Opinion Magazine
Number of visits: 9567581
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘હિન્દ સ્વરાજ’માં દર્શાવેલ ગાંધીની કલ્પના કેમ ચરિતાર્થ ન થઈ?  

આશા બૂચ|Gandhiana, Opinion - Opinion|26 December 2022

ઈ.સ. 1909માં લંડનથી દક્ષિણ આફ્રિકા જતાં, કિલડોનિયન કાસલ નામની આગબોટમાં, લખેલ ‘હિન્દ સ્વરાજ’ એ ગાંધી વિચારના અભ્યાસુઓ માટે પરિચિત પુસ્તક છે. ગાંધીજીએ સ્વરાજ, આધુનિક સભ્યતા અને યંત્રીકરણ ઉપરાંત અન્ય અનેક વિષયો ઉપરના પોતાના મંતવ્યો એક વાચક અને અખબારના અધિપતિ વચ્ચેના સંવાદ રૂપે વ્યક્ત કર્યા, અને તેથી આ પુસ્તિકા અનેક રીતે અદ્વિતીય સાબિત થઇ છે. કેટલાક મનીષીઓનો અભિપ્રાય છે કે જેમ બાઇબલ ક્રિશ્ચિયન ધર્મના આસ્થાળુઓ માટે એક માર્ગદર્શક ગ્રંથ છે તેમ ‘હિન્દ સ્વરાજ’ માત્ર હિંદુઓ કે ભારતીયો માટે જ નહીં, પણ સમગ્ર માનવજાત માટે એક ઉત્તમ માર્ગદર્શિકા પુરવાર થઈ છે.

જો ઉપરોક્ત વિધાનો સાથે સહમત થઈએ તો સવાલ એ થાય કે ‘હિન્દ સ્વરાજ’માં ગાંધીજીએ જે પ્રકારની સ્વતંત્રતા, લોકશાહી અને મુક્તિની કલ્પના પ્રગટ કરેલી એ ચરિતાર્થ કેમ ન થઇ?

ગાંધીજીએ વાચકના પ્રશ્નોના ઉત્તર રૂપે સંપાદકને મુખે જે મહત્ત્વના મુદ્દાઓ મૂક્યા છે તેને આજના સંદર્ભમાં ભારત અને ખરું જોઈએ તો સમગ્ર વિશ્વએ જે રીતે રાજ્ય, સમાજ અને અર્થવ્યવસ્થા ઘડી છે તેના સંદર્ભમાં  જોઈશું તો આપણી વિફળતાઓનાં કારણો જડી આવશે.

ભારતીય પ્રજાને વિદેશી શાસનની ધૂંસરીમાંથી મુક્ત થવું હતું. એ વ્યાજબી હતું કેમ કે અંગ્રેજો આપણું ધન લૂંટીને બ્રિટનને માલામાલ કરતા હતા, તેથી દેશ કંગાળ થયો. ગોરાઓને મોટા હોદ્દા મળ્યા અને ભારતની મૂળ પ્રજાને અન્યાય થયો. હવે, સવાલ એ છે કે આજે ‘આપણા લોકોના’ શાસન દરમ્યાન આમાનું શું નથી થતું? ગાંધીજીએ કહેલું તેમ આપણને આપણો ધ્વજ અને સૈન્યનો કાફલો જોઈતો હતો, પણ અંગ્રેજો નહીં. આમ કરવા જતાં વાઘનો સ્વભાવ રહ્યો, વાઘ નહીં, પણ તે તો આપણા જ દેશ બંધુઓને પ્રજાનું શોષણ કરવા પરવાનો આપ્યો એમ જ ને? વાઘ જેવી મારક અને સ્વકેન્દ્રી વૃત્તિથી વર્તનારા ગોરાની બદલે ઘઉં વર્ણા લાવ્યા, તેથી આમ પ્રજાને શો ફર્ક પડ્યો?

કોઈ પણ દેશની અસ્મિતા તેની ભૌગોલિક સીમાઓ થકી જ નથી ઓળખાતી, બલકે તેની પ્રજાના સામાજિક અને સાંસ્કૃતિક ઐક્યથી કાયમ રહે છે. અંગ્રેજોએ આપણા દેશમાં ભાગલા પાડો અને રાજ  કરવાની નીતિ અપનાવી જે દુનિયામાં સહુથી વધુ નિંદાને પાત્ર ઠરી અને ભારતીય જનતાની ભાવનાત્મક એકતા માટે ખતરનાક સાબિત થઈ. દુઃખદ વાત એ છે કે આઝાદીના શરૂઆતના દાયકાઓ દરમ્યાન આર્થિક અને રાજકીય સ્થિરતા મેળવ્યા બાદ આપણે પણ એ જ નીતિ શીખ્યા, દેશને ધર્મ અને કોમ, જાતિ અને જ્ઞાતિના દંડથી વિભાજીત કરીએ છીએ, તો આપણામાં અને બ્રિટિશ રાજ્યકર્તાઓમાં શો ફર્ક?

આજે સામ્યવાદ, સમાજવાદ અને લોકશાહી રાજ્યવ્યવસ્થા નિષ્ફળ ગયેલા પ્રતીત થાય છે. દુનિયાની સૌથી મોટી લોકશાહી હોવાનું માન ભારતને મળે છે એ તેની લોકશાહીનાં મૂલ્યોનું વિશુદ્ધ રીતે પાલન કરવાને કારણે કે માત્ર તેની જનસંખ્યા વિશાળ છે તેને કારણે? ગાંધીને મોઢે (કલમે) આકરા શબ્દો નીકળે તે કલ્પનામાં ન આવે. પરંતુ તેમણે ઇંગ્લેન્ડની પાર્લામેન્ટને વાંઝણી અને વેશ્યા કહી. કારણ?  જે પાર્લામેન્ટ પ્રજાહિતનું કામ ન કરે તે વાંઝણી એમ તેઓએ કહ્યું, તો ભારતીય નાગરિક વિચારે, પોતાની પાર્લામેન્ટ પ્રજાહિતનું કામ કેટલે અંશે કરે છે? અને ગાંધીજીએ વધુમાં એમ પણ કહ્યું કે જુદા જુદા પ્રધાનમંડળના અંકુશમાં રહે તેથી વેશ્યાની જેમ તેની વફાદારી બદલાયા કરે. આજનો શિક્ષિત વર્ગ જાણે છે કે કોઈ પણ પક્ષ સત્તાસ્થાને આવશે, લોકશાહી વહીવટી તંત્ર પ્રધાનમંડળના અંકુશમાં રહેશે નહીં કે પ્રજાના, અને તેથી તેની વફાદારી ‘લોક’ પ્રત્યે નહીં, ‘શાસક’ પ્રત્યે રહે, અને આ કારણ છે કે આપણો દેશ વિદેશી સરકારથી સ્વતંત્ર થયો, પણ લોકો હજુ મુક્ત નથી થયા.

હરેક સ્વતંત્ર દેશ પોતાની સીમા સુરક્ષા અને આંતરિક શાંતિ માટે સ્વાયત્ત હોય છે, તેમ જ સંપૂર્ણપણે જવાબદાર પણ હોવી ઘટે. આજે, આઝાદી મળ્યાને સાત દાયકા વીત્યા છતાં ભારતને પોતાની સરહદની સુરક્ષાનો સવાલ નડે છે. ખૂબ શસ્ત્રો હોવા છતાં દેશ અસલામતી અનુભવે છે. પાડોશી દેશો સાથે વ્યાપારી અને સાંસ્કૃતિક કરારો કરીને મૈત્રીપૂર્ણ સંગઠન કરવામાં નિષ્ફ્ળતા મળવાનું કારણ વહીવટકર્તાઓનો અહિંસક પદ્ધતિ પર વિશ્વાસનો સદંતર અભાવ. જેમ આંતરિક વિખવાદ તેમ જ અન્ય દેશો સાથેના સંઘર્ષ ભૂમિ અને સત્તા લાલસાને કારણે થાય છે, કોઈ વિનાશક શસ્ત્રોના ઉપયોગથી નહીં, તો એવા સંઘર્ષોનો ઉકેલ પણ વાટાઘાટો અને શાંતિ મંત્રણાઓથી જ આવશે. ગાંધીજીનું આ સ્વપ્ન સાકાર થવામાં જેટલો વિલંબ થાય છે તેટલું નુકસાન સારી ય માનવ જાતને ભોગવવું પડશે.

અંગ્રેજી શાસન દરમ્યાન ઉપરી અમલદારો અને લશ્કરી વડાઓ ગોરા સાહેબો રહેતા, પણ કારકૂનો, વહીવટદારો અને સૈનિકો બધા ભારતીયો હતા. એને આપણે ગુલામી ગણી. એ સાચું જ હતું. તો આજે એ સ્થાન બહુ રાષ્ટ્રીય કંપનીઓએ લીધું એમ કહી જ શકાય. ગણ્યા ગાંઠયા કંપનીના ડાયરેક્ટરો અને માલિકો ભારતની રોજગાર ભૂખી જનતા પાસે મામૂલી દરે કામ કરાવી માલનું જથ્થાબંધ ઉત્પાદન કરે, જેના નફાનો મોટો હિસ્સો વિદેશી કંપનીના માલિકોને ફાળે જાય, તો ફરી પૂછીએ, બ્રિટિશ વેપારી અને શોષણ નીતિ અને ‘દેશી’ ઉદ્યોગ-વેપારની નીતિમાં શો તફાવત? સર્વોદયની કલ્પના સાકાર ન થવાનું આ જ કારણ.

આજે ‘સબકા વિકાસ’ના ઢોલ બહુ પિટાય, જેમાં પ્રજાની જરૂરિયાતોની માગણી કરતી પિપૂડી ક્યાંથી સંભળાય? અંગ્રેજી શાસન દરમ્યાન ભારતની પ્રજાએ માની લીધું કે યુરોપમાં સુધારા થયા, તો આપણે પણ આઝાદી બાદ એ માર્ગે ચાલીને ‘સુધરેલા’ થઈને માલેતુજાર થઈએ એ જ ખરી સ્વતંત્રતા. પણ ખરું જોતાં ગાંધીજીએ એ સુધારાને ‘કુધારા’ ગણાવેલા. ભારત જેવા વિદેશી શાસનથી સ્વતંત્ર થયેલ દેશોને કદાચ એ દાવો સાચો ન લાગે, પણ ઝીણવટથી જોતાં ખ્યાલ આવશે કે સુધારાને પગલે વિકાસની દોટમાં આંધળા થઈને દોડતા યુરોપની હાલત અત્યારે કુદરતી સંસાધનોની ખેંચ જેવી ભૌતિક કટોકટીથી માંડીને સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યોનાં ધોવાણ જેવી અમૂર્ત વિપદાઓને કારણે ખાસ્સી દયાજનક થઇ છે. ત્યારે આર્ષદૃષ્ટા ગાંધીજીની વાતમાં તથ્ય લાગે છે અને ભૌતિક તથા શારીરિક સુખમાં જીવનનું સાર્થક્ય માની તેને જ મેળવવા પુરુષાર્થ કરવો તેમાં સાચું સુખ નથી. આથી જ તો યુનાઇટેડ નેશન્સ દ્વારા આર્થિક વિકાસના સૂચકાંક સાથે ખુશીના સૂચકાંકો બહાર પડ્યા. એ શું સૂચવે છે?

ગાંધીજીએ ‘હિન્દ સ્વરાજ’માં વકીલો, ડોકટરો અને રેલવેએ આપણને કંગાળ કરી મુક્યા છે તેમ લખ્યું એ જરા વધુ પડતું લાગે. તેનાથી ફાયદાઓ અનેક થયા એ તેમણે નથી સ્વીકાર્યું એમ જરૂર માની  શકાય અને તેથી તેના વિશે વિવાદ પણ રચાય. તેમના આ વિધાનને તત્કાલીન બ્રિટિશ શાસનના સંદર્ભમાં જોવું ઘટે. એ સમયે રેલવેને કારણે અંગ્રેજોનો પૂરા ભારત પર કાબૂ રહ્યો, લશ્કર અને સૈન્યની હેરાફેરી, વેપારી માલની લેણદેણ સહેલી બની; જેનો ફાયદો અંગ્રેજ સરકારને જ થયો. આઝાદી બાદ આપણે પણ તેનો લાભ ઉઠાવી દેશને વિવિધ માલ પૂરો પાડવામાં અને લોકોને એક બીજા સાથે જોડવામાં સફળ થયા તેમાં શક નથી. હવે, ગાંધીજીની એક દલીલ એ પણ હતી કે લોકો દૂર સુદૂર જલદી પહોંચે એટલે રોગ વગેરે જલદી ફેલાય. આ હકીકત કોરોના કાળમાં બરાબર સાબિત થઇ. એ જ રીતે સારાની માફક બુરા વિચારો પણ વાહનો દ્વારા જલદી ફેલાય એ આપણે અનુભવીએ છીએ. પ્રદૂષણ વધે એ નફામાં. તો શું આધુનિક વાહન વ્યવહારના સાધનોને બદલે પારંપરિક ધીમી ગતિનાં સાધનો વાપરવા શરૂ કરવાં? અહીં સવાલ આવે છે એ તમામ ઉપકરણોનો વિવેકપૂર્વક ઉપયોગ કરવાની ક્ષમતાનો .. પુરાતન કાળમાં ભારત અને બીજા દેશોમાં લોકો વચ્ચે જીવનનાં સંસ્કૃતિ, તત્ત્વજ્ઞાન અને અધ્યાત્મ જેવાં પાસાંઓમાં ભાવાત્મક એકતા હતી કે નહીં? આજે વાહન અને સંદેશ વ્યવહારના ઝડપી સાધનોને કારણે global village સર્જાયું છે તે કયા પાયા પર? એ જમાનામાં વેપારીઓ અને સાધુ સંતો લોકોની વચ્ચે ફરતા, તેમની ભાષા, જરૂરતો, રીતભાત જાણીને પોતાનો માલ વેંચતા કે પોતાની વિચારધારા સમજાવતા. આજે મોટી મોટી ફેક્ટરીઓમાં જથ્થાબંધ માલ બને તે બહુરાષ્ટ્રીય કંપનીઓ ચપટી ભર માલિકોને અમર્યાદ નફો કરી આપવા માટે દેશ વિદેશમાં વેંચે તે આપણને કઈ રીતે એક બનાવે? ક્યારેક તો માનવ જાતે વાહનો અને સંદેશ વ્યવહારના સાધનોના અમર્યાદિત ઉપયોગ ઉપર રોક લગાવવી જ પડશે.

એકવીસમી સદીની જીવન પદ્ધતિથી લાભને બદલે ગેરલાભ વધવા લાગ્યા છે એ દર્શાવે છે કે આપણે ‘હિન્દ સ્વરાજ’માં પ્રબોધેલ મૂલ્યો વિષે ફેર વિચાર કરવાનો સમય આવી ગયો છે. અને ત્યારે જ ભારતની આમ પ્રજાને સ્વતંત્રતાનો ખરો અનુભવ થશે, દરેક પ્રકારની ગુલામીમાંથી મુક્તિ મળશે અને ગાંધીજીની કલ્પનાની આઝાદી હાંસલ થશે.

e.mail : 71abuch@gmail.com

Loading

જન્મ જુદાં કરે છે ને મૃત્યુ ભેગાં કરે છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|26 December 2022

હા, જન્મ માબાપ આપે છે, જાતિ, જ્ઞાતિ આપે છે, તે સિવાય કોઈ પણ અગાઉથી માબાપ કે જાતિ, જ્ઞાતિ નક્કી કરી શકતું નથી. કોઈએ હિન્દુ થવું કે મુસ્લિમ કે શીખ-ઈસાઈ થવું તે કોઈના હાથમાં નથી, બિલકુલ એમ જ જેમ કોને ત્યાં જન્મવું એ કોઈનાં હાથમાં નથી. આટલું નક્કી છે એ જાણવા છતાં આપણે અમુક જાતિ – જ્ઞાતિ માટે જે રાગદ્વેષ પાળીએ છીએ તે યોગ્ય નથી. અમુક હિન્દુ છે કે અમુક મુસ્લિમ છે એ વાતે કેટલાં બધાં વેરઝેર આપણે ઉછેરીએ છીએ ને જિંદગી આખી બીજું કોઈ કામ જ ન હોય એમ, તલવાર-ત્રિશૂળ ઉછાળવાની તૈયારીમાં લાગેલાં રહીએ છીએ એ પણ બરાબર નથી. આપણી સૌથી મોટી વીરતા ઘણીવાર તો સામેનામાં દોષ જોવામાં જ પૂરી થઈ જાય છે. એ વખતે વિચાર કરતા નથી કે જે દોષ સામેનામાં જોઈએ છીએ એનો શિકાર તો આપણે ઘણાં વહેલાં થઈ ચૂક્યા હોઈએ છીએ. આપણને એ પણ ખબર છે કે આવાં રાગદ્વેષથી છેવટે તો લોહી જ હાથમાં આવે છે. એ ત્યારે જ શક્ય બને છે, જો વાંક સામેવાળાનો છે એવું ક્યાંકથી ઠસાવી દેવામાં આવ્યું હોય. વાંક સામેવાળાનો હોય જ નહીં, એવું પણ નથી, સામેવાળાનો હોઈ પણ શકે છે ને એને લીધે આપણું ખુન્નસ વધતું આવે છે. આવું ખુન્નસ વાવનારાઓ નિર્દોષ નથી, ઘણુંખરું તો એવી વાવણી કરનારાઓ બૌદ્ધિકો ને ધાર્મિકો છે. આ લોકો નિર્દોષોને ઉશ્કેરવાનું ને ધાર્યું રાજકારણ પાર પાડવાનું કામ કરે છે. આમ તો આ કહેવાતા બૌદ્ધિકો અને ધાર્મિકો કોઈ મોટાં માથાના હાથા જ હોય છે ને એની વફાદારી નિભાવવામાં એ મોટા સમુદાયનાં ભોળપણનો લાભ ઉઠાવે છે. એમાં એ પોતાનું લોહી બચાવીને શિકાર તો આજ્ઞાંકિતોનો જ કરે છે. આ એ આજ્ઞાંકિતો છે જે ઘેટાંની જેમ પાછળ પાછળ ચાલવામાં જ રાજી છે. એમને પોતાપણું ખાસ નથી. એ તો હોળીનું નાળિયેર બનવા માટે જ છે. એમણે મફત અપાયેલું અનાજ વર્ષો સુધી ખાધું હોય છે ને એની કિંમત તેમનું બ્રેઇન વોશ કરીને વસૂલાતી હોય છે. એ ઉપરાંત બીજા પણ ઘણાં એવાં છે જે ગમે ત્યારે, ગમે ત્યાં દાઝ ઉતારવા તૈયાર હોય છે. એમને ખબર પણ નથી હોતી, શેની દાઝ ઉતારવાની છે, પણ કોઈકે કહ્યું છે ને દાઝ ઉતારવાનું બહાનું મળે છે તો ઉતારી દેવાય છે !

ખરું તો એ છે કે દુનિયામાં બે વિરોધી પરિબળો પહેલેથી જ અસ્તિત્વમાં છે. દેવ છે, તો રાક્ષસ છે. રામ છે, તો રાવણ છે. કૃષ્ણ છે, તો કંસ છે ને યુધિષ્ઠિર છે, તો દુર્યોધન પણ છે જ ! ખબર નહીં કેમ, પણ આસુરી તત્ત્વ આજ સુધી અનેક રીતે ને રૂપે પ્રભાવી રહ્યું છે. અહિંસાનો આટલો મહિમા છતાં, યુદ્ધ ટાળી શકાતું નથી. મહાભારત જેવું ભયંકર યુદ્ધ થઈ ચૂક્યું હોય છતાં, યુદ્ધો અટક્યાં નથી. ભારતને શસ્ત્ર ધારણ ન કરવાનો પહેલો સંકેત કૃષ્ણે (મોહને) આપ્યો, એના યુગો પછી બીજા એક મોહને અહિંસાનો મહિમા કર્યો, તે પછી પણ યુદ્ધો તો થયાં જ છે. બબ્બે વિશ્વયુદ્ધો પછી પણ યુદ્ધો વગર વિશ્વને ચાલ્યું નથી. ચીન અને પાકિસ્તાને ભારતને યુદ્ધમાં જોતરીને સાબિત કર્યું કે લોહી શરીરમાં જ વહે તે પૂરતું નથી, તે શરીરની બહાર પણ વહેવું જોઈએ ! કોણ જાણે કેમ પણ મનુષ્યને લોહીની લલક ઓછી થતી નથી. રશિયા ને યુક્રેન યુદ્ધ વિરામની વાતો કરતાં જઈને લડી તો રહ્યાં જ છે. બીજી તરફ કેટલાંક રાષ્ટ્રો ત્રીજા વિશ્વયુદ્ધની સંભાવનાઓ પણ ચકાસી રહ્યાં છે ને વાતો વિશ્વશાંતિની કરતાં રહે છે. કદાચ શાંતિ માટે પણ જગતને યુદ્ધ અનિવાર્ય લાગે છે એટલે જ કદાચ જગત અનેક સિદ્ધિઓ પછી પણ છેલ્લો અક્ષર રાખમાં પાડે તો નવાઈ નહીં.

એમ લાગે છે કે કોઈ પણ સલાહ કે ઉપદેશ પછી પણ, માણસ વેરઝેર છોડી શકે એમ નથી. એક સમય હતો જ્યારે સાધારણ હિન્દુને પણ તાજિયાની બાધામાં ઈલાજ મળી જતો હતો કે મુસ્લિમ અગ્રણીઓ ગણેશ વિસર્જનમાં જોડાઈને ભાઈચારો દેખાડતા હતા. ઈ.સ. 2000ની સાલથી અમદાવાદના જગન્નાથ મંદિરમાં વીસેક વર્ષથી ચાંદીનો રથ એક મુસ્લિમ ભેટ ધરે છે. મહેસાણાનાં ઝુલાસણ ગામમાં દાંલાં માતાનું એક મુસ્લિમ મહિલાનું મંદિર છે અને તેની પૂજા હિન્દુઓ કરે છે. વિખ્યાત અવકાશયાત્રી સુનિતા વિલિયમસનું આ પૈતૃક ગામ છે ને આ મંદિરનાં તેઓ દર્શન કરી ચૂક્યાં છે. કેરળનાં મંજેશ્વરમ્‌માં એવું મંદિર છે જ્યાં હિન્દુઓ તો આવે જ છે, પણ મુસ્લિમો પણ રથયાત્રામાં જોડાય છે ને એટલું બાકી હોય તેમ પૂજારીઓને મસ્જિદમાં આવવાનું આમંત્રણ અપાય છે. આવાં બીજાં પણ ઉદાહરણો છે, પણ હવે તાણ અને ભયનું વાતાવરણ હેતુપૂર્વક ઊભું કરાઇ રહ્યું છે. એનો યશ કોઈ એક જ કોમને અપાય એવું નથી. કોઈ એવું પરિબળ છે જે ઈચ્છે છે કે આ બંને કોમો વચ્ચે નફરત સલામત રહે.

હવે માઇક પરથી પોકારાતી અજાનનો હિન્દુઓને વાંધો પડે છે, તો અજાન તો બંધ થતી નથી, પણ હનુમાન ચાલીસા માઇક પરથી સંભળાવવાનું શરૂ કરી દેવાય છે. એમાં પ્રાપ્તિ એટલી જ છે કે પ્રદૂષણ બમણું થઈને સામે આવે છે. ખરેખર તો કોઈ પણ ધર્મનું જાહેર પ્રદર્શન જ અટકવું જોઈએ. ધર્મ જો અંગત બાબત હોય તો તે વરઘોડાઓમાં, પાલખીઓમાં, જાહેર સત્સંગમાં, ઢોલનગારાંઓમાં, વીડિયો કે મેસેજ ફોરવર્ડ કરવામાં કેવી રીતે સચવાય છે તે જોવાવું જોઈએ. કોઈ પણ ધર્મ માત્ર દેખાડાઓમાં તો ન વસે ને ! એક તરફ સર્વધર્મ સમભાવની વાત હોય તો જેહાદની વાત કોઈ કરી જ કઇ રીતે શકે? ધર્મ સમભાવનું લક્ષણ હોય તો ધર્મપરિવર્તનની વાત આવે ક્યાંથી? વટાળ પ્રવૃત્તિ ચલાવનારાઓ ખરેખર જો ઈશ્વરને જાણતા હોય તો એવું કરવાની કલ્પના પણ કરી શકે? જાતિ, ધર્મને વચ્ચે લાવ્યા વગર બે વ્યક્તિ પ્રેમ કરે, પરણે, પછી એ જ પ્રેમિકા કે પત્નીને ધર્મ પરિવર્તનની ફરજ પાડવામાં આવે ને તેમ ન થાય તો અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવે એમાં કેવળ ને કેવળ અધર્મ છે. કોઈ ધર્મ એની મંજૂરી આપે નહીં ને આપે તો એ બીજું કૈં પણ હોય, ધર્મ નથી. નથી જ !

અહીં કોઈ પણ ધર્મની કે રાજકીય પક્ષની તરફેણની કે વિરોધની વાત નથી. આપણે બિનસમ્પ્રદાયિક્તાની નીતિ બંધારણમાં પણ અપનાવી છે. દરેકને પોતાનો ધર્મ પાળવાની ને તહેવારો મનાવવાની છૂટ છે એવું આઝાદી પહેલાં પણ હતું ને પછી પણ છે. કાશ્મીરમાં કોઈ સંપત્તિ ખરીદી ન શકે એવું 370મી લાગુ હતી ત્યારે શક્ય હતું, પણ હવે તો તે કલમ પણ નાબૂદ કરવામાં આવી છે, મતલબ કે કોઈ પણ વ્યક્તિ ક્યાં ય પણ રહી શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જો આ સ્થિતિ હોય તો પ્રશ્ન એ થાય કે અશાંત ધારાની સ્થિતિ આવે કઇ રીતે? એનો અર્થ એ થયો કે આઝાદી પહેલાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વિસ્તારમાં વસી શકતી હતી, એ વાત આઝાદી પછી રહી નથી, એ જ સૂચવે છે કે પ્રજા-પ્રજા વચ્ચે સમભાવ રહ્યો નથી. શેને લીધે આમ બન્યું તે તો બધાં જાણે છે, પણ દુ:ખદ તો એ થયું છે.

ઉત્તર પ્રદેશની એક શાળામાં એક આચાર્યને એટલા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો કારણ તેણે બાળકો પાસે અલ્લામા ઈકબાલની એક નઝમ ગવડાવી જેની એક પંક્તિ હતી, ’અલ્લાહ બુરાઇસે બચાના મુઝ કો…’  આનો વાંધો એટલે ઉઠાવાયો કારણ તેનો કવિ અને નઝમ, બંને વિધર્મી છે. આ એ જ ઇકબાલ છે જેની પંક્તિઓ ‘સારે જહાં સે અચ્છા .., હિંદોસ્તાં હમારા’ ગાઈને આજનું ભારત બેઠું થયું છે. ભારત આજ સુધી તો હિન્દુ રાષ્ટ્ર ઘોષિત નથી થયું. જો એ આજે પણ બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર બંધારણની રુએ હોય તો તેને કોઈ પણ કવિની પંક્તિ એટલા માટે ગાતાં રોકી ન શકાય કે એનો કવિ વિધર્મી છે. જો ગીતાને અભ્યાસક્રમમાં દાખલ કરી શકાતી હોય તો ગાલિબ કે ઇકબાલનો વાંધો ઉઠાવવાનું કોઈ પણ રીતે ક્ષમ્ય નથી. બિસ્મિલ્લાખાનની શહનાઈ અને ભીમસેન જોશીને અલગ અલગ કાનથી સાંભળીશું? કાશ્મીરી પંડિતોને જે રીતે ખદેડવામાં આવ્યા એ અપરાધ જ હતો ને હજી એવી પ્રવૃત્તિઓ જ્યાં પણ થતી હોય ત્યાં તે અપરાધ જ છે, બિલકુલ એ જ રીતે જેમ કોઈ કોમ, બીજી કોમ માટે કારણ વગરની નફરત ફેલાવતી હોય. પ્રજા તરીકે એ પણ દરેકે તારવવાનું રહે કે આ પ્રકારની નફરત કુદરતી કેટલી છે ને રાજકીય કેટલી છે? નાતાલનો તહેવાર દિવાળી કરતાં વધુ ઉત્સાહથી હિન્દુઓ પણ ઊજવે છે. સિમલામાં ક્રિસમસની ઉજવણી માટે ધસારો થાય કે સ્કૂલોમાં બાળકો શાન્તાક્લોઝ બનવાનો, ગિફ્ટ આપવાનો આનંદ માણે, એમાં માત્ર ખ્રિસ્તીઓ જ જોડાય છે એવું નથી. આ ઉજવણું હિન્દુ પ્રજા જે ઉદારતાથી કરે છે એવી ઉદારતા ઈશુ ભક્તો પાસેથી પણ રહે, પણ એવું કમનસીબે ઓછું છે એને પરિણામે હિન્દુઓમાં હવે અન્ય તહેવારો ઉજવવા બાબતે ઉદારતા ઘટતી આવે છે. કેટલાક હિન્દુઓ હવે એવું કહેતાં થયા છે કે આ હિન્દુઓનો વિસ્તાર છે, અહીં શાન્તાક્લોઝ નહીં આવી શકે. આ સારું નથી. એક તરફ રાષ્ટ્રપતિ મુર્મુ મેરી ક્રિસમસની શુભેચ્છાઓ પાઠવતાં હોય ને બીજી તરફ નાતાલની ઉજવણી ખટકે તો એ યોગ્ય છે? કોઈ ઉત્સવ અનુકૂળ ન આવતો હોય તો તેમાં ન જોડાવું, પણ તે ઉજવવા પર રોક લગાવવાની વાત તો બરાબર નથી. કટ્ટરતા કોઇ પણ કોમની હોય, તે ક્ષમ્ય નથી. ભારતીય પ્રજાઓ વચ્ચે વધતું આવતું વૈમનસ્ય પ્રજા વચ્ચે સંપ નથી એની સાક્ષી પૂરે છે. એક બાજુએ ચીન, પાકિસ્તાનનાં આક્રમણનો ભય સરહદ પર તોળાતો હોય ને પ્રજા વચ્ચે સંપ ન હોય તો એનો લાભ કોણ લઈ શકે તે કહેવાની જરૂર છે?

અહીં કોઈને ખરાખોટા ઠેરવવાનો ઇરાદો નથી. હિન્દુઓની બહુમતી છે એની પણ ના નથી, પણ સૈકાઓથી ભારતંમાં હિન્દુઓ એકલા રહ્યા નથી. બીજી ઘણી કોમો ને વિદેશી પ્રજાઓ અહીં આવીને વસી છે. ત્યારે હિન્દુઓ વધારે હતા છતાં એ કોમ કે પ્રજાને અહીં વસતાં કે શાસન કરતાં અટકાવી શકાઈ નથી, બલકે વિદેશી પ્રજા અહીં શાસન કરતી થાય એવી અનુકૂળતાઓ અહીંની કહેવાતી પ્રજાએ ઊભી કરી આપી છે. એ વખતે અહીંની પ્રજાને ગૌરવ આડે આવ્યું હોત તો કોઈ પણ વિદેશી શાસકોની આ ધરતી પર પગ મૂકવાની હિંમત થઈ ન હોત, પણ કમનસીબે અહીંનાં શાસકો અંદરોઅંદર લડવામાંથી જ ઊંચા ન આવ્યા અને એ કુસંપનો લાભ એ વિદેશી પ્રજાને મળ્યો. હવે એ પ્રજાની અહીં પેઢીઓ જન્મી અને વિકસી છે. એ હવે ભારતીયો જ છે. માથા સાથે કાન જડેલા છે. આ સ્થિતિ હોય ને સાથે જ રહેવાનું હોય તો વૈમનસ્ય વધારવાનો અર્થ ખરો? જે પ્રજાઓ અહીં રહી છે તે જો વિદેશની વફાદારી દાખવતી હોય તો તે પણ અક્ષમ્ય છે. એટલે અપેક્ષા ને વિનંતી એ જ હોય કે સૌ હળીમળીને રહે. જો એમ સાથે નહીં રહી શકાતું હોય તો મૃત્યુ તો સાથે કરે જ છે. કોઈ ધરતીકંપ થાય છે ત્યારે તે હિન્દુ, મુસ્લિમ કે શીખ, ઈસાઈને જુદો નથી દાટતો. કોઈ સુનામી કે રેલ આવે છે તો હિન્દુ, મુસ્લિમ કે શીખ-ઈસાઈને તે અલગ અલગ તાણી નથી જતી, એના ધસમસતા પ્રવાહમાં તો બધું જ એકાકાર થઈને વહી જાય છે. જો મૃત્યુ ભેદભાવ નથી કરતું તો જિંદગી કેમ અલગ અલગ ખાનાઓમાં વહેંચાઈને રહેવા મથે છે? કમ સે કમ સામસામે રહેવાને બદલે આપણે પાસ પાસે રહેવાનો પ્રમાણિક પ્રયત્ન કરીએ….

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 26 ડિસેમ્બર 2022

Loading

કોલેજીયમ સિસ્ટમ: સરકાર અને સુપ્રીમ કોર્ટ વચ્ચે ટકરાવ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|26 December 2022

ન્યાયપાલિકા અને કાર્યપાલિકાની વ્યવસ્થાના ઇતિહાસમાં, કેશવાનંદ ભારતીનો કેસ, દેશની લોકશાહીના રક્ષણ માટે ઐતિહાસિક ગણાય છે. 1976માં, દેશમાં કટોકટી લાગુ કરનાર ઇન્દિરા ગાંધીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારે, બંધારણમાં (42મો) સુધારો કરતું વિધેયક સંસદનાં બંને ગૃહોમાં બહુમતીથી પસાર કરાવ્યું હતું. રાજ્ય સભામાં તો તેનો કોઈએ વિરોધ કર્યો ન હતો, પણ લોકસભામાં શાસક કાઁગ્રેસના જ પાંચ બળવાખોર સભ્યોએ સુધારાઓનો વિરોધ કર્યો હતો. એ વખતે, વિરોધ પક્ષોના 21 સંસદ સભ્યો મિસા (મેઈન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યુરિટી એક્ટ) હેઠળ જેલમાં બંધ હતા. બંને ગૃહોએ વિધયેક પસાર કર્યું તે પછી 16 રાજ્યોની વિધાનસભાઓએ પણ તેને મંજૂરી આપી. એ સર્વે રાજ્યોમાં કાઁગ્રેસની સરકાર હતી.

આ 42મો બંધારણીય સુધારો, ત્યાર પહેલાંના તમામ સુધારાઓ કરતાં બહુ ધરખમ હતો. એમાં ઘણી બધી જોગવાઈઓ રદ્દ કરવામાં આવી હતી, ઘણી બદલવામાં આવી હતી અને અનેક નવી જોડવામાં આવી હતી. એ ફેરફારો એટલા પાયાના હતા કે 1949માં અમલમાં આવેલા બંધારણની આખી શકલ જ બદલી નાખી. એમાં એવી કલમો જોડવામાં આવી હતી કે અદાલતો વૈધાનિક કાયદાઓની કાનૂની સમીક્ષા કરી ન શકે અને બંધારણ રાજકીય વર્ગની કઠપૂતળી બનીને રહી જાય.

એ વખતે, કેરળમાં ઈડનીર મઠના મહંત કેશવાનંદ ભારતીએ, બંધારણના અનુચ્છેદ 26 (ધાર્મિક કાર્યોના પ્રબંધનની સ્વતંત્રતા) હેઠળ કેરળ સરકાર સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. કેરળ  સરકારે મઠની સંપત્તિઓના સંચાલનમાં અમુક નિયંત્રણો મુક્યાં હતાં. સરકારે તેના ભૂમિ-સુધાર કાનૂન હેઠળ, મઠની 400 એકર જમીનમાંથી 300 એકર જમીન ખેતી કરવાવાળાઓને ભાડે-પટ્ટે આપી દીધી હતી. આ કાનૂનને અદાલતોમાં પડકારી ન શકાય તેવી બંધારણીય જોગવાઈ હતી. 1963ના બંધારણીય સુધારામાં, કેરળ ભૂમિ સુધાર અધિનિયમ પણ હતો. મહંતે આ સુધારને જ પડકાર્યો હતો.

મામલો સુપ્રીમ કોર્ટમાં આવ્યો, ત્યારે સુનાવણીમાં સવાલ એ ઊભો થયો કે શું સંસદને એ અધિકાર છે કે તે બંધારણની મૂળ પ્રસ્તાવનાને બદલી નાખે? એમાં 7 વિરુદ્ધ 6 ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે ઐતિહાસિક ચુકાદો આપ્યો કે બંધારણના ‘આધારભૂત માળખા’ (બેઝિક સ્ટ્રક્ચર)માં સંસદ ફેરફાર કરી ન શકે. 7 ન્યાયાધીશોએ બહુમતીથી કહ્યું હતું કે, “બંધારણમાં સંશોધન કરવાની શક્તિ સંસદ પાસે છે પરંતુ બંધારણની પ્રસ્તાવનાના આધારભૂત માળખાને બદલી ન શકાય અને કોઈ પણ સંશોધન પ્રસ્તાવનાની ભાવનાની વિરુદ્ધ જઈ ન શકે.” પાછળથી, “આધારભૂત માળખા”ના આ નિર્ણયને બંધારણમાં એક સિદ્ધાંત તરીકે માન્યતા આપવામાં આવી હતી.

આ કેસમાં મહંતને તો કોઈ ફાયદો ન થયો, પણ દેશની જનતાને જરૂર થયો. એ દિવસે એ નિર્ણય થયો હતો કે બંધારણ સંસદ કરતાં પણ સર્વોપરી છે. ન્યાયિક સમીક્ષા, ધર્મનિરપેક્ષતા, તટસ્થ ચૂંટણી પ્રક્રિયા અને લોકશાહી બંધારણના આધારભૂત માળખામાં આવે છે અને તેમાં ફેરફાર કરવાનો અધિકાર સંસદને પણ નથી. એ દિવસે એ પણ સ્પષ્ટ થયું હતું કે ન્યાયપાલિકા અને કાર્યપાલિકા બંને બંધારણે આપેલી શક્તિઓ અને મર્યાદાઓમાં રહીને કામ કરે છે.

તાજેતરમાં, ન્યાયપાલિકા અને કાર્યપાલિકાનો ‘સીમા-વિવાદ’ ફરી ઊભો થયો છે. 7મી ડિસેમ્બરે, ઉપ-રાષ્ટ્રપતિ અને રાજ્ય સભાના ચેરપર્સન જયદીપ ધનખડે, તેમના પહેલા ભાષણમાં સુપ્રીમ કોર્ટના 2015ના એ નિર્ણયની આકરી ટીકા કરી હતી જેમાં કોર્ટે નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશન (એન.જે.એ.સી.) વિધેયકને રદ્દ જાહેર કર્યું હતું. સંસદનાં બંને ગૃહોએ સર્વસંમતિથી પસાર કરેલા આ વિધેયકમાં, ન્યાયિક એપોઈન્ટમેન્ટ કરવા માટે બનાવવામાં આવેલી કોલેજીયમ સિસ્ટમને રદ્દ કરવાની જોગવાઈ હતી. કોર્ટની આ હરકત “સંસદીય સર્વોપરિતાને ગંભીર રીતે જોખમમાં મૂકે છે” તેમ કહેતાં ધાનકરે કહ્યું હતું કે, “લોકશાહીના ઇતિહાસમાં એવું ક્યારે ય બન્યું નથી કે એક ઉચિત બંધારણીય નુસખો ન્યાપાલિકાએ ઉલટાવી દીધો હોય.” 

એ અગાઉ, કાયદા મંત્રી કિરણ રિજીજુએ પણ આ જ વાતનો ઉપાડો લીધો. ઉચ્ચ અદાલતોના ન્યાયાધીશોની નિમણૂક કરવાના સુપ્રીમ કોર્ટના કોલેજીયમને નિશાન બનાવવા માટે તેમણે 5 કરોડ જેટલા પેન્ડિગ કેસો અને ન્યાયાધીશોની ખાલી પડેલી જગ્યાઓનો મુદ્દો આગળ ધર્યો. તેમણે તર્ક કર્યો કે એપોઇન્ટમેન્ટ્સની ‘નવી સિસ્ટમ’ નહીં બને ત્યાં સુધી કેસોના ભરાવાની સમસ્યા નહીં ઉકલે. રિજીજુએ ઘા ભેગો લસરકો મારી લેતાં એમ પણ કહ્યું કે ‘કોર્ટોમાં લાંબા વેકેશનનોની’ અંગ્રેજોના જમાનાની પરંપરા પણ મુસીબતમાં ઉમેરો કરે છે. તેમણે સુપ્રીમ કોર્ટની પ્રક્રિયાની સીધી ટીકા કરતાં એમ પણ કહ્યું હતું કે તેની પાસે આટલા બધા પેન્ડિંગ કેસો હોય ત્યારે તેણે “જનહિતની ફાલતું અરજીઓ અને જામીન અરજીઓની સુનાવણીમાં સમય બરબાદ કરવો જ જોઈએ.”

આ છેલ્લી ટીકાનો જવાબ તો ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રાચૂડે આપી પણ દીધો. વીજ ચોરીના કેસમાં 18 વર્ષની સજા ભોગવતા એક આરોપીના કેસની સુનાવણી કરતી વખતે, ચીફ જસ્ટિસે કાનૂન મંત્રીની ટીકાને યાદ કરીને કહ્યું હતું કે વ્યક્તિગત આઝાદી અને મૂળભૂત અધિકારો માટેના દરેક પોકાર સાંભળવા માટે જ સુપ્રીમ કોર્ટ છે. “કોર્ટનો મુખ્ય હેતુ જ દેશના પ્રત્યેક નાગરિકના જીવનના  બંધારણીય અધિકાર અને વ્યક્તિગત આઝાદીનું રક્ષણ કરવાનો છે. આ કોર્ટનો ઇતિહાસ ગવાહ છે કે નાગરિકોની ફરિયાદોના સામાન્ય અને રૂટિન મામલાઓમાંથી જ દેશના વર્તમાન મુદ્દાઓ બહાર આવે છે. કોર્ટ માટે કોઈ મામલો નાનો કે મોટો નથી હોતો. અમે જો વ્યક્તિગત સ્વતંત્રતાના મામલે જો રાહત ન આપી શકતા હોઈએ, તો અમારી જરૂર જ શું છે?” એમ તેમણે કહ્યું હતું.

વાસ્તવમાં, કોર્ટોમાં ઢગલાબંધ કેસો પેન્ડિંગ છે એનું એક માત્ર કારણ જજોની વેકેન્સી નથી. બીજાં અનેક કારણો છે અને સરકારને એ ખબર પણ છે. દેશમાં સરકાર પોતે જ સૌથી મોટી ફરિયાદકર્તા છે અને તેણે ઢગલાબંધ નાના-નાના કેસો કોર્ટોમાં ખડકી દીધા છે. વેકેશનના મુદ્દા પર અનેક નિષ્ણાતો કહે છે કે કોર્ટોમાં મગજથી કામ થાય છે, ફેકટરીઓની જેમ બાવડાં ફુલાવીને નહીં. બૌદ્ધિક કૌશલ્યની જરૂર હોય તેવા દરેક વ્યવસાયમાં નિયમથી કે સ્વેચ્છાએ રજાઓની વ્યવસ્થા છે. એમ તો સંસદ અને વિધાનસભાઓના આંકડા કાઢો તો ખબર પડે કે કોણ કેટલી રજાઓ ભોગવે છે.

મૂળ મુદ્દો એ નથી. મૂળ મુદ્દો જજોની પસંદગી અને નિમણુક કોણ કરે તેનો છે. ધનખડની ટીકા પછી તુરત સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું હતું કે બંધારણની જોગવાઈ હેઠળ સુપ્રીમ કોર્ટ કોઇપણ કાનૂનના મામલે અંતિમ મધ્યસ્થી છે અને કોલેજીયમે સુચવેલાં તમામ નામોને નિમણુક સરકારે કરવી જ પડશે. ત્રણ જજોની બેંચના જસ્ટિસ એસ. કે. કૌલે તો દેશના એટર્ની જનરલને કહ્યું હતું કે તમે કેન્દ્રના મંત્રીઓને સલાહ આપો કે મર્યાદામાં રહીને બોલે.

કોલેજીયમ સિસ્ટમ પ્રમાણે, ભારતના ચીફ જસ્ટિસ અને ચાર વરિષ્ઠ સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠ જસ્ટિસો સરકારને જજોની નિમણૂક અને ટ્રાન્સફરની ભલામણ કરે છે. હાઈકોર્ટમાં આ કામ ચીફ જસ્ટિસ અને બે વરિષ્ઠ જજ કરે છે. એમાં સરકારની ભૂમિકા એટલી જ છે કે તેનો ઇન્ટેલિજન્સ બ્યુરો (આઈ.બી.) કોઈ વકીલને જજ તરીકે બઢતી આપવાની હોય ત્યારે તેની ગુપ્ત તપાસ કરીને રિપોર્ટ આપે છે. કોલેજીયમ જે નામોની ભલામણ કરે તેની સામે સરકાર વાંધો ઉઠાવી શકે અથવા ખુલાસો માગી શકે, પરંતુ કોલેજીયમ ફરીથી એ જ નામની ભલામણ કરે તો સરકારે એ માન્ય રાખવું પડે.

સરકારને જજોની એપોઇન્ટમેન્ટ્સમાં સત્તા જોઈએ છીએ કારણ કે તેને લાગે છે કે કોલેજીયમ સિસ્ટમ ધૂંધળી છે અને કેવી રીતે તેના નિર્ણયો લેવાય છે તે કોઈને ખબર નથી. આ સરકાર જ નહીં, ભૂતકાળમાં બીજી સરકારોએ, વિશેષ કરીને ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની સરકારોએ, પણ જજોની એપોઇન્ટમેન્ટ્સમાં પોતાની હિસ્સેદારી માગી હતી અને સુપ્રીમ કોર્ટે તેની સ્વાયત્તા બચાવવા માટે કોલેજીયમ સિસ્ટમ દ્વારા સરકારોને છેટી રાખી હતી. કાયદા મંત્રીના તેવર જોતાં એવું લાગે છે કે સરકાર મૂક પ્રેક્ષક બનીને રહેવાના મૂડમાં નથી.

ગયા મહિને, સુપ્રીમ કોર્ટના કોલેજીયમે સુપરત કરેલી હાઈ કોર્ટના જજોની નિયુક્તિની 20 ફાઈલો કેન્દ્ર સરકારે માન્ય રાખી ન હતી અને તેની પર પુન:વિચાર કરવાની ભલામણ કરી હતી. સુપ્રીમ કોર્ટે એ અંગે પોતાની નારાજગી પણ વ્યક્ત કરી હતી કે સરકાર નામો મંજૂર કરવામાં વિલંબ કરીને નિમણૂકની પ્રક્રિયાને હતાશ કરી રહી છે.

દેખીતી રીતે જ, 2015માં સંસદે મંજૂર કરેલા નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશનને સુપ્રીમ કોર્ટે મંજૂર ન રાખ્યું તેનાથી સરકાર તે વખતથી નારાજ હતી, પરંતુ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં શાસક ભારતીય જનતા પાર્ટીને જબ્બર બહુમત મળ્યો તેનાથી જોશમાં આવેલી સરકારે જજોની એપોઇન્ટમેન્ટ્સની જૂની ચર્ચાને ફરીથી છેડી છે.

આ વિવાદમાં, એક વાત કોઈ ખૂલીને બોલતું નથી તે એ છે કે ન્યાયપાલિકા, વિરોધ પક્ષો અને સિવિલ સોસાઈટીને એવો ડર છે કે વર્તમાન સરકાર જજોની નિમણૂકમાં પોતાની સત્તા એટલા માટે માંગે છે જેથી ‘સરકાર વિરોધી’ જજોને આઘા રાખી શકાય. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ અને કાઁગ્રેસના ભૂતપૂર્વ સભ્ય કપિલ સિબ્બલ એક જગ્યાએ લખે છે કે, “સરકારની કાયમી ફરિયાદ છે કે કોર્ટો પ્રસંગોપાત તેની લક્ષ્મણ રેખા ઓળંગે છે અને તેના દાયરામાં ન આવે તેવી બાબતોમાં દખલ કરે છે. કાયદા મંત્રી પણ એ જ કરી રહ્યા છે જેના માટે તેઓ કોર્ટને દોષિત ગણે છે. એ પણ સરકારના દાયરામાં ન આવતા મામલામાં લક્ષ્મણ રેખા ઓળંગે છે.”

લાસ્ટ લાઈન :

“વૈધાનિક અને શાસનાત્મક સત્તાઓ એક જ વ્યક્તિ કે એક જ સંસ્થા પાસે હોય તો સ્વતંત્રતા ન રહે.”

— મોન્ટેસ્ક્યુ, ફ્રેંચ જજ, ધ સ્પિરિટ ઓફ લોઝમાં, 1748

પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામે લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 25 ડિસેમ્બર 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,2531,2541,2551,256...1,2601,2701,280...

Search by

Opinion

  • ‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?
  • હાર્દિક પટેલ, “જનરલ ડાયર” બહુ દયાળુ છે! 
  • આ મુદ્દો સન્માન, વિવેક અને માણસાઈનો છે !
  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – 10 (દેરિદાનું ભાવજગત) 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved