Opinion Magazine
Number of visits: 9667295
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિયેટનામનું અદ્દભુત ગ્રામ્યજીવન

સુરેશ જાની|Opinion - Opinion|20 July 2023

આપણા મસ્તિષ્કમાં ગ્રામ્યજીવનનું ચિત્ર સ્વાભાવિક અને લાક્ષણિક રીતે ગુજરાતીતાથી ભરપૂર હોય છે. બહુ બહુ તો જમુનાના કાંઠે બાળ કૃષ્ણનું કે, સરયૂ તટે કિલ્લોલતા બાળ રામનું કલ્પન હોય.

ગ્રામજીવનની સમસ્યાઓની સાથે  સાથે ….
નદીનો તટ, કૂવાનો કાંઠો,
લીલૂડી ધરતી, લહલહાતાં ખેતરો
વાંસળીના સૂર.

પણ, એવાં ગામ પણ હોય કે, જેમાં એક બાજુ મગરોથી ઊભરાતી નદી હોય, બીજી બાજુ ભયાનક જાનવરોથી ઊભરાતું જંગલ હોય, ત્રીજી બાજુ નાના પર્વતો પર  જંગલી વાનરો કૂદાકૂદ કરતા હોય, કે પંદર-વીસ ફૂટ લાંબા અને પગના નળા જેટલા જાડા ભયાનક સાપ ફૂંફાડા મારી રહ્યા હોય! એવાં ગામમાં એ બધાંની વચ્ચે છીછરાં પાણી અને પાણીમાં જીવતા સાપથી ભરેલાં ખેતરોમાં જાનના જોખમે ડાંગરની ખેતી, માછીમારી, પશુપાલન  અને શિકાર કરતાં,  વીસ પચીસ કૂબાઓમાં વસતા ગ્રામવાસીઓની સાવ નાની પણ આત્મનિર્ભર જમાત પણ હોય!

એવા ગ્રામજીવનની  આપણે કલ્પના કરી શકીએ ખરા?

ન જ કરી શકીએ. પણ વાંચી તો શકીએ જ! પંદર સત્ય ઘટનાઓથી ભરપૂર એવું એક પુસ્તક વાંચવામાં આવ્યું અને એ પણ એક વસાહતી અમેરિકનની કલમે – ત્યારે, ગુજરાતી વાચકને ધરવા મન થઈ ગયું.

આ પુસ્તકના લેખકે (Huynh Quang Nhuong) જીવનની પ્રારંભનાં સોળેક વર્ષ આવા ગ્રામ પ્રદેશમાં ગુજાર્યાં હતાં. વિયેટનામના પાટનગર હો ચિ મિન્હ સિટીથી માંડ ૭૦ કિલોમિટર દૂર અને મહાકાય મેકોન્ગ નદીના એક ફાંટા,  માય થો નદીના કાંઠે, એ જ નામનું શહેર આવેલું છે. એનાથી  થોડેક જ દૂર આવેલા, ઉપર જણાવેલ વર્ણનવાળા ગામમાં ૧૯૪૧માં ક્વાન્ગનો જન્મ થયો હતો.

માય થો શહેરમાં માધ્યમિક કક્ષા સુધીના શિક્ષણ બાદ, તે સાયગોન યુનિવર્સિટીમાં (હાલનું હો ચિ મિન્હ શહેર) રસાયણશાસ્ત્રનો સ્નાતક થયો હતો. વિયેટનામની સરકારમાં જોડાયા બાદ સામ્યવાદ તરફી ઉત્તર ભાગ અને મૂડીવાદી દક્ષિણ ભાગ વચ્ચે ૧૯૫૫માં યુદ્ધ ફાટી નીકળ્યા બાદ, તે અમેરિકન લશ્કરમાં ભરતી થયો હતો અને ફર્સ્ટ લેફ્ટેનન્ટના હોદ્દા સુધી પહોંચ્યો હતો. લડાઈમાં બેસૂમાર ઘવાતાં તેને સારવાર માટે અમેરિકા લઈ જવામાં આવ્યો હતો. અમેરિકાએ યુદ્ધમાંથી પીછેહઠ કર્યા બાદ, ક્વાન્ગ અમેરિકામાં જ રહી પડ્યો હતો અને આગળ અભ્યાસ શરૂ કર્યો હતો. ૧૯૭૩માં તેણે મિઝોરી યુનિવર્સિટીમાંથી ફ્રેન્ચ ભાષામાં  અનુસ્નાતકની પદવી  પણ મેળવી હતી. આમ તો તે વિયટનામથી આવેલા અન્ય વસાહતીઓની જેમ અનામી જ રહ્યો હોત પણ; તેણે ૧૯૮૨માં પોતાના બાળપણના યાદગાર પ્રસંગોનું વર્ણન કરતું, ઉપર જણાવેલ  પુસ્તક પ્રસિદ્ધ કર્યું. એ સાથે જ તે અમેરિકન સાહિત્ય જગતમાં મશહૂર બની ગયો.

એના યુવાવસ્થાના જીવનની વાત બાજુએ મૂકી, સાવ છેવાડે આવેલા ગામમાં તેણે ગાળેલ જીવનની ચપટીક વાત અહીં જાણીએ.

એમાં નદીની ભેંસો અને જોરાવર પાડાઓની વાતો છે – ખાસ તો ક્વાન્ગના પશુધનના મુખિયા એવા ‘ટાન્ક’ નામના પાડાની વાત. પર્વતો પર રહેતા જોરાવર જંગલી પાડા અને પાલતુ ભેંસનું એ ફરજંદ જાણે કે, એના કુટુમ્બનો એક સભ્ય હોય, એવી પ્રતીતિ આપણને વારંવાર થતી રહે છે. જંગલી પાડાઓ અને ખૂંખાર વાઘ સામે ભેંસોના ધણ અને ક્વાન્ગના કુટુંબને રક્ષણ માત્ર જ નહીં, પણ મોટી માછલીઓ પકડવામાં પણ એ પાડો મદદ કરતો! સહેજ ઈશારા માત્રથી જ એણે કરવાનું કામ એ સમજી જતો. આપણને ઘરઆંગણાના અક્કલવાન બળદો તરત યાદ આવી જાય.

જીવલેણ અને ઝેરી સાપ પણ પાળેલ પ્રાણી હોઈ શકે – એ વાત પણ આપણને અહીં જાણવા મળે છે. પંદર ફૂટ લાંબા અને પગના નાળા જેટલા જાડા ‘ઘોડા સાપ’ના (horse snake) શિકારની એક વાત પણ આપણને જકડી રાખે છે. એમાં એક પાડોશી ડોશીએ પાળેલા વાંદરાની વાત પણ છે – જેના વાંદરવેડાને કારણે તે બાઈનું ઝૂંપડું બળી ગયું હતું! એમ જ ક્વાન્ગે પાળેલ બે પક્ષીઓની વાત પણ મજાની છે.

પણ એમાં માત્ર જંગલી કે પાળેલાં પ્રાણીઓની જ વાતો છે – એમ નથી. ખેડૂત જીવનનાં અવનવાં પાસાંની અવનવી વાતો પણ આ પુસ્તક કહી જાય છે. એક નવવધુ લગ્નવિધિ બાદ રિવાજ પ્રમાણે નદીમાં સ્નાન કરવા જાય છે, અને જીવલેણ મગરના સકંજામાં આવી જાય છે. હેરતભરી રીતે તે એનાથી છૂટી પણ જાય છે – એ વાત આપણને શરૂથી અંત સુધી જકડી રાખે છે. આવી જ એક લગ્નવિધિ બાદ બીજો એક નવકોડીલો વર પહેલી જ રાતે સાવ નાનકડા કણા જેવા પણ અત્યંત ઝેરી સાપના મોંમાંથી નીકળતો વાયુ શ્વાસમાં જતાં તરફડીને  મરણ શરણ થાય છે – એની કરુણ કથની પણ છે.

આવી જ એક વાત ક્વાન્ગની એંશી વરસની દાદીમાની છે. વ્યવહારિક હોંશિયારી, માથાફેર શખ્શને કરાટેથી ચિત કરવાની બહાદુરી, લુંટારાઓને કળથી ભગાડવાની સૂઝ – એ બધાંની સાથે સાથે, કરુણાંત ગ્રામ નાટિકાની કથાવસ્તુથી ભાવવિભોર થઈ, ચોધાર આંસુએ રડી પડવાની તેની સંવેદનશીલતાની દાસ્તાન પણ છે. માનવજીવનના વિવિધ પાસાંઓને ઉજાગર કરતી એની કથની આપણને મહેનતકશ નારીજીવનને સલામી ભરતા કરી દે છે.

આ બધી વાતોની મજા તો એ પુસ્તક વાંચતાં જ આવે. વિગતે એ પુસ્તકમાંથી આ બધી વાતો વાંચીએ, ત્યારે ક્વાન્ગની  વર્ણનશક્તિ અને એના જીવનની દુષ્કરતાઓ પર આપણે અભિભૂત થઈ જઈએ.

આશા છે કે, વાચકને ભારતીય જીવન કરતાં સાવ નિરાળા આવા ગ્રામ્યજીવનની આ નાની ઝલક ગમશે. ગમે તે પ્રદેશ હોય; ભલે ત્યાંની અલગ જીવન રસમ હોય, પણ માનવજીવનની મીઠાશ, કડવાશ, કારુણ્ય, અને માધુર્યનું પાયાનું પોત સમાન હોય છે. આવી જીવનકથાઓ વાંચીએ ત્યારે, માણસના પાયાના હોવાપણામાં રહેલ જીવનના પડકારોને ઝીલી, એનો સામનો કરી, પોતાના આગવા વિકલ્પો શોધી શકવાની ક્ષમતા પર આપણને વિશ્વાસ જરૂર બેસી જાય છે. નહીં વારુ ?

સંદર્ભ –   

1.  Land I lost – Book

2. https://en.wikipedia.org/wiki/Quang_Nhuong_Huynh

e.mail : surpad2017@gmail.com

Loading

દૃષ્ટિવંત સંપાદક : મહેન્દ્ર મેઘાણી

પ્રીતમ લખલાણી|Opinion - Opinion|20 July 2023

રૉચેસ્ટરના ગ્રેહામ બસસ્ટૉપ પર અમારી એકાદ કલાકની તપસ્યા બાદ, લગભગ સાંજના સાડા સાતની આસપાસ, બસ આવીને ઊભી. બસમાંથી ગાંઘી ટોપીમાં ભારતની આઝાદીના સ્વાતંત્ર્યસેનાની જેવી વિરલ પ્રતિભા ઘરાવતી એક ખાદીઘારી વ્યક્તિ અમને ભાવભીનું વંદન કરતી બસમાંથી ઊતરી. બે-પાંચ ક્ષણ અમારી સાથે આંનદ-ખુશીની વાતો કરી. કંડકટરે બસમાંથી ઉતારેલ સામાનમાંથી પોતાનો સામાન અલગ કરીને તેમણે એક બાજુએ મૂકયો. ગાડીમાં સામાન લઈ જવા માટે અમે આગળ આવ્યા એટલે તેમણે અમને કહ્યું કે એટલો સામાન કયાં છે કે આપણે ચારે જણે લેવો પડે. મારો સામાન તો હું જ મોટર સુઘી લઈ જઈશ. અમે ગાડીમાં ગોઠવાણા એટલે તેમણે પોતાના કાંડા ઘડિયાળમાં નજર નાંખતાં અમને પૂછયું કે આપણા કાર્યક્રમનો સમય મારા ખ્યાલ મુજબ સાડા સાત વાગ્યાનો હતો, કેમ ખરું ને?પણ … ઘણાખરા લોકો કદાચ અશોકભાઈના ઘરે આવી ગયા હશે!

તેમનું આ છેલ્લું વાકય પૂરું થયું ન થયું ત્યા અશોકભાઈએ જણાવ્યું, “ઘણાંખરાં નહીં પણ લગભગ બઘા જ આમંત્રિત મહેમાનો આવી ગયા હશે.”

“મિત્રો, ખાવાપીવા જેવી નાની અમથી બાબતને લીઘે કાર્યક્રમ સમય કરતાં મોડો શરૂ કરવો તે મારી દૃષ્ટિએ મને યોગ્ય જણાતું નથી.” આજે નેવું વરસની ઉંમરે પણ સમય સાથે કદમતાલ મિલાવતા સાચા ગાંઘીવાદી. ખાદી પણ જેના પર ગૌરવ કરતી આજે આપણને જોવા મળે તે બીજું કોઈ નહિ પણ સાહિત્યસેવક રાષ્ટ્રીય લોકશાયર ઝવેરચંદ મેઘાણીના જયેષ્ઠ પુત્ર મહેન્દ્ર મેઘાણી.

મહેન્દ્રભાઈને મન સંપાદન એક સાઘના છે. તેમાં તે કોઈની ખોટી દખલગીરી ન ચલાવી લે! ગમે તેવા નામાંકિત, પ્રખર, કવિ-લેખકે “મિલાપ” માટે તેમની કૃતિ મોકલી હોય અને મહેન્દ્રભાઈને મિલાપના ઘોરણ કરતાં ઊતરતી કક્ષાની જણાય તો તે કોઈ પ્રકારની શેહશરમ કે પરવા કર્યા વિના તે કૃતિને સાભાર પરત કરતા. પ્રથમ કક્ષાનાં ગુજરાતી સામયિકોનું જેમ સમયસમયે બનતું આવ્યું છે તેમ “મિલાપ”ની પણ એક કાળે મંદ ગતિ સરજાણી. મહેન્દ્રભાઈ ઘારત તો ‘મિલાપ”ને ઘક્કા મારીમારીને આજ સુઘી બીજા સામયિકોની જેમ માંદલું ચલાવી શકત. પણ આમ અર્થ વિનાનું સામયિક ચલાવવું તેમને યોગ્ય ન જણાતાં ‘મિલાપ”નો સૂરજ આકાશમાં તપતો હતો ત્યારે જ તેમણે તેને સમેટી લીઘું.

“મિલાપ”ને બંઘ કર્યા પછી મહેન્દ્રભાઈ ભાવનગરના કોઈ એક ખૂણે પલાંઠી વાળીને બેસી ન રહ્યા. મૂળે મહેન્દ્રભાઈ સંપાદકનો જીવ એટલે તેમણે સંપાદન સમું કામ શોઘી કાઢયું. ૧૯૮૧ની આસપાસ મહેન્દ્રભાઈને વિચાર આવ્યો કે આજના યંત્રયુગમાં માનવી પાસે સમયની સખત તંગી છે. સમયની આવી મારામારીમાં લોકો પાસે કવિઓના આખા ને આખા કાવ્યસંગ્રહ વાંચવાનો સમય તો કયાંથી હોય, એટલે તેમણે આદિકવિ નરસિંહ મહેતાથી લઈ રાવજી પટેલ સુઘીના ઉચ્ચ કોટીના કવિઓના કાવ્યસંગ્રહમાંથી ઉત્તમ કવિતાની ઉત્તમ પંકિતઓ ચૂંટી કાઢવા બે-પાંચ વિદ્વાન કવિઓની મદદ લઈ તેમને ‘કાવ્યકણિકા’ તેમ જ ‘કાવ્ય કોડિયા’ નામક ખિસ્સાપોથીઓનું સંપાદન કર્યું.

આ કામ જયાં પત્યું ન પત્યું ત્યાં મહેન્દ્રભાઈને એક અનોખો જ વિચાર આવ્યો. બે પાંચ વરસમાં ગુજરાતી ભાષામાં પ્રગટ થતાં, કવિતા,વાર્તા, પ્રવાસ અને લલિત નિબંઘ જેવાં પુસ્તકોમાંથી ઉત્તમ પુસ્તકો ચૂંટીને તેને દસથી પંદરના સેટમાં ગોઠવી આ સંપૂર્ણ સેટને રસિક ગુજરાતી વાચકોના ઘરે પહોંચાડવાનું બીડું ઝડપ્યું. મહેન્દ્રભાઈના વિચાર વિશે જો આપણે કયારેક નિરાંતે બેસીને વિચારીએ તો આપણને ખ્યાલ આવે કે આ કામ તો લોઢાના ચણા ચાવવા જેવું કઠિન. બેપાંચ વરસમાં પ્રગટ થયેલ આ દરેક પુસ્તકને કાળજીપૂર્વક વાંચવું અને વાંચ્યા બાદ ઉત્તમ પુસ્તકોમાંથી મર્યાદિત સંખ્યામાં ઉત્તમ પુસ્તકો પસંદ કરવાનાં. પસંદ કરેલ પુસ્તકોના સેટને પૂરતી સંખ્યામાં છપાવ્યા. ગુજરાત, મુંબઈ અને ભારતના ખૂણેખૂણે જ નહિ, પરંતુ અમેરિકા,આફ્રિકા,અને યુરોપના સીમાડા સુઘી વસતી ગુજરાતી પ્રજા પાસે પહોંચાડયા. આ બઘું કરવા આર્થિક ખર્ચને પહોંચી વળવા તેની વ્યવસ્થા કરવાનું કામ તો મહેન્દ્રભાઈ જેવા કો’ ભડવીર જ કરી શકે.

આ પુસ્તકો લોકોનાં ઘરેઘરે પહોંચાડવા આ સાહિત્ય સેવકે ખભે પુસ્તકોની ગાંસડી નાખી એક ફેરિયાની જેમ દેશવિદેશના સીમાડા ખૂંદ્યા. આ સેવામાં તેમના મુખ પર કયાં ય કોઈ ચિંતા કે દુઃખની રેખા આપણને જોવા ન મળે. મહેન્દ્રભાઈ જે કંઈ કામ કરે તેમાં પોતાની જાતને ઉત્સાહ-આનંદથી ડુબાડી દે. ૧૯૮૭માં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીની નેવુંમી જયંતી નિમિત્તે તેમણે ગુજરાતના જિલ્લેજિલ્લે નેવું દિવસોનો ચરિત્રકીર્તનનો પ્રવાસ ખેડયો. જે ગામ, જિલ્લા કે સંસ્થા તરફથી આમંત્રણ મળ્યું હોય ત્યાં જઈને નેવું મિનિટ સુઘી ગુજરાતના વિવિઘ સર્જકોનાં ચૂંટેલાં પુસ્તકોમાંથી ચરિત્રકથાઓનું વાચન કરી લોકોના હ્રદય સુધી એમણે જ્ઞાનગંગા વહેવડાવી.

ચરિત્રકીર્તનવાચનનો યજ્ઞ પૂરો થયો ન થયો ત્યાં મહેન્દ્રભાઈએ ૧૯૮૮/૮૯માં લોકોના હ્રદય સુઘી યાદગાર વાચન “ચંદનનાં ઝાડ” પહોંચાડવાનું બીડું ઝડપ્યું. ‘ચંદનનાં ઝાડ”ની મહેન્દ્રભાઈએ એક હજાર કે દસ હજાર નકલ નહિ, પરંતુ એક લાખ નકલ પ્રગટ કરી ગુજરાતના નાનાંનાનાં ગામડાંથી લઈ ભારતના સીમાડા બહાર અમેરિકા, યુરોપમાં વસતા ગુજરાતી પરિવાર સુઘી પહોંચાડયું. મહેન્દ્રભાઈ બોલે બહુ જ ઓછું અને કામ કરે ઘણું. તે તો આપણે તેમના, દેશવિદેશની ભાષાના અનુવાદ કરેલાં પુસ્તકોની યાદી તપાસીએ ત્યારે જ ખ્યાલ આવે. તેમનું સમગ્ર જીવન સંપૂર્ણ સાદગીથી ભરેલું છે.તેમની નિયમિતતા પાસે તો ઘડિયાળ પણ બે ડગલાં પાછળ પડે. રાત્રે વહેલાં સૂઈ જવું અને વહેલા પ્રભાતે ઊઠી પોતાના કાર્યક્રમમાં ગૂંથાઈ જવું. મહેન્દ્રભાઈ સાહિત્યકાર નથી, પણ સાહિત્યસેવક છે.

આપણો પુસ્તક વિશેનો પ્રેમ જોઈ તેઓ જ્યારે પણ કોઈ સર્જકનું નવીન ઉત્તમ પુસ્તક પ્રગટ થાય તો તે અચૂક આપણને પત્ર દ્વારા તે બાબતનું ઘ્યાન દોરે અથવા તે પુસ્તકને લગતી વિશેષ માહિતીથી માહિતગાર કર્યા વિના ન રહે.

મારા જેવા ઘણા યુવાનો અમેરિકામાં આવ્યા હતા અભ્યાસ કરવા અને પછી ડૉલર પાછળ ગાંડા થઈને માતૃભૂમિને ભૂલી અહીં જ સાવકી માના ખોળામાં જિંદગી વિતાવવા મંડ્યા. લગભગ આજથી ૭૦ વર્ષ પહેલાં મહેન્દ્રભાઈ પત્રકારત્વનો અભ્યાસ કરવા આવ્યા હતા અને તે પૂર્ણ થતાં પાછા વતનની ઘૂળને ખૂંદવા ચાલ્યા ગયા. આ સાહિત્યસેવકે જ્યારે ઘટમાં ઘોડા થનગનતા હતા તે ઉમંરે માતૃભૂમિને અંગ્રેજ સલ્તનતના તાબામાંથી મુક્ત કરવા આઝાદીની લડતમાં ઝંપલાવ્યું હતું; પરંતુ આ બાબતમાં આપણને મહેન્દ્રભાઈના મુખે કયારે ય કશું ય સાંભળવા નહિ મળે, કારણ કે તેઓ મનથી સમજે છે કે મેં દેશ માટે જે કંઈ કર્યું તે તો મારી ફરજ હતી. દીકરો મા માટે કંઈક કુરબાની આપે તો તેના માટે ચાંદતારાની આશા ન રખાય!

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

કલિકાલસર્વજ્ઞે જેને આવકાર્યો હોત તે વિમર્શ યુનિવર્સિટી કેમ ટાળે છે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|20 July 2023

ભલા ભાઈ, આનંદસૂરિ અને હેમચંદ્રાચાર્ય બે સામસામે મૂકવા જોગ વ્યક્તિત્વ છે : એક નકરા ધર્મઝનૂની મહત્ત્વાકાંક્ષી, બીજા ધર્મજ્ઞ ને ઉચ્ચાકાંક્ષી, જેમને અર્ધ્યરૂપે મુનશીએ હૈમસારસ્વત સત્ર યોજ્યું હતું.

વાત તો સાચી કે આ જમાનો ન્યૂ નૉર્મલનો છે : સોલંકીકાળની ભારત પ્રસિદ્ધ રાજધાની પાટણમાં વિરાજતી યુનિવર્સિટીના પાઠ્યક્રમમાંથી ખુદ ‘પાટણની પ્રભુતા’ને જ રુખસદ ફરમાવવાની નોબત આવી છે.

પ્રકાશ ન. શાહ

તેમ છતાં, જો કે, આરંભે જ કબૂલી લેવું જોઈએ કે પાઠ્યક્રમમાંથી કશુંક પડતું મૂકવું એની યુનિવર્સિટીઓને કે શાલેય સંસ્થાનોને નવાઈ નથી. છેલ્લા મહિનાઓમાં એન.સી.ઈ.આર.ટી.એ અજબ જેવી ધડબડાટી બોલાવી છે, પણ આ ક્ષણે આપણે એમાં નહીં જતાં સ્થાનિક ધોરણે થતાં નિર્ણયોની ચર્ચા કરીશું. હમણાં કહ્યું કે, અભ્યાસક્રમમાંથી કશુંક કમી થવાની નવાઈ નથી. આપણે ગુજરાતમાં, ગુજરાતીના વિષયની જ નમૂના દાખલ વાત કરીએ તો તરત સાંભરશે કે વિશ્વનાથ ભટ્ટની કલમે લખાયેલ વિરલ એવા નર્મદ – ચરિત્રમાંથી ‘નર્મદનો જમાનો’ એ પાઠ પાઠ્યપુસ્તકમાંથી પડતો મૂકવામાં આવ્યો હતો. રામનારાયણ વિ. પાઠકની નવલિકા ‘ખેમી’ સાંભરે, અને ઉમાશંકર કૃત ‘ઢેઢનાં ઢેઢ ભંગી’ પણ (ક્ષમાયાચના સહ અહીં નિવેદિત કરવાનું કે નિષિદ્ધ પ્રયોગો કેવળ શીર્ષકને મૂળ રૂપે ટાંકવાના ખયાલે જ કર્યા છે.)

પૂર્વે ઠીક ઠીક ઊહાપોહ થયો હોય તો પણ હમણેનાં વરસોનો અનુભવ એ છે કે, વિવાદ અને વિખવાદ વચ્ચેથી, કોઈની લાગણી દુભાવાના ખયાલે ચર્ચા (કેટલાંકને મતે કચકચ) ટાળવામાં સૌ ડહાપણ જુએ છે અને કજિયાનું મોં કાળું એવાં હિતવચનોમાં આશરો લે છે.

સરકારને પક્ષે કે સંબંધિત શિક્ષણ-સંસ્થાને પક્ષે આમાં એક સગવડ પડેલી છે એ સાફ છે. પણ શિક્ષણની ધોરણસરની પ્રક્રિયા અને પાયાનાં શૈક્ષણિક મૂલ્યોની રીતે વિચારીએ તો કથિત ડહાપણ વાસ્તવમાં ભણાવનારની કમજોરી છે, અને એથી પણ વધુ તો ભણાવનારની પૂંઠે સરકારી તંત્રે ને શાસકીય નેતૃત્વે અડીખમ રહેવું જોઈએ એવી. સહજ અપેક્ષાનું કેવળ ઉલાળિયું છે. આપણા કેટલા બધા ગમા-અણગમા વિવેકશૂન્ય ને આધારશૂન્ય હોય છે. કેળવણીની પ્રક્રિયા ગમા-અણગમા વચ્ચે શુદ્ધ વિવેક જગવવાની હોવી જોઈએ. આ રીતે વિચારીએ તો પાઠ્યક્રમમાંથી પરબારું પડતું મૂકવાનું વલણ પોતે તપાસ બલકે પુનર્વિચાર માગી લે છે.

હવે વાત ‘પાટણની પ્રભુતા’ની પેઢી દર પેઢી એની નવી આવૃત્તિઓ થતી રહી છે. મુદ્દે, એક સન્માન્ય જૈનાચાર્યે કુલપતિ રોહિત દેસાઈ જોગ પત્રમાં પ્રશ્ન ઉઠાવ્યો છે કે યુનિવર્સિટી જે મહાપુરુષના નામથી ગૌરવાન્વિત છે એ હેમચંદ્રાચાર્યના જીવનને અયોગ્ય રીતે પ્રસ્તુત કરનાર આ પુસ્તકને પાઠ્યક્રમમાં પ્રવેશ કેવી રીતે આપી શકાય. ગમે તેમ પણ, ‘પ્રભુતા’ વાંચનારને વળતો પ્રશ્ન ખરેખર તો થવો જોઈએ કે આ નવલકથામાં હેમચંદ્રાચાર્ય છે જ ક્યાં ? અલબત્ત, પાટણ પંથકના એક જૈન અગ્રણીએ કેવળ દૂરાકૃષ્ટ જ નહીં પણ ધરાર ધડમૂળ વગરની વાત કરી છે કે ‘પ્રભુતા’માં આવતા જતિ આનંદસૂરિ પરોક્ષરૂપે હેમચંદ્રાચાર્ય છે. ભાઈ, મુનશીએ એમની નવલત્રયીના બીજા-બીજા મણકામાં, ‘ગુજરાતનો નાથ’ અને ‘રાજાધિરાજ’માં વાસ્તવિક હેમચંદ્રાચાર્યનું કથારૂપ મૂક્યું જ છે. આનંદસૂરિ અને હેમચંદ્રાચાર્ય બે જુદાં જ વ્યક્તિત્વ છે … ધર્મઝનૂની આનંદસૂરિ અને ઉચ્ચાકાંક્ષી ધર્મજ્ઞ એવા હેમચંદ્રાચાર્ય ! મુનશી સરખી પ્રતિભા, જેને નામે હૈમસારસ્વતં સત્ર સરખો સોજ્જો અવસર ઇતિહાસજમે બોલે છે, એનો તો લિહાજ કરો જરી.

સમજમાં તળેઉપર, ઇતિહાસની સેળભેળ, મુદ્દા વગરની લાગણી દુભાઉ ધડપડ, આવે વખતે યુનિવર્સિટીએ પરબારા વાવટા વીંટી લેવાય નહીં. હજુ પણ મોડું થયું નથી. યુનિવર્સિટી પહેલ અને આદર સાથે સંબંધિત સૌને સાથે રાખીને ચર્ચા કેમ ન કરી શકે ? એક પા કુલપતિ-કુલાધિપતિ તો બીજી પા શિક્ષણ પ્રધાનને છેડેથી લેખકો અને અધ્યાપકોને તેમ જ કથિત વિરોધકોને નિમંત્રીને વિમર્શ કરવાપણું છે.

આ પ્રક્રિયામાં પડવાથી બેઉ બાજુના સૌ લાભાન્વિત થશે : આવી પ્રક્રિયા, અંતે તો, આરતી સરખી બની રહેતી હોય છે – ભગવાન અને ભક્ત બેઉને તે એક સાથે આલોકિત કરે છે. એટલું જ નહીં પણ એની આશકા નાનામોટા સૌ હોંશે હોંશે લઈ શકે, અને સરવાળે શિક્ષણ પણ સુધરી શકે!

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 19 જુલાઈ 2023

Loading

...102030...1,0621,0631,0641,065...1,0701,0801,090...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved