Opinion Magazine
Number of visits: 9568957
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બોરડમ આપણો જન્મસિદ્ધ અધિકાર છે!

રાજ ગોસ્વામી|Opinion - Opinion|13 December 2022

એક ‘વિચિત્ર’ કેસમાં, ફ્રાન્સના એક માણસને ત્યાંની અદાલતે કામ કરતી વખતે ‘બોર થવાનો’ અધિકાર આપ્યો છે. પેરિસની એક મેનેજમેન્ટ કન્સલ્ટિંગ ફર્મમાં કામ કરતા આ માણસને એટલા માટે નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો, કારણ કે તેણે કંપનીના એ પ્રોગ્રામમાં જોડાવાની ના પાડી હતી, જેમાં કર્મચારીઓને દર અઠવાડિયે, કામકાજના કલાકો પછી, મોજ-મસ્તી કરાવવામાં આવે છે, જેથી તેઓ કામમાં બોર ન થાય અને વધુ સારું કામ આપી શકે.

કંપનીએ તેની પર આરોપ મુક્યો હતો કે તે બોરિંગ માણસ છે અને કોઈનું સાંભળતો નથી. પેલો અદાલતમાં ગયો હતો અને કહ્યું હતું તે કંપનીની ‘ખુશ’ થવાની રીત સાથે સંમત નથી અને પોતે જો ‘બોરિંગ’ હોય, તો તે તેનો અધિકાર છે અને તેને બળજબરીથી ખુશ કરી ન શકાય. અદાલતે તેની દલીલ મંજૂર રાખી હતી અને કંપનીને વળતર ચૂકવવા આદેશ કર્યો હતો.

સમાચાર આટલા જ છે. કેસની બીજી વિગતો જાહેર થઇ નથી. કંપનીએ તેને કાઢી મુકવા માટેનાં બીજાં ક્યાં કારણો રજૂ કર્યા હતાં એ પણ આપણને ખબર નથી. કંપનીની ‘ખુશ’ રહેવાની વ્યાખ્યા શું છે તે પણ સમાચારમાં નથી. આપણા માટે એક જ વાત ધ્યાન આપવા જેવી છે કે પેલો માણસ બોર હતો અને કંપની તેને ‘ખુશ’ કરવા મથતી હતી. આવું બનતું હોય છે.

2016માં, સ્કોટલેંડના પર્થશાયર શહેરમાં, એક શિક્ષિકાને એટલા માટે છોકરાં ભણાવામાંથી ‘ઉઠાડી’ દેવામાં આવી હતી કારણ કે તે બોરિંગ છે તેવી વિધાર્થીઓએ ફરિયાદ કરી હતી. બીજાં બધાં કારણો પણ હતાં જ, પણ સ્કોટલેંડની ટીચિંગ કાઉન્સિલે એ વાત પણ નોંધી હતી કે શિક્ષિકાનું ભણાવાનું એટલું ‘શુષ્ક અને એકવિધ’ હતું કે છોકરાઓમાં ઉત્સાહ જ આવતો ન હતો.

આ બંને કિસ્સામાં, અભિપ્રેત ખયાલ એવો છે કે બોરિંગ હોવું એ ‘અપરાધ’ છે. બોરિંગનો વિરોધાર્થી રસિક છે. જે રસિક નથી તે બોરિંગ છે એવું આપણે માનીએ છીએ. વાસ્તવમાં, બોરિંગ હોવું એ ઓબ્જેક્ટિવ ગુણ નથી, સબ્જેક્ટિવ છે. ધારો કે તમે આ વાંચીને એવું કહો છો કે લેખ બોરિંગ છે, પણ બીજો કોઈ વાચક તેને ઉત્તમ ગણે છે. એનો અર્થ એ થયો કે તમારી પસંદનું અથવા તમે જેણે રસિક કહો છો તેવા મતલબનું લખાણ આ લેખમાં નથી, પણ એ જ લખાણ બીજા વાચકને રસપ્રદ લાગે છે કારણ કે તેની પસંદગી એમાં ઝળકે છે. જે ફિલ્મ તમને બોરિંગ લાગે છે તે બીજાને રસપ્રદ લાગે છે.

બોરિંગ હોવું અને રસિક હોવું બંને સ્વતંત્ર ગુણ નથી, તે જોવા-અનુભવવાવાળી વ્યક્તિની માનસિકતા પર નિર્ભર કરે છે. ઘણીવાર માણસો પોતે પણ બોરડમનો અનુભવ કરતાં હોય છે. બોરડમ ઉત્તેજનાના અભાવમાંથી આવે છે. ગમે તેટલો ઉત્તેજક અનુભવ હોય, તેનું સુખ એક અવધિ પછી રૂટિન થઈ જાય છે, તેની નોવેલ્ટી ખતમ થઈ જાય છે, અને પછી તમને તેનો કંટાળો આવવા લાગે છે. દરેક સુખ રૂટિન થઈ જાય, પછી આપણને પ્રશ્ન થાય છે; બસ આટલું જ? જ્યાં સુધી આપણને એમ થતું રહે કે હું અત્યારે જે કરું છું, તેના કરતાં વધુ દિલચસ્પ બીજું કંઈક છે, ત્યાં સુધી બોરડમથી પીછો છોડાવવો અઘરો છે. બોરડમને દૂર કરવાના તમામ પ્રયાસો છેવટે આપણને બોરડમમાં જ લઈ જાય છે. આપણે શેરડીના રસના સંચા જેવા છીએ. કુચ્ચામાંથી રસ કાઢ-કાઢ કરીએ છીએ, અને પછી તેને ફેંકી દઈને બીજો સાંઠો પીલીએ છીએ.

બોરડમ એટલે શું? બોરડમ એટલે વિચારનું સતત રિપીટેશન. ગમે તેટલો ફેન્ટાસ્ટિક વિચાર હોય, એ બહુ ઝડપથી ‘જૂનો’ થઈ જાય છે, અને એનો કંટાળો આવવા લાગે છે. તમે ગમે તે કરો, વિચારની સાઈકલમાંથી મુક્ત થવું અશક્ય છે. એટલે તમે મંદિરમાં, સિનેમા થિયેટરમાં કે દારૂના પીઠામાં જઈને બેસી જાઓ છો, જેથી વિચારોના કન્વેયર બેલ્ટ પરથી ઘડીવાર ઉતરી શકાય.

આપણને સતત નવો અનુભવ કરવો છે, જેથી બોર ના થઇ જવાય, પણ દરેક અનુભવ તેની નિશ્ચિત અવધિ પછી નવીનતા ગુમાવી દે છે, અને તમારા બોરડમનો કન્વેયર બેલ્ટ પાછો ચાલુ થઈ જાય છે. બોરડમ તળિયા વગરના કૂવા જેવું છે. તમે એમાં ગમે તેટલાં એન્ટરટેઇનમેન્ટ અને ઍકસાઈટમેન્ટ નાખતા રહો, એ ભરાય જ નહીં.

વાસ્તવમાં, આ નકારાત્મક લાગતી વાત એક રીતે સકારાત્મક છે. ન્યુરોસાયન્સ કહે છે કે બોરડમ તંદુરસ્ત ભાવ છે. તે સર્જનાત્મકતાને પ્રેરે છે. આપણને એક ચીજમાં કંટાળો આવે છે એટલે આપણે બીજું કશું કરવા પ્રેરાઈએ છે. એકટર શાહરૂખ ખાને એકવાર કહ્યું હતું કે, “હું ડિપ્રેશનને ટાળવા એક્ટિંગ કરું છું.” અમિતાભ બચ્ચન આટલી ઉંમરે પણ 15 કલાક કામ કરે છે કારણ કે કામ કર્યા વગર તે ઉબાઈ જાય છે.

દુનિયામાં જેટલી પણ મહાન શોધખોળો થઇ છે તે બોરડમમાંથી થઇ છે. માણસ જ્યારે ગુફામાં બેઠો-બેઠો બોર થતો હતો એટલે ગુફાની દીવાલો પર ચિત્રો દોરતો થયો હતો, એ બહાર નીકળીને પર્વતો ચઢવા ગયો હતો, દરિયો તરવા ગયો હતો, આકાશમાં તારાઓ જોઇને કલ્પનાઓ ઘડતો થયો હતો. બાળકો હંમેશાં કંટાળો આવતો હોવાની ફરિયાદ કરતાં હોય છે અને પેરેન્ટ્સને ખબર હોય છે તતેને કોઈ ગમતી પ્રવૃત્તિમાં પરોવી દઈએ તો તેમની સર્જનાત્મકતા ખીલી ઊઠે છે. હવે તો એ ભારતમાં પ્રતિબંધિત છે, પણ તમને ટિક-ટોકની રીલ્સ ખબર છે ને? તેમાં જે જાત-ભાતની કળા-કારીગરી અને પ્રતિભાનું પ્રદર્શન થતું હતું તે મૂળભૂત રીતે બોર થઇ રહેલા યુવાનોની સર્જનાત્મકતા હતી.

ઘણીવાર વ્યસ્ત રહેવાનો ફાયદો એ હોય છે કે “મને આમ ફીલ થયું અને તેમ ફીલ થયું” એવું અનુભવવા કે કહેવાનો સમય જ ન હોય. ફીલિંગ્સ તાકતવર હોય છે તે સાચું, પરંતુ મગજ વ્યસ્ત હોય તો તેની તીવ્રતા દબાયેલી રહે છે. અનેક અભ્યાસોમાં એ સાબિત પણ થયું છે પ્રોડકટિવ વ્યસ્તતા નકારાત્મક કે પીડાદાયક ફીલિંગ્સ પર હાવી થઈ જાય છે અને વ્યક્તિને ખુશીનો અહેસાસ કરાવે છે. આપણે પ્રવૃત્તિમાં વ્યસ્ત ન રહીએ ત્યારે વધુ પડતા વિચારો કરવા લાગીએ છીએ અથવા વિચારવાનું જ બંધ કરી દઈએ છીએ. બંને સ્થિતિમાં લાંબા ગાળે આપણે જીવનની વ્યર્થતાનો અનુભવ કરતા થઈ જઈએ છીએ. પ્રવૃત્તિ આપણને સાર્થકતા બક્ષે છે.

જર્મન ફિલોસોફર માર્ટિન હેઈડેગરે બોરડમ પર બહુ ચિંતન કર્યું હતું. તેણે કહ્યું હતું કે બોરડમનો અનુભવ ઉત્તમ છે. હેઈડેગરના મતે બોરડમ આપણને આપણા અસ્તિવને સમજવા માટે પ્રેરે છે. તે કહેતો કે આપણે સતત આપણી જાતને વ્યસ્ત રાખીએ છીએ, પણ એ વ્યસ્તતાની નીચે આપણને આપણા જીવનનો અસલમાં કોઈ અર્થ છે કે નહીં તેવો સવાલ સતાવતો રહે છે. બોરડમ આપણને આપણા જીવનની અસલિયત સાથે પરિચય કરાવે છે એટલે એ ઉમદા ભાવ છે, એમ તેણે કહ્યું હતું.

બોરડમનો ઉપાય જિજ્ઞાસા છે. આપણે જો કોઇ પણ ચીજમાં ગહન દિલચસ્પી લઈએ, તો બોર થવું અશક્ય છે. દિલચસ્પી સમજણમાંથી આવે. કોઈ ચીજને આપણે જેટલી સમજીએ, તે એટલી જ દિલચસ્પ થતી જાય અને સમજવા માટે ઊંડા ઉતરવું પડે. આ સાઇકલ છે. ગહનતામાં દરેક ચીજ અર્થપૂર્ણ હોય છે. એ ફાલતુ ત્યારે લાગે, જ્યારે આપણે ઉપરછલ્લી રીતે કનેક્ટ થઈએ.

ઇન ફેક્ટ, આધુનિક સમયમાં આપણે એટેન્શનના કુપોષણથી પીડાઈએ છે. આપણો એટેન્શન-સ્પાન બહુ ઓછો થઈ ગયો છે. આપણે જીવનને સાર્થક બનાવે તેવી વ્યક્તિઓ અને વસ્તુઓ પર પૂરી એકાગ્રતા કેળવી શકતા નથી, કારણ કે જે સાર્થક છે તે ગહન છે અને જે ગહન છે તે સમય, ઉર્જા અને એકાગ્રતા માગે છે, જેની આપણી પાસે અછત છે. આપણને બોરડમનો આનંદ ઉઠાવતાં આવડી જાય પછી તે બોરડમ રહેતું નથી.

પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર”, 11 ડિસેમ્બર 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

હારું છું, હરેરી નથી જતો

પ્રવીણ પંડ્યા|Poetry|13 December 2022

હારું છું, હરેરી નથી જતો 

‘શું જરૂર હતી કૂતરાં હારે બાખડવાની?’

આજે પાંસઠની વયે પણ જ્યારે ઘવાઉં કે ઉઝરડાઉં ત્યારે  

બાળપણમાં બાપુજીએ ખીજવાઈને કહેલું 

આ વાક્ય યાદ આવે અને હસી પડાય છે,  

હારું છું, હરેરી નથી જતો.  

નિશાળના આચાર્ય પહેલવાન બલ્લુભાઈ, 

કાંઠલેથી ઊંચો કરી આખી નિશાળમાં ફેરવતા

પણ મેદાનમાં કબ્બડી રમતી વખતે 

એમનાં બે પગ વચ્ચેથી નીકળીને જીતી જતો,

મારી નબળાઈ અને સબળાઈને બરાબર જાણું છું 

લડું છું 

હારું છું, હરેરી નથી જતો.

રમતમાં નિયમ અને ખેલદિલી હોય 

ટીમને જીતાડવા ભાઈબંધ આઉટ કરાવે 

તો ય આપણે એનો વાંસો થાબડીએ   

પણ લડતમાં આવું થાય ત્યારે 

પરાજયની પીડા કરતાય 

અસહ્ય બની જાય બાંધી મુઠ્ઠી ખુલી ગયાની ગ્લાનિ ..

કડવાશ ખંખેરી 

હાથ મિલાવી 

સ્મિત ફરકાવી 

છોડી જાઉં છું મેદાન – 

હારું છું, હરેરી નથી જતો. 

વિજેતાઓને જોઉં છું 

જેઓ વિજયનાં છત્ર નીચે ઊભા હોય છે એકલા

ગળામાં પડેલી જયમાલા સંતોષને બદલે  

આપતી હોય છે એવાં સ્મરણ 

જેમાં હોય છે બે આંખોની શરમ છોડ્યાની નિર્લજ્જતા,

ખભા પરથી હટી ગયેલા મિત્રોના હાથ

બની જાય છે પ્રશ્નાર્થ ચિન્હ 

જેમ ઊંધેથી વાક્યને વાંચવું વ્યર્થ હોય છે 

એટલું જ અઘરું હોય છે આ સમજવું 

ઠરેલા દેવતામાં ઈંધણ ઓરવાને બદલે 

હાથ ઘસતો કડકડતી ટાઢમાં એકલો આગળ વધુ છું – 

હારું છું, હરેરી નથી જતો. 

પાંસઠ થયાં, 

ક્યારેક શરીરમાં થોડો થાકોડો વર્તાય છે 

ક્યારેક બરાબર બોલાતું નથી 

ક્યારેક બિલકુલ સંભળાતું નથી 

ગળપણનો મોહ છૂટતો જાય છે 

તીખા તુરા કડવા સ્વાદ પારખવામાં થોડો વખત લાગે છે 

વિચારોની ગતિ પવન પડી ગયા જેવી છે 

પણ તો ય દિ’ આથમણે ચાલવા નીકળું છું 

સામે શિંગડા હલાવતો ખુંધવાળો કાળો સાંઢ દેખાય 

કે તરત શરીરને સંકોરું છું 

પશુ સમજે એવી ભાષામાં હાકોટો કરું છું 

લડવાનાં દરેક સ્થાને અચૂક લડું છું  

ઘવાઉં છું ઉઝરડાઉં છું 

હારું છું, હરેરી નથી જતો. 

ભોપાલ, તારીખ: ૦૬/૧૨/‘૨૨

Loading

અર્ધી રાતે આઝાદી : યશસ્વી હિસ્ટોરિકલ ફિક્શન

રાજ ગોસ્વામી|Opinion - Opinion|12 December 2022

લેરી કોલિન્સના જોડીદાર લેખક ડોમિનીક લાપિયરનું અવસાન :

અશ્વિની ભટ્ટનું શ્રેષ્ઠ પુસ્તક તેમની નવલકથાઓમાંથી નહોતું. ઓથાર, આશકા માંડલ, લજ્જા સન્યાલ, શૈલજા સાગર, નીરજા ભાર્ગવ, આખેટ કે અંગાર તેમની સર્વાધિક વંચાયેલી નવલકથાઓ હતી, અને તેણે નિશ્ચિતરૂપે અશ્વિની ભટ્ટનો ગુજરાતના લોકપ્રિય નવલકથાકારોની શ્રેણીમાં રાજ્યાભિષેક કરાવ્યો હતો, પણ તેમનું શ્રેષ્ઠ પુસ્તક ‘અર્ધી રાતે આઝાદી’ હતું, જે તેમના અનુવાદ કરીને ‘બે પાંદડે’ થવાના સમયગાળાનું છે. તેમની નવલકથાઓની સરખામણીમાં તે તેમનું ‘ઓછું જાણીતું’ પુસ્તક છે. તેનું કારણ તેનો વિષય છે. ગુજરાતી વાચકો ફિક્શનને જેટલો પ્યાર કરે છે, તેની સરખામણીમાં નોન-ફિક્શનને ઓછો કરે છે. ‘અર્ધી રાતે આઝાદી,’ જે મૂળ અંગ્રેજી પુસ્તક ‘ફ્રીડમ એટ મિડનાઇટ’નો અનુવાદ છે તે, શીર્ષક પરથી સ્પષ્ટ છે તે પ્રમાણે, ભારતની આઝાદીનો ઇતિહાસ માંડે છે.

જે લોકોને ઇતિહાસમાં, અને અશ્વિનીભાઈના અનુવાદોમાં રસ છે, તેઓ ‘અર્ધી રાતે આઝાદી’ને યશસ્વી પુસ્તક ગણાવે છે. એક તો, મૂળ અંગ્રેજી પુસ્તક ‘ફ્રીડમ એટ મિડનાઇટ’ લખાયું હતું જ એક રોચક રાજકીય થ્રિલર તરીકે અને બીજું, અશ્વિનીભાઈએ રહસ્ય-રોમાંચની હથોટીનો ઉપયોગ કરીને તેને ગુજરાતી વાચકો માટે સ્વાદિષ્ટ કરી આપ્યું હતું.

90ના દાયકામાં ભારતની આઝાદીના ઇતિહાસ પર પુસ્તકો લખાતાં થયાં, તે પહેલાં 70ના દાયકામાં ભારતમાં ‘ફ્રીડમ એટ મિડનાઇટ’ એટલું લોકપ્રિય થયું હતું કે, અશ્વિનીભાઈ જેમની વાર્તાઓનો અનુવાદ કરતા હતા તે થ્રિલર લેખક એલિસ્ટર મેક્લીનની પોકેટ બૂક્સની જેમ, રેલવે સ્ટોલ્સ પર વેચાતું હતું. એ પુસ્તક હિસ્ટોરિકલ ફિક્શન હતું અને અશ્વિનીભાઈને એમાં સારી ફાવટ હતી.

1975માં, ડોમિનીક લાપિયર અને લેરી કોલિન્સ નામના, અનુક્રમે, ફ્રેંચ અને અમેરિકન પત્રકાર-લેખકોએ ભેગા મળીને તેને લખ્યું હતું. તેમાંના ડોમિનીક લાપિયરનું આ અઠવાડિયે, રવિવાર તારીખ 4મી ડિસેમ્બરે, અવસાન થઇ ગયું. તે 91 વર્ષના હતા અને ફ્રાન્સના માર્સેલ્સમાં રહેતા હતા. ભારત સરકારે 2008માં તેમનું પદ્મ ભૂષણથી સન્માન કર્યું હતું. તે કડેડાટ બંગાળી બોલતા હતા અને ભારતમાં અને ભારત બહાર તેમની ખ્યાતિ કોલકત્તા પર તેમના પુસ્તક ‘ધ સિટી ઓફ જોય’થી ફેલાઈ હતી. આ પુસ્તકમાંથી મળેલી અડધી કમાણી તેમણે કોલકતાના ગરીબોનો સેવામાં આપી દીધી હતી. તેમના જોડીદાર લેરી કોલિન્સનું આગાઉ 20 જૂન 2005માં અવસાન થયું હતું.

બંને જણાનો ભેટો ફ્રેંચ સૈન્યમાં થયો હતો. સૈન્યમાં છૂટા થયા પછી બંને અલગ-અલગ પ્રકાશનોમાં પત્રકાર બન્યા હતા, પણ દોસ્તી એવી હતી કે 1965માં “ઈઝ પેરિસ બર્નિંગ?” નામના બેસ્ટસેલર પુસ્તકમાં લેખક તરીકે ભેગા થયા હતા. આ પુસ્તક દ્વિતીય મહાયુદ્ધમાં પેરિસના મુક્તિ સંઘર્ષ પર આધારિત હતું. તેમનું આ પહેલા જ પુસ્તકની ત્રીસેક જેટલી ભાષામાં એક કરોડ નકલો વેચાઈ હતી. ચાર વર્ષ પછી એક રાષ્ટ્ર તરીકે ઈઝરાયેલના ઉદ્ભવ પર બંનેનું ‘ઓ જેરુસલેમ’ આવ્યું.

ત્રીજું પુસ્તક ‘ફ્રીડમ એટ મિડનાઈટ’ 1975માં આવ્યું. પુસ્તકનો સમયગાળો 1947થી 1948 વચ્ચેનો જ છે અને આખું પુસ્તક અંતિમ વાઈસરોય લુઈ માઉન્ટબેટનની આસપાસ ફરે છે. પુસ્તકનો સૌથી રોચક હિસ્સો એ છે કે માઉન્ટબેટન ભારતના વિભાજનની વિરુદ્ધમાં હતા, જિન્હાની જિદ્દ આગળ તે ઝુકી ગયા હતા. પુસ્તક કહે છે કે તે વખતે જિન્હા ક્ષયની બીમારીથી પીડાતા હતા (જિન્હા 30 વર્ષથી રોજની 50 સિગારેટ્સ પીતા હતા) અને તેમના હિંદુ ડોક્ટર અનુસાર ‘થોડા જ મહિનાના મહેમાન હતા.’ વાઇસરોયને જો આ ખબર હોત, તો તેમણે વિભાજનની વાતને ટાળી દીધી હોત અને જિન્હાના મોતનો ઈન્તેજાર કર્યો હોત. જો કે બીમારીની આ વાત જિન્હા અને તેમના ડોકટરને જ ખબર હતી અને બંનેએ સફળતાપૂર્વક તેને છુપાવી રાખી હતી.

વિડંબના કેવી કે આઝાદ ભારતના પ્રથમ પ્રધાન મંત્રી જવાહરલાલ નહેરુની દીકરી ઇન્દિરા ગાંધીએ જે વર્ષે લોકોની આઝાદી છીનવી લઈને કટોકટી લાદી હતી, તે જ વર્ષે ‘ફ્રીડમ એટ મિડનાઈટ’ આવ્યું હતું. અમેરિકાના પ્રતિષ્ઠિત સમાચારપત્ર ‘ધ ન્યુયોર્ક ટાઈમ્સ’માં, 26 ઓકટોબર 1975ના રોજ આ પુસ્તકનો રીવ્યુ કરતાં મશહૂર ફિલ્મ સર્જક જેમ્સ કેમરોને લેખની શરૂઆતમાં જ લખ્યું હતું, “બાહ્ય શાસકની ગુલામીમાંથી ભારતની આઝાદીની હૃદયસ્પર્શી વાર્તા કહેતા આ પુસ્તકનું કમનસીબ તો જુઓ કે તે એવા સમયમાં પ્રકાશિત થયું છે જ્યારે એ આઝાદીને અંદરના શાસકે અચાનક અને નિર્દયી રીતે ખતમ કરી નાખી છે. આવા ક્રૂર વિરોધાભાસની કોણે કલ્પના કરી હોત!”

લેખમાં વચ્ચે કેમરોન લખે છે, “એ કહેવું ઉચિત છે કે 1947માં ભારતે તેની આઝાદી છીનવી લીધી ન હોત, તો દુનિયા અલગ જ હોત અને અત્યારે છે તેના કરતાં નિશ્ચિતપણે વધુ મુસીબતવાળી હોત, પણ (બ્રિટિશ) ‘મુગટમાંથી એ સર્વોત્તમ રત્ન’ને કાપવાને અલગ કરવાનું એ ઓપરેશન અભૂતપૂર્વ રીતે અઘરું, જટિલ અને ભાવનાત્મક હતું. ‘ફ્રીડમ એટ મિડનાઈટ’ એ ઐતિહાસિક મધરાત સુધી લઇ જતી એ દુઃખદ વાટાઘાટોનું ટોટલ રીકોલ છે, જેણે છેવટે બ્રિટિશ સામ્રાજ્યવાદી બોટલમાંથી કોર્કને ખોલી નાખ્યો અને ઝઘડાના જીનને છોડી મુક્યો. બંને લેખકોએ સરસ રીતે આ બધી વાત લખી છે. તેમને લોર્ડ માઉન્ટબેટન સહિત એ સમયના પ્રમુખ નાયકોને અંગત રેકોર્ડમાં ઝાંખવા મળ્યું છે અને તે પુસ્તકમાં દેખાય છે.”

600 પાનાંની આ ચોપડી, ‘ફ્રીડમ એટ મિડનાઈટ,’ કોમર્સિયલ જર્નાલિઝમમાંથી આવી છે તેવી ટીકાના જવાબમાં ડોમિનીક લાપિયરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, “શું ઇતિહાસ ઠંડી કોકાકોલા છે, જેને સૌ કોઈ પચાવી ન શકે કે પછી ઇતિહાસ જે કંઈ થયું હતું તેનું તેની લાગણીઓ, ગંધ, રંગ અને ઘટનાઓની અસરોનું પુન:સર્જન છે?”

અશ્વિનીભાઈએ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેને લઈને પત્રકાર-લેખક ઉર્વીશ કોઠારીએ એક દિલચસ્પ કિસ્સો ટાંક્યો છે. તે આ પ્રમાણે છે : ‘અર્ધી રાત્રે આઝાદી’ની સૌ પ્રથમ ૩,૨૫૦ કોપી છપાઈ હતી. તેના મહેનતાણા પેટે અશ્વિનીભાઈને રૂ.૩,૦૦૦ હજાર આપવા હતા, પણ તેમને રૂ.૧,૫૦૦ જ ચૂકવાયા હતા. તેમને આવું થવાની શંકા હશે એટલે તેમણે પુસ્તકની 50 નકલો લઇ લીધી હતી. તેમાંથી 10 તેમણે ભેટમાં આપી હતી, અને 40 તેમની પાસે હતી.

જેટલી નકલો બજારમાં હતી, તે તમામ ફટાફટ વેચાઈ ગઈ. વધુ નકલોની તાબડતોબ માંગ હશે એટલે પ્રકાશકના ભાઈએ અશ્વિનીભાઇને “હમણાં તમારી નકલો આપો, પછી છપાશે એટલે પાછી આપીશું” એમ કહીને 40 નકલો મેળવી લીધી. રાત ગઈ બાત ગઈ. નકલો ય પાછી ન મળી અને પૈસા ય ન આપ્યા!

હવે અશ્વિનીભાઈ ખુદના માટે નકલ શોધે! એક વાર પ્રવાસમાં ભૂસાવળ રેલવે સ્ટેશને બુક સ્ટોલ પર ‘અર્ધી રાત્રે આઝાદી’ની એક નકલ પર તેમની નજર પડી હતી. અશ્વિનીભાઇએ એ માગી, પણ પેલાએ “એ તો મારા માટે છે” કહીને ના પાડી દીધી. અશ્વિનીભાઈએ એ પુસ્તકના લેખક તરીકે પોતાની ઓળખાણ આપી તો ય સ્ટોલ માલિક માન્યો નહીં. એટલે અશ્વિનીભાઈએ કહ્યું કે જોઈએ તો થોડા વધારે રૂપિયા લઇને પણ મને આપ, મારી પાસે એકે ય કોપી નથી. પેલાએ 45 રૂપિયાની ચોપડીના 100 રૂપિયા કહ્યા!

અશ્વિનીભાઈ રંગમંચ અને સિનેમાના માણસ પણ ખરા અને તેમને થિયેટરો પર ટિકિટો બ્લેકમાં વેચાતી હોય તેનો અનુભવ પણ હશે, પણ તે દિવસે ભૂસાવળ રેલવે સ્ટેશન પર તેમણે જ અનુવાદિત કરેલી ચોપડીના બ્લેક થતા જોયા હતા. આને ટ્રેજેડી કહેવાય કે કોમેડી એ ખબર નથી, પણ એટલી ખબર છે કે “લે આ 100 રૂપિયા” એવું કહેવાની તેમની હેસિયત નહીં હોય એટલે રકઝક કરીને 75 રૂપિયામાં તેમણે ‘અર્ધી રાત્રે આઝાદી’નો સોદો પાર પાડ્યો. 

ઇતિહાસમાં અને અશ્વિની ભટ્ટની લખાવટમાં રસ હોય, તો ‘અર્ધી રાતે આઝાદી’ વાંચજો, વાંચવા જેવું પુસ્તક છે.

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખની કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 11 ડિસેમ્બર 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,2651,2661,2671,268...1,2801,2901,300...

Search by

Opinion

  • ‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?
  • હાર્દિક પટેલ, “જનરલ ડાયર” બહુ દયાળુ છે! 
  • આ મુદ્દો સન્માન, વિવેક અને માણસાઈનો છે !
  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – 10 (દેરિદાનું ભાવજગત) 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved