Opinion Magazine
Number of visits: 9566986
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ડાગદર બાબૂ : ધર્મેન્દ્ર-જયાની અધૂરી પ્રેમ કહાની

રાજ ગોસ્વામી|Opinion - Opinion|15 March 2023

રાજ ગોસ્વામી

યાદગાર ફિલ્મોની આગળ-પાછળની કહાનીને યાદ કરીએ છીએ, પણ આજે એક એવી ફિલ્મની વાત, જે કોઈએ જોઈ નથી. મતલબ કે એવી અધૂરી ફિલ્મની વાત, જે ઓલમોસ્ટ 80 ટકા પૂરી થઇ ગઈ હતી, પણ એની પટ્ટી એવી તૂટી કે પાછી ચકરડા પર ચઢી ના શકી. ફિલ્મ જો પૂરી થઈને દર્શકો સમક્ષ આવી હોત તો સાચે જ યાદગાર અને સુપરહિટ સાબિત થઇ હોત.

એવું કેમ વિશ્વાસથી કહી શકાય? કારણ કે એ ફિલ્મનો આધાર એક એવી કાલજયી હિન્દી નવલકથા હતી, જેના ઉલ્લેખ વગર હિન્દી સાહિત્યની વાત અધૂરી રહી જાય. તેનું નામ હતું ‘મૈલા આંચલ,’ તેના રચિયતા હતા ફણીશ્વર નાથ રેણુ અને તેના પરથી બનનારી ફિલ્મનું નામ હતું ‘ડાગદર બાબુ’ (ડોકટર બાબૂ). કલાકારો હતાં ધર્મેન્દ્ર, જયા બચ્ચન, ઉર્મિલા ભટ્ટ, ઉત્પલ દત્ત અને અમજદ ખાન. નિર્દેશક હતા નબેન્દુ ઘોષ, નિર્માતા હતા એસ.એચ. મુન્શી અને સંગીતકાર હતા આર.ડી. બર્મન. એનાં 12 ગીતો રેકોર્ડ થઇ ગયાં હતાં.

અનિલ કપૂરના પિતા સુરિન્દર કપૂરે, 1981માં, રાકેશ પાંડે, રાધા સલૂજા, ગુલશન અરોરા અને અભી ભટ્ટાચાર્યને લઈને ‘મૈલા આંચલ’ નામથી એક ફિલ્મ બનાવી હતી, પરંતુ રેણુ સાથે તેનો સંબંધ માત્ર ટાઈટલ પૂરતો જ હતો, અથવા એવું કહો કે તેમણે ટાઈટલ ચોરી લીધું હતું. ‘મૈલા આંચલ’ નાયિકા પ્રધાન ફિલ્મ હતી. તેમાં એક અનાથ પણ પ્રેગ્નન્ટ છોકરીની આપવીતીની વાર્તા હતી.

‘ડાગદર બાબુ’ અથવા મૂળ નવલકથા ‘મૈલા આંચલ’માં એક એવા ડોકટરની વાર્તા હતી જે બિહારના એક સાવ પછાત ગામને તેનું કાર્યક્ષેત્ર બનાવે છે. એમાં એ બતાવામાં આવ્યું હતું કે તેને કેવી રીતે ત્યાં ગરીબી, કુરિવાજો, અજ્ઞાનતા, બીમારીનો સામનો કરવો પડે છે.

‘મૈલા આંચલ’ને હિન્દી સાહિત્યની પહેલી આંચલિક નવલકથા કહેવામાં આવે છે. આંચલ એટલે સાડીનો પલ્લુ અથવા છેડો, એમાં ‘ઇક’ પ્રત્યાય લગાવીને આંચલિક બંને, જેનો અર્થ થાય છે આંચલ સંબંધી. હિન્દીમાં આંચલનો અર્થ જનપદ, અથવા ક્ષેત્રીય અથવા પ્રાંતીય થાય છે. જે છેવાડાનો વિસ્તાર છે તે આંચલિક.

બિહારના મેરીગંજ ગામની એમાં વાર્તા હતી, જે હજુ ‘મેલુ’ છે અને જ્યાં સુધી ગરીબી અને અજ્ઞાનતા સમાપ્ત નહીં થયા ત્યાં સુધી મેલુ જ રહેવાનું છે. તેનાં ત્રણ પ્રમુખ પાત્રો હતાં; કમલી- જે એક અજ્ઞાત બીમારીથી પીડાય છે, ડો. પ્રશાંત – જે ડોક્ટર બનીને ગામમાં સેવા આપવા આવે છે અને વિશ્વનાથ મલિક – જે કમલીના પિતા અને જમીનદાર છે.

2020માં, અમિતાભ બચ્ચને સ્વામી વિવેકાનંદના વેશમાં પત્ની જયાનો એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેઅર કર્યો હતો. એ સ્ટિલ ફોટો આ અધૂરી ‘ડાગદર બાબૂ’નો હતો, જો કે બચ્ચને ભૂલમાં તેને બંગાળી ફિલ્મ ગણાવી હતી. ફિલ્મમાં કમલી બનતી જયા ડોક્ટર પ્રશાંતના પ્રેમમાં પડી જાય છે એટલે તે બીમારીનું નાટક કરે છે અને ડોક્ટરને બોલાવે છે. ડોક્ટર આદર્શવાદી છે અને સ્વામી વિવેકાનંદમાં તે ખૂબ માને છે. ડોકટરને પ્રભાવિત કરવા માટે કમલી વિવેકાનંદનો વેશ ધારણ કરે છે. ડોકટર જ્યારે તેને જોઇને ચકિત થઇ જાય છે ત્યારે તે માથા પરથી ફેંટો ઉતારીને અસલી રૂપ જાહેર કરે છે.

‘મૈલા આંચલ’ માટે પદ્મશ્રી ખિતાબ મેળવનારા ફણીશ્વર રેણુ (1921-1977) નેપાળની સીમા પર આવેલા બિહારના ફારબિસગંજના હતા. હિન્દી વિવેચકો ‘મૈલા આંચલ’ને પ્રેમચંદની ‘ગોદાન’ની કક્ષાએ મૂકે છે. 1954માં તેમણે લખેલી ‘મારે ગયે ગુલફામ’ વાર્તા પરથી બાસુ ભટ્ટાચાર્યએ 1966માં રાજ કપૂર અને વહીદા રહેમાન સાથે મશહૂર ફિલ્મ ‘તીસરી કસમ’ બનાવી હતી. એનો સ્ક્રીનપ્લે નબેન્દુ ઘોષે લખ્યો હતો. ‘તીસરી કસમ’ની સફળતાથી પ્રેરાઈને નબેન્દુએ બતૌર નિર્દેશક ‘મૈલા આંચલ’ પરથી ‘ડાગદર બાબૂ’ બનાવાનું નક્કી કર્યું હતું. 

નબેન્દુ ઘોષ એક પ્રમુખ બંગાળી લેખક હતા અને તેમણે ‘તીસરી કસમ’ ઉપરાંત ‘સુજાતા,’ ‘બંદિની,’ ‘દેવદાસ,’ ‘મજલી દીદી’ અને ‘અભિમાન’ ફિલ્મોના સ્ક્રીનપ્લે લખ્યા હતા. 60ના દાયકામાં તેમણે અશોક કુમાર અને ઇન્દ્રાણી મુખર્જીને લઈને ‘પ્રેમ – એક કવિતા’ નામની’ ફિલ્મ બનાવવા પ્રયાસ કર્યો હતો. ગુરુ દત્તની ‘કાગજ કે ફૂલ’ની વાર્તાની ક્રેડીટને લઈને તેમને દત્ત સાથે ઝઘડો થયો પછી તે તેમની પત્ની  ગીતા દત્તને લઈને એક ફિલ્મ કરવા માંગતા હતા. 

નબેન્દુ ઘોષની વાર્તા પરથી બિમલ રોયે 1954માં ‘બાપ બેટી’ (નલિની જયવંત, બાળ કલાકાર આશા પારેખ અને નાઝિર હુસેન) ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મના નિર્માતા એસ.એચ. મુન્શી બિહારના ગયા શહેરના હતા. તેમની બહુ ઈચ્છા હતી કે રેણુની ‘મૈલા આંચલ’ પરથી હિન્દીમાં ફિલ્મ બનાવવી જોઈએ અને તેનું નિર્દેશન નબેન્દુએ કરવું જોઈએ. 

70ના દાયકાના મધ્યમાં ફિલ્મનું શુટિંગ શરૂ થયું હતું અને લગભગ 80 ટકા જેટલી ફિલ્મ બની ગઈ પછી નિર્માતા મુન્શી અને ફિલ્મ વિક્રેતા-ફાયનાન્સર મનિયા દાગા (એ પણ બિહારના હતા) વચ્ચે ઝઘડો થયો અને કામ અટકી ગયું. રેણુના પુત્ર દક્ષિણેશ્વર પ્રસાદ રાયના કહેવા પ્રમાણે ફિલ્મ સામાયિક ‘માયાપુરી’માં ‘ડાગદર બાબૂ’ની જાહેરાત પણ થઇ ગઈ હતી. તેની 13 રીલ બની ચૂકી હતી.

નબેન્દુના દીકરા શુભંકર ઘોષ આ ફિલ્મમાં સહાયક પણ હતા. તેમના કહેવા પ્રમાણે, “આ ઝઘડા દરમિયાન જ મુન્શીનું અવસાન થઇ ગયું હતું. ફિલ્મની નેગેટિવ્સ બોમ્બે લેબમાં રાખવામાં આવી હતી. 80ના દાયકામાં મુંબઈમાં પૂર આવ્યું તેમાં એ ખરાબ થઇ ગઈ હતી. પછી તેનું શું થયું તે કોઈને ખબર નથી.”

હિન્દી લેખક-પત્રકાર ડો. અરવિંદ દાસ આ ફિલ્મ બાબતે પૂરક માહિતી આપે છે. તેઓ કહે છે કે ફિલ્મના કલાકારો મશહૂર હતા. રેણુના ગામ ફારબિસગંજમાં જ્યારે તેનું શુટિંગ ચાલતું હતું ત્યારે ધર્મેન્દ્ર અને જયાને જોવા માટે લોકોની ભીડ ભેગી થઇ હતી. આર.ડી. બર્મને તેમાં અસાધારણ સંગીત આપ્યું હતું અને તે મુન્શી પરિવાર પાસે સચવાયેલું પડ્યું હોવું જોઈએ.

શુભંકર કહે કે કે તેમના પિતા નબેન્દુ ઘોષ અને રેણુ અચ્છા દોસ્ત હતા. તેઓ કાયમ તેમની પાસે ‘મૈલા આંચલ’ની પોકેટ બૂક રાખતા હતા. એ ઘણાં વર્ષોથી તેના સ્ક્રીનપ્લે પર કામ કરતા હતા. રેણુ મૈથિલી ભાષાની ફિલ્મો સાથે થોડો વખત સંકળયેલા હતા અને એમાંથી જ તેમને હિન્દી ફિલ્મો તરફ રુચિ જાગી હતી, પરંતુ બોલીવૂડમાં સાહિત્યિક કૃતિઓ સાથે જે છેડછાડ થતી હતી તેનાથી તે નારાજ હતા.

જેમ કે, ‘તીસરી કસમ’નો અંત બદલવા માટે તેમની પર ખૂબ દબાણ કરવામાં આવ્યું હતું પરંતુ તેઓ રાજી થયા ન હતા. એવી જ રીતે તેમને ‘ડાગદર બાબૂ’ને લઈને પણ આશંકા હતી. હિન્દીના જાણીતા લેખક રોબિન શો પુષ્પ તેમના સંસ્મરણમાં લખે છે કે રેણુએ તેમને કહ્યું હતું કે તે કદાચ ‘ડાગદર બાબૂ’ ફિલ્મને નહીં જુવે. કેમ એવું? પૂછતાં તેમણે કહ્યું હતું, “હું પહેલાં ફિલ્મની સમીક્ષા વાંચીશ … જોવા વાળાઓનો મત જાણીશ … બધું બરાબર લાગશે, ત્યારે જોવા જઈશ. બાકી, જે મૈલા આંચલે મને જે યશ આપ્યો છે, માન આપ્યું છે, સાહિત્યમાં સ્થાપિત કર્યો છે … એ કૃતિના વિકૃત રૂપને જોવાનું મારામાં સાહસ નથી.”

કાશ આ ફિલ્મ પૂરી થઇ હોત અને કાશ રેણુએ તે જોઈ હોત! કાશ આપણે પંચમ’દાનું સંગીત સાંભળી શક્યા હોત!

(પ્રગટ ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”, 15 માર્ચ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

બી.બી.સી. પર ઇન્કમટેક્સની કાર્યવાહીનો મુદ્દો ઉઠાવતા બ્રિટનના વિદેશમંત્રી જેમ્સ ક્લેવરી 

કૌશિક અમીન|Opinion - Opinion|15 March 2023

ભારત ડાયરી: 

જી-20ના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા ભારત આવેલા બ્રિટનના વિદેશ મંત્રીએ ગત મહિને બી.બી.સી.નાં ભારતીય કાર્યાલયો પર કરાયેલી આવકવેરા વિભાગની કાર્યવાહીનો મુદ્દો ઉઠાવ્યો.

બ્રિટનના વિદેશ મંત્રી જેમ્સ ક્લેવરીએ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત કરી.

જેમ્સ ક્લેવરીએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન સંબંધિત જાણકારી આપી.

ગત મહિને બી.બી.સી.નાં દિલ્હી અને મુંબઈસ્થિત કાર્યાલય પર આવકવેરા વિભાગે લગભગ ત્રણ દિવસ સુધી સર્વે કર્યો હતો.

જયશંકરે બ્રિટનના વિદેશ મંત્રીને કહ્યું કે જે કંપનીઓ ભારતમાં કામ કરી રહી છે, એણે ભારતના કાયદાનું પાલન કરવું પડશે.

તાજેતરમાં જ બી.બી.સી.એ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર એક ડૉક્યુમેન્ટરી પ્રસારિત કરી હતી. જેનું પ્રસારણ કોઈ પર રીતે ભારતમાં નહોતું કરાયું અને એ માત્ર બ્રિટનમાં રહેતા દર્શકો માટે જ રજૂ કરાઈ હતી.

ભારત સરકારે આ ડૉક્યુમેન્ટ્રીને ‘શત્રુત્રાપૂર્ણ દુષ્પ્રચાર’ ગણાવતાં ભારતમાં એને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. કેમ કે કેટલા ય લોકો આને ગેરકાયદે અપલૉડ કરીને સોશિયલ મીડિયા પર શૅર કરી રહ્યા હતા.

સર્વે દરમિયાન શું થયું હતું?

બી.બી.સી.ના દિલ્હી અને મુંબઈસ્થિત કાર્યાલયો પર આવકવેરા વિભાગે 14 ફેબ્રુઆરીએ સર્વે શરૂ કર્યો હતો.

આવકવેરા વિભાગે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે આ ‘સર્વે’ એટલે કરવામાં આવ્યો છે કે જેથી સતત ચાલનારાં મીડિયા / ચેનલની ગતિવિધિઓને સુગમ બનાવી શકાય.

આ દરમિયાન કેટલા ય કલાકો સુધી બી.બી.સી.ના પત્રકારોને કામ કરવા ન દેવાયા. કેટલા ય પત્રકારો સાથે આવકવેરા વિભાગના કર્મચારીઓ અને પોલીસકર્મીઓએ ગેરવર્તન પણ કર્યું.

પત્રકારોનાં કમ્પ્યુટરોની ચકાસણી કરવામાં આવી અને તેમના ફોન મુકાવી દેવાયા તથા તેમની પાસેથી તેમની કામ કરવાની રીતની જાણકારી લેવામાં આવી. આ સાથે જ દિલ્હી કાર્લાયલમાં કામ કરી રહેલા પત્રકારોને આ સર્વે અંગે કંઈ પણ લખતાં અટકાવાયા.

સિનિયર એડિટરો દ્વારા સતત કહેવાયા બાદ જ્યારે કામ કરવા દેવાયા, ત્યારે પણ હિંદી અને અંગ્રેજીના પત્રકારોને ઘણા સમય સુધી કામ કરતા અટકાવાયા. આ બન્ને ભાષાના પત્રકારો જ્યારે પ્રસારણના સમયની નજીક પહોંચી ગયા હતા ત્યારે જ એમને કામ કરવાની મંજૂરી અપાઈ.

આવકવેરા વિભાગની આ કાર્યવાહીની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણી ટીકા થઈ હતી.

ભારતમાં વિપક્ષી દળોના નેતાઓએ આ કાર્યવાહીને ‘પ્રેસની સ્વતંત્રતા પર હુમલો’ ગણાવ્યો હતો.

સતત ત્રણ દિવસ સુધી ચાલેલા આયકર વિભાગના સર્વે દરમિયાન બી.બી.સી. દેશ-દુનિયા સાથે જોડાયેલ અહેવાલો પોતાની ઑડિયન્સ સુધી પહોંચાડતું રહ્યું હતું.

બી.બી.સી.એ એમ પણ કહ્યું હતું કે “અમે ભરોસાપાત્ર, નિષ્પક્ષ, આંતરરાષ્ટ્રીય અને સ્વતંત્ર મીડિયા છે.

અમે અમારા એ સહકર્મીઓ અને પત્રકારો સાથે ખડેપગે છીએ. જે સતત આપ સુધી કોઈ પણ ભય કે પક્ષપાત વગર સમાચાર પહોંચાડતા રહેશે.”

બી.બી.સી. ડાયરેક્ટર–જનરલે મોકલ્યો ઈમેલ.

બી.બી.સી.ના ડાયરેક્ટર-જનરલ ટિમ ડેવીએ ભારતમાં સ્ટાફને એક ઈમેલ દ્વારા જણાવ્યું હતું કે બી.બી.સી. ડર કે પક્ષપાત રહિત રિપોર્ટિંગ કરતા અટકશે નહીં.

આવકવેરા અધિકારીઓ દ્વારા દિલ્હી અને મુંબઈમાં બી.બી.સી.ની ઑફિસમાં સર્ચ બાદ ડી.જી.એ સ્ટાફને આ સંદેશ આપ્યો હતો.

ટિમ ડેવીએ સ્ટાફનો તેમણે દાખવેલી હિંમત બદલ આભાર માન્યો અને કહ્યું કે નિષ્પક્ષપણે રિપોર્ટિંગ કરતાં વધુ મહત્ત્વનું કંઈ નથી.

ટિમ ડેવીએ જણાવ્યું હતું કે બી.બી.સી. સ્ટાફને તેમની કામગીરી અસરકારક અને સુરક્ષિત રીતે કરવામાં મદદ કરશે.

બી.બી.સી.ના ડાયરેક્ટર–જનરલ ટિમ ડેવી 

તેમણે ઈમેલમાં કહ્યું, “ક્ષમતા સાથે ડર કે પક્ષપાત રહિત રિપોર્ટિંગ કરવાથી વિશેષ આપણા માટે વધુ મહત્ત્વનું કંઈ નથી.”

“વિશ્વભરના આપણા દર્શકો પ્રત્યેનું આપણું કર્તવ્ય સ્વતંત્ર અને નિષ્પક્ષ પત્રકારત્વ દ્વારા સત્યને ઉજાગર કરવાનું છે અને શ્રેષ્ઠ સર્જનાત્મક સામગ્રીનું નિર્માણ અને વિતરણ કરવાનું છે.

આપણને આપણું કામ કરતા અટકાવી શકાશે નહીં.

“હું સ્પષ્ટ કહેવા માગું છું કે બી.બી.સી.નો કોઈ એજન્ડા નથી – આપણે હેતુને લઈને ચાલીએ છીએ. અને આપણો પ્રથમ જાહેર હેતુ લોકોને તેમની આસપાસની દુનિયાને સમજવા અને તેમની સાથે જોડાવવામાં મદદ કરવા માટે નિષ્પક્ષ સમાચાર અને માહિતી પ્રદાન કરવાનો છે.”

બ્રિટિશ રાજકારણીઓની ચિંતા

બ્રિટિશ લેબર પાર્ટીના નેતા ફેબિયન હૅમિલ્ટને ભારત સરકારની આ કાર્યવાહી અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું, “એવા લોકતાંત્રિક દેશો જ્યાં હકીકતમાં પ્રેસ પોતાનું કામ કરવા સ્વતંત્ર હોય, ત્યાં કારણ વગર ટીકાત્મક અવાજોને દબાવી શકાય નહીં અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની દરેક કિંમતે સુરક્ષા થવી જોઈએ.”

તેમણે કહ્યું, “જેથી ગયા અઠવાડિયે બી.બી.સી.ની ભારતસ્થિત ઓફિસોમાં દરોડા પડવા એ ચિંતાજનક બાબત છે, ભલેને તેનું સત્તાવાર કારણ કંઈપણ આપવામાં આવતું હોય. બી.બી.સી. વિશ્વભરમાં પોતાના ઉચ્ચ ગુણવત્તાસભર પત્રકારત્વ માટે જાણીતું છે અને તેને કોઈ પણ ભય વગર તેને યથાવત રાખવાની સ્વતંત્રતા હોવી જોઈએ.”

બ્રિટનની ડૅમોક્રેટિક યુનિયનિસ્ટ પાર્ટીના સાંસદ જિમ શૅનને કહ્યું, “આપણે એ બાબતે બિલકુલ સ્પષ્ટ હોવું જોઈએ કે આ એક ધમકાવવાની કાર્યવાહી હતી. જે દેશના નેતાની ટીકાત્મક ડૉક્યુમૅન્ટરી પ્રસારિત થયા બાદ કરવામાં આવી હતી.”

“આ ડૉક્યુમૅન્ટરી પ્રસારિત થયા બાદ ભારતમાં તેનું સ્ક્રીનિંગ રોકવાના પૂરજોશમાં પ્રયાસ કરવામાં આવ્યા. સાથે જ મીડિયા અને પત્રકારોની અભિવ્યક્તિની સ્વતંત્રતા પર દમન ગુજારવામાં આવી રહ્યું છે. જ્યારે યુનિવર્સિટીઓમાં ભણતા વિદ્યાર્થીઓએ સામૂહિક રીતે આ ડૉક્યુમૅન્ટરી જોવાનો પ્રયાસ કર્યો તો ડઝનબંધ વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી. ઘણા વિદ્યાર્થીઓએ તો ઇન્ટરનેટ અને વીજળી વગર રહેવું પડ્યું હતું.”

“ભારત સરકારની આ કાર્યવાહીની પત્રકારો, માનવાધિકાર વકીલો અને ધાર્મિક અલ્પસંખ્યકો પર ગંભીર અસર પડી. આ દરોડા સાત દિવસ પહેલાં પાડવામાં આવ્યા હતા. તે પછીથી એફ.સી.ડી.ઓ. (ફૉરેન, કૉમનવેલ્થ અને ડૅવલપમેન્ટ ઑફિસ) તરફથી કંઈ કહેવાયું નથી અને સરકાર તરફથી પણ કોઈ નિવેદન જાહેર કરાયું નથી. શું મંત્રી મને અને આ સદનને જણાવી શકે છે કે સરકાર આ મામલે ભારતીય હાઇકમિશનને પ્રશ્નો કરવા બોલાવશે અથવા આ મામલે પોતાના સમકક્ષ સામે આ મુદ્દો ઉઠાવશે?”

લેબર પાર્ટીના ભારતીય મૂળના સાંસદ તનમનજીત સિંહ ઢેસીએ પણ આ મુદ્દે બ્રિટિશ સરકારને સવાલ પૂછ્યો હતો.

તેમણે કહ્યું, “બ્રિટનમાં આપણે પ્રેસની સ્વતંત્રતાને લઈને ઘણો ગર્વ અનુભવીએ છીએ, આપણે બી.બી.સી. અને અન્ય સન્માનિત મીડિયા સમૂહો તરફથી બ્રિટિશ સરકાર, તેમના વડા પ્રધાન અને વિપક્ષી દળોની જવાબદારી સુનિશ્ચિત કરવાથી ટેવાયેલા છે.”

“આ કારણે આપણામાંથી ઘણાં લોકો ચિંતિત હતા કારણ કે ભારત એક એવો દેશ છે જેની સાથે આપણે લોકતાંત્રિક અને પ્રેસ સ્વતંત્રતાનાં મૂલ્યો વહેંચીએ છીએ અને ત્યાંની સરકારે વડા પ્રધાનનાં પગલાંની ટીકા કરનારી ડૉક્યુમેન્ટરી રિલીઝ થયા બાદ બી.બી.સી.ની ઓફિસો પર દરોડા પાડવાનો નિર્ણય લીધો. એવામાં મંત્રીએ પોતાના સમકક્ષ સાથે શું વાત થઈ એ જણાવવું જોઈએ. જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે પત્રકાર કોઈ પણ ભય વગર કે કોઈને પણ ફાયદો પહોંચાડ્યા વગર પોતાનું કામ કરી શકે.”

ડૉક્યુમૅન્ટરી

બી.બી.સી.એ તાજેતરમાં જ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર એક ડૉક્યુમૅન્ટરી પ્રસારિત કરી હતી. જેનાં કેટલાંક સપ્તાહો બાદ દિલ્હી અને મુંબઈસ્થિત કાર્યાલયોની તપાસ કરાઈ. જો કે, આ ડૉક્યુમૅન્ટરી ભારતમાં પ્રસારિત કરવા માટે નહોતી.

આ ડૉક્યુમૅન્ટરી ગુજરાતનાં રમખાણો પર હતી. એ વખતે ભારતના વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા.

આ ડૉક્યુમૅન્ટરીમાં કેટલા ય લોકોએ ગુજરાતનાં રમખાણો દરમિયાન નરેન્દ્ર મોદીની ભૂમિકા પર પ્રશ્નો કર્યા હતા.

કેન્દ્ર સરકારે ડૉક્યુમૅન્ટરીને પ્રૉપેગૅન્ડા અને કૉલોનિયલ માનસિકતા ઉપરાંત ભારતવિરોધી ગણાવતાં ભારતમાં એના ઑનલાઇન શૅરિંગને બ્લૉક કરવાનો પ્રયાસ કર્યો હતો.

બી.બી.સી.એ કહ્યું હતું કે ભારત સરકારને આ ડૉક્યુમૅન્ટરી પર પોતાનો પક્ષ રાખવાની તક અપાઈ હતી. જો કે, સરકાર તરફથી કોઈ જવાબ નહોતો મળ્યો.

બી.બી.સી.નું કહેવું છે કે “આ ડૉક્યુમૅન્ટરી પર સંપૂર્ણ ગંભીરતા સાથે રિસર્સ કરવામાં આવ્યું, કેટલા ય અવાજો અને સાક્ષીઓને સામેલ કરવામાં આવ્યા અને વિશેષજ્ઞોનો મત લેવાયો તથા અમે ભા.જ.પ.ના લોકો સહિત કેટલા ય પ્રકારના વિચારોને પણ સામેલ કર્યા.”

દિલ્હીમાં પોલીસે આ ડૉક્યુમૅન્ટરીને જોવા માટે એકઠા થયેલા કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી.

જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય સહિત દેશની કેટલીય યુનિવર્સિટીઓમાં આ ડૉક્યુમૅન્ટરીને પ્રદર્શિત કરવામાં આવી હતી.

જો કે, કેટલીય જગ્યાએ પોલીસ અને વિશ્વવિદ્યાલયના તંત્રે એને રોકવાના પ્રયાસો કર્યા હતા.

સૌજન્ય : નોર્થ અમેરિકામાં વસતા વિચારશીલ અને કર્મશીલ માનવીઓનું પાક્ષિક “માનવ”; 01 માર્ચ 2023; પૃ. 12-15

Loading

સત્યો માંહેથી પ્રભુ ! પરમ અસત્યે તું લઈ જા!

રાજ ગોસ્વામી|Opinion - Opinion|14 March 2023

રાજ ગોસ્વામી

ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચન્દ્રચૂડે ભારતની એક ગંભીર વર્તમાન બીમારી તરફ ધ્યાન દોર્યું છે. આમ તો આપણને સૌને એ ખબર છે કે કારણ કે આપણે જ તેના સક્રીય હિસ્સેદાર છીએ, પરંતુ દેશની તંદુરસ્તીની ચિંતા કરવાનું અને તેના ઈલાજ અંગે વિચારવાનું જેમની ફરજમાં આવે છે તેવા દેશનાં બંધારણીય-બિનબંધારણીય ટોચનાં તંત્રોમાંથી એક ન્યાયતંત્રના વડા જ્યારે તેની નોંધ લે, ત્યારે એટલું તો સ્પષ્ટ છે કે તે દેશ માટે તે કેટલું અહિતકારી હશે કે તેમણે ખોંખારીને બોલવું પડ્યું.

જસ્ટિસ ચન્દ્રચૂડે, 3જી માર્ચે, દિલ્હીમાં અમેરિકન બાર એસોસિયેશનની ઇન્ડિયા કોન્ફરન્સ-2023ને સંબોધતાં કહ્યું હતું કે, “ભારતના લોકોમાં ધૈર્ય અને સહનશીલતા ઓછી થઇ ગઈ છે. આપણાથી ભિન્ન હોય તેવા દૃષ્ટિકોણને સ્વીકરવા આપણે તૈયાર નથી. સોશિયલ મીડિયાના જમાનામાં લોકોને તમારી વાત પસંદ ન આવે તો તેઓ તમને ટ્રોલ કરવાનું શરૂ કરી દે છે. અમે કશું પણ કરીએ – અને મારો વિશ્વાસ કરજો, જજ તરીકે અમે પણ એમાં બાકાત નથી – તમે કશું પણ કરો, તમારી સાથે સહમત ન હોય તેવા લોકો તમને ટ્રોલ કરે તેનું જોખમ હોય છે.”

તેમણે ટેકનોલોજીની નકારાત્મકતાને ઉજાગર કરતાં કહ્યું હતું કે ફેક ન્યૂઝના યુગમાં સત્ય શિકાર થઇ ગયું છે અને આપણી અંદર ઈન્સાનિયત પણ પાછળ રહી ગઈ છે. જ્યારે ભારતનું બંધારણ તૈયાર થતું હતું, ત્યારે કોઈને ખબર નહોતી કે માનવ સમાજ કેવી રીતે વિકસિત થશે. એક જૂઠી વાતને બીજના રૂપમાં જમીનમાં વાવવામાં આવે છે અને પછી તે એક એવી મોટી થિયરીમાં બદલાઈ જાય છે, જેને તર્કના આધારે તોળી ન શકાય. એટલા માટે કાનૂનને વિશ્વાસની ગ્લોબલ કરન્સી કહે છે.

ડી.વાય. ચન્દ્રચૂડ

લોકોમાં સહનશીલતાની કમી અને ફેક ન્યૂઝનું પ્રચલન એક જ સિક્કાની બે બાજુ છે. લોકો બીજાના દૃષ્ટિકોણ અથવા વાતને સમજવાને બદલે અસહમત થવા માટે વધુ આકરા એટલા માટે થાય છે કારણ તેમની પાસે ‘વૈકલ્પિક સત્ય’ મોજુદ છે. ટેકનોલોજીના કારણે આજે જેટલી તેજ ગતિએ સમાચારો દરેકના મોબાઈલ ફોનમાં પહોંચી જાય છે એટલી ઝડપથી આજે લોકોના મોબાઈલમાં ફેક ન્યૂઝ પણ આવી જાય છે. પરિણામે, આપણા સાર્વજનિક સંવાદમાં બે નેરેટિવ્સ ઊભાં થાય છે; એક જે અસલી ન્યૂઝ છે તે અને બીજું, જે અસલી ન્યૂઝને ફેક સાબિત કરવાનું કાઉન્ટર-નેરેટિવ છે તે. સત્યને આજે ખુદને સાબિત કરવા માટે મહેનત કરવી પડે છે કારણ કે ‘અસત્ય’ સત્યને ફેક સાબિત કરવા મથામણ કરી રહ્યું છે.

મજાની (?) વાત એ છે કે સાહેબ જ્યારે આ ભાષણ આપતા હતા ત્યારે જ બિહારના કામદારોને તમિલનાડુમાં હુમલા થઇ રહ્યા હોવાના ‘સમાચાર’ સોશિયલ મીડિયા પર (અને પછી મુખ્યધારાના અમુક મીડિયામાં) એટલા વાઈરલ થયા કે તમિલનાડુ પોલીસે વીડિયો જારી કરીને અપીલ કરવી પડી કે આ ફેક ન્યૂઝ છે અને જાણી જોઇને તેને ફેલાવામાં આવી રહ્યા છે. પોલીસે ફેક ન્યૂઝ ફેલાવનારાઓ સામે ફરિયાદ પણ દાખલ કરી છે. બીજી બાજુ, બિહાર સરકાર પણ સચ્ચાઈ જાણવા મથી રહી હતી. 

1932માં કાલજયી નવલકથા ‘બ્રેવ ન્યુ વર્લ્ડ’ના પ્રકાશનના 26 વર્ષ પછી, આલ્ડસ હક્સલેએ ‘બ્રેવ ન્યુ વર્લ્ડ રીવિઝિટેડ’ નામની નોન-ફિક્શન નવલકથા લખી હતી. તેની પ્રસ્તાવનામાં તેમણે એક સરાસરી પણ ગહન નિરીક્ષણ કર્યું હતું, “જીવન મર્યાદિત છે અને માહિતીઓ અપરંપાર છે. કોઈની પાસે એટલો બધો સમય નથી.” આજે આપણે હક્સલેએ કલ્પેલા ઇન્ફોર્મેશન ઓવરલોડમાં જીવીએ છીએ. આજે, સરેરાશ વ્યક્તિ રોજ તેના ફોનને અંદાજે 2,600 વખત ચેક કરે છે, 20 ટેક્સ્ટ મેસેસિઝ મેળવે છે અને 183 મિનિટ ટી.વી. જુએ છે. દર મિનિટે 45,500 ટ્વિટસ થાય છે, 36,07,080 વખત ગૂગલ સર્ચ થાય છે, 46,740 ઇન્સ્ટગ્રામ પોસ્ટ થાય છે, રોજ 150 કરોડથી વધુ લોકો ફેસબુક પર કશુકને કશુક લખતા રહે છે. 

પરિણામ? આપણું અજ્ઞાન વધ્યું છે. જેટલો વધુ ડેટા આપણે ‘આરોગીએ’ છીએ, આપણા મગજ માટે તેને પ્રોસેસ કરવાનું એટલું જટિલ થતું જાય છે. જેટલી માહિતી વધે છે, તેમાંથી સાચી માહિતી છૂટી પાડવાનું અઘરું થતું જાય છે. આપણે જેટલું સાધારણત: દરેક બાબતો વિશે જાણીએ છીએ, વિશેષત: એ બાબતો વિશે કશું પણ સમજવાની બેન્ડવિથ મગજમાં ઓછી થતી જાય છે. 

વધુ પડતી માહિતી જોખમી છે, કારણ કે તે અંતત: વ્યર્થ સાબિત થાય છે. આપણી પાસે એ ક્ષમતા નથી કે ઉચિત અને અનુચિત, ઉપયોગી અને બિનઉપયોગી, સાચી અને ખોટી માહિતીને પારખી શકીએ. ફેક ન્યુઝ અને પૂર્વગ્રહિત વ્યૂઝનો ખડકલો થઈ રહ્યો છે, તેનું મૂળ કારણ ઈન્ફોર્મેશન ઓવરલોડ છે. તેની અસર આપણી માનસિક તંદુરસ્તી પર પડી રહી છે.

જૂઠને સત્યથી છૂટું નહીં પાડી શકવાની આ મજબૂરીના કારણે જ લોકો તેમની ખોટી અથવા મર્યાદિત સમજણને અંતિમ સત્ય માનીને તેનો પ્રચાર કરે છે. જૂઠ અને પરિચિતતા વચ્ચે ઘનિષ્ઠ સંબંધ છે. જે પરિચિત હોય તે સત્ય બની જાય છે, અને જે અજાણ્યું છે તે જૂઠ નજર આવે છે. જોસેફ ગોબ્બેલ્સ ભલે એવું કહેવા માટે બદનામ હોય કે, “જૂઠને વારંવાર દોહરાવો તો તે સત્ય બની જાય છે,” પણ આપણે સૌ આ જ માનસિકતાના શિકાર છીએ. એક જૂઠને વારંવાર રિપીટ કરવામાં આવે, તો લોકોને તે પરિચિત થઈ જાય છે અને એટલે તેને સત્ય માની લેવાની સંભાવના વધી જાય છે. આપણું મગજ વારંવાર એકની એક વાત સાંભળે, તો તેને હકીકત તરીકે સ્વીકારતું થઈ જાય છે. આને આભાસી સત્ય કહે છે. 

પરિચિતતા આપણી વિચારપ્રક્રિયાને દૂષિત કરે છે. આપણું મગજ અપરિચિત ચીજથી દૂર ભાગે છે, કારણ કે તે જોખમી લાગે છે, અને પરિચિત ચીજ સાથે ઘરોબો કેળવી લે છે, કારણ કે તે સલામત લાગે છે. કોઈ પણ ચીજને પસંદ કરવાની પહેલી શરત તેની પરિચિતતા છે. એટલા માટે લોકોને જૂઠ પણ પસંદ પડે છે, કારણ કે તે પરિચિત છે. રાજકારણીઓ એટલે સફળ થાય છે. આધુનિક એડવર્ટાઈઝમેન્ટ અને માર્કેટિંગ આ માનસિકતા પર જ સફળ રહે છે. ફેક ન્યૂઝ અને પ્રોપેગેંડા એટલે જ તાકાતવર હોય છે.

જે દેશમાં સ્યૂડો-સાયન્સ, ફેક ન્યૂઝ અને અંદરોઅંદરની નફરત રાષ્ટ્રીય નીતિ બની રહી હોય, તે દેશમાં ગમે તેટલું અને ગમે તેવું શિક્ષણ લઈને ઉછેરલી વ્યક્તિ સમાજને બહેતર બનાવવામાં શું યોગદાન આપવાની હતી! જીવનની વ્યવહારિકતાથી વધીને શિક્ષણની ઉપયોગિતા શું હોય! તમે ગણિત, મિકેનિક્સ કે મેડિકલની ટેકનિક ભણાવી શકો, પણ પ્રમાણિકતા કેવી રીતે ભણાવી શકો? તમે લોકોને ક્લાસરૂમમાં નૈતિકતા કેવી રીતે શીખવાડી શકો? લોભી, સ્વાર્થી અને મહત્ત્વાકાંક્ષી સમાજમાં તમે એક વિધાર્થીને ઉદારતા, નિઃસ્વાર્થ અને સંતોષના ગુણ કેવી રીતે ભણાવી શકો? આ બધું તો સમાજના ક્લાસરૂમમાં શીખવા મળે છે. એટલા માટે થિયરીઓ ભણીને બહાર પડેલા લોકો સમાજના પ્રેક્ટિકલ પાઠ ભણીને ન્યુરોટિક બની જાય છે.

આ જ મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચન્દ્રચૂડે ગયા વર્ષે પણ આ જ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જસ્ટિસ એમ.સી. ચાગલા સ્મૃતિ વ્યાખ્યાનમાળામાં કહ્યું હતું કે, “આપણે પોસ્ટ-ટ્રુથની દુનિયામાં જીવીએ છીએ. ફેક ન્યૂઝ વધી રહ્યા છે. રાજકીય કે આર્થિક પ્રભાવોથી મુક્ત પ્રેસની જરૂર છે, જે આપણને તટસ્થ માહિતી આપે. સચ્ચાઈ માટે આપણે સ્ટેટ પર નિર્ભર રહેવું ન જોઈએ. આપણે એવી દુનિયામાં જીવીએ છીએ જે ઉત્તરોત્તર સામાજિક, આર્થિક અને ધાર્મિક સીમાઓમાં વિભાજીત થઈ રહી છે. સત્યનું ધ્રુવીકરણ ‘તમારા સત્ય વિરુદ્ધ મારું સત્ય’ તરફ લઇ જઈ રહ્યું છે. આપણે એ જ અખબારો વાંચીએ છીએ જે આપણી માન્યતાઓને મળતાં આવતાં હોય. આપણાથી જુદો અભિપ્રાય સાંભળીને આપણે ટી.વી.ને મ્યૂટ કરી દઈએ છીએ. આપણે સાચા હોવા પર જેટલો ભાર મૂકીએ છીએ તેટલો ભાર સત્ય જાણવા પર નથી મુકતા.”

અગાઉ ગૂગલમાં કામ કરી ચુકેલા અને સિલિકોન વેલીનો ડાહ્યો અવાજ કહેવાતા ટ્રીસ્ટાન હેરીસ કહે છે, “ટેકનોલોજીએ આપણા પર મૂઠ મારી છે. સોશ્યલ મીડિયા એપ્સ લોકોની અંદરનું સારાપણું અને વિકૃતિ બંને બહાર લાવે છે. એપ્સ ફ્રી પ્રોડક્ટ છે તેનો અર્થ એ થયો કે તમે જ પ્રોડક્ટ બની ગયા છો અને અલગોરિધમ તમને વાપરી રહ્યું છે. આપણું એટેન્શન એક પ્રોડક્ટ છે અને વિજ્ઞાપનદાતાઓને તે વેચવામાં આવી રહ્યું છે. આપણે કોણ છીએ, શું કરીએ છીએ અને શું વિચારીએ છીએ તેને ટેકનોલોજી સતત નિયંત્રિત કરી રહી છે.”

(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર”, 12 માર્ચ 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,1671,1681,1691,170...1,1801,1901,200...

Search by

Opinion

  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – 10 (દેરિદાનું ભાવજગત) 
  • સરકારનો અંધશ્રદ્ધા વિરોધી કાયદો ક્યારે જાગશે?
  • માનવ-હાથી સંઘર્ષની સમસ્યા કેમ આટલી વિકરાળ બની છે?
  • નામ બદલને સે ક્યા હોગા જબ તક નિયત નહિ બદલતી! 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved