને સૌથી મોખરાના, અગત્યનાં અને આપણા પાડોશી દેશો કરતાં બધાં જ પાસે વધુ મજબૂત થવાની ચાહના છે. વળી કાશ્મીરના મુદ્દે આપણને કોઈ હસ્તક્ષેપ નથી જોઈતો. આપણને એટલે કે આપણી સરકારને હવે એટલી તુમાખી રાખવી છે પાકિસ્તાન પર કરેલી સર્જિકલ સ્ટ્રાઇક્સ અને આતંકવાદ સામે અગાઉ રાખેલા સંયમને આપણે વારંવાર સમજાવવો ન પડે – તેની ચોખવટ ન આપવી પડે. આપણને યુ.એસ.એ.નો સાથ માત્ર ટૅક અને સંરક્ષણના મામલે ભાગીદાર તરીકે જોઈએ છે પણ વગર કારણ ચંચુપાત કરનારા મધ્યસ્થી તરીકે નથી જોઈતો.

આ ખેલનું બીજું પાત્ર છે પાકિસ્તાન. પાકિસ્તાનને જોઈએ છે કે તે દેવામાંથી મુક્ત થાય, કાશ્મીરના મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી એકવાર પોતાના દૃષ્ટિકોણથી ગંભીરતાથી લેવામાં આવે અને પોતાને એક રાષ્ટ્ર તરીકે વૈશ્વિક સ્તરે સન્માનથી જોવાય એ જ પાકિસ્તાનની ઇચ્છા છે. અમેરિકાએ પાકિસ્તાનથી અંતર કર્યું છે અને પાકિસ્તાન ચાહે છે કે ફરી એકવાર અમેરિકા તેના સ્પીડ ડાયલ પર હોય – મદદ જોઈતી હોય ત્યારે નહીં પણ તે પાકિસ્તાનને ગણે છે, તે જે કરે છે તેને તેને માન્યતા આપે છે એ રીતે. 

યુ.એસ.એ.ની વાત કરીએ તો મહાસત્તાનું લેબલ લાગ્યું છે એટલે સત્તા અને નિયંત્રણ વગરનું કશું ય અમેરિકાને પચે એમ નથી. પાકિસ્તાન યુ.એસ.એ. માટે એક એવો છોકરો છે જે નઘરોળ છે પણ છતાં ય મા-બાપના કહ્યામાં હોય – પાકિસ્તાન પોતાના નિયંત્રણમાં રહે તેમ યુ.એસ.એ. ઇચ્છે છે. જો પાકિસ્તાન એક તૂટેલા પરમાણુ બ્લેક હોલની ફિતરત પાળશે તો અમેરિકાને ભારે પડશે. આ તરફ ભારત તેમને માટે ચીનને અપાતો તગડો પ્રત્યુત્તર હોય એવી સ્થિતિ તો અમેરિકાને જોઇએ જ છે પણ વૈશ્વિક ખેલાડી તરીકે ભારત અમેરિકાની ટીમમાં હોય તેવું પણ યુ.એસ.એ ઇચ્છે છે. જો કે ભારતને આ પશ્ચિમ માટે નિયમોને આધિન રહેવાની સ્થિતિ તરીકે નાણે છે. 

બાકીનું આખું વિશ્વ આ ત્રિકોણને ધારદાર અને ધરી પર ઇચ્છે છે પણ તેમાં કંઇપણ સ્ફોટક ન હોવું જોઇએ તેવી જ તેમની ચાહ છે. દક્ષિણ એશિયા હવે કંઇ પ્રાદેશિક કે સ્થાનિક બાબત નથી પણ એક વૈશ્વિક ટ્રિગર પોઈન્ટ છે. 

અહીં સુધી આપણે કેવી રીતે પહોંચ્યા?

ભારત, પાકિસ્તાન અને અમેરિકાના મુદ્દે આપણે એ પણ સમજવું પડે કે જે ત્રિકોણ હતું એ આવું બર્મુડા ટ્રાયંગલ કેમ બની ગયું છે. પરિસ્થિત આટલી વિકટ નહોતી. શીત યુદ્ધ થયું ત્યારે પાકિસ્તાન અમેરિકાનો લાડકો દીકરો હતો, ત્યારે પાકિસ્તાને CENTO અને SEATOમા જોડાવાનું નક્કી કર્યું અને તગડી લશ્કરી સહાય મેળવી. જવાહરલાલ નહેરુના નેતૃત્વમાં ભારતે આ જોડાણ ટાળ્યું અને ડાબેરી ઝુકાવ રાખીને યુ.એસ.એસ.આર. સાથે સંબંધો કેળવ્યા. 1971માં નિક્સને પૂર્વ પાકિસ્તાન એટલે કે આજના બાંગ્લાદેશમાં નરસંહાર પર નજર રાખતી વખતે પાકિસ્તાનને ટેકો આપ્યો તો ઇન્દિરા ગાંધી પૂર્વ તરફ વળ્યાં અને સોવિયત સાથેની સંધી પર હસ્તાક્ષર કર્યા અને યુ.એસ.એ.-ભારતની દોસ્તીની કિંવદંતીને દફનાવી દીધી. 1998માં ભારત અને પાકિસ્તાન બન્ને દેશોએ પરમાણુ હથિયાર બનાવ્યા, નવા પ્રતિબંધો આવ્યો અને પછી કારગિલ યુદ્ધ થયું. એ પછી અમેરિકાએ 9/11નો હુમલો ભોગવ્યો.

2011 પછી પાકિસ્તાન અમેરિકાનો NON-NATO સાથી બન્યો જે આતંકવાદ સામેના યુદ્ધ સામે અગત્યનું હતું છતાં પાકિસ્તાને આડોડાઈ ન છોડી. ઓસામા બિન લાદેનને અબોટોબાદમાં પાકિસ્તાને આશરો આપ્યો. આ દરમિયાન ભારતે અર્થવ્યવસ્થામાં ઉદાર અભગિમ અપનાવ્યો અને 2005ના ઐતિહાસિક પરમાણુ કરાર પર હસ્તાક્ષ કર્યા. ધીમી ગતિએ આપણે વોશિંગ્ટન માટે પસંદગીનો ગમતો વ્યૂહાત્મક ભાગીદાર બન્યા.

ટ્રમ્પ પહેલીવાર સત્તામાં આવ્યા ત્યાં સુધીમાં તો પાકિસ્તાનને આતંકવાદ પર લેક્ચરો સાંભળવાની નોબત આવી ગઈ હતી અને ભારત નમસ્તે ટ્રમ્પ રેલી યોજી રહ્યો હતો. આ સ્થિતમાં ટ્રમ્પ કાશ્મીર મામલે મધ્યસ્થી બનવાની લાલચ ન રોકી શક્યા અને એ પીડાની ટીસ ભારત માટે ગહેરી હતી. આજે 2025માં ટ્રમ્પની સિઝન ટુમાં આપણે એ જ આવેગ જોઈએ છીએ – મોટી મોટી વાતો, વ્યૂહાત્મક દખલગીરી અને વ્યવહારિક વૃત્તિ. 

આ સંજોગોમાં શું થઈ શકે છે? 

ભારત એક વિકાસશીલ દેશ છે, આપણે ઉભરી રહેલી તાકાત છીએ. કાશ્મીરમાં અમેરિકા ચંચુપાત કરશે તો આપણને જરા ય ગમવાનુ નથી – અને અત્યારે નહીં ભવિષ્યમાં પણ એ ભારતને કઠશે. ભારત અમેરિકા સાથે સંરક્ષણના સોદાઓ પર સહીં સિક્કા કરશે, સમિટને મામલે સાથી યજમાન પણ બનશે પણ જો અમેરિકા એમ ધારે કે ભારત તેનો કહ્યાગરો દીકરો બનશે તો એમાં અમેરિકા ખાંડ ખાય છે. એવી આજ્ઞા પાલનની અપેક્ષા અમેરિકાએ ભારત પાસેથી કોઈ કાળે ન રાખવી જોઇએ.

પાકિસ્તાન અત્યારે પાતાળલોકની સિઝન થ્રીમાં છે, ઊંડા સંકટમાં છે. પાકિસ્તાનનું અર્થતંત્ર IMFના હપ્તાઓ પર આધારિત છે, ત્યાંનું રાજકારણ દમન અને વિરોધનું રિવોલ્વિંગ ડૉર બની ચુક્યું છે અને પાકિસ્તાની સેના હવે અમેરિકાની ડાહી ડમરી કઠપૂતળી નથી. તે નથી વિશ્વસનીય સાથે કે નથી વિરોધી. 

યુ.એસ.એ.ના મામલે તો એવું છે કે તે જરૂરી તો છે જ પણ તે ભારત માટે ખર્ચાળ દોસ્તી છે. અમેરિકા એ ધનિક છોકરો છે પાર્ટીમાં આવે છે અને પાકિટ ભૂલી જાય છે. ભારતને ખબર છે કે ચીન, સેમી કન્ડક્ટર્સ, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ચિપ્સ અને સેમિડકન્ડક્ટરને મામલે તેણે અમેરિકા સાથે જોડાવું જ પડશે. પણ વોશિંગ્ટનની વિશ્વસનીયતા ઘટી રહી છે ખાસ કરીને જ્યારે તે બે બિલાડી વચ્ચેનો વાંદરો બનીને બન્ને બાજુએ ખેલ કરીને પોતાનો લાભ જુએ છે. 

વૈશ્વિક દૃષ્ટિએ તો આ ત્રિકોણ ઘણીબધી બાબતો પર અસર કરે એમ છે. કાશ્મીરમાં કોઈ ભૂલ થાય તો માર્યા ઠાર, સામે પરમાણુ સુરક્ષાનો પ્રશ્ન છે. પાકિસ્તાનની અસ્થિરતા અને ભારત-પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષની સીધી અસર વૈશ્વિક સ્તરે તેલના વ્યાપાર પર અને માટે જ ઊર્જાના માર્કેટ પર અસર કરે તેમ છે. ચીનની વ્યૂહ રચના એવી છે કે ભારત જેટલો વધારે પાકિસ્તાન સાથે માથકૂટમાં ખૂંપશે એટલું ઓછું ધ્યાન તે હિમાલયની સરહદે આપી શકશે. મધ્ય એશિયા અને ગલ્ફ દેશો એટલે કે સાઉદી અરેબિયા, યુ.એ.ઈ. અને ઇઝરાયલ પણ આખી સ્થિતમાં આર્થિક સ્તરે અને દક્ષિણ એશિયાની સ્થિરતાને મામલે જોડાયેલા છે. 

ત્રણેય દેશો ત્રિભેટે આવીને ઊભા છે ત્યારે …

વર્તમાન સ્થિતમાં એવી સ્થિતિ છે કોણ પહેલાં આંખ પટપટાવશે તેને આધારે બધું નક્કી થશે.  આ તબક્કે ઈમરાન ખાનની શરતી મુક્તિ માટે વાટાઘાટો ચાલે છેની ચર્ચા ચાલે છે. એવો સોદો જેમાં રાજકીય દેશનિકાલ, સૈન્યની ટીકા પર ચૂપકીદી અને યુ.એસ.એ. દ્વારા IMFની ઉદારતાને મામલે જે વચેટિયા વેડા કરાયા છે તે તમામ પાસાંને ધ્યાનમાં રખાઈ રહ્યાં છે. આ એક મોટા નાટકના બેકસ્ટેજમાં ચાલતું નાટક છે.

આ તમામમાં ભારતે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. ઑપરેશન સિંદૂરથી ભારત આતંકવાદનો કેવી રીતે જવાબ આપી શકે છે કે આપે છે તેની પર સ્થાનિક રોક લાગી ગઈ છે. જનતાને બોલ્ડ, નિડર અને દેખીતો બદલો ગમે છે. આવી જાહેર લાગણી હોય ત્યારે બેક-ચેનલ ડિપ્લોમસી અથવા સંયમિત ફોટો-ઓપોર્ચ્યુનિટીને માટે બહુ જગ્યા નથી રહેતી. યુ.એસ.એ.ની મૂંઝવણ છે કે શું બન્ને દેશોને સશસ્ત્ર કરતી વખતે એક પ્રામાણિક વચેટિયા તરીકે તે કામ કરી શકશે? શું દક્ષિણ એશિયાની સ્થિરતા અને ચીનની બાદબાકીને મામલે પોતે સંતુલન જાળવી શકશે? 

બાય ધી વેઃ  

ભારત, પાકિસ્તાન અને અમેરિકાનું આ ત્રિકોણ વધારે પેચીદું બની રહ્યું છે. આ સંધીઓની સીધી સાદી રમત નથી પણ ધારણાઓ, પ્રદર્શનકારી રાજદ્વારી અને નક્કર પરમાણુ દાવની ગૂંચવણ છે. ભારત અને પાકિસ્તાન બે ઝગડાખોર પિતરાઈ ભાઈ હોય એ રીતે અત્યાર સુધી અમેરિકાએ બન્ને સાથે વહેવાર કર્યો છે પણ હવે એવું નહીં ચાલે. ભારતમાં ઠહેરાવ છે, મોટપ છે જ્યારે પાકિસ્તાનને સુધારાની જરૂર છે, પુરસ્કારની નહીં. યુ.એસ.એ.ને પોતાની કાયમી આદતો અને ભૌગોલિક રાજકારણની બદલાયેલી વાસ્તવિકતાઓ વચ્ચે પસંદગી કરવી પડશે. અત્યારે વિશ્વ સ્તરે યુક્રેન, ગાઝા, તાઇવાનના તોફાનો ચાલે છે. પરિસ્થિતિ નાજુક છે અને આવામાં દક્ષિણ એશિયામાં જે પણ થાય તે કોઈ સાઇડ શો ન બની શકે. આ એવો મંચ છે જેનાથી આગળના અંકની વાર્તા નક્કી થશે આ શીત યુદ્ધનું નવું વર્ઝન નથી પણ સરહદોની પેલે પાર સળગતી આગ છે. ઇમરાન ખાન મુક્ત થાય તો કામચલાઉ શાંતિ થાય પણ સિવિલ વૉરની સ્થિત પણ થાય. સરહદ પારનો બીજો હુમલો મોકળાશવાળા રાજદ્વારી અભિગમને ફગાવીને પરિસ્થિતિને પરમાણુની રેડ લાઇનની નજીક લઇ જાય તેવું બની જ શકે છે. ટ્રમ્પનું અણધાર્યું વલણ કાં તો નિવડો લાવે કાં તો ધડકા કરે. ભારત આત્મનિર્ભરતા અને બહુપક્ષીયતા (BRICS+, SCO) તરફ વધુ ઝુકે તેવી પૂરી શક્યતા છે. જો પાકિસ્તાન નહીં સુધરે તો આંતરિક બાલ્કનાઇઝેશન એટલે તફાવત એટલે કે નાના પ્રતિકૂળ એકમોમાં તેનું વિભાજન થાય એવું ય બને. 

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 25 મે 2025

Loading

...102030...139140141142...150160170...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved