Opinion Magazine
Number of visits: 9552846
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સંવિધાન દિવસ : ઇતિહાસ, વિરાસત અને વર્તમાન પડકારો

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|27 November 2025

આપણે બંધારણના સિદ્ધાંતો અને આંબેડકરના વિચારોને ખરેખર ઊજવીએ છીએ? કે ખરા અર્થમાં સમજીએ છીએ ખરા?

પ્રકાશ ન. શાહ

બરાબર દસ વરસ થયાં આજે ન.મો. સરકારે હર 26મી નવેમ્બરે સંવિધાન દિવસ મનાવવાનો ચાલ શરૂ કર્યાને. 2015નું વરસ આંબેડકરનું એકસો પચીસમું વરસ હતું એ નિમિત્ત પકડીને ત્યારે સરકારે આ ગેઝેટબદ્ધ જાહેરાત કરી હતી.

સંવિધાન કહેતાં બંધારણ વિશે, એની આણ-આમન્યા-અવકાશ વિશે શાસનકર્તાઓમાં તેમ નાગરિકોમાં પરસ્પર સમજ ને સમાદર રહે તેમ જ યથાપ્રસંગ ભિન્નમત અને વિરોધ સારુ મોકળાશ રહે એ વાસ્તે આ પ્રકારનાં આયોજનોની અવશ્ય એક ભૂમિકા છે. સ્વરાજ લડત સાથે સીધા સંબંધ વગરનાં બળો આજે સત્તારૂઢ છે ત્યારે પશ્ચાદવર્તી ધોરણે તેઓ સુડતાલીસ પૂર્વ સંધાનની કોશિશમાં હોય પણ સ્વાભાવિક જ છે.

જેના ઘડતરમાં આંબોડકરનો અગ્રફાળો હતો તે સંવિધાન અમલમાં આવ્યું 1950ના જાન્યુઆરીની છવ્વીસમીએ. પસાર તો થઈ ગયું હતું આશરે ત્રણેક વરસ જેટલી કવાયત પછી 1949ના નવેમ્બરની 26મીએ. પ્રજાસત્તાક તરીકે વિધિવત અમલમાં આવવાનું થયું તે 1950ના જાન્યુઆરીની 26મીએ, કેમ કે 1929માં જવાહરલાલ નેહરુના પ્રમુખપદે, ત્યારે તો રાષ્ટ્રીય ચળવળવત કાઁગ્રેસે મુકમ્મલ આઝાદીનો ઠરાવ કર્યો એને પગલે 1930થી હર 26મી જાન્યુઆરીએ પૂર્ણ સ્વરાજ દિવસ મનાવવાનું શરૂ થયું હતું. હાલ શાસનમાં બેસેલ વિચાર પરિવાર, આ બધા છૂટી ગયેલા તાંતણા સાથે જોડાય એથી રૂડું શું.

આંબેડકર 125નું ઓઠું લેવાઈ જ રહ્યું છે ત્યારે એ સંભારવું રસપ્રદ એટલું જ દિશાપ્રદ પણ બની રહેશે કે 26મી નવેમ્બરના પૂર્વ દિવસે, 25મી નવેમ્બરે, એમણે ગૃહમાં શું કહ્યું હતું. એમણે કહ્યું હતું કે રાજકીય સમાનતા, એક માથું – એક મત, અમલમાં આવે છે, પણ આર્થિક સામાજિકતા વિષમતા બરકરાર હોય એનું શું. દેખીતી રીતે જ, બંધારણે બક્ષેલ મૂળભૂત અધિકારો તેમ જ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના ઉજાસમાં સમતા ને ન્યાયની બાકી અગર ચાલુ લડાઈનો ઊહાપોહભેર એક સંકેત એમાં પડેલો હતો.

હાલનો સત્તા પરિવાર એટલે કે એના તત્કાલીન પુરોગામીઓ સંવિધાન નિર્માણની પ્રક્રિયા પરત્વે શું વિચારતા હશે? સંઘના મુખપત્ર ‘ઓર્ગેનાઈઝર’ની ફાઈલો જોઈએ તો હાય રામ, આ બંધારણમાં મનુસ્મૃતિનો ન તો મહિમા છે, ન તો તેને કોઈ સ્થાનમાન સુદ્ધાં છે. સાવરકર સમગ્રમાં તેમ બીજા સરસંઘચાલક ગોળવલકરના ‘બન્ચ ઓફ થોટ્સ’માં આ વાત ઊના ઊના નિસાસા કરતાં વધુ તો આક્રોશી ઢબે ઇતિહાસદર્જ છે.

1946-49ના ગાળામાં બંધારણ સભાની જે કામગીરી ચાલી એને અંગે દિશાસૂચક સામગ્રી પણ સ્વરાજ લડતમાં પડેલી હતી. કાઁગ્રેસે સોંપેલ કામગીરી સર મોતીલાલ નેહરુએ ઘડેલ બંધારણ મુસદ્દો 1928માં બહાર આવ્યો એમાં સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર, સ્વતંત્રતા ને સમાનતા તેમ લઘુમતીઓના અધિકારી વગેરે વાનાં કાનૂની પરિપાટીમાં અક્ષર રૂપ પામ્યાં હતાં. 1930માં મીઠાની લડત સાથે નાત-જાત-કોમ-લિંગ એકે ભેદ વગરનો મુદ્દો કેન્દ્રમાં આવ્યો. 1931માં ભગતસિંહની શહાદત સાથે ક્રાંતિની વ્યાખ્યા નકરા બોમ્બવાદમાં નહીં અટવાતા આર્થિક-સામાજિક ન્યાયમાં ઠરી. એ જ વરસે વલ્લભભાઈના પ્રમુખપદે કરાચી કાઁગ્રેસે મૂળભૂત અધિકારોનો ઠરાવ પસાર કર્યો. 1931માં પુના કરાર સાથે સર્વસમાવેશી રાજકીય પ્રથાપૂર્વક સામાજિક બદલાવની દિશામાં કદમ ભરાયું. 1946-1949ની ચર્ચાઓની પૂંઠે પડેલી આ ઇતિહાસ સામગ્રી વિશે, મોડે મોડે એની સાથે સંધાન શોધનારને કશીક તો ખબર હોવી જોઈશે.

ગાંધીની સલાહ સાથે જેમાં મુખર્જી ને આંબેડકર જેવા કાઁગ્રેસ વિરોધીઓ પણ હોઈ શકે એવા સમાવેશી અભિગમપૂર્વક નેહરુ પ્રધાનમંડળે સ્વરાજ કૂચ આદરી તેમાંથી કાળક્રમે આંબેડકર છૂટા થયા, કેમ કે અબઘડી હિંદુ કોડમાં સુધારાની એમની તીવ્રતા અને તાલાવેલી અંગે સત્તામાં કેટલાંક તત્ત્વો ને પરિબળો સંમત નહોતા. બહારનાં બળોમાં રામલીલા મેદાનમાં મોટી વિરોધ રેલી યોજનારાઓમાં સંઘ પરિવારની પહેલ ભાગીદારી હતી.

આંબેડકરનું સ્પષ્ટ માનવું હતું કે હિંદુ સમાજમાં વર્ણ અને લિંગ ગત ઊંચનીચ તેમ જ ભેદભાવ લગભગ પ્રાણરૂપ મહત્ત્વ ધરાવે છે. એની નાબૂદી વગર અમથા અમથા કાયદા ઘડ્યે કશો શક્કરવાર વળવાનો નથી. નેહરુ અલબત્ત પ્રગતિશીલો સાથે હતા અને એમણે કટકે કટકે કોડ બિલ પસાર કરાવી જાણ્યું.

વર્તમાન શાસન એના પૂર્વસૂરિઓની પેઠે સત્તાવારપણે મનુસ્મૃતિની હિમાયતમાં જણાતું નથી એ સાચું, પણ બંધારણ દિવસના ગર્જનતર્જન સાથે પોતે ક્યારેક ક્યાં હતા ને કેવી ખોટી લાઈન પકડી હતી એવી કોઈ આત્મનિરીક્ષણની ઈન્દ્રિય એની કને છે કે કેમ તે તો આપણે જાણતાં જાણીશું.

હમણે હમણે સંઘ વર્તુળોએ ફેરઉછાળેલો મુદ્દો બંધારણના આમુખમાંથી સેક્યુલર ને સોશ્યલિસ્ટ એ સંજ્ઞાઓ પડતી મૂકવાનો છે. એક વાત સાચી કે આમુખમાં આ બે શબ્દો કટોકટીકાળે ઉમેરાયા હતા તે વાતે કંઈક અસુખને અવકાશ હોઈ શકે છે. પણ આ પક્ષ પરિવારના વિચારબંધુઓએ સર્વોચ્ચ અદાલતનાં દ્વાર ખટખટાવ્યાં ત્યારે તત્કાલીન વડા ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાના વડપણ હેઠળની ખંડપીઠે સ્પષ્ટ કર્યું જ હતું કે બંધારણીય સુધારાની જોગવાઈ હેઠળ આમુખમાં ઉમેરો વૈધ છે. ઉપરાંત, આપણને અભિમત અર્થ સેક્યુલર કહેતાં સર્વ ધર્મ માટે સમાદરનો અને સોશ્યલિસ્ટ કહેતાં આર્થિક-સામાજિક શોષણમાંથી મુક્તિનો છે. એ રીતે આ બંને સંજ્ઞાઓ સંવિધાનના બુનિયાદી માળખાનું અભિન્ન અંગ છે.

આ બધું સમજીને આત્મનિરીક્ષણપૂર્વક આગળ ચાલવું તે ખરો પડકાર છે. સંવિધાન હત્યા દિવસ જેવાં ઉજવણાં દાખલ કરીને કટોકટીવિરોધ જેવા સાચા મુદ્દાને પક્ષીય ઓજાર તરીકે વાપરવાનું રાજકારણ આ સંદર્ભમાં પુનર્વિચાર માગે છે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 26 નવેમ્બર  2025

Loading

બંધારણનું અદ્વિતીય આમુખ અને અમે ભારતના લોકો

ચંદુ મહેરિયા|Opinion - Opinion|26 November 2025

ચંદુ મહેરિયા

‘અમે ભારતના લોકો’ શબ્દોથી શરૂ થતું ભારતના બંધારણનું કાવ્યાત્મક આમુખ અદ્વિતીય છે. બંધારણનું આમુખ, પ્રસ્તાવના, ઉદ્દેશિકા કે Preamble બંધારણનું અભિન્ન અંગ છે. તેમાં બંધારણનાં મૂલ્યો, ઉદ્દેશ, આદર્શ, ધ્યેય અને દર્શન સામેલ છે. નાનકડા આમુખમાં સમગ્ર બંધારણનો સાર સંગૃહિત છે. તે અદાલતોને કાયદા અને બંધારણની જોગવાઈઓની વ્યાખ્યા કરવામાં મદદ કરે છે.

ભારતના લોકોએ ઘડેલું અને પોતાને સમર્પિત આમુખ ૨૬મી નવેમ્બર ૧૯૪૯ના રોજ બંધારણસભાએ સ્વીકાર્યું હતું તથા ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના પ્રજાસત્તાક દિવસથી બંધારણ અમલી બન્યું છે. 

આમુખનું સંવિધાનના નિર્માણમાં મહત્ત્વપૂર્ણ સ્થાન છે. બંધારણસભાની પ્રથમ બેઠકમાં જવાહરલાલ નહેરુએ બંધારણના ઉદ્દેશોનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તે જ પછીથી આમુખમાં સમાવવામાં આવ્યા છે. ભારતના લોકતંત્રના આધારસમા આઝાદી આંદોલનનાં જે મૂલ્યોથી તે પ્રેરિત થયું છે અને માર્ગદર્શક નીવડ્યાં છે તેને જ આમુખમાં સામેલ કર્યા છે. બંધારણના વિવિધ અનુચ્છેદ અને જોગવાઈઓ આમુખને અનુરૂપ છે. આમુખમાં એ તમામ અધિકારો અને સ્વતંત્રતાની ઘોષણા કરી છે જે ભારતના લોકોએ બંધારણસભા મારફત તેના તમામ નાગરિકો માટે સુનિશ્ચિત કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. 

ભારતનું બંધારણ લેખિત અને દીર્ઘ છે. જો કે લેખિત બંધારણનો આરંભ સત્તરમી સદીમાં થયો હતો. યુરોપિયન દેશ સ્વીડને ઈ.સ. ૧૬૩૪માં સૌ પ્રથમ લેખિત બંધારણ તૈયાર કર્યું હતું. દુનિયાના અનેક દેશોના બંધારણોની પ્રસ્તાવના કે આમુખ અમેરિકી બંધારણની પ્રસ્તાવનાથી પ્રેરિત છે. ભારતીય બંધારણનું આમુખ પણ તેમાંથી બાકાત નથી. ઈ.સ. ૧૭૭૬ના ‘અમેરિકન ડેકલેરેશન ઓફ ઇન્ડીપેન્ડન્સ’ સાથે ભારતના બંધારણનું આમુખ ઘણું સામ્ય ધરાવે છે.

આમુખનો આરંભ ભવિષ્યનું ભારત કેવું હશે તેનાથી થાય છે. ભારતના લોકો ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહીપ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરવાની  આમુખમાં ઘોષણા કરે છે. અહીં જે સમાજવાદી અને બિનસાંપ્રદાયિક ભારતનો ઉલ્લેખ છે તે મૂળ આમુખમાં નહોતો. ઇન્દિરા ગાંધીએ લાદેલી આંતરિક કટોકટી દરમિયાન અનેક બંધારણ સુધારા થયા હતા. ૧૯૭૬ના બેતાળીસમા બંધારણ સુધારાથી આમુખમાં આ શબ્દો (સમાજ્વાદી અને બિનસાંપ્રદાયિક) ઉમેરાયા હતા. ભારતને સાર્વભૌમ રાષ્ટ્ર ઘોષિત કરીને આપણે સ્પષ્ટ કર્યું છે કે તે એક સ્વતંત્ર દેશ છે અને કોઈપણ બાહ્યશક્તિને અધીન નથી. સમાજવાદીનો અર્થ સમાજવાદી અર્થવ્યવસ્થાને બદલે કલ્યાણ રાજ્ય હોવાનું જણાવાયું છે. ૧૯૪૭માં અંગ્રેજોની ગુલામી ફગાવી તે સાથે જ ભારત લોકશાહી દેશ બન્યો હતો અને ૧૯૫૦માં બંધારણના અમલ સાથે તે પ્રજાસત્તાક છે. એટલે અહીં કોઈ રાજાનું રાજ્ય નથી પણ લોકશાહી ઢબે ચૂંટણીઓ દ્બારા ચૂંટાયેલી સરકાર છે. 

ભારતના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો પણ આમુખમાં સંકલ્પ વ્યક્ત થયો છે. આમુખની આ ભાવના કોઈ કોરી કલ્પના નથી. પરંતુ બંધારણના મૂળભૂત અધિકારોમાં આ અધિકારો સામેલ કરવામાં આવ્યા છે. ભારતના લોકોએ વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદૃઢ કરે તેવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વકનો સંકલ્પ પણ આમુખમાં અંતે વ્યક્ત કર્યો છે. 

બાબાસાહેબ આંબેડકરે બંધારણસભા સમક્ષના તેમના અંતિમ ભાષણમાં ચેતવણી ઉચ્ચારતાં કહ્યું હતું કે, “માત્ર રાજકીય લોકતંત્ર પર આપણે મન મનાવી લેવાનું નથી. આપણા રાજકીય લોકતંત્રનું આપણે સામાજિક લોકતંત્રમાં પરિવર્તન કરવું જોઈએ. સામાજિક લોકતંત્ર એક જીવન માર્ગ છે. જે સ્વાતંત્ર્ય, સમાનતા અને બંધુતાને જીવન તત્ત્વના રૂપમાં માન્યતા આપે છે. સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા, આ ત્રણેયનો અલગ અલગ વિચાર કરી શકાય નહીં. સમાનતાથી સ્વતંત્રતા અલગ નથી. સમાનતા વિના સ્વતંત્રતા સંભવ નથી. બંધુતા વગર સ્વતંત્રતા અને સમાનતા સ્વાભાવિક રીતે જ અસ્તિત્વમાં હોતી નથી”. આમુખમાં ઉલ્લેખાયેલા સમાનતા, સ્વતંત્રતા અને બંધુતાને ડો. આંબેકરના આ શબ્દો સાથે મૂલવીને તેનો અમલ કરવાનો છે.

આંતરિક કટોકટી પછી સત્તામાં આવેલી જનતા પક્ષની સરકારે ઇન્દિરા ગાંધીના અનેક બંધારણ સુધારા ફગાવ્યા હતા. પરંતુ આમુખમાં ઉમેરાયેલા સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને અખંડિતતા  શબ્દોમાં સુધારા કર્યા નહોતા. સર્વોચ્ચ અદાલતે પણ આમુખને બંધારણનો હિસ્સો માન્યો છે, તેમાં ઉમેરાયેલા શબ્દોને બંધારણીય ઠેરવ્યા છે અને આમુખ પણ બંધારણનું બેઝિક સ્ટ્રકચર છે તેમ સ્પષ્ટ કર્યું છે. 

આમુખમાં થયેલા ઉમેરાને રાજકીય ગણવામાં આવે છે અને અવારનવાર તેને દૂર કરવા કે સુધારવાની માંગણી સંસદમાં અને સડકો પર થાય છે. ૨૦૨૧-૨૨માં ભારતીય જનતા પક્ષના રાજ્યસભા સાંસદ કે.જે. અલ્ફાંસે સમાજવાદી સહિતના કેટલાક શબ્દોના સ્થાને બીજા શબ્દો મૂકવાનો બંધારણ સુધારો બિનસરકારી વિધેયક મારફતે રાજ્યસભામાં મૂક્યો હતો. ઓડિશાના બીજુ જનતાદળના એક સાંસદે આમુખમાં અહિંસા શબ્દ ઉમેરવા બિનસરકારી બિલ રજૂ કર્યું હતું. 

જુલાઈ ૨૦૨૫માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મહાસચિવ દત્તાત્રેય હોસબલેએ સમાજવાદી અને બિનસાંપ્રદાયિક શબ્દોને આમુખમાંથી દૂર કરવા રાષ્ટ્રીય ચર્ચાની માંગ કરી હતી. તત્કાલીન રાજ્યસભા અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પણ આ માંગણીનું સંસદ બહાર સમર્થન કર્યું હતું. આ સંદર્ભમાં સમાજવાદી પક્ષના સાંસદ રામજીલાલ સુમને લોકસભામાં પ્રશ્ન પૂછ્યો હતો. તેના લેખિત જવાબમાં કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું હતું કે સમાજવાદી અને બિનસાંપ્રદાયિક શબ્દો અંગે પુનર્વિચારનો સરકારનો ન તો કોઈ ઈરાદો છે કે ન તો કોઈ યોજના છે. તેમ છતાં આમુખમાં સુધારા-વધારા અંગેની ચર્ચા અવારનવાર ઉઠતી રહેવાની છે. 

જસ્ટિસ એચ.આર. ખન્નાના મતે આમુખ બંધારણની વ્યાખ્યા માટે એક માર્ગદર્શકનું કામ કરે છે. પંડિત નહેરુ આમુખને બંધારણનો આત્મા ગણાવે છે. બંધારણસભાના સભ્ય અલ્લાદી કૃષ્ણ સ્વામી આયંગર આમુખને આપણા દીર્ઘકાલીન સપનાંઓનો વિચાર કહે છે. અન્ય સભ્ય પુનિત ઠાકુર દાસ આમુખને બંધારણનો સૌથી કિંમતી હિસ્સો, આત્મા અને ચાવી કહે છે. આમુખ ભારતીય લોકશાહીમાં નાગરિકોના અધિકારો, કર્તવ્યો અને સંકલ્પોની મૌલિક રૂપરેખા છે. નવેમ્બર ૨૦૨૪માં સુપ્રીમ કોર્ટે બંધારણ સુધારાથી ઉમેરાયેલા શબ્દો સહિતના આમુખને બંધારણનો હિસ્સો ગણ્યું છે. એટલે તે અંગેનો વિવાદ પૂર્ણ થવો જોઈએ. 

બંધારણનું આમુખ માત્ર ભારતના લોકતંત્રનાં મૂલ્યોનું પ્રતિબિંબ જ નથી, તે ભારતીય સમાજનો સમાનતા અને ન્યાય પ્રત્યેનો સંકલ્પ પણ છે. બંધારણ શું હાંસલ કરવા માંગે છે અને તેનું લક્ષ્ય શું છે તે આમુખમાં દર્શાવ્યું છે. બંધારણના અંતે ઘડાયેલું અને જબલપુરના બ્યોહર રામમનોહર સિન્હાએ ડિઝાઈન કરેલ બંધારણના આમુખનો ઉદ્દેશ એક એવા દેશના નિર્માણનો છે જ્યાં દરેક નાગરિકને લાગે કે અહીં બધાં સમાન છે અને શાંતિ, એકતા તથા ભાઈચારાથી રહે છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

૨૫૦ વર્ષે પણ જેઈન ઑસ્ટિન આધુનિક ભારતમાં શા માટે પ્રસ્તુત છે?

જુથિકા પાટનકર  (અનુવાદ: રૂપાલી બર્ક)|Opinion - Literature|26 November 2025

જેઇન ઑસ્ટિન

આ વર્ષે ૧૬મી ડિસેમ્બરે બ્રિટિશ નવલકથાકાર જેઈન ઑસ્ટિનની ૨૫૦મી જન્મજયંતી ઉજવાશે. અંગ્રેજીભાષી વિશ્વમાં મોટા ભાગના વાચકો માટે આ નામ પરિચિત છે. ઑસ્ટિનની યથાર્થવાદી નવલકથાઓ એમના સમયના સમાજ પરની વિનોદી, વ્યંગાત્મક ટિપ્પણી છે. એમની નવલકથાઓ મહદઅંશે સ્ત્રીઓ અને લગ્ન, આવક અને રીતભાત વિશે છે.

જેઈન ઑસ્ટિન એક ગરીબ પાદરીનું સૌથી નાનું સંતાન હતાં અને મોટા ભાગે ઘરે જ શિક્ષણ પામ્યાં હતાં. નિશ્ચયાત્મક અને સ્વતંત્ર આવકનાં મહત્ત્વ અને મૂલ્યથી ઑસ્ટિન અજાણ નહોતાં. એમના પિતાના અવસાન બાદ જેઈન, એમનાં બહેન અને માતાએ ‘સૅન્સ ઍન્ડ સૅન્સીબીલિટી’માં આલેખાયેલી ડૅશવૂડ સ્ત્રીઓની માફક એમના ભાઈઓની, ખાસ કરીને એમના ધનાઢ્ય ભાઈ ઍડવર્ડની નાણાંકીય સહાય પર આધાર રાખવો પડતો.

આશ્રિત અને અપરણિત ફોઈ પાસેથી અપેક્ષિત હોય એવી કૌટુંબિક જવાબદારીઓથી બંધાયેલું, ભત્રીજીઓ અને ભત્રીજાઓથી ઘેરાયેલું જીવન જેઈનનું હતું. એમના સમયમાં સ્ત્રીઓ માટે આજીવિકા તકોનો અને એમની પોતાની આવકના અભાવને લીધે ઑસ્ટિનને એમના સમયમાં સ્ત્રીઓની નિમ્ન અને ગૌણ દરજ્જાનો પ્રત્યક્ષ અનુભવ હતો.

એમની નાયિકાઓની માફક એમના નસીબમાં પ્રેમ વાટે સંપત્તિનો સંયોગ સધાય એવું લગ્ન નહોતું. ખાસ્સી એવી ગરીબી, અંગત અવકાશનો અભાવ અને ફરજિયાત કૌટુંબિક જવાબદારીઓનાં દબાણો વચ્ચે પણ સામાજિક જીવનનું ઝીણવટભર્યું નિરીક્ષણ અને આંતરસૂઝ પર આધારિત નવલકથાઓ એ લખી શક્યાં એ ખૂબ જ નોંધપાત્ર છે. 

સમગ્ર અંગ્રેજીભાષી વિશ્વ (અને કદાચ એની પાર પણ) ઑસ્ટિનની ૨૫૦મી જન્મ જયંતી શા માટે ઉજવીને એમને સંભારવામાં આવે છે? ભારતમાં આપણા માટે એમની ખાસ પ્રસ્તુતતા કઈ છે? શું એમની નવલકથાઓમાં રાજકીય વાસ્તવિક્તા તેમ જ સામાજિક યથાર્થવાદનો સમાવેશ છે? એમને નારીવાદી ગણવા શું યોગ્ય છે? વસાહતી ઇંગ્લૅન્ડની બૂ ધરાવતી કોઈ પણ બાબત સામે સખત પ્રતિભાવ અપાતો હોય એવા સમયે આપણી યુનિવર્સિટીઓમાં સાહિત્યના અભ્યાસક્રમમાં શું ઑસ્ટિનની નવલકથાઓ મુખ્યત્વે સમાવિષ્ટ કરવી ઉચિત છે? “It is a truth universally acknowledged that a single man in possession of a good fortune must be in the want of a wife.” ઉપરના પ્રશ્નોનો જવાબ મેળવવાનો પ્રયાસ હંમેશાં લોકપ્રિય રહેલી ઑસ્ટિનની નવલકથા ‘પ્રાઈડ ઍન્ડ પ્રૅજ્યુડીસ’ના આ જાણીતા વ્યંગાત્મક પ્રથમ વાક્ય થકી કરી શકાય એમ છે. સ્ત્રીઓ, લગ્ન, સામાજિક દરજ્જો, સંપત્તિ અને વર્તન-વ્યવહારની કૉમૅડી જેવાં ઑસ્ટિનનાં લેખનના મુખ્ય વિષયો વિશ્વવ્યાપી છે. સમાજમાં સ્ત્રીઓના સંદર્ભમાં ઑસ્ટિને એવા પરિપેક્ષ્યથી લેખન કર્યું જ્યાં સ્ત્રીઓને અંગત અને સામાજિક પસંદગી કરવાની અને પોતાની અભિવ્યક્તિની સ્વતંત્રતા હોય અને તેમની મનુષ્ય તરીકે સ્વીકૃતિ થાય એ બાબત પર ભાર મૂક્યો. સાથોસાથ ૧૯મી સદીના ઈંગ્લૅન્ડમાં સ્ત્રીઓની વાસ્તવિક્તાની સ્પષ્ટ સમજણ સાથે એમણે લેખન કર્યું. એ સમય એવો હતો જ્યાં આર્થિક સ્થિરતા અથવા સામાજિક દરજ્જો મેળવવા સ્ત્રીઓ પાસે લગ્ન સિવાય કોઈ તક પ્રાપ્ય નહોતી.

પોતાની સમજણ, બુદ્ધિચાતુર્ય, બુદ્ધિશક્તિ, સમાધાન અને પ્રામાણિકતાના બળે વાસ્તવિક વિશ્વ એમના અનવરત અસ્તિત્વને ટકાવી રાખતી નાયિકાઓનો વહેવાર ઑસ્ટિને એમની ૬ નવલકથાઓમાં દર્શાવ્યો છે. ઑસ્ટિનના અવાજમાં સ્ત્રીઓને વર્ચસ્વના સ્થાને મૂકવાનો ઉગ્ર નારીવાદ નહીં, પરંતુ સ્ત્રીને પુરુષ સમોવડું સ્થાન અને એના પરિણામે પુરુષો જેવી જ સ્વીકૃતિ અને માન્યતા મળે એવો દૃઢ, સ્પષ્ટ અને ભારપૂર્વકનો દાવો વર્તાય છે. આ એવો વિષય અને દૃષ્ટિકોણ છે જેને યુગો પર્યન્ત પુનરાવર્તનની જરૂર રહ્યા કરવાની.

રાજકીય પરિસ્થિતિ, ધર્મના દાર્શનિક પ્રશ્નો અથવા સામાજિક સમાનતા, ન્યાય, આર્થિક પ્રશ્નો અથવા મનુષ્યના હકો પર કેન્દ્રિત તે સમયે થતી ચર્ચાઓ વિશે ઑસ્ટિને પ્રગટપણે લખ્યું નથી. આમ છતાં, સામાજિક-આર્થિક સંબંધો, સંપત્તિ કે સત્તા કે મોભા માટેના સંઘર્ષ પર આધારિત માનવ સંબંધોનું એમનું ઉત્કૃષ્ટ આલેખન સામાજિક વ્યવહારોને આકાર આપતી અને અસર કરતી રાજકીય વાસ્તવિક્તા અને સમાજના આર્થિક માળખાંને અપ્રગટ રીતે એમણે ઉપસાવી આપ્યા છે.

અમુકને એવું લાગે કે સ્ત્રીઓની સમાનતા સંદર્ભે વિશ્વએ આજે હરણફાળ ભરી છે. ઑસ્ટિનના ૧૯મી સદીના ઇંગ્લૅન્ડમાં સ્ત્રીઓ જેટલા બંધન અને અંકુશમાં હતી એટલી ૨૧મી સદીમાં સ્ત્રીઓ સીમિત નથી કારણ કે એમને શિક્ષણની તક, સવેતન રોજગારી, રાજકારણ-ઉદ્યોગ-વિજ્ઞાન અને અનેક વ્યવસાયોની તક ઉપલબ્ધ છે. તો પછી પિતૃસત્તા, લગ્ન અને સ્ત્રીઓના નિમ્ન સામાજિક દરજ્જાના વિષયો હજુ પણ કેમ પ્રસ્તુત છે? જવાબ એ છે કે પુરુષો સમાન સ્ત્રીઓના હકનું સમર્થન કરવામાં વિશ્વએ જબરદસ્ત પ્રગતિ કરી છે, આમ છતાં, સૈદ્ધાંતિક રીતે સમાજની ચાલતી આવતી માનસિક્તા સ્ત્રીઓ પ્રત્યેનો રાજકીય દૃષ્ટિકોણ અને જાહેર સ્થળોમાં પુરુષોની સરખામણીએ સ્ત્રીઓની સંખ્યામાં આંખે ઊડીને વળગતી અસમાનતા દર્શાવે છે કે પિતૃસત્તા જીવંત છે અને પાંગરી રહી છે.

ઑસ્ટિનના વિશ્લેષણ મુજબ લગ્ન અને લગ્નજીવનમાં પ્રવેશવાનો વ્યવહાર ગમવા જેવા, ઇચ્છનીય વિજાતીય પાત્ર સાથે સામાજિક કરાર કરવાનો નહીં, પરંતુ થોડો ઘણો આર્થિક આધાર અને સામાજિક મોભો મેળવવા સ્ત્રી માટેનું એક માત્ર માધ્યમ છે. પુરુષ માટે નાણાં અને આવક સમાજમાં એનું સ્થાન નક્કી કરે છે, સ્ત્રી માટે આરામદાયક આવક મેળવતા પુરુષ સાથે લગ્ન કરવાથી સમાજમાં સ્થાન નક્કી થાય છે.

ઑસ્ટિનની નવલકથાઓમાં દર્શાવાતા સંઘર્ષના કેન્દ્રમાં પોતાની શરતો પર સમાજમાં સ્થાન બનાવવા ઝંખતી સ્વતંત્ર વિચાર ધરાવતી નાયિકાઓ છે કે જેમને આર્થિક અને સામાજિક રીતે સમાધાન કરવાનું આવે છે. પરિણામે બુદ્ધિશાળી અને સમજદાર સ્ત્રીઓ તરીકેનો તેમનો વ્યક્તિગત દરજ્જો તેમની નિર્ધારિત સામાજિક ભૂમિકા સામે ગૌણ બની જાય છે.

ભારતીય સમાજમાં ‘ગોઠવાયેલાં’ લગ્નોના અસુવિધાજનક પાસાઓ અને ‘રીજન્સી’ (જ્યોર્જ IVના ૧૮૧૧-૨૦ દરમ્યાનનો શાસનકાળ) સમયના સમાજના ‘યોગ્ય’ લગ્નો વચ્ચે સામ્ય વર્તાય છે. પરંતુ ઑસ્ટિનની ટીકાનું મહત્ત્વ આપણા માટે આથી ઘણું વધુ છે. વિસ્તૃત મુદ્દો એ છે કે શું ભારતમાં આજે સ્ત્રીઓને આત્મનિર્ધારણનો હક ધરાવતી વ્યક્તિઓ તરીકે જોવામાં આવે છે? જવાબ, દુઃખ સાથે મોટી ના છે.

શાસન કરનારા અને નીતિ ઘડનારા એટલે કે ભારતની સરકારોના મનમાં સ્ત્રીઓ પ્રત્યેની સામાન્ય ધારણાના ચોક્કસ દાખલા સાથે મારો મુદ્દો રજૂ કરવા ઇચ્છું છું. જ્યાં સુધી આપણી કેન્દ્રિય, રાજ્ય અને સ્થાનિક સ્તરની સરકારો લોકતાંત્રિક ઢબે ચૂંટાય છે, એમનામાં નિ:સંકોચપણે આપણા સમાજ અને લોકોની માનસિક્તાનું આબેહૂબ પ્રતિબિંબ દેખાય છે. 

ભારતીય સંવિધાને તમામ નાગરિકોને સ્વતંત્રતા અને સમાનતા તેમ જ સાર્વત્રિક પુખ્ત મતાધિકારની ખાતરી આપ્યાથી સ્ત્રી-પુરુષ સમાન છે તે બાબતે પ્રચંડ સમર્થન મળેલું છે, પરંતુ જ્યારે વ્યાપાર કે ઉદ્યોગની વાત આવે, સરકારી નીતિઓ સભાનતાપૂર્વક સ્ત્રીઓને સમૂહ તરીકે પ્રોત્સાહન આપે છે, વ્યક્તિઓ તરીકે નહીં. સ્ત્રીઓ જૂથ બનાવે ત્યારે બેંક અથવા નાણાંકીય ધિરાણ સુધીની પહોંચ એમને વધુ સહેલાઈથી ઉપલબ્ધ થાય છે. આર્થિક વિકાસ માટે સ્વસહાય જૂથોનો ખ્યાલ પુરુષો કરતાં સ્ત્રીઓને વધુ લાગુ પાડવામાં આવે છે. 

અનુભવથી સિદ્ધ થયેલું છે કે ગરીબી નિવારણ માટે સવેતન રોજગાર કરતાં સ્વ-રોજગાર ઘણો કઠિન માર્ગ છે. આમ છતાં, લગભગ દરેક સરકારી લાભાર્થી યોજનાઓ સવેતન રોજગારને બદલે સ્વ-રોજગારને પ્રોત્સાહન આપવાની દિશામાં કાર્યરત છે. આવું શા માટે? એનું કારણ એ છે કે સ્ત્રીઓની ગૃહિણી અને પ્રજનનક્ષમ માધ્યમની ભૂમિકા કરતાં એમના લાભકારી બજારલક્ષી રોજગારને ગૌણ ગણવામાં આવે છે, માટે, જો ગૃહસ્થીની ફરજોને પ્રાધાન્ય આપવાનું હોય તો સ્વ-રોજગારથી કાર્યના સમયપત્રકમાં પરિવર્તનક્ષમતાનો અવકાશ રહે છે. આથી એવું ન બને કે લગ્ન કે ગૃહસ્થીની ફરજોને અવગણીને કોઈ પણ સ્ત્રી લાભકારી રોજગારી કે કારકિર્દીને પ્રાધાન્ય આપે.

સવેતન રોજગારનો અર્થ એટલે સ્ત્રીઓ માટે જાહેર જગ્યાઓમાં સુરક્ષા અને પ્રવેશ-હકની ખાતરી આપવી, સાથોસાથ સ્ત્રીઓ અને પુરુષોના વેતનમાં અસમાનતાનાં કારણોના મુદ્દા પણ સતત ઉઠાવતા રહેવું. 

ભારતમાં સ્ત્રીઓના શિક્ષણની હિમાયત કરતું સૂત્ર છે ‘દીકરી ભણાવો એટલે એક આખું કુટુંબ ભણાવો’. આ સૂત્રથી એક સ્ત્રીનો વ્યક્તિ તરીકેનો શિક્ષણ મેળવવાના હકનો નકાર થાય છે. સ્ત્રીઓને કુટુંબના સંબંધમાં મનુષ્ય તરીકે જોવામાં આવે છે, કુટુંબ એટલે મુખ્યત્વે પુરુષ સગાવહાલાં. એ જ રીતે તાજેતરની આર્થિક સહાય યોજનાઓ સંદર્ભે જેવી કે મુખ્ય મંત્રી લાડલી યોજના (મધ્ય પ્રદેશ), અને મુખ્ય મંત્રી માઝી લાડલી બહીન યોજના (મહારાષ્ટ્ર), સ્ત્રીઓને પુરુષ સગાંવહાલાં સંલગ્ન વ્યક્તિઓ તરીકે જ જોવામાં આવે છે. સરકારી યોજનાઓની લાભાર્થીઓ તરીકે સ્ત્રીઓની પસંદગી તેમના સાસરીના ગામના સંબંધમાં કરવામાં આવે છે, તેમના પિયરના ગામના સંબંધમાં નહીં.

રાજકીય સંદર્ભે સ્ત્રી ઉમેદવારના પ્રચાર માટેના પોસ્ટરમાં એના પતિ કે ભાઈ કે પિતાને આગવી રીતે દર્શાવવામાં આવે છે. પાલવથી માથું ઢાંકી સ્ત્રી પોસ્ટરના એક ખૂણામાં ઓછી જગ્યામાં દર્શાવવામાં આવે છે. ચૂંટાયેલી સ્ત્રી પ્રતિનિધિ માટે બેઠકોમાં ૩૩% અનામતનો બહુ પ્રચલિત કાયદો હોવા છતાં તમામ રાજકીય પક્ષોમાંથી કુલ સભ્યપદોના ૧૦%થી પણ કદાચ ઓછી સ્ત્રી સભ્યો હશે.

સંવિધાને અનિવાર્યપણે ભિન્ન રીતે વિચારવા અને વર્તવાની અનુમતિ આપી છે એ બધાં પણ જ્યારે પિતૃસત્તાનું અચેતન સમર્થન કરતા હોય તો સ્પષ્ટ થાય છે કે સ્ત્રીઓની સમાનતાની સ્વીકૃતિ સધાઈ શકી નથી. સ્વ-નિર્ધારણના અને ઘર કે સામાજિક સ્થળોમાં સુરક્ષાના સ્ત્રીઓના હક માટે આ અહિતકર છે. આપણે એવા વિશ્વમાં જીવીએ છીએ જ્યાં સ્ત્રીઓ પ્રત્યેની તાલીબાનની અસહિષ્ણુતાને ભારતની મૂક સંમતિ મળે છે.

સ્ત્રીઓ પ્રત્યેનાં અને સ્ત્રીઓનાં વલણોને અગ્રિમતા આપતી ઑસ્ટિનની નવલકથાઓ આપણા સમાજને પણ આયનો ધરે છે. આપણને ઑસ્ટિન જેવી બુદ્ધિશાળી સ્ત્રીની અને તેના લખાણોની જરૂર છે જેમાં હુંફાળા, વિનોદી પરંતુ ધારદાર અને વેધક નિરીક્ષણો દ્વારા વાસ્તવિક્તાને કુશળતાથી અને ચોક્કસ રીતે વર્ણવવામાં આવેલી છે અને જેમાં તમામ વિપરિત સંજોગો વચ્ચે અમુક સ્ત્રીઓ અડીખમ રહી શકે છે.

સમાજ અને વ્યક્તિઓ માટે સમાનતા, ગૌરવ, સભ્યતા અને શિષ્ટાચારને ઇચ્છનીય ગુણ માનવામાં આવશે ત્યાં સુધી ઑસ્ટિન ભારતમાં અને સર્વત્ર પ્રસ્તુત રહેશે. સામાજિક અન્યાયોની અપ્રિય વાસ્તવિક્તા આપણને એવી કળા અને કુશળતાથી પહોંચાડવામાં આવે છે કે બેવકૂફીઓ અને મિથ્યાભિમાનના ધારદાર આલેખન પર આપણે મલકાતા હોઈએ એવામાં એનો ડંખ વધુ તીક્ષ્ણ બને છે.

૨૫૦મી જન્મ જયંતીની ઉજવણી કદાચ રૂપેરી પડદા પર દર્શાવાતા એમની નવલકથાઓ પરથી રૂપાંતરીત આકર્ષક ચલચિત્રો અને ઑસ્ટિનની નવલકથાઓનું પ્રણય કથાઓ તરીકેનું સરળ વાંચન હોઈ શકે છે. પરંતુ ઉજવવાનું ખરું કારણ એમની નવલકથાઓમાંથી સદાને માટે મળતો લાભદાયી, સમૃદ્ધ કરનારો અનુભવ છે. 

(સ્રોત : “ધ વાયર”; 07 નવેમ્બર 2025)
e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

...10...12131415...203040...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved