Opinion Magazine
Number of visits: 9458180
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બે કટ્ટર દુ:શ્મન, ઈરાન અને સાઉદી, દોસ્ત બન્યાં : ચીનની કામિયાબ કૂટનીતિ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|20 March 2023

રાજ ગોસ્વામી

9મી માર્ચે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ મેચના પહેલા દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન એન્થની અલ્બાનેસ ગોલ્ફ કાર્ટમાંથી બનાવેલા રથમાં બેસીને બંને દેશોના ‘યે દોસ્તી હમ નહીં છોડેંગે’ના ભાવની સાબિતી આપતા હતા, ત્યારે, ત્રણ હજાર કિલોમીટર દૂર, બેજિંગમાં સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચે એક એવી દોસ્તીની ઘોષણા થઇ હતી, જેણે પશ્ચિમ અને પૂર્વનાં ડિપ્લોમેટિક મિશન્સને, ઊંઘતાં ઝડપ્યાં એમ તો ન કહેવાય, પણ તેમની ઊંઘ જરૂર હરામ કરી દીધી હતી.

ઊંઘ હરામ થવી પણ જોઈએ કારણ કે આ દોસ્તી કરાવવામાં ચીનની ભૂમિકા હતી. સામાન્ય રીતે, વિશ્વમાં ઝઘડતાં રાષ્ટ્રો વચ્ચે સુલેહ-શાંતિ કરવાનું કામ અમેરિકા કરતું આવ્યું છે અને સાઉદી-ઈરાન વચ્ચે તે પાછલી અડધી સદીથી મધ્યસ્થી (મધ્યસ્થી બનવામાં ઘણા લાડવા હોય) હતું, પણ આ વખતે ચીન એમાં બાજી મારી ગયું છે મધ્યપૂર્વની ભાવિ જીઓ-પોલિટીકલ રાજનીતિમાં હવે તેની ભૂમિકા અહમ બની ગઈ છે.

સાઉદી-ઈરાનની મગજમારીને પૂર્વનું શીત યુદ્ધ કહે છે. તેમાં પરંપરાગત યુદ્ધ થઇ જવાના અનેક અવસરો આવ્યા હતા. 1979માં, અમેરિકાના સહારે ઈરાનમાં ઇસ્લામિક ક્રાંતિ આવી ત્યારથી સાઉદી અરેબિયા સાથે તેના સંબંધો તંગ થયા હતા. ખાસ કરીને ઈરાની ક્રાંતિકારીઓએ મધ્ય પૂર્વમાં રાજાશાહીઓ અને લોકશાહીઓને ગબડાવીને ઇસ્લામિક ગણતંત્રો સ્થપાવાની હાકલ કરી હતી એટલે રાજાશાહીવાળા અરેબિયા, ઈરાક, કુવેત અને અન્ય પર્શિયન ખાડી દેશોમાં ખતરાની ઘંટી વાગી હતી.

સાઉદીની મુસીબત એ હતી કે શિયા બહુમતીવાળા ઈરાનમાં ધાર્મિક શાસન આવ્યું તે પહેલાં તે મુસ્લિમ દેશોનું નેતા કહેવાતું હતું. અમેરિકાએ ઈરાનમાં મુલ્લાંઓને ઊભા કરીએ સાઉદીની મુસ્લિમ-નેતાગીરીને ખતમ કરી નાખી. સુન્ની બહુમતીવાળા સાઉદી અરેબિયાએ ત્યારથી ઈરાન સામે મોરચો માંડ્યો હતો. એમાં ઉત્તરોતર ટકરાવ વધતો ગયો હતો. બંને દેશો પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે ખાડીના દેશોના અલગ-અલગ ઝઘડાઓમાં ટાંગ અડાવતા રહ્યા હતા. જેમ કે સીરિયા અને યમનનું યુદ્ધ, બહેરીન, લેબેનોન, કતાર અને ઈરાકના વિવાદ. ત્યાં સુધી કે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, નાઈજીરિયા, ઉત્તર અને પૂર્વ આફ્રિકા, દક્ષિણ એશિયા, મધ્ય એશિયા, બાલ્કન અને કૌકાસસમાં પણ બે દેશો લાંબા થતા હતા.

આ બધામાં અમેરિકા કેન્દ્રમાં હતું. દુનિયાનો એકપણ હિસ્સો નથી જ્યાં અમેરિકા ઝઘડા કરાવતું ન હોય અને ઝઘડા શાંત પાડતું ન હોય. અમેરિકાની એ વૈશ્વિક નીતિનાં પગલે, ઈરાન અને સાઉદી વચ્ચે છેલ્લા 7 વર્ષથી ડિપ્લોમેટિક સંબંધો પણ ખતમ થઇ ગયા હતા. 9મી તારીખે, ચીનની સક્રિય ભૂમિકાના પગલે, બંને દેશોએ એકબીજાની રાજધાનીઓમાં એમ્બેસી શરૂ કરવાની જાહેરાત કરી હતી. રસપ્રદ વાત એ છે કે ઈરાન અને સાઉદીના પ્રતિનિધિઓ વચ્ચે બેજિંગમાં ચાર દિવસ સુધી અઘોષિત મંત્રણા થઇ હતી અને 9મી તારીખે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચીનના પોલિટીકલ બ્યુરોના સભ્ય વાંગ યીની હાજરીમાં બંને દેશોએ ડિપ્લોમેટિક સંબંધો પુન:સ્થાપિત કરવાની જાહેરાત કરી, ત્યારે દુનિયાને ખબર પડી કે ચીનમાં આવું કંઇક રંધાઈ રહ્યું છે.

મધ્ય પૂર્વના બે કટ્ટર દુ:શ્મનો વચ્ચે દોસ્તી થાય અને મહાસત્તા બનવાની મહત્ત્વાકાંક્ષા રાખતું ચીન એમાં મધ્યસ્થી બને એ સમાચાર સાધારણ ન કહેવાય. તેનાં અનેક વૈશ્વિક પરિણામો અને પરિમાણો છે. આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં આને માસ્ટરસ્ટ્રોક અથવા ગેઈમચેન્જર કહેવાય છે. ચીન પાછલા ઘણા સમયથી મધ્યપૂર્વનાં ઝઘડતાં રાષ્ટ્રો સાથે તેના સંબંધો સુધરવામાં સફળ રહ્યું છે અને તેમાં તેની આર્થિક તાકાત બહુ કામ આવી છે.

અરબ ન્યૂઝ નામના એક સમાચારપત્રમાં ટીપ્પણી કરવામાં આવી હતી કે આ સમાધાન માટે ઈરાન તૈયાર થયું અને કરાર પર જો કાયમ રહ્યું તો આ ઘટના શકલ બદલી નાખનારી સાબિતી થશે, તેનાથી ક્ષેત્રીય શાંતિ અને પ્રગતિની એક એવી શરૂઆત થશે, જેને પાછલાં કેટલાં ય વર્ષોમાં દેશોએ જોઈ નથી. 

ઈરાનના અગ્રણી સમાચારપત્ર તહેરાન ટાઈમ્સે કહ્યું છે કે સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચે માંડવાળી કરાવવા માટે ઈરાક અને ઓમાને પહેલ કરી હતી, પરંતુ ચીન તેની ચાલને ગુપ્ત રાખીને એમાં ઘણું આગળ નીકળી ગયું.

અમરિકા મોટાભાગે એની લશ્કરી તાકાતથી મધ્યસ્થી કરતું રહે છે પણ ચીને તેના ડિપ્લોમેટિક અને આર્થિક સંબંધો મજબૂત કરીને મધ્ય પૂર્વમાં પોતાની જગ્યા બનાવી છે. આ સમાધાનમાં એક લવાદ તરીકે ચીનનો પશ્ચિમ એશિયાની રાજનીતિમાં પગપેસારા તરીકે જોઈ શકાય છે.

ઈરાનના કુલ આંતરરાષ્ટ્રીય વેપારમાંથી 30 પ્રતિશત વેપાર એકલા ચીનમાં થાય છે. સાઉદી માટે ચીન સૌથી મોટું તેલનું બજાર છે. પશ્ચિમ એશિયામાં સ્થિરતા ચીનના હિતમાં છે. તહેરાન અને રિયાધ સાથે ખરીદદાર અને ભાગીદાર તરીકે બેજિંગના સંબંધો સરસ છે. બદલાતી જીઓ-પોલિટીકલ પરિસ્થિતિમાં સાઉદી અરેબિયા તેના પડોશમાં શાંતિ ઇચ્છતું હતું અને પરમાણું યોજનાના કારણે અમેરિકાના પ્રતિબંધો નીચે કચડાતું ઈરાન આર્થિક અવસરો શોધતું હતું. ચીને આનો ફાયદો ઉઠાવીને તેની સક્રિયતા વધારી દીધી હતી.

અમેરિકાનો ઈરાન સાથે સીધો કોઈ સંપર્ક નથી, પણ ચીન ઘણા સમયથી ઈરાનમાં પોતાની જગ્યા બનાવી રહ્યું હતું અને એટલે જ અમેરિકા જે ન કરી શક્યું તેને ચીને કરી બતાવ્યું છે. દુનિયાના દરેક વિવાદોમાં અમેરિકાની કોઈને કોઈ ભૂમિકા રહેતી હોય છે છે કારણ કે મહાસત્તા હોવાના કારણે વૈશ્વિક સુરક્ષા અને અર્થતંત્રમાં આપવા માટે તેની પાસે કશુંક હોય છે, પરંતુ આ પહેલો અવસર છે જ્યાં મધ્ય પૂર્વની બે સત્તાઓ વચ્ચે સુલેહ કરાવામાં અમેરિકાની દૂર સુધી કોઈ ભૂમિકા નથી.

આનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ચીનનું મહત્ત્વ વધશે અને એવું પણ માનવામાં આવી રહ્યું છે કે રશિયા-યુક્રેનનું સંકટ હલ કરવામાં પણ ચીન આગળ આવશે. ચીને આમ પણ યુદ્ધ બંધ કરવા માટે 12 મુદ્દાની ફોર્મુલા પેશ કરેલી જ છે.

સાઉદી અરેબિયાનું અમેરિકાથી વધુ દૂર જવું અમેરિકા માટે નુકસાનકારક છે કારણ કે આનાથી ઓપેક દેશોનું અમેરિકાથી અંતર વધશે. તેઓ રશિયા-યુક્રેન યુદ્ધમાં અમેરિકાનો સાથ આપી રહ્યા નથી. તેલની કિંમતો ઓછી કરવા માટે તેલ ઉત્પાદનમાં બદલાવ કરવાનું અમેરિકા ઘણી વખત સૂચન કરી ચૂક્યું છે પણ આ દેશો તેને ગણકારતાં નથી. એવા સંજોગોમાં મધ્ય પૂર્વમાં ચીનનો પ્રભાવ વધે તે અમેરિકા માટે મોંકાણના સમાચાર છે.

લવાદ તરીકે ચીનની આ સફળતા એવા સમયે આવી છે જ્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ત્રીજીવાર પદનો કાર્યભાળ સંભાળ્યો છે. 2012માં સત્તાની કમાન હાથમાં લેનારા જિનપિંગ કમ્યુનિસ્ટ પાર્ટીના પહેલા નેતા છે, જેમને લગાતાર ત્રીજીવાર દેશનું સંચાલન મળ્યું છે. એ પહેલાં, 2022માં તેમણે સાઉદી અરેબિયાનો પ્રવાસ કર્યો હતો. ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસ ગયા ફેબ્રુઆરીમાં ચીનની મુલાકાતે આવ્યા હતા.

જિનપિંગ તેમની આ નવી ડિપ્લોમસીને ‘ગ્લોબલ સિક્યોરિટી ઈનીશિયેટિવ’ કહે છે. એમાં પારસ્પરિક સંબંધોને લિબરલ ડેમોક્રસીના દાયરામાંથી બહાર રાખીને જોવામાં આવે છે. મતલબ કે અમેરિકા કાયમ લિબરલ ડેમોક્રસી સ્થાપવાના ઈરાદા સાથે સુરક્ષા અને આર્થિક વિવાદોમાં સામેલ થાય છે, જ્યારે ચીનની નીતિ પ્રમાણે જે તે રાષ્ટ્રનું શાસન ઘરમાં શું કરે છે તેનાથી દૂર રહીને માત્ર આર્થિક હિતો પર જ વાત કરવી જોઈએ. જે રાષ્ટ્રો કે શાસકો લોકતાંત્રિક મૂલ્યોમાં બહુ વિશ્વાસ રાખતા નથી તેમના માટે ચીનનો અભિગમ ભાવતું હતું ને વૈધે કહ્યા જેવો છે. વિશ્વમાં જ્યાં આપખુદશાહીનું ચલણ વધતું જાય છે અને લોકશાહીઓનું પતન થઇ રહ્યું છે ત્યારે ચીનની આ નીતિ એક ડિપ્લોમેટિક પડકાર છે જેને નજરઅંદાજ કરી શકાય તેમ નથી. અમેરિકા વર્ષોથી લોકતાંત્રિક મૂલ્યો, માનવાધિકાર અને અભિવ્યક્તિની આઝાદીનું ચેમ્પિયન રહ્યું છે. ચીન તેની સામે એક નવી અને અવળી નીતિને પ્રોત્સાહન આપી રહ્યું છે.

ભારતનો સંબંધ છે ત્યાં સુધી ઈરાન-સાઉદીની દોસ્તીથી કોઈ ફર્ક પડતો નથી કારણ તહેરાન અને રિયાધ સાથે નવી દિલ્હીના સંબંધો ઘણા સારા છે. ચિતા ખાલી ચીનના વધતા વૈશ્વિક પાવરની છે. ચીન સાથેના સીમા-વિવાદને લઈને ભારત કોઈ નક્કર પ્રગતિ કરી શક્યું નથી. બીજી તરફ ચીન ભારતની ભૂમિ પર દબાણ કરીને બેસી ગયું છે અને હટવાનું નામ લેતું નથી. એ મોરચા પર પણ ચીને પાકિસ્તાન સાથે વ્યૂહાત્મક ગોઠવણ કરી રાખી છે. ચીન એશિયામાં તેની ભાઈબંધી વધારી રહ્યું છે તે વૈશ્વિક સ્તરે અમેરિકા માટે અને સ્થાનિક સ્તરે ભારત માટે નુકશાનકારક જ છે.

લાસ્ટ લાઈન :

“મધ્ય પૂર્વમાં કાયમી શાંતિ માટે હિંમત જોઈએ, બંધૂક નહીં.”

— જોર્ડનની રાણી રાઈના

(પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 19 માર્ચ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સિનિયર્સમાં સૌથી વધારે ગરીબ કદાચ સાંસદો છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|20 March 2023

રવીન્દ્ર પારેખ

કુદરતી કે અકુદરતી રીતે કોઈક પ્રકારની અરાજકતા અત્યારે અનુભવાતી હોય એવું નથી લાગતું? એક જ દિવસમાં છત્રી, સ્વેટર ને એસી વાપરવાં પડે એવું વાતાવરણ છે. સારું છે કે કિરણ પટેલ નામના પી.એમ.ઓ.ના કહેવાતા અધિકારીએ કાશ્મીરમાં ઝેડ પ્લસ સુરક્ષા મેળવીને, સુરક્ષાકર્મીઓને, સુરક્ષા કેટલી પોકળ છે એ પોતાને જોખમે ભણાવી દીધું. કાલ ઊઠીને કોઈ કાશ્મીર સરહદે વડા પ્રધાન થઈને જઇ આવે તો આપણા સુરક્ષાકર્મીઓ તેને પણ સલામી ઠોકીને ફરજ બજાવે તો નવાઈ નહીં ! આખેઆખી સાંસદોની નકલી ટોળી સંસદ ભવનમાં દેશ ચલાવી કાઢે ને ઠરાવે કે દેશને ન્યાયતંત્રની જરૂર નથી, તો એમ થાય ને આપણા 140 કરોડ ઘેટાંઓ કુરનીશ બજાવે તો ‘આનંદ મંગલ કરું આરતી …’ ગાવાની જ બાકી રહે. આમાં અતિશયોક્તિ હશે, પણ આ ન જ થાય એવું નથી. આટલું ઓછું હોય તેમ ખાલિસ્તાનીઓએ માથું ઊંચક્યું છે. અમૃતપાલ સિંહનું સંગઠન સક્રિય થયું છે. પોલીસ પકડાપકડી કરે છે, તો ખાલિસ્તાન સમર્થકો ખુલ્લી તલવાર સાથે તેનો વિરોધ પણ કરે છે જે અનેક રીતે જોખમી ને ચિંતાજનક છે. આ જ પંજાબમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને માથે જોખમ ઊભું થયું હતું ને એમણે અડધેથી પરત થવું પડ્યું હતું એ વાતને બહુ સમય થયો નથી. ટૂંકમાં, આ લક્ષણો કહેવાતા વિકાસના છે.

જો કે, ખરો વિકાસ તો સાંસદો કરી રહ્યા છે. એ ઈચ્છે ત્યારે વિપક્ષને પણ વિશ્વાસમાં લઈને સાંસદોનાં પગાર  પેન્શન વધારી શકે છે. હવે તો કોઈ એક દિવસ માટે પણ સાંસદ થાય તો તેનું પેન્શન શરૂ થઈ જાય છે ને તે ન હોય તો તેની ફેમિલીને પણ પેન્શન મળે છે. સાંસદ થવાથી બીજું કૈં થાય કે ન થાય, પેન્શન તો પાકું થઈ જ જાય છે. તે નિવૃત્ત થાય તો ય તેને એ.સી. ટ્રેનની ફર્સ્ટ ક્લાસ સુધીની મફત સુવિધાઓ મળે છે ને બીજી તરફ આપણો સિનિયર નાગરિક ટ્રેનની 40 ટકા સુધીની રાહત મેળવતો હતો, તે, રેલવે, કોરોનામાં ગરીબ થઈ જતાં અટકી ગઈ. આપણા સિનિયર્સ ઘણી બધી રીતે અપમાનિત થવા ને દયાજનક સ્થિતિમાં રહેવા લાચાર છે. તેને ન તો ડ્રાઇવિંગ લાઇસન્સ મળે છે કે ન તો કોઈ તેનો મેડિક્લેમ ઉતારવા રાજી છે. કેટલીક બેન્કો નિવૃત્ત કર્મચારીઓનો મેડિક્લેમ ઉતારવાની યોજના ઘડે છે ને ઘાટ એવો ઘડે છે કે વર્ષોવર્ષ પ્રીમિયમ વધે ને તે એવું કે 12 મહિનાનાં પેન્શનમાંથી દોઢ મહિનાનું પેન્શન તો મેડિક્લેમ ઉતરાવવામાં જ વપરાય છે જે ક્લેઇમ ન કરનારને કદી પાછું મળતું નથી. આજે તો વૃદ્ધોને કોઈ EMI પર લોન આપવા તૈયાર નથી કે નથી તો કોઈ નોકરી આપવા ય તૈયાર. જિંદગીભર બધી જાતના ટેક્સ ભર્યા હોય, પણ રિટાયર થયા પછી, પેન્શન, પગાર હોય તેમ ઇન્કમટેક્સ અને અન્ય ટેક્સને પાત્ર ઠરે જ છે.

રાજકારણમાં એક દિવસ માટે પણ કોઈ સાંસદ થાય તો તેને પેન્શન મળે, પણ કેટલા ય સિનિયર્સ 30-35 વર્ષની સળંગ નોકરી કર્યાં પછી પણ પેન્શન વગર બીજાની દયા પર જીવવા લાચાર છે. સિનિયર્સને એક જ અધિકાર બચે છે ને તે મતાધિકાર. ન ચલાતું હોય તો પણ તે ખેંચાઈને મત આપવા દોડે છે ને એવાઓને મત આપે છે જે તેને નિવૃત્તિ પછીના કોઈ લાભ આપવા તૈયાર નથી. પેન્શનમાં પણ કેવળ અરાજકતા જ જોવા મળે છે. રાષ્ટ્રીયકૃત બેન્કનો દાખલો લઇએ તો જ્યારે પગાર માટેનું સેટલમેન્ટ કરવાનું નક્કી થયું ત્યારે જ પેન્શન અપડેશનનું પણ સમાંતરે વિચારાવું જોઈતું હતું, પણ તેવું ન થયું ને આજે એવી સ્થિતિ છે કે પટાવાળાનું પેન્શન જનરલ મેનેજર કરતાં વધારે છે. પટાવાળાને વધારે મળે તેનો વાંધો નથી, પણ મેનેજરોને ઓછું પેન્શન મળતું હોય તો એ અંગે ગંભીરતાથી વિચારાવું જોઈએ કે કેમ? રિઝર્વ બેન્કમાં આ ગરબડ થઈ ત્યારે ત્યાં પેન્શન અપડેટ થયું, પણ બીજી બેન્કો જોડેની આભડછેટ ચાલુ હોય તેમ એનો નિવેડો આવ્યો નથી, તો સીધું પૂછવાનું થાય કે રાષ્ટ્રીયકૃત બેન્કો સાથે રિઝર્વ બેન્ક કે સરકારને ના’વા નીચોવવાનો કોઈ સંબંધ છે કે કેમ? જો છે તો રિઝર્વ બેન્કનું પેન્શન અપડેટ થાય ને બીજી રાષ્ટ્રીયકૃત બેન્કોનું ન થાય એ કેવું? નાણાં મંત્રી પોતે નિવૃત્ત બેન્ક કર્મચારીઓની પેન્શન અપડેશનની માંગણી વાજબી છે એવું સ્વીકારે છે, પણ ત્રણથી વધારે વર્ષ થઈ જવા છતાં એમણે એ દિશામાં કૈં કર્યું નથી, ત્યારે આ ચાવવાના ને બતાવવાના જુદા કેમ છે તે નથી સમજાતું.

આની સામે સાંસદો, ધારાસભ્યોને પેન્શનની કેવી સગવડો છે, તે જોઈએ. મહારાષ્ટ્રના એક કાઁગ્રેસી સાંસદ સુરેશ ધનોરકરે નાણાં મંત્રી નિર્મલા સીતારામનને પત્ર લખીને પૂર્વ સાંસદોનું પેન્શન બંધ કરવાની અપીલ કરી છે. અહીં પણ પૂર્વ સાંસદોનું પેન્શન બંધ કરવાની વાત છે. હાલના સાંસદો અંગે એમાં સ્પષ્ટતા નથી. ધનોરકરનો ઝોક એવા સાંસદો તરફ વધુ છે, જે બધી રીતે સાધનસંપન્ન છે. તેમણે રાહુલ બજાજ, સંજય દાલમિયા, રેખા, ચિરંજીવી જેવાં અનેક ધનિક સાંસદોનું નામ દઈને પૂછ્યું છે કે એમને પેન્શન જરૂરી છે? લાખો જરૂરિયાતમંદોને પેન્શન મળતું ન હોય ત્યારે જેમને કોઈ રીતે પેન્શન જરૂરી નથી, એમને પેન્શનની લહાણી શું કામ? એ પણ જવા દઇએ, કોઈ પણ સાંસદ ક્યારે ય પેન્શન મેળવવા જેટલો ગરીબ હોતો જ નથી ને સાંસદ કે ધારાસભ્ય હોવું એ નોકરી નથી, તો પ્રશ્ન એ થાય કે કોઈ પણ સાંસદ કે ધારાસભ્યને પેન્શનનો લાભ શું કામ મળવો જોઈએ? ધનોરકરે પત્રમાં રોકડું કર્યું છે કે લોકસભા ને રાજ્યસભાના લગભગ 4,800 પૂર્વ સાંસદો એવા છે જેમની પાછળ દર વર્ષે 70 કરોડ ફક્ત પેન્શનનાં ચૂકવાય છે. એમાં પણ 300 એવા છે જેમનાં મૃત્યુ પછી તેમનાં કુટુંબીજનોને પેન્શન ચૂકવાય છે. અહીં સૂચવાયા તે ઉપરાંત ઘણાં સાંસદો એવા છે, જેમની આવકનો આંકડો કરોડોમાં છે. 2019ની લોકસભાની ચૂંટણી જીતનારા 539માંથી 475 સાંસદો કરોડપતિ છે, પણ કોઈ માઈનો લાલ પેન્શન જતું કરવા તૈયાર નથી. આમાં સૌથી શરમજનક તો એ છે કે લાખો સિનિયર્સને રૂપિયાનું પેન્શન નથી ને હવે તો કોઈ નોકરી પેન્શનવાળી લગભગ રહી જ નથી, ત્યાં કોર્પોરેટર, ધારાસભ્ય અને સાંસદનું પેન્શન એક જ વ્યક્તિ મેળવતી હોય એવા દાખલાઓની નવાઈ નથી. એક જ વ્યક્તિ એકથી વધુ પેન્શન મેળવતી હોય એવું રાજકારણમાં જ છે. એનાં પરથી જ આ દેશસેવકો સેવા કેટલી કરતાં હશે તે સમજી શકાય એવું છે. વારુ, આ સેવકો જ્યારે પદ પર હોય છે ત્યારે તેમને પગારની, પ્રવાસની, ભથ્થાંની અનેક સુવિધાઓ હોય જ છે ને તે પણ બધી કરમુક્ત. એ પછી પેન્શનની સુવિધા તો ખરી જ. આવી રાજવી સગવડો પછી પણ અનેક બીજી આવકો તો ખરી જ, જેનો કોઈ હિસાબ નહીં, તો ય એમ લાગે છે કે દેશમાં સૌથી વધારે ગરીબ કદાચ સાંસદો જ છે. એમણે કોઈ ટેક્સ ભરવો નથી કે એમને જ એકથી વધુ પેન્શનનો વાંધો નથી. એમને એ સવાલ નથી થતો કે સાંસદ હોવામાં કોઈ નોકરી નથી થતી, તો નોકરી પછીનું પેન્શન લેવાય કેવી રીતે? તે પણ એક જ દિવસ માટે સાંસદ થયા હોય તો પણ?

એક તરફ સાંસદો રૂપિયો છોડવા તૈયાર નથી, જ્યારે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ જેવી વિભૂતિ પણ હતી જે પોતાનો અડધો પગાર રાષ્ટ્રીય ફંડમાં જમા કરાવી દેતી હતી. એ કોઈ રીતે અમીર ન હતા, તે ત્યાં સુધી કે એમના અંતિમ દિવસોમાં માંદગીનો ખર્ચ ઉપાડવાની પણ એમની સ્થિતિ ન હતી ને એ જ સ્થિતિમાં એમણે જીવન સંકેલવું પડ્યું હતું. લાલબહાદુર શાસ્ત્રી આપણા બીજા વડા પ્રધાન હતા ને તેમની સાદગી એટલી હતી કે એમના મૃત્યુ સમયે એમને માથે દેવું હતું. ગુલઝારીલાલ નંદા પણ વડા પ્રધાન હતા. નિવૃત્તિ પછી એ સરકારી આવાસમાં ન રહ્યા ને ગુમનામીની એવી જિંદગી એમણે પસંદ કરી કે મકાનનું ભાડું ચૂકવવાની પણ એમની હાલત ન હતી ને મકાન માલિકે એ કારણે એમને અપમાનિત પણ કર્યા હતા. એ તો પછી કોઈએ સરકારનું ધ્યાન દોર્યું ને મામલો થાળે પડ્યો હતો. આવા મહાનુભાવો બીજા પણ હશે જ, પણ આવી કલ્પના આજના કોઈ કોર્પોરેટર માટે થઈ શકે એમ નથી. આજનો કોઈ સાંસદ અડધો પગાર લેવા તૈયાર છે? કોઈ સાંસદ દેવાદાર ગુજરી જાય એવી તો હવે કલ્પના પણ થઈ શકે એમ નથી. એમ કોઈ ગુજરી જાય એવું કોઈ ઇચ્છતું પણ નથી, પણ જે ગણતરી ને સ્વાર્થ આજે સપાટી પર આવ્યાં છે એણે નિસ્વાર્થ ને નિષ્ઠાને આઉટડેટેડ કરી મૂક્યાં છે ને ચિંતાજનક કૈં હોય તો તે એ –

આ બધું દેશની સૌથી વિશ્વસનીય ગણાતી સંસદમાં છે. અહીં કોઈ ધારાસભ્ય કે સાંસદ પ્રત્યે કોઈ દુર્ભાવ નથી. કોઈએ કૈં બગાડયું નથી, પણ જે દેખીતો ભેદ જણાય છે તે તરફ ધ્યાન માત્ર દોરવાનું છે. દેશનો વરિષ્ઠ નાગરિક વર્ષોની સેવા પછી નિવૃત્ત થાય ને તેને જીવવાનું અઘરું થઈ પડે, જીવવા જેટલું પેન્શન પણ ન મળે, એટલું જ નહીં, પેન્શન નાબૂદ કરવાની વાતો ચાલતી હોય, બધા જ ટેક્સ ભર્યા હોય ને અંતિમ વર્ષોમાં પણ તેનો ટેક્સમાંથી છૂટકારો ન થતો હોય ને બીજી તરફ ટેક્સનો કોઈ બોજ ઉઠાવ્યા વગર લાખોનો પગાર સાંસદો, ધારાસભ્યોને નામે ચડતો હોય, એકાદ દિવસની સેવા પછી એકથી વધુ પેન્શનનો હક મળતો હોય, તો ક્યાંક તો કશુંક ખોટું થાય છે, એવું ખરું કે કેમ?

જો કશુંક, ક્યાંક પણ ખોટું હોય તો તે દૂર થાય, તે અંગે ગંભીરતાથી વિચારાય એટલું જ અહીં સૂચવવાનું છે. અસ્તુ !

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 20 માર્ચ 2023

Loading

મનોવિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, સાહિત્યકલા

સુમન શાહ|Opinion - Literature|19 March 2023

ગણપત વણકર ને સુમન શાહ

લગભગ રોજ ગુજરાતી ઉપરાન્ત ભારતીય દલિત સાહિત્યસૃષ્ટિની વાત કરનારા ગણપત વણકર મારા મિત્ર છે. પરન્તુ તેઓ મનોચિકિત્સા શાખાના એક ઉમદા પ્રૉફેસર પણ છે. એમના પ્રેમાળ નિમન્ત્રણથી માર્ચ 17 ને શુક્રવારે પારુલ યુનિવર્સિટી, વડોદરામાં મેં આપેલા વ્યાખ્યાનનું લેખ-સ્વરૂપ રજૂ કરું છું, છોડી દીધેલા કેટલાક મુદ્દા સાથે.

આ ત્રણેય વિદ્યાજગતો છે અને મનુષ્ય વિશે છે. દરેકનાં વ્યાપ અને ઊંડાણ સાગર-સમાં છે. એકને ઍટલાન્ટિક ઓસન કહીએ, બીજાને ઇન્ડિયન ઓસન અને ત્રીજાને પૅસિફિક, તો બરાબર લાગે.

આ ત્રણેયનાં વિષયવસ્તુ -કન્ટેન્ટ- શું છે?

મનોવિજ્ઞાન મનુષ્યના મનનું વિજ્ઞાન છે. મન અથવા ચિત્ત એક સામર્થ્ય છે – ફૅકલ્ટી. એથી ચૈતસિક આવિર્ભાવો પ્રગટે છે – મૅન્ટલ ફીનોમિના. જેવા કે, સૅન્સેશન – સંવેદન, પરસૅપ્શન – ઇન્દ્રિયબોધ, વિચાર – થિન્કિન્ગ, તર્ક – રીઝનિન્ગ, સ્મૃતિ – મૅમરિ, માન્યતા, ઇચ્છા કે પ્રેરણા – મોટિવેશન. 

તત્ત્વજ્ઞાન અથવા ફિલસૂફીનું વિષયવસ્તુ, જીવ જગત અને ઈશ્વરવિષયક પ્રશ્નો છે. મનુષ્યનું અસ્તિત્વ શું છે, જ્ઞાન, જીવનમૂલ્યો, ચિત્ત, ચેતના, ભાષાઓ વગેરે શું છે, તેનો વિમર્શ-પરામર્શ. મૂળ સંજ્ઞા ગ્રીક ભાષામાં ‘ફિલોસોફિયા’ છે – ફિલો = લવ, સોફિયા = વિઝડમ. ડહાપણને માટેનો પ્રેમ તે ફિલસૂફી. 

તત્ત્વજ્ઞાનની અનેક શાખાઓ માણસને ડહાપણ લગી નથી પહૉંચાડતી, ઊલટું એમ કહે છે કે વાદે વાદે જાયતે તત્ત્વબોધ: પણ તત્ત્વને તો છેડો નથી; એેને જેટલું કાંતો એટલું કંતાતું જશે. ષડદર્શનના જૂજવા મતા છે, પણ સાંઠ પણ હોઈ શકે છે. નરસિંહે બરાબર પકડ્યું હતું – તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગે, પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર …

સાહિત્યકલાનો જીવન સમગ્ર સાથે સમ્બન્ધ છે પણ એના વિષયવસ્તુનો પહેલો સમ્બન્ધ મનુષ્યના Lebenswelt સાથે છે. એ શબ્દ જર્મન ભાષાનો છે, અંગ્રેજીમાં lifeworld કહેવાય છે, ગુજરાતીમાં હું એને ‘જીવનવિશ્વ’ કહું છું. એ ‘વિશ્વજીવન’ નથી, એટલે કે, એ વિશ્વ સમગ્રમાં જિવાયેલું જીવન નથી, મારા વડે મારા સ્થાને મારા સમયમાં જિવાયેલું અને જિવાતું મારું જીવન છે. એ નકરી વાસ્તવિકતા છે. એની સરખામણીમાં, વિશ્વ એક ધ્યર્થ છે – આઇડિયા. મારી આસપાસનાં મનુષ્યો પણ, દરેક, પોતપોતાનું જીવન જીવે છે. અમારી વચ્ચે જે સમ્બન્ધ રચાય છે તે મારા અને એમનાં જીવનવિશ્વની આપ-લેનું પરિણામ હોય છે.

સાહિત્યની પરમ્પરાગત ચર્ચામાં જગત આખાનો અનુભવ, સંસાર સમગ્રનો અનુભવ વગેરે સામાન્યથી પણ સામાન્ય સંકેતોનો આગ્રહ સેવાતો હોય છે. પણ આ ‘જીવનવિશ્વ’-ના સંકેતાર્થથી વધારે નક્કર અને વાસ્તવિક અર્થ એમાં નથી.

‘લેબેન્શ્વેલ્ત’ સંજ્ઞા હ્યુસેર્લે એમની એક હસ્તપ્રતમાં ૧૯૧૭-માં પ્રયોજેલી. હ્યુસેર્લના બે અનુયાયીઓ માર્ટિન હાઇડેગર અને આલ્ફ્રેડ શૂત્ઝનાં દર્શનોમાં આ સંજ્ઞા વિશેષ રૂપે વિકસી છે.

હાઇડેગર અનુસાર, મારા, અમારા કે આપણા વિશ્વમાં ચિન્તનાત્મક વસ્તુઓની ભરમાર નથી – ઇટ ઇઝ નૉટ પૉપ્યુલેટેડ બાય ઑબ્જેક્ટ્સ ઑફ કન્ટેમ્પ્લેશન – પણ એમાં વર્તન અને વ્યવહારથી સાંપડેલી નક્કર વસ્તુઓ હોય છે. એ વસ્તુઓની જાળ રચાઈ હોય છે, એક નૅક્સસ રચાયું હોય છે, જે જીવવા માટેનાં મારાં ઑજારો બને છે અને મને સજ્જ કરે છે. મારા જીવનવિશ્વથી મારી દુનિયા રચાય છે અને મારી એ દુનિયામાં મારું જીવનવિશ્વ સમેટાઈ જાય છે.

મનુષ્યમાત્રની જન્મથી મૃત્યુ લગીની યાત્રામાં આથી જુદું શું બને છે? સમજાય એવું છે.

કલાઓ, સાહિત્ય, વિજ્ઞાન કે તત્ત્વચિન્તનની આ જીવનવિશ્વ, મૂળભૂત ભૂમિકા છે. એની ઉપેક્ષા કરીને કે એને બાદ કરીને વિસ્તરેલાં સાહિત્ય, કલાઓ, વિજ્ઞાન કે તત્ત્વચિન્તન વ્યર્થ ઠરે છે. મારું જીવનવિશ્વ લઈને હું મારી સમીપે વસતા મનુષ્યના જીવનવિશ્વ લગી પ્હૉંચું છું ત્યારે અંગતતાથી, ભાવ-ભાવના, ઊર્મિઓ, લાગણીઓ, વિચારોથી વધારે વર્તું છું, એમાં બિનંગતતા કે વસ્તુલક્ષીતા કે તર્ક કરતાં અતર્કની બલકે તર્કહીનતાની માત્રા વિશેષ હોય છે, એમાં, બ્રહ્મ સત્ય ને જગત મિથ્યા જેવા દાર્શનિક ખયાલો પણ નથી હોતા. સીધુંસાદું જીવન હોય છે.

સાહિત્યકલાનો જીવન સમગ્ર સાથે સમ્બન્ધ છે પણ એના વિષયવસ્તુનો બીજો સમ્બન્ધ મનુષ્યના ભાવજગત સાથે છે. સાહિત્ય મુખ્યત્વે મનુષ્યના ભાવજગતની કલા છે. ભાવથી સ્ફુરેલા અને કલાની રીતે સ્ફુરેલા વિચારોના ચિન્તન કે દર્શનની સાહિત્યમાં મનાઈ નથી.

પણ હકીકત એ છે કે ભાવોની સૃષ્ટિમાં ઘમસાણ મચે ને ચિત્ત ડ્હૉળાઇ જાય. સ્ટ્રેસ, હાઇપર ટેન્શન, જેવાં અનેક દર્દ જન્મે, જેને મનોવિજ્ઞાન મનોરોગો કહે છે. બાજુની મનુષ્ય વ્યક્તિ સાથેનું વર્તન અસંતુલિત અને સંકુલ થઈ જાય છે. એમાંથી લડવાડો અને યુદ્ધો સરજાય છે. કહેવાનું તાત્પર્ય એ કે મનોવિજ્ઞાન માટેની સામગ્રીનાં મૂળ મનુષ્યનું ભાવજગત છે.

હું સાહિત્યકલાના અ બ ક ડ એવા ૪ વિશેષને ધ્યાનપાત્ર ગણું છું :

અ : મનુષ્યની ભાવસૃષ્ટિ પર સર્જકની ચેતના કામ કરીને રસસૃષ્ટિ પ્રગટાવે છે. એ એનો પહેલો વિશેષ છે.

ભરત મુનિએ “નાટ્યશાસ્ત્ર”-માં ૮ ભાવોને મુખ્ય અને સ્થાયી કહ્યા છે. ૧ : રતિ (love), ૨ : હાસ (Mirth), ૩ : ક્રોધ (Anger), ૪ : ઉત્સાહ (Courage), ૫ : ભય (Fear), ૬ : જુગુપ્સા (Aversion), ૭ : વિસ્મય (Wonder) અને ૮ : શોક (Sorrow). ૯-મો ભાવ -ઉપશમ (Calm) પણ ગણાવ્યો છે.

સર્જકચેનાના વ્યાપારને કારણે કે કવિ કર્મને કારણે દરેક ભાવમાંથી રસ પ્રગટે છે, રસ પણ એટલે ૮ ગણાવ્યા છે. ૧ : રતિ – શૃંગાર રસ (Erotic), ૨ : હાસ -હાસ્ય રસ (Comic), ૩ : ઉત્સાહ – વીર રસ (Heroic), ૪ : ક્રોધ – રૌદ્ર રસ (Furous), ૫ : ભય – ભયાનક રસ (Terrible), ૬ : શોક – કરુણ (Pathetic), ૭ : વિસ્મય – અદ્ભુત (Marvellous), ૮ : જુગુપ્સા – બીભત્સ (Odious). અને ૯ : ઉપશમ – શાન્ત રસ.

સાહિત્યકલાની ધરિત્રીના ત્રણ ઉપખણ્ડ છે : ઊર્મિકવિતા – લિરિકલ પોએટ્રી. કથાકવિતા – નૅરેટિવ પોએટ્રી. નાટ્યકવિતા – ડ્રામેટિક પોએટ્રી. એ ત્રણેયમાં, સાહિત્યકારની સર્જકતાને પ્રતાપે મનુષ્યની ભાવસૃષ્ટિનું રસસૃષ્ટિમાં રૂપાન્તર થાય છે.

બ : બીજી વિશેષતા એ છે કે સાહિત્યકલામાં, વિચારો તર્ક દલીલો દર્શન કે ચિન્તનને સીધો પ્રવેશ નથી હોતો.

આ ક્ષણે, હું કથાકવિતા અને નાટ્યકવિતાની ચર્ચા જતી કરું છું, ઊર્મિકવિતાની કરું. એમાં, સંવેદનો અને ઇન્દ્રિયબોધોની માત્રા વધારે હોય છે.

સંવેદનો : ‘તે પંખીની ઉપર પથરો ફૅંકતાં ફૅંકી દીધો.’ ‘કદી મારી પાસે વનવનતણાં હોત કુસુમો / વિખેરી તુજ માર્ગે આહ્લાદ ભરતે.’ ‘ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે.’ વગેરે.

ઇન્દ્રિયબોધો : સાહિત્યનો શબ્દ આંખ કાન નાક જિહ્વા અને સ્પર્શ એ ઇન્દ્રિયોને સંતર્પતો હોય છે : સુરેશ જોષીનું આ “અન્ધકાર” કાવ્ય જુઓ : એમાં, કામચલાઉ ધૉરણે કહું કે કાવ્યશબ્દ કયા ઇન્દ્રિયબોધને પ્રગટાવે છે :

આજે હું તારા અંધકાર સાથે બોલીશ. (જિહ્વા) / તારા હોઠની કૂણી કૂંપળ વચ્ચેનો આછો કૂણો અંધકાર. (સ્પર્શ) / તારા કેશકલાપનો કુટિલ સંદિગ્ધ અંધકાર. (આંખ) / તારા ચિબુક પરના તલમાં અંધકારનું પૂર્ણવિરામ. (સ્પર્શ) / તારી શિરાઓના અરણ્યમાં લપાયેલા અંધકારને (સ્પર્શ) / હું કામોન્મત્ત શાર્દૂલની ગર્જનાથી પડકારીશ; (કાન) / તારા હૃદયના અવાવરુ કૃપણ ઊંડાણમાં વસતા જરઠ અંધકારને (સ્પર્શ) / હું ઘુવડની આંખમાં મુક્ત કરી દઈશ; / તારી આંખમાં થીજી ગયેલા અંધકારને / હું મારા મૌનના ચકમક જોડે ઘસીને સળગાવી દઈશ; (સ્પર્શ, આંખ) / વૃક્ષ ની શાખામાં ઓતપ્રોત અંધકારનો અન્વય / તારાં ચરણોને શીખવીશ. / આજે હું અંધકાર થઈને તને ભેદીશ. (સ્પર્શ).

ક : સાહિત્યકલામાં, વિચારો તર્ક દલીલો કે દર્શન અને ચિન્તનને સીધો પ્રવેશ નથી હોતો એ ખરું પણ તત્ત્વચિન્તન માણસને જાગ્રત કરી શકે છે, માણસને ડહાપણનો માર્ગ ચીંધી શકે છે. એ ત્રીજી વિશેષતા છે.

મેં બે વર્ષ પર અમારા પીઓરીઆ શ્હૅરની ઇલિનૉય કૉમ્યુનિટી કૉલેજમાં છ વ્યાખ્યાનો આપેલાં, વિષય હતો : Suffering and Pursute of Happiness.

અસ્તિત્વવાદી તત્ત્વજ્ઞાની સાર્ત્રે કહ્યું કે ‘ઍક્ઝિસ્ટન્સ પ્રીસિડ્સ ઇસેન્સ. અસ્તિત્વ મનુષ્યના સત્ત્વને વટી જાય છે. માણસ to be-માંથી to become-ની દિશામાં વળી જાય છે ને એ જ દિશામાં મૃત્યુ પામે છે.

સાર્ત્રે સાચું કહ્યું કે અસ્તિત્વ સત્ત્વને વટી જાય છે, પણ હું તો એટલે લગી અનુભવું છું કે હું હમેશાં મારા સત્ત્વમાં પાછો ફરું છું, કેમ કે એ જ છે જે ખરેખર છે.

મારું હોવું અને સમીપે વસતા એનું હોવું અમને બન્નેને જિવાતા જીવન દરમ્યાન ઘણું શીખવે છે. અમને બન્નેને ભાન થાય છે કે એકમેકના સ્વાતન્ત્ર્યની રક્ષા ન કરી, એટલે ઘર્ષણ થયાં, પસંદગીનાં ચૂકવણાં ન કર્યાં, ઠાગાઠૈયા કર્યા, એટલે બરબાદી થઈ. મને થાય, ઈશ્વર જેવા ચિરંતન ખયાલથી કે મૃત્યુ જેવી નકરી ભવિતવ્યતાથી ડરીને ન જીવ્યો, ભૂતકાળે ઘટેલા બનાવોથી અને ભવિષ્યની ચિન્તામાં ગ્રસ્ત રહીને વર્તમાનને જ ન જીવ્યો … વગેરે.

અસ્તિત્વ દોડાવે છે, મને ખદેડે છે એવા ભાન સાથે પોતાના સત્ત્વમાં અવારનવાર પાછા ફરવું એ એક કારગત ઉપાય છે. દુ:ખનો અભાવ સુખ છે અને સુખનો અભાવ દુ:ખ છે એવા ભાન સાથે જીવવું એ પણ એટલો જ કારગત ઉપાય છે. નરસિંહે સરસ ભાળ્યું છે, ભાખ્યું છે – સુખ-દુ:ખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિ યાં … it is the human life.

પીડા જીવન છે. એ ભાવજગતની અને તેથી સાહિત્યની સામગ્રી છે. પણ સુખની શોધનો સમ્બન્ધ અધ્યાત્મ સાથે છે. હું સંસાર અસાર છે એવા ડહાપણને વશ થઈ જીવું, તો સુખ મને મળે. પણ એમ થઈ શકતું નથી. કેમ કે જીવન પોતે જ અસાર છે, અર્થહીન છે, અસંગત છે, ઍબ્સર્ડ છે.

બુદ્ધ એ જ વાત એમની રીતે કરે છે, એમણે ૪ સત્ય પર આંગળી ચીધી : ૧ : પીડા અથવા દુ:ખ છે. (દુ:ખ) : ૨ : દુ:ખનું કારણ છે. (સમુદાય) ૩ : દુ:ખનિવારણનો ઉપાય છે. (નિરોધ) : ૪ : ઉપાય માટે ૮ પથ છે.

તત્ત્વજ્ઞાનની આ વિશેષતા પણ સાહિત્યકલામાં સામગ્રી બને છે, અને ત્યારે શબ્દ અને તત્ત્વની એકરૂપતા સિદ્ધ થાય છે.

એવી એકરૂપતાનું ડાયડેક્ટિક પોએટ્રીમાં હોય છે – ઉપદેશપ્રધાન કવિતામાં. મિલ્ટનકૃત “પૅરેડાઈઝ લૉસ્ટ”, વિલિયમ બ્લૅકકૃત “ડિવાઇન ઇમેજ” કે આલ્ફ્રેડ લૉર્ડ ટેનિસનકૃત “ઇન મૅમોરિયમ” એનાં જાણીતાં દૃષ્ટાન્તો છે. પણ રવીન્દ્રનાથ ટાગોરકૃત “ગીતાંજલિ”-ની સૃષ્ટિને ઉપદેશપ્રદાન ગણવા જતાં ભૂલ થાય, ન ગણીએ તો પણ ભૂલ થાય, એવી એની વિલક્ષણતા છે.

ડ : ચૉથી વિશેષતા એ છે કે સાહિત્યકાર મનુષ્યજીવનને પોતાની કલારીતિ અનુસાર સરજે છે. જેમ કે, મેં ગણાવ્યા એ બધા જ ચૈતસિક આવિર્ભાવો સાહિત્યકલાસૃષ્ટિમાં હમેશાં જોવા-અનુભવવા મળે છે. પણ તેમાંના કોઈની પણ જોડે સાહિત્યકાર બૌદ્ધિક વ્યાપાર નથી માંડતો.

એ જ રીતે, એ કોઈપણ ધર્મની કશી પણ પૂર્વધારણાને વશ નથી થતો. દાખલા તરીકે, બૌદ્ધ ધર્મની બીલીફ સિસ્ટમમાં ૩ બાબતો મુખ્ય છે : ૧ : કર્મ : ૨ : પુનર્જન્મ : ૩ : ક્ષણભંગુરતા.

એમાંની એક બાબત જીવનની ક્ષણભંગુરતા વિશે વાત કરું. જીવનમાં એ કેવાં કેવાં સ્વરૂપે છે :

આતુરતા, બેચેની, કારણ ન હોય એવી માનસિક અસ્વસ્થતા-anxiety રૂપે. insecurity- અસલામતીનો ભાવ, શું થશે? બધું બરાબર હશે? uncertainty-અનિશ્ચિતતા. બધું જ નિશ્ચિત છે. કશું જ નિશ્ચિત નથી. મૃત્યુ નિશ્ચિત છે પણ અનિશ્ચિત છે – ક્યારે? ક્યાં? અથવા એ નિશ્ચિત છે પણ આપણે જાણતા નથી એ નિશ્ચિત છે. Volatility – કશું જ સ્થિર નથી, એકાએક ઊછળે, અચાનક બેસી પડે. vulnerability – આક્રમણભોગ્ય છીએ. વાઘ આવે અને ખાવા માગે તો ખવાઇ જઈએ. સ્ત્રીઓ આક્રમણભોગ્ય છે. Fluctuation રૂપે – સમુદ્રમાં ભરતી-ઓટ સંભવે છે, એમ માણસના જીવનમાં પણ સુખ કે દુ:ખની ચડતી પડતી ચાલ્યા કરે છે. દિવસ દરમ્યાન પણ સવાર સારી, બપોર વધારે સારી, સાંજ ગમગીન હોય – શામ બડી ગમગીન હોતી હૈ. સ્નો જામે, ઑગળી જાય. સૂરજ જોવા ન મળે, મળે ત્યારે બધાં એક જ વાક્ય ઉચ્ચારે – ઇટ’સા સની ડે, હાઉ બ્યુટિફુલ !

કાફ્કાકૃત “A Country Doctor” નામની એક ટૂંકીવાર્તામાં સ્નોયી નાઇટ છે, વળી, ચાંદની પણ છે. એવામાં ગામડા ગામના પ્રૌઢ દાક્તરને એક દર્દીને જોવા જવું જ પડે એમ હોય છે. એ ઇમરજન્સી વિઝિટ માટે ઘોડા પર જવાય પણ દાક્તરનો ઘોડો આગલી રાતે મરી ગયો હોય છે. નોકર-છોકરી રોઝા બીજાનો ઘોડો મળે એ માટે ગામ આખામાં ભટકે છે, પણ સફળ થતી નથી. દાક્તર સ્નોમાં કૉર્ટયાર્ડમાં ઊભો રહે છે, અગતિક. વગેરે વાર્તાની વાતથી મેં વ્યાખ્યાન સમ્પન્ન કરેલું. (એ વાર્તાની વીગતે વાત ક્યારેક કરીશ.)

= = = 

(March 19, 2023 : Ahmedabad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,0671,0681,0691,070...1,0801,0901,100...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved