રમઝાન ઈદ જોડાજોડ આજે અખાત્રીજ. તમને, દરેકને ખુશાલીભરી મુબારકબાદી.
આપણા આજના અતિથિ વિશેષ અભિમન્યુ આચાર્ય, અંગત જીવનના એક અદકેરા મિત્ર પ્રકાશ શાહ, ઉપરાંત જે ત્રિપુટીને કારણે હું ગદ્દગદ્દ છું એ અશોક કરણિયા, નીરજ શાહ તેમ જ પંચમ શુક્લ. આજને અવસરે “ઓપિનિયન”ને આંગણે પધારેલાં તમે સૌ આપ્તજનો. તમારું દરેકનું ઉષ્માપૂર્વક સ્વાગત હો.
22 ઍપ્રિલ 2023 એટલે ‘ભૂમિ દિન” – Earth Day. સોટકે, મિત્ર જયન્ત મ. પંડ્યાના સૂચને “ઓપિનિયન” સામયિકે यो वै भूमा तत् सुखम्। સૂત્રને પોતાના ‘ડોલકાઠી’ [mast] તરીકે થાપવાનું જોયું. ગુજરાતી સાહિત્ય પરિષદના મુખપત્ર “પરબ”ના માર્ચ 1989ના અંકમાં જે લખાણ જયન્તભાઈએ કરેલું તેને “ઓપિનિયન”ના મે 1995ના અંકમાં પ્રગટ કરાયું છે.
જયન્તભાઈ લખતા હતા, ‘જે ભૂમા છે તે જ સુખ છે’ – આ વિધાન છાંદોગ્ય-ઉપનિષદનું છે. ભૂમાનું સામા છેડાનું પદ છે અલ્પતા. સુખ અલ્પતામાં નથી, પણ ભૂમામાં છે, એમ ઉપનિષદમાં આ ઉદ્દગાતા કહે છે. આ ‘ભૂમા’ એ બહુ પરિમાણનો શબ્દ છે. ઊભા પરિમાણમાં એનો અર્થ થાય છે − સર્વોચ્ચતા.
વારુ, આની જ પછીતે જાણે કે “ઓપિનિયન” વેબસાઇટ પર સર્વસમાવેશી ભૂમાનો કેડો અપનાવાયો છે. “ઓપિનિયન”, “નિરીક્ષક”, “મિલાપ”, “વિશ્વમાનવ” સરીખાં સરીખાં સમસામયિકોની સમૂળી સામગ્રીને વેબસાઇટમાં ‘સાંકળિયું’ નામક કોઠારે બીરાજમાન કરાઈ છે.
આજને દહાડે, આપણા જાણીતા નવોદિત લેખક અભિમન્યુ આચાર્ય આ ઘટનાનું લોકાર્પણ કરશે. કેનેડામાં એમનો વસવાટ હોવા છતાં, એમનું જે લખાણ જોવાવાંચવા મળ્યું છે તેથી તો પોરસ ચડ્યા કરે છે; અને થાય છે કે કાશ ! એવી ક્ષમતા હું જો કેળવી શકું તો … ! … ખેર ! આપણા વરિષ્ઠ આગેવાન, સાહિત્યકાર, પત્રકાર પ્રકાશ ન. શાહ પ્રસંગોચિત આશીર્વચન આપશે. સાંપ્રત ગુજરાતમાં પ્રકાશભાઈ સરીખા આગેવાન મશાલચી આપણી વચ્ચે હોવાને કારણે ખૂબ ટાઢક વળે છે. એ જાહેર જીવન ક્ષેત્રે તો ઘણું બધું છે. પરંતુ અંગત જીવનમાં એક ઉત્તમ હૂંફાળા ભેરુ ય છે. એ દોસ્તનું અહીં હોવું એ મારે મન ખુદ અવસર છે.
આવો, આપણે સઉ આ મહેમાનોને વધાવીએ. સઉ સુહૃદોનું સ્વાગત હો !
18 ઍપ્રિલના દિવસે મારાં બા હયાત હોત તો 98 વર્ષના થયાં હોત. પરંતુ કુદરતનો ખેલ ક્યારેક ન સમજાય તેવો જ છે ને. મારા નાનેરા ભાઈ વસંતે તે જ દિવસે, પાંચ દહાડા પહેલાં, અમને હાથતાળી દઈને મોટે ગામતરે જવાનું નક્કી કર્યું હશે. ધીરેન અવાશિયા લખતા હતા તેમ, જાણે કે, આ ઘટના ચૈતર વૈશાખી વાયરામાં. … ‘વસંત’ની વિદાય શી બની રહી !
આ બે આપ્તજનો ઉપરાંત, મારા બાપુજી, તેમ જ કપૂરચંદ ચંદેરિયા, ગોવિંદભાઈ જે. પટેલ, ઘનશ્યામભાઈ ન. પટેલ, ચંદુભાઈ મટ્ટાણી, જયન્તભાઈ મ. પંડ્યા, જ્યુથિકા ગોરે, ડાહ્યાભાઈ નાનુભાઈ મિસ્ત્રી, દીપક બારડોલીકર, નટુભાઈ સી. પટેલ, પ્રભુદાસ માણેક, પોપટલાલ જરીવાળા, બળવંત નાયક, મનસુખભાઈ ભ. શાહ, રતિલાલ ચંદેરિયા, રમણભાઈ ડી. પટેલ, હસમુખભાઈ શાહ, હીરજી ધરમશી શાહ સરીખાં સરીખાંના વિશાળકાય ખભ્ભા પરે સ્થાનસ્થ રહી, “ઓપિનિયન” માટે ખેડાણ થયું છે, તેથીસ્તો, આટઆટલું ઉત્પન્ન થઈ શક્યું છે.
વળી, કુંજ, દીકરી કુન્તલ, ભરત અને ભારતી પારેખ, પ્રશાન્ત ગોરે, ઉપરાંત અશોક કરણિયા, નયના શાહ તથા પ્રકાશ ન. શાહ, નીરજ શાહ, પંચમ શુક્લ તેમ જ વિલાયતસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ શાં સાથીસહોદરોની સતત હૂંફને કારણે આ ગોવર્ધનને આજે ય ડાંગને ટેકે ઊંચકવો સહેલો રહ્યો છે. એ દરેકની અદૃષ્ટ ડાંગના ટેકાને કારણે ફૂલ સરીખી હળવાશ સતત અનુભવ્યા જ કરીએ છીએ.
વારુ, 23 ઍપ્રિલ 1995નો એ દિવસ. હવે તેને ય અઠ્ઠાવીસ વરસનાં વહાણાં વાયાં છે. આરંભના પંદર વરસ મુદ્રિત અવસ્થામાં પ્રગટ થતું રહ્યું. પછીનાં ત્રણ વરસ ડિજિટલ અવતાર સ્વરૂપમાં રહ્યાં. એક પ્રકારે પ્રૌઢતા જામીને રહી. અને પછી આજ લગીનું આ વેબસાઇટી જીવન.
આજ સવાર લગી, વેબસાઇટની આશરે 85,99,718 પ્રવેશ-મુલકાતો નોંધાઈ છે. ફેઇસબૂકની દીવાલે, આજકાલ, આવતાંજતાં 3,369 જણ દાયરામાં હોય તેમ દેખાય છે. જ્યારે વેબસાઇટમાં અબ ઘડી લગી 9,321 લેખસામગ્રી મુકવામાં આવી છે.
આ સમળૂગા પ્રકલ્પમાં મારે મન બે સાથી મિત્રોના અનેકાનેક હૂંફટેકા અને કુશળતાને કારણે આજ લગી નભી જવાયું છે તેની નત મસ્તક નોંધ લઉં છું. એક છે, અશોકભાઈ કરણિયા; અને બીજા છે, નીરજભાઈ શાહ. અશોકભાઈનું માર્ગદર્શન, એમની હૂંફને લીધે આદરનાં વરસોમાં નક્કર મજબૂતાઈ આવી. એમના વિના, “ઓપિનિયન”ને ઊંબરે આજે ય ઢીલાઈ જ અનુભવાતી હોત !
અન્યત્ર કહ્યું છે તેમ, પરિસ્થિતિવસાત, ‘ગુજરાતી લેક્સિકૉન’ની સ્વાયત્તતા તેમ જ સ્વતંત્રતા વીંટીસાટીને ‘ગુજરાતી વિશ્વકોશ’માં સામેલ થઈ જવાનું થયું, તેને કારણે, “ઓપિનિયન”નું પાયાગત ઘર બદલવાનું થયું ત્યારે નીરજભાઈ શાહે જ જાતમહેનતે ગોઠવણ કરીને, ઘડીના છઠ્ઠા ભાગમાં, આ કમઠાણની ફેરબદલ સફળતાપૂર્વક કરી આપી. આટલું ઓછું હોય તેમ, “ઓપિનિયન”ના આરંભનાં મુદ્રિત વર્ષોના તેમ જ ડિજિટલ ગાળાનાં ત્રણ વર્ષ થઇને તમામે તમાત 18 વર્ષોની ફાઈલને પણ નવેસરથી કંડારીને હાથવગી કરી લીધી.
“ઓપિનિયન”ની ડી.વી.ડી. માંહેના તમામ અંકોને આમ, “ઓપિનિયન”ની વેબસાઇટના માધ્યમે સુલભ કરી આપવાનું મહાભારત કામ પણ એમણે સુપેરે પાર પાડ્યું છે.
આ ટાંકણે ગુજરાતના જ નહીં, બલકે ભારતના અંગ્રેજી પત્રકારત્વ જગતના બે મુઠ્ઠી ઊંચેરા પત્રકાર દોસ્તો સાંભરે છે. એક છે, દિવંગત તુષાર ભટ્ટ અને બીજા છે આજે ય આપણી વચ્ચે કડેધડે છે તે એલ.કે. શર્મા. આ વેબસાઇટનો આરંભ થયો ત્યારે એમનું જે લખાણ અમને મોકલાયું હતું, તેનું વાંચન અહીં કરવાનો લોભ જતો કરી શકતો નથી. આથી, મને સહી લેજો.
તુષારભાઈ લખતા હતા :
I may be obsolete but I do not find any mention in newspapers of the prospective launch. To my mind, it is an important milestone because it serves several purposes together. It is an effort to globalise Gujarati letters ages after the Gujarati himself got globalised. It will be a sentinel at the gate of the cyber world, reminding people that Gujarati as a language will survive not only in stock markets and annual accounts books, but also in real books, literature, arts, music, way of life and values too. It is not merely this or that man’s Gujarat; it is our Gujarat. It may serve as a plain glass window that shows things outside in their real colours, and not just through tainted glasses of ideological stances, barren intellectual discourses and endless chattering on what should be done. You and your colleagues have gone beyond this, right into the action. Narmad would have perhaps hailed you all with these words “Yahom kari ne pado. Fateh chhe aage.” ( Some mischief mongers may distort this thus “Yahom kari ne pado. Bhale tantiya bhange.” Respond to them with a simple,”Bhale, Aapne joishun samay shun khel pade chhe.)
With all the best wishes.
બીજી પાસ, શર્માજીનું લખાણ આમ બોલે છે :
Congratulations !
I have just glanced through the journal and I would like to express my gratitude as a concerned citizen of India. Thank God, there are still some who are swimming against the current with a vision of a knowledge society.
Wish the Online edition a wide circulation and brilliant success.
સોટકે, ‘સાદી વાત, સાદો ભાવ અને રોજ બ રોજની તળપદી લાગણીઓને આછા ચમત્કાર સાથે વાચા આપનાર’ આપણા એક સોજ્જા કવિ દેવજી રામજી મોઢાની ‘મન’ નામે એક કવિતા સાંભરે છે.
મનની મોટી વાત રે ભાઈ, મનની મોટી વાત !
જગ કેરી સૌ જમાતમાં એની છેક અનોખી ભાત રે,
ભાઈ, મનની મોટી વાત !
અહીં જ વિરમું; અને અશોકભાઈને ભૂમિકા રજૂ કરવા અરજ કરું.
શબ્દો : 1,068
હેરૉ, 19-22 ઍપ્રિલ 2023